એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસીસ લિમિટેડ દ્વારા આયોજિત વોક-ઈન ઈન્ટરવ્યુ માટે મુંબઈના કાલીનામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિ કાબૂ બહાર જવાથી, અરજદારોને તેમના બાયોડેટા સબમિટ કરવા અને જવા માટે કહેવામાં આવ્યું હતું.
મંગળવારે મુંબઈના કાલીનામાં હજારો નોકરી શોધનારાઓ એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસીસ લિમિટેડ દ્વારા આયોજિત વોક-ઈન ઈન્ટરવ્યુ માટે આવ્યા હતા. આ પદો માટેની લઘુત્તમ લાયકાત SSC પાસ અને વધુમાં વધુ 23 વર્ષની હતી. પગાર રૂ. 22,530 પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યો હતો. આ પદ 3 વર્ષના ફિક્સ્ડ-ટર્મ કોન્ટ્રાક્ટના આધારે હતું. વિવિધ સમારકામ અને જાળવણી કાર્યો કરવા માટે હેન્ડીમેન અને યુટિલિટી એજન્ટની પોસ્ટ માટે 1,800 જગ્યાઓ માટે લગભગ પચાસ હજારથી વધુ લોકો આવ્યા હતા. લિમિટેડ વેકેન્સી હોવા છતાં ભરતી કચેરીની બહાર ભારે ભીડ ઉમટી પડતા નાસભાગની સ્થિતિ સર્જાઇ હતી.
ગુજરાતમાં 9 જુલાઈના રોજ આવી જ નાસભાગ જેવી સ્થિતિ જોવા મળી હતી. અંકલેશ્વર ખાતે 40 જગ્યાઓ માટે એક પેઢી દ્વારા લેવામાં આવેલા વોક-ઈન ઈન્ટરવ્યુ માટે લગભગ 1,000 લોકો આવ્યા હતા. ભીડ એટલી વધી ગઇ હતી કે તેને કાબૂમાં રાખવું મુશ્કેલ બની ગયું હતું. ત્યાર બાદ બેકાબૂ યુવાનોનું ટોળું હોટલની બહારની રેલિંગ પર ચઢી ગયું હતું. જેના કારણે રેલિંગ તૂટી ગઈ હતી અને અનેક યુવકો નીચે પડી ગયા હતા. ઉપરાંત રેલીંગની સામે પાર્ક કરાયેલા વાહનોને પણ નુકસાન થયું હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
ભારતના ટોચના ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અને રાધિકા મર્ચન્ટનાં આજે 12/7/2024 મુંબઈના બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ ખાતેના જિયો વર્લ્ડ સેન્ટરમાં આયોજિત કરવામાં આવેલાં લગ્ન માટે મહેમાનો માટે સુપર લક્ઝરી પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
મહેમાનોને આવવા અને જવા માટે ત્રણ ફાલ્કન ૨૦૦૦ જેટ અને ૧૦૦ જેટ પ્લેન ભાડા પર લીધાં હોવાનું જાણવા મળ્યું હતું. ચાર્ટર કંપની ક્લબ વન ઍરના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) રાજન મહેરાના જણાવ્યા મુજબ અંબાણી પરિવારે અનંત અંબાણીનાં લગ્ન માટે ત્રણ ફાલ્કન ૨૦૦૦ જેટ વિમાન ભાડા પર લીધાં છે.
લગ્નમાં સામેલ થવા માટે મહેમાનો દેશભરમાંથી આવી રહ્યા છે એટલે આ વિમાનો અનેક જગ્યાએ ટ્રાવેલ કરશે. આ સિવાય VVIP મહેમાનો માટે ૧૦૦થી વધુ પ્રાઇવેટ જેટ પ્લેનનો ઉપયોગ પણ અંબાણી પરિવાર કરશે.
ભારતના મોટા શહેરો ઉપરાંત અમેરીકા, લંડન, હોંગકોંગ, દુબઇમાં પણ રોડ શો યોજાયા
સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા આયોજિત 5માં કેરેટ એક્ષ્પોમાં લૂઝ ડાયમડ્સ, ડાયમંડ સ્ટડેડ જ્વેલરી, મશીનરી, સોફ્ટવેર, ટેક્નોલોજીના 118 એક્ઝિબિટર્સ જોડાયા
સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા આયોજિત 5મો ડાયમંડ એક્ષ્પો કેરેટ્સનું આયોજન આગામી તા.12થી 14 જુલાઇ દરમિયાન સરસાણા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. સ્થાનિક હીરા ઉદ્યોગ માટે આ કેરેટ એક્ષ્પો મંદીના સમયમાં ગેમ ચેન્જર પુરવાર થાય તેવી ધારણા સેવાય રહી છે. આ એક્ષ્પોમાં ભારત દેશના ખરીદારો આવે તે ઉપરાંત વિદેશી ખ્યાતનામ બાયર્સ આવે તે માટે દુબઇ, અમેરીકા, લંડન, હોંગકોંગ ખાતે રોડ શો કરવામાં આવ્યા હતા. વિદેશી ખરીદારોને સુરતના અવધ ઉટોપીયા ખાતે બિલકુલ મફત એકોમોડેશન અને એરટિકીટ આપવામાં આવી છે. સ્થાનિક સ્તરેથી કેરેટ એક્ષ્પોની મુલાકાત માટે 8 હજારથી વધુ ખરીદારોના પ્રી રજિસ્ટ્રેશન પણ થઇ ચૂક્યા છે.
કેરેટ એક્ષ્પોના આયોજન અંગે વધુ માહિતી આપતા સુરત ડાયમંડ એસોસીએશનના પ્રેસિડેન્ડ જગદીશભાઇ ખૂંટ, મંત્રી ધીરુભાઇ સવાણી, કન્વીનર વીનુભાઇ ડાભી, સહ કન્વીનર જયેશભાઇ એમવી, ચંદ્રકાંત તેજાણી, ચંદ્રકાંત તેજાણી, ગૌરવ શેઠી વગેરેએ જણાવ્યું હતું કેરેટ્સ એક્ઝિબિશનમાં લુઝ ડાયમંડમાં નેચરલ, લેબગ્રોન,જ્વેલરી તેમજ મશીનરી, સોફ્ટવેર, ટેકનોલોજીના મળીને ૧૧૮ જેટલા એક્ઝિબિટર્સ પોતાની પ્રોડક્ટસ કે સર્વિસીસ ડિસ્પ્લે કરશે.આ વખતે ડાયમંડ ઉદ્યોગમાં ખુબ જ મંદીનો માહોલ હોવા છતાં આ વખતે ડાયમંડ મેન્યુફેકચરર્સ અને વેપારીઓ ખુબજ ઉત્સાહ સાથે કેરેટ્સ એકપોમાં જોડાવા ઉત્સાહીત છે અને તમામ બુથનું બુકિંગ ફૂલ થઇ ગયેલ છે. ગત્ત કેરેટ્સ એક્સ્પોમાં B2B વ્યવહારોને ખુબ જ વેગ મળ્યો હતો. એકજીબીટર્સને ખુબજ સારો વેપાર મળ્યો હતો. તેઓને સુરત ડાયમંડ એસોસીએશન અને તેના દ્વારા થતાં આ કેરેટ્સ એક્સ્પો પર વિશ્વાસ વધ્યો છે. અને આ વખતનો એક્ષ્પો એટલા માટે જ ગેમ ચેન્જર નિવડશે.
કેરેટ્સમાં ખરીદારો આવે તે માટે ભારતના મોટા શહેરો જેવાકે બેંગલોર, ચેન્નઈ, હૈદ્રાબાદ, વિજયવાડા, કોલકાતા, કેરલા, મુંબઈ, પુણે દિલ્હી, જયપુર, તેમજ ગુજરાતના મોટા શહેરો અને સુરત વિગેરે શહેરોમાં તેમજ વિદેશમાં દુબઈ, અમેરિકા, લંડન, હોંગકોંગ વિગેરે જગ્યાએ રોડ શો કરી જવેલર્સ અને જવેલરી મેન્યુફેકચરર્સ અને ડાયમંડ વેપારીઓને રૂબરૂ મળી CARATS – સુરત ડાયમંડ એકસ્પોની વિઝીટ કરવા ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે. કેરેટ્સની મુલાકાત માટે 8,000 થી વધારે ઓનલાઈન વિઝીટર્સ રજીસ્ટ્રેટેશન થઇ ગયેલ છે. જેમાં ૫૦૦ થી વધારે રજીસ્ટ્રેટેશન નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલથી થયેલ છે. એક્સ્પોમાં લેબોરેટરી પાર્ટનર તરીકે IGI જોડાયેલ છે.
પ્રીમીયમ બાયર્સ માટે રહેવા, જમવા સહિતની સુવિધાઓ
કેરેટ્સમાં આવીને ખરીદી કરી ચૂકેલા અને અવશ્ય ખરીદી કરતા હોય તેવા પ્રીમીયમ બાયર્સ માટે સુરત ડાયમંડ એસોસીએશને અવધ ઉટોપિયા ક્લબમાં રહેવાની સગવડ, એરપોર્ટથી તેમને પીકઅપ અને ડ્રોપની ફેસીલીટી આપી છે.આ સુવિધા તેમને બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ પૂરી પાડવામાં આવશે. તેમને સવારે બ્રેકફાસ્ટ લંચ ડીનર અને ત્રણ દિવસ માટે રૂમનું બુકિંગ પણ કરવામાં આવ્યું છે.
ભારતની અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપ મેન્ટ કંપની પૈકીની એક અરવિંદ સ્માર્ટ સ્પેસ લિમિટેડે (એએસએલ) છેલ્લા કેટલાંક વર્ષોમાં નોંધપાત્ર વિકાસ, નવા પ્રોજેક્ટ લોંચ પગલે બિઝનેસમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2024માં પૂરા થયેલા પાંચ વર્ષમાં બુકિંગમાં 38 ટકા વૃદ્ધિ અને કુલ કલેક્શનમાં 46 ટકા વૃદ્ધિ નોંધાવી છે, જે ગુજરાતના પોર્ટફોલિયોમાં કુલ 68.8 મિલિયન ચોરસફૂટ (એમએસએફ)નું યોગદાન આપે છે, જેમાં સુરતમાં 13 એમએસએફ અને બાકીના વિસ્તારનો અમદાવાદમાં સમાવેશ થાય છે.
અરવિંદ સ્માર્ટ સ્પેસીસે નાણાંકીય વર્ષ 2024માં સુરતમાં એક પ્રોજેક્ટ ઉમેર્યો હતો, જે નાણાંકીય વર્ષ 2025માં લોન્ચ થવાની ધારણા છે. આ પ્રોજેક્ટ ઉચ્ચ સંભવિત સુરત માર્કેટમાં એએસએલનો પ્રવેશ દર્શાવે છે. અમદાવાદ અને ગાંધીનગર સિવાય ગુજરાતનું આ ત્રીજું શહેર હશે. સુરત એક સ્થાપિત બિઝનેસ હબ છે અને ગુજરાતમાં પ્લોટેડ ડેવલપમેન્ટ/વીક એન્ડ હોમ્સ માટેના એક આશાસ્પદ બજાર તરીકે ઉભરી આવ્યું છે. પ્રોજેક્ટ લોકેશન સુરતના વિવિધ ભાગો સાથે સારી કનેક્ટિવિટી ધરાવે છે તથા અંકલેશ્વર અને ભરૂચના ઔદ્યોગિક શહેરોની નજીક છે. આ પ્રોજેક્ટ સુરતમાં ગોલ્ફ કોર્સ, વિશાળ ક્લબ હાઉસ, હજારોની સંખ્યામાં સંપૂર્ણ ઉગેલા મોટા વૃક્ષો સાથેના બગીચા અને પ્રાઇવેટ લેક સાથેનો સૌ પ્રથમ મોટા પાયે પ્લોટિંગ પ્રોજેક્ટ હોવાની કલ્પના કરવામાં આવી છે.
અરવિંદ સ્માર્ટ સ્પેસીસના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી કમલ સિંગલે જણાવ્યું હતું કે“અમે ગુજરાતના રેસિડેન્શિયલ માર્કેટ વિશે ખૂબ આશાવાદી છીએ અને ત્યાં ઘણી મોટી ગોલ્ફ થીમ આધારિત ટાઉનશીપ વિકસાવવા માટે ઉત્સાહિત છીએ. અમારી પાસે હવે અમદાવાદ, ગાંધીનગર અને સુરત સહિત ગુજરાતમાં 69 એમએસએફના પ્રોજેક્ટ્સ છે.
પોતાની ગુજરાત-સંબંધિત વિસ્તરણ યોજનાઓમાં, અરવિંદ સ્માર્ટ સ્પેસ અમદાવાદ અને સુરતમાં વ્યૂહાત્મક રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. નાણાંકીય વર્ષ 2025માં આયોજિત કુલ રૂ. 2,500 કરોડના મૂલ્યના નવા લોન્ચમાંથી, રૂ. 1,500 કરોડ અમદાવાદ અને સુરતમાં કરવામાં આવશે.
સુરત ડાયમંડ બુર્સમાં મિનીબજાર કે મહિધરપુરા હીરા બજાર (દલાલ સ્ટ્રીટ) જેવો માહોલ ઉભો કરવાનો પ્રયાસ
સુરત ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન અને પ્રવક્તા ધર્મનંદન ડાયમંડના લાલજીભાઇ પટેલનો વિડીયો મેસેજ
હીરા બુર્સના વાઇસ ચેરમેન લાલજીભાઇ પટેલે કહ્યું કે સુરત હીરા બુર્સમાં દલાલ મહિધરપુરા અને મિનિબજારમાં જે રીતે નાના વેપારીઓ, દલાલો હીરાની લે-વેચ કરી રહ્યા છે તેવી જ રીતે તેઓ સુરત ડાયમંડ બુર્સમાં હીરાની લેવેચ કરવા આવી શકે તે માટે તેમને ટેબલ ખુરશી મૂકી શકાય તેટલી જ જગ્યા કે નાના વેપારીને ફક્ત ત્રણ ચાર લોકો બેસી શકે તેવી 50 સ્કે.ફૂટ જેટલી નાની ઓફિસની જગ્યા પણ એલોટ કરવામાં આવી રહી છે. એથી વિશેષ કતારગામ અને મિનિબજારથી દરરોજ સુરત ડાયમંડ બુર્સ સુધી નોન સ્ટોપ બસ સેવા પણ શરૂ કરી દેવામાં આવી છે. દર દોઢ કલાકે બસ સુવિધા ઉપલબ્ધ બનશે જેથી કરીને હીરાના કારોબાર સાથે સંકળાયેલા નાના સ્તરના વ્યવસાયીઓ, ધંધાર્થીઓ પણ સુરત ડાયમંડ બુર્સમાં કામકાજ કરવા માટે ડેઇલી આવી શકે.
વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ કે વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ મેળવી ચૂકેલું સુરતના ખજોદ સ્થિત ડાયમંડ બુર્સમાં આજે અષાઢી બીજના પવિત્ર દિવસે સુરતના 250 દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓએ પોતાની હીરા વેચાણની ઓફિસો શરૂ કરી હતી. આ સાથે જ વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગમાં માણસોની અવરજવર વધે તે માટે મોટું પરિવર્તન એ કરવામાં આવ્યું કે હવે સુરત ડાયમંડ બુર્સમાં નાનામાં નાના હીરા દલાલ કે જેને ઓફિસની જરૂર નથી તેના માટે એક ટેબલ ખુરશી જેટલી જગ્યા પણ ફાળવવામાં આવશે અને નાના વેપારી કે જેને માંડ 50 ચો.ફૂટ જેટલી નાની ઓફિસની જરૂરીયાત છે તેમને 50 સ્કે.ફૂટ જેટલી નાની ઓફિસ પણ ફાળવી આપવામાં આવશે.
21મી નવેમ્બર 2023ના દિવસે સુરત ડાયમંડ બુર્સના તત્કાલિન ચેરમેન કિરણ જેમ્સના વલ્લભભાઇ એસ. પટેલે પોતાની ઓફિસ સાથે કેટલાક હીરા ઉદ્યોગપતિઓએ પણ પોતાની ઓફિસો શરૂ કરી હતી. એ પછી પહેલા તબક્કાનું ઉદઘાટન હીરા બુર્સને ધમધમતું કરી શક્યું નહીં એટલે આજે બીજા તબક્કામાં 7મી જુલાઇને અષાઢી બીજનો દિવસ પસંદ કરીને સુરત ડાયમડં બુર્સના વર્તમાન ચેરમેન ગોવિંદ ધોળકિયા સમેત 250 હીરા ઉદ્યોગપતિઓએ સુરત ડાયમંડ બુર્સમાં પોતાની ટ્રેડીંગ ઓફિસ શરૂ કરી છે. સુરત હીરા બુર્સનો વહીવટ કરી રહેલા વર્તમાન પદાધિકારીઓએ આ પ્રસંગે જણાવ્યું કે રાતોરાત હીરા બુર્સની બધી ઓફિસો શરૂ થઇ જાય તેવી સ્થિતિ નથી.
સુરત હીરા બુર્સના સેકન્ડ ઓપનિંગ પ્રસંગે ચેરમેન અને રાજ્યસભાના સભ્ય ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે દિવાળી સુધીમાં 1000 ઓફિસ શરૂ થઇ જશે તેવી મને આશા છે, આગામી એક વર્ષમાં 2000થી વધુ ઓફિસો શરૂ થઇ જશે. 4 હજાર ઓફિસો શરૂ થતા 2,3, 4 વર્ષ પણ લાગી જાય તેવી સ્થિતિ છે.
દેશમાં 18મી લોકસભાના ગઠન બાદ હવે મોદી સરકાર તેમના ત્રીજા કાર્યકાળનો પ્રથમ બજેટ રજૂ કરવા જઇ રહી છે. કેન્દ્રિય બજેટ 2024 રજૂ કરવાની તારીખો પણ જાહેર થઇ ગઇ છે. નાણા મંત્રી નિર્મલા સિતારમણ 23 જૂલાઇએ સંસદમાં બજેટ રજૂ કરશે. 18મી લોકસભાનું પ્રથમ સત્ર સમાપ્ત થઇ ગયું છે. જેમાં નવા ચૂંટાયેલા સાંસદોનો શપથગ્રહણ થયું તેમજ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક થઇ હતી. જેને રાષ્ટ્રપતી દ્રૌપદી મૂર્મુએ સંબોધી હતી. હવે સમગ્ર દેશની નજર બજેટ સત્ર પર છે.
સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ પોતાના X હેન્ડલ પર આ અંગેની જાણકારી આપતા પોસ્ટ કરી છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે, ભારત સરકારના પ્રસ્તાવ પર ભારતના માનનિય રાષ્ટ્રપતિએ બજેટ સત્ર, 2024 માટે સંસદના બંને ગૃહોને 22 જુલાઇથી 12 ઓગસ્ટ સુધી બોલાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રિય બજેટ 23 જૂલાઇના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવશે.
સીતારમણ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ તોડશે
નોંધનીય છે કે આ વર્ષે ચૂંટણીના કારણે બે વખત બજેટ રજૂ થઈ રહ્યું છે. પહેલી ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. હવે નવી સરકારના ગઠન બાદ પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. બજેટની સાથે જ નાણાંમંત્રી નિર્મલા સીતારમણ એક અનોખો રેકોર્ડ પણ પોતાના નામે કરશે. સતત સાત કેન્દ્રીય બજેટ રજૂ કરનાર તેઓ પ્રથમ નાણામંત્રી બની જશે. આ રેકોર્ડ અગાઉ મોરારજી દેસાઇના નામે હતો, તેમણે છ વખત બજેટ રજૂ કર્યું હતું.
કરદાતાઓને મળી શકે છે રાહત
કેન્દ્રિય બજેટ 2024ની તારીખો જાહેર થવાની સાથે અટકળો ચાલી રહી છે કે, નાણા મંત્રી મોદી સરકાર 3.0 અંતર્ગત કરદાતાઓ માટે અમુક લાભોની જાહેરાત કરી શકે છે. એક મીડિયા એજન્સીએ બે સરકારી અધિકારીઓનો હવાલો આપી જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર કેન્દ્રિય બજેટમાં ગ્રામીણ આવાસ માટે રાજ્યની સબ્સિડી વધારવા અંગે વિચારી રહી છે. જેમાં પાછલા વર્ષની તુલનામાં 50 ટકા સુધીની વૃદ્ધિ થવાની શક્યતા છે. જે વધીને 6.5 બિલિયન (અબજ) અમેરિકી ડોલરથી વધુ થવાની શક્યતા છે.
પાન ઈન્ડિયા સ્ટાર પ્રભાસની ફિલ્મ ‘કલ્કી 2898 AD’ ગયા ગુરુવારે 27/06/2024 થિયેટરોમાં ધમાકેદાર રીતે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ માટે લોકોનો ક્રેઝ એવો હતો કે દેશભરમાં ઘણી જગ્યાએ આ ફિલ્મના મોર્નિંગ શૉ પેક થઇ ગયા હતા. ભારતીય પૌરાણિક કથાઓને વિજ્ઞાન સાથે જોડતી ગ્દર્શક નાગ અશ્વિનની આ ફિલ્મ પહેલા જ દિવસથી લોકોને પ્રભાવિત કરવા લાગી હતી.
પ્રભાસના સ્ટારડમ અને અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કમલ હાસન જેવા મેગા સ્ટાર્સની હાજરીને કારણે ‘કલ્કી 2898 AD’ માટે લોકોમાં શરૂમાં ઘણી ઉત્તેજના હતી. લોકો તરફથી મળેલી પ્રશંસા અને ફિલ્મની સકારાત્મક સમીક્ષાઓએ ફિલ્મને વધુ શક્તિશાળી બનાવી દીધી હતી. લોકોના પ્રેમે’કલ્કી 2898 AD’ને પહેલા દિવસથી જ જોરદાર કમાણી આપવાનું શરૂ કરી દીધું હતું. બુધવારે, ફિલ્મે સિનેમાઘરોમાં 7 દિવસ પૂરા કર્યા છે અને આ સમયમાં તેણે બોક્સ ઓફિસ પર તેની સ્થિતિ મજબૂત કરી લીધી છે.
આ ફિલ્મ ગુરુવારે રિલીઝ થઇ હતી, તેથી તેના પ્રથમ અઠવાડિયામાં ચાર દિવસ મળ્યા હતા. વીક એન્ડમાં તેણે 309 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. સોમવારે પણ આ ફિલ્મ કમાણીના આંકડામાં થોડા ઘટાડા સાથે 34.15 કરોડ રૂપિયાી કમાણી કરવામાં સફળ રહી હતી. ત્યાર બાદ મંગળવારે ફિલ્મની કમાણી ઘટીને 27 કરોડ રૂપિયા થઇ ગઇ. બુધવારે ફિલ્ની કમાણીનો આંકડો 23 કરોડ રૂપિયા પર અટકી ગયો. હવે ફિલ્મનું કુલ નેટ ઈન્ડિયા કલેક્શન 393 કરોડ રૂપિયાથી થોડું વધારે થઈ ગયું છે.
‘કલ્કી 2898 AD’ના હિંદી વર્ઝને મંગળવારે 13 કરોડ અને બુધવારે 11.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આમ આ ફિલ્મ હિન્દીમાં જબરદસ્ત કમાણી કરી રહી છે. પ્રભાસની ફિલ્મનું નેટ હિન્દી કલેક્શન 7 દિવસમાં 152 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે અને તેણે 2024માં હિન્દીનું પ્રથમ સપ્તાહનું સૌથી મોટું કલેક્શન કર્યું છે.
અન્ય કલાકારોની ફિલ્મોની વાત કરીએ તો રીતિક રોશનની ‘ફાઇટર’એ પ્રથમ સપ્તાહમાં લગભગ 140 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે અજય દેવગનની ‘શૈતાન’એ પ્રથમ સપ્તાહમાં 81.60 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘કલ્કી 2898 AD’એ તેમને મોટા માર્જિનથી પાછળ છોડી દીધા છે. આ વર્ષે હિન્દી ફિલ્મોમાં સૌથી વધુ બોક્સ ઓફિસ કલેક્શનનો રેકોર્ડ ‘ફાઇટર’ના નામે છે, જેનું જીવનકાળનું કલેક્શન 213 કરોડ રૂપિયા હતું. આ પછી રૂ. 149 કરોડના કલેક્શન સાથે અજય દેવગનની ‘શૈતાન’ બીજા સ્થાને હતી. પ્રભાસની ‘કલ્કી 2898 AD’એ માત્ર સાત દિવસમાં શૈતાન’ને પાછળ છોડી દીધી છે. એવું માનવામાં આવે છે કે ‘કલ્કી 2898 AD’બીજા સપ્તાહના અંતે સારો ઉછાળો મેળવશે. બીજા વીકેન્ડમાં પ્રભાસની ફિલ્મ ‘ફાઇટર’ના લાઇફટાઇમ કલેક્શનને પાર કરી શકે છે.
ભારતીય શેરબજારમાં અવિરત તેજીનો દોર સતત જળવાઈ રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી રોજ નવી રેકોર્ડ ટોચ બનાવી આગેકૂચ કરી રહ્યા છે. છેલ્લા એક માસમાં સેન્સેક્સે 4.60 ટકા ઉછળી 80000નું ઐતિહાસિક લેવલ ક્રોસ કર્યું છે. નિફ્ટી પણ 25000 તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે.
ગત 3 મેના રોજ સેન્સેક્સ 76468 પોઈન્ટ હતો, આજે તે 3518 પોઈન્ટ વધી 79986.80ના સ્તરે બંધ રહ્યો છે. જે ગઈકાલના બંધ સામે 545.35 પોઈન્ટ ઉછાળો દર્શાવે છે. નિફ્ટી પણ 24309.15ની રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ અંતે 162.65 પોઈન્ટ ઉછળી 24286.50 પર બંધ રહ્યો હતો. આજે રોકાણકારોની મૂડીમાં 3.3 લાખ કરોડની વૃદ્ધિ સાથે બીએસઈ માર્કેટ કેપ 445.49 લાખ કરોડ થઈ હતી.
ભારતીય બેન્કોની ગ્રોસ એનપીએ 12 વર્ષના તળિયે પહોંચી છે, બેલેન્સશીટમાં પણ સુધારો થવાથી બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝ સેગમેન્ટના શેર્સમાં બમ્પર તેજી જોવા મળી છે. આ ટ્રેન્ડ આગામી થોડા સમય સુધી જળવાઈ રહેવાનો સંકેત માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.
વૈશ્વિક મોરચે ફુગાવામાં ઘટાડો, વ્યાજદરમાં ઘટાડાની અસર
વૈશ્વિક સ્તરે વિશ્વની મહાસત્તા ધરાવતા અમેરિકી ફેડ રિઝર્વે ફુગાવાનો દર કેલેન્ડર વર્ષ 2025ના અંત સુધી 2 ટકાના સ્તરે સ્થિર થવાનો સંકેત આપ્યો છે. જેની સકારાત્મક અસરો જોવા મળી છે. તેમજ આ સ્પ્ટેમ્બરથી ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડો શરૂ થવાનો આશાવાદ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
બજેટ અંગે સકારાત્મક અભિગમ
આ મહિનાના અંતિમ સપ્તાહમાં જાહેર થનારા બજેટ 2024-25માં નવી સરકાર તમામ ક્ષેત્રો માટે સકારાત્મક જાહેરાતો કરશે તેવી શક્યતા છે. જેમાં મધ્યમવર્ગને ફોકસમાં રાખી ટેક્સમાં સુધારા, ઈન્ફ્રા ક્ષેત્રે તેની યોજનાઓને વેગ ઉપરાંત પીએલઆઈ સ્કીમનું વિસ્તરણ જેવી બાબતો સમાવિષ્ટ છે.
આર્થિક સ્થિતિ મજબૂત
દેશની આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે. જૂનમાં મજબૂત જીએસટી કલેક્શન, મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ઈન્ડેક્સ જૂનમાં 58.3 રહેતાં તેમજ જૂન ત્રિમાસિકમાં કોર્પોરેટ્સ દ્વારા આકર્ષક પરિણામો જારી થવાની શક્યતા સહિત તમામ આર્થિક પરિબળો પોઝિટીવ છે. આરબીઆઈએ જૂન ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 7.3 ટકાના દરે મજબૂત નોંધાવાનો સંકેત આપ્યો છે.
ભારતમાં સોનાના ભાવની સરખામણીએ દુબઈમાં સોનાના ભાવ ઓછા છે. ભારત કરતાં દુબઈમાં 24 કેરેટ તોલા (10 ગ્રામ) સોનું રૂ. 10339 સસ્તું છે. જ્યારે એમસીએક્સ ગોલ્ડની તુલનાએ રૂ. 7929 પ્રતિ 10 ગ્રામ સસ્તુ છે. જો કે, દુબઈથી સોનુ ભારત લાવવાના કેટલાક નિયમો છે. જો તે નિયમોનું ઉલ્લંઘન થાય તો કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આકરી કાર્યવાહી અને સજાની જોગવાઈઓનો સામનો કરવો પડશે.
દુબઈમાં સોનાનો ભાવ ભારત કરતાં ઓછો છે. આજે દુબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ 282.75 દિર્હમ (AED) પ્રતિ ગ્રામ છે. જે ભારતીય કરન્સી મુજબ રૂ. 6426.91 (1 દિર્હમ=22.73 રૂપિયા) પ્રતિ ગ્રામ થાય છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 261.75 દિર્હમ પ્રતિ ગ્રામ અર્થાત રૂ. 5949.58 પ્રતિ ગ્રામ છે. જેનો 10 ગ્રામનો ભાવ રૂ. 59491 અને 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 64261 થાય છે.
સ્થાનિક બજારમાં અમદાવાદમાં 3 July 2024 સોનાનો ભાવ રૂ. 74600 પ્રતિ 10 ગ્રામ છે. જે ગઈકાલ 2 July 2024 કરતાં રૂ. 450 મોંઘુ થયુ છે. ગત મહિને સોનુ રૂ. 76600ની રેકોર્ડ ટોચે પહોંચ્યું હતું. એમસીએક્સ ગોલ્ડ (5 ઓગસ્ટ વાયદો) રૂ. 636ના ઉછાળા સાથે રૂ. 72190 પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યુ હતું.
દુબઈથી કેટલુ સોનુ સાથે લાવી શકાય
દુબઈથી ભારત આવતો મુસાફર ચોક્કસ મર્યાદા સાથે દુબઈથી સોનુ ભારત લાવી શકે છે. પુરૂષ મુસાફર દુબઈથી મહત્તમ 20 ગ્રામ સોનુ સાથે લાવી શકે છે. જ્યારે મહિલા અને બાળક 40 ગ્રામ સોનુ સાથે લાવી શકે છે. જો કે, તેની કિંમત ડ્યૂટી ફ્રી મર્યાદાની અંદર હોવી જોઈએ, નહિં તો તમારે કસ્ટમ ચાર્જ ચૂકવવો પડશે.
કસ્ટમ ડ્યૂટી
ભારતીય મુસાફરો કે જેઓ દુબઈમાં છ મહિનાથી વધુ સમય સુધી રહ્યા હોય તેઓ માટે કસ્ટમ ડ્યૂટી 1 કિગ્રા પર 13.7 ટકા છે. જ્યારે છ મહિનાથી ઓછો સમય રહ્યા હોય તો તેના પર 38.50 ટકા ડ્યુટી લાગુ થાય છે. જો તમારૂ સોનુ ડ્યુટી ફ્રી મર્યાદા કરતાં વધુ હોય તો તેની જાણ એરોપોર્ટ પર કરવી આવશ્યક છે.
જીએમડીસીએ તા.1લી જુલાઇથી અમલમાં આવે એ રીતે કોલસાના ભાવમાં પ્રતિ ટને રૂ.340 સુધીનો ઘટાડો જાહેર કર્યો
સુરતમાં કોલસાના કેટલાક સપ્લાયરો એવા છે કે જેઓ અત્યાર સુધી દર ચોમાસામાં કોલસાની કુદરતી કમીમાં કૃત્રિમ રીતે શોર્ટ સપ્લાયની સ્થિતિ વધુ ઘેરી બનાવીને કોલસાના વપરાશકારોને ઉંચા ભાવે કોલસો વેચતા હતા. આ વખતે કોલસા સપ્લાયરોની સિન્ડીકેટની નફો કરવાની નેમ મનની મનમાં રહી ગઇ છે. જીએમડીસીએ કોલસાના મુખ્ય વપરાશકારો પ્રોસેસર્સ સાથે તાલમેલ કરીને ચોમાસા દરમિયાન ચાલે તેટલો પુરવઠો સ્ટોર કરી દીધો છે. એટલું જ નહીં પણ ચોમાસા દરમિયાન પ્રાઇવેટ પ્લેયરો ભાવ વધારી દે તે પહેલા જ જીએમડીસીએ તા.1લી જુલાઇથી અમલમાં આવે એ રીતે લિગ્નાઇટના બેઝિક ભાવમાં 10થી 12 ટકાનો ઘટાડો કરી દીધો છે. આમ આ વખતે ચોમાસામાં સસ્તા ભાવે લિગ્નાઇટનો જોઇએ તેટલો પુરવઠો ઉપલબ્ધ બનવાનો હોઇ, પ્રાઇવેટ સપ્લાયરોની આખી ગેમ ઉંધી પડી ગઇ છે.
વરસાદની સીઝન શરૂ થાય એટલે સુરત સહિત દક્ષિણ ગુજરાતની કપડા મિલો, ડાઇંગ પ્રિન્ટીંગ પ્રોસેસિંગ હાઉસોમાં કોલસાની રામાયણ શરૂ થઇ જતી. ચોમાસા દરમિયાન કોલસાનો શોર્ટ સપ્લાય એટલો અનુભવાતો કે મિલમાલિકોએ બળતણ માટે લાકડા કે અન્ય મટિરયિલ પર આધાર રાખવો પડતો. કોલસાના શોર્ટ સપ્લાયને કારણે કેટલાક કોલસાના સપ્લાયરો મોં માગ્યા દામ પણ વસૂલ કરતા. આ તમામ પરિસ્થિતિથી વિપરીત આ વખતે કોલસાના માઇનિંગથી લઇને સપ્લાયના મુખ્ય સરકારી પ્લેયર ગુજરાત મિનરલ ડેવપમેન્ટ કોર્પોરેશને તા.1લી જુલાઇથી અમલમાં આવે એ રીતે લિગ્નાઇટના ભાવમાં પ્રતિ ટને રૂ.340 સુધીનો ઘટાડો કરતા મિલમાલિકો, કપડા મિલો, ડાઇંગ પ્રિન્ટીંગ પ્રોસેસિંગ યુનિટો તેમજ કોલસાનો ઇંધણ તરીકે ઉપયોગ કરતા ઉદ્યોગકારોમાં સુખદ આશ્ચર્ય ફેલાયું છે.
ચોમાસા દરમિયાન ખાણમાંથી કોલસો કાઢવાનું કામ બંધ કરી દેવામાં આવે છે. પરીણામે આગોતરું આયોજન કે સ્ટોરેજ ન હોય તો ઉદ્યોગોને ચોમાસા દરમિયાન મળતા કોલસા-લિગ્નાઇટના પુરવઠામાં ભારે કમી આવતી અને શોર્ટ સપ્લાયના કારણે કોલસાના પ્રાઇવેટ સપ્લાયરો ચોમાસા દરમિયાન પ્રોસેસિંગ યુનિટોના માલિકોના ખીસ્સા ખંખેરી લેતા હતા. પરંતુ, આ વખતે સ્થિતિ બદલાય છે એમ જણાવતા સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનના પ્રેસિડેન્ટ જીતુભાઇ વખારીયા કહે છે કે જીએમડીસી સાથે છેલ્લા દોઢ મહિનાથી નેગોસીએશન ચાલી રહ્યું હતું. પ્રોસેસર્સ માટે કોલસો-લિગ્નાઇટ મુખ્ય ઇંધણ હોઇ, ચોમાસા દરમિયાન જે તકલીફો ભૂતકાળમાં પડી તે આ વખતથી હવે પછીના ચોમાસા દરમિયાન ન પડે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું.
સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનના મેમ્બર મિલમાલિકો સામાન્ય દિવસોમાં દર મહિના જેટલો લિગ્નાઇટ ખરીદતા તેમની એવરેજ કાઢીને આગામી ત્રણ મહિના ચાલે તેટલા લિગ્નાઇટના જથ્થાનો સ્ટોરેજ કરી દેવાયો છે. તેની સાથે સુખદ આશ્ચર્ય એ છે કે ઇતિહાસમાં પહેલીવાર જીએમડીસીએ ચોમાસા દરમિયાન લિગ્નાઇટના ભાવમાં ઘટાડો કર્યો છે. તા.1લી જુલાઇથી અમલમાં આવે એ રીતે પ્રતિ ટને રૂ.300 ઉપરાંત રૂ.40 અન્ય ખર્ચ કપાત મળીને રૂ.340 પ્રતિ ટન સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.
સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશને દરેક મિલમાલિકોને જાણ કરી છે કે જીએમડીસી પાસે આ ચોમાસા દરમિયાન સપ્લાય કરવા માટેનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે અને તા.1લી જુલાઇથી અમલમાં આવે એ રીતે તેના ભાવમાં ઘટાડો પણ કરવામાં આવ્યો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.