સમગ્ર રાજ્યમાં દક્ષિણથી લઇને ઉત્તર, પશ્ચિમથી લઇને મધ્ય ગુજરાતમાં છેલ્લા અઠવાડીયાથી ઝીકાઇ રહેલા દેમાર અને અવિરત વરસાદે જનજીવનને વ્યાપક પ્રમાણમાં અસરો પહોંચાડી છે.
વરસાદના કારણે જનજીવનને પણ અસર પહોંચી રહી છે. ભારે વરસાદનું પાણી હવે લોકોના ઘરમાં ઘૂસી રહ્યું છે. આ સ્થિતિના કારણે કેટલાક વિસ્તારના રસ્તાઓ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યાં છે. રાજ્ય સરકારે હાલાતની સમીક્ષા કરવા માટે મોનિટરિંગ કરવાનું કહ્યું છે તો NDRFની ટીમને પણ એલર્ટ રાખવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં વરસાદના કારણે સ્થિતિ વધુ ખરાબ બની છે. સુરેન્દ્રનગરમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતાં. જેના કારણે વાહનચાલકોની મુશ્કેલી વધી છે તો કેટલાક વિસ્તારમાં લાઈટ અને પીવાના પાણીની સમસ્યા પણ ઉભી થઈ છે.
રાજ્યમાં ભારે વરસાદના કારણે કેટલાક રસ્તાઓની હાલત ખરાબ થઈ છે તો કેટલાક માર્ગ સંપૂર્ણપણે ધોવાઈ ચૂક્યાં છે. વાહન વ્યવહારને પણ અસર પહોંચતા STએ પણ કેટલીક ટ્રીપ રદ કરી હતી. સમગ્ર સાર્વત્રિક વરસાદના કારણે જળાશયો તો છલકાયાં જ છે આ ઉપરાંત સામાન્ય લોકોની અવરજવર માટે કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદ વચ્ચે રાજ્યના 102 રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે. જેમાં આણંદ, કચ્છ, ભરુચ, સુરત અને જુનાગઢ જિલ્લામાં સ્થિત રાજ્ય સરકારના 6 રાજમાર્ગનો પણ સમાવેશ થાય છે. હવામાન વિભાગે હજુ પણ સોમવાર સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
રાજ્ય સરકારના જળ સંસાધન વિભાગના ઓફિસરના જણાવ્યાનુસાર, સમગ્ર વિસ્તારમાં વરસાદના કારણે 206માંથી 66 બાંધ ક્ષમતા સુધી ભરાઈ ચૂક્યાં છે. જેમાંથી 52 તો સૌરાષ્ટ્રમાં જ છે. આ રીતે રાજ્યના દરેક જળાશયોમાં પણ 61% સુધીનું પાણી ભરાઈ ચૂક્યું છે. જ્યારે સરદાર સરોવર બાંધમાં પણ 57% જેટલું પાણી આવી ચૂક્યું છે. આથી જો વરસાદ રોકાવાનું નામ નહીં લે તો પાણી છોડવાની સ્થિતિમાં અનેક નીચાણવાણા પ્રદેશો તેમજ વિસ્તારો પૂરગ્રસ્ત થઈ શકે છે.
દાહોદ, અરવલ્લી, ગીર-સોમનાથ, સુરેન્દ્રનગર, કોડિનાર, દ્વારકા સહિત રાજ્યમાં થઈ રહેલા વરસાદના કારણે નદી-નાળાં છલકાયા છે તો ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે.
ગીરમાં પણ ધોધમાર વરસાદ ખાબકતાં જુનાગઢનો દામોદર કુંડ છલોછલ થયો છે. જ્યારે ગીર સોમનાથમાં જ કોડીનાર પંથકમાં પણ સારો એવો વરસાદ વરસી જતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતાં. કોડીનારની શીંગવડા નદીમાં ભારે પૂર આવતા કોઝવે પરથી પસાર થવાં જતા બે બાઈક સવાર ફસાઈ ગયા હતાં. જેનો ગ્રામજનોએ બચાવ કર્યો હતો. આ ઉપરાંત વેરાવળ-તાલાળાને જોડતા રસ્તા પર પણ પાણી ફરી વળ્યાં છે.









