Ahmedabad: India’s first seaplane lands at Sabarmati River ahead of its inauguration by Prime Minister Narendra Modi in Ahmedabad, Monday, October 26, 2020.
ભારતની જળમાર્ગ મંત્રાલયે સાગરમાલા સીપ્લેન સેવા માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મગાવ્યા છે. મંત્રાલયે યમુના રિવરફ્રન્ટથી અયોધ્યા, ટિહરી, શ્રીનગર અને ચંડીગઢ, મુંબઈથી શિરડી, લોનાવાલ અને ગણપતિપુલે, સુરતથી દ્વારકા, માંડવી અને કંડલા ઉપરાંત અંડમાન અને નિકોબારથી લક્ષદ્વીપ સમૂહ માટે ઈઓઆઈ માગ્યા છે.
આ રૂટ ઉપર સીપ્લેન ઉડાન યોજના હેઠળ સંચાલીત કરવામાં આવશે. આ સ્કીમ હેઠળ સામાન્ય લોકો વાજબી કિંમતમાં મુસાફરી કરી શકે છે.
મંત્રાલયે પરિયોજના માટે એક હબ અને સ્પોક મોડલનો ઉપયોગ કરવાની યોજના બનાવી છે. પરિયોજનાના સફળતાપૂર્વક શરૂ થવા ઉપર નક્કી રૂટ ઉપર સેવા શરૂ થઈ શકે છે. અમદાવાદ રિવર ફ્રન્ટથી કેવડિયા સુધી સ્પાઈસજેટ કંપની સીપ્લેન સેવા આપે છે.
કંપની આ માટે 15 સીટર ટ્વીટ ઓટેર 300 એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે. જે દુનિયામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતું સૌથી સુરક્ષિત એરક્રાફ્ટ છે.
ગુજરાતમાં કોરોનાના યુકેના નવા સ્ટ્રેનની આખરે એન્ટ્રી થઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં લંડનથી આવેલા અને સરદાર વલ્લભભાઈ પટેલ (એસવીપી) હોસ્પિટલમાં દાખલ ચાર લોકોમાં કોરોનાના યુકેવાળા નવા સ્ટ્રેનના લક્ષણો મળ્યા હોવાનો પુણેની લેબે એકરાર કર્યો છે. જ્યારે રાજકોટમાં પણ એક યુવકનો સંદિગ્ધ પોઝિટિવ કેસ મળતા રાજ્યના આરોગ્ય તંત્રમાં ફફડાટ ફેલાયો છે.
ગુજરાતના કેટલાક જિલ્લાઓ સહિત દેશભરમાં આજથી કોરોના રસીકરણના ડ્રાય રનનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જ કોરોનાના નવા યુકેના સ્ટ્રેનના કેસો મળતા તંત્રમાં હડકંપ મચી ગયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં નવા સ્ટ્રેનના પાંચ દર્દીઓ નોંધાયા છે. અમદાવાદમાં લંડનથી આવેલા અને એસવીપી હોસ્પિટલમાં દાખલ ચાર લોકોમાં કોરોનાના નવા લક્ષણો મળ્યા હોવાનું પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ રિપોર્ટમાં જણાવ્યું છે. અમદાવાદથી 10 સેમ્પલ પુણેની લેબમાં મોકલાયા હતા, હજૂ 6 પેસેન્જરોના રિપોર્ટ આવવાના બાકી. ગઇકાલે પુણેની લેબમાં 4 કેસના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. અમદાવાદમાં ગત 23મીએ 175 યાત્રિકો લંડનથી આવ્યા હતા અને તેમના કોરોના ટેસ્ટ કરાયા હતા જે પૈકી ચાર લોકોમાં યુકેના નવો સ્ટ્રેન મળ્યો હોવાની પુષ્ટિ થઈ છે.
બીજીતરફ રાજકોટમાં પણ યુકેથી પરત ફરેલા એક શખ્સમાં કોરોનાનાના નવા સંભવિત લક્ષણો મળ્યા છે અને સંદિગ્ધ કેસ હોવાનું જણાય છે. આ શખ્સનો રિપોર્ટ પૂણેની લેબમાંથી આવવાનો બાકી છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના યુવકમાં કોરોનાના નવા લક્ષણો હોવાની સંભાવનાને પગલે તેને અલગ કરી આઈસોલેટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેના પરિવારના લોકોને પણ ક્વોરન્ટાઈન કરી તેમના એન્ટીજેન રિપોર્ટ કરવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી વિગોત મુજબ રાજકોટના યુવકના પરિવારના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હોવાથી હવે તેના પરિવારના લોકોમાં કોરોનાના નવા સ્ટ્રેનનના લક્ષણો છે કે કેમ તે જાણવા તેમના રિપોર્ટ પૂણે મોકલવામાં આવ્યા છે.
ઓક્સફોર્ડની કોવિશિલ્ડ વેક્સીનના ઈમર્જન્સી ઉપયોગ માટે મળી મંજૂરી
2021 કેલેન્ડર વર્ષના પહેલા જ ભારત સરકારે ભારતીય લોકોને મોટી રાહતના સમાચાર આપ્યા છે. કેન્દ્ર સરકારે કોરોના વાયરસ માટે ભારતમાં ઉપયોગમાં લેવા માટેની પ્રથમ વેક્સીનના ઇમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકાર રચિત એક્સપર્ટ પેનલે ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા દ્વારા તૈયાર કરવામાં આવેલી કોવિશિલ્ડ વેક્સીનને આજરોજ તા.1લી જાન્યુઆરીને શુક્રવારે ઈમર્જન્સી ઉપયોગ માટેની મંજૂરી આપી દીધી છે. આ સાથે જ ભારત યુકે અને આર્જેન્ટિના બાદ ઓક્સફોર્ડની વેક્સીનને મંજૂરી આપનારો ત્રીજો દેશ બની ગયો છે.
ઓક્સફોર્ડની કોરોના વેક્સીન ભારતની કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે. સીરમ ઈન્સ્ટિટ્યુટે 50 મિલિયન ડોઝ તૈયાર રાખ્યા છે અને તેમાના મોટા ભાગના ડોઝ ભારતમાં જ આપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું છે કે કોરોનાની વેક્સીન શનિવારે કોલ્ડ સ્ટોરેજમાંથી ભારના અન્ય રાજ્યોમાં ઝડપથી પહોંચાડવામાં આવશે.
ભારત જેવા દેશ માટે ઓક્સફોર્ડની કોવિશિલ્ડ વેક્સીન એકદમ યોગ્ય છે કેમ કે ફાઈઝર અને મોડર્નાની કોવિડ-19 વેક્સીનની જેમ ઓક્સફોર્ડની વેક્સીનને સ્ટોરેજ માટે અત્યંત નીચા તાપમાનની જરૂર નથી અને તે ઘરમાં વપરાતા ફ્રીઝ ટેમ્પરેચર (2થી 8 ડિગ્રી સેલ્સિયસ)માં પણ સ્ટોર કરી શકાય છે. તેથી શરૂઆતથી જ ઓક્સફોર્ડની વેક્સીન પર ભારતની નજર હતી. આ ઉપરાંત ઓક્સફોર્ડની વેક્સીનની કિંમત પણ અન્ય વેક્સીનની તુલનામાં સસ્તી છે. આ વેક્સીનના બે ડોઝ 1,000 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે. ઓક્સફોર્ડની વેક્સીનની અસરકારકતા 95 ટકા છે.
ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટુરીઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી)ની ઇ-ટિકેટિંગ માટેની અપગ્રેડેડ વૅબસાઇટનું રેલવે પ્રધાન પીયૂષ ગોયલે ગુરુવારે ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે એમણે જણાવ્યું હતું કે દેશની સેવા માટે રેલવે પ્રતિબદ્ધ છે અને રેલવેનો પ્રવાસનો અનુભવ વધુ સુખમય બની રહે એ માટે સતત પ્રયાસ કરતી રહી છે. ઑનલાઇન ટિકિટ બુકિંગ માટેની અપગ્રેડેડ વૅબસાઇટ પ્રવાસીઓ માટે વધુ સુવિધામય સાબિત થશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા યોજના અને દૃષ્ટિ પ્રમાણે રેલવેએ પોતાની વૅબસાઇટમાં સતત સુધારો કરતા રહીને એને વિશ્ર્વની સૌથી શ્રેષ્ઠ વૅબસાઇટ બનાવવી જોઇએ.
રેલવે મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું હતું કે અપગ્રેડ કરાયેલી વૅબસાઇટ અને ઍપ દ્વારા યુઝર્સને ઉચ્ચસ્તરિય સેવાનો અનુભવ થશે. નવા સુધારામાં ગ્રાહકોના અનુભવને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રેલવે ટિકિટિ બુક કરવા માટેની આ વૈશ્ર્વિક કક્ષાની વૅબસાઇટની ડિઝાઇન બનાવતી વખતે રેલવેના ગ્રાહકોની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. હવે આ વૅબસાઇટ કે ઍપ દ્વારા ટ્રેનની ટિકિટની બુકિંગ, પ્રવાસ વખતે ભોજનનું બુકિંગ અને રહેવાની વ્યવસ્થાની સગવડ એક સાથે કરી શકાશે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉમેરો કરાયો હોવાથી હવે ટિકિટ બુકિંગમાં ઓછો સમય લાગશે. રિફંડ માટેની પ્રક્રિયા પણ સરળ બનાવાઇ છે તથા રેગ્યુલર કે ફેવરિટ પ્રવાસ માટેની ટિકિટ સંબંધિત વિગતો ભરીને આપોઆપ બુક કરી શકાશે.
ટ્રેન માટેની શોધ અને પસંદગી પણ હવે એક જ પાનાં પર મૂકવામાં આવ્યા છે, જેથી બુકિંગ ઝડપથી થઇ શકે. હવે ફક્ત ટ્રેન પસંદ કરીને ‘બુક’ પર ક્લિક કરીને તમે ટિકિટ બુક કરાવી શકશો. અગાઉ દરેક ટ્રેન પર ક્લિક કર્યા બાદ બેઠકની ઉપલબ્ધતા અને ટિકિટનો ભાવ જાણવા મળતો હતો.
યુરોપ તથા મિડલ ઈસ્ટ અને દક્ષિણ આફ્રિકાથી આવેલા પ્રવાસીઓને ભાયખલામાં આવેલા જંબો કોવિડ -૧૯ સેન્ટરમાં મફતમાં ક્વોરન્ટાઈનની સગવડ આપવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને લીધો છે.
બ્રિટનમાં મળી આવેલા કોરોનાના નવા સ્ટ્રેનને પગલે યુરોપ, મિડલ ઈસ્ટ અને દક્ષિણ આફ્રિકાથી આવનારા પ્રવાસીઓને ફરજિયાત કવોરન્ટાઈન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ તમામ લોકો માટે પાલિકાએ હૉટલોમાં પ્રવાસીઓને તેમના ખર્ચે ક્વોરન્ટાઈનની સગવડ કરી હતી પણ હૉટલમાં રહેવાનું મોંઘુ પડતું હોવાને કારણે ક્વોરન્ટાનથી બચવા માટે અનેક પ્રવાસીઓ આંતરરાષ્ટ્રીય ફલાઈટથી સીધા મુંબઈ આવવાને બદલે બીજા રાજ્યોમાં જઈને મુંબઈ આવી રહ્યા હોવાનું જણાઈ આવતા પાલિકા પ્રશાસન ચોંકી ગઈ છે.
પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીના કહેવા પ્રમાણે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરી આવેલા પ્રવાસીઓને તેમને હૉટલમાં સાત દિવસ ફરજિયાત રીતે ક્વોરન્ટાઈ થવાનું પરવડતું ન હોવાનું ફરિયાદ કરી છે. આ લોકો બીજા રાજ્યમાંથી ટ્રેન, બાય રોડ અથવા ડોમેસ્ટિક ફલાઈટ પકડીને મુંબઈ આવી રહ્યા છે. બીજા રાજયમાં મહારાષ્ટ્રની માફક સાત દિવસનો ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઈન ફરજિયાત ન હોવાથી તેઓ તેનો ફાયદો લઈ રહ્યા છે. આ રીતે તેઓ મુંબઈ આવી રહ્યા છે, તેમાં જો કોઈ પ્રવાસી બ્રિટનમાં મળી આવેલા નવો કોરોનાનો ચેપ લઈને આવ્યો હશે અને તે અહીં મુંબઈમાં ફેલાવાનો ભય છે.
ક્વોરન્ટાઈન ટાળવા માટે પ્રવાસીઓ પોતાના સહિત અન્યના જીવ જોખમમાં મૂકી રહ્યા હોવાનું જણાયા બાદ મિડલ ઈસ્ટ અને યુરોપથી આવેલા પ્રવાસીઓને હૉટલમાં ક્વોરન્ટાઈન થવાનું પરવડતું ના હોય તેવા લોકો માટે ભાયખલામાં આવેલા જંબો સેન્ટરમાં મફતમાં ક્વોરન્ટાઈનની સગવડ આપવાનો નિર્ણય લીધો હોવાનું સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.
નિયમ મુજબ યુરોપ, મિડલ ઈસ્ટ અને દક્ષિણ આર્ફિકાથી આવનારા પ્રવાસીઓની સ્ક્રીનિંગ કર્યા બાદ તેમને શહેરમાં આવેલી હૉટલમાં સાત દિવસ ફરજિયાત ક્વોરન્ટાઈન થવાનું છે. આ દરમિયાન પાંચમા અને સાતમા દિવસે તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો તો તેમને ઘરે સાત દિવસ ક્વોરન્ટાઈન થવાની શરતે હૉટલમાંથી છોડવામાં આવે છે. આ હૉટલોના ભાડા ૧,૫૦૦ રૂપિયાથી લઈને ૪,૫૦૦ રૂપિયા સુધી પ્રતિદિન છે. ટેસ્ટ દરમિયાન જો કોઈ પ્રવાસી પોઝિટિવ જણાતો તો તેને તુરંત હૉસ્પિટલ દાખલ કરવામાં આવે છે અને તેમને કોરોનાનો નવો સ્ટ્રેનનો ચેપ તો નથી લાગ્યો તે તપાસ કરવા માટે તેમના સેમ્પલ પુણેમાં આવેલી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજીમાં તપાસ માટે મોકલવામાં આવે છે.
હવામાન નિષ્ણાતોના મતે ઉ. ગુજરાત સહિત રાજ્યના કેટલાક પંથકોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. 2 થી 3 જાન્યુઆરી ઉ.ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે.
આગાહી મુજબ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પંચમહાલમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. આ પંથકોમાં બે દિવસ કમોસમી વરસાદથી ઠંડીનું પ્રમાણ ઘટશે. 4 જાન્યુઆરી બાદ ઠંડીનું પ્રમાણ વધશે એટલું જ નહીં નિષ્ણાતોના મતે 10 જાન્યુઆરી સમગ્ર રાજયનું હવામાન બદલાઈ જશે.
આગાહી મુજબ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પંચમહાલમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. આ પંથકોમાં બે દિવસ કમોસમી વરસાદથી ઠંડીનું પ્રમાણ ઘટશે. 4 જાન્યુઆરી બાદ ઠંડીનું પ્રમાણ વધશે એટલું જ નહીં નિષ્ણાતોના મતે 10 જાન્યુઆરી સમગ્ર રાજયનું હવામાન બદલાઈ જશે.
નવા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 34 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનનો કોઈ ઉકેલ આવતો દેખાતો નથી. 40 ખેડૂત સંગઠનો આંદોલનમાં સામેલ છે અને તા.30ને બુધવારે કેન્દ્ર સરકાર સાથે 7મા તબક્કાની પ્રસ્તાવિત વાતચીત પહેલા કિસાન મજદૂર સંઘર્ષ સમિતિએ વાતચીતનો ઈન્કાર કરી નવા વર્ષમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવા એલાન કર્યું છે.
સરકારે બેઠક માટે કોઈ નક્કર એજન્ડા રજૂ કર્યો નથી અને ખેડૂતો વિરુદ્ધ દુષ્પ્રચાર કરે છે. સરકાર માત્ર કાયદામાં સંશોધન ઈચ્છે છે જ્યારે ખેડૂતોની માગ નવા કાયદા રદ્દ કરવાની અને એમએસપી અંગે કાયદાકીય ગેરેન્ટી આપવાની છે.
અન્યોએ સરકાર સાથે વાતચીતનો પ્રસ્તાવ સ્વીકારી કાયદા રદ્દ કરવા અને એમએસપી અંગે પોતાની માગનો પુનરોચ્ચાર કર્યો હતો. કિસાન મજદૂર સંઘર્ષ સમિતિએ કહ્યું કે તે બુધવારની બેઠકમાં સામેલ નહીં થાય. સરકાર પાસે કોઈ નક્કર એજન્ડા નથી. સમિતિના પંજાબ પ્રદેશ અધ્યક્ષ સતનામ સિંહ, રાજ્ય સચિવ સરવનસિંહ પંઢેર અને સવિંદરસિંહ ચૌટાલાએ કહ્યું કે નીતિ આયોગનું નિવેદન, વડાપ્રધાન અને અન્ય મંત્રીઓનાં ભાષણ માત્ર નવા કૃષિ કાયદાના અમલીકરણનો બચાવ કરે છે.
ખેડૂત સંગઠનો સાથેની પ્રસ્તાવિત વાતચીત પહેલા કૃષિ મંત્રી તોમરે આપેલું નિવેદન ચર્ચાસ્પદ બન્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન પર કોઈ દબાણ કામ નહીં કરે. અગાઉની યુપીએ સરકારનાં શાસનમાં મનમોહન અને શરદ પવાર ઈચ્છતા હતા કે કૃષિ કાયદા બને પરંતુ દબાણ અને પ્રભાવનો સામનો કરી શક્યા નહીં. ખેડૂત નેતા રાકેશ ટિકેતે આંદોલન ઉગ્ર બનાવવાના એલાન સાથે વિપક્ષ પર નિશાનો સાધ્યો છે તેમણે કહ્યું કે ક્રાંતિ હવે ચિન્ગારી બનશે. સરકારે ખેડૂતોની વાત માની લેવી જોઈએ. દેશમાં વિપક્ષ મજબૂત નથી નહીં તો અમારે રસ્તા ઉપર ઉતરવાની જરૂર પડત નહીં.
કોરોના વાયરસનો નવો સ્ટ્રેન હવે ભારતમાં પ્રવેશ્યો હોવાની પુષ્ટિ થઈ છે. બ્રિટનથી પરત ફરેલા લોકો પૈકી છ મુસાફરો સંક્રમિત મળ્યા છે જેમાં કોરોનાનો નવો મ્યુટન્ટ મળી આવ્યો છે. આ તમામ લોકોને સિંગલ આઈસોલેશન રૂમમાં રાખવામાં આવ્યા છે. આ તમામના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.
25 નવેમ્બરથી 23 ડિસેમ્બર વચ્ચે કુલ 33,000 પ્રવાસીઓ યુકેથી ભારતના અલગ-અલગ એરપોર્ટ પર ઉતર્યા હતા. જે પૈકી અત્યાર સુધી 114 લોકો કોરોના સંક્રમિત મળ્યા છે. આ તામના સેમ્પલને જ્યારે જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા તો છ લોકોમાં નવો સ્ટ્રેન મળ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનની શરૂઆત દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરી છે. આ સાથે જ તેમણે એરપોર્ટ એક્સપ્રેસ લાઇન અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC) સેવાની પણ શરૂઆત કરી છે. આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જનકપુરી પશ્ચિમથી બોટનિકલ ગાર્ડન સુધી મેટ્રોના 37 કિલોમીટર લાંબી મેજેંટા લાઈન પર આ સુવિધા શરૂ કરવામાં આવી છે.
ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પહેલી ડ્રાઇવરલેસ મેટ્રોનું ઉદ્ઘાટન દર્શાવે છે કે ભારત સ્માર્ટ સિસ્ટમ તરફ કેટલી ઝડપથી અગ્રેસર બની રહ્યું છે. 2025 સુધી 25 શહેરમાં મેટ્રો દોડાવવાનું લક્ષ્ય છે.
ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવતાં પીએમ મોદીએ કહ્યું કે, આજથી ત્રણ વર્ષ પહેલા મજેન્ટા લાઇનની શરૂઆત થઈ હતી. હવે આ લાઇન પર ડ્રાઇવરલેસ મેટ્રોની શરૂઆત થઈ રહી છે. દેશ ભવિષ્યની જરૂરિયાતો માટે કામ કરી રહ્યું છે. થોડા સમય પહેલા ભ્રમની સ્થિતિ બનેલી હતી, પરંતુ કોઈ ભવિષ્યની તૈયારી નહોતી. જેના કારણે શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડિમાન્ડ સામે સપ્લાયમાં ઘણું અંતર આવ્યું. શહેરીકરણને પડકાર માનવામાં આવે અને અવસર તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે.
DMRCના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, મેજેન્ટા લાઈન પછી 57 કિલોમીટર લાંબી પિન્ક લાઈન પર ડ્રાઈવરલેસ મેટ્રોની શરૂઆત કરવામાં આવશે. જ્યારે પિન્ક અને મેજેન્ટા લાઈનો તૈયાર કરવામાં આવી હતી તો એને કમ્યુનિકેશન બેઝ્ડ ટ્રેન કન્ટ્રોલ સિગ્નલિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવી હતી.
NCMCને એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર સંપૂર્ણપણે સંચાલિત કરવામાં આવશે. તેની સાથે જ દેશના કોઈ પણ હિસ્સાથી ઇસ્યૂ રૂપે ડેબિટ કાર્ડ રખનારા કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ કરી માર્ગ પર યાત્રા કરી શકશે. આ સુવિધા 2022 સુધી દિલ્હી મેટ્રોના તમામ નેટવર્ક પર ઉપલબ્ધ થઈ જશે.
મેટ્રોની તમામ લાઇનો પર 2022 સુધી મુસાફરોને કોમન મોબિલિટી કાર્ડથી મુસાફરી કરવાની તક મળશે. ડીએમઆરસી તરફથી હાલમાં 390 કિલોમીટરમાં 11 કોરિડોરના 285 સ્ટેશનોની વચ્ચે મુસાફરોને મેટ્રો સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
મધ્ય પ્રદેશના બાંધવગઢ ટાઇગર રિઝર્વમાં ભારતમાં પહેલી વખત હૉટ ઍર બલૂન વાઇલ્ડ લાઇફ સફારીની શરૂઆત કરાઇ હોવાની માહિતી મધ્ય પ્રદેશના જંગલ ખાતાના પ્રધાન વિજય શાહે આપી હતી.
શાહે જણાવ્યું હતું કે આ સફારી ફક્ત બફર ઝોન સુધીની જ હશે અને લોકો વાઘ, ચિત્તા, ભારતીય રિંછ અને અન્ય જંગલી જાનવરોને ઊંચાઇથી જોઇ શકશે.
એમણે પત્રકારોને જણાવ્યું હતું કે આ સાથે બાંધવગઢ ટાઇગર અભયારણ્યમાં આવનાર પર્યટકો માટે વધુ એક ઍડવેન્ચર પ્રવૃત્તિનો ઉમેરો થયો છે. આ પ્રકારની સુવિધા દેશના અન્ય કોઇપણ અભયારણ્યમાં નથી. હવે આફ્રિકાના જંગલોની જેમ પર્યટકો ભારતમાં પણ હૉટ ઍર બલૂન સફારીનો આનંદ માણી શકશે.
રાજ્ય સરકાર આ પ્રકારની સેવા પેન્ચ, કાનહા અને પન્ના ટાઇગર રિઝર્વમાં પણ શરૂ કરવાની યોજના ઘડી રહી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.