Alert Archives - CIA Live

February 23, 2026
image-27.png
1min3

ગુજરાત હાઈકોર્ટે એક પિતાની હિબસ-કૉર્પ્સ પિટિશન ડિસમિસ કરી હતી અને કહ્યું હતું કે તેમની 18 વર્ષીય દીકરીએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને કાયદાકીય દૃષ્ટિએ તેને પોતાનો જીવનસાથી પસંદ કરવાની છૂટ છે. 

પિતાએ અરજીમાં જણાવ્યું હતું કે તેમની દીકરીને એક પુરુષે ગેરકાયદે પોતાની સાથે રાખી છે. જોકે દીકરીએ પરિવારની સંમતિ વિના પોતાની મરજીના પુરુષ સાથે લગ્ન કર્યા હતા. કોર્ટે આ મામલે નોંધ્યું હતું કે અરજદારની દીકરીને પૂરતી સુરક્ષા સાથે કોર્ટમાં બોલાવવામા આવી હતી અને તેણે જણાવ્યું હતું કે તેણે પોતાની ઈચ્છાથી આ પુરુષ સાથે લગ્ન કર્યા છે. યુવતીએ કોઈપણ પ્રકારના દબાણનો ઈનકાર કર્યો હતો. આ સમયે તેનાં માતા-પિતા પણ હાજર હતા.

પિતાએ પણ લગ્નનો ઈનકાર કર્યો ન હતો અને તેણે પોતાની અરજી સાથે મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ જોડ્યું હતું. 
કોર્ટે એમ પણ નોંધ્યું કે અરજદાર પિતા તેમનાં પત્ની અને તેમની દીકરી સાથે વાતચીત કરી હતી, પરંતુ તેમની વચ્ચેનો મતભેદ ઉકેલી શકાયો ન હતો અને પિતા દીકરીને માફ કરવા તૈયાર ન હતા. દીકરીએ પણ સાફ કહ્યું હતું કે તે તેનાં પતિ સાથે જ રહેવા માગે છે. કોર્ટે પિતાની અરજીને ડિસમિસ કરી હતી અને 18 વર્ષની દીકરી 18 વર્ષની થઈ છે અને પોતાની મરજીથી પોતાનું લગ્નજીવન શરૂ કરી રહી છે.

February 23, 2026
image-26.png
1min4

ભારતીય વાયુસેનાનું ગૌરવ ગણાતું સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) ‘તેજસ’ તાજેતરમાં એક અકસ્માતનો ભોગ બન્યું છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં એક ફોર્વર્ડ એરબેઝ પર ટ્રેનિંગ ફ્લાઇટ પૂર્ણ કરીને પરત ફરી રહેલું તેજસ વિમાન લેન્ડિંગ સમયે રનવેથી આગળ નીકળી ગયું હતું. આ ઘટનામાં વિમાનના એરફ્રેમને નોંધપાત્ર નુકસાન થયું છે, જોકે રાહતની વાત એ છે કે પાયલોટે સમયસૂચકતા વાપરીને સુરક્ષિત રીતે ઇજેક્ટ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં બ્રેક ફેલ થવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે.

આ દુર્ઘટના બાદ ભારતીય વાયુસેનાએ સાવચેતીના પગલા રૂપે તેજસ વિમાનોના સમગ્ર કાફલા (Fleet) ના ઉડાન ભરવા પર કામચલાઉ રોક લગાવી દીધી છે. વાયુસેના પાસે હાલમાં લગભગ 30 જેટલા સિંગલ-સીટર તેજસ વિમાનો છે. આ તમામ જેટ્સની સંપૂર્ણ ટેકનિકલ તપાસ કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. તેજસ એક સિંગલ એન્જિન મલ્ટી-રોલ ફાઈટર એરક્રાફ્ટ છે જે અત્યંત જોખમી વિસ્તારોમાં પણ ચોકસાઈથી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ આ ટેકનિકલ ખામીએ વાયુસેનાની ચિંતામાં વધારો કર્યો છે.

આ અકસ્માત એવા સમયે થયો છે જ્યારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) તેજસ માર્ક 1A ની ડિલિવરીમાં પહેલેથી જ વિલંબ કરી રહ્યું છે. ફેબ્રુઆરી 2021માં 48,000 કરોડના ખર્ચે 83 જેટ્સ માટે થયેલા સોદાની ડેડલાઇન અનેકવાર ચૂકી જવામાં આવી છે. આ વિલંબ પાછળનું મુખ્ય કારણ અમેરિકી કંપની જીઈ એરોસ્પેસ (GE Aerospace) દ્વારા એન્જિનની સપ્લાયમાં થઈ રહેલો મોડું હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે સપ્ટેમ્બર 2025માં સરકારે વધુ 97 તેજસ વિમાનો માટે ₹62,370 કરોડનો નવો સોદો પણ કર્યો હતો.

છેલ્લા બે વર્ષમાં તેજસ વિમાન સાથે સંકળાયેલી આ ત્રીજી મોટી ઘટના છે. પ્રથમ અકસ્માત માર્ચ 2024માં જેસલમેર પાસે થયો હતો, જ્યારે બીજી ઘટના નવેમ્બર 2025માં દુબઈ એરશો દરમિયાન લાઈવ પ્રદર્શન વખતે બની હતી. આ વારંવાર બનતી ઘટનાઓ અને ટેકનિકલ ખામીઓને કારણે હવે સ્વદેશી લડાયક વિમાનોની ગુણવત્તા અને સુરક્ષા પાસાઓ પર સવાલો ઉઠી રહ્યા છે. વાયુસેનાની ટેકનિકલ ટીમ હવે આ ખામીઓના મૂળ સુધી પહોંચવા માટે ઊંડી તપાસ કરી રહી છે.

February 23, 2026
image-24.png
1min4

મેક્સિકોમાં ડ્રગ કાર્ટેલ અને સેના વચ્ચે ચાલી રહેલી જંગને પગલે સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે. આ હિંસક વાતાવરણને જોતા મેક્સિકો સિટી સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાં વસતા ભારતીય નાગરિકો માટે સુરક્ષા એડવાઈઝરી જાહેર કરી છે. 22 ફેબ્રુઆરી, 2026ના રોજ જાહેર કરાયેલા આ નિવેદનમાં તમામ ભારતીયોને સતર્ક રહેવા, ભીડભાડ વાળા વિસ્તારોથી દૂર રહેવા અને સુરક્ષિત સ્થળોએ આશરો લેવાની કડક સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને જાલિસ્કો, તમાઉલિપાસ, મિચોઆકાન અને ગુએરેરો જેવા રાજ્યોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અને રસ્તા જામની ઘટનાઓ વધી રહી હોવાથી, ત્યાં રહેતા ભારતીયોને આગામી સૂચના સુધી ઘરની બહાર ન નીકળવા જણાવાયું છે.

ભારતીય દૂતાવાસે નાગરિકોને સ્થાનિક વહીવટીતંત્રના સંપર્કમાં રહેવા અને મીડિયા દ્વારા અપડેટ મેળવતા રહેવા અપીલ કરી છે. કોઈપણ કટોકટીના સમયે સ્થાનિક હેલ્પલાઈન નંબર 911 અથવા ભારતીય દૂતાવાસના ખાસ નંબર +52 55 4847 7539 પર સંપર્ક કરવા જણાવાયું છે. આ ઉપરાંત, પ્રવાસીઓને પોતાની સુરક્ષા અંગેની જાણકારી પરિવાર અને મિત્રોને સોશિયલ મીડિયા કે ફોન દ્વારા સતત આપતા રહેવા સૂચન કરવામાં આવ્યું છે. મેક્સિકોમાં હાલ જે રીતે સુરક્ષા અભિયાનો ચાલી રહ્યા છે, તેને જોતા બિનજરૂરી અવરજવર ટાળવી હિતાવહ છે.

આ હિંસા પાછળનું મુખ્ય કારણ કુખ્યાત ડ્રગ માફિયા અને ‘જાલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ'(CJNG)નો પ્રમુખ નેમેસિયો રૂબેન ઓસેગેરા સર્વાંતેસ ઉર્ફે ‘એલ મેન્ચો’નું મોત હોવાનું મનાય છે. સેના સાથેની એક ભીષણ અથડામણમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને મેક્સિકો સિટી લઈ જતી વખતે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. એલ મેન્ચોનું નેટવર્ક એટલું શક્તિશાળી હતું કે અમેરિકાના તમામ 50 રાજ્યો સુધી તેના ડ્રગ્સના કાળા કારોબારના છેડા અડેલા હતા. તેના ગંભીર પડઘા હાલ મેક્સિકોમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે ભારત સરકારે પોતાના નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપી છે.

February 23, 2026
image-23.png
1min4

રાજકોટ મહાનગરપાલિકા (RMC) સોમવારે (23મી ફેબ્રુઆરી) શહેરના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન હાથ ધરવા જઈ રહી છે. જંગલેશ્વર અને આજી નદીના પટમાં દાયકાઓથી સરકારી અને મનપાની જમીન પર ખડકાયેલા 1489 મકાનો તોડી પાડવા માટે તંત્રએ આખરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર રાજકોટમાં કડક પોલીસ બંદોબસ્ત અને કલમ-163 લાગુ કરી દેવામાં આવી છે.

મહાપાલિકા દ્વારા આ ઓપરેશન માટે વિશાળ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. 1130થી વધુ મનપા કર્મચારીઓ (ખાસ એપ્રન અને હેલમેટ સાથે). 260થી વધુ વાહનો જેમાં જેસીબી, હિટાચી, બ્રેકર અને ડમ્પરનો સમાવેશ થાય છે. આજી નદી પટની 55,000 ચો.મી. અને ટી.પી. રોડની 32,000 ચો.મી. મળી કુલ 87,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાશે.

વિસ્તારની સંવેદનશીલતાને જોતા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી કડક નિયમો લાગુ કર્યા છે. 23મીથી 25મી ફેબ્રુઆરી સુધી સમગ્ર રાજકોટમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત 26મી ફેબ્રુઆરી સુધી શહેરમાં 4 થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર મનાઈ છે. 2500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત પહેરો ગોઠવી દેવાયો છે. કોઈપણ પ્રકારના કાંકરીચાળા કે વિરોધના કિસ્સામાં તુરંત ધરપકડના આદેશો અપાયા છે.

તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે અગાઉ આ વિસ્તારના અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યા હતા, જેનો પુરાવો વીડિયો દ્વારા જારી કરાયો છે. આથી, આ વખતે કોઈ પણ નવું આવાસ કે વૈકલ્પિક જગ્યા આપવામાં આવશે નહીં. રવિવાર સાંજ સુધીમાં અંદાજે 225 પરિવારોએ સ્વૈચ્છિક રીતે પોતાના મકાનો ખાલી કરી દીધા હતા.

February 17, 2026
societynews-1280x1040.jpg
1min21

કલાસંગીત અને સર્જનાત્મકતા સાથે જીવંત સાંસ્કૃતિક સાંજનો અનોખો અનુભવ થશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરત શહેરમાં કલા પ્રેમીઓ માટે આકર્ષક અને અનોખો સાંસ્કૃતિક મહોત્સવ ‘સુરત આર્ટ સ્ટ્રીટ ર૦ર૬’ કલા ઉત્સવનું આયોજન તા. ર૧ અને રર ફેબ્રુઆરી, ર૦ર૬ના રોજ સાંજે પઃ૦૦થી રાત્રે ૧૦:૦૦ કલાક દરમિયાન ડુમસ સ્થિત લંગરથી કિનારા સુધી કરવામાં આવ્યું છે. ખુલ્લા અને જીવંત વાતાવરણમાં યોજાનારા આ કાર્યક્રમમાં શહેરના કલાકારો તથા સર્જકો દ્વારા વિવિધ પ્રકારની કલા કૃતિઓ, ચિત્ર પ્રદર્શન, લાઈવ આર્ટ ડેમોન્સ્ટ્રેશન, સંગીત અને અન્ય પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે. આ મહોત્સવમાં મુલાકાતીઓ હેન્ડમેડ ક્રાફ્‌ટ્‌સ, સર્જનાત્મક ઉત્પાદનો અને કલાત્મક પ્રસ્તુતિઓનો અનોખો અનુભવ મેળવી શકશે.

સમાજમાં કલા પ્રત્યે જાગૃતિ લાવવાનો ચેમ્બરનો પ્રયાસ

આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ કલાને સામાન્ય જનતા સુધી પહોંચાડવાનો તથા સમાજમાં કલા પ્રત્યે રસ અને જાગૃતિ વધારવાનો છે. પરિવારમૈત્રીપૂર્ણ વાતાવરણમાં આયોજિત આ કાર્યક્રમમાં મિત્રો અને પરિવાર સાથે આવીને કલાની ઉજવણીનો માહોલ માણવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ખુલ્લી જગ્યામાં યોજાનાર આ સાંસ્કૃતિક ઉત્સવ શહેરના યુવાનો, કલા રસિકો અને સર્જનાત્મક લોકો માટે ખાસ આકર્ષણ બનશે.

કલાકારો માટે ભાગ લેવા તક

કાર્યક્રમમાં વિવિધ કલાકારોને પણ ભાગ લેવા માટે તક આપવામાં આવી છે. શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ પણ કલાકાર તરીકે આ ઉત્સવમાં ભાગ લઇ શકશે. કલાકારો માટે રૂ. ૧,૦૦૦ની નામમાત્ર નોંધણી ફી નક્કી કરવામાં આવી છે, જે ઉત્સવ પૂર્ણ થયા બાદ તેઓને સંપૂર્ણ પરત આપવામાં આવશે. આ પહેલ દ્વારા નવા અને પ્રતિભાશાળી કલાકારોને પોતાના કામને લોકો સમક્ષ રજૂ કરવાની તથા કલા જગત સાથે જોડાવવાની અનોખી તક મળશે.

આ રીતે સુરત આર્ટ સ્ટ્રીટ ર૦ર૬ સુરત શહેર માટે સર્જનાત્મકતા, કલા અને સાંસ્કૃતિક ઊર્જાનો ભવ્ય ઉત્સવ સાબિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

February 17, 2026
સીટેક્ષ-ફેબ્રુઆરી-2026-1280x666.jpg
3min24

સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–ર૦ર૬’

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે આગામી તા. ર૧, રર અને ર૩ ફેબ્રુઆરી, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિ–દિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–ર૦ર૬’નું આયોજન કરાયું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું ૧૩મું અને એકજ વર્ષમાં બીજી વખત આયોજિત થનારું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી આ પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકિઝબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળે છે.

ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, આ એકિઝબિશનમાં એકિઝબિટર્સ દ્વારા વર્લ્ડ–ક્લાસ ટેક્ષ્ટાઇલ મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે, જેમાંથી કેટલીક મશીનરીઓ તો વિશ્વમાં અને ભારતમાં પ્રથમ વખત સુરતમાં આ એક્ષ્પોમાં લોન્ચ કરાશે અને પ્રદર્શન માટે મુકવામાં આવશે. આ બાબત સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગમાં આગવી ઓળખને વધુ મજબૂત બનાવશે અને દેશ–વિદેશના ખરીદદારો, ઉત્પાદકો તથા ટેકનોલોજી નિષ્ણાતો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડ થઇ રહી છે. સુરતમાં સીટેક્ષ પ્રદર્શનમાં પોઝિશન પ્રિન્ટીંગ મશીન, પોઝિશન એમ્બ્રોઇડરી મશીન, હાઇ સ્પીડ રેપિયર લુમ, હાઇ સ્પીડ એરજેટ લુમ, હાઇ સ્પીડ વોટરજેટ લુમનું પ્રદર્શન કરવામાં આવશે. સાથે જ વેલ્વેટ એરજેટ મશીનરીનું પ્રદર્શન કરાશે. એક્ષ્પોમાં એરજેટ, વોટરજેટ અને રેપિયરના લેટેસ્ટ મોડેલ મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે. મોટા ભાગે એરજેટ મશીન કોટન બેઇઝ હોય છે, પરંતુ આ એકિઝબિશનમાં વિસ્કોસ તેમજ પોલિએસ્ટરનું પ્રોડકશન કરનારા એરજેટ મશીનો પણ પ્રદર્શિત કરાશે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ ર૦ર૬નો ઉદ્‌ઘાટન સમારોહ શનિવાર, તા. ર૧ ફેબ્રુઆરી, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઉષાકાંત મારફતિયા હોલ, એસ.આઇ.ઇ.સી.સી., ચેમ્બર ઓફ કોમર્સ રોડ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં ઉદ્‌ઘાટક તરીકે ભારતના માનનીય કેન્દ્રિય જળ શકિત મંત્રી અને સુરત એરપોર્ટ કમિટીના ચેરમેન શ્રી સી.આર. પાટીલ પધારશે અને તેમના વરદ્‌ હસ્તે એક્ષ્પોનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. આ સમારોહમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજેશ ગાંધી અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

ચેમ્બરના માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, સુરત સહિત દક્ષિણ ગુજરાત ઉપરાંત આખા ભારતના વિવર્સ એસોસિએશનોને સીટેક્ષ એકિઝબિશનની મુલાકાત માટે આમંત્રણ પાઠવવામાં આવ્યા છે. ૧પ,૦૦૦થી વધુ વિઝીટર્સનું ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ આવી ગયું છે. ભારતભરમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા રપ,૦૦૦થી વધુ લોકો ૧પ૦ કરતા પણ વધારે શહેરોમાંથી સીટેક્ષ એકિઝબિશનની વિઝીટ કરશે.

ચેમ્બરના ઓલ એકિઝબિશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમરે જણાવ્યું હતું કે, અગાઉ જેકાર્ડ લુમ્સ સ્થાપિત કરવા માટે ફેક્‌ટરીમાં અંદાજે રર ફૂટ જેટલી વિશાળ જગ્યાની જરૂર પડતી હતી, જેના કારણે નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે આવી મશીનરી સ્થાપિત કરવી મુશ્કેલ બનતી હતી. પરંતુ આ એકિઝબિશનમાં પ્રદર્શિત થનારી અદ્યતન જેકાર્ડ લુમ્સ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે ફેક્‌ટરીમાં માત્ર ૭ ફૂટ જેટલી સીમિત જગ્યામાં પણ તેને સ્થાપિત કરી અસરકારક રીતે ઉત્પાદન મેળવી શકાય છે.

આ કોમ્પેકટ ડિઝાઇનના કારણે જગ્યાની બચત ઉપરાંત મશીનરીનું ઇન્સ્ટોલેશન સરળ બનશે, ઉર્જા અને સંચાલન ખર્ચમાં ઘટાડો થશે તથા નાના ઉત્પાદન એકમો માટે પણ ઉચ્ચ ગુણવત્તાવાળા જેકાર્ડ ફેબ્રિકનું ઉત્પાદન શક્‌ય બનશે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઓછી જગ્યામાં વધુ કાર્યક્ષમ ઉત્પાદન આપતી આવી મશીનરી ટેક્‌સટાઇલ ઉદ્યોગ માટે ખાસ કરીને શહેરના ગીચ ઔદ્યોગિક વિસ્તારોમાં કાર્યરત ઉદ્યોગકારો માટે અત્યંત લાભદાયક સાબિત થશે.

સીટેક્ષ એક્ષ્પો ર૦ર૬ના ચેરમેન શ્રી સુરેશ પટેલે જણાવ્યું હતું કે, સીટેક્ષ એકિઝબિશનમાં સુરત ઉપરાંત નવી દિલ્હી, મુંબઇ, લુધિયાના, વડોદરા, અમદાવાદ, કોઇમ્બતુર, ઠાણે, પાનીપત, કોલ્હાપુર, પુણે, દાદરા, ભીલવાડા અને વલસાડ મળી કુલ ૧૧૦ એકિઝબિટર્સે ભાગ લીધો છે. આ એકિઝબિટર્સ દ્વારા વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી મશીનરીનું  અને એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે. અમને ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના તમામ સેકટર્સના એકિઝબિટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

વિશ્વમાં પ્રથમ વખત ચાર પનાવાળું હાઇસ્પીડ રેપિયર જેકાર્ડ મશીન સીટેક્ષ એક્ષ્પોમાં લોન્ચ થશે

ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ માટે ઐતિહાસિક ગણાય તેવું વિશ્વમાં પ્રથમ વખત ૪૯૦ સેન્ટીમીટર લંબાઇ ધરાવતા ચાર પનાવાળું હાઇસ્પીડ રેપિયર જેકાર્ડ મશીન સીટેક્ષ એક્ષ્પોમાં લોન્ચ કરવામાં આવશે. સુરતમાં વર્ષ ર૦૦૯–૧૦ દરમિયાન બે પનાવાળું મશીન વિકસાવવામાં આવ્યું હતું, જેના દ્વારા એકસાથે બે સાડીઓનું ઉત્પાદન શકય બન્યું હતું. ત્યારબાદ વર્ષ ર૦૧પમાં ત્રણ પનાવાળું રેપિયર જેકાર્ડ મશીન બજારમાં આવ્યું, જેના પર એકસાથે ત્રણ સાડીઓ બનાવવી શકય બની. હાલમાં વિશ્વભરમાં ત્રણ પનાવાળા મશીનો જ કાર્યરત છે, ત્યારે સુરતમાં પ્રથમ વખત લોન્ચ થનારું ચાર પનાવાળું અદ્યતન રેપિયર જેકાર્ડ મશીન ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

આ હાઇસ્પીડ રેપિયર જેકાર્ડ મશીન દ્વારા એકસાથે ચાર સાડીઓનું ઉત્પાદન શકય બનશે, જેના પરિણામે ઉત્પાદકોને ઉત્પાદન ક્ષમતા વધારવા ઉપરાંત લગભગ રપ ટકા સુધી પ્રોડકશન કોસ્ટમાં ઘટાડો થવાની શકયતા છે. વધુ ઉત્પાદન અને ઓછા ખર્ચના કારણે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્પર્ધામાં મજબૂત બનવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

હાઇસ્પીડ એરજેટ મશીનનો પણ ડેમો રજૂ થશે

આ ઉપરાંત સીટેક્ષ એક્ષ્પોમાં હાઇ ટેકનોલોજીવાળી એરજેટ મશીનરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે ૧૩,૦૦૦ ડોલરની કિંમતવાળું એરજેટ મશીન ઉપલબ્ધ છે, જ્યારે એક્ષ્પોમાં રજૂ થનાર હાઇસ્પીડ એરજેટ મશીન આશરે ૯,પ૦૦ ડોલરની કિંમતમાં ઉપલબ્ધ કરવામાં આવશે. આ મશીનનો લાઇવ ડેમો પણ રજૂ કરવામાં આવશે, જેના કારણે ઉત્પાદકોને ઓછી કિંમતમાં વધુ કાર્યક્ષમ અને ઝડપી ટેકનોલોજી અંગે માહિતગાર થવાની તક મળશે.

નવી પોઝિશન પ્રિન્ટર મશીનરી અને પોઝિશન એમ્બ્રોઇડરી મશીનરી રજૂ કરાશે

આ એકિઝબિશનમાં આધુનિક ટેક્ષ્ટાઇલ પ્રિન્ટિંગ અને મશીનરી ક્ષેત્રની નવી અને અત્યાધુનિક ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે. એઆઇ સોફટવેરથી સજ્જ ચય્’ઝઃન્ભ્દ્ય–ણ હેડ આધારિત નવી પોઝિશન પ્રિન્ટર મશીનના નમૂનાઓ (૮ અને ૧૬ હેડ વેરિઅન્ટ) રજૂ કરવામાં આવશે. નવી પોઝિશન એમ્બ્રોઇડરી મશીનરી પણ પ્રદર્શન પણ મુકાશે. આ ઉપરાંત ફોઇલ મશીનના નમૂનાઓ તથા ડાયરેકટ–ટુ–ફેબ્રિક પ્રિન્ટર મશીનના ૧૬, ર૪, ૩ર, ૪૮, ૬૪ અને ૯૬ હેડવાળા વિવિધ વેરિઅન્ટસ પણ પ્રદર્શિત કરવામાં આવશે, જે ઉચ્ચ ગુણવત્તાવાળા અને મોટા પાયે પ્રિન્ટિંગ માટે યોગ્ય છે.

અદ્યતન સકર્યુલર નિટિંગ મશીન રજૂ કરાશે

આ એક્ષ્પોમાં સકર્યુલર નિટિંગ મશીનની અદ્યતન શ્રેણી પણ રજૂ કરવામાં આવશે. તેમાં સિંગલ જર્સી સકર્યુલર નિટિંગ મશીન (૩૪ ડાયમીટર × ર૮ ગેજ × ૧૦ર ફીડર્સ) ઓપન વિથ સાથે ૩૦થી ૪પ આરપીએમ હાઇ સ્પીડ પર કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત ડબલ જર્સી સકર્યુલર નિટિંગ મશીન (૩૪ ડાયમીટર × ર૮ ગેજ × ૧૦૮ ફીડર્સ) પણ પ્રદર્શિત થશે, જેમાં ઇન્ફ્રારેડ નીડલ બ્રેકેજ ડિટેકટર અને સ્ટિચ લેન્થ મીટર જેવી અદ્યતન સુવિધાઓ સામેલ છે, જે ઉત્પાદનની ગુણવત્તા અને કાર્યક્ષમતા વધારવામાં સહાયક બને છે.

સીટેક્ષ પ્રદર્શન દ્વારા ટેક્ષ્ટાઇલ ઉદ્યોગના સાહસિકો, ઉત્પાદકો અને ટેકનોલોજી રસિકોને નવી પેઢીની મશીનરી અને પ્રિન્ટિંગ સોલ્યુશન્સ વિશે જાણવાની તથા આધુનિક ઉત્પાદન ક્ષમતાઓને નજીકથી સમજવાની મહત્વપૂર્ણ તક મળશે. આ રીતે સીટેક્ષ એક્ષ્પો ટેક્ષ્ટાઇલ મશીનરી ક્ષેત્રની નવીનતા, કાર્યક્ષમતા અને ખર્ચ ઘટાડતી ટેકનોલોજીઓ માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે.

ટેક્ષ્ટાઇલ મશીનરી અને એન્સીલરીનું વિશાળ પ્રદર્શન હોવાથી આ એકઝીબીશનમાં ૧૬ વર્ષથી નાના બાળકોનો પ્રવેશ પ્રતિબંધિત છે, જેની નોંધ લેવા વિનંતી છે.

February 15, 2026
gujarat-vidhansabha.jpg
1min23

: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલ 16 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. સત્રની શરૂઆત બપોરે 12:00 વાગ્યે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થશે. જે બાદ ગૃહમાં ટૂંકો વિરામ રહેશે. સત્રના પ્રથમ દિવસે શોક દર્શક ઉલ્લેખ થશે, જે બાદ મોટું આકર્ષણ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદની ચૂંટણી રહેશે.

વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ સામ સામે છે. કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારે ઉમેદવારી નોંધાવી છે જેનો પ્રસ્તાવ ધારાસભ્ય દિનેશ ઠાકોર રજૂ કરશે. બીજી તરફ ભાજપ તરફથી મંત્રી જીતુ વાઘાણી પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવા માટેનો પ્રસ્તાવ રજૂ કરશે. આ ચૂંટણી ‘ધ્વનિ મત’ દ્વારા કરવામાં આવશે.

બજેટ સત્રનું શિડ્યુલ અને મહત્ત્વની વિગતો

  • કુલ સમયગાળો: 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ
  • કામકાજના દિવસો: 23 દિવસ
  • સામાન્ય બજેટ: 17 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થશે
  • કુલ બેઠકો: 26 બેઠકોનું આયોજન

આ સત્રમાં શું ખાસ હશે?

  • નવા વિધેયકો: સરકાર આ સત્રમાં સાત જેટલા નવા બિલ (વિધેયકો) રજૂ કરવાની તૈયારીમાં છે.
  • સમાન નાગરિક સંહિતા (UCC): આ સત્ર દરમિયાન ‘યુનિફોર્મ સિવિલ કોડ’ સંબંધિત મહત્ત્વના વિધેયકો રજૂ થાય તેવી પ્રબળ શક્યતા છે.
  • કેન્દ્ર-રાજ્ય પ્રોજેક્ટ્સ: કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા રાજ્યના પડતર અને ચાલુ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ આ વર્ષે ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરી શકે છે. ગત વર્ષના બજેટની સરખામણીએ આ વર્ષે 15 ટકાનો વધારો જોવા મળી શકે છે. અંદાજવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર 3.90 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરશે. નાણાં વિભાગે આ અંગેની તમામ તૈયારીઓ તેજ કરી દીધી છે.

February 13, 2026
Maha-Shivratri.png
1min30

ભગવાન ભોળાનાથની આરાધના માટે મહાશિવરાત્રિનું પર્વ ખૂબ ફળદાયી માનવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રિનું પર્વ 15 ફેબ્રુઆરી, 2026ના રોજ મનાવાશે. હિન્દુ ધર્મની માન્યા અનુસાર વર્ષમાં ચાર રાત્રિને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. જેમાં હોળી, દિવાળી, દુર્ગાષ્ટમીની કાલરાત્રિ અને મહાદેવની પૂજા સાથે જોડાયેલી મહાશિવરાત્રિ છે. આ વર્ષે મહાશિવરાત્રિ પર 300 વર્ષ બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે. પૌરાણિક માન્યતા અનુસાર, મહાશિવરાત્રિ પર એક લોટો ગંગાજળ શિવલિંગ પર ચઢાવવાથી વર્ષમાં આવતી તમામ માસિક શિવરાત્રિનું પુણ્ય મળે છે.

મહાશિવરાત્રિ પર 300 વર્ષ બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ દિવસે બુધ-શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ રાજયોગ રહેશે. બુધ-સૂર્યની યુતિથી બુધાદિત્ય રાજયોગ રહેશે. સૂર્ય-શુક્રની યુતિથી શુક્રાદિત્ય યોગ બનશે. શનિ કુંભ રાશિમાં રહેવાથી રાશ નામના મહાપુરુષ રાજયોગ બનશે. કુંભ રાશિમાં સૂર્ય, બુધ, શુક્ર અને રાહુની એકસાથે હાજરીથી ચતુર્ગ્રહી યોગ પણ બની રહ્યો છે.

શાસ્ત્રો અને પુરાણોમાં જેટલા પણ દેવતાઓનું વર્ણન છે તેમાં દેવાધિદેવ મહાદેવ જ સરળતાથી મળી પ્રસન્ન થઈ શકે છે. જેમનો ગંગાજળના એક માત્ર ટીપાથી અભિષેક કરી શકાય છે. શિવનો અર્થ બ્રહ્મા થાય છે. શરીરમાં શક્તિ અને પુરુષનું જે સમાહિત સ્વરૂપ છે તે બ્રહ્મ છે અને તે શિવ છે. આ ગૂઢ રહસ્યને સમજવા માટે સાધકને શિવમય થવું પડે છે.

મહાશિવરાત્રિના દિવસે જે શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા. મહાશિવરાત્રિ પર મનોકામના પૂર્ણ કરવા માટે ભક્તોએ જલ, દૂધ, મધ અને ઘીથી પૂજન કરવું જોઈએ. મહાશિવરાત્રિ પર લક્ષ્મીની કામના કરનારા વ્યક્તિએ બિલીપત્ર, સુખની કામના કરનારાએ ભાંગ, મોક્ષની કામના માટે ધતૂરો ચઢાવવા જોઈએ.

પૌરાણિક માન્યતા અનુસાર એક ભીલ શિકારની રાહમાં બિલિના વૃક્ષ પર આખી રાત બેસી રહ્યો હતો. આ દરમિયાન તેને કોઈ શિકાર મળ્યો નહોતો પરંતુ શરીરની હિલચાલના કારણે બિલપત્ર તૂટીને નીચે શિવલિંગ પર પડ્યા હતા. આ કારણે શિવને જાણતા-અજાણતા જ અભિષેક થયો. માન્યતા છે કે તે રાત્રિ શિવરાત્રિ હતી. જે બાદ ભગવાન શિવે પ્રસન્ન થઈને ભીલને કહ્યું કે, તે સમગ્ર રાત્રિ જાગરણ કરીને મારું પૂજન કર્યું છે, તેથી હું તને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપું છું અને તારી ઈચ્છા પૂર્ણ થશે.

February 9, 2026
1min45

જાપાનના નવ નિયુક્ત વડાપ્રધાન Sanae Takaichi સાને તાકાઈચીએ ઇતિહાસ રચી દીધો છે. તેઓના નેતૃત્વ નીચેની જાપાનની સત્તારૂઢ પાર્ટી ચૂંટણીમાં બે તૃતીયાંશ બહુમતિ તરફ આગળ વધી રહી છે. તેઓના વિજય સાથે તેઓના રૂઢીવાદી એજન્ડાને મજબૂત જનાદેશ મળી ગયો છે. હજી સુધીમાં પ્રાપ્ત થયેલા આંકડા પ્રમાણે જાપાનની સંસદનાં નીચલા સદનમાં તાકાઈચીએની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી)નાં નેતૃત્વ નીચેના ગઠબંધને નીચલા ગૃહની ૪૬૫ માંથી ૩૫૨ સીટ જીતી છે. એકલી LDP એલડીપીએ જ ૩૧૬ની બહુમતી પ્રાપ્ત કરી છે.

જાપાનના સૌથી પહેલા મહિલા વડાપ્રધાન બન્યા પછી માત્ર ચાર જ મહિનામાં ચૂંટણી યોજાવી, તેઓએ સ્પષ્ટ જનાદેશ માગ્યો હતો. તેઓએ કહ્યું હતું કે જો તેઓની પાર્ટી બહુમતી પ્રાપ્ત કરી ન શકે, તો તેઓ પદત્યાગ કરશે. સ્નેપ-ઇલેકશન તેઓ માટે મોટો જુગાર હતો. પરંતુ તેમાં જબ્બર બહુમતી સાથે, તેઓ સફળ થયા હતા.

૨૦૨૪માં એલડીપીએ સંસદના બંને ગૃહમાં બહુમતી ગુમાવી હતી અને કોમીટો પાર્ટી સાથેનું ગઠબંધન તૂટી ગયું હતું. દશકો જૂનું આ ગઠબંધન તૂટતા એલડીપીને ધક્કો તો લાગ્યો જ હતો.

ચૂંટણી પરિણામો દર્શાવે છે કે, તાકાઈચીની વ્યકિતગત લોકપ્રિયતાએ જ પાર્ટીને સહાય કરી હતી. તેઓની પાર્ટીનું એપ્રૂવલ રેટિંગ મહદઅંશે ૭૦ ટકા ઉપર જ રહ્યું છે.

સાને તાકાયીચીને પોતાની જનતાનો સપોર્ટ તે સમયે મળ્યો છે કે જ્યારે જાપાન અને ચીનના સંબંધો વચ્ચે તણખા ઝરી રહ્યા છે. અત્યારે બંને દેશો વચ્ચેના સંબંધો તળીએ જઈ પહોંચ્યા છે. તાકાઈચીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, ‘જો ચીન તાઈવાન સામે કોઈ લશ્કરી કાર્યવાહી કરશે તો જાપાન તેમાં હસ્તક્ષેપ કરશે જ. તાઈવાન એક સ્વતંત્ર અને લોકશાહીવાદી દ્વિપ છે. ચીન તેની ઉપર પોતાનો દાવો કરે છે. તેવામાં તાકાઈચીના આ નિવેદનથી ચીન-જાપાન વચ્ચે તંગદિલી વધી ગઈ છે અને બંને દેશો એકબીજા સામે શત્રુતાપૂર્ણ કાર્યવાહી અને બયાનબાજીમાં પડી ગયા છે. હવે કેટલાક તારણો જોઈએ :

(૧) જાપાની મતદાતાઓ, તાકાઈચીની સીધીસાદી, મહેનતુ ઇમેજથી આકર્ષાયા છે. પરંતુ તેમના તીવ્ર રાષ્ટ્રવાદી વિચારો અને સંરક્ષણ પર વજન આપવાના નિવેદનોને લીધે ચીન ગિન્નાયું છે.

(૨) તેઓ સૈન્યની ક્ષમતા અને લશ્કરી ખર્ચ બંને વધારવા માગે છે. વાત સીધી છે. તેઓ ચીનનો વધતો પ્રભાવ રોકવા માગે છે.

(૩) તાકાઈચી વડાપ્રધાન પદે નિશ્ચિત થયા કે લગભગ તુર્ત જ ટ્રમ્પ અને મોદીએ તેઓને વધાઈ આપી હતી. પરંતુ ચીને તુર્તજ વધાઈ પણ આપી નથી.

(૪) જાપાને સંરક્ષણ ખર્ચમાં જબરજસ્ત વધારો કર્યો છે. તેથી ખીજાયેલા ચીને કહ્યું છે કે જાપાન સામે રાજદ્વારી રીતે જવાબ આપશે. હવે બંને દેશો વચ્ચે વ્યાપાર અને નિવેશના મુદ્દાઓ પર ક્ષેત્રીય સ્તરે ટકરાવ થશે તે નક્કી છે. બંને વચ્ચે પ્રતિસ્પર્ધા પણ વધશે. સંભવ તે પણ છે કે માત્ર ચીન જાપાન સંબંધો જ નહીં પરંતુ સમગ્ર એશિયાનો સંરક્ષણ માહોલ બદલાઈ શકે.

(૫) કેટલાક એક્ષપર્ટસ કહે છે કે, હવે સંપૂર્ણ બહુમતી મળ્યા પછી તાકાઈચી ચીન સામેનું વલણ થોડુ નરમ પણ કરે. તેઓએ મતદાન પૂર્વે એએફપીને જણાવ્યું હતું કે, હવે તેઓને ૨૦૨૮ સુધી ચૂંટણી વિષે ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે હવે પછીની ચૂંટણી યોજાશે, તો જાપાન માટે શ્રેષ્ઠ હકીકત તે બની રહેશે કે તે ચીન સાથે સંબંધો સુધારવા ઉપર ધ્યાન આપે.