CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 67 of 139 - CIA Live

July 25, 2020
corona-gujarat.jpg
1min4350

ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોનાથી સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યા એક હજારથી વધુ જળવાઇ રહી છે. ચોવીસ કલાકમાં વધુ ૧૦૬૮ દર્દીઓ ચેપગ્રસ્ત હોવાનું સરકારે જાહેર કર્યું છે અને સારવાર હેઠળના ૨૮ દર્દીઓના મૃત્યુ થયા છે એમાં સૌથી વધારે ૧૨ સુરત શહેર અને જિલ્લાના દર્દીઓનો સમાવેશ થાય છે. સુરતમાં સતત વધતાં મૃત્યુ સાથે ફરીથી સંક્રમિત દર્દીઓનો આંક ૩૦૦ને પાર થઇ ૩૦૯ થયો છે એમાં જિલ્લામાંથી વિક્રમી ૯૩ દર્દીઓનો સમાવેશ થાય છે. આ સમયગાળામાં કુલ ૨૨૭ દર્દીઓ ડિસ્ચાર્જ પણ થયા છે.

અમદાવાદ મહાનગરમાં નવા ૧૬૧ દર્દીઓનો ઉમેરો થયો છે તો ૩ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જ્યારે ૧૯૧ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જિલ્લાના દસક્રોઇ, ધંધૂકા, ધોળકા, બાવળા, વિરમગામ અને સાણંદમાંથી નવા પંદર કેસ મળ્યા છે. જિલ્લાના સારવાર હેઠળના ૧૪ દર્દી ડિસ્ચાર્જ થયા છે.

વડોદરા હવે ધીમે ધીમે દૈનિક એકસો દર્દી તરફ ગતિ કરી રહ્યું હોય તેમ મહાનગરમાંથી વધુ ૭૦ મળી કુલ ૯૨ દર્દીઓ સંક્રમિત થયાનું જાહેર કરાયું છે અલબત્ત, સારવાર હેઠળના મહાનગરના ૩ દર્દીઓના મૃત્યુ પણ સરકારે જાહેર કર્યા છે. આ જ રીતે રાજકોટ મહાનગરમાંથી નવા ૪૬ કેસ નોંધાયા છે અને જિલ્લામાંથી ૧૩ કેસ તેમજ એક દર્દીના મૃત્યુ નોંધાયું છે. ભાવનગર મહાનગરામાંથી ૨૧ મળી કુલ ૩૯ કેસ નોંધાયા છે તો જૂનાગઢમાં મહાનગરમાંથી ૧૭ સાથે કુલ ૨૮ કેસ ઉમેરાયા છે. જામનગરમાં મહાનગરના ૭ મળી કુલ ૧૨ કેસ નોંધાયા છે જ્યારે મહાનગરમાંથી એક દર્દીના મૃત્યુની જાહેરાત કરાઇ છે.

રાજ્યમાં કચ્છમાં ૩, મહેસાણા અને તાપી જિલ્લામાં એક એક દર્દીના મૃત્યુ કોવિડના સંક્રમણથી થયાનું હેલ્થ બુલેટિનમાં જાહેર કરાયું છે.

આ ઉપરાંત ભરૂચ જિલ્લામાંથી નવા ૩૦ દર્દીઓ સંક્રમિત સ્થિતિમાં શોધાયા છે તો અમરેલીમાંથી વધુ ૨૬, સુરેન્દ્રનગરમાં મુળી, ધ્રાંગધ્રા, પાટડી, સાયલા, વઢવાણમાંથી નવા ૨૫ કેસ નોંધાયા છે. સરહદી જિલ્લા કચ્છમાંથી વધુ ૨૨, પાટણ જિલ્લામાંથી ૨૦, ગીર સોમનાથ તથા નવસારીમાંથી ૧૯-૧૯ કેસ, દાહોદ અને વલસાડમાંથી ૧૮-૧૮ કેસ, આણંદ તથા તાપીમાં ૧૦-૧૦, નર્મદા અને સાબરકાંઠામાંથી ૯-૯ કેસ, બોટાદ, ખેડા, પંચમહાલમાંથી ૮-૮ કેસ, અરવલ્લીમાંથી ૭, મોરબીમાંથી ૬, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, મહીસાગર તેમજ પોરબંદરમાંથી વધુ ૨-૨ કેસ ઉમેરાયા છે.

આમ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫૩,૬૩૧ કેસ નોંધાયા છે પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૮૭૨ દર્દીઓ ડિસ્ચાર્જ થતાં કુલ ૩૮૮૩૦ દર્દી રિવકર્ડ થયાં છે આમ, કુલ રિવકરી રેટ ૭૨.૪૦ ટકા સુધી પહોંચ્યો છે. જોકે, રાજ્યમાં ૨૨૮૩ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ ૧૨૫૧૮ છે જ્યારે ૮૩ વેન્ટીલેટર ઉપર છે અને એમાંથી ૧૨૪૩૫ સ્ટેબલ છે.

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંક ઝડપથી વધી રહ્યો છે એની પાછળ રોજેરોજ થતાં ટેસ્ટની સંખ્યા તબક્કાવાર રીતે વધારીને સરેરાશ દૈનિક ૧૪થી ૧૫ હજાર કરવામાં આવી છે. ચોવીસ કલાકમાં ૧૪૫૯૫ ટેસ્ટ કરાયા છે એ સાથે કુલ આંક છ લાખને પાર થઇ ૬,૦૬,૭૧૮ થયો છે. આમ, પ્રતિ મિલિયન ૨૨૪.૫૩ ટેસ્ટ દૈનિક થઇ રહ્યા છે, તેમ દાવો કરાયો છે. સરકારે આજે સૌથી વધારે સંક્રમિત દસ રાજ્યોના એક દિવસમાં નોંધાયેલા નવા કેસ, એક્ટિવ કેસ અને કુલ કેસના આંકડા જાહેર કરી દાવો કર્યો છે કે આ ત્રણેય ફેક્ટરમાં ગુજરાત સૌથી નીચે છે. પ્રથમ ક્રમે મહારાષ્ટ્રમાં શુક્રવારે ૯૮૯૫ કેસ નોંધાયા છે જ્યારે એક્ટિવ કેસ ૧,૪૦,૩૯૫ છે જ્યારે કુલ કેસ ૩,૪૭,૫૦૨ છે. આ પછી આંધ્રપ્રદેશ, તામીલનાડુ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, તેલંગણા, ઓરિસ્સા છે. આ ક્રમ એક જ દિવસમાં આવેલા કેસને ધ્યાને લઇ જાહેર કરાયો છે. આ પરિપ્રેક્ષ્યમાં ગુજરાત દસમા ક્રમે રહે છે.

July 24, 2020
1min5990

વિશ્વમાં હાલ અનેક દેશો કોરોનાની દવાઓ તેમજ વેક્સીન બનાવવાની તૈયારીમાં વ્યસ્ત છે. આ રેસમાં સૌથી ફ્રન્ટ રનર અને વિશ્વનસનીય વેક્સીન અત્યાર સુધીમાં યુ.કે.ના ઓક્સફર્ડના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સીન માનવામાં આવે છે. ભારતમાં ઓક્સફોર્ડે આ વેક્સીન ઉત્પાદન માટે એસઆઈઆઈની પસંદગી કરી છે જે વેક્સીનને લઈને અંતિમ મંજૂરી મળતા પહેલા તેનું ફિલ્ડ ટ્રાયલ કરશે.

ઓક્સફોર્ડની કોરોના વેક્સીન વૈશ્વિક ધોરણે બે વખત હ્યુમન ટ્રાયલ થઇ ચૂકી છે અને હવે ભારતમાં ટ્રાયલ શરૂ થવાની છે. આગામી ઓગસ્ટના અંતમાં કોરોનાથી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત મહારાષ્ટ્રના મુંબઈ અને પુણેમાં આ વેક્સીનનું હ્યુમન ટેસ્ટિંગ કરવામાં આવશે. જે માટે આ બંને શહેરોના હોટસ્પોટમાંથી 4,000થી 5,000 વોલેન્ટિયર્સની પસંદગી કરવામાં આવશે.

આ માટે મુંબઈ અને પુણેના હોટસ્પોટમાંથી અંદાજીત 5,000 લોકોની પસંદગી કરવામાં આવી રહી છે. વેક્સીનના સ્થાનિક ઉત્પાદક SSIએ આશા વ્યક્ત કરી છે કે જો બધુ બરાબર રહેશે તો આગામી વર્ષે જૂન સુધી વેક્સીન લોન્ચ કરી દેવામાં આવશે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ તૈયાર કરેલી કોરોના વેક્સીનને વૈશ્વિક રીતે એટલા માટે વિશ્વાસપાત્ર માનવામાં આવે છે કેમકે અત્યાર સુધીના હ્યુમન ટ્રાયલ તેમજ વેક્સીનના ટેસ્ટના પરિણામો સંતોષજનક મળી રહ્યા છે અને હવે યુકેમાં તેને મોટા પાયે શરૂ કરી દેવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના મુંબઇ અને પૂણે એ બે શહેરોની જ ટ્રાયલ માટે પસંદગી એટલા માટે કરવામાં આવી છે કે ભારતના એ બે શહેરો મુખ્ય શહેરો છે અને એટલું જ નહીં કોરોનાના મોટા એક્ટીવ હોટસ્પોટ છે. સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં અડધાથી વધારે આ બંને શહેરોમાં છે.

એસઆઈઆઈના સીઈઓ અદાર પુનાવાલાએ કહ્યું છે કે, મુંબઈ અને પુણેમાં વેક્સીન ટ્રાયલ માટે અમે ઘણી જગ્યાઓ શોર્ટલિસ્ટ કરી છે. આ શહેરોમાં કોરોનાના સૌથી વધારે હોટસ્પોટ છે. જેનાથી અમને વેક્સીનની અસરનું આકલન કરવામાં મદદ મળશે.

એસઆઈઆઈના સીઈઓ અદાર પુનાવાલાએ કહ્યું છે કે મંજૂરી મળ્યા બાદ ભારતમાં વેક્સીનના ફેઝ-3 ટ્રાયલ ઓગસ્ટમાં શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું છે કે કંપની ટ્રાયલ શરૂ કરવા માટે બે દિવસની અંદર દવા મહાનિયંત્રક પાસે લાઈસન્સ માટે અરજી કરશે. ત્યાંથી એકથી બે સપ્તાહમાં અમને મંજૂરી મળી જશે તેવી આશા છે. ત્યારપછી વોલેન્ટિયર્સને હોસ્પિટલ લાવવામાં ત્રણ સપ્તાહ લાગશે. આમ એકથી દોઢ મહિનામાં ટ્રાયલ શરૂ થવાની આશા છે.

અદાર પુનાવાલાના પિતા અને કંપનીના ચેરમેન સાઈરસ પુનાવાલાએ કહ્યું છે કે એસઆઈઆઈ ભારતમાં 1,000 પ્રતિ વેક્સીન કે તેનાથી ઓછા રૂપિયામાં વેચવાનો લક્ષ્યાંક છે. જો શરૂઆતની ટ્રાયલ સફળ રહેશે તો કંપની વર્ષના અંત સુધી 30થી 40 કરોડ ડોઝ તૈયાર કરી લેશે. તેમણે જણાવ્યું હતું કે એસ્ટ્રાજેનેકા સાથે જે કરાર થયો છે તે મુજબ એસઆઈઆઈ ભારત અને 70 બીજા મિડલ ઈનકમ ધરાવતા દેશો માટે 1 અબજ વેક્સીન ડોઝ બનાવી શકે છે.

સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે. કંપની પ્રત્યેક વર્ષે 1.5 અબજ વેક્સીન ડોઝ તૈયાર કરે છે જેમાં પોલિયોથી લઈને મીજલ્સ સુધીની વેક્સીન સામેલ છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ આ ભારતીય કંપનીને કોવિડ-19 વેક્સીન બનાવવા માટે પસંદ કરી છે. પુણેની આ કંપનીએ પહેલા કહ્યું હતું કે તે અંતિમ આદેશ મળ્યા પહેલા જ વેક્સીન બનાવવાનું શરૂ કરી દેશે જેથી જ્યાં સુધી તમામ મંજૂરીઓ મળી જાય ત્યાં સુધી સારા એવા પ્રમાણમાં વેક્સીન તૈયાર થઈ શકે.

July 24, 2020
corona-gujarat.jpg
1min5250

કોરોના વાયરસનું સંક્રમણ હવે દિનપ્રતિ દિન નવા વિક્રમો સાથે રાજ્ય આખાને ભરડામાં લેવા માટે મથી રહ્યું હોય તેમ દૈનિક ૧૧૦૦ની નવી સપાટી સર્જવા આગળ વધી રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૧૦૭૮ કેસ નોંધાયા છે, આની સાથે વધુ ૨૮ દર્દીઓના કોવિડ-૧૯ના લીધે મૃત્યુ થયું હોવાનું જાહેર કરાયું છે. સુરતમાં કોરોના વાયરસના ચેપને નાથવા માટે અમદાવાદ મોડેલ અપનાવાયું હોવાથી હવે ધીમે ધીમે નવા કેસનો આંક નિયંત્રણમાં આવી રહ્યો છે આને લીધે ૨૨ દિવસ બાદ અમદાવાદ ફરીથી ટોપ થઇ ગયું છે.

ચોવીસ કલાકમાં સુરત મહાનગરમાંથી નવા ૧૮૧ કેસ મળ્યા છે જ્યારે ૧૦ દર્દીના મૃત્યુ થયા હોવાનું સરકારે જાહેર કર્યું છે તો જિલ્લામાંથી નવા ૭૫ કેસ નોંધાયા છે અને ચાર દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. બીજી તરફ અમદાવાદમાં હવે સંક્રમણનો વ્યાપ વધ્યો હોય તેમ મહાનગરમાંથી નવા ૧૮૭ કેસ મળ્યા છે એની સાથોસાથ જિલ્લામાંથી એક સાથે ૨૩ નવા કેસ ઉમેરાયા છે. આ સમયગાળામાં મહાનગરમાં ચાર અને જિલ્લાના એક મળી કુલ પાંચ દર્દીઓના કોવિડથી મૃત્યુ થયાનું સરકારે જાહેર કર્યું છે.

અમદાવાદ અને સુરત પછી વડોદરા મહાનગરમાંથી ધીમે ધીમે નવા કેસ વધીને હવે ૭૧ સુધી પહોંચ્યા છે જ્યારે જિલ્લામાંથી નવા ૧૧ કેસ ઉમેરાયા છે. વડોદરા શહેરના ૨ દર્દીના મૃત્યુ કોરોનાથી થયાનું જાહેર કરાયું છે. ગાંધીનગર મહાનગરમાંથી નવા નવ કેસ અને જિલ્લામાંથી વધુ ૨૨ કેસ ઉમેરાયા છે.

સૌરાષ્ટ્રના ચાર મહાનગરોમાં રાજકોટમાંથી નવા ૪૪ કેસ મળ્યા છે તો જિલ્લાના વિવિધ તાલુકામાંથી ૧૫ કેસ નોંધાયા છે. જામનગર શહેરમાં સ્થિતિ હવે વધારે ગંભીર થઇ રહી છે અહીં ચોવીસ કલાકમાં નવા ૨૫ કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્યમાંથી ૯ કેસ ઉમેરાયા છે. ભાવનગર મહાનગરમાંથી નવા ૨૩ કેસ અને એક દર્દીનું મૃત્યુ થયું છે અને જિલ્લામાંથી નવા ૧૬ કેસ ઉમેરાયા છે. જૂનાગઢમાં આ જ રીતે કેસ વધીને આજે નવા ૨૩ તેમજ જિલ્લના ૨૦ મળી કુલ ૪૩ કેસ નોંધાયા છે.

છોટાઉદેપુર, પંચમહાલથી છેક વલસાડ, તાપી સુધીના આદિવાસી પટ્ટામાંથી એક જ દિવસમાં સવાસોથી વધારે પોઝિટિવ કેસ મળી આવ્યા છે. નર્મદા જિલ્લામાં રાજપીપળામાંથી ૨૧ કેસ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૯ કેસ મળી એક સાથે ૪૦ કેસથી હાહાકાર મચી ગયો છે. આ જિલ્લામાં કેવડીયા કોલોની, ગળતેશ્વર આદિવાસી, ગ્રામીણ વિસ્તારોમાં કેસ નોંધાયા છે. દાહોદ શહેર અને આસપાસના ગામોમાંથી નવા ૩૧ દર્દી નોંધાયા છે.

July 23, 2020
real_cia-1280x1022.jpg
1min5260

ગુજરાતમાં ચોમાસાની મોસમનો કુલ સરેરાશ ૩૦૦.૭૮ મીમી વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જે છેલ્લાં ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૩૧ મિમીની સરખામણીએ ૩૬.૨% છે. જોકે વરસાદનું જોર નબળું પડ્યું હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે. બુધવારે સવારે પૂરા થતા છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં માત્ર ૩૩ તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના સરહદી તાલુકા વાવમાં નોંધાયો હતો. અહીં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે રાજ્યના અન્ય તાલુકામાં સુરત શહેરમાં ૧૮ મિમી, વડોદરાના પાદરામાં ૧૭ અને કચ્છના નખત્રાણામાં ૧૪ મિમી વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજીત ૬૪.૨૮ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે.

આઇએમડી દ્વારા પી.પી.ટી રજૂ કરી આગામી સમયમાં તા.૨૧ થી ૨૩ જુલાઈ દરમ્યાન ગુજરાતમાં વરસાદ થવાની શકયતા નહિવત છે તેમ જણાવ્યું છે. તા.૨૪મી જુલાઈ-૨૦૨૦ના દિવસે સામાન્ય વરસાદ થઇ શકે છે. કોઇ ભારે વરસાદ થવાની શકયતા જણાતી નથી. તા.૨૫મી જુલાઈ-૨૦૨૦ના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલી વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શકયતા છે. તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શકયતા છે.

કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાલુ વર્ષે તા. ૨૦મી જુલાઈ-૨૦૨૦ સુધીમાં અંદાજીત ૬૪.૨૮ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૫૩.૧૩ લાખ હેક્ટર વાવેતર થયું હતું.

આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૭૫.૭૨% વાવેતર થયું છે. જ્યારે રાજયનાં ૨૦૫ જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ ૨૭૦૬૨૮ એમ.સી.એફ.ટી છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૮.૬૦% છે. હાલમાં વરસાદ ન હોઇ જળાશયોમાં કોઇ નોંધનીય આવક નોંધાયેલ નથી અને હાલમાં કોઇ જળાશય એલર્ટ ૫ર નથી.

July 23, 2020
serum_punawala.jpg
1min5110

જથ્થાની દૃષ્ટિએ વિશ્ર્વમાં સૌથી વધુ રસીનું ઉત્પાદન કરતી કંપની સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ને આશા છે કે તે આ વર્ષના ઑક્ટોબર-નવેમ્બર સુધીમાં કોરોનાની રસી વિકસાવી લેશે, એમ કંપનીના સીઈઓ પુનાવાલાએ બુધવારે કહ્યું હતું.

યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ દ્વારા વિકસાવવામાં આવેલી પ્રાયોગિક કોવિડ-૧૯ રસી કૅન્ડિડેટનું ઉત્પાદન કરવા સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાએ બાયોફાર્માસ્યૂટિકલ કંપની ઍસ્ટ્રાઝેનેકા સાથે ભાગીદારી કરી છે.

કંપનીએ સ્વતંત્ર રીતે વિકસાવેલી ન્યુમોકોક્કલ રસીનાં ઉત્પાદન માટે ડીસીજીઆઈએ મંજૂરી આપી દીધી છે.

વીડિયો કૉન્ફરન્સ મારફતે ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક સાથે કરેલી વાતચીતમાં પુનાવાલાએ કહ્યું હતું કે આ વર્ષના ઑક્ટોબર-નવેમ્બર સુધીમાં કોરોનાની રસી વિકસાવી લેવાની અમને આશા છે.

ટ્રાયલનો હવે પછીનો તબક્કો ઑગસ્ટના મધ્યમ શરૂ થાય એવી શક્યતા હોવાનું તેમણે કહ્યું હતું.

ટ્રાયલને પ્રથમ તબક્કામાં ઑક્સફર્ડ યુનિવર્સિટીની રસીએ આશાસ્પદ પરિણામો આપ્યાં હોવાનું તેમણે કહ્યું હતું.

એક વખત રસી તૈયાર થઈ જાય અને તેનેે મંજૂરી મળી જાય ત્યાર બાદ રાજ્ય સરકાર અને એસઆઈઆઈએ જોડાણ આગળ વધારવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

કોરોનાની રસી વિકસાવવા માટે એસઆઈઆઈએ ઑકસફર્ડ યુનિવર્સટી સાથે કરેલી ભાગીદારી અંગે પટનાયકે આનંદ વ્યક્ત કર્યો હતો અને તાજેતરમાં જ કોરોનાની રસી અંગે પ્રગટ થયેલા આશાસ્પદ પરિણામો અંગે તેમણે પુનાવાલાને અભિનંદન આપ્યાં હતાં.

દરમિયાન, ભારત દ્વારા સ્વતંત્ર રીતે વિકસાવવામાં આવેલી કોરોનાની રસીના માનવ પર ક્લિનિકલ ટ્રાયલ માટેની સ્ક્રિનિંગ પ્રક્રિયા ભુવનેશ્ર્વરસ્થિત ઈન્સ્ટિટ્યૂટ ખાતે આરંભી દેવામાં આવી છે.

આઈસીએમઆર દ્વારા પસંદ કરવામાં આવેલા ૧૨ કેન્દ્રમાંથી એક કેન્દ્ર ખાતે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

July 23, 2020
corona-gujarat.jpg
1min4140

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ મહાનગરોની સાથોસાથ હવે ગ્રામ્ય વિસ્તારોમાં અમર્યાદિત રીતે પ્રસરી રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૦૨૦ નવા પોઝિટિવ કેસ મળ્યા છે જ્યારે સારવાર હેઠળના ૨૮ દર્દીઓના કોવિડ-૧૯ સંક્રમણથી મૃત્યુ થયા હોવાનું સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યું છે. આ કેસોમાં સૌથી વધારે આઠ મહનગરોના ૫૫૦ કેસ અને ૧૭ મૃત્યુ છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ૪૬૮ કેસ અને ૧૧ દર્દીના મૃત્યુ નોંધાયા છે.

કોરોનાથી સૌથી વધારે ચેપગ્રસ્ત થયેલા સુરત મહાનગરમાંથી નવા ૨૦૧ દર્દીઓ નોંધાયા છે. જ્યારે જિલ્લાઓના નગરો, ગામોમાંથી નવા ૫૫ દર્દી ઉમેરાયા છે. જોકે, છેલ્લા વીસ દિવસથી ગંભીર સ્થિતિનો સામનો કરતાં સુરત શહેરના જ વધુ ૧૨ દર્દી તેમજ જિલ્લાના ૭ મળી ૧૯ દર્દીઓના સંક્રમણના કારણે મૃત્યુ થયા છે. આ પછી અમદાવાદ મહાનગરમાં નવા ૧૮૧ કેસ મળ્યા છે જ્યારે જિલ્લામાંથી નવા ૧૫ કેસ ઉમેરાયા છે. મહાનગરના વધુ ૩ દર્દીના કોવિડથી મૃત્યુ થયાનું જાહેર કરાયું છે.

અમદાવાદની જેમ હવે વડોદરામાં સૌથી સંક્રમિત નાગરવાડામાંથી નવા કેસ ઉમેરાતા ઘટીને નહીવત થયા છે પરંતુ નવા વિસ્તારોમાંથી રોજેરોજ નવા કેસ મળી રહ્યા છે. મહાનગરમાંથી ૬૨ કેસ મળ્યા છે તો જિલ્લાના ૧૮ કેસ નવા આવ્યા છે. મહાનગરમાં એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયાનું જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રના ચાર મહાનગરોમાં જોઇએ તો રાજકોટમાંથી નવા ૪૮ કેસ નોંધાયા છે જ્યારે જિલ્લામાંથી ૧૨ કેસ આવ્યા છે. ભાવનગરમાં ૨૨ મળી કુલ ૩૮ કેસ નોંધાયા છે. જૂનાગઢ શહેરમાંથી ૨૦ નવા કેસ અને જિલ્લામાંથી ૧૦ કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં એક એક દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે. જામનગર શહેરમાંથી ૧૨ મળી કુલ પંદર કેસ નવા ઉમેરાયા છે.

અમદાવાદમાં કોટ વિસ્તારમાંથી કેસની સંખ્યા નહીવત થઇ ગઇ છે એ જ રીતે પૂર્વમાંથી ધીમે ધીમે કેસ ઘટી રહ્યા છે પરંતુ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં રોજેરોજ કેસની સંખ્યા વધી રહી છે આને કારણે શહેરમાં છેલ્લા દસ દિવસ કરતાં વધુ સમયથી માઇક્રો કન્ટેન્ટમેન્ટ એરિયાની સંખ્યા બસ્સોની ઉપર જળવાઇ રહી છે. હવે મહાનગરમાં પોશ ગણાતા બોપલ, ઘુમા, આંબલીનો સમાવેશ થયો હોવાથી એના કેસ ગણાય છે. જ્યારે જિલ્લાના ધોળકા, બાવળા, સાણંદ, દસક્રોઇ, વિરમગામ જેવા તાલુકાના ગામડાઓમાંથી નવા પંદર કેસ ઉમેરાયા છે.

ભરૂચમાં અંકલેશ્વર, વાગરા, જંબુસર સહિતના તાલુકાઓમાંથી રોજેરોજ કેસ આવી રહ્યા છે નવા ૨૭ કેસ ઉમેરાયા છે. તો દાહોદ શહેર અને લીમખેડા સૌથી વધારે સંક્રમિત બન્યા છે. આને લીધે નવા ૨૭ કેસ નોંધાયા છે. મહેસાણામાં વિસનગર, ઊંઝા, બેચરાજી, કડી અને મહેસાણા નગરમાંથી નવા ૨૪ કેસ ઉમેરાયા છે. ગીર સોમનાથ, કચ્છમાંથી ૨૧-૨૧ કેસ નોંધાયા છે.

July 22, 2020
kankrapar.jpg
2min9190

22/7/20 સવારે 9.36 કલાકે : કાંકરાપારમાં રચાયો ઇતિહાસ : KAPP-3 રિએક્ટર કાર્યાન્વિત

Jayesh Brahmbhatt 98253 44944

કોવીડ-19 પેન્ડેમિકના સમયગાળામાં એટોમિક પાવર ક્ષેત્રમાં ભારતે બહુ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધીને કારણે સુરતનું નામ હાલ વિશ્વભરમાં ચર્ચાઇ રહ્યું છે. આ સિદ્ધી છે સુરત જિલ્લામાં આવેલા કાંકરાપાર એટોમિક પાવર સ્ટેશન ખાતે KAPP-3 રિએક્ટર તૈયાર કરવાની અને તા.22મી જુલાઇ એટલે કે આજે પ્રથમ વખત તેનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું.

કાંકરાપાર એટોમિક પાવર સ્ટેશન સાઇટની ફાઇલ તસ્વીર

ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી દ્વારા સુરતના કાંકરાપાર ખાતે કાર્યાન્વિત કરવામાં આવેલા આ સંપૂર્ણપણે સ્વદેશી ટેકનિકથી તૈયાર કરાયેલા હેવીડ્યુટી રીએક્ટર અંગેની જાણકારી ટ્વીટ કરીને આપવામાં આવી છે.

કાંકરાપાર એટોમિક પાવર સ્ટેશન સાઇટ ખાતે જ તૈયાર કરવામાં આવેલા KAPP-3 રિએક્ટરની ડિઝાઇન ભારતીય વૈજ્ઞાનિકો અને એન્જિનયરોએ જ તૈયાર કરી આપી છે. નિર્માણ કાર્યમાં પણ સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સૌથી મોટી ઉપલબ્ધી એ છે કે આ સ્વચાલિત એવો પ્રોજેક્ટ છે જેની કેપેસિટી 700 મેગોવૉટની છે.

ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, ભારત સરકારે આપી માહિતી

કયા દેશ પાસે કેટલાક ન્યુક્લિયર રિએક્ટર્સ

પી.એમ. મોદીએ ટ્વીટ કરીને અભિનંદન આપ્યા

Read Also

July 22, 2020
corona-gujarat.jpg
1min4630

ગુજરાતમાં કોરોના સંક્રમણનો પહેલો કેસ નોંધાયાના ૧૨૫મા (21મી જુલાઇ 2020) દિવસે નવા વિક્રમી ૧૦૨૬ કેસ ઉમેરાતા કુલ આંક અડધા લાખને પાર થઇ ૫૦૪૬૫ સુધી પહોંચી ગયા છે એ જ રીતે છેલ્લા પખવાડિયાથી સતત ઘટી રહેલા મૃત્યુ આંકમાં ચોવીસ કલાકમાં જ એક સાથે ૩૪ દર્દીના કોવિડ-૧૯ના મૃત્યુ થતાં હડકંપ મચી ગયો છે. સૌથી વધારે મૃત્યુ સુરતમાં ૨૧ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં ૬ દર્દીના મૃત્યુ જાહેર કરાયા છે.

આ સિવાય ભાવનગર અને જામનગર મહાનગરોમાં તેમજ ગીર સોમનાથ, પાટણ અને કચ્છ જિલ્લામાં પણ એક એક દર્દીના મૃત્યુ થયા છે. આઠ મુખ્ય મહાનગરોમાંથી ૫૭૬ અને જિલ્લાઓમાંથી ૪૫૦ કેસ નવા ઉમેરાયા છે. આમ, ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ વ્યાપક બની રહ્યું છે.

૧૯ માર્ચે રાજ્યમાં કોરોનાના કેસની ગુજરાતમાં વિધિવત એન્ટ્રી થઇ હતી. આ તીવ્ર અને ખતરનાક મીજાજ ધરાવતા વાયરસથી રાજ્યમાં મૃત્યુ પામાનર દર્દીઓની સંખ્યા ૨૨૦૧ થઇ ગઇ છે અલબત્ત, છેલ્લા ચોવીસ કલાકમાં ૭૪૪ દર્દીઓના ડિસ્ચાર્જ સાથે કુલ રિવકર થનાર દર્દીઓની સંખ્યા પણ ૩૬૪૦૩ સુધી પહોંચી છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સુરત મહાનગરમાંથી ૨૨૫ નવા કેસ અને જિલ્લામાંથી ૭૩ કેસ મળી આવ્યા છે જ્યારે શહેરમાં સારવાર હેઠળના ૧૪ દર્દીઓ તેમજ જિલ્લાના ૭ મળી ૨૧ દર્દીઓના મૃત્યુ કોવિડથી થયાનું સરકારે સ્વીકાર્યું છે. અમદાવાદમાં જિલ્લાના ૧૨ કેસ, એક મૃત્યુ તેમજ મહાનગરના ૧૮૭ કેસ અને પાંચ દર્દીના મૃત્યુ મળી કુલ ૧૯૮ કેસ અને ૬ના મૃત્યુ જાહેર કરાયા છે. અલબત્ત, આ બન્ને જિલ્લામાંથી અનુક્રમે વધુ ૧૭૩ તેમજ ૨૦૫ દર્દીઓ ડિસ્ચાર્જ પણ થયા છે.

વડોદરા શહેરમાંથી નવા ૬૦ કેસ સાથે જિલ્લાના મળી કુલ ૭૫ કેસ ઉમેરાયા છે તો રાજકોટમાં ૪૫ સાથે કુલ ૫૮ કેસ નોંધાયા છે. ભાવનગરમાંથી નવા ૨૬ કેસ અને એક દર્દીના મૃત્યુ નોંધાયા છે આ સિવાય જિલ્લામાંથી ૧૨ નવા દર્દી સંક્રમિત હોવાનું જાહેર કરાયું છે. જામનગરમાંથી નવા ૧૬ કેસ આવ્યા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. જિલ્લાના નવા ચાર કેસ નોંધાયા છે. ગાંધીનગર મહનગરમાંથી ૧૨ અને જિલ્લાના ૧૯ કેસ નવા છે જ્યારે જૂનાગઢમાં પાંચ મળી કુલ ૧૨ કેસ ઉમેરાયા છે.

દક્ષિણ-મધ્ય ગુજરાતમાં વલસાડ, નવસારી, પછી હવે દાહોદ જિલ્લામાં એક સાથે ૩૯ કેસ મળી આવ્યા છે. બનાસકાંઠામાંથી ૨૫, સુરેન્દ્રનગરમાંથી ૨૧, પાટણ ૨૦, નર્મદા ૧૯,  ગીર સોમનાથ અને મહેસાણા ૧૮-૧૮, નવસારી અને પંચમહાલ ૧૭-૧૭, ભરૂચ ૧૬, ખેડા ૧૪, વલસાડ ૧૩, કચ્છ ૯, આણંદ અને બોટાદ ૮-૮, અમરેલી ૭, મહીસાગર, મોરબીમાંથી ૬-૬, સાબરકાંઠામાંથી ૫, તાપી ૪, પોરબંદરમાંથી ૨ અને અરવલ્લી, ડાંગ અને દેવભૂમિ દ્વારકામાંથી ૧-૧ કેસ મળ્યો છે.

છેલ્લા ચોવીસ કલાકમાં ૧૩૬૯૩ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ૫,૬૨,૬૮૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ ૧૧૮૬૧ એક્ટિવ કેસ છે એમાંથી ૮૨ વેન્ટીલેટર ઉપર છે અને ૧૧૭૭૯ સ્ટેબલ છે.

July 21, 2020
mask_valve.jpg
1min9170

કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે દેશભરના દરેક રાજ્યોના આરોગ્ય વિભાગોને પત્ર લખીને જણાવ્યું છે કે વાલ્વાવાળા માસ્કની જગ્યાએ નાગરીકો કપડાના બનેલા ત્રણ સ્તર (ત્રિપલ લેયર) માસ્કનો ઉપયોગ કરીને કોરોના સંક્રમણથી બચી શકે છે.

સિમ્બોલિક ફોટો. કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે માસ્ક પર ઉપરોક્ત દર્શાવેલા ફોટો જેવા કોઇપણ પ્રકારના વાલ્વ કે એર ફિલ્ટર લગાડેલા હોય તો એ સંક્રમણને રોકતા નથી પણ ફેલાવી જરૂર શકે છે. આવા માસ્ક નહીં પહેરવા માટે દેશભરમાં જનજાગૃતિ લાવવામાં આવી રહી છે.

હાલમાં વાલ્વવાળા માસ્ક અંગે નાગરીકોમાં ભારે ગેરસમજ પ્રવર્તી રહી છે. ઘણાં લોકો વાલ્વવાળા માસ્કને સુરક્ષિત ગણી રહ્યા છે. ઘણાં ફેશનમાં વાલ્વવાળા માસ્ક પહેરે છે. હકીકતમાં વાલ્વવાળા માસ્ક સંક્રમણને રોકી નહીં પણ ફેલાવી શકે તેટલા જોખમી છે.

વાલ્વવાળા માસ્કમાં જ્યારે એ પહેરનાર વ્યક્તિ શ્વાસ બહાર કાઢે છે ત્યારે વાલ્વ ખુલ્લા થઇ જાય છે અને જો એ પહેરનાર વ્યક્તિ એસિમ્ટમેટિક વાઇરસ કરીયર હોય તો અનેક લોકોને એ સંક્રમિત કરી શકે. આમ વાલ્વવાળા માસ્ક સંક્રમણને રોકતા નથી પણ ફેલાવી જરૂર શકે છે.

દેશના આરોગ્ય મંત્રી ડૉ.હર્ષ વર્ધને ટ્વીટ કરીને અનુરોધ કરવો પડ્યો

કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને વાલ્વવાળા એન-95 માસ્ક પહેરવાની વિરુદ્ધ ચેતવણી જાહેર કરીને જણાવ્યું છે કે, આનાથી વાયરસનો ફેલાવો અટકતો નથી. અને કોવિડ-19 મહામારીને રોકવા માટે લેવામાં આવેલા પગલાની વિરુદ્ધ છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયમાં સ્વાસ્થ્ય સેવા ડિરેક્ટર રાજીવ ગર્ગે રાજ્યોને સ્વાસ્થ્ય અને ચિકિત્સા શિક્ષણ બાબતના પ્રધાન સચિવોને પત્ર લખીને જણાવ્યું છે કે, સામે આવ્યું છે કે સ્વાસ્થ્યકર્મીઓને જગ્યાએ લોકો એન-95 માસ્કનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે, ખાસ કરીને જેમાં વાલ્વ હોય છે. 

તેમણે જણાવ્યું છે કે, તમારા ધ્યાનમાં લાવવામાં આવે છે કે વાલ્વવાળા એન-95 માસ્કો કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલાની વિરુદ્ધ છે કેમકે માસ્ક બહારથી આવતા વાયરસને રોકી શકતો નથી. આને ધ્યાનમાં રાખીને હું તમને અપીલ કરું છું કે તમામ સંબંધિત લોકોને આદેશ આપે કે તેઓ ફેસ/ માઉથ કવરના ઉપયોગનું પાલન કરે અને એન-95 માસ્કના ખોટા ઉપયોગને રોકે. 

Also Read

July 21, 2020
corona-gujarat.jpg
1min5280

આજે શ્રાવણ માસના પહેલા દિવસ તા.21મી જુલાઇ 2020ના રોજ 6 કરોડની વસતિ ધરાવતા ગુજરાત રાજ્યમાં કોરોના કેસોનો આંકડો 50,000 કેસોની સંખ્યાને આંબી જશે. તા.20 જુલાઇ 2020ની સાંજે 8 કલાકે ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા 49,439 હતી. ગુજરાતમાં હાલ દૈનિક 900 પ્લસ નવા કેસોની સરેરાશને જોતા આજરોજ તા.21મી જુલાઇ 2020ના રોજ ગુજરાતમાં કોરોના કેસોનો આંકડો 50 હજારને પાર પહોંચી જશે.

ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ હવે વકરી રહી છે, છેલ્લા ચાવીસ કલાકમાં ૧૨૩૬૯ ટેસ્ટ દ્વારા નવા ૯૯૮ પોઝિટિવ દર્દી મળી આવ્યા છે આ સાથે રાજ્યના કુલ કેસનો આંક ૪૯૪૩૯ સાથે અડધા લાખને આંબવાની તૈયારીમાં છે.

એક જ દિવસમાં વધુ ૨૦ દર્દીઓના કોરોના સંક્રમણને લીધે મૃત્યુ થયા છે. એમાં સૌથી વધારે સુરતમાં કુલ ૧૧ દર્દીના મરણ કોરોનાથી થયાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે. અલબત્ત, નવા સંક્રમિત દર્દીઓનો આંક નિયંત્રિત રીતે ૨૮૪નો જાહેર કરાયો છે. અમદાવાદમાં કુલ ચાર દર્દીના મૃત્યુ સાથે નવા ૧૮૩ કેસ ઉમેરાયા છે.

ચોવીસ કલાકમાં ૭૭૭ દર્દીઓને ડિસ્ચાર્જ અપાતા કુલ રિકવર થનારનો આંક ૩૫૬૫૯ થયો છે. અલબત્ત, રાજ્યમાં કુલ મૃત્યુ આંક ૨૧૬૭ થયો છે.

આ બન્ને સંક્રમિત મહાનગરો-જિલ્લા પછીના ક્રમે આવતા વડોદરા શહેરમાંથી નવા ૬૦ દર્દીઓ મળી આવ્યા છે અને વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૮ કેસ આવ્યા છે. જોકે, સારવાર હેઠળના મહાનગરના દર્દીઓ પૈકી બેના મૃત્યુ થયાનું રાજ્યના હેલ્થ બુલેટિનમાં જાહેર કરાયું છે. આ જ રીતે નવસારીમાં બે દર્દી અને એક ગીર સોમનાથના દર્દીનું કોરોનાથી મૃત્યુ જાહેર કરાયું છે.

રાજકોટ શહેરમાંથી નવા ૪૦ કેસ મળ્યા છે જ્યારે વિવિધ તાલુકાંથી ૧૬ દર્દીઓ સંક્રમિત થયા હોવાનું જાહેર કરાયું છે. ભાવનગર શહેરમાંથી ૨૬ મળી કુલ ૪૨ કેસ નવા ઉમેરાયા છે. જામનગરમાં કુલ ૨૨ કેસ આવ્યા છે એમાં શહેરમાંથી ૧૩ કેસ છે. ગાંધીનગરમાં કુલ ૨૦ કેસમાં ૧૨ ગ્રામ્ય વિસ્તારના છે. જૂનાગઢમાં પણ ગ્રામ્ય વિસ્તારના ૧૩ કેસ સાથે કુલ ૧૯ કેસ નોંધાયા છે.

જિલ્લાઓમાં સૌથી વધારે કેસ મહેસાણામાં વીસનગર, ઊંઝા, બેચરાજી, કડીમાંથી મળી નવા ૨૬ કેસ જાહેર કરાયા છે. ભરૂચમાં વાગરા, જંબુસર, અંકલેશ્વર, વાલીયામાંથી ૨૨ કેસ ઉમેરાયા છે. સુરેન્દ્રનગર શહેર ઉપરાંત મુળી, પાટડી, ધ્રાંગધ્રામાંથી નવા ૨૦ કેસ, પાટણ અને વલસાડમાંથી નવા ૧૭-૧૭ કેસ આવ્યા છે.

મહાનગરોમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં વધતાં જતાં ચેપને નાથવા માટે હવે સ્થાનિક સ્તરે લોકોએ સ્વૈચ્છાએ લોકડાઉનનો અમલ શરૂ કર્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સંક્રમિત મહાનગરો, વિસ્તારોમાંથી આવનારાઓને ચેકનાકાઓ ઉપર ચેક કર્યા પછી પ્રવેશ આપવાની શરૂઆત કરી છે. પાંચ જિલ્લાઓમાં અમદાવા, વડોદરા, સુરત તેમજ અન્ય રાજ્યોમાંથી આવનારાઓને ફરજિયાત ૧૪ દિવસ હોમ કોરન્ટાઇન રહેવાની શરતે જ પ્રવેશ અપાય છે. સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં વિવિધ મેળા, શિવ મંદિરોમાં વિશિષ્ટ પૂજા દર્શનના કાર્યક્રમોને પણ મોકુફ રાખવામાં આવ્યા છે. રાજ્યના ઘણાં મોટા મંદિરોએ સંક્રમણની સ્થિતિને ધ્યાને લઇ હમણાં મંદિરો બંધ રાખવાની જાહેરાત કરી છે.

અમદાવાદ પછી સુરત અને વડોદરાની જેમ હવે રાજ્યભરમાંથી ધનવંતરી રથ દ્વારા શંકાસ્પદોના હેલ્થ ચેકઅપ, એન્ટીજન ટેસ્ટ જેવી કામગીરીને યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. અલબત્ત, હજુય લોકો સોશીયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા જેવી સામાન્ય બાબતોને અપનાવતા નથી એના કારણે સ્થિતિ દિવસે દિવસે વધારે કથળી રહી છે.

આ જ કારણે ગીરસોમનાથ, કચ્છ અને તાપી જેવા જિલ્લાઓમાંથી એક જ દિવસમાં નવા ૧૬-૧૬ કેસ આવ્યા છે તો પંચમહાલમાંથી નવા પંદર કેસ, અમરેલી, ખેડા, બનાસકાંઠામાંથી ૧૩-૧૩ કેસ મળ્યા છે. દાહોદ શહેર અને લીમખેડામાંથી નવા ૧૨ કેસ આવ્યા છે. મહીસાગરમાંથી ૧૧, નવસારીમાંથી ૧૦, બોટાદ, મોરબીમાંથી ૯ કેસ મળ્યા છે. નર્મદામાં ૭, આણંદ અને સાબરકાંઠામાંથી ૬-૬, અરવલ્લીના ૫, દેવભૂમિ દ્વારકાના ૩, છોટાઉદેપુર અને પોરબંદરમાંથી ૧-૧ કેસ નવા ઉમેરાયા છે.

આમ, હાલ રાજ્યમાં ૧૧૬૧૩ એક્ટિવ કેસ છે એમાં ૭૫ વેન્ટીલેટર ઉપર છે જ્યારે ૧૧૫૩૫ સ્ટેબલ છે.