બિઝનેસ Archives - CIA Live

January 28, 2026
image-15.png
3min3

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન યુનિયનના નેતાઓએ 27/01/2026 આજે નવી દિલ્હીમાં ભારત-યુરોપની ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલને અંતિમ રૂપ આપ્યું. આશરે 18 વર્ષ લાંબી વાટાઘાટો બાદ આજે આખરે આ ડીલ પર મહોર વાગી. આ ડીલને ‘મધર ઓફ ઑલ ડીલ્સ’ કહેવામાં આવે છે, જે દુનિયાની 25 ટકા GDPનું પ્રતિનિધિત્વ કરે છે. ફ્રી ટ્રેડ ડીલમાં સૌથી મોટી જાહેરાત ઓટોમોબાઈલ ક્ષેત્રને લગતી છે, જે અંતર્ગત યુરોપથી ભારત આવતી કાર પર ટેક્સ ઘટાડીને 10 ટકા કરાશે.

તમને જણાવી દઈએ કે, યુરોપિયન યુનિયનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ એન્ટોનિયો કોસ્ટા હાલ ભારતના પ્રવાસે છે. આ બંને નેતા ગઇકાલે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ચીફ ગેસ્ટ તરીકે જ ભારત આવી ગયા હતા. આ મુદ્દે બંને પક્ષે 26 જાન્યુઆરીએ જ ફ્રી ટ્રેડ ડીલ અંગે વાટાઘાટો શરૂ કરી હતી, જેને 27 જાન્યુઆરીએ આયોજિત 16માં શિખર સંમેલનમાં અંતિમ રૂપ અપાયું હતું. યુરોપ આ ડીલને ‘મધર ઓફ ઑલ ડીલ્સ’ કહે છે.

ભારત-યુરોપની સંયુક્ત પત્રકાર પરિષદમાં PM મોદીએ કહ્યું હતું કે, વિશ્વની બે સૌથી મોટી લોકશાહી શક્તિઓએ આજે નવો અધ્યાય સ્થાપિત કર્યો. છેલ્લા ઘણાં વર્ષોથી ભારત અને યુરોપ વચ્ચેના સંબંધો મજબૂત થઈ રહ્યા હતા. આજે આ સંબંધોને નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ. ભારતે આજે વિશ્વના સૌથી મોટા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ એગ્રીમેન્ટ સમૃદ્ધિની નવી બ્લૂપ્રિન્ટ છે. ભારત અને યુરોપની આ ડીલ ઈન્ટરનેશનલ સિસ્ટમને સ્થિરતા અને મજબૂતાઈ આપશે. આ સિવાય અમે યુક્રેન, પશ્ચિમ એશિયા, ઈન્ડો-પેસિફિક સહિતના વૈશ્વિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી.

ભારત-યુરોપ ટ્રેડ ડીલની સૌથી મોટી જાહેરાતો

  • મેડિકલ અને સર્જીકલ ઉપકરણોમાં 90 ટકા પ્રોડક્ટ્સ પર કોઈ ટેક્સ નહીં લેવાય.
  • યુરોપના ફ્રૂટ જ્યૂસ પર 100%, મશીનરી પર 44% અને કેમિકલ પર 22% ટેરિફ નાબૂદ
  • યુરોપથી આવતી દવાઓ પર 44 ટકા સુધીનો ટેક્સ લેવાય છે, જે નાબૂદ કરાશે.
  • યુરોપના બિયર પર 50%, લિકર પર 40% અને વાઈન પર 30% ટેરિફ નાબૂદ કરાશે
  • આગામી બે વર્ષમાં કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે યુરોપ ભારતને 500 મિલિયન યુરો આપશે.
  • યુરોપની ફાઈનાન્શિયલ કંપનીઓમાં ભારતીયોને સરળતાથી એન્ટ્રી મળશે.
  • મેરિટાઈમ, બેન્કિંગ, શિપિંગ સેવાઓ સસ્તી થશે.
  • 2032 સુધીમાં ભારત-યુરોપ વેપાર બમણો કરવાનું લક્ષ્ય.
  • ભારતમાં ગ્રીન ટેકનોલોજી અને ક્લિન એનર્જીમાં પ્રોત્સાહન આપવામાં યુરોપ મદદ કરશે.

યુરોપથી આવતી કાર પર માત્ર 10 ટકા ટેક્સ

સૌથી મોટી અસર કાર બજાર પર પડશે. ભારત હાલમાં યુરોપિયન કાર પર લગભગ 70 ટકા જેટલો ટેક્સ વસૂલે છે, જેને તબક્કાવાર ઘટાડીને માત્ર 10 ટકા કરી દેવામાં આવશે. ટ્રાન્ઝિશન પીરિયડ દરમિયાન દર વર્ષે અઢી લાખ વાહનોના ક્વોટાની મર્યાદા રહેશે. આનાથી ભારતમાં લક્ઝરી કારોના ભાવમાં ધરખમ ઘટાડો થશે.

એવિયેશન સેક્ટરમાં પણ ટેરિફ નાબૂદીની જાહેરાત

એરક્રાફ્ટ અને સ્પેસક્રાફ્ટ સેક્ટરમાં લગભગ તમામ ટેરિફ નાબૂદ કરવામાં આવશે, જે ભારતના એવિયેશન સેક્ટર માટે ફાયદાકારક સાબિત થશે.

ભારતમાં યુરોપની વાઈન અને બિયર સસ્તી થશે

ઓલિવ ઓઈલ અને અન્ય વનસ્પતિ તેલ કોઈ ટેક્સ વસૂલવામાં આવશે. યુરોપથી આવતી વાઈન પર વસૂલાતો ટેક્સ 150 ટકાથી ઘટાડીને 20થી 30 ટકા, બિયર પરનો ટેક્સ 110 ટકાથી ઘટાડીને 50 ટકા તથા સ્પિરિટ પરનો ટેક્સ ઘટાડીને 40 ટકા કરાયો છે. જેથી ભારતીય પ્રીમિયમ આલ્કોહોલ બજારમાં પ્રતિસ્પર્ધા વધશે. ફ્રૂટ જ્યુસ પર પણ 100 ટકા ટેક્સનો ઘટાડો કરાશે.

આ ડીલથી રોકાણ અને વેપારને પ્રોત્સાહન મળશે

આ ડીલથી ભારત અને યુરોપના અર્થતંત્રમાં રોકાણ અને વેપારને પ્રોત્સાહન મળશે. આજે સત્તાવાર જાહેરાત બાદ તબક્કાવાર ડીલ લાગુ કરાશે.

આ ડીલ બાદ ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાં ધરખમ વધારો થશે. ઓટોમોબાઈલ, વાઈન, સ્પિરિટ્સ સહિતના સેક્ટર્સમાં પણ ડીલ કરાશે. જેમાં ભારતમાં યુરોપિયન વાહનો પર ટેરિફ ઘટાડવામાં આવી શકે છે. જ્યારે યુરોપ ભારતીય ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ, જ્વેલરી, બિયર-વાઈન, સ્પિરિટ સહિતની વસ્તુઓ પર ટેરિફમાં રાહત આપશે.

ભારત-યુરોપ વચ્ચે 2025માં 136.53 અબજ ડૉલરનો વેપાર

વર્ષ 2025માં ભારત અને યુરોપ વચ્ચે કુલ 136.53 અબજ ડોલરનો વેપાર થયો. ભારતે 60.7 અબજ ડોલરનો સામાન આયાત કર્યો જ્યારે 75.9 અબજ ડોલરના સામાનની નિકાસ કરી. એવામાં ટ્રેડ ડીલમાં ટેરિફમાં ઘટાડો થતાં ઉપભોક્તા અને ઉત્પાદક બંનેને લાભ થશે.

ભારત યુરોપથી હાઈ કેટેગરી મશીનરી, ઈલેક્ટ્રોનિક્સ, વિમાન, મેડિકલ ઉપકરણ વગેરે આયાત કરે છે. જ્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, સ્માર્ટફોન, કાપડ, ફાર્મા પ્રોડક્ટ્સ, જ્વેલરી, લોખંડની નિકાસ કરવામાં આવે છે. એવામાં આ ડીલમાં 90 ટકા સામાન પર ટેરિફ ઓછો અથવા નહિવત થઈ શકે છે. આ સેક્ટરમાં કામ કરતાં ઉદ્યોગો અને બિઝનેસમેનને તેનો મોટો લાભ મળશે.

યુરોપના કુલ 27 દેશના બજારમાં ભારતની પહોંચ વધશે

  • યુરોપના 45 કરોડ લોકોના બજારમાં ભારતીય કંપનીઓની સીધી એન્ટ્રી થશે
  • ટેક્સ ઓછો થવાના કારણે ભારતની નિકાસ વધશે
  • યુરોપની કંપનીઓ ભારતમાં રોકાણ વધારશે, FDI વધશે
  • નિકાસ અને રોકાણના કારણે રોજગાર વધશે
  • સપ્લાય ચેઈનમાં સુધારો થતાં ચીન પરની નિર્ભરતા ઘટશે
January 27, 2026
image-13.png
1min11

બેંક કર્મચારી યુનિયનોએ 5 વર્કિંગ ડેની માંગ કરી લાંબા સમયથી પડતર માંગણીનો નિવેડો આવે તે માટે 27 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. આ હડતાળનું આહ્વાન યુનાઇટેડ ફોરમ ઓફ બૅન્ક યુનિયન્સ (UFBU) દ્વારા કરવામાં આવ્યું છે. જેથી 27 જાન્યુઆરી 2026ને મંગળવારે દેશભરમાં બેંકિંગ સેવાઓ પ્રભાવિત થવાના સંકેત છે. છેલ્લા ત્રણ દિવસ 24,25,26 જાન્યુઆરી બેન્કમાં સત્તાવાર રજા હતી ત્યારે વધુ એક દિવસ 27 જાન્યુઆરીએ બેન્કનું કામકાજ ઠપ રહે તો ગ્રાહકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી શકે તેવી શક્યતાઓ છે.

કઈ કઈ બેન્કના કામકાજ પર પડશે અસર?

યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (UFBU)એ જાહેર કરેલી આ હડતાળમાં દેશભરની તમામ સરકારી બેન્કના કર્મચારીઓ જોડાઈ શકે છે. જેમાં ખાસ કરીને આમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, ઈન્ડિયન બેંક અને અન્ય જાહેર ક્ષેત્રની બેંકના કર્મચારીઓ જોડાઈ શકે છે. જેના ભાગરૂપે ઘણા બેંક કર્મચારીઓએ પહેલાથી જ ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે. અને ચેતવણી આપી છે જો માગ સ્વીકારવામાં નહીં આવે તો વધુ પ્રચંડ આંદોલન થશે.

અનેક કાર્યો પ્રભાવિત થશે

જેથી મંગળવારે 27 જાન્યુઆરી બેન્ક જતાં પહેલા ખરાઈ કરી લેજો કે બેન્કનું કામકાજ ચાલુ છે કે સંભવિત હડતાળના કારણે બંધ? ત્રણ દિવસથી સત્તાવાર રજાઓને કારણે બૅન્કનું કામ રોકાયેલું છે તેવામાં વધુ એક દિવસ વિરોધના ભાગરૂપે જો બેન્ક કર્મચારીઓ કામથી અળગા રહેશે તો કેશ, ચેક ક્લીયરન્સ, ડ્રાફ્ટ, પાસબુક, લોન સંબંધિત સહિત અનેક કાર્યો પ્રભાવિત થઈ શકે છે.

શું છે બૅન્ક કર્મચારી યુનિયનની માંગ?

યુનાઇટેડ ફોરમ ઑફ બૅંક યુનિયન્સ (UFBU) દ્વારા જાહેર 27 જાન્યુઆરી 2026એ સંભવિત બૅન્ક હડતાળના નિર્ણયનું મુખ્ય કારણ સપ્તાહમાં 5 દિવસ જ કામકાજ બે દિવસ રજા(ફાઇવ ડે વર્કિંગ)નો નિયમ લાગુ કરવાનું છે. UFBUએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાલ બૅન્ક કર્મચારીઓને દરેક મહિનામાં બીજા અને ચોથા શનિવારે રજા મળે છે, બાકીના બે શનિવારે રજા જાહેર કરવા માર્ચ 2024માં વેતન સંશોધન કરાર મુજબ ઇન્ડિયન બૅન્ક ઍસોસિએશન(IBA) અને યુનાઇટેડ ફોરમ ઑફ બૅંક યુનિયન્સ (UFBU) વચ્ચે સહમતિ સધાઈ હતી. જેમાં સોમવાર થી શુક્રવાર સુધી પ્રત્યેક દિવસ 40 મિનિટ વધારાના કામ કરવા પણ સહમતી બની હતી જેથી કામકાજના સમયમાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી, પણ દુભાગ્યપૂર્ણ છે કે સરકારે વાસ્તવિક માંગ પર હજુ સુધી કોઈ ધ્યાન આપ્યું નથી.

બૅન્ક યુનિયનોનું કહેવું છે કે, અઠવાડિયામાં પાંચ દિવસના કામકાજથી કર્મચારીઓ પરનું માનસિક દબાણ ઘટશે અને તેમની કાર્યક્ષમતામાં વધારો થશે. હાલમાં ભારત સરકારના મોટાભાગના વિભાગો, RBI, LIC, શેરબજાર અને ફોરેક્સ માર્કેટમાં પાંચ દિવસનું જ કામકાજ હોય છે. બૅન્ક કર્મચારીઓ પણ આ જ ધોરણે તમામ શનિવારની રજાની માંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે, આ હડતાળનું આહ્વાન ‘યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ’ (UFBU) દ્વારા કરાયું છે. જો કે, આ માંગણીને અમલમાં મૂકવા માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) અને સરકારની મંજૂરી મેળવવી અત્યંત જરૂરી છે.

બે રવિવાર અને બે શનિવારની રજા હવે કર્મચારીઓ માટે અપૂરતી

બેન્ક કર્મચારીઓને વર્ષ 2013થી દર મહિનાના ચાર રવિવાર ઉપરાંત બે શનિવારની રજા આપવામાં આવે છે. જોકે, હવે મહિનાના તમામ શનિવારોએ રજા જાહેર કરવાની લાંબા સમયની માંગણી પર કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. સરકારના આ ઉદાસીન વલણને કારણે બેન્ક કર્મચારીઓ અને તેમના વિવિધ એસોસિયેશનોમાં નારાજગી સતત વધી રહી છે.

9 બૅન્ક યુનિયનનું સામૂહિક સંગઠન છે UFBU

યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (UFBU)એ ભારતના 9 પ્રમુખ બૅન્ક યુનિયનનું સામૂહિક સંગઠન છે, જે સાર્વજનિક ક્ષેત્રે બૅન્ક અને તેના અધિકારીઓ અને કર્મચારીઓના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. યુએફબીયુના સભ્યોમાં ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC), નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઈઝ (NCBE), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) અને બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) નો સમાવેશ થાય છે.

January 25, 2026
Cia_business_news-1280x936.jpg
6min22

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ર૪, રપ અને ર૬ જાન્યુઆરી, ર૦ર૬ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’, ‘SGCCI ગ્લોબલ વિલેજ’ અને વુમન આંત્રપ્રિન્યોર એકિઝબિશનનું સંયુકત આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા આયોજિત એક્ઝિબિશનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના મહેમાનોની વિશિષ્ટ હાજરી રહેશે, જે એક્ઝિબિશનની વૈશ્વિક મહત્તા અને પ્રતિષ્ઠાને ઉજાગર કરે છે.

શનિવાર, તા. ર૪ જાન્યુઆરી, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે એકિઝબિશન ડોમ, સરસાણા, સુરત ખાતે ત્રણેય એક્ઝિબિશનનો ઉદ્‌ઘાટન સમારોહ યોજાશે, જેમાં ઉદ્‌ઘાટક તરીકે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ તેમજ Craftroots – Crafting Stories, Stitching Culturesના સ્થાપક અને ડિરેક્ટર શ્રીમતી અનાર પટેલ પધારશે અને તેમના વરદ્‌ હસ્તે એકિઝબિશનોનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે.

ઉદ્‌ઘાટન સમારોહમાં સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ (IAS) મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવશે.

ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, ઉદ્‌ઘાટન સમારોહ પ્રસંગે સ્પેશ્યલ ગેસ્ટ તરીકે એલ્બર્ટા ઇકોનોમિક કોરિડોરના MLA ચેર, શ્રી શેન ગેટસન (Mr. Shane Getson, MLA Chair, Alberta Economic Corridor), બોત્સ્વાનાના આંતરરાષ્ટ્રીય સંબંધોના માનનીય મંત્રી ડૉ. ફેન્યો બૂટાલે (Hon. Dr. Phenyo Butale, Minister of International Relations, Botswana) તથા ઝિમ્બાબ્વેના ઉદ્યોગ અને વાણિજ્યના માનનીય ડેપ્યુટી મિનિસ્ટર શ્રી રાજ મોદી (Hon’ble, Mr. Raj Modi, Deputy Minister of Industry and Commerce, Republic of Zimbabwe) ઉપસ્થિત રહી વિશિષ્ટ હાજરી નોંધાવશે.

ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલા, માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદી, ચેમ્બરના ઓલ એકિઝબિશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમર અને કો–ચેરમેન શ્રી નિરવ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, ઉદ્‌ઘાટન સમારોહમાં ગેસ્ટ ઓફ ઑનર તરીકે ભારતમાં સાયપ્રસ રિપબ્લિકના માનદ્‌ કોન્સુલ જનરલ શ્રી વિરાજ કુલકર્ણી (Mr. Viraj Kulkarni, Hon. Consul General of the Republic of Cyprus in India), કેનેડાના એલ્બર્ટા રાજ્યના MLA સુશ્રી જેકી લવલી (Ms. Jackie Lovely, MLA Alberta, Canada), નેશનલ MSME બોર્ડના ડિરેક્ટર શ્રી પ્રદીપ પેશકર (Mr. Pradeep Peshkar, Director National MSME Board), ઘાના રિપબ્લિકની ઘાના ફ્રી ઝોન્સ ઓથોરિટી (GFZA)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉ. મેરી અવુસી (Dr. Mary Awusi, Chief Executive Officer, Ghana Free Zones Authority (GFZA), Republic of Ghana) તથા KREMAG એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી ઇશ્વર પરમાર (Mr. Ishwar Parmar, Vice President, KREMAG Association) ઉપસ્થિત રહેશે.

આવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરીથી ત્રણેય એકિઝબિશનો સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો અને વેપારીઓ માટે વૈશ્વિક વેપાર, રોકાણ અને સહકારની નવી તકો સર્જવાનું મહત્વપૂર્ણ મંચ બની રહેશે.

_____________________________________________________

SGCCI દ્વારા તા. ર૪થી ર૬ જાન્યુઆરી ર૦ર૬ દરમ્યાન સરસાણા સ્થિત SIECC ખાતે ફૂડ એન્ડ બેવરેજીસ’ એકિઝબિશન યોજાશે

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ર૪, રપ અને ર૬ જાન્યુઆરી, ર૦ર૬ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’ એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળી રહે અને તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય સાથે ફૂડ એન્ડ બેવરેજીસ એકિઝબિશનનું આયોજન કરવામાં આવે છે. આ એકિઝબિશનમાં સુરત ઉપરાંત દેશના વિવિધ શહેરો જેવા કે પૂણે, નાસિક, રાયપુર (છત્તીસગઢ), હરિયાણા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, પંચમહાલ, નવસારી, વાપી, વલસાડ, અંકલેશ્વર, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોંડલ, જુનાગઢ અને ભરૂચથી ૧પ૬ એકિઝબિટર્સે ભાગ લીધો છે.

ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, ફૂડ એન્ડ બેવરેજીસ એક્ષ્પોમાં ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રે ફુડ પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ્‌સ એન્ડ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટિરિયલ્સ, કોલ્ડ ચેઇન ઇકવીપમેન્ટ એન્ડ રેફ્રીજરેશન એપ્લાયન્સિસ, વેર હાઉસિંગ એન્ડ કાર્ગો હેન્ડલીંગ, ફુડ ટેસ્ટીંગ લેબોરેટરીઝ, ઇન્સ્યુરન્સ એજન્સીઝ, ફાયનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ, ફ્રોઝન ફુડ, બેકરી એન્ડ ગ્રોસરીઝ, બેવરેજ, ફુડ પાર્કસ અને કન્ઝયુમર પેકેજડ ગુડ્‌સનું પ્રદર્શન કરવામાં આવશે.

ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલા, માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદી, ચેમ્બરના ઓલ એકિઝબિશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમર અને કો–ચેરમેન શ્રી નિરવ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, એકિઝબિશનમાં ભારતીય ન્યુટ્રિશન અને વેલનેસ બ્રાન્ડ દ્વારા ઓર્ગેનિક અને નેચરલ પ્રોડક્‌ટ્‌સનું પ્રદર્શન કરવામાં આવશે. ઓર્ગેનિક મોરિંગા (સરગવા) લીફ પાવડર, મોરિંગા જીરૂ પાવડર, મોરિંગા સૂપી શોટ્‌સ તથા મોરિંગા ટેબ્લેટ્‌સ જેવી મુખ્ય પ્રોડકટ રેન્જ રજૂ કરવામાં આવશે, જે નિયમિત ઉપયોગથી ઊર્જા, પાચન અને સમગ્ર હેલ્થ વેલનેસમાં સકારાત્મક ફેરફાર લાવે છે.

એક્ષ્પોમાં બોટલ પિક એન્ડ ડ્રોપ માટેની અદ્યતન રોબોટ મશીનરીનું પણ પ્રદર્શન કરવામાં આવશે. આ રોબોટ સિસ્ટમ આપોઆપ બોટલોને ચોક્કસ રીતે ઉઠાવીને બોકસમાં ગોઠવવાનું કામ કરે છે, જેના કારણે ઉત્પાદન પ્રક્રિયામાં ઝડપ, ચોકસાઈ અને કાર્યક્ષમતા વધે છે. માનવ શ્રમ પરની નિર્ભરતા ઘટાડીને સમય અને ખર્ચ બચાવવામાં મદદરૂપ બનતી આ મશીનરી ખાસ કરીને ફૂડ, બેવરેજીસ અને પેકેજિંગ ઉદ્યોગ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે.

‘ફૂડ એન્ડ બેવરેજીસ’ એક્ષ્પોના ચેરમેન શ્રી કે.બી. પિપલિયાએ જણાવ્યું હતું કે, શહેરીજનો ફૂડ એન્ડ બેવરેજીસ એક્ષ્પોમાં ખાણીપીણીની વિવિધ ચીજવસ્તુઓની મજા એકછત નીચે માણી શકશે. દેશ–વિદેશની વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓ સાથે આશરે પ૦૦થી વધુ ફૂડ આઇટમ્સના સ્વાદનો આનંદ માણી શકાશે. પરંપરાગત વાનગીઓથી લઈને આધુનિક, હેલ્ધી અને નવીન ખાણીપીણીના વિકલ્પો સુધીની વિશાળ પસંદગી એક્ષ્પોની ખાસ ઓળખ રહેશે, જ્યાં શહેરીજનો પરિવાર અને મિત્રો સાથે અનોખો ફૂડ અનુભવ મેળવી શકશે.

આ એકિઝબિશન માટે રજિસ્ટ્રેશન ફ્રી રહેશે. શહેરના હોટલ, રેસ્ટોરન્ટ અને કાફે સાથે સંકળાયેલા તમામ વ્યવસાયિક મિત્રોને આ એકિઝબિશનની વિઝીટ કરવાથી ઘણો લાભ થશે.

_____________________________________________________

SGCCI દ્વારા તા. ર૪થી ર૬ જાન્યુઆરી ર૦ર૬ દરમ્યાન સરસાણા સ્થિત SIECC ખાતે ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકિઝબિશન યોજાશે

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ર૪, રપ અને ર૬ જાન્યુઆરી, ર૦ર૬ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા આ વર્ષે બીજી વખત ગ્લોબલ એક્ષ્ચેન્જ એન્ડ ટ્રેડ માટે ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને વિશ્વના અન્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને વ્યવસાયિક જોડાણો સરળતાથી થઇ શકે તે માટે આ એકિઝબિશન યોજાઇ રહયું છે.

આ એકિઝબિશનમાં દુબઇ, ઓસ્ટ્રેલિયા, જાપાન, થાઇલેન્ડ અને અફઘાનિસ્તાનના એકિઝબિટર્સ ભાગ લેશે. દુબઇના એકિઝબિટર્સ રિયલ એસ્ટેટ અને ટુરિઝમનું પ્રદર્શન કરશે. ઓસ્ટ્રેલિયાના એકિઝબિટર્સ વિઝા પ્રોસેસ ઉપરાંત કાઉન્સીલ સર્વિસ – સેવાઓનું પ્રદર્શન કરશે. અફઘાનિસ્તાનના એકિઝબિટર્સ ડ્રાય ફુ્રટ, મસાલા અને કાર્પેટનું પ્રદર્શન કરશે. થાઇલેન્ડના એકિઝબિટર્સ હેલ્થ, બ્યુટી અને એફ.એમ.સી.જી. ક્ષેત્રની પ્રોડકટ્‌સનું પ્રદર્શન કરશે. જાપાનના એકિઝબિટર્સ લોજિસ્ટીકસ અને કુરિયર સર્વિસિસનું પ્રદર્શન કરશે.

ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, આ એકિઝબિશનમાં અફઘાનિસ્તાનના ૧૦, દુબઇના ર, થાઇલેન્ડના ર, જાપાનનો ૧ અને ઓસ્ટ્રેલિયાનો ૧ મળી કુલ ૧૬ સ્ટોલ રહેશે. આ ઉપરાંત, વસુધૈવ કુટુંમ્બકમ કોન્સેપ્ટ થકી સેલ્ફ હેલ્થ ગૃપ તથા ગુજરાત, મહારાષ્ટ્ર અને ખાસ કરીને ભુજથી ૧રથી વધુ સ્ટોલ રહેશે.

આ એકિઝબિશનમાં ભાગ લેનારા દેશો ઉપરાંત કેનેડા, શ્રીલંકા, તુનેશિયા, ઘાના, સાઇપ્રસ, ઇથોપિયા વિગેરે દેશોથી બાયર્સ અને વિઝીટર્સ આવશે તથા તેઓના દેશોમાં વેપારની તકો વિષે પણ સુરતના ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકોને માહિતી આપશે.

ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલા, માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદી, ચેમ્બરના ઓલ એકિઝબિશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમર અને કો–ચેરમેન શ્રી નિરવ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, આ એકિઝબિશનમાં ૧પથી વધુ દેશોના પ્રતિનિધિઓ ઉપરાંત ૪થી વધુ દેશોના મિનિસ્ટ્રી તથા વિવિધ ડિપ્લોમેટ્‌સની નોંધપાત્ર હાજરી રહેશે. તદુપરાંત, ૧પથી વધુ દેશોના પ્રતિનિધિ મંડળો એકિઝબિશનની મુલાકાત લઇ સુરતના ઉદ્યોગકારો સાથે બી–ટુ–બી મિટીંગ કરશે, જેનો લાભ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વેપાર–ઉદ્યોગને મળશે. વિદેશી પ્રતિનિધિ મંડળો સુરતમાં ૪૦થી વધુ ફેકટરી વિઝિટ કરશે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ એકિઝબિશન થકી સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓને વિવિધ દેશોના આંતરરાષ્ટ્રીય બજારો સાથે સીધો સંપર્ક સાધવાની તક મળશે અને તેઓ નવા બિઝનેસ વિકલ્પો શોધી શકશે, જેથી કરીને બિઝનેસ ડેવલપમેન્ટ માટે નવી દિશાઓ ખુલશે.

_____________________________________________________

SGCCIના લેડીઝ વિંગ દ્વારા તા. ર૪થી ર૬ જાન્યુઆરી ર૦ર૬ દરમ્યાન સરસાણા સ્થિત SIECC ખાતે Women Entrepreneur Exhibition (WEE) એકિઝબિશન યોજાશે

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ર૪, રપ અને ર૬ જાન્યુઆરી, ર૦ર૬ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે Women Entrepreneur Exhibition (WEE) એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના લેડીઝ વિંગના ચેરપર્સન શ્રીમતી મયુરીબેન મેવાવાલાએ જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગ સાહસિકતાને પ્રાધાન્ય આપવાના મુખ્ય ઉદ્દેશ સાથે Women Entrepreneur Exhibition (WEE)નું આયોજન કરવામાં આવ્યું છે. One More Steps Towards Women Entrepreneurshipની થીમ પર આધારિત આ એકિઝબિશન મહિલાઓને તેમના વ્યવસાય, પ્રતિભા અને ઉત્પાદનોને વ્યાપક મંચ પર રજૂ કરવાની એક મહત્વપૂર્ણ તક પૂરું પાડશે.

WEE એકિઝબિશનમાં ૧૧૦થી વધુ મહિલા સાહસિકો દ્વારા વિવિધ વ્યવસાયિક ક્ષેત્રોના સ્ટોલ્સ લગાવવામાં આવશે, જેમાં હેલ્થ, કન્ઝયુમર ડયુરેબલ્સ, રેડીમેડ ગારમેન્ટ્‌સ, ફેશન અને ફિટનેસ ઇકિવપમેન્ટ્‌સ, સ્કિન અને હેલ્થ કેર, હેન્ડલૂમ અને હેન્ડીક્રાફટ, ડ્રેસ મટિરિયલ્સ, ફેશન એકસેસરીઝ, પરંપરાગત વસ્ત્રો અને સાડીઓ, જ્વેલરી, ઇન્ટિરિયર ડેકોરેશન આઇટમ્સ, ડિઝાઇનર લાઉન્જ તેમજ ફૂડ એન્ડ બેવરેજીસ જેવા વિવિધ સેગમેન્ટ્‌સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

WEE એકિઝબિશન માત્ર વેપાર–વ્યવસાય માટેનું મંચ નથી, પરંતુ મહિલાઓને આત્મનિર્ભર બનવા, નેટવર્કિંગ કરવા, પોતાના બ્રાન્ડને ઓળખ અપાવવા અને નવી વ્યવસાયિક તકો શોધવાની એક સશક્ત પ્લેટફોર્મરૂપે કાર્ય કરશે.

ચેમ્બરની લેડીઝ વિંગનો હેતુ મહિલાઓમાં રહેલી ઉદ્યોગ સાહસિક શક્તિને પ્રોત્સાહન આપી તેમને મુખ્ય પ્રવાહના વ્યવસાય સાથે જોડવાનો છે, જેથી મહિલા સશક્તિકરણને વાસ્તવિક સ્વરૂપ આપી શકાય.

Women Entrepreneur Exhibition (WEE) એકિઝબિશન દ્વારા શહેરના નાગરિકોને મહિલાઓના પરિશ્રમ, સર્જનાત્મકતા અને વ્યવસાયિક કુશળતાનો સીધો અનુભવ મળશે, સાથે જ સ્થાનિક અને મહિલા ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવાની ભાવના પણ મજબૂત બનશે.

January 20, 2026
image-10.png
1min24

ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ અમંગળ સાબિત થયો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીને કારણે વૈશ્વિક સ્તરે સર્જાયેલા તણાવની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર જોવા મળી હતી. આજે કારોબારના અંતે BSE સેન્સેક્સ 1065.71 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 82,180.47 ના સ્તરે બંધ રહ્યો હતો. તેવી જ રીતે, નિફ્ટી-50 પણ 353 પોઈન્ટ ગગડીને 25,232.50 ની સપાટીએ આવી ગયો હતો. આજે મંગળવારે રોકાણકારોને 10 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે, જ્યારે છેલ્લા બે દિવસમાં શેર બજાર ગગડતા રોકાણકારોના 12 લાખ કરોડથી વધુ સ્વાહા થયાનું અનુમાન છે.

ચોતરફ વેચવાલી: માત્ર HDFC બેંક જ બચી શકી

આજના કારોબારમાં બજારમાં વેચવાલીનું એટલું પ્રચંડ દબાણ હતું કે સેન્સેક્સના 30 માંથી 29 શેર લાલ નિશાન પર બંધ થયા હતા. બ્લુચિપ ગણાતા શેરો જેવા કે Reliance (RIL), TCS, ITC અને Bajaj Finance માં ભારે ધોવાણ જોવા મળ્યું હતું. માત્ર HDFC બેંક જ એકમાત્ર એવો શેર હતો જે મામૂલી વધારા સાથે ટકી રહેવામાં સફળ રહ્યો હતો. સૌથી વધુ નુકસાન સન ફાર્મા, બજાજ ફિનસર્વ અને ઇન્ટરગ્લોબ એવિએશનના શેરોમાં નોંધાયું હતું.

મોટા શેરોની સાથે મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ રોકાણકારોએ પસ્તાળ પાડી હતી. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 2.57% અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 2.75% જેટલા તૂટ્યા હતા. સેક્ટર મુજબ જોઈએ તો રિયલ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ 5% નો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ઓટો, આઈટી અને મેટલ સેક્ટર પણ લોહીલુહાણ થયા હતા.

ટ્રમ્પની ટેરિફ પોલિસી: અમેરિકા અને યુરોપ વચ્ચે વધતા ટ્રેડ વોરના જોખમે રોકાણકારોનો ઉત્સાહ ઠંડો પાડ્યો છે. યુએસ સુપ્રીમ કોર્ટ આ ટેરિફ અંગે શું ચુકાદો આપે છે તેના પર સૌની નજર છે.

FIIs ની સતત વેચવાલી: વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય બજારમાંથી સતત નાણાં ખેંચી રહ્યા છે.
નબળા ત્રિમાસિક પરિણામો: વિપ્રો અને ICICI બેંક જેવી દિગ્ગજ કંપનીઓના પરિણામો અપેક્ષા મુજબ ન રહેતા બજારનું સેન્ટિમેન્ટ બગડ્યું હતું.

નિષ્ણાતોના મતે, જ્યાં સુધી વૈશ્વિક બજારમાં સ્થિરતા નહીં આવે અને અમેરિકાની નીતિઓ સ્પષ્ટ નહીં થાય, ત્યાં સુધી બજારમાં ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે.

January 12, 2026
Cia_business_news-1280x936.jpg
1min28

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુકત ઉપક્રમે તા. ૯, ૧૦, ૧૧ અને ૧ર જાન્યુઆરી, ર૦ર૬ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સુરત ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એન્ડ મશીનરી એક્ષ્પો – સીટમે ર૦ર૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, સુરત એ ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના એમએસએમઇ હબ તરીકે ઓળખાય છે ત્યારે આગામી દિવસોમાં ટેક્ષ્ટાઇલમાં વેલ્યુ એડીશન કરવા હેતુસર તેમજ સુરતની ટેક્ષ્ટાઇલ વેલ્યુ ચેઇનને મજબુત કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વળી, ટેક્ષ્ટાઇલમાં એમ્બ્રોઇડરી અને વેલ્યુ એડીશન દ્વારા ઉત્પન્ન થતું ટેક્ષ્ટાઇલ ફેબ્રિક વિદેશના માર્કેટમાં એક બ્રાન્ડ તરીકે ઓળખ પામે એ મુખ્ય ઉદ્દેશ્ય આ એકઝીબીશનનો છે.

એમ્બ્રોઇડરી અને ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી થકી સુરતમાં રિયલ ફેબ્રિકની ઓળખ થશે. એમ્બ્રોઇડરી મશીન દ્વારા સુરતના ફેબ્રિકને વેલ્યુ એડીશન કરી સારુ માર્જીન પ્રાપ્ત થાય એ દિશામાં પ્રયત્ન કરવામાં આવશે. માત્ર મેન્યુફેકચરર્સ જ નહીં પણ ટ્રેડર્સને પણ તેનો લાભ થાય તે દિશામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયો છે.

સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના પ્રમુખ શ્રી મનોહર ટેકચંદાની અને જોઇન્ટ સેક્રેટરી શ્રી સંજય ઝાએ જણાવ્યું હતું કે, દરેક ઈન્ડસ્ટ્રીના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે સ્થાનિક, રાજ્ય તેમજ કેન્દ્ર સરકારમાં વિવિધ સ્તરે અસરકારક રજૂઆતો કરતી ચેમ્બર ઓફ કોમર્સ એ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે પ્રયાસ કરે છે. આથી ચેમ્બર ઓફ કોમર્સની સાથે મળીને આ એકઝીબીશનનું આયોજન કરીએ છીએ. અગાઉ જાન્યુઆરી– ર૦ર૪, માર્ચ– ર૦ર૩ અને જાન્યુઆરી– ર૦ર૦માં સીટમે એકઝીબીશન યોજાયું હતું, જેને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ વર્ષે પણ એકઝીબીશનમાં એમ્બ્રોઇડરીની અત્યાધુનિક મશીનરીઓને પ્રદર્શિત કરવામાં આવશે.

ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, સીટમે એકઝીબીશનમાં એમ્બ્રોઇડરી મશીનરીના અદ્યતન તથા હાઇસ્પીડ મશીનોનું પ્રદર્શન કરવામાં આવશે, જેના કારણે સુરતની ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીના વિકાસને નવી દિશા અને વધુ વેગ મળશે. આવનારા સમયમાં સુરતને ગારમેન્ટ હબ તરીકે વિકસિત કરવાની દિશામાં આ એકઝીબીશન એક મહત્વપૂર્ણ અને અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડશે. ગારમેન્ટ ક્ષેત્રે સુરતને અગ્રણી સ્થાન પર પહોંચાડવાની આ પહેલને હવે કોઇ અટકાવી શકશે નહીં.

તેમણે વધુમાં કહયું હતું કે, સીટમે એકઝીબીશન ગારમેન્ટ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકો, ઉત્પાદકો અને વ્યવસાયિકો માટે સુવર્ણ તક સાબિત થશે. કારણ કે, અહીં અદ્યતન ટેકનોલોજી આધારિત મશીનો પ્રદર્શિત કરવામાં આવશે, જેનો ઉપયોગ કરીને ઉદ્યોગ સાહસિકો પોતાની ઉત્પાદન ક્ષમતા, ગુણવત્તા અને વ્યવસાયિક વિકાસમાં નોંધપાત્ર વધારો કરી શકશે. આથી, ગારમેન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા તમામને સીટમે એકઝીબીશનની ચોકકસ મુલાકાત લેવા માટે તેમણે અનુરોધ કર્યો હતો.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ‘સીટમે– ર૦ર૬’ એક્ષ્પોના આયોજનમાં ચેમ્બરની સાથે સુરત એમ્બ્રોઇડરી એસોસિએશન જોડાયું છે. એક્ષ્પોના આયોજનમાંં એમ્બ્રોઇડરી મશીનરી સાથે સંકળાયેલા લોકોએ જે ઉત્સાહ દાખવ્યો છે તે પ્રસંશનીય છે. આવનારા વર્ષોમાં આ ઉત્સાહ ઉત્તરોત્તર વધતો રહે તે જરૂરી છે. કારણ કે, એનાથી સુરતની અર્થ વ્યવસ્થા વધુ મજબૂત બની શકશે. આ પ્રદર્શન માટે ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી છે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલા અને માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનની મુલાકાત લેનારા બાયર્સને લેટેસ્ટ ટેકનોલોજીની એમ્બ્રોઇડરી મશીનરી રૂબરૂ જોવા મળશે. તેઓને બાયર–સેલર મીટ કરવાનો પણ મોકો મળશે. બિઝનેસ અને નેટવર્કીંગ માટે તકો મળી રહેશે. ગારમેન્ટ મેન્યુફેકચરર્સ માટે પણ અનેક મશીનો અહીં જોવા મળશે.

ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમરે જણાવ્યું હતું કે, સરસાણા ખાતે કયભહહ ડોમમાં આ પ્રદર્શનનું આયોજન કરાયું છે, જેમાં સુરતના ૬૬ એકઝીબીટર્સે ભાગ લીધો છે. એકઝીબીટર્સમાં સુરત ઉપરાંત અમદાવાદ, નવી દિલ્હી, પૂણે, રાજકોટ, ઠાણે અને વલસાડના એકઝીબીટર્સનો સમાવેશ થાય છે.

આ એકઝીબીશનમાં સુરત ઉપરાંત અજમેર, આણંદ, અંકલેશ્વર, બલોત્રા, વર્ધમાન, બેલગામ, ભીવંડી, બિકાનેર, બોટાદ, ચંડીગઢ, કોઇમ્બતુર, દહાણુ રોડ, દિલ્હી, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, જેતપુર, જુનાગઢ, કલ્યાણ, ખંભાત, કોલકાતા, કોટા, મલાડ, માલેગાવ, મુંબઇ, મુઝફફરપુર, નવાપુર, પાનીપત, પૂણે, રાજકોટ, સિલવાસા, સુરેન્દ્રનગર, તમિલનાડુ, ઠાણે, તિરુપુર, ઉજ્જૈન, વડોદરા અને વારાણસી સહિત ભારતભરમાંથી બાયર્સ પ્રદર્શનની મુલાકાત લેશે.

દેશભરમાંથી અત્યાર સુધીમાં ૧ર હજાર જેટલા બાયર્સે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આથી ચાર દિવસમાં એકઝીબીશનમાં રપ હજારથી વધુ બાયર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે. એકઝીબીશનમાં પ્રવેશ વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે.

આ એકઝીબીશનમાં મશીનરી સહિત મશીનરીના પાર્ટ્‌સ, દોરા, ધાગા અને બીડ્‌સ તેમજ અન્ય આનુસંગિક પ્રોડકટ પણ જોવા મળશે. આ ઉપરાંત અમદાવાદના માર્કેટમાં જે ડિઝાઇન ચાલે છે તે પણ અહીં જોવા મળશે.

સીટમે એક્ષ્પોમાં સૌ પ્રથમ વખત પોઝીશન એમ્બ્રોઇડરી મશીનરી લોન્ચ કરવામાં આવશે
અમ્બ્રોઈડરી અને જેકાર્ડ ફેબ્રિક પર પોઝિશન એમ્બ્રોઈડરી કરવા માટે ભારતભરમાં અત્યાર સુધી કોઇ સ્થળે એડવાન્સ ટેકનોલોજી સાથેની પોઝીશન એમ્બ્રોઇડરી મશીનરી લોન્ચ થઇ નથી, સુરતમાં સીટમે એક્ષ્પોમાં પ્રથમ વખત આ મશીનરીને લોન્ચ કરવામાં આવશે. આ મશીનરીથી હેન્ડ વર્ક અને ખાટલી વર્કનું કામ શક્‌ય બનશે, જે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના વિવિધ સેગમેન્ટો જેવા કે પોઝીશન પ્રિન્ટીંગ, એમ્બ્રોઇડરી, જેકાર્ડ અને શિફલી સેગમેન્ટના ડેવલપમેન્ટ માટે મહત્વની ભૂમિકા ભજવશે.

હવે પરંપરાગત જરદોશી હેન્ડવર્ક, એમ્બ્રોઇડરી મશીન પર શક્‌ય બનશે
સીટમે એકઝીબીશનમાં સિંગલ હેડ એમ્બ્રોઇડરી મશીન પર માયા જરદોશી ડિવાઇસ સાથે લાઇવ ડેમો રજૂ કરવામાં આવશે. આ ડેમો ભારતભરમાં પ્રથમ વખત સીટમે એકઝીબીશનમાં રજૂ કરાશે. આ ટેકનોલોજી દ્વારા હવે પરંપરાગત જરદોશી હેન્ડવર્ક, એમ્બ્રોઇડરી મશીન પર શક્‌ય બનશે. ખાસ વાત એ છે કે, આ ડિવાઇસ ડિઝાઇનની જરૂરિયાત મુજબ ૪ મીમીથી ૧૧ મીમી સુધી જરદોશીનું ઓટો કટિંગ કરે છે, જે સંપૂર્ણપણે ઓટોમેટીક છે. આ નવીન ટેકનોલોજી ભારતભરમાં કોઇ જ સ્થળે નથી, જે સુરતમાં પ્રથમ વખત સીટમે એકઝીબીશનમાં બાયર્સને જોવા મળશે.

એમ્બોઇડરી બીડ્‌સ મશીનરી માટે બીડ્‌સ નાયલોન તાર લોન્ચ કરાશે
એમ્બોઇડરી બીડ્‌સ મશીનરી માટે ખાસ બનાવવામાં આવેલા બીડ્‌સ નાયલોન તારને ભારતભરમાં સુરત ખાતે સીટમે એકઝીબીશનમાં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવશે. બીડ્‌સ નાયલોન તાર એમ્બ્રોઇડરી બીટ્‌સ મશીનરીમાં ઉપયોગમાં લઇ શકાશે. આ નાયલોન તારમાં ૮પ૦૦૦ મીટરની લેન્થમાં સિંગલ નોટ આવતી નથી અને આ તાર મશીનરી પર લગાવ્યા બાદ બે મહિના સુધી કોનને ઉતારવાની જરૂર પડતી નથી. એ સિવાયના કોનમાં બે મહિને પાંચેક વખત ગાંઠ પડતી હોવાને કારણે તેને પાંચેક વખત બદલવાની જરૂર પડે છે. જ્યારે ૮પ૦૦૦ મીટરની લેન્થવાળા નાયલોન તારમાં ગાંઠ પડતી ન હોવાથી એમ્બ્રોઇડરી મશીનરી પર વધુમાં વધુ પ્રોડકશન લઇ શકાશે.

December 31, 2025
image-29.png
1min42
  • ‘RailOne’ એપથી જનરલ ટિકિટ બુક કરાવવામાં મળશે ડિસ્કાઉન્ટ
  • ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય રેલવે દ્વારા 14 જાન્યુઆરી 2026થી નવી ઓફર લાગુ કરાશે.

નવી દિલ્હીઃ ભારતીય રેલવે મંત્રાલય 14, જાન્યુઆરીથી 14 જુલાઈ 2026 સુધીમાં ‘રેલવન’ એપ મારફતે જનરલ ટિકિટ (અનરિઝર્વ્ડ ટિકિટ) ખરીદવા અને કોઈપણ ડિજિટલ માધ્યમથી ચુકવણી કરવા પર 3 ટકા છૂટ આપશે. હાલમાં તે ‘રેલવન’ એપ પર આર-વોલેટ પેમેન્ટ મારફતે જનરલ ટિકિટ બુક કરવા પર ૩ ટકા કેશબેક આપે છે.

‘ડિજિટલ બુકિંગને પ્રોત્સાહન આપવા માટે ‘રેલવન’ એપ પર તમામ ડિજિટલ પેમેન્ટના માધ્યમથી જનરલ ટિકિટ બુક કરતી વખતે 3 ટકા ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, 30 ડિસેમ્બર, 2025ના મંત્રાલય તરફથી સેન્ટર ફોર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ (સીઆરઆઈએસ) ને લખવામાં આવેલા એક પત્રમાં આ વાત કહેવામાં આવી છે, જેમાં સોફ્ટવેર સિસ્ટમમાં જરૂરી ફેરફારો કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

3 ટકા ડિસ્કાઉન્ટનો પ્રસ્તાવ ૧૪ જાન્યુઆરી, 2026થી 14 જૂલાઈ 2026ના સમયગાળા દરમિયાન અમલમાં રહેશે. સીઆરઆઈએસ મે મહિનામાં આ દરખાસ્ત પર વધુ તપાસ માટે ફિડબેક આપશે. પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે રેલવન એપ પર આર-વોલેટ મારફતે બુકિંગ માટે હાલનો 3 ટકા કેશબેક ચાલુ રહેશે.

એક અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે હાલની સિસ્ટમમાં રેલવન એપ પર જનરલ ટિકિટ ખરીદનારા અને આર-વોલેટ મારફતે ચુકવણી કરનારા સંભવિત મુસાફરોને 3 ટકા કેશબેક આપવામાં આવે છે. જોકે, નવી ઓફરમાં રેલવન પર બધા ડિજિટલ પેમેન્ટ મોડ મારફતે જનરલ ટિકિટ ખરીદનારાઓને 3 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઓફર અન્ય કોઈ પણ ઓનલાઈન જનરલ ટિકિટ ખરીદી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નથી.

December 20, 2025
image-19.png
1min56

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)ના મતે ભારત-ઓમાન કોમ્પ્રેહેન્સિવ ઈકોનોમિક પાર્ટરશિપ એગ્રિમેન્ટ (સીઈપીએ) કે જે અંતર્ગત ઓમાનમાં ભારતમાંથી જેમ્સ અને જ્વેલરીની આયાત પર ઈમ્પોર્ટ ડ્યુટીને નાબૂદ કરી છે તેને લીધે બન્ને દેશ વચ્ચે થતી નિકાસમાં નોંધપાત્ર પ્રમાણમાં વૃદ્ધિ થશે તથા બન્ને દેશો વચ્ચે પ્રત્યક્ષ વ્યાપાર સંબંધોને વધુ મજબૂતી મળે તેવી આશા છે.

ભારતની ઓમાનમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ અત્યારે 35 મિલિયન યુએસ ડોલર રહી છે(વર્ષ 2024). સીઈપીએ અંતર્ગત ડ્યુટી-ફ્રી એક્સેસ મળવાથી જીજેઈપીસીને એવો અંદાજ છે કે વધારી સારી કિંમતની સ્પર્ધાત્મકતા, વધારે ઉત્પાદનોને લગતા વિકલ્પો તથા ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે વધુ સારા સહયોગને લીધે આગામી ત્રણ વર્ષમાં નિકાસ વધીને 150 મિલિયન યુએસ ડોલર સુધી પહોંચી શકે છે.

જીજેઈપીસીના ચેરમેન શ્રી કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કે, “ભારત-ઓમાન સીઈપીએ પ્રત્યક્ષ વ્યાપાર સંબંધોને મજબૂત કરશે અને ઓમાનમાં ભારતના જેમ અને જ્વેલરીની નિકાસ વધારવા માટે એક મુખ્ય માધ્યમ છે.ઝીરો ડ્યુટી એક્સેસથી ભારતીય નિકાસકારો માટે સ્પર્ધાત્મકતામાં ઘણો સુધારો થશે તથા ડાયરેક્ટ સોર્સિંગને ઉત્તેજન મળશે. અમે પોલિશ્ડ ડાયમંડ્સ અને ગોલ્ડ જ્વેલરી માટે ગ્રોથ સારી એવી તક જોઈ રહ્યા છીએ, આ સાથે ચાંદી, પ્લેટિનમ તથા ઈમિટેશન જ્વેલરીની માંગ વધી રહી છે. આ ફ્રેમવર્ક સાથે આગામી ત્રણ વર્ષમાં ઓમાનમાં નિકાસ 35 મિલિયન યુએસ ડોલરથી વધીને આશરે 150 મિલિયન યુએસ ડોલર થઈ શકે છે.”

ભારત અગાઉથી જ ઓમાનને ગોલ્ડ જ્વેલરીનો સૌથી મોટો સપ્લાયર છે, ખાસ કરીને 22 કેરેટના વેડિંગ અને ટ્રેડિશનલ ડિઝાઈનની જ્વેલરીમાં તથા વર્ષ 2024-25માં 80.11 ટકાની મજબૂત વૃદ્ધિ જોવા મળી છે, જે ભારતીય કારીગરોમાં ઊંડા વિશ્વાસને દર્શાવે છે.

સીઈપીએથી મેન્યુફેક્ચરિંગ, ડિઝાઈન કોલોબરેશન તથા ઈન્વેસ્ટમેન્ટ પાર્ટનરશિપને વેગ આપીને મેક ઈન ઈન્ડિયાને પણ સપોર્ટ મળે તેવી આશા છે.ઓમાનની પરંપરાગત સિલ્વર જ્વેલરીમાં મજબૂતી તેમ જ ભારતના મોટા પ્રમાણ, ટેકનોલોજી તથા કૂશળ વર્કફોર્સના ઉત્તમ તાલમેલથી જોઈન્ટ પ્રોડક્ટ ડેવલપમેન્ટ તથા વેલ્યુ-એડેડ મેન્યુફેક્ચરિંગની ઉત્તમ તક મળે છે.
ઓમાનના વ્યૂહાત્મક સ્થાન તથા સ્થિર બિઝનેસ માહોલ સાથે સીઈપીએ આ દેશને જીસીસી, આફ્રિકા તથા પડોશી ક્ષેત્રોમાં ભારતીય જ્વેલરીની નિકાસ માટે એક સંભવિત ગેટવે તરીકે સ્થાપિત કરે છે, જેથી ટ્રેડ એફિશિએન્સી અને પ્રાદેશિક બજાર સુધીની પહોંચ વધુ સારી બને છે.

December 15, 2025
image-8.png
1min59


ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે, સોમવારે 15/12/2025, રોકાણકારોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે ચલણ બજારમાં રૂપિયાએ અત્યાર સુધીનું સૌથી નીચલું સ્તર નોંધાવ્યું હતું. વિદેશી ભંડોળના સતત વેચાણ અને વૈશ્વિક બજારોના નબળા સંકેતોને કારણે બજારમાં દબાણ જોવા મળ્યું હતું. સેન્સેક્સ 280 પોઈન્ટના ઘટાડા સાથે અને નિફ્ટી 25,950ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.

બજારમાં કેમ બોલાયો કડાકો?

બજારની સૌથી મોટી ચિંતા રૂપિયાના ઐતિહાસિક ઘટાડાને લઈને હતી. ભારતીય રૂપિયો આજે અમેરિકન ડોલર સામે વધુ ગગડીને 90.71 ની નવી રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયો હતો. આયાતકારો દ્વારા ડોલરની ભારે માંગ અને વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારમાંથી સતત નાણાં પાછા ખેંચવાને કારણે રૂપિયા પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. નિષ્ણાતોના મતે, જો આ વલણ ચાલુ રહેશે તો આયાત મોંઘી થઈ શકે છે, જેની સીધી અસર પેટ્રોલ-ડીઝલના ભાવ અને મોંઘવારી પર પડી શકે છે.

સેન્સેક્સની વાત કરીએ તો શુક્રવારનું સેન્સેક્સનું ક્લૉઝિંગ 85,267.66 પર થયું હતું જે આજે 15/12/25 સોમવારે ખુલતા જ 84,840.32 પર પહોંચી ગયું હતું. જે 427 પોઈન્ટનો કડાકો દર્શાવે છે. જોકે પછીથી તેમાં રિકવરી જોવા મળી હતી. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો શુક્રવારનું ક્લૉઝિંગ 26046.95 પર હતું. જે આજે 15/12/25 સોમવારે ખુલતા જ 25,904.75 પર પહોંચી ગયું હતું. જે 142 પોઈન્ટનો કડાકો દર્શાવે છે. જોકે પછીથી એમાં પણ રિકવરી દેખાઈ હતી.

શેરબજારની વાત કરીએ તો, સવારે બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. દિવસ દરમિયાન બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો. આઈટી અને ફાઇનાન્સિયલ સર્વિસ જેવા ક્ષેત્રોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. જોકે, કેટલાક મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં ખરીદી જોવા મળી હતી, પરંતુ તે બજારને મોટા ઘટાડાથી બચાવી શકી ન હતી. રોકાણકારો હવે આગામી દિવસોમાં આવનારા ફુગાવાના આંકડા અને વૈશ્વિક બજારના સંકેતો પર નજર રાખી રહ્યા છે, જેના આધારે બજારની આગામી દિશા નક્કી થશે.

December 2, 2025
cia_gst.jpg
1min40

  • ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન રૂ. 1.96 લાખ કરોડ હતું
  • ગયા વર્ષે નવેમ્બરમાં જીએસટી કલેક્શન 1.69 લાખ કરોડ હતું : લક્ઝરી વસ્તુઓ પર સેસથી થનારી આવક દૂર કરાતા જીએસટી કલેક્શન ઘટયું

ભારતનું જીએસટી કલેક્શન નવેમ્બર, ૨૦૨૫માં ઘટીને ૧.૭૦ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે ચાલુ વર્ષનું સૌથી ઓછું કલેક્શન છે. જો કે ગયા વર્ષનાં નવેમ્બરની સરખામણીમાં જીએસટી કલેક્શનમાં ૦.૭ ટકાની વૃદ્ધિ જોવા મળી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. લક્ઝરી વસ્તુઓ પર સેસથી થનારી આવકને દૂર કરાતા આ ઘટાડો જોવા મળ્યો છે.

નવેમ્બર, ૨૦૨૫માં કુલ જીએસટી કલેક્શન ૧.૭૦ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે ગયા વર્ષે નવેમ્બરમાં ૧.૬૯ લાખ કરોડ રૂપિયા હતું. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર, ૨૦૨૫માં જીએસટી કલેક્શન ૧.૯૬ લાખ કરોડ રૂપિયા હતું.

ઉલ્લેખનીય છે કે ઘરેલુ વપરાશને વેગ આપવા અને વૈશ્વિક પરિબળોથી ભારતીય અર્થતંત્રને બચાવવાનાં હેતુથી એક મોટા સુધારણા હેઠળ સરકારે ૨૨ સપ્ટેમ્બરથી જીએસટીનાં ચાર દરો ઘટાડીને બે જ કરી દીધા છે.

હવે ફક્ત પાંચ અને ૧૮ એમ બે દરો રાખવામાં આવ્યા છે. જે અગાઉ ૫,૧૨,૧૮ અને ૨૮ હતાં. લક્ઝરી વસ્તુઓ પર ૪૦ ટકાનો અલગ દર રાખવામાં આવ્યો છે.

૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫થી જીએસટી કમ્પનસેશન ફક્ત તમાકુ અને પાન-મસાલા પર લગાવવામાં આવે છે. જે અગાઉ લક્ઝરી, સિન ડીમેરિટ વસ્તુઓ અલગ અલગ દરે નાખવામાં આવતો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે કુલ જીએસટી કલેક્શનની ગણતરીમાં સેસને સામેલ કરવામાં આવ્યો નથી કારણકે કમ્પનસેશન સેસ હવે એક અસ્થાયી વ્યવસ્થા છે.

નવેમ્બર, ૨૦૨૫માં હરિયાણા, આસામ અને કેરળમાં જીએસટી આવકમાં અનુક્રમે ૧૭,૧૮ અને ૮ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે મધ્ય પ્રદેશ અને ઓડિશામાં જીએસટી આવકમાં અનુક્રમે ૧૭ અને ૧૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ જીએસટીની આવકમાં ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

November 30, 2025
Cia_business_news-1280x936.jpg
1min71

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશન (એસ.જે.એમ.એ.) એ ગ્લોબલ કનેક્ટ 365 પ્રોગ્રામ આજે લોંચ કર્યો છે. આ પ્રોગ્રામમાં ઝવેરાતની ખરીદી કરવા માટે સુરત આવવા ઇચ્છતા ભારતના કે વિદેશના કોઇપણ જેન્યુઇન ખરીદારોને ફ્લાઇટ-ટ્રેનમાં આવવા જવાનું ભાડું, હોટલમાં સ્ટે, લોકલ ટ્રાન્સપોર્ટેશન, ફેક્ટરી વિઝિટ, ઓફિસ વિઝિટ વગેરે તમામ ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવશે. આ અંગે વધુ વિગતો આપતા સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના પ્રમુખ અમિત કોરાટ અને રૂટ્ઝના ચેરમેન જયંતિ સાવલિયાએ કહ્યું કે હવે તેઓ તબક્કાવાર રૂટ્ઝ એક્ષ્પો કાયમ માટે બંધ કરી રહ્યા છે. તેના બદલે હવે આખું વર્ષ 365 દિવસ ઝવેરાત ખરીદારો દેશ વિદેશથી ખરીદી કરવા માટે સુરતના ઝવેરાત ઉત્પાદકો પાસે આવે તે માટે તેમને તમામ ખર્ચો ઉઠાવવાની યોજના ઘડી કાઢવામાં આવી છે. ખરીદારોએ સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશની મોબાઇલ એપ્લિકેશનમાં સુરત આવવા અંગે એપ્લિકેશન કરવાની રહેશે. તેમણે એસોસીએશનના કુલ 500 મેમ્બર્સ પૈકી ઓછામાં ઓછા કોઇપણ 8 મેમ્બરની ફેક્ટરી, ઓફિસ, શોરૂમ વગેરેની વિઝિટ કરવાની રહેશે. ઓછામાં ઓછા આઠ જુદી જુદી પેઢીના ખરીદારો હશે તો તેમને સુરત આવવાનો તમામ ખર્ચ, સુરતમાં હોટેલ સ્ટે, સુરતમાં આંતરીક ટ્રાન્સપોર્ટેશન, ફેક્ટરી વિઝિટ વગેરે તમામનો ખર્ચ એસોસીએશનના મેનેજ કરશે. એસોસીએશનને મુલાકાતીઓને ખર્ચો એવી ફેક્ટરીના માલિકો ચૂકવશે જેની મુલાકાતે વિદેશી-દેશી ખરીદારો ગયા હોય. આમ આ રીતે માત્ર એક્ષ્પો પૂરતા નહીં પણ આખું વર્ષ દેશ વિદેશના ઝવેરાત ખરીદારો સુરત આવતા રહે તે પ્રમાણેની સ્કીમ એસ.જે.એમ.એ. ગ્લોબલ કનેક્ટ 365 લોંચ કરવામાં આવી છે.

IDI Certification

ઝવેરાત એક્ષ્પો રૂટ્ઝમાં સુમુલડેરી સ્થિત ઇન્ડીયન ડાયમંડ ઇન્સ્ટીટ્યુટ દ્વારા જ્વેલરી સર્ટિફિકેશન પ્રોજેક્ટ લોંચ કરવામાં આવ્યો છે. સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશન અને ઇન્ડીયન ડાયમંડ ઇન્સ્ટીટ્યુટ વચ્ચે તાજેતરમાં જ એમ.ઓ.યુ. સાઇન થયા છે.

રૂટ્ઝ 2025ના ઉદઘાટન સમારોહમાં મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યા

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના ઝવેરાત એક્સો રૂટ્ઝની 5મી એડિશનનો આજે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આરંભ કરવામાં આવ્યો હતો. આજે પહેલા જ દિવસે ભારતના જુદા જુદા શહેરો ઉપરાંત દુબઇ, અબુધાબી, શારજાહ, અમેરીકા જેવા દેશોમાંથી આવેલા ખરીદારો બોલી ઉઠ્યા હતા કે મુંબઇના ઝવેરાત ઉત્પાદકોને જોરદાર ટક્કર આપી રહ્યા છે સુરતના જ્વેલરી મેન્યુફેક્ચરર્સ. રૂટ્ઝ 2025 એક્ઝિબિશનની ખાસિયત એ છે કે ઝવેરાત ખરીદવા માટે આવી રહેલા દેશ વિદેશના ખરીદારોને જુદા જુદા દાગીનાની પસંદગી કરવા માટે 75 હજારથી વધુ ડિઝાઇનોની વિશાળ રેન્જ મળી રહી છે. 150 જેટલા સુરતના ઝવેરાત ઉત્પાદકો રૂટ્ઝ એક્ષ્પોમાં પોતાની જ્વેલરી ડિસ્પ્લે કરી રહ્યા છે પણ રેર કેસમાં તેમના આર્ટિકલ્સની ડિઝાઇન રિપીટ કે ડુપ્લિકેશનમાં જોવા મળી રહી છે.

દુબઇની એક જ્વેલરી બ્રાન્ડ માટે ખરીદા કરવા રૂટ્ઝમાં આવેલા વિલ્સને મિડીયા કર્મીઓને કહ્યું કે ત્રણેક વર્ષ અગાઉ સુધી તેઓ મુંબઇના જ્વેલરી મેન્યુફેક્ચરર્સ પાસેથી આર્ટિકલ્સ ખરીદતા આવ્યા હતા પરંતુ, જ્યારથી તેઓ રૂટ્સના સંપર્કમાં આવ્યા ત્યારથી સુરતમાં ક્લાયન્ટ બેઝ સ્થાપિત કર્યો છે અને તેઓ કમસેકમ 15થી 20 કિલો વજનના સોનાના દાગીનાની દર વર્ષે ખરીદી કરી રહ્યા છે. તેઓ જુદા જુદા આર્ટિકલ્સની 100થી 150 નંગ ખરીદી કરે છે. તેમણે જણાવ્યું કે સુરતના ઝવેરાત ઉત્પાદકો પાસે જે રેન્જ અને ઇનોવેશન છે એ વર્તમાન યંગ જનરેશનમાં આકર્ષણ ઉભું કરી શકવા સમર્થ છે. સુરતમાં તોલા કે ગ્રામમાં નહીં પણ વર્ષે 50થી 70 કિલો વજનના સોનાના દાગીના બનાવીને વેચનારાઓ પણ પડ્યા છે.

રૂટ્ઝ એક્ઝિબિશનના ચેરમેન જયંતિ સાવલિયાએ કહ્યું કે એકલા ભારતમાં નહીં હવે તો સુરતના ઝવેરાત ઉત્પાદકો દુનિયાભરમાં દાગીના સપ્લાય કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ઝવેરાત ઉત્પાદકોએ બનાવેલા આર્ટિકલ્સ સસ્તા પડે છે અને ડિઝાઇન અફલાતૂન હોય છે. સામાન્ય રીતે 1 ગ્રામની ઘડામણ રિટેલ માર્કેટમાં રૂ.3 હજારથી લઇને રૂ.3500 હોય છે, જ્યારે ઝવેરાત ઉત્પાદકો ઓર્ડરથી માલ બનાવે છે ત્યારે તે કલ્પના કરતા પણ ઓછી થઇ જાય છે. તેમણે કહ્યું કે સોનાના ભાવ ભલે રૂ.1.30 લાખની આસપાસ હોય પરંતુ, લોકો ક્યારેય દાગીના પહેરવાનું કે સોનું ખરીદવાનું બંધ કરતા નથી હોતા. હાલમાં 14 કેરેટની ગોલ્ડ ડાયમંડ સ્ટડેડ જ્વેલરીના સારા ઓર્ડરો મળી રહ્યા છે.

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના પ્રમુખ અમિત કોરાટ કહે છે કે તેમના એસોસીએશન સાથે સંકળાયેલા તમામ મેમ્બર્સને લાભ થાય એ માટે હવે એસ.જે.એમ.એ. 365 ગ્લોબલ કનેક્ટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં લોંચ કરી રહ્યા છે. જેનાથી દેશ વિદેશના ખરીદારો એકલા એક્ઝિબિશન પૂરતા નહીં પણ સમગ્ર વર્ષ દરમિયાન ઝવેરાત ઉત્પાદકોની ફેક્ટરીથી લઇને ઓફિસની મુલાકાતે આવતા જોવા મળશે.