Gujarat રાજ્યની 6 મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા, સુરત અને જૂનાગઢ મહાનગરની બે બેઠક (પેટા ચૂંટણી)ની ૨૧ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં કુલ ૧,૧૪,૯૯,૬૦૭ મતદાર મતદાન કરીને નક્કી કરશે કે રાજ્યના મહાનગરો પર ભાજપ રાજ કરશે, કોંગ્રેસનું શાસન આવશે કે પછી આપ મેદાન મારી જશે.
આમ તો ગુજરાતના શહેરી વિસ્તારો ભાજપાના મજબૂત ગઢ મનાય છે. ભાજપના ગઢ ગણાતા મહાનગરોમાં કોંગ્રેસ માટે ગાબડું કેવી રીતે પાડવું તે સૌથી મોટો પડકાર છે ત્યારે આ વખતે મહાનગરોની ચૂંટણીમાં કુલ ૫૪,૩૦૫ જેટલા નવયુવાનો જેઓ ૧૮ વર્ષના છે, તે પણ મહત્ત્વનો ભાગ ભજવશે.
કોંગ્રેસે ૨૦૧૫ની ચૂંટણીમાં ભાજપ શાસિત અનેક જિલ્લા પંચાયતો ઉપર કબજો જમાવ્યો હતો, પરંતુ શહેરી વિસ્તારોમાં ભાજપની મજબૂત પક્કડ છે તેમાં કેવી રીતે કોંગ્રેસ સફળતા મેળવે છે તેની ઉપર આ વખતે તમામની નજર છે. રાજ્યના સૌથી મોટા મહાનગર એવા અમદાવાદમાં ૨૪.૧૪ લાખ પુરુષ અને ૨૨ લાખ મહિલા મતદારો સાથે કુલ ૪૬.૨૪ લાખ મતદારો છે. આટલા વિશાળ સમુદાય સુધી પહોંચીને કેવી રીતે જે ભાજપ સમર્થિત મતદારો છે તેમને કોંગ્રેસ તરફી કરવા તેની કોંગ્રેસના નેતાઓ માટે આકરી કસોટી થશે. ૧૮ વર્ષ ઉપરના પ્રથમ વખત મતદાન કરનારા મતદારોથી લઇને સંખ્યાબંધ મતદારો જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે ભાજપના કોઇપણ ઉમેદવાર હોય તેને આંખો બંધ કરીને મત આપે છે. તેમને કોંગ્રેસ માટે મતદાન કરવા સમજાવવા તે કોંગ્રેસની થીન્ક ટેન્ક માટે સૌથી કપરી કામગીરી છે. તો ૮૦ વર્ષથી વધુ વયના મતદારો પણ મહાનગરોમાં મોટી સંખ્યામાં છે.
ખેડૂત સંગઠનોએ 6 ફેબ્રુઆરીએ ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે.
દિલ્હીની સરહદો પર ખેડૂતોના પ્રદર્શન સ્થળો પર સોમવારથી કિલ્લેબંધી શરૂ કરવામાં આવી હતી. પોલીસે સુરક્ષા વધારી દીધી છે અને બેરિકેડ્સની સંખ્યા પણ વધારી દીધી હતી. દિલ્હી-ઉત્તરપ્રદેશ સરહદ પર ગાઝીપુરમાં પરિવહનને અવરોધવા અનેક સ્તરના બેરિકેડ્સ ગોઠવાયા છે.
દિલ્હી પોલીસ કમિશ્નર એસ એન શ્રીવાસ્તવે સોમવારે ગાઝીપુર સરહદની મુલાકાત લઈ સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ વિસ્તાર ખેડૂત આંદોલનનું કેન્દ્ર બિન્દુ બન્યું છે. અધિકારીઓના મતે દિલ્હી પોલીસ કમિશ્નરે સુરક્ષાકર્મીઓ સાથે વાતચીત કરી અને તેમના આકરા પરિશ્રમની પ્રશંસા પણ કરી હતી.
કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણને પગલે દિલ્હી પોલીસે સરહદ પર લોખંડી બંદોબસ્ત ખડકી દીધો છે. વધારાનો પોલીસ કાફલો ખડકવા ઉપરાંત બેરિકેડ્સની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. દેખાવના સ્થળો પર અને તેની આસપાસના વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. લોકોને પગપાળા સરહદ ઓળંગતા રોકવા કાંટાવાળા તાર પણ ગોઠવવામાં આવ્યા છે.
આંદોલન સ્થળની નજીકના વિસ્તારમાં ઈન્ટરનેટ પ્રતિબંધ, અધિકારીઓ દ્વારા કથિત કનડગત અને અન્ય મુદ્દાઓ વિરુદ્ધ ત્રણ કલાક સુધી રાષ્ટ્રીય તેમજ સ્ટેટ હાઈવેને જામ કરીને દેશના અન્નદાતાઓ વિરોધ નોંધાવશે.
નગરપાલિકા અને પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે.
છ મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23મી ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે.
31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે જેની મતગણતરી બીજી માર્ચે કરવામાં આવશે.
ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા એક સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં કોરોનાકાળ વચ્ચે ચૂંટણી યોજાવાની હોવાથી મતદાન મથકોએ ચૂંટણી સ્ટાફ તથા પોલીસને ફેસશિલ્ડ, સેનિટાઈજર તથા માસ્ક પૂરા પાડવામાં આવશે.
મતદાન મથકોએ પણ મતદારો માટે સેનિટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવશે. કોરોનાનો ચેપ ન ફેલાય તેની તકેદારીના ભાગ રૂપે માસ્ક અને સેનિટાઈઝર જેવી વ્યવસ્થા પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો.
આજરોજ તા.16 જાન્યુઆરીને સવારે સાડા દસ કલાકથી ભારતમાં કોરોના કાળ વચ્ચે વેક્સિન અભિયાન શરૂ થયું છે. એન્ટી કોરોના વેક્સિન અભિયાનની વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે સવારે ૧૦.૩૦ વાગ્યાથી વીડિયો લિંક મારફત શરૂ કરાવ્યું હતું.
એન્ટી કોરોના રસી મૂકવાનો કાર્યક્રમ આખા દેશના બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવેલા ૩૦૦૬ કેન્દ્રમાં આજરોજ તા.16મી જાન્યુઆરી 2021થી શરૂ થયો છે. આ દરમિયાન બધા જ કેન્દ્રો વીડિયો લિંક દ્વારા જોડાયેલા રહ્યા હતા. દરેક કેન્દ્રમાં અંદાજે ૧૦૦ જેટલી વ્યક્તિને રસી મૂકવામાં આવી રહી છે.
આજે તા.16મી જાન્યુઆરીના પ્રથમ દિવસે આશરે 3 લાખ સ્વાસ્થ્યકર્મીઓનું રસીકરણ કરાશે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યા અનુસાર દેશમાં એક સાથે 3006 સ્થળે રસીકરણ અભિયાન હાથ ધરાય રહ્યું છે.આ અભિયાન લાંબુ ચાલશે અને તબક્કાવાર દેશની મોટાભાગની વસતીને આવરી લેવામાં આવશે. રોજ સવારે 9થી સાંજે પ સુધી રસીકરણ ચાલશે. સરકાર દ્વારા રસીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. 18 વર્ષ અને તેથી ઉપરની ઉંમરનાને જ રસી આપવામાં આવશે.
ભારતે તાજેતરમાં કોરોનાની બે વેક્સિન (કોવિશીલ્ડ, કોવેક્સિન)ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. દેશના વિવિધ શહેરોમાં વેક્સિનનો કુલ 1.6પ કરોડ ડોઝનો જથ્થો પહોંચી ચૂકયો છે. અગાઉ બે ડ્રાય રનનું સફળતાપુર્વક આયોજન કરાઈ ચૂકયુ છે. વડાપ્રધાન દ્વારા શનિવારે કોવિન (કોવિડ વેક્સિન ઈન્ટેલીજન્સ નેટવર્ક) એપ લોન્ચ કરવામાં આવી હતી. જેના દ્વારા અભિયાન પર દેખરેખ રાખવામાં આવશે. સાતેય દિવસ ર4 કલાક કાર્યરત હોટલાઈન 1057નો આરંભ કરવામાં આવ્યો હતો.
રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કામાં 3 કરોડ લોકોને આવરી લેવામાં આવશે જેમાં સરકારી અને ખાનગી ક્ષેત્રના સ્વાસ્થ્યકર્મીઓ (ડોકટર, નર્સ, ટેકનીશ્યન, લેબ વર્કર્સ, આઈસીડીએસ) અને કોરોના નિયંત્રણની કામગીરી કરી રહેલા ફ્રન્ટલાઈન વર્કર્સ (પોલીસકર્મીઓ, લશ્કરના જવાનો, હોમગાર્ડ, જેલનો સ્ટાફ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના સ્વયંસેવકો, સિવિલ ડિફેન્સ સંસ્થાનો, મનપા કર્મીઓ, રેવન્યૂ કર્મીઓ) સામેલ છે. કોરોના રસીકરણ અભિયાનનો ખર્ચ પીએમ કેર્સ ફંડમાંથી ઉઠાવવામાં આવશે.
રસી મૂકવાના કાર્યક્રમનું આયોજન તબક્કાવાર પ્રાથમિકતા ધરાવતા જૂથના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ સરકારી અને ખાનગી સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી મૂકવામાં આવશે.
વર્ધને જણાવ્યું હતું કે ભારતનો પોતાના નાગરિકોને કોરોનાની રસી મૂકવાનો કાર્યક્રમ આખા વિશ્ર્વમાં આ પ્રકારનો સૌથી મોટો કાર્યક્રમ હશે. કોવેક્સિન અને કોવિશિલ્ડ બંને પ્રકારની રસી સુરક્ષિત છે.
ક્ધટ્રોલરૂમની મુલાકાત દરમિયાન એમણે સ્વાસ્થ્ય મંત્રાલયે ડેવલપ કરેલી કો-વિન (ઑનલાઇન ડિજિટલ પ્લેટફોર્મ) પ્રણાલીનું સઘન નિરીક્ષણ કર્યું હતું. આ પ્રણાલી દ્વારા તુરંત જ રસીનો સ્ટોક, સ્ટોરેજનું તાપમાન અને વ્યક્તિગત રીતે રસી લેનારની માહિતી મેળવી શકાશે.
આ પ્રણાલી રાષ્ટ્રીય સ્તરે આ કામ માટે નીમાયેલા ખાસ મેનેજરોને રસીની પ્રક્રિયા દરમિયાન મદદ કરશે. તેઓ મેનેજરોને લાભકર્તાએ રસી મુકાવી કે નહીં, આયોજિત સત્ર અને ખરેખર યોજાયેલા સત્ર, કેટલી વેક્સિન વપરાઇ વગેરે માહિતી આપશે.
કેન્દ્ર સરકારે ખરીદેલો ૧.૬૫ કરોડ વેક્સિનનો જથ્થો બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પહેલા તબક્કા માટે મોકલી દેવાયો છે. બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પંદર દિવસમાં વધુમાં વધુ ૧૦ દિવસ કોવિડ-૧૯ના રસીકરણ માટે વાપરવાની સલાહ આપવામાં આવી છે.
સરકારે જણાવ્યા અનુસાર સૌ પ્રથમ અંદાજે એક કરોડ સ્વાસ્થ્યકર્મીઓને, ત્યાર બાદ અંદાજે બે કરોડ ફ્રન્ટલાઇન કર્મચારીઓ અને ત્યાર બાદ પચાસ વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની રસી મૂકવામાં આવશે. છેવટે પચાસ વર્ષથી ઓછી વયના લોકોને આ રસી મૂકવામાં આવશે.
સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઇન કર્મચારીઓની રસીનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે.
ઇન્ડિયન મૅડિકલ એસૉસિયેશને પોતાના અંદાજે ૩.૫ લાખ સભ્યને કોરોના સામેની રસી સ્વૈચ્છિક રીતે લેવા હાકલ કરી હતી કે જેથી વિશ્ર્વના અન્ય લોકો જોઇ શકે કે ભારતની આ બન્ને રસી સલામત અને અસરકારક છે.દેશના ડૉક્ટરોના સંગઠન ઇન્ડિયન મૅડિકલ એસૉસિયેશને રસીને લગતા વિજ્ઞાની ડેટા, નિષ્ણાતોની
સમિતિના અહેવાલની વ્યાપક સમીક્ષા કરીને અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચ તેમ જ વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઇઝેશન)ના નિષ્ણાતોની સાથે ચર્ચાવિચારણા કર્યા બાદ પોતાના આશરે ૩.૫ લાખ સભ્યને દેશની સરકારે બહાર પાડેલી કોવિડ-૧૯ સામેની બે રસી લેવા હાકલ કરી હતી.
ઇન્ડિયન મૅડિકલ એસૉસિયેશને જણાવ્યું હતું કે અમે ભારતની આ બન્ને રસી સલામત અને અસરકારક હોવાનું વિશ્ર્વને બતાવી આપવા માટે ૧,૮૦૦ સ્થાનિક શાખા ખાતે સ્વૈચ્છિક રીતે રસી લેવા આગળ આવવા અમારા સભ્યોને અનુરોધ કર્યો છે.
ઇન્ડિયન મૅડિકલ એસૉસિયેશને બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય વિજ્ઞાનીઓ, દેશમાંના અત્યાધુનિક દવાના નિષ્ણાતો અને ભારત સરકારે આ બે રસી બહાર પાડવા માટે કરેલું કાર્ય પ્રશંસાપાત્ર છે. આ બન્ને રસી દેશની પરિસ્થિતિ અને વાતાવરણને ધ્યાનમાં રાખીને સાચવવી અને વાપરવી સરળ છે.
તેણે જણાવ્યું હતું કે ભારત અત્યાધુનિક ઔષધના ક્ષેત્રે મહાસત્તા બનવા માટે આગળ વધી રહ્યું છે.
આજે મંગળવાર તા.12મી જાન્યુઆરી 2021ના રોજ સુપ્રીમ કોર્ટે કેન્દ્રમાં રહેલી મોદી સરકારને લપડાક આપતા સૂચના આપી હતી કે સુપ્રીમ કોર્ટ દ્વારા બીજો આદેશ ના આપવામાં આવે ત્યાં સુધી ત્રણ કૃષિ કાયદાની અમલવારી કરવી નહીં. ત્રણેય કૃષિ કાયદાઓ પર બેમુદતી સ્ટે આપવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરહદે વિરોધ કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે પડેલી મડાગાંઠને ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે કમિટીનું ગઠન કરવા જણાવ્યું છે.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ એ બોબડેની અધ્યક્ષતા હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, વધુ આદેશ ના અપાય ત્યાં સુધી કૃષિ કાયદાના અમલ પર રોક રહેશે. ખેડૂતોની સમસ્યા માટે સુપ્રીમ કોર્ટની ચાર સભ્યોની કમિટી રચવામાં આવશે.
સુનાવણી ચાલુ રહે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે ખેડૂતોને સહકાર આપવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે, કોઈપણ તાકાત તેમને ત્રણ કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા ઘમસાણને ઉકેલવા કમિટી રચવાથી રોકી શકે તેમ નથી.
કોર્ટની Modi Governmentને ફટકાર
નવા કૃષિ કાયદાનો વિરોધ કરતી અનેક અરજીઓની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે સરકાર અને ખેડૂતો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટ જે રીતે આગળ વધી રહી છે, એ નિરાશાજનક છે અને આ મામલે અમે મંગળવારે ચુકાદો જાહેર કરીશું.
સુનાવણી વખતે કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે તેઓ એક કમિટી બનાવશે અને જે ખેડૂતો આ કાયદાને ટેકો આપે છે, એમને કમિટી સમક્ષ આવીને આ વાત કહેવા દો. ત્યાં સુધી તમે કૃષિ કાયદાનો અમલ રોકી રાખો.
અમે કોઇપણ કાયદા પર સ્ટે આપવાની તરફેણમાં નથી, પણ એટલું જ કહેવા માગીએ છીએ કે કાયદાનો અમલ હમણાં ન કરો. કૃષિ કાયદા પર સ્ટે તમે આપશો કે અમે પગલું ભરીએ?
ચીફ જસ્ટિસ બોબડે અને જસ્ટિસ એસ. એસ. બોપન્ના તથા વી. રામાસુબ્રમનિયનની ખંડપીઠે જણાવ્યું હતું કે કેટલાક લોકોએ આત્મહત્યા કરી છે, વૃદ્ધો અને મહિલાઓ આંદોલનમાં જોડાયા છે. આ શું ચાલી રહ્યું છે? આ કાયદા સારા હોવાની વાત કરતી હોય એવી એકપણ અરજી અમારી સમક્ષ આવી નથી.
કૃષિ કાયદાના થઇ રહેલા વિરોધનો ઉકેલ લાવવા માટે સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ આર. એમ. લોઢાની આગેવાનીમાં કમિટી બનાવવાનો પ્રસ્તાવ કર્યો હતો.
ખંડપીઠે જણાવ્યું હતું કે તેઓ પોતાનો આદેશ તબક્કાવાર રીતે જાહેર કરશે.
સરકાર અને ખેડૂતો વચ્ચેની આઠમી વાટાઘાટ નિષ્ફળ ગઇ હતી અને હવે ૧૫મી જાન્યુઆરીએ ફરીથી બંને પક્ષના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાવાની છે.
West Bengal, Jan 04 (ANI): West Bengal Chief Minister Mamata Banerjee addresses during a press conference, in Kolkata on Monday. (ANI Photo)
પશ્ચિમ બંગળાના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોના વેક્સિનને લઇને એક મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, તેમના રાજ્યમાં લોકોને કોરોનાની વેક્સિન મફ્તમાં આપવામાં આવશે. સરકાર આની માટે તમામ સ્તર પર વ્યવસ્થા કરી રહી છે. દેશભરમાં 16 જાન્યુઆરીથી કોરોનાની વેક્સિન આપવામાં આવશે. વેક્સિનેશનના શરૂઆતના તબક્કામાં પહેલાં સ્વાસ્થ્યકર્મીઓ, ફ્રન્ટલાઇન કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. એક અનુમાન પ્રમાણે, તેમની સંખ્યા લગભગ ત્રણ કરોડ છે.
બંગાળમાં આ વર્ષે યોજાનારી વિભાનસભાની ચૂંટણી પહેલાં મમતાની આ જાહેરાત મહત્વની માનવામાં આવી રહી છે. વેક્સિન મફ્તમાં આપવાના નિર્ણય અંગે મમતા બેનર્જીએ સરકારી આદેશ પણ જાહેર કરી દીધો છે.
મમતા બેનર્જીએ કહ્યું કે, હું આ જાહેરાત કરતાં ખુશી અનુભવું છે કે અમારી સરકાર રાજ્યના તમામ લોકોને વિના મૂલ્યે કોરોનાની વેક્સીનની સુવિધા આપવાની વ્યવસ્થા કરી રહી છે. મમતા બેનર્જી સરકારની આ જાહેરાત પર ભાજપનું કહેવું છે કે મમતા કેન્દ્ર સરકારના કામની ક્રેડિટ લેવાનો પ્રયાસ કરી રહી છે.
ગયા અઠવાડિયે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું હતું કે, ત્રણ કરોડ ફ્રન્ટ લાઇનર્સને આ વેક્સિન મફ્તમાં આપવામાં આવશે. દેશની બાકીની જનતાને વેક્સિન માટે પૈસા ચૂકવવા પડશે કે કેમ, તે અંગે હજુ ચિત્ર સ્પષ્ટ નથી. કહેવાઇ રહ્યું છે કે, રાજ્ય સરકાર નક્કી કરશે કે તેમના લોકોને મફ્તમાં વેક્સિન મળશે કે પૈસા ચૂકવવા પડશે.
ભારતમાં ૧૬ જાન્યુઆરીથી કોવિડ-૧૯ સામે રસીકરણની ઝુંબેશ શરૂ કરાશે. ત્રણ કરોડ હૅલ્થકૅર અને ફ્રન્ટલાઇન વર્કરને પ્રાધાન્ય અપાશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામેની રસીકરણની આ સૌથી મોટી ઝુંબેશ ગણાવી હતી.
સરકારે જણાવ્યું હતું કે મોદીએ કોવિડ-૧૯ના રસીકરણની ઝુંબેશ માટેની રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની તૈયારીની ઉચ્ચ સ્તરની બેઠકમાં સમીક્ષા કરી હતી અને તે પછી રસીકરણ ૧૬ જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.
સરકારે સ્પષ્ટતા કરી હતી કે લોહડી, મકર સંક્રાંતિ, પોંગલ, માઘ બિહૂ જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને જ ૨૦૨૧ની ૧૬ જાન્યુઆરીથી દેશમાં કોવિડ-૧૯ સામેના રસીકણના કાર્યક્રમને શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.
રસીકરણમાં હૅલ્થકૅર, ફ્રન્ટલાઇન વર્કરને પ્રાથમિકતા આપ્યા બાદ પચાસ વર્ષથી મોટી વયના લોકો અને એકથી વધુ રોગના લક્ષણ ધરાવતા દરદીઓને રસી અપાશે. દેશમાં આવા કુલ લોકોની સંખ્યા અંદાજે ૨૭ કરોડ છે.
મોદીએ ઉચ્ચ સ્તરની બેઠક બાદ ટ્વીટ કર્યું હતું કે ભારતમાં કોવિડ-૧૯ સામેની લડતમાં ૧૬ જાન્યુઆરીથી મોટા પાયે રસીકરણ શરૂ કરાશે.
તેમણે જણાવ્યું હતું કે રસીકરણમાં આપણા બહાદુર ડૉક્ટરો, હૅલ્થકૅર અને સફાઇ કર્મચારીઓ સહિતના ફ્રન્ટલાઇન વર્કરને પ્રાધાન્ય અપાશે. ભારતે તાજેતરમાં બે રસી – સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલી ઑક્સફર્ડની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને તાકીદના વપરાશ માટે મંજૂરી આપી હતી. દેશમાં નોંધાયેલા કોરોનાના અંદાજે ૧.૦૪ કરોડ દરદીમાંથી હાલમાં આશરે ૨,૨૪,૧૯૦ ઍક્ટિવ કૅસ છે. અત્યાર સુધીમાં કોરોનાથી ૧.૫ લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
ભારતીય રેલવેએ બુધવારે 6 જાન્યુઆરી 2020એ મહત્વની જાહેરાત કરતા રેલવે મુસાફરો જોગ જણાવ્યું હતું કે હવે કેન્સલ કરવામાં આવેલી ટિકીટનું રિફંડ 6 મહિનાની જગ્યાએ 9 મહિના સુધી મળવાપાત્ર થશે. આવું કરવા પાછળનું કારણ એ છે કે હજારો મુસાફરો કોરોના કાળ દરમિયાનમાં તેમની બુક્ડ કરેલી ટિકિટ કૅન્સલ કરાવી શક્યા નથી. હાલના છ મહિનાના ગાળામાં રિફન્ડ મેળવવા સક્ષમ નથી, પરીણામે હવે 9 મહિના સુધી કેન્સલ્ડ ટિકીટનું રિફંડ કરવામાં આવશે.
ભારતમા મોટી સંખ્યામાં બુક્ડ કરાયેલી ટ્રેન ટિકીટો હજુ સુધી પેસેન્જરોએ કેન્સલ કરાવી છે પરંતુ, હજી તેમની કેન્સ્લ થયેલી ટિકિટો માટેનું રિફન્ડ મેળવવું બાકી છે, તેથી ઘણી ઝોનલ રેલવેએ સૂચનો અને વિનંતી કર્યાં હતાં, જેને પગલે ટિકિટ કૅન્સલ કરવા માટે અને રિફન્ડ મેળવવા માટે ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે, તેમ ભારતીય રેલવેએ યાદીમાં જણાવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે પેસેન્જરોએ નાણાં ગુમાવવાની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભારતીય રેલવે મહામારીને કારણે કૅન્સલ થયેલી ટ્રેનોનું પૂરું રિફન્ડ ચૂકવશે. સ્ટેશન પર બુકિંગ કરનારા પેસેન્જરો કાઉન્ટર પર તેમની ટિકિટો જમા કરાવીને ડિપાર્ચર ડેટ (ટ્રેન ઉપડવા તારીખ)ના નવ મહિનાની અંદર રિફન્ડ મેળવી શકશે. ઑનલાઇન ટિકિટ બુક કરાવનારા પેસેન્જરો ભારતીય રેલવે જ્યારે પણ ટ્રેન રદ કરે ત્યારે ઑટોમેટિક ઑનલાઇન રિફન્ડ મેળવશે.
કોરોના કાળ દરમિયાન શરુ થયેલા નવા વર્ષના આરંભમાં જ દેશને બીજી કોરોના વેક્સીન મળી ગઇ છે. ભારતની સ્વદેશી વેક્સીન અને ભારત બાયોટેક દ્વારા તૈયાર કોવેક્સીનને દેશમાં ઇમરજન્સી ઉપયોગ માટે CDSCO ની મંજૂરી મળી ગઇ છે.
આ પહેલા નવા વર્ષના પહેલા જ દિવસે દેશમાં ઇમરજન્સી ઉપયોગ માટે કોવિશીલ્ડને મંજૂરી આપવામાં આવી હતી. આમ, વર્ષની શરુઆતના બે દિવસમાં દેશનો બે-બે કોરોના વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઇ છે. કેન્દ્ર સરકાર હાલમાં વેક્સીનેશન કાર્યક્રમને લઇને દેશભરમાં ડ્રાય રન ચલાવી રહી છે. જેથી વેક્સીનેશન એક્શન પ્લાનની તૈયારીઓની પૂર્ણ ચકાસણી થાય.
કોરોના વેક્સીનની ઇમરજન્સીની સ્થિતિમાં ઉપયોગ પર મંજૂરી મળતા દેશભરમાં હવે વેક્સીનેશન કાર્યક્રમ જલ્દીથી શરુ થાય એની આશા જાગી ઉઠી છે. બીજી તરફ કેન્દ્ર સરકાર પણ દાવો કરી રહી છે કે, રસીકરણ માટે જરુરી તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. નોંધનીય છે કે કોરોના વેક્સીનને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજથી લઇને તેની વહેંચણી સુધી વ્યવસ્થા એક મોટો પડકાર સમાન છે. કેન્દ્ર સરકાર આ મુદ્દે શરુઆતથી જ કાર્યરત હોવાનો દાવો કરી રહી હતી કે, વેક્સીનેશન માટે જરુરી કોલ્ડ સ્ટોરેજ ચેઇન દેશભરમાં તૈયાર છે અને હવે કોરોના વેક્સીનની રાહ જોવામાં આવી રહી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.