રેલવે પ્રધાન પીયૂષ ગોયલે દેશભરના અંદાજે ૧.૭ લાખ કૉમન સર્વિસ સેન્ટર (સીએસસી) ખાતેથી શુક્રવારથી ટ્રેનની ટિકિટોનું બુકિંગ શરૂ કરવાની અને આગામી બે-ત્રણ દિવસમાં સ્ટેશનોના ટિકિટ કાઉન્ટર પરથી બુકિંગ શરૂ કરવાની ગુરુવારે જાહેરાત કરી હતી.

દેશના ગ્રામીણ તથા અંતરિયાળ વિસ્તાર જ્યાં કમ્પ્યુટર તેમ જ ઈન્ટરનેટની ઉપલબ્ધતા નજીવી કે બિલકુલ નથી ત્યાં ઈ-સેવા પૂરી પાડવામાં સીએસસી મહત્વની ભૂમિકા ભજવે છે. બે-ત્રણ દિવસમાં ચોક્કસ સ્ટેશનોના કાઉન્ટર પરથી પણ રેલવે ટિકિટનું બુકિંગ શરૂ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. ક્યા સ્ટેશનો પરથી આ સેવા શરૂ કરવામાં આવશે તે અંગે ચર્ચાવિચારણા કરવામાં આવી રહી હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે જલદી જ વધુ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવશે.
દેશમાં જનજીવન સામાન્ય બને તે માટેના પ્રયાસ કરવાનો સમય આવી ગયો છે, એમ તેમણે કહ્યું હતું.
શ્રમિક ટ્રેન ચલાવવાને મામલે આપેલા સહકાર બદલ તેમણે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તેમ જ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની પ્રશંસા કરી હતી અને સહકાર ન આપવા બદલ પ. બંગાળના અને ઝારખંડની આકરી ટીકા કરી હતી. પહેલી જૂનથી શરૂ કરવામાં આવનારી ૨૦૦ પ્રવાસી ટ્રેન માટે પ્રથમ બે કલાકમાં દોઢ લાખ લોકોએ અને માત્ર અઢી જ કલાકમાં ચાર લાખ લોકોએ ટિકિટ બુક કરાવી લીધી હોવાનું તેમણે કહ્યું હતું.
આ ટ્રેનોમાં એસી, નૉન-એસી તેમ જ સંપૂર્ણ રિઝર્વ કોચ હશે, એમ તેમણે કહ્યું હતું.
કામ પર પાછા ફરવા લોકોએ પાછાં આવવાની ટિકિટ કઢાવવાનું પણ શરૂ કરી દીધું છે, એમ તેમણે કહ્યું હતું. ૮-૯ મે સુધીમાં પ. બંગાળમાં અત્યાર સુધીમાં અમે માત્ર ૨૭ ટ્રેન જ દોડાવી શક્યા છીએ અને તેમાંથી માત્ર બે ટ્રેન જ ત્યાં પહોંચી શકી છે, એમ તેમણે કહ્યું હતું. ૨૦મી મેએ ૨૭૯ શ્રમિક ટ્રેન દોડાવવામાં આવી હતી જેમાં સ્થળાંતર કરનારા શ્રમિકો, વિદ્યાર્થીઓ તેમ જ ઘરમાં ફસાયેલા પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હોવાનું તેમણે કહ્યું હતું.















