CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 20 of 139 - CIA Live

May 24, 2022
kedarnath.jpg
1min685

ભારે ગરમી વચ્ચે ઉત્તર ભારતમાં અનેક રાજ્યોમાં વરસાદ પડવાથી લોકોને ભારે રાહત થઇ હતી. સોમવારે દિલ્હી, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશના કેટલાક હિસ્સામાં વરસાદ પડયો હતો. જ્યારે સૌથી વધુ વરસાદ દિલ્હીમાં પડવાથી નીચા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઇ હતી. બીજી તરફ કેટલાક રાજ્યોમાં હજુ પણ ૪૫ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. 

જેમ કે ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં તાપમાન ૪૫.૯ ડિગ્રી રહ્યું હતું. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં હજુ પણ આગામી પાંચ દિવસ હીટવેવ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જોકે દેશના અન્ય કોઇ ભાગમાં આગામી પાંચ દિવસ સુધી હીટવેવ નહીં રહે તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી. સોમવારે સવાર સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં હરિયાણાના ફરિદાબાદમાં ૯ સેમી, ગુરુગ્રામમાં ૭ સેમી, દિલ્હીમાં ૫ સેમી વરસાદ પડયો હતો. જોકે સોમવારે દિવસ દરમિયાન દિલ્હીમાં વરસાદનું પ્રમાણ વધ્યું હતું. 

દિલ્હીમાં સોમવારે પવન સાથે વરસાદ પડયો હતો જેનાથી લોકોને ભારે ગરમીથી રાહત મળી હતી. સવારે જ પવન સાથે વરસાદ પડતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા જ્યારે કેટલાક મકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું. જેને પગલે આઠ લોકો ઘાયલ થયા હતા. જ્યારે વૃક્ષો પડી જવાથી નીચે પાર્ક કરાયેલા અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું. પવન સાથે વરસાદ પડવાથી દિલ્હીના અનેક વિસ્તારોમાં વિજળી જતી રહી હતી. જ્યારે જવલપુરી, ગોકલપુરી, શંકર રોડ અને મોતી નગરમાં મકાનો પડી જવાથી આઠ લોકો ઘવાયા હતા. 

વરસાદને કારણે તાપમાનમાં મોટો ઘટાડો થયો હતો.  દિલ્હીમાં હવામાને અચાનક પલટો મારતા ૪૦ જેટલી ફ્લાઇટ્સને અસર પહોંચી હતી. દિલ્હી એરપોર્ટે મુસાફરોને પોતાની ફ્લાઇટની જાણકારી મેળવ્યા પછી જ એરપોર્ટ આવવાની સુચના જારી કરવી પડી હતી.   બીજી તરફ ઉત્તરાખંડમાં પણ વરસાદ પડયો હતો, જેને પગલે કેદારનાથ યાત્રાને હાલ પુરતા અટકાવી દેવામાં આવી છે અને જ્યારે હવામાન સાફ થઇ જાય પછી તેને ફરી શરૂ કરવાનો નિર્ણય પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો હતો.

બીજી તરફ વરસાદને પગલે પંજાબથી અન્ય રાજ્યોમાં લઇ જવાતા ચોખાના ૧૫ હજાર બોરા પલળી ગયા હતા. જેને પગલે ચોખા બગડી ગયા હતા અને ગરીબોને મળનારા પંજાબના ચોખા બરબાદ થઇ ગયા હતા. જ્યારે અનેક ખેડૂતોએ ખુલ્લામાં મુકેલું અનાજ અને શાકભાજી પલળી ગયા હતા. ખાસ કરીને ચણા, મગફળી, મટર તેમજ અન્ય કઠોળ પલળી જવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. જ્યારે મધ્ય પ્રદેશના સાતના જિલ્લામાં મૈહાર હિલ સ્ટેશન પર રોપવેને ભારે વરસાદ અને પવનને પગલે અટકાવી દેવો પડયો હતો જેથી ૨૮ લોકો અધવચ્ચે જ અટવાઇ ગયા હતા.

May 17, 2022
gyanvapi.jpg
1min593

Gyanvapi Masjid Survey Will Start From Today Read Abp News Report About  Inside Mosque Area | Gyanvapi Masjid: आज से ज्ञानवापी का फिर शुरू हुआ  सर्वे, मस्जिद के अंदर ABP न्यूज ने

ઉત્તર પ્રદેશની બાબરી મસ્જિદ જેવો જ બીજો વિવાદ વારાણસીની જ્ઞાાનવાપી મસ્જિદને લઇને શરૂ થયો છે. આ મસ્જિદના પરિસરમાં વીડિયોગ્રાફીનું કામ પુરુ થઇ ગયું છે. આ વીડિયોગ્રાફી અને સર્વેની કામગીરી દરમિયાન મસ્જિદની અંદર એક શિવલિંગ મળ્યાનું સામે આવ્યું છે. જેને પગલે જે વિસ્તારમાંથી આ શિવલિંગ મળ્યું છે તેને સીલ કરી દેવા કહ્યું છે. જેથી આ જગ્યા પર કોઇ જ નહીં જઇ શકે. જોકે શિવલિંગ મળ્યાના દાવાને મુસ્લિમ પક્ષ દ્વારા નકારવામાં આવ્યા હતા. 

સાથે જ મસ્જિદમાં પણ હવે માત્ર ૨૦ જ મુસ્લિમો નમાઝ માટે જઇ શકશે. જે સ્થળે શિવલિંગ મળ્યું છે ત્યાં હવે કોઇને પણ જવા નહીં દેવાય, અને તેની સંપૂર્ણ સુરક્ષાની જવાબદારી પોલીસ અને કલેક્ટરને સોપી દેવામાં આવી છે. સોમવારે સર્વેનો ત્રીજો દિવસ હતો. હવે આ સંપૂર્ણ રિપોર્ટ અને વીડિયોગ્રાફીને કોર્ટમાં રજુ કરવામાં આવશે. બીજી તરફ આ મસ્જિદની કમિટીએ કોર્ટમાં દાવો કર્યો છે કે શિવલિંગ મળ્યાના દાવાથી કોર્ટને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. વજૂખાનામાં કોઇ શિવલિંગ નથી, અહીંયા માત્ર એક ફુવારો છે. જેના આકારને શિવલિંગ બતાવવામાં આવી રહ્યું છે. 

બીજી તરફ અલ્લાહાબાદ હાઇકોર્ટે સર્વે કરાવવા અને કમિશનરની નિમણંુક માટે જે પણ આદેશ આ મસ્જિદને લઇને આપ્યા છે તેને મસ્જિદ કમિટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા છે. જેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં મંગળવારે થઇ શકે છે. બીજી તરફ હિન્દૂ પક્ષનો દાવો છે કે મસ્જિદમાં સર્વેની કામગીરી દરમિયાન ૧૨ ફુટ ઉંચુ શિવલિંગ મળ્યું છે. વાદી પક્ષ લક્ષ્મી દેવીએ આ વિસ્તારમાં પૂજા કરવાની માગ કરતી અપીલ કોર્ટમાં કરી છે. તેમના પતિ સોહનલાલ આચાર્ય પણ સર્વેની ટીમમાં સામેલ છે. સોહનલાલે દાવો કર્યો હતો કે મસ્જિદમાં શિવનું મંદિર હોવાના પુરાવા મળ્યા છે. હવે અમે આ મસ્જિદની પશ્ચિમ તરફની દિવાલના કાટમાળની તપાસની પણ માગણી કરીશું. 

નોંધનીય  છે કે જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ પણ બાબરી મસ્જિદ જેટલો જુનો છે. સૌથી પહેલા ૧૯૯૧માં કોર્ટમાં અપીલ કરાઇ હતી અને પૂજાની છૂટ આપવાની અપીલ કરવામાં આવી હતી. બાદમાં ૧૯૯૩માં અલ્લાહાબાદ હાઇકોર્ટે યથાસ્થિતિ રાખવાનો આદેશ આપ્યો હતો. ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે સ્ટે ઓર્ડરની સમય મર્યાદા છ મહિના સુધીની નક્કી કરી હતી. ૨૦૧૯માં વારાણસીની કોર્ટમાં ફરીથી આ મામલે સુનાવણી શરૂ કરવામાં આવી હતી. ૨૦૨૧માં જ આ મસ્જિદની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફીનો આદેશ અપાયો હતો. જોકે વીડિયોગ્રાફીનો મુસ્લિમ પક્ષ દ્વારા વિરોધ કરાયો હતો, કોર્ટે ફરી વીડિયોગ્રાફીનો આદેશ આપ્યો હતો અને તેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.  

કર્ણાટકમાં હનુમાન મંદિર તોડી ટીપૂ સુલ્તાને મસ્જિદ બનાવી હોવાનો દાવો

– મુસ્લિમો પહેલા મંદિર હોવાનું સ્વીકારે છે : ઇશ્વરપ્પા

ઉત્તર પ્રદેશમાં જ્ઞાનવાપી મસ્જિદને લઇને વિવાદ ચાલી રહ્યો છે. એવામાં હવે કર્ણાટકમાં પણ આવો જ એક વિવાદ જાગ્યો છે. કર્ણાટકમાં ટીપૂ સુલ્તાનના સમયે બનાવવામાં આવેલી એક મસ્જિદને લઇને આ વિવાદ છેડાયો છે. 

બેંગાલુરુથી ૧૨૦ કિમી દૂર શ્રીરંગપટ્ટનમાં એક જામા મસ્જિદ આવેલી છે. આ મસ્જિદને ટીપૂ સુલ્તાનના સમયે બનાવવામાં આવી હોવાનો દાવો થઇ રહ્યો છે. જોકે કેટલાક હિન્દૂ સંગઠનોએ હવે દાવો કર્યો છે કે મંદિરને તોડીને ટીપૂ સુલ્તાન દ્વારા આ મસ્જિદ બનાવવામાં આવી હતી. આ દાવા સાથે જ હવે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા આ મસ્જિદમાં પૂજા કરવાની માગણી કરાવવામાં આવી છે. 

મંચના રાજ્ય સચિવ સીટી મંજૂનાથે દાવો કર્યો છે કે ટીપૂ સુલ્તાન સમયના જે પણ ડોક્યૂમેન્ટ્સ હાલ છે તેના પરથી સાબિત થાય છે કે આ મસ્જિદ બનાવવામાં આવી તે પહેલા ત્યાં હનુમાન મંદિર હતું. આ મસ્જિદની દીવારોં પર હિન્દૂ શિલાલેખ પણ મળ્યા છે. જે મંદિર વાળી થ્યોરીને બળ આપે છે. આ સ્થિતિ વચ્ચે કર્ણાટકના પૂર્વ મંત્રી કે એસ ઇશ્વરપ્પાએ કહ્યું હતું કે હવે મુસ્લિમો પણ એ વાતનો સ્વિકાર કરે છે કે ત્યાં મસ્જિદ પહેલા એક મંદિર હતું. 

May 15, 2022
bloodmoon.jpg
1min455

બ્લડમૂન તરીકે ઓળખાતી પૂર્ણ ચંદ્રગ્રહણની અસાધારણ અને અદ્ભુત ખગોળીય ઘટના રવિવારની રાતથી સોમવારની સવાર સુધી બનશે. આ ચંદ્રગ્રહણ મુખ્યત્વે સાઉથ અને નોર્થ અમેરિકા, એન્ટાર્કટિકા, યુરોપ, આફ્રિકા અને ઇસ્ટ પૅસિફિકમાં જોવા મળશે, ભારતમાં જોવા નહીં મળે. ભારતીયો આ ખગોળીય ઘટનાને અમેરિકાના નાસા (નેશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન)ના લાઇવ સ્ટ્રીમ પર જોઈ શકશે. 

ઇસ્ટર્ન ટાઇમ પ્રમાણે રવિવાર ૧૫ મેની રાતે ૯.૩૨ વાગ્યા (ભારતીય સમય પ્રમાણે સવારે ૭.૦૨ વાગ્યાથી ) સોમવારે પરોઢ પૂર્વે ૨.૫૦ વાગ્યા (ભારતીય સમય પ્રમાણે બપોરે ૧૨.૨૦ વાગ્યા સુધી) થનારા આ ચંદ્રગ્રહણના નાસા પર જીવંત પ્રસારણની સાથે લાઇવ કોમેન્ટ્રી પણ રહેશે. લાઇવ સ્ટ્રીમિંગનો સમય ઇસ્ટર્ન ટાઇમ પ્રમાણે રવિવારે રાતે ૧૧ વાગ્યા (ભારતીય સમય સવારે ૮.૩૩ વાગ્યા)થી ૧૨ વાગ્યા (ભારતીય સમય પ્રમાણે સવારે ૯.૩૩ વાગ્યા સુધી) રહેશે.  આ ગ્રહણના પૂર્ણરૂપમાં ચંદ્ર ચમકતા નારંગીથી લાલ ઈંટ જેવા ઘેરા રંગનો થતો હોય છે. તેથી તેને બ્લડમૂન પણ કહેવાય છે. આવી ઘટના દાયકાઓમાં ક્યારેક બનતી હોય છે. અગાઉ વર્ષ ૧૯૯૨માં આવું  ગ્રહણ થયું ત્યારે ચંદ્ર દૃષ્ટિમાન થતો નહોતો. એ વખતે ફિલિપાઇન્સમાં માઉન્ટ પિનાટૂબો ફાટવાના થોડા વખત પછી થયું હતું.

May 14, 2022
rain_forecast.png
1min434

 હવામાન ખાતાએ કેરળમાં ૨૭ મેએ નૈર્ઋત્યના ચોમાસાનો વરસાદ શરૂ થવાની આગાહી કરી હતી. કેરળમાં ચોમાસું સામાન્ય કરતાં પાંચ દિવસ વહેલું બેસવાની આશા છે. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે કેરળમાં ૨૭ મેએ ચોમાસું શરૂ થવાની શક્યતા છે. આ વખતે નૈર્ઋત્યનું ચોમાસું સામાન્ય તારીખ કરતાં વહેલું બેસવાની આશા છે. 

અગાઉ, ૨૦૦૯માં નૈર્ઋત્યનું ચોમાસું ૨૩ મેએ બેઠું હતું. હવામાન ખાતાના નિષ્ણાતોએ ‘અસાની’ વાવાઝોડાની અસરને લીધે કેરળમાં નૈર્ઋત્યનું ચોમાસું વહેલું શરૂ થવાની સંભાવના વ્યક્ત કરી હતી. 

કૃષિ પર આધારિત દેશના અર્થતંત્ર માટે નૈર્ઋત્યનું ચોમાસું ઘણું મહત્ત્વનું ગણાય છે. ઉત્તર અને પશ્ર્ચિમ ભારતનાં રાજ્યોમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે નૈર્ઋત્યના ચોમાસાના વહેલા આગમનની આગાહીથી ઘણી રાહત મળવાની આશા છે. અગાઉ, હવામાન ખાતાએ આંદામાન અને નિકોબારમાં નૈર્ઋત્યનું ચોમાસું એક અઠવાડિયા વહેલું એટલે કે ૧૫ મેએ બેસવાની આગાહી કરી હતી. તમિળનાડુ, પુડુચેરી, કેરળમાં શનિવારે ભારે વરસાદ પડવાની આગાહી છે.

May 13, 2022
electric.jpg
1min490

જર્કે FPPPAમાં વધુ ૨૦ પૈસાનો વધારો કરવાની છૂટ આપી

ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ યુનિટદીઠ રૂ. ૨.૩૦થી વધારીને રૂ. ૨.૫૦ કરી આપ્યા

ગુજરાત વીજ નિયમન પંચના નવા નિયુક્ત થયેલા ચેરમેને ગુજરાત ઉર્જા વિકાસ નિગમની ચાર વીજ વિતરણ કંપનીઓને વીજદરમાં ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ યુનિટદીઠ વધારે ૨૦ પૈસા લેવાની છૂટ આપી દીધી છે. પહેલી મે ૨૦૨૨થી વીસ પૈસાનો યુનિટદીઠ વધારો લેવાની છૂટ આપી દેવામાં આવી છે. પહેલા ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ યુનિટદીઠ રૂ. ૨.૩૦ લેવાતા હતા તે વધારીને રૂ. ૨.૫૦ લેવાની વ્યવસ્થા કરી આપી છે. એફપીપીપીએમાં યુનિટદીઠ ૨૦ પૈસાનો વધારો કરી આપવાને પરિણામે ગુજરાતના ૧.૩૦ કરોડ વીજ જોડાણધારકો પરના વીજબિલમાં વરસે રૂ. ૩૨૪૦ કરોડનો વધારાનો બોજ આવશે.

જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૨ના ત્રિમાસિક ગાળા માટે એફપીપીપીએમાં યુનિટદીઠ ૧૦ પૈસાનો વધારો કરી આપ્યા બાદ હવે બીજો ૨૦ પૈસાનો વધારો કરી આપવામાં આવ્યો છે. આમ છેલ્લા ચાર જ મહિનામાં એફપીપીપીએમાં યુનિટદીઠ વીજદરમાં ૫૦ પૈસાનો વધારો કરી આપવામાં આવ્યો છે. આમ તો ગુજરાત સરકારની વીજ વિતરણ કંપનીઓએ એફપીપીપીએની ફોર્મ્યુલા હેઠળ યુનિટદીઠ રૃ. ૨.૬૨ લેવાના થાય છે. તેમાંથી યુનિટદીઠ રૃ. ૨.૩૦ વસૂલવામાં આવતા હતા. મે ૨૦૨૨થી તેઓ હવે યુનિટદીઠ રૃ. ૨.૫૦ વસૂલી શકશે. તેથી મે અને જૂન મહિનાના વીજ બિલમાં યુનિટદીઠ ૨૦ પૈસાનો અને ૨૦૦ યુનિટના વીજ વપરાશકારોને માથે વીજ બિલમાં રૃ. ૪૦ અને ઇલેક્ટ્રિસિટી ડયૂટી સાથે રૃ. ૪૫થી ૪૮નો વધારો આવશે.

વીજદરના યુનિટદીઠ રૃ. ૩.૦૫ના સૌથી નીચા સ્લેબમાં એફપીપીપીએમાં ૪૪ ટકાનો વધારો આવ્યો છે. આ વધારો ૪૪ ટકાનો છે. વીજદર ન વધારવાનો દેખાવ કરીને લોકોને માથે ૪૪ ટકાના વધારાનો બોજ નાખી દેવા માટે માત્ર જર્ક જ જવાબદાર છે. ગુજરાતની મોંઘી વીજળી માટે જર્ક જ જવાબદાર છે.

જર્કે એવો દાવો કર્યો છે કે છેલ્લા છ વરસથી વીજદરમાં કોઈ જ વધારો આપવામાં આવ્યો નથી. પરંતુ બીજીતરફ તેણે એફપીપીપીએને નામે આડકતરી રીતે વીજદરમાં ૪૪ પૈસાનો વધારો આવી દીધો હોવાનું વીજ સેક્ટરના નિષ્ણાત કે.કે. બજાજનું કહેવું છે. છેલ્લા વીસ દિવસમાં યુનિટદીઠ ભાવમાં કરી આપવામાં આવેલા ૩૦ પૈસાના વધારાને કારણે વીજ ગ્રાહકોને માથે મહિને રૃ. ૨૭૦ કરોડનો વધારાનો બોજ આવશે. ગેસ અને કોલસાના ભાવ વધી ગયા છે. તેને કારણે પાવર પરચેજ કોસ્ટ ઊંચી જ જવાની છે. તેથી એફપીપીપીએ વધીને રૃ. ૨.૯૮ સુધી પહોંચી જશે.

ધોળા હાથીને બંધ કરીને ગ્રાહકોનો વીજદર વધારાનો બોજ હળવો કરો

ગુજરાતના ૧.૩૦ કરોડ વીજગ્રાહકોને માથેના અબજો રૃપિયાનો બોજ ઓછો કરવા માટે ગુજરાત સરકારની ધોળા હાથીઓ જેવી વીજ કંપનીઓ બંધ કરી દેવી જોઈએ. આ કંપનીઓ વીજળી પેદા ન કરતી હોવા છતાંય તેને માટે કરવામાં આવેલા મૂડીરોકાણના વ્યાજ, પ્લાન્ટની જાળવણી અને કર્મચારીઓના પગાર ખર્ચનો બોજ તેમને માથે આવે જ છે. તેથી તે બંધ કરી દેવામાં આવે તે વીજગ્રાહકોના હિતમાં છે.

ગુજરાતના પાવર સેક્ટરમાં કેએલટીપીએસના ૪ પાવર પ્લાન્ટ ધોળા હાથી જેવા છે. ૭૫ મેગાવોટના આ પ્લાન્ટમાં એક વરસમાં માત્ર ૪.૮૦ કરોડ વીજળી જ પેદા કરવામાં આવી છે. જે તેની કુલ વીજ ઉત્પાદન ક્ષમતાના માત્ર ૭.૨ ટકા જ છે. જૂન ૨૦૨૧થી ફેબ્રુઆરી ૨૦૨૨ના નવ મહિના સુધી આ પાવર પ્લાન્ટ સાવ જ બંધ રહ્યો હતો. તેને જંગી બોજો એફપીપીપીએના સ્વરૃપમાં ગુજરાતના ૧.૩૦ કરોડ વીજગ્રાહકોને માથે આવ્યો છે. પાનધ્રોના ૬૫૦ મેગાવોટના પાવર પ્લાન્ટના નબળા ઉત્પાદનને કારણએ જ ગુજરાતના વીજ વપરાશકારોને માથે ભાવ વધારાનો બોજ આવી રહ્યો છે. બીએલટીપીએસનો પ્લાન્ટ પણ તેની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા સામે માત્ર ૩૭.૮ ટકા વીજળી જ પેદા કરે છે. લિગ્નાઈટથી ચાલતા પાવર પ્લાન્ટમાં યુનિટદીઠ રૂ. ૩થી ઓછા ભાવે વીજળી પેદા થાય છે. પરંતુ આ વીજળી પેદા ન કરીને વીજગ્રાહકોને માથે ખર્ચબોજ વધારવામાં આવી રહ્યો છે.

May 12, 2022
sunstroke.jpg
1min487

ગુજરાતમાં મે મહિનામાં સૂર્યનારાયણ દેવ જાણે કોપાયમાન થયા હોય તેમ રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓ અને શહેરોમાં ૪૩થી ૪૭ ડિગ્રી વચ્ચે રહેતા બપોરના સમયે ગરમ પવનોથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠયા હતા. બુધવારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં ૪૭ ડિગ્રી આસપાસ નોંધાયું હતું. રાજ્ય હવામાન વિભાગે અમદાવાદમાં ગરમીનો પારો ૪૮ સુધી પહોંચવાની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ હોવાથી તંત્રએ બાળકો અને વૃદ્ધોને કામવગર ઘરની બહાર ન નીકળવા સૂચનો કર્યાં હતા.

શહેરમાં બુધવારે મહત્તમ તાપમાનનો પારો એક સમયે ૪૭ ડિગ્રી પર પહોંચી ગયો હતો. ગુરુવારે તાપમાનનો પારો ૪૮ ડિગ્રીએ પહોંચશે તો ૧૦૦ વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે. શહેરીજનો ગરમીથી બચવા ક્યાં જવું અને શું કરવું એ વિચારતા થઈ ગયા હતા. હજી પણ ચાર દિવસ સુધી આવી ગરમી બાદ આંશિક રાહત મળે એવી હવામાન વિભાગની આગાહી છે.
અમદાવાદમાં બુધવારે સવારથી જ બપોર જેવી ગરમી શરૂ થઈ ગઈ હતી. સાંજના પાંચ વાગ્યા સુધીમાં પણ સૂરજે પોતાનો પ્રકોપ બતાવવાનું યથાવત્ રાખ્યું હતું.

સુકા પવન અને કાળઝાત્ ગરમી વચ્ચે અમદાવાદના રસ્તાઓ સૂમસામ બન્યા હતા. બપોરના બે વાગતા સુધી તો ગરમીએ ૪૭ ડિગ્રી સેલ્સિયસની સર્વોચ્ચ સપાટી દેખાડી દીધી હતી. આ સ્થિતિમાં આવતીકાલે આ રીતે જ ભીષણ ગરમી ચાલુ રહે તો તાપમાનનો પારો ૪૮ ડિગ્રી સુધી પહોંચવાની શક્યાતા છે.

બીજી તરફ રાજ્યના ૧૩ શહેરોમાં તાપમાન પારો  રેકોર્ડ ૪૬ને પાર થઈ ગયું હતું. જ્યારે વડોદરા, મહેસાણા, હિંમતનગર, ગોધરા, ખેડબ્રહ્મા, નડિયાદ, ધોળકામાં  ગરમીનો પારો ૪૫ ડિગ્રીએ નોંધાયો હતો. સુરેન્દ્રનગર, બોટાદમાં ૪૪ ડિગ્રી અને ભાવનગર, અમરેલીમાં પારો ૪૩ ડિગ્રી જૂનાગઢ, રાજકોટમાં ૪૨ ડિગ્રીએ તાપમાન પારો નોંઘાયો હતો રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી ગરમીનો પારો ૪૪થી ૪૫ ડિગ્રી આસપાસ રહેતા અનેક જિલ્લાઓ અને શહેરોમાં એકાએક ઊચો જતા બપોરના સમયે ગરમ લૂ જેવા પવનો ફૂકાતા લોકો રીતસર ગરમીથી શેકાઈ રહ્યા હતા. રાજ્યમાં ભારે ગરમીને કારણે બપોરના સમયે અનેક શહેરમાં કરફ્યુ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  રાજ્યમાં ઉત્તર-પશ્ર્ચિમના પવનો શરૂ થયો હતો, જેની અસરથી ગરમીનો પારો અચાનક વધતા રવિવારથી અમદાવાદ  સહિત રાજ્ય ઉપર ગરમ પવનોનો મારો ચાલુ થયો હતો અને મોટાભાગના શહેરોમાં પારો ૪૫ ડિગ્રી ઉપર રહ્યો હતો. જ્યારે બુધવારે Dt.11/5/22 રેકોડ બ્રેક ગરમી ૪૭ ડિગ્રી અમદાવાદમાં નોંધાઈ હતી. અમદાવાદમાં Dt.11/5/22 બુધવારે બપોરે ૨ વાગ્યા સુધી તો ગરમી પીક પર પહોંચી ગઈ હતી અને ૪૭ ડિગ્રી સેલ્સિયસની સર્વોચ્ચ સપાટી દેખાડી દીધી હતી. આ સ્થિતિમાં મોડી સાંજ સુધી ગરમીનો પ્રકોપ યથાવત્ રહ્યો હતો. હજી પણ Dt.12/5/22 ગુરુવારે આ રીતે જ ગરમીનો પારો ૪૮ ડિગ્રીએ પહોંચે તો નવાઈ નહીં. તેમ સૂત્રોએ જણાવ્યુ હતું. 

રાજ્યના અનેક શહેરોમાં બેકાબુ સૂર્યપ્રકોપ થતાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થતા ગરમીથી છૂટકારો મેળવવા લોકો લીબું પાણી, છાસ, ઠંડા પીણા તરફ વળ્યા હતા. રાજ્યમાં ભારે ગરમીના કારણે ઝાડાઉલટીના બાર હજારથી વધુ કેસો, ૧૫૦૦ જેટલા હિટસ્ટ્રકના કેસો ઉપરાંત લૂ લાગવાના પણ સૌથી વધારે કેસો નોંધાયાનું બિનસત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. જેના કારણે જિલ્લાભરની સરકાર અને ખાનગી હૉસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.  

દરમિયાન અમદાવાદ શહેરમાં એકાએક ગરમી વધી જતાં હિટસ્ટ્રોકના, ઝાડા ઉલ્ટીના અને બીપીના વધી જવાના કેસોમાં વધારો નોંધાતા અમદાવાદની અસારવા સિવિલ અને સોલા સિવિલમાં ઓપીડી વિભાગમાં દર્દીઓથી ઉભરાયા હતા. જ્યારે ખાનગી હૉસ્પિટલોમાં પણ અનેક લોકો સારવાર માટે લાઈનો લગાવી હતી. રાજ્યના આરોગ્ય વિભાગે ભારે ગરમીની આગાહીને પગલે લોકોને લીબું પાણી, છાસ, તેમ જ શુદ્ધ ખોરાક આરોગવાની સાથે વધુ પ્રમાણમાં પાણી પીવાની અને કામવગર વદ્ધોએ બહાર ન જવા તેમ જ સુતરાઉ કપડા પહેરવા જેવા સૂચનો કર્યા હતા.

May 10, 2022
shivkumar.jpg
1min639

દિગ્ગજ ભારતીય સંગીતકાર અને સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનું મુંબઈમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે મંગળવારે નિધન થયું છે. 84 વર્ષના મહાન સંગીતકારે આજે લાંબી માંદગી બાદ અંતિમ શ્વાસ લીધા હતા. 

છેલ્લા છ મહિનાથી પંડિત શિવકુમાર કિડની સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા અને ડાયાલિસિસ પર હતા. ભારતીય સંગીતને તેમની વિશિષ્ટ શૈલીને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી હતી. પંડિત 

શિવ કુમાર શર્માનું ફિલ્મ જગતમાં પણ મહત્વનું યોગદાન હતું. બોલિવૂડમાં ‘શિવ-હરિ’ (શિવ કુમાર શર્મા અને હરિ પ્રસાદ ચૌરસિયા)ની જોડીએ ઘણા હિટ ગીતોને સંગીત આપ્યું છે. શ્રીદેવી પર ચિત્રિત કરાયેલા ગીત ‘મેરે હાથોં મેં નૌ નૌ ચૂડિયાં’નું સંગીત આ હિટ જોડીએ જ કમ્પોઝ કર્યું હતું. 

દુર્ગા જસરાજે અર્પી શ્રદ્ધાંજલી 

નિર્માતા અને અભિનેત્રી દુર્ગા જસરાજે આ નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આજે પ્રકૃતિનું સંગીત શાંત થઈ ગયું છે. બાપુજી પંડિત જસરાજ જી પછી હવે શિવ ચાચાજીની અચાનક વિદાય એ મારા માટે બેવડી દુખદાયી ક્ષણ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પંડિતજીના પિતા ઈચ્છતા હતા કે પંડિત શિવકુમાર શર્મા જમ્મુ અથવા શ્રીનગરમાં AIRમાં કામ કરે. તેઓ ઈચ્છતા હતા કે સરકારી નોકરી દ્વારા ભવિષ્ય સુરક્ષિત કરે પરંતુ પંડિતજીની મનશા કઈંક અલગ જ હતી. એકવાર તે ઘર છોડીને માત્ર એક સંતૂર અને ખિસ્સામાં માત્ર પાંચસો રૂપિયા લઈને બોમ્બે આવ્યા અને આજે તેઓ દુનિયામાં અલગ છાપ છોડીને ગયા છે. તેમણે પોતે જ ઈન્ટરવ્યુમાં આ આ વાત કહી હતી.

May 8, 2022
gujarat-high-court.jpg
1min668

ઘરના ઘરનું સપનું જોતા લોકો માટે જમીન ખરીદી મામલે ગુજરાત હાઈકોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ખરીદનારે જમીનની કિંમત પર નહીં, માત્ર બાંધકામ ખર્ચ પર જ જીએસટી ચૂકવવાનો થાય છે. અત્યાર સુધી બિલ્ડરો જમીન ખરીદનાર પાસેથી જીએસટી ઉઘરાવીને સરકારમાં જમા કરતા હતા. પરંતુ આ મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી બાદ આ બાબત સ્પષ્ટ થઇ ગઇ છે.

સરકાર દ્વારા જમીનની કિંમત 33 ટકા કેવી રીતે નક્કી કરવામાં આવી તે મુદ્દાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેને લઇને હાઇકોર્ટે’ જણાવ્યું હતું કે, જમીનની કિંમત પર નહીં પણ બાંધકામ ખર્ચ પર જ જીએસટી લાગશે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, બાંધકામના કુલ ખર્ચ પર વસૂલવામાં આવતા જીએસટીમાં જમીનની કિંમતને ગણતરીમાં લઈ શકાશે નહીં.”
હાઇકોર્ટે જણાવ્યું છે કે જમીનની કિંમત અલગ દર્શાવવામાં આવી હોય તો માત્ર બાંધકામ ખર્ચ પર જ જીએસટી વસુલી શકાશે.’ છેલ્લા કેટલાક સમયથી જમીન વેચાણ પર જીએસટી લાગું પડે કે નહીં તેને લઇને ગેરસમજ પ્રવર્તી હતી. જીએસટીના ડરથી બિલ્ડરો પણ જમીન ખરીદનાર વ્યક્તિ પાસેથી 12 ટકા અને 5 ટકાના દરે જીએસટી ઉઘરાવીને સરકારમાં જમાં કરાવતા હતા.’

કેન્દ્ર પોતાની યોજનામાં 33 ટકા જમીન કિંમત બાદ કરીને બાકીની રકમ પર જીએસટી વસૂલશે તેવો પરિપત્ર જાહેર કર્યો હતો. તેને હાઇકોર્ટમાં પડકારાયો હતો.’

May 7, 2022
cyclone.jpg
1min591

હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પરનું લો પ્રેશર વિસ્તાર ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.

ભારતના હવામાન વિભાગ (IMD)xના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે નીચા દબાણનો વિસ્તાર ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે, જેના પરિણામે પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન સર્જાશે. તેમણે કહ્યું કે તે 10 મેના રોજ દરિયાકાંઠે પહોંચવાની શક્યતા છે. મહાપાત્રાએ કહ્યું કે તે પહેલા ક્યાં આવશે તે અંગે હજુ સુધી કોઈ આગાહી કરવામાં આવી નથી.

મહાપાત્રાએ કહ્યું, ‘જ્યારે વાવાઝોડું દરિયાકિનારાની નજીક પહોંચે છે, ત્યારે અમે કહી શકીએ છીએ કે તે ક્યાં ટકરાશે. 9 મેથી દરિયાની સ્થિતિ બગડી શકે છે, તેથી માછીમારોએ દરિયો ન ખેડવો જોઈએ. અનુમાન અનુસાર ચક્રવાતી તોફાનની ઝડપ દરિયામાં 80-90 કિમી પ્રતિ કલાકની રહેશે. ચક્રવાતી વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાદે આગામી સપ્તાહે મંગળવારથી શુક્રવાર સુધી ગંગા નદી વિસ્તારમાં પડતા પશ્ચિમ બંગાળના જિલ્લાઓમાં વીજળી અને ભારે વરસાદની ચેતવણી આપી છે.

ઓડિશાના વિશેષ રાહત કમિશનર (SRC) પીકે જેનાએ જણાવ્યું હતું કે NDRFની 17 ટીમો, ODRAFની 20 ટીમો અને ફાયર વિભાગની 175 ટીમોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે. ફાયર સર્વિસના મહાનિર્દેશક એસ કે ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.

May 5, 2022
Coal.jpeg
1min413

કોલસાના રેકના પરિવહન માટે રેલવેએ અત્યાર સુધીમાં ઘણી ટ્રેનો રદ કરી છે. હવે ફરી એકવાર રેલવેએ 1100 ટ્રેનો રદ કરી છે. આ ટ્રેનોમાં મેલ એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનોનો સમાવેશ થાય છે.

મે મહિનામાં કોલસાના કારણે વીજળીની કટોકટી વધવાની આશંકા છે, જેના કારણે કોલ રેક ટ્રેનો માટે પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી રહી છે. 24 મે સુધી ઓછામાં ઓછી 1100 ટ્રેનો રદ રહેશે. જેમાં મેલ એક્સપ્રેસ ટ્રેનોની 500 ટ્રીપ્સ, જ્યારે પેસેન્જર ટ્રેનોની 580 ટ્રીપ્સનો સમાવેશ થાય છે. કહેવાય છે કે, આ ટ્રેનોને એટલા માટે રદ કરવામાં આવી છે જેથી થર્મલ પાવર પ્લાન્ટને સપ્લાય કરવામાં આવતી કોલસાથી ભરેલી માલગાડીઓને સરળતાથી રસ્તો આપી શકાય, જેથી કોલસો સમયસર પહોંચી શકે.

યુપી, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ સહિત ઘણા રાજ્યોમાં કોલસાની કટોકટીથી વીજળીની સમસ્યા સર્જાઈ હતી. આ પછી સરકારે ઘણી બેઠકો કરી. ઘણા રાજ્યોમાં પાવર કટ પણ કરવામાં આવ્યો હતો, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ કોલસાની કટોકટી અંગે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ માહિતી આપી હતી કે, થર્મલ પાવર પ્લાન્ટ્સમાં 21 મિલિયન ટન કોલસાનો સ્ટોક છે, જે આવનારા કેટલાક દિવસો માટે પૂરતો છે. જ્યારે કોલ ઈન્ડિયા સહિત ભારત પાસે 80 દિવસનો સ્ટોક છે.