આગામી ૧૦ જુલાઇના અષાઢ સુદ અગિયારસ એટલે કે દેવપોઢી એકાદશી છે અને તેની સાથે જ હિંદુ ચાતુર્માસનો પ્રારંભ થશે. હિંદુ ચાતુર્માસમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ, દિવાળી જેવા તહેવારોની હેલી સર્જાશે. હવે આગામી ૮, ૯ જુલાઇના લગ્ન માટેના શુભ મુહૂર્ત છે. હિંદુ ચાતુર્માસ સાથે લગ્નાદિ માંગલિક કાર્યોનો નિષેધ હોય છે. આગામી ચાર નવેમ્બરના કારતક સુદ એકાદશી સાથે ચાતુર્માસની પૂર્ણાહૂતિ થશે.
હિન્દુ સમુદાયમાં દેવપોઢી એકાદશી અને દેવઉઠી એકદાશી વચ્ચેના સમયગાળાને ચાતુર્માસ કહેવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે દેવપોઢી એકાદશીના રોજ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં જતા હોવાનું માનવામાં આવે છે. ત્યાર બાદ ચાર મહિના સુધી ભગવાન શયન મુદ્રામાં હોય લગ્ન સહિતના શુભ કાર્યો પર રોક મૂકવામાં આવે છે. દિવાળી બાદ આવતી દેવઉઠી એકાદશીએ ભગવાન ફરી પૃથ્વીલોક પર આવવાની સાથે લગ્નસરાની નવી સિઝનનો આરંભ થતો હોવાનું માનવામાં આવે છે. હવે ૯ જુલાઇ બાદ નવેમ્બરમાં ૨૫-૨૬-૨૭-૨૮ જ્યારે ડિસેમ્બરમાં ૨-૩-૭-૯-૧૩-૧૪ના લગ્ન માટેના શુભ મુહૂર્ત આવશે. આમ, વર્ષ ૨૦૨૨માં હવે લગ્ન માટેના કુલ માત્ર ૧૨ શુભ મુહૂર્ત છે.
અ ષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ ચારમાસને હિન્દુ ધર્મમાં સૌ ચાતુર્માસ તરીકે ઉજવે છે. આ ચાતુર્માસ દરમ્યાન અનેક તહેવારો- ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. આ ચાતુર્માસમાં મંદિરોમાં દર્શન- ભજન- કથા- કીર્તન- અભિષેક- આદિ કાર્યક્રમો યોજાય છે અને અનેક ભક્તો ભક્તિનાપૂરમાં રસતરબોળ બને છે.
કુમકુ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, ‘વર્ષ દરમ્યાન કુલ ચોવીસ એકાદશી આવે છે. જેમાં ચાતુર્માસમાં આવતી નવ એકાદશીનું સવિશેષ મહત્વ હોય છે અને તેમાં પણ ત્રણ એકાદશીનું સૌથી મહત્વ વધારે હોય છે. અષાઢ સુદ એકાદશીએ ભગવાન શયન કરે છે એટલે પોઢી જાય છે તેથી આ એકાદશીનું નામ દેવપોઢી એકાદશી પાડવામાં આવ્યું. ભાદરવા સુદ એકાદશી આવે છે ત્યારે ભગવાન પડખું ફેરવે છે તેથી તેને પાર્શ્વતિની એકાદશી કહેવામાં આવે છે. અને કારતક સુદ એકાદશી એ ભગવાન જાગે છે તેથી તેને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે.
આ સર્વે એકાદશીએ નકોરડો ઉપવાસ કરવો જોઈએ તેવું શાસ્ત્રોમાં નિરુપણ છે. પરંતુ જે આ ચોવીશ એકાદશીઓના દિવસે નકોરડો ઉપવાસ ના કરી શકતા હોય તેમણે ચાતુર્માસમાં આવતી નવ એકાદશીના ઉપવાસ અવશ્ય કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. કદાચ કોઈથી આ નવ એકાદશી ના થાય તો તેમણે ત્રણ મુખ્ય એકાદશીએ તો અવશ્ય ઉપવાસ કરવા જોઈએ. આરોગ્યની દ્રષ્ટિએ ઉપવાસ કરવા એ હિતાવહ માનવામાં આવે છે. તેથી ઘણા સંતો-ભક્તો ચાતુર્માસ દરમ્યાન નકોરડા ઉપવાસ, ધારણાં-પારણાં-એકટાંણા આદિ વ્રતો કરતાં હોય છે.’
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રમત-ગમત ક્ષેત્રે એક મહત્વની જાહેરાત કરી છે. આગામી 27મી સપ્ટેમ્બરથી 10મી ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન થવાનું છે.
છેલ્લે વર્ષ 2015માં કેરળ ખાતે નેશનલ ગમ્સ યોજાઈ હતી. ત્યાર બાદ 2016ના વર્ષમાં ગોવા ખાતે રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન થવાનું હતું પરંતુ રાજ્ય સરકારની અસમર્થતાના કારણે તેને 2 વખત ટાળવામાં આવ્યો હતો. ત્યાર બાદ 2020માં તેનું આયોજન થવાનું હતું પરંતુ કોરોના મહામારીએ તેમાં વિઘ્ન નાખ્યું હતું.
ગુજરાત હવે સ્પોર્ટ્સ હબ બનવા જઈ રહ્યું છે તથા રાજ્યમાં વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર થઈ રહ્યા છે.
મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ગુજરાત આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમ્યાન નેશનલ ગેમ્સનું આયોજન કરશે. ગુજરાતના પ્રસ્તાવનો ત્વરિત સ્વીકાર કરવા બદલ હું IOA નો આભારી છું.
ત્યારે મુખ્યમંત્રીએ ટ્વિટરના માધ્યમથી 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે તેની જાહેરાત કરી છે. ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારે રાષ્ટ્રીય રમતોત્સવ યોજાવા જઈ રહ્યો છે તથા અમદાવાદ સહિતના 6 શહેરોમાં તેનું આયોજન કરવામાં આવશે. આ સાથે જ મુખ્યમંત્રીએ ગુજરાતના પ્રસ્તાવનો ત્વરિત સ્વીકાર કરવા બદલ ઈન્ડિયન ઓલમ્પિક અસોસિએશનનો આભાર માન્યો હતો.
આ રમતોત્સવમાં દેશભરના 25,000થી પણ વધારે રમતવીરો સહભાગી બનશે. ઓલમ્પિકની દાવેદારી પહેલા ગુજરાત સરકારે આ મોટું આયોજન હાથ ધર્યું છે અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સ 2022નું ઓપનિંગ થાય તેવી શક્યતા જણાઈ રહી છે.
છેલ્લા કેટલાક સમયથી વિવિધ કારણોસર સ્થગિત થઈ રહેલી નેશનલ ગેમ્સ માટેની તારીખો આખરે જાહેર થઈ ગઈ છે. ભારતીય ઓલમ્પિક સંઘના મહાસચિવ રાજીવ મેહતાએ પણ આ અંગે ટ્વિટ કરી હતી.
ગુજરાત ઓલમ્પિક સંઘ તથા રાજ્ય સરકારના સંયુક્ત પ્રયત્નોથી 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
– જૂનાગઢનો વિલીંગ્ડન અને નરસિંહ સરોવર છલોછલ: કેરાળા જળાશય ઓવરફલો થતા નવ ગામને એલર્ટ કરાયા અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અષાઢ મહિનાની શરુઆતથી મેઘ મહેરથી સૌરાષ્ટ્રમાં હરખની હેલી છે.
Dated 5/7/22, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને પોરબંદર પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. ગીરનારમાં 7 અને દ્વારકાના કલ્યાણપુરમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે આ વિસ્તારના નદી નાળામાં નવા નીરની આવક થઇ છે તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત જૂનાગઢ, રાણાવાવ, કુતિયાણા, દ્વારકા, શેરગઢમાં ધોધમાર 4 ઇંચ વરસાદ વરસ્યો છે તેમજ આમરણ ચોવિસી, વંથલીમાં 3, રાજકોટ, જામ ખંભાળિયા, ગઢડામાં 2.5, બાબરા-ભાવનગર-કોટડા સાંગાણી-દામનગર-કલાણા-પોરબંદરમાં 2, ઘ્રોલ-જામનગર-માળીયાહાટી-વાંકાનેર-ટંકારામાં 1.5, મહુવા અને માણાવદરમાં 1 ઇંચ વરસાદ પડયો છે. જૂનાગઢમાં ભારે વરસાદના કારણે વિલીગ્ડન અને નરસિંહ સરોવર છલોછલ થવા આવ્યા છે અને કેરાળા જળાશય ઓવરફલો થતા નવ ગામને એલર્ટ કરાયા છે તથા વિસાવદરની કાળુભાર, ચમારડીની ઠેબી, જૂનાગઢની કાળવા અને સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.
દ્વારકા, જામખંભાળીયા:’
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તેમજ બારાડી પંથકમાં મેઘરાજા મહેરબાન હોય તેમ આજે સવારથી સાંજ સુધીમાં મુશળધાર વરસાદ સાથે બંને તાલુકાઓમાં મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જિલ્લામાં શુષ્ક રહેલા બંને તાલુકાઓમાં જોરદાર વરસાદનો લહાવો સ્થાનિકોએ ભરપૂર રીતે માણ્યો હતો. આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચાર પૈકી ત્રણ તાલુકામાં વ્યાપક વરસાદ નોંધાયો છે. સાંજે 6 કલાક સુધીમાં ખંભાળીયામાં વધુ 68 મીમી, કલ્યાણપુરમાં 145 મીમી, દ્વારકામાં 92મીમી તેમજ ભાણવડમાં 7 મીમી વરસાદ નોંધાયો છે, જેથી નદી-નાળા છલોછલ થયા હતા.
દ્વારકા જિલ્લામાં હાલ ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બેહ અને બારા ગામ વિસ્તારમાં બારે વરસાદ થયો હતો. માત્ર બે કલાકમાં ચાર થી છ ઈંચ જેટલો વરસાદ ખાબકતા સ્થાનિક નદીનાળાઓમાં પાણીના પુરૂ જોવા મળ્યા હતાં. જેમાં ઢાંઢાવાળી નદીમાં ભારે પુર આવ્યો હતો.’ ખંભાળીયા તાલુકાના બેહ બેરાજા આરોગ્ય સેન્ટરમાં કામ કરતાં કર્મી આજરોજ બપોરના સુમારે બારા આરોગ્ય પ્રાથમિક કેન્દ્ર તરફથી બેહ આવી રહ્યાં હતા ત્યારે બેહ બારા ગામ વચ્ચે આવતી ઢાંઢાવાળી નદીના પટમાં પાણીના પ્રવાહમાં અટવાઈ ગયેલ આ બાબતે જુંગીવ્રા ધામે જતાં વટેમાર્ગુને જાણ થતાં ગ્રામજનોને જાણ કરવામાં આવતાં બેહ ગામના સરપંચ પ્રવિણભાઈ ગઢવી સહિત આગેવાનો દ્વારા ટ્રેકટર, નાળા લઈ સ્થળે પહોંચ્યા હતાં અને ગ્રામજનોની કલાકો જહેમત બાદ આરોગ્ય કર્મીને સહી સલામત બચાવી લેવાયો હતો. અધિકારીઓએ હેડ કવાર્ટર ન છોડવા સૂચનાઓ અપાઈ છે. જિલ્લાના ચારેય તાલુકામાં કન્ટ્રોલરૂમ શરુ કરવામાં આવ્યો છે. જે ફોન નં. 02833 232125, મો.7859923844 છે.
આમરણ:
આમરણ ચોવીસી પંથકમાં આજે સાંજે પાંચ થી સાત બે કલાક દરમિયાન 2 થી 3 ઈંચ વાવણી લાયક વરસાદ વરસી જતા આનંદની લાગણી ફેલાઈ છે.
માણાવદર:
માણાવદરમાં સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. આજે દિવસ દરમ્યાન 1 ઈંચ નોંધાયો છે. જ્યારે ઝીંઝરી ગામ તરફ 2 ઈંચ જેટલો વરસાદ પડવાનું ગ્રામજનોએ જણાવેલ. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણીથી ફરી રસાલા ડેમ છલકાયો છે.
અમરેલી:
Dated 5/7/22 જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મેધરાજ મન મૂકીને વરસ્યો હતો. આજે પડેલા વરસાદથી અનેક ગામમાં પાણી ભરાય ગયા હતા તો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓમાં ધોડાપુર આવ્યા હતા. ચમારડીની ઠેબી નદીમાં પુર આવ્યું હતું. ભારે વરસાદને કારણે જનજીવન પર પણ અસર થઈ હતી. આ લખાય છે ત્યારે બાબરાના ચામરડી ખાતે ઠેબી નદીમાં ઘોડાપૂર કોઝવે ઉપરથી પાણી ઓવરફ્લો થતા ચમારડી અને’ ચરખાનો રસ્તો બંધ થયો હતો. તળાજા:’ આજે પણ તળાજા શહેરમાં બપોરના સમયે મધ્યમધારે લગભગ અડધો કલાક વરસાદ વરસી ગયો. જો કે, કેટલાક ઉતાવળિયા ખેડૂતોએ કુદરત પર ભરોસો રાખી બિયારણ વાવેલ તેમાંના કેટલાક’ ખેડૂતોને અમુક અંશે બિયારણ નિષ્ફળ ગયાના ખેડૂતો કહી રહ્યા છે.
જૂનાગઢ:’
પ્રકૃતિના ખોળે મેઘરાજા રમવા આવ્યા હોય તેમ ગિરનાર પર્વતમાળામાં મૂશળધાર સાત ઈંચ, જૂનાગઢમાં ચાર, વંથલીમાં ત્રણ ઈંચ પાણી પડતા વિલિંગ્ડન ડેમ તથા નરસિંહ સરોવર છલોછલ ભરાયા છે. સવાર સુધીમાં બંને છલકાઈ જવાની પુરી સંભાવના છે. ગિરનાર પર્વત પર ચાર કલાકમાં સાત’ ઈંચ પાણી પડતા ઝરણાઓ પૂરની માકફ વહેવા લાગ્યા હતા. શહેરમાં ચાર ઈંચ પાણી પડતા કાળવા અને સોનરખ નદીમાં પૂર આવ્યા હતા. પરિણામે નરસિંહ સરોવર છલોછલ ભરાઈ ગયું હતું. ભારે વરસાદને કારણે શહેરના માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ગિરનારમાં ભારે વરસાદને કારણે વિલીગ્ડન ડેમ ભરાઈ ગયો છે. કેરાળા જળાશયમાં ઉપરવાસના ભારે વરસાદને કારણે ડેમની જળ સપાટીમાં ઝડપથી વધારો થતા બપોરે 2-30 કલાકે ઓવરફ્લો ગતા હેઠવાસના જૂનાગઢ તાલુકાના ગામો કેરાવડ, મજેવડી, તલિયાધર, વધાવી, વાલાસીમડી અને વાણદિયા તથા વંથલી તાલુકાના બાલોટ, ધંધુસર અને વંથલીના લોકોને સાવધ કરાયા છે.
શેરગઢ :
કેશોદ તાલુકાના શેરગઢ ગામમાં આજે બપોરે 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં.
પોરબંદર :
અરબી સમુદ્રના કિનારે આવેલા પોરબંદર જિલ્લામાં સવારથી જ મેઘમહેર જોવા મળી હતી. હળવા ભારે ઝાપટા બાદ બપોરથી વરસાદે જોર પકડયું હતું અને સાંજ સુધીમાં રાણાવાવ તથા કુતિયાણામાં ચાર ચાર ઈંચ વરસાદ વરસી ચુકયો છે. જ્યારે પોરબંદરમાં પણ બે ઈંચ જેટલો વરસાદ સાંજ સુધીમાં વરસ્યો છે.
ગોંડલ :
ગોંડલમાં સવારથી જ ગોરંભાયેલા આકાશ વચ્ચે ધીમીધારે પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. તાલુકાનાં મોવિયા, વાસાવડ, ગોમટા, ચોરડી સહિત ગ્રામ્ય પંથકમાં દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો છે. ધીમી ધારે વરસેલી મેઘવર્ષા ખેતી માટે ફાયદાકારક હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.
વાંકાનેર :
આજે Dated 5/7/22 સાંજના છ વાગ્યા સુધીમાં 33 મીમી જેટલો વરસાદ પડેલ એટલે સવા 1। ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો ત્યારે તાલુકા પંથકમાં પણ સારો વરસાદ પડયાના વાવડ મળી રહેલ છે.
સુરત :
સુરતમાં પડી રહેલા વરસાદને પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સંભવિત આફતનો સામનો કરવા સજ્જ બની ગયું છે. રાહત અને બચાવની કામગીરી માટે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા બોટ સહિતના સાધનો સાથે એલર્ટ થઈ ગયું હોવાનું જાણવા મળે છે.
કલાણા :
અષાઢી મેઘ મહેરથી અત્ર તત્ર સર્વત્ર હરખની હેલી છવાઈ ગઈ છે. તેવી જ રીતે ધોરાજી પંથકના કલાણા, ચિચોડ, ખડીયા અને રવની જેવા ગામોમાં બપોર સુધી ઉકળાટ બાદ સાંબેલાધારે બે કલાકના ગાળામાં જ બે ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. આસપાસ વિસ્તારનાં તમામ ચેકડેમ ઓવરફલો થયા હતાં.
મોરબી:
મોરબી શહેર અને જીલ્લામાં આજે સાંજના સુમારે વરસાદ શરુ થયો હતો જેમાં મોરબી 2 સામાકાઠા વિસ્તાર મા 18 મીમી પોણો ઈચ જ્યારે મૉરબી શહેરમા 46 મીમી બે ઈચ વરસાદ નોંધાયો છે.” મોરબી નગરપાલિકા તંત્ર ચોમાસા પૂર્વે પ્રી મોન્સુન કામગીરી કરતી હોય છે જોકે કામગીરી કેવી રહે છે તે સૌ કોઈ જાણે છે અને વરસાદ વરસતા જ પાલિકાની કામગીરીની પોલ ખુલી જતી હોય છે આજે મોરબીમાં પોણો ઇંચ વરસાદ વરસતા જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા જેથી વાહનચાલકોને અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
મેંદરડા :
મેંદરડા પંથકમાં આજ સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. બપોર સુધી હળવા ઝાપટા પડયા હતાં. પરંતુ બપોરે ધોધમાર વરસવાનું ચાલુ થતાં લગભગ દોઢેક કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. માળીયાહાટીના : માળીયાહાટીનામાં આજે સવારથી વરસાદ વસતા મેઘલ નદીમાં નવા નીરની અઢળક આવક શરૂ થઈ છે. પ્રથમ વખત નદીમાં પુર આવ્યું છે. ચાર મહિનાની કોરી ધાકોડ મેઘલ નદી પાણીથી ભરાઈ ગઈ છે. આજે દોઢ ઈંચ પાણી પડયું છે. પ્રથમ વખત મેઘલ નદીમાં પૂર આવતાં લોકો ભાવવિભોર બની ગયા છે.
દામનગર :
બે દિવસના ધીમીધારે વરસાદ બાદ આજરોજ વાતાવરણમાં એકાએક પલટો આવતાં વર્ષારાણીની ધમાકેદાર એન્ટ્રી થતાં ત્રણ કલાક સુધી વરસાદ પડતાં બે ઈંચ જેટલું પાણી પડી ગયું છે. દામનગરનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા વરસાદનાં વાવડ મળેલ છે. કુંભનાથ તળાવમાં નવા નીરની આવક ધીમી ગતિએ શરૂ છે. દામનગરનાં સરદાર ચોકમાં વરસાદના નીર ભરાતા રાહતદારીઓને મુશ્કેલી પડતી હતી.
કોટડાસાંગાણી :
કોટડા સાંગાણીમાં વહેલી સવારથી અસહ્ય બફારા બાદ આજે બપોરે બે વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને સાંજે છ વાગ્યા સુધી બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. નદી નાળામાં નવા નીરની આવક થઈ છે. કોટડા તાલુકાના ગામોમાં સારો વરસાદ પડી ગયો છે લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જામનગર :
જામનગર શહેર અને જિલ્લામાં આજે સવારથી સુર્યનારાયણનો આકરો તાપ રહેવા પામ્યો હતો. દરમિયાન પલટાયેલા વાતાવરણના પગલે આકાશમાં કાળા ડીંબાંગ વાદળો છવાઈ જવા પામ્યા હતાં. જેમાં આજે સાંજ સુધીમાં જામનગર શહેરનો 40 મીમી, ધ્રોલમાં 38 મીમી, જામજોધપુરમાં 9 મીમી, જોડિયામાં 18 મીમી અને લાલપુરમાં 3 મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે ત્રણ જળાશયોમાં નવા પાણીની આવક નોંધાઈ છે.
ગઢડા :
ગઢડા શહેરમાં બપોરે 2 વાગ્યા પછી ભારે ગાજવીજ સાથે અચાનક મુશળધાર વરસાદ શરૂ થયો હતો. સતત બે કલાક સુધી એકસરખો વરસાદ શરૂ રહેતાં સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ વરસાદના પગલે ગઢડા’ શહેરના બોટાદ ઝાંપા, જીન નાકા, મધરપાટ વિગેરે મુખ્ય વિસ્તારો અને રસ્તો ઉપર પાણીના વહેણ શરૂ થતાં લોકોએ વરસતા વરસાદની મજા માણી હતી.
ભાવનગર :
ભારે વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં અડધાથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેરમાં આજે બપોરે ધોધમાર વરસાદ તુટી પડયો હતો અને બે ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. આજે સવારના 6 થી સાંજના છ દરમિયાન ભાવનગર શહેરમાં 42 મીમી મહુવામાં 28 મીમી તળાજામાં 14 મીમી પાલીતાણામાં 5 મીમી વલભીપુરમાં 2 મીમી, ગારીયાધાર, ઘોઘા અને સિહોરમાં એક એક મીમી વરસાદ નોંધાયો છે.
બાબરા :
બાબરા તાલુકામાં બપોર બાદ મેઘરાજાએ મોસમનું પ્રથમ અનરાધાર હેત વરસાવ્યું હોય તેમ શહેરી વિસ્તારમાં હળવો અને ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદથી નદીઓમાં પુરના પાણી ફરી વળ્યાં હતાં. મળતા સમાચાર મુજબ બાબરા શહેરમાં બે ઈંચ વરસાદ અને ઉપરવાસના ચારખા ગામના સિમ વિસ્તારમાં વધુ વરસાદથી બાબરા મધ્યમાંથી નીકળતી કાળુભાર નદીમાં પુર આવતાં શહેરીજનો પુર જોવા નીકળી પડયા હતાં. જ્યારે બાબરા તાલુકાના ગ્રામ્ય ચરખા, ચમારડી, વાંડલીયા, ધરાઈ, મોટા દેવળીયા, ઈસાપર સહિતમાં 3 થી 4 ઈંચ વરસાદી પાણી પડતાં તમામ ચેક ડેમ જળાશયો ભરાયા બાદ નદીમાં વર્ષનું પ્રથમ પૂર આવ્યું હતું.
ધ્રોલ :
ધ્રોલ ખાતે આજે Dated 5/7/22, સાંજે 4 થી 6 વાગ્યા સુધીના બે કલાકમાં 1।। ઈંચ’ (38 મીમી) વરસાદ નોંધાયેલ છે. આજરોજના વરસાદને કારણે ધ્રોલ શહેરનાં જોડીયા રોડ, મેમણ ચોક, નંદનવન સોસાયટી, વૃંદાવન સોસાયટીઓમાં 1।। થી 2 ફુટ જેટલા પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર તેમ લત્તાવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં.
ભાટિયા :
ભાટિયામાં આજે બપોરથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે પવન ગાજવીજ સાથે સાંજ સુધીમાં ત્રણ ઈંચ જેટલો આજનો પણ વરસાદ નોંધાતા છેલ્લા ચોવીસ કલાકમાં છ ઈંચ વરસાદ પડી જતાં ગામના મુખ્ય માર્ગો -ગલ્લીઓમાં ઠેર ઠેર પાણી પાણી દેખાતું હતું.
પાંચ દિવસ દ્વારકા-પોરબંદર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ 5ડવાની સંભાવના છે તેમજ આજથી તા. 10 જુલાઈ સુધી દ્વારકા, પોરબંદર, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ છે, એમ હવામાન વિભાગના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું. ગાંધીનગરમાં આજે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી, જેમાં રાહત કમિશ્નરે આગામી સપ્તાહમાં થનાર વરસાદની આગાહીને ધ્યાને લઈ હાજર રહેલ તમામ વિભાગના અધિકારીઓને તથા સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું.’ આ બેઠકમાં રાહત કમિશનરે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને ડીપ્લોય કરવા માટે ચર્ચા હાથ ધરી હતી. જેમાં રાજ્યમાં આગામી વરસાદની આગાહીને ધ્યાને લઈ કચ્છ જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ ડીપ્લોય કરવા સૂચના આપી હતી.
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશો, ભૂતપૂર્વ અમલદારો અને સૈન્ય અધિકારીઓના એક જૂથે ભાજપમાંથી હાંકી કઢાયેલાં પ્રવક્તા નુપુર શર્માની સુપ્રીમ કોર્ટના જજોએ કરેલી આકરી ટીપ્પણીને ‘લક્ષ્મણ રેખા’ ઓળંગવા સમાન ગણાવી હતી અને આ ટીપ્પણીઓએ દુનિયાના સૌથી મોટા લોકતંત્રની ન્યાયિક વ્યવસ્થા પર દૂર ન થઈ શકે તેવો ડાઘ પાડયો હોવાનો દાવો કર્યો હતો. આ સાથે જૂથે મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણને આ સંદર્ભમાં ખુલ્લો પત્ર લખીને આ ટીપ્પણીઓ પાછી ખેંચવા માટે અપીલ પણ કરી હતી.
નુપુર શર્માની વિવાદાસ્પદ ટીપ્પણીઓ અંગે અનેક રાજ્યોમાં નોંધાયેલા કેસને એક સાથે જોડવા સંબંધી અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી અને કહ્યું હતું કે શર્માએ મોહમ્મદ પયગંબર અંગે કરેલી ટીપ્પણી સસ્તો પ્રચાર અથવા કોઈ રાજકીય એજન્ડા હેઠળ અથવા કોઈ ધૃણાસ્પદ પ્રવૃત્તિ હેઠળ કરાઈ હતી. જોકે, હવે નુપુર શર્માના સમર્થનમાં ૧૫ ભૂતપૂર્વ જજ, ૭૭ પૂર્વ અમલદારો અને ૨૫ પૂર્વ સૈન્ય અધિકારીઓ સહિત ૧૧૭ હસ્તીઓએ મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણને પત્ર લખ્યો છે.
આ પત્રમાં જણાવાયું છે કે સુપ્રીમ કોર્ટના જજો જસ્ટિસ સૂર્ય કાંત અને જસ્ટિસ જેબી પારડીવાલાની ટીપ્પણીએ લક્ષ્મણ રેખા ઓળંગવાનું કામ કર્યું છે. અમે જાગૃત નાગરિક તરીકે માનીએ છીએ કે દેશનું લોકતંત્ર ત્યારે જ સંપૂર્ણપણે સુરક્ષિત રહી શકે છે જ્યારે દેશની બધી સંસ્થાઓ બંધારણના દાયરામાં રહીને કામ કરે. પત્રમાં ન્યાયાધીશ સૂર્યકાંતને સેવાનિવૃત્ત થવા સુધી સુપ્રીમ કોર્ટના રોસ્ટરથી હટાવવા અને નુપુર શર્મા કેસની સુનાવણી વખતે કરાયેલી ટીપ્પણીઓ પાછી ખેંચવા માગણી કરાઈ છે.
પત્રમાં કહેવાયું છે કે જે દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીઓ કરાઈ છે, તે ભારતની ન્યાયિક વ્યવસ્થા પર અમિટ ડાઘ સમાન છે. ન્યાયતંત્રના ઈતિહાસમાં આ પ્રકારની દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીઓનું બીજું કોઈ ઉદાહરણ જોવા મળતું નથી. એટલું જ નહીં તેની લોકતંત્રિક મૂલ્યો અને દેશની સુરક્ષા પર ગંભીર અસર જોવા મળી શકે છે.
પત્રમાં કહેવાયું છે કે, દુર્ભાગ્યપૂર્ણ અને અનિચ્છિત ટીપ્પણીઓથી દેશ અને દુનિયામાં અનેક લોકોને આંચકો લાગ્યો છે. નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટ સમક્ષ ન્યાય વ્યવસ્થા સુધી પહોંચવા વિનંતી કરી હતી. જોકે, સુપ્રીમની ટીપ્પણીઓને ન્યાયિક રૂપે અરજીમાં ઉઠાવાયેલા મુદ્દાઓ સાથે કોઈ સંબંધ નથી અને સુપ્રીમના જજોએ ન્યાય વ્યવસ્થાના બધા જ સિદ્ધાંતોનો અસાધારણ રીતે ભંગ કર્યો છે. નુપુરને ન્યાયવ્યવસ્થા સુધી પહોંચવાથી વંચિત કરી દેવી એ ભારતના બંધારણની પ્રસ્તાવના, ભાવના અને સારનો ભંગ છે. આ ટીપ્પણીઓએ ઉદયપુરમાં ધોળા દિવસે થયેલી નૃશંસ હત્યાને અપ્રત્યક્ષ રીતે છૂટ આપી છે.
પત્રમાં કહેવાયું છે કે અલગ અલગ રાજ્યો અને શહેરોમાં નોંધાયેલી એફઆઈઆરને એકસાથે જોડવા અને તેની એક સાથે સુનાવણી કરવાની અરજી કરવી એ કોઈપણ નાગરિકનો કાયદકાયી અધિકાર છે. એક ગૂનાની અનેક જગ્યાએ અનેક વખત સજા હોઈ શકે નહીં. સુપ્રીમે કોઈ કારણ વિના જ અરજી સાંભળવાનો ઈનકાર કરી દીધો અને જે ટીપ્પણીઓ કરાઈ તે અરજીના સંદર્ભમાં અર્થહીન હતી.
આ પત્રમાં ૧૧ મુદ્દાઓ પર કોર્ટની ટીપ્પણીઓની ટીકા કરાઈ છે. આ ટીપ્પણીઓ ન્યાયિક પ્રક્રિયા અને સિદ્ધાંતો મુજબ હતી તો આદેશમાં તેનો ઉલ્લેખ કેમ નથી તેવો સવાલ કરાયો હતો. આદેશ મુજબ તો લાગે છે કે નુપુર શર્માને ન્યાયિક રાહત મેળવવાના અધિકારનો ઈનકાર કરી દેવાયો છે. કોર્ટે ટ્રાયલ પુરી થયા પહેલા જ ચૂકાદો સંભળાવી દીધો કે નુપુર દોષિત છે.
સુપ્રીમ કોર્ટના જજોની ટીપ્પણીઓ પર ખુલ્લો પત્ર લખનારા પૂર્વ જજોમાં બોમ્બે હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ક્ષિતિજ વ્યાસ, ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ એસ. એમ. સોની, રાજસ્થાન હાઈકોર્ટના જજ આર.એસ. રાઠોર અને પ્રશાંત અગ્રવાલનો સમાવેશ થાય છે. આ સિવાય દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ એસ. એન. ઢિંગરા પણ પત્ર લખનારા જજોમાં સામેલ છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (એફસીઆરએ) સંબંધિત કેટલાક નિયમોમાં સુધારો કર્યો છે, જેને પગલે હવે વિદેશમાં વસતા ભારતીયો ઓથોરિટીને જાણ કર્યા વિના તેમજ કોઈપણ નિયંત્રણ વિના દેશમાં એક વર્ષમાં તેમના પરિવાર-સંબંધીઓને રૂ. ૧૦ લાખ સુધીની રકમ મોકલી શકશે. અગાઉ આ મર્યાદા માત્ર રૂ. ૧ લાખની હતી.
ગૃહમંત્રાલયે એક નોટિફિકેસનમાં જણાવ્યું છે કે વિદેશમાં વસતા ભારતીયો તંત્રને જાણ કર્યા વિના રૂ. ૧૦ લાખથી વધુની રકમ મોકલે તો તેમણે ૯૦ દિવસમાં આ અંગે સરકારને જાણ કરવાની રહેશે. અગાઉ આ સમય મર્યાદા માત્ર ૩૦ દિવસ હતી. ગૃહમંત્રાલયે શુક્રવારે રાત્રે ગેઝેટ નોટિફિકેશન મારફત ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) અમેન્ડમેન્ટ રુલ્સ, ૨૦૨૨ના નવા નિયમો લાગુ કર્યા છે.
નોટિફિકેશનમાં જણાવાયું છે કે ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) રુલ્સ, ૨૦૧૧ના નિયમ ૬માં એક લાખ રૂપિયાના બદલે દસ લાખ રૂપિયા અને ૩૦ દિવસના બદલે ત્રણ મહિના શબ્દ બદલવામાં આવ્યા છે. રુલ્સ ૬ સંબંધીઓને વિદેશી ધન મેળવવાની માહિતી સંબંધિત છે. તેમાં પહેલા કહેવાયું હતું કે, કોઈપણ વ્યક્તિએ પોતાના કોઈ સંબંધીને એક નાણાકીય વર્ષમાં ૧ લાખ રૂપિયા અથવા તેના જેટલું વિદેશી નાણું મોકલે તો વિદેશી યોગદાન મળ્યાના ૩૦ દિવસમાં કેન્દ્ર સરકાર (નાણાં વિગતો)ને સૂચિત કરવાની રહેશે.
એ જ રીતે નિયમ ૯માં પણ ફેરફાર કરાયો છે. તેના હેઠળ હવે વ્યક્તિઓ અથવા સંગઠનો અથવા બીન સરકારી સંગઠનોના બેન્ક ખાતા અંગે ગૃહમંત્રાલયને સૂચિત કરવા માટેનો સમય ૪૫ દિવસ કરી દેવાયો છે. આ પહેલા આ સમય મર્યાદા ૩૦ દિવસ હતી. નિયમ ૯ નાણાં મેળવવા માટે એફસીઆરએ હેઠળ ‘નોંધણી’ અથવા ‘પૂર્વ મંજૂરી’ મેળવીને અરજી કરવા સંબંધિત છે.
કેન્દ્ર સરકારે નિયમ ૧૩માં જોગવાઈ ‘બી’ને પણ ‘છોડી દીધી’ છે, જે પોતાની વેબસાઈટ પર દર ત્રણ મહિનામાં દાતાઓની વિગતો, મેળવેલી રકમ અને તારીખ વગેરે સહિત વિદેશી નાણાંની વિગતો જણાવે છે. હવે એફસીઆરએ હેઠળ વિદેશી ભંડોળ મેળવનારી કોઈપણ વ્યક્તિએ આવક અને ખર્ચના સ્ટેટમેન્ટ સહિત વિદેશી ભંડોળ મેળવવા માટે ઉપયોગમાં લેવાયેલા ખાતાનું ઓડિટ કરાવેલું સ્ટેટમેન્ટ, રિસિપ્ટ અને પેમેન્ટ એકાઉન્ટ તથા એપ્રિલના પહેલા દિવસથી શરૂ કરીને પ્રત્યેક નાણાકીય વર્ષ માટેની બેલેન્સ શીટ નાણાકીય વર્ષ પૂરું થવાના નવ મહિનામાં તેની સત્તાવાર વેબસાઈટ અથવા કેન્દ્ર દ્વારા નિર્દિષ્ટ ચોક્કસ વેબસાઈટ પર પૂરાં પાડવાના રહેશે.
પોલીસે અત્યાર સુધીનો સૌથી આધુનિક બંદોબસ્ત ગોઠવ્યો હતો
૧૦ હજારથી વધારે બોડી વોર્ન કેમેરા, ડ્રોન સહિતના હાઇટેક સાધનો સાથે ગ્રાઉન્ડ લેવલે પણ પોલીસનો લોંખડી બંદોબસ્ત રખાયો હતો
અમદાવાદ
ગુજરાતમાં અમદાવાદ અને ભાવનગર સહિત નાની મોટી ૧૮૦ જેટલી રથયાત્રા વિના વિધ્ને પૂર્ણ થઇ હતી. રથયાત્રા દરમિયાન રાજ્યની શાંતિ ન ડહોળાઇ તે માટે પોલીસે અત્યાર સુધીનો સૌથી મોટો અને હાઇટેક બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેમાં પોલીસે ડ્રોન, બોડી વોર્ન કેમેરા સહિતના સાધનોનો ઉપયોગ કર્યો હતો. આ સાથે રથયાત્રામાં કોઇ અનિચ્છિનીય ઘટના ન બનતા પોલીસ વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. રાજ્યમાં અમદાવાદ બાદ ભાવનગરની રથયાત્રા બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ગુજરાતમાં અમદાવાદની ૧૪૫મી રથયાત્રા સહિત કુલ ૧૮૦ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. અમદાવાદની રથયાત્રામાં ૧૧ લાખ જેટલુ વિશાળ માનવ મહેરામણ ઉમટયુ હતું. અમદાવાદ બાદ રાજ્યની બીજી સૌથી મોટી રથયાત્રા ભાવનગરમાં યોજાઇ હતી. જેમાં સવા લાખ જેટલા ભાવિકો જોડાયા હતા.
આ ઉપરાંત, રાજકોટ, સુરત, વડોદરા, મહેસાણા, ગાંધીનગર સહિતની નાની મોટી ૧૮૦ જેટલી રથયાત્રાઓ યોજવામાં આવી હતી. રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગૃહ વિભાગે પોલીસ વિભાગ સાથે સંકલન કરીને અત્યાર સુધીનો સૌથી હાઇટેક અને સૌથી મોટો બંદોસ્ત ગોઠવવાનું નક્કી કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ડ્રોન, ૧૦ હજાર જેટલા બોડી વોર્ન કેેમેરા, સીસીટીવી નેટવર્ક, વધારાના કંટ્રોલ રૂમ તૈયાર કર્યા હતા. તો ગ્રાઉન્ડ લેવલે સંવેદનશીલ વિસ્તારોમાં તેમજ શંકાસ્પદ વ્યક્તિઓ પર વોચ રાખવામાં સ્ટેટ આઇબી અને સ્થાનિક પોલીસ કેટલાંક અધિકારીઓને એક મહિનાથી કામે લગાડયા હતા. જેના કારણે સમગ્ર રાજ્યમાં રથયાત્રા વિના વિઘ્ને સંપન્ન થઇ હતી.
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર નરહરિ સીતારામ જિરવાલે શિંદેના જૂથ દ્વારા રજૂ કરવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવને ફગાવી દીધો છે. જાણવા મળ્યા મુજબ કોઈ અનામી ઈ-મેઈલના માધ્યમથી અવિશ્વાસનો આ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. કોઈ પણ ધારાસભ્યએ તે પ્રસ્તાવને કાર્યાલયમાં જમા નહોતો કરાવ્યો. શિંદે જૂથના અવિશ્વાસ પ્રસ્તાવવાળા પત્ર પર કોઈ મૂળ હસ્તાક્ષર નહોતા.
અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવી દેવા પાછળ ધારાસભ્યોના હસ્તાક્ષર અસલી ન હોવાનું કારણ આપવામાં આવ્યું છે. સાથે જ તેને શિવસેનાના લેટરહેડ પર મોકલવામાં આવ્યો હતો. જ્યારે વિધાનસભાના રેકોર્ડ પ્રમાણે શિવસેના ધારાસભ્ય દળના નેતા અજય ચૌધરી છે, એકનાથ શિંદે નહીં. તેવામાં શિંદે જૂથ હવે સુપ્રીમ કોર્ટ જવાની તૈયારીમાં છે.
ડેપ્યુટી સ્પીકરે ઉદ્ધવ ઠાકરેના જૂથ દ્વારા આપવામાં આવેલી અયોગ્યતા અરજી પર શિવસેનાના 16 બાગી ધારાસભ્યોને નોટિસ પાઠવી છે. નોટિસ મોકલવામાં આવી તે ધારાસભ્યોએ સોમવાર સાંજના 5:00 વાગ્યા સુધીમાં તે નોટિસનો જવાબ આપવાનો રહેશે.
શિવસેના ભવન ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં તબિયત ખરાબ હોવા છતાં પણ ઉદ્ધવ ઠાકરેએ મોરચો સંભાળ્યો છે. આ તરફ શિવસૈનિકોના બાગી ધારાસભ્યોના કાર્યાલયોમાં તોડફોડને પગલે પોલીસે મુંબઈમાં કલમ 144 લાગુ કરી દીધી છે.
ભારતીય વાયુ સેનામાં આજથી અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી પ્રક્રિયા શરૂ થશે. આજથી એટલે કે 24 જૂન 2022થી ઉમેદવાર રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઓનલાઈન પરીક્ષા એક મહિના બાદ 24 જુલાઈએ યોજાશે. આ વર્ષે ડિસેમ્બર પહેલા બેચની ટ્રેનિંગ શરૂ થઈ જશે.
19 જૂને વાયુસેનાએ નવી યોજના વિશે તમામ ડિટેલ શેર કરી હતી. જે અંગર્ગત યોગ્યતાના માપદંડ, સેલરી પેકેજ, મેડિકલ અને CSD (કેન્ટીન સ્ટોર) સુવિધાઓ, વિકલાંગતા માટે વળતર, વિકલાંગતા મર્યાદાની ગણતરી, રજા અને તાલીમ સહિતની વિવિધ માહિતી આપવામાં આવી હતી.
– 18 વર્ષથી ઓછી ઉંમરના કર્મચારીઓ માટે નામાંકન પત્ર પર વર્તમાન જોગવાઈઓ અનુસાર માતા-પિતા કે વાલીઓના હસ્તાક્ષર કરાવવા પડશે. ગયા અઠવાડિયે સરકારે અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે વર્ષ 2022 માટે ઉચ્ચ વય મર્યાદા 21 થી વધારીને 23 વર્ષ કરી હતી.
– સાડા સત્તર વર્ષથી 21 વર્ષની વયજૂથના યુવાનોને ચાર વર્ષની મુદત માટે સામેલ કરવામાં આવશે. જ્યારે તેમાંથી 25 ટકાને બાદમાં નિયમિત સેવામાં સામેલ કરવામાં આવશે. નવી યોજના હેઠળ ભરતી થનાર યુવાનોને ‘અગ્નિવીર’ કહેવામાં આવશે.
– વાયુસેનાએ કહ્યુ, ચાર વર્ષના સમયગાળા બાદ તમામ અગ્નિવીર સમાજમાં પાછા ફરશે. બહાર નીકળનારા અગ્નિવીરોને વાયુસેનાના નિયમિત કેડરમાં નામાંકન માટે અરજી કરવાની તક આપવામાં આવશે.
– પ્રત્યેક અગ્નિવીર દ્વારા પ્રાપ્ત કૌશલ માટે એક સર્ટિફિકેટ જારી કરવામાં આવશે, જે તેમના બાયોડેટાનો ભાગ બનશે. આ અરજી પર એક કેન્દ્રીયકૃત બોર્ડ પારદર્શક રીતે વિચાર કરશે અને વાયુસેનામાં મૂળ અગ્નિવીરોના વિશિષ્ટ બેચની સંખ્યાના મોટાભાગના 25 ટકા સૈનિકોને પ્રદર્શનના આધારે સામેલ કરવામાં આવશે.
– વાયુસેનાએ કહ્યુ કે રજાની અનુમતિ સંગઠનની આવશ્યકતાઓ અનુસાર આપવામાં આવશે. પ્રત્યેક અગ્નિવીરને 30 દિવસની વાર્ષિક રજા આપવામાં આવશે, જ્યારે બીમારીની રજા મેડીકલ રિપોર્ટ પર નિર્ભર કરશે.
– અગ્નિવીરોને ભારતીય વાયુસેનામાં એક અલગ રેન્ક આપવામાં આવશે, જે કોઈ પણ અન્ય વર્તમાન રેન્કથી અલગ થશે. અગ્નિવીરોને નવી યોજનાના તમામ નિયમો અને શરતોનો સ્વીકાર કરવો પડશે.
– આ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતીની નૌસેનાની યોજનાનુ વિવરણ આપતા વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ કહ્યુ કે નૌસેના મુખ્યાલય 25 જૂન સુધી ભરતી માટે વ્યાપક દિશાનિર્દેશ જારી કરશે. તેમણે કહ્યુ કે પહેલી બેચ 21 નવેમ્બર સુધી તાલીમ કાર્યક્રમ શરૂ કરશે.
– લેફ્ટિનેંટ જનરલ પુરીએ કહ્યુ હતુ કે સરકાર અગ્નિપથ યોજનાને લાગુ કરવાની દિશામાં આગળ વધી રહી છે. તેમણે યુવાનોને પોતાનુ વિરોધ પ્રદર્શન પૂરુ કરવાની અપીલ કરી હતી.
– લેફ્ટિનેંટ જનરલ પોનપ્પાએ કહ્યુ કે 25,000 કર્મચારીઓની પહેલી બેચ ડિસેમ્બરના પહેલા અને બીજા સપ્તાહમાં તાલીમ કાર્યક્રમ સાથે જોડાશે તથા બીજી બેચ 23 ફેબ્રુઆરીની આસપાસ પોતાની તાલીમમાં સામેલ થશે.
મહારાષ્ટ્ર સરકારમાં શિવસેના ક્વોટાના મંત્રી એકનાશ શિંદે સાથે સુરતમાં કમસે કમ 30 જેટલા ધારાસભ્યો હોવાની વાતને સૂત્રોએ સમર્થન આપ્યું છે. ગઇકાલે મોડી રાત્રે શિવસેનાના ધારાસભ્ય અને મહારાષ્ટ્રની અઘાડી સરકારના મંત્રી, અસંતુષ્ઠ નેતા એકનાથ શિંદે સાથે કેટલાક ધારાસભ્યો સુરત આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે સવારે સુરતની ફાઇવસ્ટાર હોટેલમાં મહારાષ્ટ્રના 24 ધારાસભ્યો હાજર હતા જેમાં હાલની અઘાડી સરકારમાં મિનિસ્ટર પદ ધરાવતા 4 નેતાઓનો પણ સમાવેશ થાય છે. એ પછી આજે મંગળવાર, તા.21મીએ સવારે પણ અન્ય ધારાસભ્યો સુરતની હોટેલ પર આવી પહોંચ્યા હતા.
મહારાષ્ટ્રને હચમચાવી દેનાર એકનાથ શિંદે વિશે જાણો
મહારાષ્ટ્રની રાજનીતિમાં એકનાથ શિંદે ઠાકરે પરિવારની બહાર સૌથી તાકાતવર શિવસૈનિક ગણાવાય રહ્યા છે. એવી પણ વાત જાણવા મળી કે જો 2019માં ઉદ્ધવ ઠાકરે અઘાડી સરકારમાં મુખ્યમંત્રી બનવા માટે તૈયાર નહીં થયા હોત તો એ સમયે એકનાથ શિંદે જ મુખ્યમંત્રી તરીકે વરાયા હોત.
59 વર્ષના શિંદે મહારાષ્ટ્ર સરકારમાં શહેરી વિકાસ મંત્રી છે. વર્ષ 1980માં તેઓ શિવસેનામાં શાખા પ્રમુખ તરીકે જોડાયા હતા. શિંદે થાણેની કોપરી-પંચપખાડી બેઠક પરથી 4 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. પાર્ટી માટે તેઓ જેલ પણ ગયા છે. તેમની છબી કટ્ટર અને વફાદાર શિવસૈનિકની રહી છે.
એકનાથ શિંદે મહારાષ્ટ્રના સતારા જિલ્લાના પહારી જવાલી તાલુકાના વતની છે. થાણે શહેરમાં ગયા પછી તેમણે મંગલા હાઈસ્કૂલ અને જુનિયર કૉલેજ, થાણેમાં ધોરણ 11 સુધી અભ્યાસ કર્યો. થાણેમાં શિંદેનો પ્રભાવ એવો છે કે લોકસભા ચૂંટણી હોય કે કોર્પોરેશનની ચૂંટણી હોય તેમના ઉમેદવાર હંમેશા ચૂંટણી જીત્યા છે. એકનાથના પુત્ર શ્રીકાંત શિંદે પણ શિવસેનાની ટિકિટ પર કલ્યાણ બેઠક પરથી સાંસદ છે. તેઓ ઓક્ટોબર 2014 થી ડિસેમ્બર 2014 સુધી મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા હતા. 2014માં જ મહારાષ્ટ્ર રાજ્ય સરકારમાં PWD ના કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત થઇ હતી. 2019ની સાલમાં કેબિનેટ મંત્રી જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ (મહારાષ્ટ્ર સરકાર) નું પદ મળ્યું.
એકનાથ શિંદેની નારાજગી નવી વાત નથી, આજનો સમય યોગ્ય રહ્યો
શિવસેના હાઈકમાન્ડથી એકનાથ શિંદેની નારાજગી કોઈ નવી વાત નથી. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ત્રણ ગઠબંધન પાર્ટી શિવસેના, કોંગ્રેસ અને એનસીપીથી નારાજ છે. અગાઉ જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી હતા તે સમયે પણ શિવસેના હાઈકમાન્ડ સાથે એકનાથ શિંદેની ટક્કરના અહેવાલ હતા. ત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે એકનાથ શિંદે તેમના તમામ સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ શકે છે. જો કે તે સમયે આ અહેવાલો ખોટા સાબિત થયા હતા અને તેમણે પોતે આ વાતનું ખંડન કર્યું હતું. પરંતુ હવે ફરી નારાજગીનો મામલો સામે આવ્યો છે.
બીજી તરફ મહારાષ્ટ્રના કોંગ્રેસના નેતાએ સરકાર લઘુમતિમાં હોવાની વાતને પણ સમર્થન આપ્યું છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે એક નિવેદનમાં કહ્યું હતું કે એકનાથ શિંદે મુંબઇમાં નથી પરંતુ, એ અમારા સંપર્કમાં જરૂર છે.
Reported @ 7.12 am 21/6/22
મહારાષ્ટ્રની રાજનીતિમાં સુરત વાઇરલ?!, મહારાષ્ટ્રના એક નારાજ મંત્રી અનેક MLA સાથે સુરત કેમ આવ્યા?, અનેક તર્કવિતર્ક
મહારાષ્ટ્ર સરકાર અને મુંબઇના ટોચના રાજકારણીઓથી લઇને વીવીઆઇપીઝનું ધ્યાન છેલ્લા 10 કલાકથી સુરત પર કેન્દ્રીત થયું છે. રાજકીય ગતિવિધિ એવી સર્જાઇ છે કે મહારાષ્ટ્રની શિવસેના-કોંગ્રેસ-એનસીપી સરકારના નારાજ મનાતા મંત્રી એકનાથ શિંદે સહિત કેટલાક ધારાસભ્યો એક સાથે ગઇકાલે સોમવાર, તા.20મી જૂનની મોડી રાત્રે સુરત આવી પહોંચ્યા હતા. તેઓ સુરતના અઠવાલાઇન્સ સ્થિત મેરીયોટ હોટલમાં રોકાયા છે. બસ આ જ કારણે સમગ્ર મહારાષ્ટ્રના પોલિટિક્સનું આજનું કેન્દ્ર બિંદુ સુરત બન્યું હોવાની ચર્ચા સમગ્ર દેશમાં વાઇરલ થઇ છે.
શિવસેનાથી નારાજ મંત્રી એકનાથ સિંદે ગઈકાલ રાથી સંપર્ક વિહોણા થયા હતા. એકનાથ શિંદે સાથે શિવસેનાના 20 જેટલા ધારાસભ્યો પણ સંપર્ક વિહોણા થયાં હોવાની ચર્ચા શરૂ થઈ હતી. જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણ ગરમાયું હતું.
મહારાષ્ટ્ર સરકારના નારાજ મંત્રી એકનાથ શિંદે અને તેમની સાથે ધારાસભ્યો સુરત આવીને મેરીડીયન હોટેલમાં રોકાયા હોવાની બાબતને સત્તાવાર રીતે કોઇ પુષ્ટી મળી નથી પરંતુ, હોટેલની આજુબાજુ જે રીતે પોલીસે નાકાબંધી કરીને અજાણ્યા લોકોના પ્રવેશ બંધ કરી દીધા છે એ જોતા કોઇક મોટું ડેવલપમેન્ટ હોટેલમાં થયું હોવાની વાતને સમર્થન જરૂર મળી રહ્યું છે.
મહારાષ્ટ્રના આ ધારાસભ્યો ત્યાંના વર્તુળમાંથી સંપર્ક વિહોણા ગણાવાય રહ્યા છે
એકનાથ શિંદે – કોપરી
અબ્દુલ સત્તાર – સિલ્લોડ – ઔરંગાબાદ
શંભૂરાજ દેસાઇ – સતારા
સંદિપાન ભૂમરે – પૈઠણી – ઔરંગાબાદ
ઉદયશસહ રાજપૂત – કન્નડ- ઔરંગાબાદ
ભરત ગોગાવલે – મહાડ – રાયગઢ
નિતીન દેશમુખ – બાળાપુર – અકોલા
અનિલ બાબર – ખાનાપુર – આટપાડી – સાંગલી
વિશ્વનાથ ભોઇર – કલ્યાણ પશ્ચિમ
સંજય ગાયકવાડ – બુલઢાણા
સંજય રામુલકર – મેહકર
મહેશ સિંદે – કોરેગાંવ – સતારા
શહાજી પાટીલ – સાંગોલા – સોલાપૂર
પ્રકાશ અબિટકર – રાધાપુરી – કોલ્હાપૂર
સંજય રાઠોડ – દિગ્રસ – યવતમાળ
જ્ઞાનરાજ ચૌગુલે -ઉમરગાસ – ઉસ્માનાબાદ
તાનાજી સાવંત – પરોડા – ઉસ્માનાબાદ
સંજય શિરસાટ – ઔરંગાબાદ પશ્ચિમ
રમેશ બોરનારે – બૈજાપૂર – ઔરંગાબાદ
એકનાથ સિંદે અને ધારાસભ્યો નારાજ થઈ સંપર્ક વિહોણા થયા અને સુરત આવ્યા હોવાથી આગામી દિવસમાં મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેર થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
રાજકીય ગતિવિધિઓ જોતા આગામી રાજ્યસભાની ચૂંટણીઓના વોટીંગ પહેલા સર્જાયેલી આ ગતિવિધિને પગલે અનેક તર્કવિતર્ક જોવા મળી રહ્યા છે. દરમિયાન એવી પણ જાણકારી મળી છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સુરત આવેલા મહારાષ્ટ્રના મંત્રી તેમજ ધારાસભ્યો સાથે મુલાકાત પણ કરી હતી. પરંતુ, આ અંગે કોઇ આધિકારીક પુષ્ટી કરવામાં આવી નથી.
પરંતુ, હાલ એક વાત નિશ્ચિત છે કે મહારાષ્ટ્રના રાજકીય તખ્તે સુરત વાઇરલ થઇ ચૂક્યું છે.
મહારાષ્ટ્રના અસંતુષ્ઠ મંત્રી એકનાથ શિંદે આજે બપોરે 12 કલાકે સુરતની હોટેલમાંથી જ પત્રકાર પરિષદ કરી શકે છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે બાળા સાહેબ ઠાકરેના ખાસ અને સૌથી નજીકના માનતા નેતા શિંદે પાસે સુરતમાં હોય તેનાથી વધારે ધારાસભ્યોનો ટેકો હોય શકે છે.
શિવસેનાના નેતા સંજય રાઉતનું મોટું નિવેદન
સંજય રાઉતે આ સમગ્ર ઘટનાક્રમ પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સી.આર.પાટીલે જ એકનાથ શિંદે માટે રૂમ બુક કર્યા છે. સુરતમાં ભાજપે જ એકનાથ શિંદેની વ્યવસ્થા કરી. મહારાષ્ટ્રના રાજકારણમાં કોઇ ભૂકંપ આવ્યો નથી. આ બહુ મોટું ષડયંત્ર છે, શિવસેના ઇમાનદારની સેના છે.
તેમણે વધુમાં કહ્યું કે શિવસેનાના કેટલાંક ધારાસભ્ય અને એકનાથ શિંદે સાથે હાલ સંપર્ક થઇ શકયો નથી. મહાવિકાસ અઘાડીની સરકારને તોડવાની કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ ભાજપે એ યાદ રાખવું પડશે કે મહારાષ્ટ્ર રાજસ્થાન કે મધ્યપ્રદેશથી ખૂબ જ અલગ છે.
કેન્દ્ર સરકારે સૈન્યમાં રજૂ કરેલી નવી ભરતી યોજના ‘અગ્નિપથ’નો વિરોધ વધી રહ્યો છે અને સરકાર પર યોજના પાછી ખેંચવા દબાણ થઈ રહ્યું છે. એવા સમયમાં રવિવારે કેન્દ્ર સરકારે ધરાર જણાવી દીધું છે કે અગ્નિપથ યોજના કોઈપણ સંજોગોમાં પાછી ખેંચવામાં નહીં આવે. ઉલટાનું સૈન્યની ત્રણેય પાંખે રવિવારે અગ્નિપથ યોજના હેઠળ ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. સૈન્યની ત્રણેય પાંખના પ્રમુખોએ રવિવારે આ સંદર્ભમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને અગ્નિવીરો માટે ભરતી પ્રક્રિયાના કાર્યક્રમની સંપૂર્ણ વિગતો જાહેર કરી હતી. વધુમાં સરકારે સ્પષ્ટ કરી દીધું હતું કે સૈન્યમાં હવે અગ્નિપથ યોજના હેઠળ જ ભરતી હાથ ધરવામાં આવશે.
અગ્નિપથ યોજના સામે ચાલતા વિરોધ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રવિવારે સૈન્યની ત્રણેય પાંખના પ્રમુખો સાથે બેઠક કરી હતી. ત્યાર પછી ત્રણેય પ્રમુખોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમાં સૈન્ય બાબતોના વિભાગના અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ ત્રણ બાબતો સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું કે એક તો કોઈપણ સંજોગોમાં આ યોજના પાછી નહીં ખેંચાય. બીજું અગ્નિપથ યોજનાના વિરોધમાં હિંસામાં સામેલ યુવાનોને ભરતીમાં તક નહીં મળે. ત્રીજું યોજનામાં યુવાનોની ચિંતાઓને ધ્યાનમાં રાખતા જે ફેરફાર કરાયા છે તે દબાણ હેઠળ નહીં, પરંતુ અગાઉથી જ નિશ્ચિત હતા.
1989થી આ યોજના રજૂ કરવાની કવાયત હાથ ધરાઈ હતી
જનરલ અનિલ પુરીએ કહ્યું કે, સૈન્યમાં આ સુધારો લાંબા સમયથી લાવવાની તૈયારી ચાલી રહી હતી. આ સ્કીમની માગ વર્ષ ૧૯૮૯માં કરાઈ હતી. સૈન્યમાં ભરતી માટે સૌથી પહેલી જરૂરિયાત શિસ્ત હોય છે, તેથી યુવાનોએ શાંત થઈને આ યોજનાને સમજવાની જરૂર છે. અમે કારગીલ સમીક્ષા સમિતિ અને અરૂણ સિંહ સમિતિના રિપોર્ટની ભલામણો મુજબ સૈન્યમાં વય પ્રોફાઈલ ઘટાડવા માગતા હતા. હાલમાં સરેરાશ વય ૩૨ વર્ષ છે. હવે આર્મીમાં બધી જ ભરતી આ સ્કીમ હેઠળ થશે.
આર્મીમાં અગ્નિવીરોની બીજી બેચ ફેબુ્રઆરીમાં સૈન્યમાં જોડાશે
લેફ. જન. બંસી પોનપ્પાએ કહ્યું કે, આર્મી સોમવારે જાહેરનામું બહાર પાડશે. ત્યાર પછી ૧લી જુલાઈ સુધીમાં વિવિધ ભરતી યુનિટ્સના જાહેરનામા આવશે. અગ્નિપથ યોજના હેઠળ અંદાજે ૪૦,૦૦૦ અગ્નિવીરોની ભરતી માટે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઑક્ટોબરમાં સમગ્ર દેશમાં ૮૩ રેલીઓ યોજવામાં આવશે. અગ્નિવીરોની બીજી બેચ આગામી વર્ષે ફેબુ્રઆરી સુધીમાં સૈન્યમાં જોડાઈ જશે. અંદાજે ૨૫,૦૦૦ અગ્નિવીરોની પહેલી બેચ ડિસેમ્બર સુધીમાં સૈન્યમાં જોડાઈ જશે.
એરફોર્સમાં ડિસે.માં અગ્નિવીરોની પહેલી બેચ
એરમાર્શલ એસ. કે. ઝાએ કહ્યું કે, એરફોર્સમાં અગ્નિપથની પહેલી બેચ માટે ૨૪મી જૂનથી રજિસ્ટ્રેશન શરૂ કરાશે. એક મહિના પછી ૨૪ જુલાઈથી ઓનલાઈન પરિક્ષા શરૂ કરાશે. અગ્નિવીરોની પહેલી બેચ ડિસેમ્બરમાં સામેલ કરાશે, ૩૦મી ડિસેમ્બરથી અગ્નિવીરોની તાલિમ શરૂ થઈ જશે. અગ્નિવીરોની સેવા શરતો નિયમિત સૈનિકો જેવી જ હશે.
જનરલ પુરીએ જણાવ્યું કે, ભારતીય સૈન્યનો પાયો શિસ્ત છે. આર્મીમાં આગજની, તોડફોડ અને હિંસા માટે કોઈ જગ્યા નથી. અગ્નિપથ યોજના સામે દેશભરમાં થઈ રહેલા વિરોધ અંગે તેમણે કહ્યું કે, પ્રત્યેક અગ્નિવીરે માત્ર અગ્નિપથ જ નહીં કોઈપણ હિંસક આંદોલનમાં સામેલ નહોતા તેવું સોગંદનામું આપવું પડશે. કોઈની સામે એફઆઈઆર થઈ હોવાનું જણાશે તો તે આ યોજના હેઠળ સૈન્યમાં જોડાઈ શકશે નહીં.
આર્મીમાં નજીકના સમયમાં અગ્નિવીરોની સંખ્યા 1.25 લાખ થશે
જનરલ અનિલ પુરીએ કહ્યું કે અમે પાયાના સ્તરે ક્ષમતા નિર્માણ કરવા અને યોજનાનું વિશ્લેષણ કરવા માટે આ વર્ષે ૪૬,૦૦૦ અગ્નિવીરોની ભરતી સાથે શરૂઆત કરીશું. આગામી ૪-૫ વર્ષોમાં અગ્નિવીરોની સંખ્યા ૫૦ હજારથી ૬૦ હજાર થઈ જશે અને ત્યાર પછી વધીને ૧.૨૫ લાખ સુધી થઈ જશે.
રાજ્યોની પોલીસમાં અગ્નિવીરોને અગ્રતાની જાહેરાત
અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશભરમાં થઈ રહેલા દેખાવો વચ્ચે અસમ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, અરૂણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટક જેવા અનેક રાજ્યોએ પોલીસમાં અગ્નિવીરોને અગ્રતા આપવાની જાહેરાત કરી છે.
અગ્નિપથ યોજના મુદ્દે કેન્દ્રના આકરા પગલાં
ફેક ન્યૂઝ ફેલાવતા 35 વોટ્સએપ ગૂ્રપ પર પ્રતિબંધ, 10ની ધરપકડ
અગ્નિપથ યોજના અંગે દેશના અનેક રાજ્યોમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે ત્યારે સરકારે આ યોજના અંગે યુવાનોની શંકાઓનું સમાધાન કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. બીજીબાજુ આ યોજના અંગે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવતા લોકો સામે પણ સરકારે આકરાં પગલાં લેવાનું શરૂ કર્યું છે. અગ્નિપથ યોજના અંગે નકલી સમાચારો અને ભ્રામક માહિતી ફેલાવવા બદલ સરકારે વોટ્સઅપના ૩૫ ગૂ્રપો પર પ્રતિબંધ મૂકી દીધો છે. વધુમાં આ યોજના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરનારા અને દુર્ભાવનાપૂર્ણ ખોટી માહિતી ફેલાવવાના આરોપમાં ૧૦ લોકોની ધરપકડ પણ કરાઈ છે. ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પોલીસે યુવાનોને ઉશ્કેરનારા પાંચ લોકોની ધરપકડ કરી હતી.
દેશના યુવાનોમાં આક્રોશ વચ્ચે ભાજપ નેતાનો બફાટ
અગ્નિવીરોને ભાજપ ઓફિસમાં ગાર્ડ માટે પ્રાથમિક્તા અપાશે : વિજયવર્ગીય
કેન્દ્ર સરકારે સૈન્યમાં ભરતી માટે રજૂ કરેલી અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશભરમાં યુવાનોમાં આક્રોશ ફેલાયો છે અને ઠેરઠેર દેખાવો થઈ રહ્યા છે. આવા સમયમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના નિવેદને આ આક્રોશની આગમાં ઘી નાંખવાનું કામ કર્યું છે. વિજયવર્ગીયના નિવેદનને દેશના જવાનો માટે અપમાનજનક ગણાવાઈ રહ્યું છે.
અગ્નિપથ યોજના અંગે દેશભરમાં વિરોધ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહેતા જણાય છે કે તેમને ભાજપ ઓફિસમાં સિક્યોરિટી રાખવી હશે તો તેઓ અગ્નિવીરોને પ્રાથમિક્તા આપશે. તેઓ ઈન્દોરમાં અગ્નિપથ યોજનાની વિશેષતાઓ અંગે કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે સમયે તેમણે આ નિવેદન આપ્યું હતું. જોકે, આ નિવેદનના પગલે તેમની સામે પક્ષમાંથી જ અને રાજકીય સ્તરે ભારે વિરોધ થઈ રહ્યો છે.
ભાજપના સાંસદ વરુણ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસે આ મુદ્દે વિજયવર્ગીયને ઘેરી લીધા છે. વિજયવર્ગીયને જવાબ આપતા કોંગ્રેસે સોશિયલ મીડિયા પર લખ્યું કે, અગ્નિપથ અંગે બધી જ શંકાઓ દૂર કરી દીધી. ભાજપના કૈલાશ વિજયવર્ગીયે. આ સત્યાગ્રહ આ માનસિક્તાના વિરોધમાં છે.’ વરુણ ગાંધીએ ટ્વિટર પર વીડિયો શૅર કરતા કહ્યું, ‘જે મહાન સેનાની વીર ગાથાઓ કહેવામાં આખો શબ્દકોશ અસમર્થ હોય, જેના પરાક્રમના ડંકા આખા વિશ્વમાં ગુંજતા હોય, તે ભારતીય સૈનિકને કોઈ રાજકીય ઓફિસની ‘ચોકીદારી’ કરવાનું આમંત્રણ. તેને આપનારને જ મુબારક. ભારતીય સૈન્ય માં ભારતીની સેવાનું માધ્યમ છે, માત્ર એક ‘નોકરી’ નહીં.’
જોકે, આ અંગે વિવાદ વધતા કૈલાશ વિજયવર્ગીયે તુરંત ખુલાસો આપતા કહ્યું, અગ્નિપથ યોજનાથી નીકળનારા અગ્નિવીરો નિશ્ચિતરૂપે તાલિમબદ્ધ અને કર્તવ્ય પ્રત્યે કટિબદ્ધ હશે, સૈન્યમાં સેવાકાળ પૂરો કર્યા પછી તેઓ જે પણ ક્ષેત્રમાં જશે ત્યાં તેમની ઉત્કૃષ્ટતાનો ઉપયોગ થશે. મારો આશય માત્ર એટલો જ હતો. અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું, ટૂલકિટ સાથે સંકળાયેલા લોકો મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરીને કર્મવીરોનું અપમાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.