સોલા હોસ્પિટલના ઈન્ચાર્જ આરએમઓ ઉપેન્દ્ર પટેલ બીજા આરએમઓ ડૉ.શૈલેષ પટેલ એસીબીના સકંજામાં આવી ગયા છે. બન્ને આરોપીને એસીબીએ ડિટેઈન કર્યા છે. સિવિલના બે મોટા ડોક્ટર ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
કોન્ટ્રાક્ટર દ્વારા કેન્ટિન ફેસિલિટી બાબતે રજૂ કરેલ 1.18 કરોડ રૂપિયાના બીલ મંજૂર કરવા માટે પ્રથમ 30% લેખે લાંચની માંગણી કરેલ રકઝકના અંતે 16% લેખે 16 લાખ રૂપિયાની લાંચની માંગણી કરેલી હતી. જેમાં ફરીયાદી પાસેથી અગાઉ બે તબક્કે રૂપિયા 10 લાખ લઈ લીધેલ તથા બાકીના 6 લાખ રૂપિયા અને સાથે ફરીયાદીના ભાઇની કેન્ટિનનું ટેન્ડર ત્રણ વર્ષ માટે મંજૂર કરવા બીજા 2 લાખ રૂપિયાની લાંચ માંગેલ એમ મળી કુલ 8 લાખ રૂપિયા લાંચની માંગણી કરી હતી.
તાપીના શિક્ષણાિ ધકારી બી. એમ. પટેલની લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તાપી જિલ્લામા આવેલી એક સ્કૂલને આપેલી નોટિસ પરત ખેંચવા ૧૦ લાખની લાંચ માગી હતી. જેમાં રૂપિયાની ડિલીવરી ગત રાત્રે થવાની હતી. દરમિયાન એસબીએ છટકું ગોઠવી ઝડપી પાડ્યા હતા. આ સાથે ક્લાર્ક રવિ પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી. તાપી જિલ્લાની ટ્રસ્ટ સંચાલિત વિદ્યાલયમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી ભરતભાઇ મંગળભાઇ પટેલ આકસ્મિક મુલાકાત લઇ ઇન્સ્પેકશનમાં મુદ્દાઓની પુર્તતા માટે શાળાને નોટિસ આપી હતી.
જે મુદ્દાઓની પૂર્તતા શાળા તરફથી કરાતા ફરીથી અમુક મુદ્દાઓની પૂર્તતા સાથે ફરીથી નોટિસ શાળાના આચાર્યને મોકલવામાં આવી હતી. આ બાબતે આચાર્યએ રૂબરૂમાં શિક્ષણાધિકારીની મુલાકાત કરી પૂર્તતા અંગે ખુલાસો કરતા નોટિસ અંગેની કાર્યવાહી દફતરે કરવા રૂપિયા ૧૦ લાખની લાંચની માગણી કરી હતી. સ્કૂલના આચાર્ય લાંચની રકમ આપવા માંગતા ન હોય તાપી એ.સી.બી. પો.સ્ટે. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે આધારે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જોકે, છટકા દરમિયાન શિક્ષણા ધિકારીએ આચાર્યને ક્લાર્ક રવિ રવિન્દ્રકુમાર ઉર્ફે જીગો શંકરલાલ પટેલને લાંચની રકમ આપવા જણાવ્યું હતું, જેથી આચાર્ય લાંચની રકમ લઇ રવિન્દ્રકુમાર આપવા જતા શિક્ષણાધિકારીને એસીબીના છટકાંની જાણ થતા લાંચની રકમ સ્વીકારી ન હતી. દરમિયાન પુરાવામાં શિક્ષણા-ધિકારી અને રવિન્દ્રકમાર એકબીજાની મદદગારીમાં ૧૦ લાખની લાંચની માગણી કરી હોવાથી બંને આરોપી વિરુદ્ધમાં લાંચની માગણીનો ગુનો દાખલ કરવામાં આવી ધરપકડ કરવામાં આવી છે.
બોગસ ટેલિવિઝન રૅટિંગ પોઇન્ટ્સ (ટીઆરપી) કૌભાંડ બહાર આવ્યા બાદ બ્રોડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બીએઆરસી)એ ગુરુવારે બધી જ ભાષાની સમાચાર ચેનલોની સાપ્તાહિક રૅટિંગ હંગામી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી હતી.
ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોશિયેશન (એનબીએ)એ બીએઆરસીના સાહસી પગલાંને વધાવતા આખી સિસ્ટમ બદલવાની જરૂર હોવાની વાત જણાવી હતી. સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે કાઉન્સિલ હાલની પ્રણાલીને બદલવા અને એમાં સકારાત્મક સુધારા કરવા માગે છે અને એ કારણે સાપ્તાહિક રૅટિંગ હંગામી ધોરણે ૧૨ સપ્તાહ સુધી બંધ કરવામાં આવી છે. આ મહિનાની શરૂઆતમાં મુંબઇની પોલીસે આ કૌભાંડને મામલે પાંચ વ્યક્તિની ધરપકડ કરી હતી.
પકડાયેલી વ્યક્તિઓમાં ન્યૂઝ ચેનલના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જોકે, આ મામલે પોલીસે અરનબ ગોસ્વામીની આગેવાનીવાળી રિપબ્લિક મીડિયા જૂથના અધિકારીઓની પણ પૂછતાછ કરી હતી. રિપબ્લિક મીડિયા જૂથે પોતે કંઇપણ ખોટું ન કર્યું હોવાનું જણાવ્યું હતું.
આ મામલે રિપબ્લિક ટીવી અને અરનબ ગોસ્વામીએ મુંબઇ પોલીસ વિરુદ્ધ દાખલ કરેલી અરજી ફગાવતા સુપ્રિમ કોર્ટે કેસ મુંબઇની વડી અદાલતમાં દાખલ કરવાની સલાહ આપી હતી.
બીએઆરસી દ્વારા જાહેર કરાતા ઑડિયન્સનો અંદાજ જાહેરાતના ખર્ચને અસર કરતો હોય છે. પોલીસના જણાવ્યા અનુસાર વાર્ષિક કુલ રૂ. ૩૨૦૦૦ કરોડનો ખર્ચ જાહેરાતો પાછળ કરાયો હતો. પોલીસે એવો દાવો કર્યો હતો કે અમુક ઘરોમાં મોનિટરો મૂકીને રૅટિંગમાં વધારો કરાતો હતો.
સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે તાજેતરની ઘટનાને ધ્યાનમાં લઇને બીએઆરસી બૉર્ડે એવો નિર્ણય લીધો છે કે પોતાની ટૅક્નિકલ સમિતિ હાલની રૅટિંગ પદ્ધતિની સમીક્ષા કરીને એમાં યોગ્ય સુધારો કરીને આ રીતે મોનિટરો દ્વારા વધારવામાં આવતા રૅટિંગને રોકવા માટે યોગ્ય પગલાં દર્શાવે.
તાત્કાલિક ધોરણે આ કવાયતમાં બધી જ હિંદી, સ્થાનિક ભાષાઓ તથા અંગ્રેજી સમાચાર અને વ્યાપાર ચૅનલોને કવર કરવામાં આવશે.
આ કવાયત પૂરી ન થાય ત્યાર સુધી બીએઆરસી બધી જ ભાષાની સમાચાર અને વ્યાપાર ચૅનલો માટેની સાપ્તાહિક વ્યક્તિ રૅટિંગ જાહેર નહીં કરે. આ કવાયત ૮થી ૧૨ સપ્તાહ સુધી ચાલશે અને એમાં વૅલિડેશન તથા ટેસ્ટિંગનો સમાવેશ થાય છે.
આ સિવાય બીએઆરસી સિસ્ટમને વધુ સુદૃઢ બનાવવાનો અને ગેરકાયદે રૅટિંગમાં ફેરફાર ન થાય એવો પ્રયાસ કરશે.
દરમિયાન, એનબીએએ જણાવ્યું હતું કે એમના મતે ટીઆરપીને સસ્પેન્ડ કરવાનું મહત્ત્વનું પગલું બીએઆરસીએ લીધું છે. એમણે આ ૧૨ સપ્તાહનો ઉપયોગ આખી સિસ્ટમને બદલવા માટે અને સશક્ત બનાવવા માટે કરવો જોઇએ.
ઘણાં વર્ષોથી એનબીએ ટીવી વ્યુવરશીપ ડેટામાં વધઘટ વિશે ચિંતા વ્યક્ત કરતું રહ્યું છે.
એનબીએના પ્રમુખ રજત શર્માએ જણાવ્યું હતું કે તાજેતરમાં જાહેર થયેલા કૌભાંડને કારણે મૅઝરમેન્ટ ઍજન્સીની બદનામી થઇ છે અને એ સાથે ન્યૂઝ મીડિયાની પણ બદનામી થઇ છે.
ભ્રષ્ટાચાર કરીને ટીઆરપી વધારવાની બાબતે ભારત શું જુએ છે એ વિશે ખોટ્ટા અભિપ્રાય જાહેર થાય છે અને બીએઆરસીએ આવું ભવિષ્યમાં ન થાય એ માટે નક્કર પ્રણાલી બનાવવી જરૂરી છે.
ધ્રોળની સરકારી હોસ્પિટલમાં તોડફોડ કરવાના આરોપસરના કેસમાં’ જામનગર ગ્રામ્યના ભાજપના વર્તમાન ધારાસભ્ય રાઘવજી પટેલ, ત્રણ પત્રકાર સહિત પાંચને મેજીસ્ટ્રેટ એમ.જે. ઝાલાએ છ માસની કેદ અને રૂ. દસ હજારના દંડની સજા કરી હતી. બનાવના સમયે ધ્રોળના મીત્રી પરિવારના યુવાનોને અકસ્માતમાં ઇજા થઇ હતી. તેને પૂરતી સારવાર આપવામાં આવતી ન હોવાની અને જામનગર રીફર કરતી વખતે યુવાનનું રસ્તામાં મૃત્યુ થયું હોય તે બાબતે તે સમયના કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલ સહિતના લોકો હોસ્પિટલ ખાતે રજૂઆત કરવા ગયા હતાં ત્યારે પથ્થરમારો અને તોડફોડનો બનાવ બન્યો હતો.
13 વર્ષ પહેલા તા.16-7-2007ના રોજ કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય રાઘવજી પટેલ સહિતના લોકો પ્રજાકિય પ્રશ્નો અંગે ધ્રોળની સરકારી હોસ્પિટલે ગયા હતાં. આ સમયે ઉશ્કેરાયેલા લોકોએ પથ્થરમારો કરીને હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.આ અંગે પોલીસમાં ગુનો નોંધાયો હતો. પોલીસે ધારાસભ્ય રાઘવજી પટેલ, તેના ટેકેદાર નરેન્દ્રસિંહ જાડેજા, પત્રકારો જયેશ ભટ્ટ, જીતુ શ્રીમાળી, કરણસિંહ જાડેજા તથા શબ્બીર ચાવડા, પાંચા વરૂ અને લખધીરસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટની ગાઇડ લાઇન પ્રમાણે ધારાસભ્ય સામેનો કેસ ઝડપથી ચલાવવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી થઇ જતાં મેજીસ્ટ્રેટ એમ.જે.ઝાલાએ જામનગર ગ્રામ્યના ભાજપના વર્તમાન ધારાસભ્ય રાઘવજી પટેલ,’ તેના ટેકેદાર અને ત્રણ પત્રકારને છ માસની કેદ અને રૂ. દસ હજારના દંડની સજા કરી હતી. જ્યારે શબ્બીર, પાંચા અને લખધીરસિંહને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવા હુકમ કર્યો હતો. અદાલતે કેદ અને દંડના હુકમ સામેની કાર્યવાહી કરવા માટે એક માસની મુદ્દત આપીને પાંચેયને જામીન પર છોડવા આદેશ કર્યો હતો.
અભિનેતા સુુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસમાં ડ્રગ્સનો એન્ગલ સામે આવ્યા બાદ ડ્રગ્સ સંબંધી આરોપ હેઠળ ધરપકડ કરાયેલી અભિનેત્રી રિયા ચક્રવર્તીના જામીન મુંબઈ હાઇ કોર્ટે મંજૂર કર્યા હતા. તમામ પ્રક્રિયા પૂરી કર્યા બાદ ભારે બંદોબસ્ત વચ્ચે રિયાને સાંજે સાડાપાંચ વાગ્યે ભાયખલા જેલમાંથી છોડવામાં આવી હતી.
જસ્ટિસ સારંગ કોટવાલની બેન્ચે સુશાંતસિંહના રસોઇયા દીપેશ સાવંત અને મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાના જામીન પણ મંજૂર કર્યા હતા. જોકે રિયા ચક્રવર્તીના ભાઇ શોવિકની જામીન અરજી ફગાવી દીધી હતી. એ જ પ્રમાણે કોર્ટે ડ્રગ પેડલર અબ્દેલ બાસિત પરિહારની જામીન અરજી પણ ફગાવી દીધી હતી.
ડ્રગ્સના કેસની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)ની ટીમે ગયા મહિને રિયા અને તેના ભાઇની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન અન્ય લોકોની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
હાઇ કોર્ટે જામીન મંજૂર કરતી વખતે રિયા અને અન્ય બે જણને તેમના પાસપોર્ટ એનસીબી પાસે જમા કરાવવા અને વિશેષ એનડીપીએસ કોર્ટની પરવાનગી વિના દેશ નહીં છોડવાના નિર્દેશ આપ્યા હતા. હાઇ કોર્ટે રિયાને રૂ. એક લાખનો પર્સનલ બોન્ડ ડિપોઝિટ કરવા અને જામીન પર છૂટ્યા બાદ પહેલા દસ દિવસ સુધી સવારે ૧૧ વાગ્યે નજીકના પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાના નિર્દેશ પણ કોર્ટે આપ્યા હતા.
હાઇ કોર્ટે રિયાને આગામી છ મહિના સુધી દર મહિનાના પહેલા દિવસે એનસીબીની ઓફિસમાં સવારે ૧૧ વાગ્યે હાજર રહેવાના નિર્દેશ આપ્યા હતા.
જામીન પર છૂટ્યા બાદ એનસીબીની પરવાનગી વિના મુંબઈ ન છોડવા અને પુરાવા સાથે ચેડાં ન કરવાના નિર્દે રિયાને આપવામાં આવ્યા છે.
નોંધનીય છે કે બાંદ્રાના નિવાસસ્થાને ૧૪ જૂને સુશાંતસિંહ રાજપૂત ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
વિશેષ એનડીપીએસ કોર્ટે ગયા મહિને જામીન અરજી ફગાવી દીધા બાદ રિયા અને તેના ભાઇ શોવિકે હાઇ કોર્ટમાં જામીન અરજી કરી હતી. એનસીબીએ એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહ મારફત જામીન અરજીનો વિરોધ કર્યો હતો.
સિંહે જણાવ્યું હતું કે સુશાંતના ડ્રગ્સ માટે રિયા જાણીજોઇને પૈસા ચૂકવતી હતી અને ડ્રગ્સની આદતની વાત તેણે છુપાવી હતી. રિયાના વકીલ માનેશિંદેએ દલીલ કરી હતી કે અભિનેત્રી ક્યારેક જ રાજપૂતના ડ્રગ્સ માટે પૈસા ચૂકવતી હતી.
ઉત્તર પ્રદેશના હાથરસમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી ૧૯ વર્ષની દલિત યુવતીનું દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં મંગળવારે સવારે અવસાન થયું હતું. પીડિતા પર ૧૪મી સપ્ટેમ્બરે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. એના પર બળાત્કાર કરનાર ચારે ય નરાધમની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા ચારે ય નરાધમો સામે હવે કાયદાની કલમ ૩૦૨ હેઠળ હત્યાનો ગુનો પણ દાખલ કરવામાં આવશે.
દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં મંગળવારે સવારે તા.30મી સપ્ટેમ્બરે મરણ પામેલી હાથરસ સામૂહિક બળાત્કાર કેસની પીડિતાના પોલીસે બળજબરીથી રાતોરાત અંતિમસંસ્કાર કર્યા હોવાનો આક્ષેપ એના ભાઇએ કર્યો હતો, પણ પોલીસે આક્ષેપ નકારતા જણાવ્યું હતું કે કુટુંબની મરજી પ્રમાણે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
પીડિતાના ભાઇએ ફોન પર પીટીઆઇને જણાવ્યું હતું કે મૃતદેહ અને મારા પિતાને પોલીસ બળજબરીથી અંતિમક્રિયા માટે લઇ ગઇ હતી. જ્યારે મારા પિતા દિલ્હીથી હાથરસ પહોંચ્યા ત્યારે એમને તુરંત સ્મશાનમાં લઇ જવાયા હતા. જોકે, પીડિતાના એક સગાએ એવું નિવેદન આપ્યું હતું કે કુટુંબીઓ અને આસપાસની ૩૦થી ૪૦ વ્યક્તિ સાથે પીડિતાના પિતા અંતિમક્રિયા કરવા ગયા હતા. અંતિમક્રિયા ચાંદપા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બુલગઢી ગામના સ્મશાનમાં કરવામાં આવી હતી. હાથરસના એસપી વિક્રાંત વીરે જણાવ્યું હતું કે કુટુંબની મરજી પ્રમાણે બધી ક્રિયા કરવામાં આવી હતી. અંતિમક્રિયા વખતે વરિષ્ઠ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર પીડિતા ૧૪મી સપ્ટેમ્બરે પોતાની માતા સાથે ખેતરમાં ગઇ હતી અને ત્યાંથી ગુમ થઇ ગઇ હતી. ત્યાર બાદ એ ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં મળી આવી હતી. પીડિતાએ જ્યારે પ્રતિકાર કર્યો ત્યારે આરોપી નરાધમોએ એનું ગળું દાબીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને એ દરમિયાન એની જીભમાં ગંભીર ઘા પડયો હતો. શરૂઆતમાં એને અલીગઢની જેએન મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એની સ્થિતિમાં કોઇ સુધારો ન જણાતા સોમવારે એને દિલ્હીની હૉસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી. અલીગઢની હૉસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પીડિતાના બંને પગ અને હાથ સંપૂર્ણ રીતે લકવાગ્રસ્ત બન્યા હતા.
પ્રાથમિક તપાસમાં એમને જાણવા મળ્યું હતું કે સંદિપ (૨૦)એ પીડિતાને અગાઉ જાનથી મારવાનો પ્રયત્ન કર્યો હતો અને માટે ફરિયાદ દાખલ કરાઇ એ દિવસે જ સંદિપની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનમાં પીડિતાએ જણાવ્યું હતું કે સંદિપ, રામુ, લવકુશ અને રવિએ એના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો અને જ્યારે એણે પ્રતિકાર કર્યો ત્યારે ચારે ય આરોપીએ એનું ગળું દાબીને મારવાનો પ્રયત્ન કર્યો હતો અને એ વખતે એની જીભ કચરાઇ ગઇ હતી.
એના બીજા દિવસે પીડિતાને અલીગઢની જેએન મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં એને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી.
આ મામલાને મુદ્દો બનાવીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળ્યા હોવાનો હોબાળો કૉંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ મચાવ્યો હતો.
સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મંગળવારના રોજ ડુમસ વિસ્તારમાંથી એક યુવકને ડ્રગ્સ સાથે ઝડપી પાડવાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. પકડાયેલા યુવકે આ એમ.ડી. ડ્રગ્સ કડોદરા વિસ્તારમાં બનતું હોવાની કબૂલાત કરતાં સુરત પીસીબી અને કડોદરા પોલીસે એક કારખાનામાંથી ડ્રગ્સનું મટિરિયલ્સ કબ્જે કર્યું હતું. કરોડો રૂપિયાની કિમતનું ડ્રગ્સ કડોદરામાં બનતું હોવાની વાતથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
યુવકની પૂછપરછ દરમ્યાન ડ્રગ્સ કડોદરા વિસ્તારમાં તૈયાર થતું હોવાની જાણકારી મળતા સુરત પીસીબી પોલીસ દ્વારા કડોદરા પોલીસને સાથે રાખી કડોદરાની ગબ્બર વાળી ગલીમાં આવેલી એક ટેક્સ્ટાઈલ મિલના સંચાખાતાના ત્રીજા માળે ભાડે રાખેલા એક રૂમમાં છાપો માર્યો હતો. જ્યાંથી પોલીસને ડ્રગ્સ બનાવવા માટેનું રોમટિરિયલ્સનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. પોલીસે રોમટિરિયલ્સ તેમજ અન્ય ચીજવસ્તુઓનો કબ્જો લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે સમગ્ર તપાસ ખૂબ જ સંવેદનશીલ હોય આ મામલે પોલીસ કઈ પણ બોલવા તૈયાર નથી. હાલ પોલીસ ડ્રગ્સના નેટવર્ક અંગેના અન્ય પાસાઓ તપાસી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
જાહેર ક્ષેત્રની બેન્કોમાં ચાલુ નાણાંકીય વર્ષના એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં રૂ. 19,964 કરોડની છેતરપિંડી થયાનું રિઝર્વ બેન્કે માહિતી અધિકાર હેઠળ એક અરજીના જવાબમાં જણાવ્યું હતું. આ ગાળામાં ફ્રોડના કુલ 2,867 કેસો નોંધાયા હતા.
દેશની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં આ ગાળામાં સૌથી વધુ ઠગાઈના બનાવો નોંધાયા હોવાનું આરબીઆઈએ જણાવ્યું હતું. મૂલ્યની દ્રષ્ટિએ બેન્ક ઓફ ઈન્ડિયામાં છેતરાપિંડીનું પ્રમાણ ઊંચું રહ્યું હતું. આરબીઆઈએ આરટીઆઈ કાર્યકર ચંદ્ર શેખર ગૌરને ફ્રોડ અંગેના સવાલના જવાબમાં ઉપરોક્ત વિગતો આપી હતી.
દેશની 12 જાહેર ક્ષેત્રની બેન્કો પૈકી એસબીઆઈમાં 2,050 છેતરાપિંડીના કેસો નોંધાયા હતા અને એપ્રિલથી જૂન 2020માં રૂ. 2,325.88 કરોડની છેતરાપિંડી થઈ હતી. બેન્ક ઓફ ઈન્ડિયામાં આ ગાળામાં રૂ. 5,124.87 કરોડના 47 ફ્રોડ કેસ નોંધાયા હતા. કેનેરા બેન્કમાં 33 કેસમાં રૂ. 3,885.26 કરોડનું ફ્રોડ થયું હતું. બેન્ક ઓફ બરોડામાં 60 કેસ દ્વારા રૂ. 2,842.94 કરોડની છેતરાપિંડીની ઘટના બની હતી. ઈન્ડિયા બેન્કમાં 45 કેસમાં રૂ. 1,469.79 કરોડ, ઈન્ડિયન ઓવરસીઝ બેન્કમાં 37 કેસમાં રૂ. 1,207.65 કરોડ અને બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં 9 કેસમાં રૂ. 1,140.37 કરોડની છેતરાપિંડી થઈ હતી.’ પંજાબ નેશનલ બેન્ક જે બીજા ક્રમની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેન્ક છે તેમાં મૂલ્યની દ્રષ્ટિએ કુલ ફ્રોડનું પ્રમાણ નીચું રહ્યું હતું.’ કુલ 240 કેસમાં રૂ. 270.65 કરોડની છેતરાપિંડી થઈ’ હોવાનું આરબીઆઈએ જવાબમાં જણાવ્યું હતું.
ગુજરાતમાં પણ ઉત્તરપ્રદેશની જેમ ગુંડારાજ સામે કડક કાયદાકીય જોગવાઇ ધરાવતો “ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ’ને હવે કેબિનેટની મંજૂરી મળી ગઇ છે. આજરોજ પ્રધાનમંડળની બેઠકમાં મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ સ્વંય આ કાયદાના મુસદ્દાને વટહુકમ સ્વરૂપે રજૂ કર્યું હતું. પ્રસ્તુત કાયદાના અમલથી રાજ્યમાં ધમકી આપવા જેવા મામૂલી કિસ્સામાં પણ પોલીસને આરોપીને ઉપરોક્ત કાયદા હેઠળ હેઠળ જેલમાં પુરવાનો અધિકાર પ્રાપ્ત થશે.
મુખ્યપ્રધાન રૂપાણીએ બે દિવસ પહેલા પાસા એક્ટમાં સુધારો સુચવવા વટહુકમ લાવવાનું જાહેર કર્યા બાદ આજે ગુજરાતમાં ગુંડા એક્ટ અમલમાં લાવવા કેબિનેટની બેઠકમાં વધુ એક વટહુકમ રજુ કર્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં સામાજિક, ધાર્મિક વ્યવસ્થાના સુચારૂ સંચાલન માટે સાત જેટલા મહત્વના કાયદાઓ અમલમાં આવી ચૂક્યા છે ત્યારે ઉત્તરપ્રદેશ જેવા રાજ્યની તર્જ ઉપર ગુંડા એક્ટ લાવવા પાછળના કારણોમાં તેમણે ગુજરાતમાં દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, નવ વેપાર, બાળકોની જાતિય સતામણી, બનાવટી દવાઓનું વેચાણ, વ્યાજખોરી, જમીન છિનવી લેવી, અપહરણ, ગેરકાયદે કૃત્યો, ગેરકાયદે હથિયાર જેવી અસામાજિક પ્રવૃતિઓ આચરતા ગુંડા તત્વો સામે કડક કાયદાકીય જોગવાઈ ઉભી કરવાના હેતુથી નવો અલગ કાયદો (સ્પેશિયલ એક્ટ) સરકાર દ્વારા લાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. પ્રસ્તુત વટહુકમ અંગે ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટીવિટીઝ ઍક્ટને મજૂરી મળતા હવે ગુજરાતમાં ગુંડાગીરી કરનારાની મિલકત જપ્ત કરી શકાશે. એટલું જ નહીં ગુંડાગીરી કરનારાને 10 વર્ષની સજા અને 50 હજાર દંડ પણ થશે. ગુંડાઓ સામેના કેસ ચલાવવા અને ઝડપી ન્યાયિક તપાસ માટે સ્પેશિયલ કોર્ટ રચાશે. ગુનો નોંધતા પહેલા રેન્જ આઇજી, કમિશનરની મંજૂરી જરૂરી છે. સાક્ષીઓને પુરતું રક્ષણ આપવામાં આવશે આ કાયદા હેઠળ શાંતિમાં બાધક, સામુદાયિક સંવાદિતાને ખલેલ પહોંચડાવા હિંસાનો આશ્રય લેવો, પ્રજામાં ગભરાટ ફેલાવવો કે આંતક ફેલાવવો, ખંડણીના ઈરાદાથી વ્યક્તિનું અપહરણ કરવુ, નાણાં ધિરધાર અધિનિયમ હેઠળ વ્યાજ કે મુદ્દલ વસૂલાતમાં કોઈ પણ વ્યક્તિની મિલકત લઈ લેવા શારિરીક હિંસા કરવી કે ધમકી આપવી, ગેરકાયદેસર પશુધન, દારૂગોળાની હેરફેરમાં સંડોવણી જેવા ગુનાઓને પણ આવરી લેવાયા છે. આ ઉપરાંત દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ વેપાર, બનાવટી દવાનું વેચાણ, લોન શાર્ક (વ્યાજ ખોર), જમીન છીનવી લેવી, અપહરણ, ગેરકાયદે કૃત્યો, ગેરકાયદેસરના હથિયારો વગેરે જેવી અસામાજિક પ્રવૃતિઓ આચરતા ગુંડા તત્વો સામે કડક કાયદાકીય જોગવાઇ ઉભી કરવાના હેતુથી નવા અલગ કાયદાની આ દરખાસ્ત કરવામાં આવી છે.’ તેમણે કહ્યું કે, ગુજરાતે તમામ ક્ષેત્રમાં વિકાસ કર્યો છે અને બીજા રાજ્યો અનુકરણ કરે એ માટે એક આદર્શ રાજ્ય તરીકે ઉદ્દભવ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સુચારૂ પરિસ્થિતિ જળવાઇ રહે અને ગુંડાના કૃત્યો જાહેર વ્યવસ્થાને ખલેલ ન પહોંચાડી શકે જેથી ગુજરાત સરકારના વિકાસ પ્રયત્નોમાં ક્યારેય અવરોધ ઉભો ન થાય તે માટે હિંસા, ધમકી અને બળજબરી આચરીને કાયદાનું પાલન કરનાર નાગરીકોનું શોષણ કરતા ગુંડા તત્વોની અસામાજિક પ્રવૃતિઓને રોકવા માટે વૈધાનિક પગલું લેવાની ખાસ જરૂર હતી.
ગુજરાતમાં હવે આગામી દિવસોમાં મહિલાઓની છેડતી કરનારાં, વ્યાજખોરો, જુગારીયાં અને સાયબર આરોપીઓ સામે પાસ હેઠળ કાર્યવાહી કરીને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવશે.
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની શાંત, સલામત અને સુરક્ષિત રાજ્યની આગવી ઓળખને વધુ સુદ્રઢતાથી આગળ ધપાવવાની નેમ સાથે પાસા’ કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓ કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્ય પ્રધાને પાસા કાયદાનો વ્યાપ વધુ વિસ્તારીને હવે સાયબર ક્રાઇમ આચરનારા, નાણાં ધીરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા સહિત શારીરિક હિંસા તેમજ ધમકી આપવી, જાતિય ગુનાઓ-જાતિય સતામણી જેવી અસાસાજિક પ્રવૃત્તિઓને પણ આવરી લઇ આવા ગુનેગારોને કડક સજા માટે પાસા એકટમાં સુધારાઓ કરવાનું શસ્ત્ર અપનાવવા નો નિર્ધાર કર્યો છે.
રૂપાણી પ્રવર્તમાન સાયબર ટેકનોલોજીને લગતા ગૂનાઓ સહિત જાતિય સતામણી જેવા ગુનાઓના વધતા પ્રમાણને કડક હાથે ડામી દેવા પાસા’ એકટમાં સુધારાના વટહુકમની દરખાસ્ત રાજ્ય પ્રધાન મંડળની આગામી બેઠકમાં લાવવાના છે. અત્યારે ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા ૧૯૮પથી ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત અધિનિયમ (પાસા) ૧૯૮પ અમલી છે.
આ અધિનિયમ અંતર્ગત પાસાના કાયદામાં જે જોગવાઇઓ છે તે મુજબ આઈપીસી તથા આર્મ્સ એકટ હેઠળના ગુનાઓ આચરનારી વ્યકિત, ભયજનક હોય તેવી વ્યકિત, ખાનગી અને સરકારી મિલકત પચાવી પાડે તેવા પ્રોપર્ટી ગ્રેબર વ્યકિત તેમજ કેફી દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલા તેવા ડ્રગ ઓફન્ડર્સ, જુગારનો અડ્ડો ચલાવનારા, દેહવિક્રય જેવા અનૈતિક વેપાર સાથે જોડાયેલ ગૂનેગાર વ્યકિતઓ, ગૌવંશની હત્યા અને ગૌ માસની હેરાફેરી કે વેચાણ કરનારા લોકો તથા દારૂનો ગેરકાયદે ધંધો કરનારા બૂટલેગર વ્યકિતઓ વિરૂદ્ધ પાસા કાયદાની જોગવાઇનો ઉપયોગ કરી અટકાયત કરી શકાય છે..
હવે, આધુનિક બદલાતી ટેકનોલોજીમાં વિશ્વ સાથે ગૂનાખોરીની પ્રવૃત્તિઓમાં પણ ટેકનોલોજી આધારિત ગૂનાઓ-સાયબર ક્રાઇમનું પ્રમાણ વધ્યું છે તેમજ જાતિય સતામણીના ગૂનાઓ પણ વધ્યા છે ત્યારે આ ગૂનાઓ સહિતના ગૂનાઓ ડામવામાં પાસા’ કાયદાની જોગવાઇઓમાં આ સુધારો શસ્ત્ર બનશે. રાજ્યમાં જાતીય ગુનાઓનું પ્રમાણ ઘટે અને મહિલાઓને વધુ સુરક્ષીત કરી શકાય તે આશયથી પાસાના કાયદામાં જે જોગવાઇઓ હતી તેને વધુ વિસ્તારવામાં આવી છે.
ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ની વિવિધ કલમો તેમજ પોક્સોના કાયદા હેઠળના શિક્ષાપાત્ર ગુનો કરે, કે એવો પ્રયાસ કરે, કે તેમાં મદદગારી કરે તેવી વ્યક્તિઓનો હવે પાસા કાયદાની સજા પાત્ર વ્યકિતમાં અલગથી સમાવેશ કરવામાં આવ્યો છે. આ અધિનિયમમાં સુધારો થવાથી જુગારની પ્રવૃતિ આચરનાર, સાયબર ગુનેગારો, વ્યાજખોરી તથા જાતીય સતામણીના ગુના જેવા ગુનેગારો સામે પાસાની કાર્યવાહી થઇ શકશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.