આવકવેરા વિભાગના ૩૦૦થી વધુ અધિકારીએ કર્ણાટકમાંના કૉંગ્રેસના બે અગ્રણી નેતા – ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન જી. પરમેશ્ર્વર અને માજી સાંસદ આર. એલ. જલઅપ્પાના દીકરા જે. રાજેન્દ્રને ત્યાં દરોડા પાડ્યા હતા. આ દરોડાને મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)માંની કહેવાતી ગેરરીતિ સાથે સંબંધ હોવાનું કહેવાય છે. પરમેશ્ર્વરનો પરિવાર પિતા એચ. એમ. ગંગાધરૈયા દ્વારા ૫૮ વર્ષ પહેલાં શરૂ કરાયેલી સિદ્ધાર્થ ગ્રુપ ઑફ ઇન્સ્ટિટ્યૂશન્સ ચલાવે છે.
આ ઉપરાંત, આવકવેરા વિભાગે પરમેશ્ર્વરના નિવાસસ્થાન, ઑફિસ અને સંસ્થાઓ પર દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે પરમેશ્ર્વરના ભાઇ જી. શિવપ્રસાદ અને અંગત સહાયક રમેશના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા હતા. રાજેન્દ્ર દોડબલ્લાપુર અને કોલારમાં આર. એલ. જલઅપ્પા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ચલાવે છે.
પરમેશ્ર્વર અને અન્યને ત્યાંના દરોડાને મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે લેવાતી નેશનલ
એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)ને લગતા કેસમાં કરોડો રૂપિયાની કહેવાતી કરચોરીની સાથે સંબંધ હોવાનું કહેવાય છે.
આવકવેરા વિભાગે કુલ ૩૦ સ્થળે દરોડા પાડ્યા હતા. તેઓએ કર્ણાટક ઉપરાંત રાજસ્થાનમાં પણ દરોડા પાડ્યા હતા.

કર્ણાટકના તુમકૂર શહેરમાં એક ટ્રસ્ટ દ્વારા ચલાવાતી બે મેડિકલ કૉલેજ દ્વારા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)ના સંબંધમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું કહેવાય છે.
પરમેશ્ર્વર શ્રી સિદ્ધાર્થ એજ્યુકેશન ટ્રસ્ટના અધ્યક્ષ છે.
નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)માં કહેવાતી ગેરરીતિ આચરીને અને નાણાં લઇને મેડિકલ કોલેજોમાં પ્રવેશ અપાતો હોવાનો આક્ષેપ છે.
રાજસ્થાનના અમુક વિદ્યાર્થી નાણાં લઇને બીજા વતી આ પરીક્ષા આપતા હોવાનું કહેવાય છે.
પરમેશ્ર્વર આવકવેરા વિભાગના દરોડાના સમાચાર મળતા બેંગલૂરુ પહોંચી ગયા હતા અને દાવો કર્યો હતો કે મારો પરિવાર શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવા સિવાય કોઇ અન્ય વ્યવસાય નથી કરતો અને અમે નિયમિત આવકવેરાના રિટર્ન્સ ભરીએ છીએ.
કૉંગ્રેસ અને જનતા દળ (એસ)ના અન્ય નેતાઓએ આવકવેરા વિભાગના આ દરોડાને વખોડી કાઢ્યા હતા.























