- રાજ્યમાં દારૂનું વેચાણ કરતી હોટલોની સંખ્યા છેલ્લા ચાર વર્ષમાં 26 થી વધીને 62 થઇ
- રાજ્યમાં કુલ 19 હોટલો એ દારૂનું વેચાણ કરવા માટે લાયસન્સ માગ્યા છે જે પૈકી ચાર હોટલોને પરવાનગી આપવામાં આવી
- અમદાવાદના થલતેજમાં આવેલી એવલોન હોટલ, અમદાવાદ એરપોર્ટ પાસે આવેલી કમ્ફર્ટ ઇન, ભાવનગરમાં ઇસ્કોન હોટેલ અને ગાંધીધામ (કચ્છ) માં અખિલ પેલેસનો સમાવેશ
- મહાત્મા ગાંધી બાપૂના સાબરમતી આશ્રમથી 500 મીટરની નજીકની બે હોટલોને પણ મંજૂરી
- એક તરફ સરકારે દારુબંધીનો કડક અમલ ફક્ત અમીર, વીઆઇપી, ધનવાન લોકો પર કરાવ્યે રાખ્યો છે અને બીજી તરફ કાયદેસર રીતે દારુ વેચવાના પરવાનાઓ પણ સરકાર ધડાધડ મંજૂર કરી રહી છે

ગુજરાતમાં એક તરફ રૂપાણી સરકારે દારુબંધીનો કડક અમલ કરાવવાના બહાને ધનવાન ઘરના, ખાનદાન ઘરના, મોટા લોકો પર દારબંધીના કેસો ઠોકાવ્યા છે અને બીજી તરફ કાયદેસર રીતે દારુ વેચવાની પરવાનગી પણ આ જ રૂપાણી સરકાર આપી રહી છે. દારુબંધીના મુદ્દે સરકારના બેવડા વલણો હોવાની હદ તો ત્યારે દેખાઇ રહી છે કે ગુજરાતમાં દારુબંધી જેના કારણે અત્યારપર્યંત અણનમ રહી છે એ પૂ.મહાત્મા ગાંધી બાપૂના સાબરમતી આશ્રમના 500 મીટર વિસ્તારમાં બબ્બે સ્થળોએ સત્તાવાર રીતે દારુ વેચવા માટે નોટીફાઇડ લિકર શોપની મંજૂરી આપી દેવામાં આવી છે.
રાજ્યમાં એક તરફ દારુબંધીના કડક અમલના નામે પોલીસે રીતસર જુલ્મો કરવા માંડ્યા છે. પીધેલા પોલીસવાલાઓ જ દારુડીયા લોકોને પકડી પકડીને કેસો કરી રહ્યા છે. ગુજરાતમાં દારુબંધી હોવા છતાં દારૂ ક્યાંથી આવે છે, કોણ લાવે છે એવા લોકોની સામે પગલાં ભરવાની જગ્યાએ દારુ પીનારાઓને પકડી પકડીને પોલીસ મીર માર્યો હોય તેવો ડોળ કરી રહી છે. દારુબંધીના કડક અમલના નામે આજકાલ મહિલાઓને પાર્ટીઓમાંથી પકડી લાવીને પોલીસ મિડીયા માઇલેજ મેળવીને દારૂબંધીનું પ્રમોશન કરી રહ્યાની સ્થિતિ જોવા મળી રહી છે. દેશી દારુ પીને રસ્તે રખડતા લોકો પર કોઇ દારુબંધી જોવા મળતી નથી. પોલીસ મથક કે પોલીસ સ્ટેશનની સામેથી લથડીયા ખાતા ખાતા પસાર થતા દારુડીયાઓ પોલીસ તંત્ર માટે કામના નથી. ફક્ત ધનવાન, જાણીતા, વીઆઇપી લોકો પર જ પોલીસ દારુબંધીનો અમલ કરાવી રહ્યાની ફરીયાદો ઉઠી છે.
મળતી માહિતી મુજબ રાજ્યમાં કુલ 19 હોટલો એ દારૂનું વેચાણ કરવા માટે લાયસન્સ માગ્યા છે જે પૈકી ચાર હોટલોને પરવાનગી આપવામાં આવી છે. દારૂના વેચાણ માટે હોટલમાં પરમીટ માટેની અરજીઓની સમીક્ષા કરતી હાઇ-પાવર કમિટી તેની આગામી મીટિંગમાં વધુ 12 હોટલોને કાયદેસર રીતે દારુ વેચવાના લાયસન્સ આપશે એમ મનાય છે. નશાબંધી વિભાગના અધિકારીએ કહ્યું હતું કે 15 હોટલો કે જેમણે લાયસન્સ માગ્યા છે તેમાં 10 નવી હોટલો એકલા અમદાવાદની છે.
ગુજરાતમાં ચાર નવી હોટલો કે જ્યાં દારુ વેચવાની સરકારે પરવાનગી આપી છે એ અમદાવાદના થલતેજમાં આવેલી એવલોન હોટલ, અમદાવાદ એરપોર્ટ પાસે આવેલી કમ્ફર્ટ ઇન, ભાવનગરમાં ઇસ્કોન હોટેલ અને ગાંધીધામ (કચ્છ) માં અખિલ પેલેસનો સમાવેશ થાય છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે હોટેલોને ઉદારતાથી શરાબની દુકાનો ખોલવાની મંજૂરી આપી છે. રાજ્યમાં દારૂનું વેચાણ કરતી હોટલોની સંખ્યા છેલ્લા ચાર વર્ષમાં 26 થી વધીને 62 થઇ છે.
માત્ર અમદાવાદમાં એપ્રિલ 2014 સુધીમાં શરાબનું વેચાણ કરતી હોટલોની સંખ્યા માત્ર પાંચ હતી. સરકારે સાબરમતી આશ્રમથી 500 મીટરની નજીકની બે હોટલોને પણ મંજૂરી આપી છે. અમદાવાદમાં હવે શરાબ વેચતી હોટલોની સંખ્યા 13 થવા જાય છે.






















