જીએસટી સેન્ટ્રલ કાઉન્સિલની તા.3 અને 4 સપ્ટેમ્બરના રોજ યોજાઇ રહેલી 56મી મિટીંગમાં જીએસટી સ્ટ્રક્ચરમાં મોટા ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે. સૌથી મોટા ફેરફારો એ છે કે 12 ટકા અને 28 ટકાના સ્લેબને નાબૂદ કરીને 40 ટકાનો નવો સ્લેબ ઉમેરવામાં આવ્યો છે.
અહીં સીઆઇએ લાઇવ ન્યુઝ વેબ તરફથી અમારા વાચકો માટે ચીજવસ્તુઓ અનુસાર કેટલો જીએસટી હતો અને હવે કેટલો જીએસટી લાગૂ થશે તેની વિગતો આપવામાં આવી છે. જેના પર જીએસટી ઘટ્યો છે તે ચીજવસ્તુઓ ઉત્પાદકો અને વિક્રેતાઓ સસ્તી કરશે કે કેમ એ સવાલ છે.
આખું લિસ્ટ પીડીએફ ફોર્મેટમાં તમે ડાઉનલોડ પણ કરી શકો છો
બાંધકામમાં વપરાતી અનેક સામગ્રીઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી રિયલ એસ્ટેટ અને હાઉસિંગ સેક્ટરમાં ખુશીનો માહોલ ફેલાયો છે. આ નિર્ણયથી બાંધકામના ખર્ચમાં ઘટાડો થશે, જેનો ફાયદો ઘર ખરીદનારાઓને પણ મળશે.
3/9/25 GST કાઉન્સીલની બેઠકમાં સિમેન્ટ, માર્બલ, ગ્રેનાઈટ, લાકડું જેવી બાંધકામની મુખ્ય સામગ્રીઓ પર GST દરમાં કાપ મૂકવામાં આવ્યો છે. આ પગલાથી બાંધકામ સામગ્રીના ભાવ ઘટશે, જેના કારણે નવા મકાનો, ફ્લેટ્સ અને વ્યાપારી ઈમારતોના નિર્માણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. આ નિર્ણયને ઉદ્યોગકારો અને બિલ્ડરો દ્વારા સકારાત્મક પગલુ ગણાવવામાં આવી રહ્યું છે, કારણ કે આનાથી બાંધકામ ઉદ્યોગને નવી ગતિ મળશે.
આ GST ઘટાડાથી હાઉસિંગ સેક્ટરમાં નોંધપાત્ર વૃદ્ધિની અપેક્ષા છે. બાંધકામના ખર્ચમાં ઘટાડો થતા ઘરોની કિંમતો પણ નીચે આવી શકે છે, જેનાથી સામાન્ય લોકો માટે ઘર ખરીદવું વધુ સરળ બનશે. ખાસ કરીને, મધ્યમ વર્ગના લોકો અને પ્રથમ વખત ઘર ખરીદનારાઓને આનો સીધો લાભ મળશે. આ ઉપરાંત, આ પગલુ રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં રોકાણને પણ પ્રોત્સાહન આપશે.
બાંધકામ ઉદ્યોગ દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. GST ઘટાડાથી બાંધકામ સામગ્રીના ભાવ ઘટવાથી નવા પ્રોજેક્ટ્સની શરૂઆત અને ચાલી રહેલા પ્રોજેક્ટ્સનું કામ ઝડપથી આગળ વધશે. જેનાથી રોજગારની તકોમાં પણ વધારો થશે, કારણ કે બાંધકામ ઉદ્યોગ અનેક અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલો છે. ઉદ્યોગકારોનું માનવું છે કે આ નિર્ણયથી આર્થિક ગતિવિધિઓને વેગ મળશે અને બજારમાં સકારાત્મક માહોલ ઊભો થશે.
રિયલ એસ્ટેટ અને બાંધકામ ઉદ્યોગના નિષ્ણાતોએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમનું માનવું છે કે આ પગલુ બાંધકામ ઉદ્યોગ માટે માત્ર રાહત જ નહીં, પરંતુ લાંબા ગાળે આર્થિક વિકાસ માટે પણ મહત્વનું સાબિત થશે. સરકારના આ નિર્ણયથી નવા પ્રોજેક્ટ્સને ઝડપ મળશે અને ગ્રાહકોને પોસાય તેવા ભાવે ઘરો ઉપલબ્ધ થશે, જે દેશના હાઉસિંગ સેક્ટરને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
ગુજરાતમાં મેડિકલ, પોલીસ અને ફાયર તેમજ અન્ય આપાતકાલીન સ્થિતિમા મદદ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ મળશે. રવિવારે (31 ઓગસ્ટ) જનરક્ષક હેઠળ 112 ડાયલ સર્વિસ શરૂ કરવામાં આવી છે અને તમામ પ્રકારની ઈમરજન્સી સેવા માટે 112 નંબર ડાયલ કરવાનો રહેશે. આ માટે અમદાવાદમાં અત્યાધુનિક કૉલ સેન્ટર શરૂ કરાયું છે. જેમાં 150 જેટલા પોલીસ કર્મચારીઓને જવાબદારી સોપવામાં આવી છે. સાથેસાથે ગૃહમંત્રી અમિત શાહે 500 જેટલી 112 જનરક્ષક વાનનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યમાં મેડીકલ ઇમરજન્સી માટે 108, પોલીસ માટે 100, ફાયર બ્રિગેડની સેવા માટે 101, અભયમ હેલ્પલાઇન માટે 181 તેમજ અન્ય આપાતકાલીન સ્થિતિમાં અલગ-અલગ સેવા માટે અલગ-અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ મળી છે. હવે 112 નંબર ડાયલ કરવાથી તમામ સેવાઓનો લાભ લઈ શકાશે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ ગાંધીનગર ખાતે યોજાયેલા એક સમારોહમાં 112 જનરક્ષક ઇમરજન્સી સેવાને ખુલ્લી મૂકી હતી. આ સાથે પોલીસે હાઉસિંગના આવાસોનું લોકાર્પણ પણ કર્યું હતું. ડાયલ 112 માટે અમદાવાદ ખાતે એક કૉલ સેન્ટર શરૂ કરાયું છે. જે કૉલ રીસિવ કરીને તુરંત પ્રતિક્રિયા આપીને જે-તે સેવા પહોંચતી કરવા માટે જાણ કરશે. આ ઉપરાંત, દરેક જિલ્લાઓમાં 112 જનરક્ષક કેન્દ્ર કાર્યરત કરાયું છે. જે પીસીઆર વાનનું રીયલ ટાઇમ મોનિટરિંગ કરશે. ગુજરાત પોલીસના બેડામાં નવી 500 વાન ઉમેરવામાં આવતા હવે એક હજાર જેટલી વાન થશે.
112 જનરક્ષક સેવાને 108 મેડિકલ ઈમરજન્સી મોડલના આધારે સંચાલિત રકીને વિકસિત કરવામાં આવશે. જેથી આગામી સમયમાં કૉલ સેન્ટરનો વ્યાપ વધશે.
ભારત સરકારે ચાઈનીઝ શોર્ટ વીડિયો શેયરિંગ પ્લટેફોર્મ ટિકટોકને અનબ્લોક કર્યું હોવાના સમાચાર વહેતા થયાં હતાં. પરંતુ વાસ્તવમાં ભારત સરકારે આવો કોઈ નિર્ણય લીધો છે, આ માત્ર અફવાઓ છે. જેથી અફવાઓથી દૂર રહેવા માટે સલાહ આપવામાં આવી છે. દરેક ભારતીય નાગરિકોને કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા માટે ભારત સરકાર દ્વારા વિનંતી કરવામાં આવી છે. ગત રાત્રે જ આ સમાચાર વહેતા થયા હતા કે, હવે ભારતમાં ટિકટોક ફરી શરૂ થવાનું છે. જો કે, હવે તે અફવા હતી તેવું સરકારે સ્પષ્ટીકરણ કર્યું છે.
ભારતે ચીનની કઈ એપ્સ પર પ્રતિબંધ લાદ્યો હતો?
ભારત સરકારે 2020માં આ ટિકટોક પર પ્રતિબંધ લાદ્યો હતો. આ વખતે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીમાં ઘર્ષણ થયું હતું. જેથી આ વખતે ભારત સરકારે દેશની સુરક્ષાને ધ્યાને રાખીને ચાઈનીઝ એપ જેવી કે ટિકટોક, Wechat અને Helo સહિત અનેક સોશિયલ એપ્સ ભારતમાં પ્રતિબંધિત કરી દીધી હતી. જો કે, અત્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સુધાર આવતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેથી આ અફવા શરૂ થઈ હતી કે, ભારતે તે એપ્સ પરથી પ્રતિબંધ હટાવી દીધો છે.
શું ભારત અને ચીનના સંબંધોમાં સુધાર આવ્યો છે?
સમાચાર એવા પણ મળી રહ્યાં છે કે, ભારત અને ચીન વચ્ચે અત્યારે વિઝા સેવાઓ પણ ફરૂ શરૂ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પ્રવાસીઓ, વ્યવસાયો, વેપારીઓ અને મીડિયા અને અન્ય લોકોની મુસાફરી પર જે પ્રતિબંધ હતો તેને હટાવી દેવામાં આવશે! હમણાં ચીનના વિદેશ પ્રધાન વાંગ યી 3 દિવસની ભારત મુલાકાતે આવ્યાં હતાં. જેમાં ભારતમાં સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ હતી. આ સાથે સાથે પીએમ મોદી પણ બે દિવસ માટે ચીનના પ્રવાસે જવાના છે. આ દરમિયાન નરેન્દ્ર મોદી તિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં ભાગ લેવા માટે જવાના છે. જેથી ભારત અને ચીનના સંબંધોમાં સુધાર આવી શકે છે.
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 21 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 78.99 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81 ટકા, સૌરાષ્ટ્રમાં 76.36 ટકા, ઉત્તર ગુજરાતમાં 74.67 ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં 71.97 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 79.37 ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 55 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 66 ડેમ 70 થી 100 ટકા, 36 ડેમ 50 થી 70 ટકા, 30 ડેમ 25 ટકા થી 50 ટકા વચ્ચે અને 19 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં 70 ડેમ હાઈ એલર્ટ, 35 ડેમ એલર્ટ તથા 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પાંચ તાલુકાઓમાં 13 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 13 ઇંચથી વધુ, કેશોદ તાલુકામાં 11 ઇંચથી વધુ, વંથલી તાલુકામાં 10 ઈંચથી વધુ તેમજ પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં 10 ઇંચ અને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
ચોમાસાની સ્થિતિમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી બસોના સફળ આયોજનના પરિણામે નહિવત ટ્રીપો રદ કરીને 14 હજાર થી વધુ રૂટ ઉપર 40 હજારથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને વાહન વ્યવહારની સુવિધા નાગરિકોને પહોચાડવામાં આવી છે.
ગુજરાત પોલીસે બેડામાં ફરી હડકંપ જોવા મળ્યો છે. ગૃહ વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગે IPS/SPS અધિકારીઓની બઢતી અને બદલીનો ઓર્ડર આપ્યાં છે. રાજ્યભરમાં 105 IPS/SPS અધિકારીઓની બઢતી અને બદલીના આદેશ આપવામાં આવ્યાં છે. જુઓ આ રહી IPS/SPS અધિકારીઓની બઢતી અને બદલીના આદેશની યાદી
બૅન્કમાં ચેક જમા કરાવ્યા પછી સ્કૅન કરવાની, રજૂ કરવાની અને પાસ કરવાની તમામ પ્રક્રિયા એ જ દિવસે કલાકોમાં પૂરી થઈ જશે
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ જાહેરાત કરી છે કે ચોથી ઑક્ટોબરથી ચેક-ક્લિયરિંગની પ્રોસેસ વધુ ઝડપી બનશે. બૅન્કમાં ચેક જમા કરાવ્યાના કલાકોમાં ક્લિયર કરી આપવામાં આવશે. અત્યારે ચેક ક્લિયર કરવા માટે બે દિવસ સુધીનો સમય લાગે છે.
બૅન્કમાં ચેક જમા કરાવ્યા પછી સ્કૅન કરવાની, રજૂ કરવાની અને પાસ કરવાની તમામ પ્રક્રિયા એ જ દિવસે કલાકોમાં પૂરી થઈ જશે. આ પ્રક્રિયા બૅન્ક ચાલુ હશે એ કલાકો દરમ્યાન સતત ચાલુ રહશે. ચેક પાસ કરવાની અત્યારની પ્રક્રિયામાં ચેકનું બૅચ-ક્લિયરિંગ થાય છે એટલે કે ચેક જથ્થામાં પાસ કરવામાં આવે છે. એના સ્થાને RBIએ સર્ક્યુલર જાહેર કરીને તમામ બૅન્કોને એવું જણાવ્યું છે કે ચેક પાસ કરવા માટે બૅચ-ક્લિયરિંગને બદલે એ પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવે. સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી ચેક પ્રોસેસ કરીને ક્લિયરિંગ હાઉસમાં મોકલી આપવામાં આવશે. આ પરિવર્તનને બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. પહેલો તબક્કો ૪ ઑક્ટોબરથી અને બીજો તબક્કો ૩ જાન્યુઆરી ૨૦૨૬થી શરૂ થશે.
સ્વતંત્રતા દિવસ, 2025ના અવસરે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ, ફાયર વિભાગ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારાત્મક સેવાઓના કુલ 1090 કર્મીઓને 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વીરતા તેમજ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. 233 કર્મીઓને વીરતા પુરસ્કાર (Medal for Gallantry (GM), 99 કર્મીઓને વિશેષ સેવા માટે (personnel awarded President’s Medal for Distinguished Service (PSM) તેમજ 758 કર્મીઓને પ્રશંસનીય સેવા માટે પુરસ્કાર (Medal for Meritorious Service (MSM) આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના બે પોલીસ અધિકારી ACB પીયૂષ પટેલ અને IB મુકેશ સોલંકીની પ્રેસિડેન્ટ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે.
ગુજરાતના 21 કર્મચારીને પ્રસંશનીય સેવાનું મેડલ
સેવા મેડલ
વિશેષ સેવા માટે (personnel awarded President’s Medal for Distinguished Service (PSM) ખાસ રેકોર્ડ બનાવવા માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. તેમજ પ્રશંસનીય સેવા માટે, સંસાધન અને કર્તવ્ય પ્રતિ સમર્પણ યુક્ત બહુમૂલ્ય સેવા માટે (Medal for Meritorious Service (MSM) પુરસ્કાર આપવામાં આવે છે.
99 PSM એવોર્ડમાંથી 89 પોલીસ સેવા, 5 ફાયર વિભાગ, 3 સિવિલ સર્વિસ તેમજ હોમગાર્ડઅને 2 સુધારાત્મક સેવાના કર્મીઓને આપવામાં આવ્યા છે. પ્રશંસનીય સેવા માટે 758 MSM પુરસ્કારમાંથી 635 પોલીસકર્મી, 51 ફાયર વિભાગના કર્મચારી, 41 સિવિલ સર્વિસ અને હોમગાર્ડ અને 31 સુધારાત્મક સેવાને આપવામાં આવ્યા છે.
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી સિનેમાને પ્રોત્સાહન આપવા માટે ‘ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-2019’ અંતર્ગત વર્ષ 2023 માટેના ગુજરાતી ચલચિત્ર પારિતોષિકોની જાહેરાત કરવામાં આવી હતી. આ નીતિ હેઠળ ગુજરાતી ફિલ્મોના કલાકારો અને કસબીઓને વિવિધ શ્રેણીઓમાં રોકડ પુરસ્કાર અને પારિતોષિકો એનાયત કરવામાં આવે છે.
46 કેટેગરીમાંથી 40 કેટેગરીમાં વિજેતાઓની પસંદગી
વર્ષ 2023 દરમિયાન સિનેમાગૃહોમાં પ્રદર્શિત થયેલી ફિલ્મો માટે કુલ 46 કેટેગરીમાંથી 40 કેટેગરીમાં વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર આગામી સમયમાં એક ભવ્ય સમારોહનું આયોજન કરી આ વિજેતા કલાકાર-કસબીઓને સન્માનિત કરશે અને રોકડ પુરસ્કાર તથા ટ્રોફી એનાયત કરશે. આ પારિતોષિકોનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને વધુ ગુણવત્તાયુક્ત ફિલ્મો બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, જેથી ગુજરાતી સિનેમાનો વ્યાપ વધે અને તેને રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળે. આ સન્માન સમારોહમાં કલાકારો, દિગ્દર્શકો અને ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે.
કઈ ફિલ્મને મળ્યું શ્રેષ્ઠ ફિલ્મનું સન્માન?
2023 માટેના ગુજરાતી ચલચિત્ર પારિતોષિકોમાં શ્રેષ્ઠ ચલચિત્ર માટેનો અવોર્ડ ફિલ્મ ‘કર્મ’ માટે નિર્માતા ચિન્મય પુરોહિત, નીરજ નાઈક અને સુબ્રમણ્યમ ઐયરને જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ દ્વિતીય શ્રેષ્ઠ ચલચિત્રનો એવોર્ડ ફિલ્મ ‘માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ’ માટે નિર્માતા અને દિગ્દર્શક જશવંત ગાંગાણીને જાહેર કરવામાં આવ્યો હતો. શ્રેષ્ઠ લોકપ્રિય ચલચિત્ર માટેનો અવોર્ડ ફિલ્મ ‘શુભયાત્રા’ માટે નિર્માતા અને દિગ્દર્શક મનીષ સૈનીને જાહેર કરવામાં આવ્યો હતો.
કોને શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ અભિનેત્રીનું સન્માન
શ્રેષ્ઠ દિગ્દર્શનનો અવોર્ડ ફિલ્મ ‘સંબંધોમાં ખાલી જગ્યા’ માટે જયેશ ત્રિવેદીને, શ્રેષ્ઠ અભિનેતાનો અવોર્ડ ફિલ્મ ‘કર્મ’ માટે ચેતનકુમાર ધાનાનીને, શ્રેષ્ઠ અભિનેત્રીનો અવોર્ડ ફિલ્મ ‘કર્મ’ માટે બ્રિન્દા ત્રિવેદીને, શ્રેષ્ઠ બાળ કલાકાર માટેનો એવોર્ડ ફિલ્મ ‘માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ’ માટે વિશાલ ઠકકર, શ્રેષ્ઠ પાર્શ્વ ગાયકનો એવોર્ડ ગીત ‘આવજો આવજો’ માટે ઉમેશ બારોટ તેમ જ શ્રેષ્ઠ પાર્શ્વ ગાયિકાનો અવોર્ડ ગીત ‘હું અને તું’ માટે મધુબંતી બાગચીને જાહેર કરવામાં આવ્યો હતો.
શ્રેષ્ઠ બાળ ચલચિત્રનો અવોર્ડ ‘નિક્કી’ ફિલ્મ માટે જાહેર
મહિલા સશક્તિકરણ અંગેનું શ્રેષ્ઠ ચલચિત્ર માટેનો અવોર્ડ ફિલ્મ ‘નિક્કી’ માટે નિર્માતા અને દિગ્દર્શક રૂપાંગ આચાર્ય, તે ઉપરાંત શ્રેષ્ઠ બાળ ચલચિત્રનો એવોર્ડ પણ રૂપાંગ આચાર્યને ‘નિક્કી’ ફિલ્મ માટે જાહેર કરવામાં આવ્યો હતો. દ્વિતીય શ્રેષ્ઠ બાળ ચલચિત્રનો એવોર્ડ ફિલ્મ ‘મસ્તીની પાઠશાળા’ માટે નિર્માતા વિપુલ શાહ તેમજ દિગ્દર્શક સુનીલ વાઘેલાને જાહેર કરવામાં આવ્યો હતો.
ગુજરાતના કેટલાક એરપોર્ટ સરકાર માટે ‘સફેદ હાથી સમાન પુરવાર થઇ રહ્યા છે. એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા સંચાલિત ગુજરાતના 8 એરપોર્ટની ખોટ છેલ્લા 10 વર્ષમાં 817.51 કરોડ નોંધાઈ છે.
ગુજરાતમાં આવેલા કેટલાક એરપોર્ટને નાણાંકીય વર્ષ 2015-16થી 2024-25 એમ 10 વર્ષ દરમિયાન કુલ કેટલી ખોટનો સામનો કરવો પડ્યો તેનું સરવૈયું રજૂ કરવામાં આવ્યું છે. જે અનુસાર, આ સમયગાળામાં રાજકોટ એરપોર્ટને સૌથી વઘુ રૂપિયા 418.67 કરોડ, ભાવનગર એરપોર્ટને રૂપિયા 122.08 કરોડની ખોટનો સામનો કરવો પડ્યો છે. રાજકોટમાં હિરાસર એરપોર્ટ શરૂ થયા બાદ એર ટ્રાફિક વધતાં હવે ખોટનું પ્રમાણ ઘટે તેવી સંભાવના છે.
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી એરપોર્ટની આ યાદીમાં વડોદરા અને સુરતનો સમાવેશ નથી કરાયો. અમદાવાદ એરપોર્ટનું ચાર વર્ષ અગાઉ ખાનગીકરણ થઈ ગયું હતું. આ ઉપરાંત દેશમાં હાલ 22 એરપોર્ટ કાર્યરત નહીં હોવાનું સામે આવ્યું છે અને આ યાદીમાં ગુજરાતમાંથી ડીસા પણ સામેલ છે.
ગુજરાતના એરપોર્ટને છેલ્લા 10 વર્ષમાં થયેલી કુલ ખોટ
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.