છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા વધુ ૨૫,૩૨૦ કેસ નોંધાતા કોરોનાના કેસની સંખ્યાનો કુલ આંક ૧,૧૩,૫૯,૦૪૮ પર પહોંચી ગયો હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું. છેલ્લાં ૮૪ દિવસમાં કોરોનાના દૈનિક નવા વધુ કેસનો આ સર્વોચ્ચ આંક હતો, એમ તેમણે કહ્યું હતું. છેલ્લે ૨૦ ડિસેમ્બરે દેશમાં કોરોનાના ૨૬,૬૨૪ કેસ નોંધાયા હતા.
છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે વધુ ૧૬૧ જણનાં મોત થયાં જે છેલ્લાં ૪૪ દિવસમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારાંઓનો સર્વોચ્ચ આંક હતો એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ સાથે જ દેશમાં કોરોનાનો કુલ મરણાંક ૧,૫૮,૬૦૭ પર પહોંચી ગયો છે. દેશમાં હાલ કોરોનાના ૨,૧૦, ૫૪૪ સક્રિય કેસ છે જે કુલ કેસના ૧.૮૫ ટકા છે.
દેશમાં કોરોનાના દરદીઓની સંખ્યાનો આંક ૭ ઑગસ્ટે ૨૦ લાખ, ૨૩ ઑગસ્ટે ૩૦ લાખ, પાંચ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ, ૨૮ સપ્ટેમ્બરે ૬૦ લાખ, ૧૧ ઑક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઑક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે એક કરોડનાં આંકને વટાવી ગયો હતો.
આઈસીએમઆરના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં દેશમાં કુલ ૨૨,૬૭,૦૩,૬૪૧ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, પંજાબ, કર્ણાટક, તમિળનાડુ અને મધ્ય પ્રદેશમાં જ કોરોનાના દૈનિક નોંધાતા નવા દરદીઓમાંના ૮૭.૭૩ ટકા દરદી ધરાવે છે.
કોવિડ-૧૯ના છેલ્લા એક દિવસમાં મહારાષ્ટ્રમાં ૧૫,૬૦૨, કેરળમાં ૨,૦૩૫ અને પંજાબમાં ૧,૫૧૦ નવા દરદી નોંધાયા હતા.
દેશમાંના કોરોનાના કુલ ઍક્ટિવ દરદીઓમાંના ૭૬.૯૩ ટકા દરદી મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં જ નોંધાયા હતા.
દેશમાં કોરોનામાંથી ૧,૦૯,૮૯,૮૯૭ દરદી સાજા થયા હતા. નવા સાજા થયેલા દરદીઓમાંના ૮૩.૧૩ ટકા દરદી છ રાજ્યના જ હતા.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહારાષ્ટ્રમાં ૮૮, પંજાબમાં ૨૨ અને કેરળમાં ૧૨ કોરોનાના દરદી મૃત્યુ પામ્યાં હતાં.
દેશમાં કોરોનાની રસીના અંદાજે ૨,૯૭,૩૮,૪૦૯ ડૉઝ અપાયા હતા.
દેશના ૧૪ રાજ્ય – રાજસ્થાન, ઝારખંડ, પુડુચેરી, લક્ષદ્વીપ, મેઘાલય, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, લડાખ, મણિપુર, મિઝોરમ, આંદામાન અને નિકોબાર તેમ જ અરુણાચલ પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાથી એક પણ દરદી મૃત્યુ નહોતો પામ્યો.