સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે રાજ્યસભાના 12 સાંસદોનો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.તેમના પર 11 ઓગસ્ટે રાજ્યસભામાં હંગામો કરવાનો આરોપ છે.
જોકે આ સાંસદો પર કયા પ્રકારના આરોપ છે તેની વિગતો હવે સપાટી પર આવી છે.બે સાંસદોએ પોતાના સ્કાર્ફથી ફાંસીનો ફંદો બનાવ્યો હતો અને ફંદો ગળામાં નાખી નારાબાજી કરી હતી.
આ પૈકીના એક સાંસદ ડોલા સેન પર સંસદીય બાબતોના મંત્રીનો રસ્તો રોકવાનો પણ આરોપ છે.ડોલા સેને તો તેમની સાથે ધક્કા મુક્કી પણ કરી હતી.કોંગ્રેસના સાંસદ ફૂલો દેવી નેતામે કાગળ ફાડ્યા હતા અને રાજ્યસભાના મહાસચિવના ટેબલ પર ફેંક્યા હતા.કોંગ્રેસના સાંસદ છાયા વર્માએ મહિલા માર્શલો સાથે પણ ગેરવર્તન કર્યુ હતુ.
અન્ય કેટલાક સાંસદોએ પેપર ફોલ્ડર છીનવી લીધા હતા.કોંગ્રેસના કે નાસિર હુસેન અને શિવસેનાની પ્રિયંકા ચતુર્વેદી પર કાગળો ફાડીને સંસદમાં ફેંકવાનો આરોપ છે.અન્ય એક સાંસદ તો એલઈડી ટીવી મુકવાના સ્ટેન્ડ પર ચઢી ગયા હતા.એક સાંસદે પુરુષ માર્શળનુ ગળુ પકડી લીધુ હતુ.
આ ઘટના બાદ સંસદીય બાબતોના મંત્રી પ્રહ્લાદ જોષીએ કહ્યુ હતુ કે, સંસદના ઈતિહાસનો આ સૌથી શરમજનક દિવસ હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત મારફતે દેશને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું હતું કે, તેઓ આજે સત્તામાં નથી અને ભવિષ્યમાં સત્તામાં જવા માગતા નથી. તેઓ માત્ર સેવામાં રહેવા માગે છે. તેઓ માટે વડાપ્રધાનનું પદ અને બધી વસ્તુઓ સત્તા માટે છે જ નહીં. સેવા માટે છે. સાથે જ પીએમ મોદીએ પ્રકૃતિને માતા ગણાવી હતી અને તેનાં સંરક્ષણની અપીલ કરી હતી.
પીએમ મોદીએ કહ્યું હતું કે, પ્રકૃતિથી જોખમ ત્યારે જ ઉભું થાય છે જ્યારે સંતુલન બગડે છે અથવા તેની પવિત્રતા નષ્ટ કરવામાં આવે છે. પીએમ મોદીએ કોરોનાને લઇને પણ ચેતવણી આપી હતી અને લોકોને સાવધાન રહેવા કહ્યું હતું.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, પ્રકૃતિ માતા છે અને તેનું સંરક્ષણ કરવું જોઈએ. આપણી આસપાસ જે પણ પ્રાકૃતિક સંસાધન છે તેને બચાવવા અને યોગ્ય રૂપમાં પરત કરવા જોઈએ. આ કામગીરીમાં જ તમામનું હિત છે. પીએમએ આગળ ઉમેર્યું હતું કે, આપણા દેશમાં અનેક રાજ્ય છે, અનેક ક્ષેત્ર છે જ્યાંના લોકોએ પોતાના પ્રાકૃતિક વારસાને સંભાળીને રાખ્યો છે. આ લોકોએ પ્રકૃતિ સાથે મળીને જીવવાની કળા પણ જીવંત રાખી છે.
ગુજરાતમાં આગામી 2022ના યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા 10,879 ગ્રામ પંચાયતોની ચૂંટણી તા. 19 ડિસેમ્બર 2021ના રોજ યોજાશે. ચૂંટણીનું જાહેરનામુ આગામી 29મી નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે. આ ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા. 4 ડિસેમ્બર છે. ઉમેદવારી પત્રો ચકાસણી કરવાની તા. 6′ ડિસેમ્બર,’ જ્યારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તા. 7 ડિસેમ્બર 2021 છે. આમ ડિસેમ્બર 2021માં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીએ આગામી વિધાનસભાની ચૂંટણીનુ પરિણામ નક્કી કરશે.’
ગ્રામપંચાયતની ચૂંટણીઓનાં પરિણામ 21 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જો કે આ વખતે બેલેટ પેપરથી ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. આજે ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 19 ડિસેમ્બરના રોજ 10879 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. તેની સત્તાવાર જાહેરાત કરાઇ હતી. આ જાહેરાત થતાની સાથે જ આજથી રાજ્યમાં આચાર સંહિતા લાગુ કરી દેવાઇ છે. 10879 ગ્રામપંચાયતોમાંથી 10284 સરપંચની ચૂંટણી, તેમજ અંદાજિત 89702 વોર્ડોમાં સભ્યોની ચૂંટણી યોજાશે. સાથે સાથે આ સિવાયની જે ગ્રામ પંચાયતની મુદત 31 માર્ચ 2022 પછી પૂરી થાય છે તેવી અને જેની મુદત પૂરી થવામાં એક વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. જૂનાગઢ જિલ્લાની 432 ગ્રામ પંચાયતોમાં પણ 19 મી તારીખે ચૂંટણી યોજાશે. જેથી આજથી આ બધા ગામોમાં આચારસંહિતા લાગુ પડી ગઇ છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના હોદ્દા માટે કે ગ્રામ પંચાયતના સભ્યો તરીકે ઉમેદવારી કરતા ઉમેદવારોએ ગુનાહિત ભૂતકાળ તેમજ મિલકત દેવા શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવારી પત્રોના સંબંધિત ભાગમાં ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારીને આપતી વખતે ઉમેદવારે નિયમત નમૂનામાં સાદા કાગળ પર એકરાર નામુ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે.” આ ઉપરાંત આ વખતે સરપંચની ચૂંટણીમાં કાયદાકીય કામગીરી ઘણી ઓછી કરી દેવામાં આવી છે. જેથી સરળતાથી ફોર્મ ભરી શકાય. આ નિર્ણયનાં કારણે સરપંચનું ફોર્મ ભરવું સરળ બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે Dt.19/11/21 સવારે દેશને સંબોધન કરતાં ખૂબ મોટી જાહેરાત કરી હતી. PM મોદીએ સંબોધનની શરૂઆત કરાતા દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનક જયંતીની શુભેચ્છા પાઠવી છે. ત્યાર બાદ પીએમ મોદીએ ગુરુ નાનકજીના ઉપદેશની વાત કરતાં જણાવ્યુ હતું કે મેં ખેડૂતોના પડકારોને જીણવટતાપૂર્વક જોયા છે.
નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોદીએ વધુમાં કહ્યું હતું કે અમે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી છે. અમે જે કૃષિ કાયદાની વર્ષોથી માગ હતી તેને જ દેશના હિત માટે લઈ આવ્યા હતા. ઘણા ખેડૂતો અને કૃષિ સંગઠનોએ તેને આવકાર્યા હતો પરંતુ કેટલાક ખેડૂતોના આ કાયદાના ફાયદાઓ અમે સમજાવી શક્યા નથી. જોકે હવે અમે ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. અને આ સાથે પીએમ મોદીએ હાથ જોડીને આંદોલનરત ખેડૂતોને અપીલ કરી હતી કે તમે તમારા ઘરે અને ખેતરમાં પાછા ફરો, પરિવાર વચ્ચે પરત ફરો અને એક નવી શરુઆત કરો.
આ સાથે તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે ખેતી અને દેશના ખેડૂતોની સ્થિતિને સુધારવા માટે ત્રણ કાયદા લાવવામાં આવ્યા. જેથી નાના ખેડૂતોને વધુ સશક્ત કરવા માગતા હતા. વર્ષોથી આ માંગ દેશના ખેડૂતો અને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી. જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશના ખેડૂતો અને સંગઠનોએ તેનું સ્વાગત કર્યું, સમર્થન કર્યું. હું બધાનો ખૂબ જ આભારી છું. મિત્રો, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે.
ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે ત્રણ કૃષિ કાયદા લાવવામાં આવ્યા હતા. જેનો હેતુ ખેડૂતોને વધુ શક્તિ આપવાનો હતો. તેમને તેમની પેદાશો વેચવા માટે વધુને વધુ વિકલ્પો મળવા જોઈએ. ભૂતકાળમાં પણ ઘણી સરકારોએ આ અંગે વિચારણા કરી છે. આ વખતે પણ સંસદમાં ચર્ચા થઈ, મંથન થયું અને આ કાયદા લાવવામાં આવ્યા. દેશના ખૂણેખૂણેથી અનેક ખેડૂત સંગઠનોએ તેનું સ્વાગત કર્યું અને સમર્થન કર્યું. હું આજે તે બધાનો ખૂબ જ આભારી છું. આ માટે દેશના કૃષિ જગતના હિતમાં, ગામડાના, ગરીબોના હિતમાં, સંપૂર્ણ સહયોગ સાથે, ઉમદા આશયથી આ કાયદો લાવવામાં આવ્યો હતો. પરંતુ અમે ખેડૂતોના હિત માટેની વાત કેટલાક ખેડૂતોને સંપૂર્ણ રીતે સમજાવી શક્યા નથી. તેમ છતાં ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો હતો. અમે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો.આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો. આ તમામ બાબતો દેશ આખો જાણે છે માટે તેમાં વધુ નથી કહેવા માગતો પરંતુ અમારી સરકાર હંમેશા દેશ હિતમાં પગલા લેશે.
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે કરવામાં આવેલા કાર્યોને ગણાવ્યા હતા. તેનો ઉલ્લેખ કરતાં તમણે કહ્યું કે ખેડૂતોને તેમની ઉપજની યોગ્ય કિંમત મળે તે સુનિશ્ચિત કરવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. અમારી સરકાર દ્વારા કરવામાં આવતી ઉપજની ખરીદીએ છેલ્લા કેટલાક દાયકાના રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશની 1000 થી વધુ મંડીઓને e-NAM યોજના સાથે જોડીને, અમે ખેડૂતોને તેમની ઉપજ ગમે ત્યાં વેચવા માટે પ્લેટફોર્મ આપ્યું છે. કૃષિ બજારોના આધુનિકીકરણ માટે કરોડો ખર્ચવામાં આવ્યા હતા. દેશનું કૃષિ બજેટ અગાઉની સરખામણીમાં 5 ગણું વધ્યું છે. કૃષિ પાછળ દર વર્ષે 1.25 લાખ કરોડનો ખર્ચ થઈ રહ્યો છે.
– આપત્તિ સમયે વધુમાં વધુ ખેડૂતોને વળતર મળી રહે તે માટે નિયમો પણ બદલાયા હતા. છેલ્લા 4 વર્ષમાં ખેડૂત ભાઈ-બહેનોને 1 લાખ કરોડથી વધુનું વળતર મળ્યું છે. નાના ખેડૂતોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે 1.62 લાખ કરોડ રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
– પીએમ મોદીએ કહ્યું કે 5 દાયકાના મારા જાહેર જીવનમાં મેં ખેડૂતોની સમસ્યાઓ અને પડકારોને ખૂબ નજીકથી જોયા છે. 2014માં જ્યારે દેશે મને સેવા કરવાની તક આપી ત્યારે અમે કૃષિ કલ્યાણને પ્રાથમિકતા આપી હતી.
– નાની જમીનની મદદથી નાના ખેડૂતો પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારોનું પેઢી દર પેઢીનું વિભાજન તેને વધુ નાનું બનાવી રહ્યું છે. નાના ખેડૂતના પડકારોને ઘટાડવા માટે બિયારણ, વીમો, બજાર અને બજેટ પર સર્વાંગી કાર્ય કરવામાં આવ્યું છે.
– ગુરુ પર્વના પાવન અવસર પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. દોઢ વર્ષના અંતરાલ બાદ કરતારપુર સાહિબ કોરિડોર ફરી ખુલ્યો તે પણ ખૂબ જ આનંદદાયક છે.
અમારી સરકાર સેવાની ભાવના સાથે દેશવાસીઓનું જીવન સરળ બનાવવામાં લાગેલી છે. ન જાણે કેટલી પેઢીઓ સપના સાકાર થતા જોવા માંગતી હતી, આજે ભારત એ સપનાઓને સાકાર કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે.
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મહત્ત્વનું એલાન કર્યું છે. બુલંદશહેરમાં જનસભાને સંબોધન કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, યુપી વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ એકલા પોતાના દમ ઉપર લડશે. પક્ષના કાર્યકર્તાઓએ આગામી વિધાનસભા ચૂંટણી માટે કોઈપણ પક્ષ સાથે ગઠબંધન ન કરવા માટે અપીલ કરી છે. જેને લઈને તમામ કાર્યકરોને આશ્વાસન આપે છે કે યુપીમાં કોંગ્રેસ પોતાના દમ ઉપર ચૂંટણી લડશે.
યુપીનાં રાજકારણમાં છેલ્લા ઘણા દિવસથી ચર્ચા હતી કે આગામી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસને એક ગઠબંધનની દરકાર છે. પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીની પહેલાં પ્લેનમાં અખિલેશ સાથે મુલાકાત અને બાદમાં એરપોર્ટના વીઆઇપી લોજમાં આરએલડી ચીફ જયંત ચૌધરી સાથે મુલાકાતની તસવીરો ગઠબંધન તરફ ઈશારો કરી રહી હતી. જો કે બુલંદશહેરમાં રવિવારે એક કાર્યક્રમ દરમિયાન પ્રિયંકાએ સ્પષ્ટ કર્યું છે કે, કોંગ્રેસ પોતાના દમ ઉપર ચૂંટણી લડશે. પ્રિયંકાએ કહ્યું હતું કે ઘણા લોકોએ ગઠબંધન ન કરવાની અપીલ કરી છે.’
બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે તાજેતરમાં જાહેર મંચ પર આઝાદી અંગે કરેલા વાંધાજનક નિવેદનથી વિવાદનો વંટોળ ઉઠ્યો છે. શિવસેનાએ એક્ટ્રેસને આડેહાથ લીધી હતી અને તેના તમામ રાષ્ટ્રીય એવોર્ડ પરત લઈ લેવા માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે કંગના રનૌતે 1947માં મળેલી આઝાદીને ભીખ ગણાવી હતી અને ભારતને અસલી આઝાદી 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે મળી તેવું નિવેદન કર્યું હતું. તેના આ નિવેદનને ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ પણ વખોડ્યું હતું અને કંગનાના આ નિવેદનને ગાંડપણ ગણવું કે દેશદ્રોહ તેવો સવાલ કર્યો હતો.
ગઈકાલે એનસીપી નેતા નવાબ મલિકે કંગનાના નિવેદન અંગે જણાવ્યું કે, જ્યારે કંગના રનૌતે આ નિવેદન કર્યું ત્યારે તેણે હશીશ (ડ્રગ્સ)નો હેવી ડોઝી લીધો હશે. હવે શિવસેનાએ આજે તેના મુખપત્ર સામાનામાં કંગનાના નિવેદની આકરી ટિકા કરી છે.
શિવસેનાએ જણાવ્યું કે, દેશના ક્રાંતિકારીઓએ આપેલા બલિદાનના આવા અપમાનને દેશના લોકો ક્યારેત સાખી નહીં લે. દેશના લાખો લોકોએ આઝાદી માટે પ્રાણની આહૂતિ આપી હતી. મોદી સરકારે કંગનાના તમામ રાષ્ટ્રીય એવોર્ડ્સ પરત લઈ લેવા જોઈએ તેમ સેનાએ વધુમાં જણાવ્યું હતું.
કંગનાના નિવેદનના લઈને શિવસેનાએ અગાઉના સાથી ભાજપ ઉપર પણ નિશાન તાક્યું હતું. શિવસેનાએ જણાવ્યું કે, હવે કંગનાના આવા નિવેદનથી ભાજપની ખોટી રાષ્ટ્રભક્તિનો પર્દાફાશ થયો છે. આ રીતે ક્યારેય કોઈએ દેશના ક્રાંતિકારીઓનું અપમાન નથી કર્યું. એક સમયે ક્રાંતિકારીઓને પદ્મ એવોર્ડ આપવામાં આવતા હતા જ્યારે હવે સરકારે કંગનાને પદ્મશ્રી એવોર્ડ આપ્યો છે.
શિવસેનાએ મુખપત્રમાં વધુમાં જણાવ્યું કે, કંગનાના વડવાઓ દેશની આઝાદીની પ્રક્રિયામાં ક્યાંય હાજર નહતા. આપણા દેશે લાખો ક્રાંતિકારીઓના લોહી, પરસેવા અને આંસુથી આઝાદી મેળવી છે. આ આઝાદીને ભીખ ગણવી દેશદ્રોહ ગણી શકાય. કંગનાની આવી વાત સાંભળીને સરદાર સાહેબની વિશાળ પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટી) પણ રડી રહી હશે.
તાજેતરમાં પાંચ રાજ્યમાં યોજાનારી ચૂંટણીનો વ્યૂહ બનાવવા માટે રવિવારે નવી દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાશે. કોવિડ-૧૯નો રોગચાળો ફેલાયા બાદ પહેલી વખત ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાઇ હતી.
ભાજપના મહામંત્રી અરુણસિંહે પત્રકારોને જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેેન્દ્ર મોદી, પક્ષ પ્રમુખ જે. પી. નડ્ડા અને કેન્દ્રના અનેક પ્રધાનો સહિત રાષ્ટ્રીય કારોબારી મંડળના ૧૨૪ સભ્ય આ બેઠકમાં પ્રત્યક્ષ ભાગ લેશે તથા મુખ્ય પ્રધાનો સહિતના અન્ય રાજ્યોના સભ્યો કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું પાલન કરીને બેઠકમાં વર્ચ્યુઅલી ભાગ લેશે.
બેઠકમાં રાષ્ટ્રીય પ્રમુખ મુદ્દાઓ અને નિયમ પ્રમાણે એજેન્ડાની બાબતો સિવાય આવતા વર્ષે પાંચ રાજ્યમાં યોજાનારી ચૂંટણીના મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું. બેઠકને મોદી સંબોધશે અને એક રાજકીય ઠરાવ પસાર કરાવાની શક્યતા છે, જે વિવિધ મુદ્દે પક્ષના મતને ઓપ આપશે. નડ્ડા પ્રારંભિક સંબોધન કરશે.
મોદી સરકારની ‘આત્મનિર્ભર ભારત’ યોજના, ગરીબોને મદદરૂપ થાય એવી, અનાજ મફતમાં આપવા જેવી યોજનાઓ અને કોવિડ માટેનો રસીકરણ કાર્યક્રમ જેવી યોજનાઓનું પ્રદર્શન કારોબારી બેઠકના સ્થળે યોજવામાં આવશે.
રોગચાળા દરમિયાન લોકોને મદદ કરવા એમણે કરેલા પ્રયત્નોને દર્શાવવાનો પક્ષ પ્રયત્ન કરશે.
ગયા મહિને રાષ્ટ્રવ્યાપી દરોડા પાડયા બાદ આવકવેરા વિભાગે મંગળવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના સગાંઓની અંદાજે ૧૪૦૦ કરોડની કિંમતની મુંબઇ, નવી દિલ્હી, પુણે, ગોવા અને રાજ્યભરમાં આવેલી મિલકતો તથા બે ડઝનથી વધુ જમીનના પ્લોટ પર ટાંચ મારવાના ઔપચારિક આદેશ બહાર પાડયા હતા.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગના બેનામી સંપત્તિ માટેના ખાતા તરફથી બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેકશન ઍક્ટ, ૧૯૮૮ હેઠળ એનસીપીના નેતા અજિત પવાર, એના પુત્ર પાર્થ પવાર અને કુટુંબીઓની સંપત્તિ પર ટાંચ મારવાના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અજિત પવારના કુટુંબીઓને સંપત્તિ કાયદેસર પોતાની હોવાની અને કાળાં નાણાંથી ખરીદી ન હોવાની વાત પુરવાર કરવા માટે ૯૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે.
તપાસના સમયગાળામાં તેઓ પોતાની કોઇપણ સંપત્તિને વેચી નહીં શકે. ટાંચ મરાયેલી સંપત્તિઓમાં રૂ. ૬૦૦ કરોડની સાતારાની જારેડેશ્ર્વર સુગર ફૅક્ટરી, રૂ. ૨૫૦ કરોડના ગોવામાં આવેલા નિલયા નામના રિસોર્ટ, પાર્થ પવારની દક્ષિણ મુંબઇમાં રૂ. ૨૫ કરોડની ઑફિસ, દક્ષિણ દિલ્હીમાં આવેલો રૂ. ૨૦ કરોડનો ફ્લેટ અને રાજ્યભરમાં અનેક સ્થળે આવેલી કુલ રૂ. ૫૦૦ કરોડની જમીનના ટુકડાઓનો સમાવેશ થાય છે.
અત્રે નોંધપાત્ર બાબત એ છે કે રૂ. ૭૫૦ કરોડની લૉનના કૌભાંડના કેસમાં અજિત પવારના કુટુંબના સભ્યો દ્વારા સંચાલિત સાતારામાં આવેલી જારેડેશ્ર્વર સહકારી સુગર ફૅક્ટરીની ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) તપાસ કરી રહી છે.
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા દરેક ચોરની અટક કેમ મોદી હોય છે ? જેવા વિવાદિત નિવેદન બાદ સુરતના પશ્ચિમ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સુરતની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અને આ કેસની ઓક્ટોબર 2019ના કરવામાં આવેલી સુનાવણી દરમિયાન પણ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. અને બાદમાં 24મી જૂન 2021ના પણ સુરતની કોર્ટમાં હાજર રહ્યા હતા. આજે સુરતની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં રાહુલ ગાંધી હાજર રહ્યા હતા. અને તેઓને પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપવામાં આવ્યા હતા. જેમાં મોટા ભાગના સવાલોના જવાબમાં તેઓએ મને ખબર નથી હોવાનું જણાવ્યું હતું.
રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, તમામ કૌભાંડીઓ અને ચોરની અટક મોદી હોય છે. એવું નિવેદન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું. જેના કારણે અમારા સમાજના 13 કરોડ લોકોનું અપમાન થયું છે. જેના પગલે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ સુરતની કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે.
સુરત શહેર કોંગ્રેસ કમિટી દ્વારા એરપોર્ટથી કોર્ટ સુધીના મુખ્ય માર્ગ ઉપર બે મુખ્ય સ્થળોએ રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એસ.વી.એન.આઈ.ટી સર્કલ અને પૂજા અભિષેક બિલ્ડીંગ પાસે કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત રસ્તા પર ઊભા રહીને સ્વાગત કરાયું હતું.
રાહુલ ગાંધીએ જાહેર સભામાં તમામ મોદી ચોર હોવાની ટીપ્પણી કરી હતી. જેમાં તેઓએ નીરવ મોદી, લલિત મોદી, સહિતના નામો લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કૌભાંડી અને ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા.ત્યારબાદ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના નિવેદનથી સમગ્ર મોદી સમાજની લાગણી દુભાય છે.
ભાજપ જીતે કે હારે, એ આવનાર દાયકાઓ સુધી ભારતના રાજકારણના કેન્દ્રમાં રહેશે અને એ કયાંય નથી જવાનો તેવું ચૂંટણી માટેના વ્યૂહકાર પ્રશાંત કિશોરે ગુરુવારે કહ્યું હતું. ભાજપને ટૂંક સમયમાં જ લોકો ફેંકી દેશે, તેવું વિચારવા બદલ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ગોવાની વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીને મદદ કરવા માટે ગોવા આવેલા કિશોરે મજાક ઉડાડતા જણાવ્યું હતું કે એકવાર તમે દેશભરમાં ૩૦ ટકાથી વધુ મત મેળવો એટલે તમે ટકી રહો. આ કારણસર, લોકો ગુસ્સે થયા છે અને તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફેંકી દેશે, તેવું વિચારવું ન જોઇએ.
કદાચ તેઓ મોદીને ફેંકી દે, પણ આવનાર દાયકાઓ સુધી તમારે ભાજપ સાથે લડવું પડશે. એ ક્યાંય નથી જવાનો. રાહુલ ગાંધી વિશે એમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની એ જ સમસ્યા છે, એ એમ માને છે કે લોકો ટૂંક સમયમાં મોદીને ફેંકી દેશે, પણ એવું થવાનું નથી. ગોવામાં એક ખાનગી બેઠક વખતે કિશોરે કહેલી આ વાતોનો વીડિયો વાઇરલ થયો છે.
આ વીડિયોની પ્રતિક્રિયા આપતા ગોવા પ્રદેશ કૉંગ્રેસ કમિટીના પ્રમુખ ગિરીશ ચોદણકરે એવો આક્ષેપ કર્યો હતો કે ટીએમસી પર ગોવાની ચૂંટણીમાં ઝંપલાવીને બિનસાંપ્રદાયિક મતોની વહેંચણી કરીને આડકતરી રીતે ભાજપને મદદ કરી રહ્યો છે અને કિશોરનું નિવેદન મમતા બેનરજીના પક્ષનો ઍજેન્ડા જાહેર કરતું હોવાનો આક્ષેપ કર્યો હતો.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.