છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે. જે મુજબ તારીખ 10મીથી 20મી જુલાઈ સુધી રાજ્યમાં માત્ર આઠ મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં જ રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. જેનો સમય રાત્રે 10થી સવારે 6 સુધીનો રહેશે. જ્યારે ભૂજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર, ગાંધીધામ અને વાપીમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તે શહેરોમાં દુકાનો, લારી-ગલ્લા, શોપીંગ કોમ્પ્લેક્સ વગેરે રાત્રે 9 કલાક સુધી ખુલ્લા રાખી શકશે. જોકે તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ અને કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિએ 31 જુલાઈ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા વાણિજ્ય એકમો ચાલુ રાખી શકાશે નહીં. કોર કમિટીએ એવો પણ નિર્ણય કર્યો છે કે રેસ્ટોરેન્ટ્સ રાત્રિના 09:00 કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડિલીવરી માટે રાત્રે 12 વાગ્યા સુધીની છૂટ અપાઈ છે.
જીમ 60% ક્ષમતા સાથે તેમજ જાહેર બાગ-બગીચાઓ રાત્રિના 09:00 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.’
આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 150 વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. જ્યારે અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ 40 વ્યક્તિઓની મંજૂરી રહેશે.
આ ઉપરાંત તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં ખુલ્લામાં મહત્તમ 200 વ્યકિતઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 ટકા (મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.
ધો.9થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ/ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના’ કાચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ 50% વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ ચાલુ રાખી શકાશે. શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજી શકાશે.’
વાંચનાલયો 60 ટકા ક્ષમતા સાથે અને પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 75% પેસેન્જ કેપેસીટીમાં ચાલુ રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટને કર્ફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવે છે. તમામ ડ્રાઇવર અને કંડક્ટરએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.
પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ’ સ્ટેડીયમ/સંકુલમાં’ રમતગમત’ ચાલુ રાખી શકાશે. રમતગમતમાં ભાગ લેનાર ખેલાડી, સપોર્ટ સ્ટાફ, ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.
સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ 60 ટકા કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. વોટરપાર્ક, સ્પા, સ્વિમિંગ પુલ બંધ રહેશે. તમામ છૂટછાટ સામે કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.