કાર ચાલકે ડિવાઇડર કૂદાવી છ લોકોને અડફેટે લીધાં, બે ભાઈઓનું ઘટનાસ્થળે જ નિપજ્યું મોત
ગુજરાતના સુરતમાંથી અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શુક્રવારે (7 ફેબ્રુઆરી) મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતા કારચાલકે કાર ડિવાઈડર કૂદાવીને એક બાદ એક છ વાહનોને અડફેટે લીધા હતાં. અકસ્માતમાં બે સગા ભાઈના મોતની ખબર સામે આવી રહી છે. જોકે, અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
સુરતના આઉટર રિંગરોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ પર શુક્રવારે (8 ફેબ્રુઆરી) મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવેલી કારના ચાલકે ગાડી પરથી કાબૂ ગુમાવ્યો હતો. બાદમાં પૂરપાટ ઝડપે આવતી આ ગાડી ડિવાઈડર કૂદાવી સામેના રોડમાં પહોંચી ગઈ હતી. આ દરમિયાન ગાડીએ સામેના રોડે આવતા કુલ પાંચ વાહનો સહિત છ લોકોને અડફેટે લીધા હતાં. જેમાં બે સગા ભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ સિવાય એક મહિલા સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. સમગ્ર મામલે આસપાસના લોકોએ એકત્રિત થઈ તાત્કાલિક ધોરણે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તમામ લોકો હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ગાડીના આગળના ભાગ આખો તૂટી યો હતો. આ સિવાય ગાડી જે વાહન સાથે અથડાઈ હતી તેનો પણ ભૂકો બોલાઈ ગયો હતો. ગાડીનો નંબર GJ 05-RF-0317 નોંધવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, અકસ્માત દરમિયાન ગાડીમાં ચાર લોકો સવાર હતાં. જેમાંથી એક શખસને સ્થાનિકોએ ત્યારે જ પકડી લીધો હતો. જોકે, કાર ચાલક સહિત અન્ય બે ફરાર થઈ ગયાં હતાં. બાદમાં સ્થાનિકો દ્વારા જ સમગ્ર મામલે પોલીસને જાણ કરી આ શખસને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. હાલ, સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે ચાલતી રો-રો ફેરી મારફતે મોકલાતો દારૂ સ્ટેટ મોનીટરીંગ સેલે એક જ મહિનામાં બીજી વખત ઝડપી લીધો છે. સ્ટેટ મોનીટરીંગ સેલે હજીરા સ્થિત રો-રો ફેરીના પાર્કિંગમાં પાર્ક કરેલા આઇશર ટેમ્પોમાં લેમીનેશન કરી રાખેલા સ્ટીમ બોઈલરનું લેમીનેશન દૂર કરી અંદર તપાસ કરતા તેમાંથી 19.20 લાખ રૂપિયાની દારૂની 19,200 બોટલ મળી હતી.
સ્ટેટ મોનીટરીંગ સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, પીએસઆઈ વી.સી.જાડેજા અને ટીમે મળેલી બાતમીના આધારે હજીરા સ્થિત રો-રો ફેરીના પાર્કિંગમાં પાર્ક કરેલા આઇશર ટેમ્પોમાં લેમીનેશન કરી રાખેલા સ્ટીમ બોઈલરનું લેમીનેશન દૂર કરી અંદર તપાસ કરી હતી. તેમાંથી 19.20 લાખની દારૂની 19,200 બોટલ મળી આવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલે ટેમ્પો ચાલક હુસેન મહેબૂબ નદાફુ અને ટેમ્પો માલિક હીરાલાલ બાશા નદાફુને ઝડપી ધરપકડ કરી હતી. આ ઉપરાંત સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ, બોઈલર, ટેમ્પો, બે મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ 36.09 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પોના ચાલક અને માલિકની ધરપકડ કરી હતી.
આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે,આ દારૂનો જથ્થો ગીર સોમનાથના વેરાવળ ખાતે એક વ્યક્તિને તેના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરીને આપવાનો હતો, બાદમાં આ જથ્થો સંભવતઃ જૂનાગઢ પહોંચાડવાનો હતો. આ રીતે દારૂ લઈ જવાની તેમની છઠ્ઠી ટ્રીપ હતી.
ઉલ્લેખનીય છે કે ગત સાતમી જાન્યુઆરીના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલે રો-રો ફેરીમાં દમણથી જૂનાગઢ મોકલતો 26.63 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડી બે વ્યક્તિની ધરપકડ કરી હતી. તેમની પણ તે બીજી ટ્રીપ હતી.
230 કરોડ રૂપિયાના નકલી ચાઇનીઝ લોન એપ કૌભાંડમાં EDએ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આ બધા આરોપીઓની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના કોચી ઝોનલ ઓફિસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ચારેય આરોપીઓ અલગ અલગ કંપનીઓના ડિરેક્ટર છે.
ED, Kochi has arrested four masterminds in connection with fake chinese loan app scam ongoing across the country. The suspect four persons namely (1) Daniel Selvakumar, Director of M/s Xoduz Solutions Pvt. Ltd. and operator of M/s Tyrannus Technology Pvt. Ltd.; (2) Allen Samuel,…
પ્રાપ્ત અહેવાલો અનુસાર નકલી ચાઇનીઝ લોન એપ કૌભાંડના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને મોટી સફળતા મળી છે. લોન આપીને લોકોને બ્લેકમેઇલિંગના જાળમાં ફસાવનારા 230 કરોડ રૂપિયાના આ કૌભાંડમાં EDએ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આ બધા આરોપીઓની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના કોચી ઝોનલ ઓફિસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ચારેય આરોપીઓ અલગ અલગ કંપનીઓના ડિરેક્ટર છે. ED એ ગુરુવારે આ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.
આ કેસની શરૂઆત કેરળ અને હરિયાણામાં નોંધાયેલ 11 એફઆઈઆરથી થઈ હતી. જેમાં લોકોએ ઊંચા વ્યાજ વસૂલવાના નામે ખંડણી અને બ્લેકમેઇલિંગની ફરિયાદ કરી હતી. ફેક લોન એપ ડાઉનલોડ કર્યા બાદ આરોપીઓએ લોકોના મોબાઇલ ડેટા હેક કર્યો. બાદમાં, તેમને બ્લેકમેઇલ કરવામાં આવ્યા અને તેમના બેંક ખાતાઓ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા દબાણ કરવામાં આવ્યું. EDની તપાસમાં જાણવા મળ્યું છે કે લૂંટાયેલા પૈસા નકલી કંપનીઓના ખાતામાં મોકલીને વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ પૈસા સિંગાપોરની Nium Pte Ltdને મોકલવામાં આવ્યા હતા.
EDની તપાસમાં સામે આવ્યું છે કે સિંગાપોરના નાગરિકના આદેશ પર, આ આરોપીઓએ 400 થી વધુ નકલી ખાતાઓમાં 230.92 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા અને પછી તેને સિંગાપોરની કંપનીઓમાં ટ્રાન્સફર કર્યા હતા. આ કેસમાં, ફેબ્રુઆરી 2024માં, EDએ મુંબઈ, ચેન્નાઈ અને કોચી સહિત 10 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન EDએ મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા હતા. તે ઉપરાંત અનેક બેંક ખાતાઓમાં 123.58 કરોડ રૂપિયાની રકમ ફ્રીઝ કરવામાં આવી હતી.
Saif ali khan admit at leelawati Hospital | જાણીતા ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર ચપ્પાં વડે હુમલો કરી દેવાની ચકચારી ઘટના સામે આવી છે. આ હુમલામાં અભિનેતા સૈફ અલી ઇજાગ્રસ્ત થયો હતો. માહિતી અનુસાર સૈફના ઘરમાં મોડી રાતે ચોર ઘૂસી ગયો હતો. આ ચોરીની ઘટના બાંદ્રાવાળા બંગ્લોમાં બની હતી. જે દરમિયાન એક ચોરે સૈફ અલી ખાન પર હુમલો કરી દીધો હતો. જેમાં તે ઈજાગ્રસ્ત થયા. હાલમાં તેમની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડૉક્ટરોએ કહ્યું કે તેને ગળાના ભાગે 10 સેમી.નો ઘા પડી ગયો છે. જોકે તે હજુ ખતરાથી બહાર છે. તેને પીઠ અને હાથ ઉપર પણ ઈજાઓ થઈ છે.
માહિતી અનુસાર આ ઘટના સવારે 3 વાગ્યે બની હતી. એક ચોર સૈફના ઘરમાં ઘૂસી આવ્યો હતો. આ દરમિયાન અમુક નોકર ઊંઘમાંથી ઊઠી એલર્ટ થઈ ગયા અને ચોર ચોરની બૂમ પાડવા લાગ્યા. તે સમયે સૈફ અલી પણ ઊંઘમાંથી જાગી ગયો અને ચોરને પકડવા દોડ્યો હતો. આ દરમિયાન ચોરે સૈફ પર ચપ્પાં વડે હુમલો કરી દીધો જેમાં સૈફ ઈજાગ્રસ્ત થયો હતો. સૈફ અલી ખાનની ટીમના જણાવ્યાનુસાર હાલમાં સૈફ અલી ખાનની સર્જરી ચાલી રહી છે. તેને બે ત્રણ ઈજાઓ થઈ છે જેમાંથી ગળાના ભાગે લાંબો ચીરો પડી ગયાની માહિતી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કાર્યવાહી કરતાં ઘરના અમુક કર્મચારીઓની અટકાયત કરી હતી અને તેમની પૂછપરછ શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર હજુ 3 લોકોની આ મામલે અટકાયત કરવામાં આવી છે. પોલીસ પૂછપરછ કરવા માટે આ લોકોને સાથે લઈ ગઈ છે.
જ્યારે આ ઘટના વિશે ઘરના નોકર અને સભ્યોને જાણકારી મળી તો તેઓ ડરી ગયા અને ઉતાવળે સૈફને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. તેમને લીલાવતી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. હાલ તેમને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. જોકે ઘટના બાદથી ચોર ફરાર થઇ ગયા હતા. મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમને ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને ચોરને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા હતા.
શરૂઆતમાં ઈજાગ્રસ્તે રિવોલ્વર સરખી કરતી વખતે ફાયરિંગ થયાની કેફિયત રજૂ કરતા પોલીસે પૂરતી તપાસ કર્યા વિના ગુનો નોંધ્યો : સીસીટીવી ફૂટેજ વાયરલ થતા વિવિધ કલમનો ઉમેરો કરવો પડયો
સુરતના ડીંડોલી સુમુખ સર્કલ પાસે આવેલ સાંઈ શક્તિ સોસાયટીમાં ગત રાત્રે મિત્રની બહેનના લગ્ન પ્રસંગે ડી.જે.પાર્ટીમાં ભાજપના વોર્ડ કોષાધ્યક્ષ અને કેક શોપના માલિકે પાંચ રાઉન્ડ ફાયરિંગ કરતા તે પૈકીની બે ગોળી ત્યાં હાજર બે યુવાનને વાગતા બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.તે પૈકી એક યુવાનને ગોળી જાંઘની આરપાર નીકળી ગઈ હતી.શરૂઆતમાં ઈજાગ્રસ્તે રિવોલ્વર સરખી કરતી વખતે ફાયરિંગ થયાની કેફિયત રજૂ કરતા પોલીસે પૂરતી તપાસ કર્યા વિના ગુનો નોંધ્યો હતો.જોકે, ત્યાર બાદ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા વિવિધ કલમનો ઉમેરો કરી ડેનીશ કેક શોપના માલિક ઉમેશ તિવારીની ધરપકડ કરી વરઘોડો કાઢ્યો હતો.
મૂળ મધ્યપ્રદેશના ભીંડનો વતની અને સુરતના ડીંડોલી સુમુખ સર્કલ પાસે સાંઈ શક્તિ સોસાયટી ઘર નં.118 માં રહેતો તેમજ પાણીપુરી વેચતો 27 વર્ષીય સંતોષ હોમસિંગ બધેલ ગતરાત્રે 11.15 કલાકે સોસાયટીમાં રહેતા પ્રવિણભાઈની બહેનના લગ્ન પ્રસંગે ડી.જે.પાર્ટીમાં હાજર હતો ત્યારે ત્યાં આવેલા પ્રવિણભાઈના મિત્ર ડેનીશ કેકના માલિક અને ભાજપના વોર્ડ નં.27 ના કોષાધ્યક્ષ ઉમેશ તિવારીએ તેની પાસેની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી પહેલા હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.ત્યાર બાદ ત્યાં હાજર લોકોએ તેને અટકાવતા તેણે રિવોલ્વર મૂકતી વેળા જમીન ઉપર વધુ બે રાઉન્ડ ફાયરિંગ કરતા ગોળી ઉછળીને સંતોષના ડાબા પગની જાંઘની આરપાર નીકળી ગઈ હતી.જયારે બીજી ગોળી ત્યાં હાજર સંતોષના મિત્ર અને કાપડ વેપારી વીરેન્દ્ર વિશ્વકર્માને ડાબા પગમાં વાગી હતી.ગોળી વાગતા બંને ફસડાઈ પડયા હતા.
બંને યુવાનોને સારવાર માટે પરવત પાટીયાની ખાનગી સર્જીકલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.બનાવની જાણ થતા ડીંડોલી પોલીસે સંતોષની ફરિયાદ નોંધતા તેણે ઉમેશ તિવારી રિવોલ્વર સરખી કરતો હતો ત્યારે ફાયરિંગ થયાની કેફિયત રજૂ કરતા પોલીસે તે મુજબ પૂરતી તપાસ કર્યા વિના ગુનો નોંધી દીધો હતો.જોકે, બાદમાં સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા અને તેમાં ઉમેશે ત્રણ રાઉન્ડ ફાયરિંગ હવામાં કર્યા બાદ કરેલા બીજા બે રાઉન્ડ ફાયરિંગમાં બંને યુવાનોને ઈજા થઈ હોવાનું બહાર આવતા પોલીસે આર્મ્સ એક્ટ સહિતની વિવિધ કલમનો ઉમેરો કરી ઉમેશ તિવારીની ધરપકડ કરી હતી.ત્યાર બાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી તેને હોસ્પિટલ લઈ જઈ ડીંડોલી પોલીસે તેનો વરઘોડો કાઢ્યો હતો.હાલ ઈજાગ્રસ્ત બંને યુવાનોની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.
યુ.પી. સ્ટાઈલમાં લગ્નપ્રસંગમાં ફાયરિંગ કરનાર ઉમેશ તિવારી સુરત ભાજપના મોટા ગજાના રાજકારણીઓ અને સુરત પોલીસમાં ફરજ બજાવતા અને અગાઉ બજાવી ગયેલા ઘણા પોલીસ અધિકારીઓનો માનીતો છે.એક સમયે સામાન્ય કેક શોપ ધરાવતો ઉમેશ તિવારી તેના સંપર્કોને લીધે હવે ડીંડોલી, ઉધના વિસ્તારમાં મોટું નામ ગણાય છે.તે જમીન દલાલીનું પણ કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
ઉમેશે તેની પાસેની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું તે લાયસન્સ વર્ષ 2020 માં લીધું હતું.ગતરાતના બનાવને પગલે પોલીસ આગામી દિવસોમાં તેનું લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી કરશે તેવું ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું.
હજીરા સાયણ રોડ અને ક્પલેથા ચેક પોસ્ટ પાસે ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન : વેડરોડનો યુવાન મુંબઈથી ડ્રગ્સ લઈ કારમાં મિત્રો સાથે સુરત આવતો હતો ત્યારે ઝડપાઈ ગયો બાઈક ઉપર આવતા કોસંબાના બે યુવાનો પોલીસને જોઈ ડ્રગ્સ-બાઈક મૂકી ખેતરમાં ભાગ્યા : છ કલાક પકડદાવ પકડાયા
સુરત ક્રાઈમ બ્રાન્ચે શહેરના બે છેવાડાના વિસ્તાર હજીરા સાયણ રોડ અને ક્પલેથા ચેક પોસ્ટ પાસેથી દોઢ કિલોથી વધુ એમ.ડી.ડ્રગ્સ સાથે પાંચ યુવાનોને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.1.53 કરોડનું એમ.ડી.ડ્રગ્સ, કાર, બાઈક, પાંચ મોબાઈલ ફોન, રોકડ મળી કુલ રૂ.1.57 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.તે પૈકી બાઈક ઉપર આવતા કોસંબાના બે યુવાનો પોલીસને જોઈ ડ્રગ્સનો જથ્થો અને બાઈક મૂકી શેરડીના ખેતરોમાં ભાગી જતા ક્રાઈમ બ્રાન્ચે છ કલાક કોમ્બીંગ કરી ઝડપી લીધા હતા.જયારે વેડરોડનો યુવાન મુંબઈથી ડ્રગ્સ લઈ કારમાં મિત્રો સાથે સુરત આવતો હતો ત્યારે ઝડપાઈ ગયો હતો.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગતરાત્રે પેટ્રોલીંગમાં હતી ત્યારે હજીરા સાયણ રોડ ઉપર બાઈક ઉપર આવતા બે યુવાનો પોલીસને જોઈ બાઈક અને રૂ.97,37,400 ની મત્તાનું 973.740 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ મૂકી શેરડીના ખેતરોમાં ભાગી ગયા હતા.ક્રાઈમ બ્રાન્ચે એફએસએલને સ્થળ ઉપર બોલાવી જરૂરી પરીક્ષણ કરતા તે એમ.ડી.ડ્રગ્સ હોવાનું સ્પષ્ટ થયા બાદ ભાગી ગયેલા બંને યુવાનોને શોધવા કોમ્બીંગ હાથ ધર્યું હતું.ક્રાઈમ બ્રાન્ચે છ કલાકની મહેનત બાદ કોસંબાના બે યુવાન તામીર શેખ અને સાહીલ દિવાનને ઝડપી પાડી તેમની પાસેથી ડ્રગ્સ ઉપરાંત બાઈક, બે મોબાઈલ ફોન અને રોકડા રૂ.2 હજાર મળી કુલ રૂ.97,99,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.છત રીપેરીંગનું કામ કરતા અને અગાઉ મારામારી, મોબાઈલ સ્નેચીંગ અને ચોરીના ગુનામાં ઝડપાયેલા તામીર શેખ અને કોસંબામાં બુટ ચંપલની દુકાનમાં નોકરી કરતા સાહીલ દિવાનની ક્રાઈમ બ્રાન્ચે પુછપરછ હાથ ધરી તેઓ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે અંગે તપાસ હાથ ધરી હતી.
ક્રાઈમ બ્રાન્ચની આ કામગીરી દરમિયાન જ વધુ એક બાતમી મળી હતી કે વેડરોડ સાબરીનગરમાં રહેતો અને વરીયાવી બજાર મેઈન રોડ ઉપર છેલ્લા આઠ વર્ષથી મી.કોકોના નામે રેડીમેઈડ કપડાંની દુકાન ચલાવતો ધો.10 પાસ મોહમદ તૌસીફ ઉર્ફે તૌસીફ કોકો તેના મિત્રો ઈરફાન પઠાણ અને અસ્ફાક કુરેશી સાથે મુંબઈથી એમ.ડી.ડ્રગ્સનો જથ્થો લઈ કાર ( નં.જીજે-01-સીવી-2370 ) માં નવસારી થઈ સુરતમાં આવે છે.આથી મળસ્કે 3.30 વાગ્યાના અરસામાં ક્રાઈમ બ્રાન્ચે સચીન ક્પલેથા ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી કારને અટકાવી રૂ.55,48,200 ની મત્તાના 554.82 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે ત્રણેયને ઝડપી પાડી તેમની પાસેથી ડ્રગ્સ ઉપરાંત કાર, રોકડા રૂ.53,750, ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ.58,71,950 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.તેમની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેઓ મુંબઈના નાલાસોપારા ખાતે એક અજાણ્યા પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા અને સુરતમાં વેચવા આપવાના હતા.
તૌસીફ સાથે ઝડપાયેલા બે મિત્રો પૈકી ઈરફાનખાન પઠાણ બી.કોમ કર્યા બાદ હાલ એમબીએમાં અભ્યાસ કરે છે અને વીઆઈ કંપનીમાં છેલ્લા બે વર્ષથી દક્ષિણ ગુજરાતમાં ઝોનલ સેલ્સ ટ્રેનર તરીકે નોકરી કરે છે.જયારે અસ્ફાક કુરેશી ધો.8 સુધી અભ્યાસ કર્યા બાદ દોઢ વર્ષથી ફેશન બકેટના નામે શુઝ, ઘડીયાળ વિગેરેનું ઓનલાઈન વેચાણ કરે છે.ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયેલા ડ્રગ્સના જથ્થા અંગે બે અલગ અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં ફરી ડ્રગ્સની રેલમછેલ : રૂ.1.53 કરોડના MD ડ્રગ્સ સાથે પાંચ ઝડપાયા 2 – image
ત્રણ દિવસમાં 19 જેટલી વિવિધ ફ્લાઈટસમાં બોમ્બ હોવાની ધમકીઓ મળતા ચોંકી ઉઠેલ દિલ્હી અને મુંબઈ પોલીસે આ મામલે અલગ-અલગ એફઆઇઆર નોંધી તપાસ હાથ ધરતાં છત્તીસગઢના રાજનાંદગાંવથી એક કિશોરની ધરપકડ કરી હતી. આ કિશોરે તેના બાકી પૈસા નહીં ચૂકવતા મિત્રને ફસાવવા માટે તેના નામે ડમી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી તેના પરથી ધમકીઓ પોસ્ટ કરવાનું શરુ કર્યું હોવાનો પર્દાફાશ થયો હતો.
મુંબઈ પોલીસે એરલાઈન્સને મળેલી બોમ્બની ખોટી ધમકીના મામલે એક સગીર આરોપીને છત્તીસગઢના રાજનાંદગાવથ અટકાયતમાં લીધો હતો. પોલીસ આ પ્રકરણે સગીરના પિતાની પણ પૂછપરછ કરી રહી છે. મુંબઈ પોલીસના જણાવ્યાનુસાર બોમ્બની ધમકીભર્યામેસેદ છત્તીસગઢ રાજ્યના રાજનાંદગાવથી મોકલવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રોનુસાર આરોપી સગીરનો તેના એક મિત્ર સાથે પૈસાની લેવડદેવડને લઈ ઝઘડો થયો હતો. મિત્ર ઉધારી ચૂકવવામાં આનાકાની કરી રહ્યો હોવાથી બદલો લેવાના આશયથી સગીરે તેના મિત્રતા નામે બનાવટી સોશિયલ મીડિયા એકાઉન્ટ તૈયાર કર્યું હતું અને તેને ફસાવવા વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપી હતી.
મુંબઈથી ઉપડનારી ચાર ફ્લાઈટને સોમવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હતી હતી જેમાં ઈન્ડિગોની મુંબઈ-મસ્કત, મુંબઈ-જેદ્દાહ અને એર ઈન્ડિયાની મુંબઈ-ન્યુયોર્ક ફ્લાઈટનો સમાવેશ થતો હતો. આ બોમ્બ મુકવાની ધમકીઓ આપનાર 17 વર્ષનો છોકરો એક બિઝનેસમેનનો દીકરો છે. તેને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ હાજર કરાતાં ચાર દિવસની કસ્ટડી આપવામાં આવી છે. પોલીસના સૂત્રો અનુસાર તેણે 12 ફેક કોલ અને મેસેજ કર્યા હતા.
મહારાષ્ટ્રના મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP – અજીત પવાર)ના નેતા બાબા સિદ્દિકીની હત્યા થઈ છે. સિદ્દિકી તેમના દીકરા જીશાન સિદ્દિકીની ઓફિસની બહાર ઊભા હતા ત્યારે ત્રણ લોકોએ તેમના પર અચાનક ફાયરિંગ કર્યું હતું. જેમાં તેમને બે છાતી-પેટના ભાગમાં અને એક પગમાં ગોળી વાગી હતી. જ્યારબાદ ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેેમનું સારવાર દરમિયાન મોત થયું છે. હાલ, પોલીસે બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે અને એક આરોપી ફરાર છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે. શંકાસ્પદ આરોપીઓમાં એક ઉત્તરપ્રદેશ અને બીજો હરિયાણાનો છે. આ ઘટના બાંદ્રા ખેરવાડી સિગ્નલ નજીક બની છે. ક્રાઈમ બ્રાંચે કેસની તપાસ શરૂ કરી છે. જણાવી દઈએ કે, બાબા સિદ્દિકી મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટું નામ હતું. તેઓ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા.
આ ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરતા પોલીસે બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી લીધી છે. હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. બાંદ્રા ઈસ્ટમાં બાબા સિદ્દિકી પર ફાયરિંગની ઘટના બની છે, જે નિર્મલ નગર પોલીસ સ્ટેશન હેઠળની ઘટના ગણાવાય રહી છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમો સ્પોટ પર પહોંચી ગઈ છે. મુંબઈ પોલીસે હાલ આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારી છે, તેની સાથે સાથે CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે.
બાબા સિદ્દિકીની હત્યા પર મુંબઈ પોલીસનું નિવેદન આપ્યું છે કે, ‘સોપારી કિલિંગનો મામલો હોય શકે છે, તેથી તે એન્ગલથી પણ કેસની તપાસ ચાલી રહી છે.’ મળતી માહિતી અનુસાર, બાબા સિદ્દિકીની સાથે હાજર એક વ્યક્તિને પણ પગમાં ગોળી વાગી છે. જેની સારવાર પણ લિલાવતી હોસ્પિટલમાં ચાલી રહી છે.
બાબા સિદ્દિકી પર શૂટર્સે 9.9 MM પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. પોલીસે આ પિસ્તોલ જપ્ત કરી લીધી છે. આરોપીઓએ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાંથી ત્રણ ગોળી બાબા સિદ્દિકીને વાગી, જેનાથી તેમનું મોત થઈ ગયું.
ગુનેગારો વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે : એકનાથ શિંદે
ઘટના અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, ‘પોલીસને આકરી કાર્યવાહીના આદેશ અપાયા છે. ગુનેગારો વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે. બે આરોપીની ધરપકડ કરાઈ ચૂકી છે. એક આરોપી હજુ ફરાર છે.’
નાયબ મુખ્યમંત્રી અજીત પવારે આવતીકાલના તમામ કાર્યક્રમ રદ્દ કર્યા છે. તેઓ આજે જ મુંબઈ પરત ફરશે. બાબા સિદ્દિકીની હત્યા બાદ અજિત પવારે કહ્યું કે, NCP નેતા, પૂર્વ રાજ્ય મંત્રી, મારા સહયોગી બાબા સિદ્દિકી જે લાંબા સમય સુધી ધારાસભ્ય રહ્યા છે તેના પર ફાયરિંગની ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ, નિંદનીય અને દર્દનાક છે. મને આ જાણીને આઘાત લાગ્યો કે આ ઘટનામાં તેમનું મૃત્યુ થઈ ગયું. મેં પોતાના સારા સહકર્મી, મિત્ર ગુમાવી દીધા છે. હું આ કાયરતાપૂર્ણ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરું છું. ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરાવવામાં આવશે અને હુમલાખોરો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે.
જ્યારે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને વરિષ્ઠ પોલિસ અધિકારીઓ લિલાવતી હોસ્પિટલ પહોંચ્યા છે. તો બાબા સિદ્દિકીના મોતના સમાચાર બાદ બોલિવૂડ એક્ટર સલમાન ખાન પણ લિલાવતી હોસ્પિટલ પહોંચી રહ્યા છે. જણાવી દઈએ કે, સલમાન ખાન અને બાબા સિદ્દિકી નજીકના મિત્ર હતા.
બાબા સિદ્દિકીને ગોળી મારવાના સમાચાર બાદ એક્ટર સંજય દત્ત પણ લિલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમને હોસ્પિટલથી નીકળીને પોતાની કારમાં બેસીને જતા જોઈ શકાય છે. સલમાન ખાનની જેમ સંજયદત્ત પણ બાબા સિદ્દિકીના નજીકના મિત્ર રહ્યા છે.
અસદુદ્દીન ઓવૈસીએ એનસીપી નેતાના મોત પર કહ્યું કે, બાબા સિદ્દિકીની હત્યા ખુબ જ નિંદનીય છે. આ મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની બગડતી સ્થિતિને દર્શાવે છે. અલ્લાહ તેમને માફ કરે. તેમના પરિવાર, મિત્રો અને સહકર્મીઓ પ્રત્યે મારી સંવેદનાઓ.
બાબા સિદ્દિકીની હત્યા પર શરદ પવારે કહ્યું કે, રાજ્યની ધ્વસ્ત થયેલી કાયદો વ્યવસ્થા ચિંતાનો વિષય છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પૂર્વ રાજ્ય મંત્રી બાબા સિદ્દિકીની ગોળી મારીને હત્યા કરવી દુઃખદ છે. જો ગૃહમંત્રી અને શાસક રાજ્યને આટલી બેદરકારીથી આગળ વધારશે તો આ સામાન્ય લોકો માટે ખતરાની ઘંટી હોય શકે છે. તેમની ન માત્ર તપાસ કરવાની જરૂર છે પરંતુ જવાબદારી સ્વીકર કરીને સત્તામાં બેઠેલા લોકોને પદ છોડવાની પણ જરૂર છે. બાબા સિદ્દિકીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. તેમના પરિવાર પ્રત્યે સંવેદનાઓ.
બાબા સિદ્દિકીના મોત પર ભાજપ નેતા શાહનવાઝ હુસૈને પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પોતાના X હેન્ડલ પર લખ્યું કે, NCP નેતા બાબા સિદ્દિકીની દુઃખદ હત્યા અંગે સાંભળીને ખુબ દુઃખ થયું. ભગવાન તેમના પરિવારને આ દુઃખને સહન કરવાની શક્તિ આપે. મારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ તેમની સાથે છે.
રાજ્યમાં હાલ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. મહિલાઓ અને યુવતીઓ મોડે સુધી ઘરની બહાર ગરબે રમવા નિકળે છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા મોડે સુધી ગરબે રમવાની છૂટ પણ આપવામાં આવી છે. ત્યારે ગત 15 દિવસમાં 8થી વધુ બળાત્કારની ઘટનાઓ સામે આવી છે. વડોદરાના ભાયલીની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મનો રોષ શમ્યો નથી, ત્યાં તો રાજ્યના ગૃહમંત્રીના વિસ્તારમાંથી સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે.
માહિતી અનુસાર સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે સામૂહિક દુષ્કર્મ ઘટના બની છે. જેમાં સગીરા પોતાના મિત્રને મળવા ગઇ હતી હતી, આ દરમિયાન ત્રણ શખ્સો આવી પહોંચ્યા હતા અને સગીરાના મિત્રને માર મારી ત્યાંથી ભગાડી ગયા હતા. ત્યારબાદ સગીરાને અવાવરૂ જગ્યા પર લઇ જઇને સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લીધી છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફંફોળવાનું શરૂ કરી દીધું છે.
એફબીઆઇએ આપેલા રિપોર્ટના આધારે સમગ્ર દેશમાં સીબીઆઇની દરોડાની કાર્યવાહી કરવામાં આવી
૩૦ વધુ શંકાસ્પદ યુવકોની અટકાયત કરીને કોમ્પ્યુટર , લેપટોપ, મોબાઇલ ફોન, ડાયરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
અમેરિકાના નાગરિકોને ભારતમાંથી કોલ કરીને છેતરપિંડી કરવાના મામલે ફેડરેશન બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (એફબીઆઇ) દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જે અનુંસધાનમાં સીબીઆઇએ દેશમાં એક સાથે 350 જેટલા સ્થળો પર દરોડાની કાર્યવાહી કરી હતી. જે અનુસંધાનમાં અમદાવાદમાં 20 જેટલા કોલ સેન્ટર દરોડા પાડીને 30 જેટલા વ્યક્તિઓની અટકાયત કરીને પુછપરછ શરૂ કરવામાં આવી છે.
સીબીઆઈના દેશભરમાં દરોડા
દેશના હૈદરાબાદ, મુંબઇ, કોલકત્તા, દિલ્હી, બેંગાલુરૂ અને અમદાવાદ સહિતના શહેરોમાં ચાલતા કોલ સેન્ટરથી અમેરિકામાં કોલ કરીને નાગરિકો પાસેથી મોટા પ્રમાણમાં છેતરપિંડી કરવામાં આવતી હોવાના કિસ્સા અંગે એફબીઆઇએ ભારત સરકારને રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં એફબીઆઇએ ટેકનીકલ એનાલીસીસના આધારે કેટલાંક લોકેશન અને વિગતો આપી ગતી. જેના આધારે સીબીઆઇની ટીમ દ્વારા છેલ્લાં એક મહિના દરમિયાન ટેકનોલોજીના ઉપયોગથી સમગ્ર દેશમાં 350 જેટલા ગેરકાયદેસર કોલ સેન્ટરના લોકેશન મેળવ્યા હતા.
અમદાવાદમાં શંકાસ્પદ 30 વ્યક્તિની અટકાયત
અમદાવાદમાં 20થી વધુ કોલ સેન્ટર સક્રિય હોવાની બાતમીને આધારે વસ્ત્રાલ, ઓઢવ પાસેના રીંગ રોડ, થલતેજ, ગોતા, બોપલ સહિતના વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં 30 વધુ શંકાસ્પદ યુવકોની અટકાયત કરીને કોમ્પ્યુટર , લેપટોપ, મોબાઇલ ફોન, ડાયરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જે અંગે તપાસ કરવા માટે સીબીઆઇના ગુજરાત એકમની વિશેષ ટીમને સક્રિય કરવામાં આવી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.