ઉત્તરાખંડમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી ચારધામ યાત્રા અટકાવી દેવાઈ છે. આ યાત્રા પર નીકળેલા ગુજરાતના સેંકડો પ્રવાસીઓ અધવચ્ચે અટવાઇ ગયા હોવાના અહેવાલ છે. તા.18મી ઓક્ટોબરને સોમવારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાતા પ્રવાસીઓને સલામાત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
હેલ્પલાઈન નંબર 079-23251900
ચારધામની યાત્રા માટે ઉત્તરાખંડ ગયેલા અનેક ગુજરાતીઓ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે હોટેલો, ગેસ્ટ હાઉસોમાં સપડાયા છે. ત્યાં સપડાયેલા ગુજરાતીઓના ખબર અંતર અહીં ગુજરાતમાં વસતા તેમના સગાસબંધીઓ, સ્નેહીઓ વગેરેને મળી શકે એ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક હેલ્પલાઈન નંબર 079-23251900 જાહેર કર્યો છે. આ નંબર પર ઉત્તરાખંડમાં અટવાયેલા ગુજરાતના યાત્રિકોના સગા સંબંધીઓ વિગતો આપી તેમજ મેળવી શકશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં કુદરતી સંકટ અને વરસાદને કારણે ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાઈ ગયા છે તેમને જરૂરી મદદ અને સહાય માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંગ ધામી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. ત્યારબાદ ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાયેલા છે તેમનો સંપર્ક થઈ શકે અને અન્ય માહિતી મેળવી શકાય તે માટે મુખ્યમંત્રી ની સૂચનાને પગલે રાજ્ય સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.










