


આઇપીએલમાં શુક્રવારે રમાયેલી કોલકત્તા અને બેંગ્લોર વચ્ચેની રોમાંચક મેચમાં આંદ્રે રસેલના વાવાઝોડા સામે બેંગ્લોર ફરી ધ્વસ્ત થઇ ગયું હતું અને કોલકત્તા ટીમે 5 વિકેટે જીત મેળવી હતી. આમ બેંગ્લોર ટીમની ટુર્નામેન્ટમાં સતત પાંચમી હાર થઇ હતી. રસેલે 13 બોલમાં 48 રનની તોફાની ઇનીંગ રમીને કોલકત્તાને હારમાંથી બહાર લાવીને ઐતિહાસીક જીત અપાવી હતી. રસેલે પોતાની ઇનીંગમાં 7 છગ્ગા અને 1 ચોગ્ગો ફટાકાર્યો હતો. સુકાની કોહલી અને ડિવિલિયર્સના આકર્ષક અર્ધશતકની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂએ ચિન્ના સ્વામી સ્ટેડિયમમાં પોતાનું આક્રમક પ્રદર્શન કરતા કોલકાતા નાઇટરાઇડર્સને 3 વિકેટનાં નુકસાને 205 રનનો મોટો સ્કોર આપ્યો હતો. જો કે કોલકાતાનાં અંતે રમવા માટે આવેલ રસેલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની જીતની આશા છીનવી લીધી હતી.
બેગ્લોરના સુકાની કોહલીએ 49 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 84 રન બનાવ્યા હતા. તો ડિવિલિયર્સે 32 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 63 રનની વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. આ બંનેએ બીજી વિકેટ માટે મહત્વપૂર્ણ 108 રન જોડ્યા હતા. માર્ક્સ સ્ટોઈનિસે અંતિમ 13 બોલમાં 28 રન (નો.આ.) બનાવીને ટીમના સ્કોરને 200 પાર પહોંચાડ્યો હતો. ક્રિકેટના કોઈ પણ ફોર્મેટમાં પ્રથમ છ ઈનિંગ્સમાં 50ના સ્કોર સુધી પહોંચવામાં નિષ્ફળ રહેલો કોહલી આજે પ્રારંભથી જ ફૂલ ફોર્મમાં જોવા મળ્યો હતો. આજે તેના તમામ શોટ જોવાલાયક હતા. કોહલીએ પાર્થિવ પટેલ (24 બોલમાં 25 રન) સાથે પ્રથમ વિકેટ માટે 64 રનની ભાગીદારી નોંધાવી હતી. બેંગલુરુએ પહેલી 4 ઓવરમાં 41 રન બનાવી લીધા હતા.
વિરાટ કોહલીએ કોલકત્તા સામેની મેચમાં 17 રન પૂરા કરવાની સાથે જ ટી20માં 8000 રન બનાવી લીધા છે. આ સાથે જ તે ટી20માં 8000 રન પૂરા કરનારો તે ભારતનો બીજો અને દુનિયાનો ચોથો ખેલાડી બની ગયો છે.
હૈદરાબાદે ટોસ જીતીને બોલિંગ લીધી
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની 16મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના સુકાની ભુવનેશ્વર કુમારે દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. હૈદરાબાદે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. જયારે દિલ્હીની ટીમમાં 3 ફેરફાર છે. ઇશાંત શર્મા, અક્ષર પટેલ અને રાહુલ તેવટિયા આજે હનુમા વિહારી, હર્ષલ પટેલ અને આવેશ ખાનની જગ્યાએ રમી રહ્યા છે. દિલ્હી તરફથી આ મેચમાં સુકાની શ્રેયસ અય્યરને બાદ કરતા કોઇ ખાસ રમ્યું ન હતું. સુકાની શ્રેયસે 41 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 43 રન કર્યા હતા. તો અક્ષર પટેલે થોડા આક્રમક શોટ લગાવ્યા હતા. તેણે 13 બોલમાં 1 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 23 રન કર્યા હતા. આમ પુરી ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 129 રન જ કરી શકી હતી. હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર, મોહમ્મદ નબી અને સિદ્ધાર્થ કૌલે 2-2 વિકેટો ઝડપી હતી.

આઇપીએલમાં ગુરૂવારે રમાયેલી દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની રોમાંચક મેચમાં હૈદરાબાદના મોહમ્મદ નબીએ વિજય છગ્ગો ફટકારીને ટીમને 5 વિકેટે જીતાડી હતી. હૈદરાબાદે ટુર્નામેન્ટમાં આ ત્રીજી જીત મેળવી હતી. હૈદરાબાદના વિકેટ કીપર ઓપનર જોની બેરસ્ટો ફરી શાનદાર ઇનીંગ રમી હતી અને ટીમને આક્રમક શરૂઆત કરાવતા 28 બોલમાં 48 રન ફટકાર્યા હતા. તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. દિલ્હી માટે રાહુલ તેવટિયા, અક્ષર પટેલ, સંદીપ લામીછાને, કગીસૉ રબાડા અને ઇશાંત શર્માએ 1-1 વિકેટ ઝડપી હતી.
હૈદરાબાદેની શરૂઆત આક્રમક રહી
દિલ્હી કેપિટલ્સે આપેલા 130 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે આક્રમક શરૂઆત કરી હતી. ઓપનર જોની બેરસ્ટોએ 28 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 48 રન કર્યા હતા. જોકે તે 2 રન માટે અડધી સદી ચુક્યો હતો. તેને બાદ કરતા ટીમમાં કોઇ ખેલાડી મોટી ઇનીંગ રમી શક્યું ન હતું. જોકે મોહમ્મદ નબીએ થોડી આક્રમક ઇનીંગ રમી હતી. તેણે 9 બોલમાં 2 ચોગ્ગા અને 1 વિજયી છગ્ગો ફટકારી અણનમ રહ્યો હતો.
2019ના આઇપીએલ પાવરપ્લેમાં સનરાઇઝર્સનું પ્રદર્શન:
54/0 vs KKR, કોલકાતા
69/0 vs RR, હૈદરાબાદ
59/0 vs RCB,હૈદરાબાદ
62/0 vs DC, દિલ્હી
આઇપીએલમાં ખેલાડીઓ જેમનો જીતનો રેકોર્ડ 100% છે:
7* – મોહમ્મદ નાબી (SRH, 2017-2019)
6 – પાલાની અમરનાથ (CSK, 2008)

આઇપીએલમાં શુક્રવારે રમાયેલી હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચેની રોમાંચક મેચમાં ભારે રસાકસી બાદ હૈદરાબાદે 5 વિકેટથી મેચ જીતી લીધી હતી. આ જીત સાથે હૈદરાબાદે ટુર્નામેન્ટમાં પોતાની પહેલી જીત મેળવી હતી.
રાજસ્થાન રોયલ્સ તરફથી સંજુ સેમસને આક્રમક બેટિંગ કરતા 55 બોલમાં 102 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે રાજસ્થાનના સુકાની અજિંક્ય રહાણે 49 બોલમાં 70 રન બનાવ્યા હતા. જોસ બટલર 5 રને રાશિદ ખાનની બોલિંગમાં આઉટ થયો હતો. બન્ને ટીમોએ આ સીઝનમાં પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદને કોલકાતા નાઈટ રાઇડર્સે અને રાજસ્થાનને કિંગ્સ ઇલેવન પંજાબે માત આપી હતી.
હૈદરાબાદના ઓપનર ડેવિડ વોર્નર(69), જોની બેયરસ્ટો (45) અને વિજય શંકર (35)ની શાનદાર ઇનિગ્સની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે સંજૂ સેમસનની (અણનમ 102) સદી પર પાણી ફેરવી દીધું હતું. આઈપીએલ 2019ની આઠમી મેચમાં સનરાઈઝર્સે રાજસ્થાનને પાંચ વિકેટથી પરાજય આપ્યો છે. હૈદરાબાદની બે મેચમાંથી આ પ્રથમ જીત છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ સતત બીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાન રોયલ્સના સુકાની અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 198 રન બનાવી હૈદરાબાદને 199 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. તેના જવાબમાં 19 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 201 રન બનાવી જીત મેળવી હતી.

આઇપીએલમાં 12મી સીઝનમાં આજે ફિરોઝશાહ કોટલા મેદાન પર રમાયેલી દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચેની રોમાંચક મેચમાં ચેન્નઇ ટીમે બાજી મારી લીધી હતી અને ટુર્નામેન્ટમાં પોતાની સતત બીજી મેચમાં જીત મેળવી હતી. દિલ્હીએ આપેલા 148 રનના લક્ષ્યાંક સામે ચેન્નઇએ 19.4 ઓવરમાં 4 વિકેટના ભોગે પાર પાડ્યો હતો. ચેન્નઇ તરફથી વોટસને સૌથી વધુ 44 રન અને ધોનીએ અણનમ 32 રન કર્યા હતા.
દિલ્હીએ આપેલા 148 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ચેન્નાઇ સુપર કિંગ્સે 19.4 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવીને 150 રન કર્યા હતા. ચેન્નઇ તરફથી સેન વોટ્સન (44) અને ધોનીએ અણનમ (32) રન બનાવ્યા હતા. શેન વોટ્સન અમિત મિશ્રાની બોલિંગમાં સ્ટમ્પ થયો હતો. તેણે 26 બોલમાં 44 રન કર્યા હતા.ત્યારબાદ સુરેશ રૈના પણ 30 રન બનાવી આઉટ થયો હતો. દિલ્હી તરફથી પોતાની આ સીઝનમાં પહેલી મેચ રમી રહેલ અમિત મિશ્રાએ 2 વિકેટ ઝડપી હતી. તો ઇશાંત શર્મા અને રબાડાએ 1-1 વિકેટ ઝડપી હતી.
ટોસ જીતી પહેલા બેટીંગ કરવા મેદાન પર ઉતરેલી દિલ્હી ટીમની શરૂઆત સારી રહી હતી. દિલ્હીના સુકાની પૃથ્વી શો અને ધવને ટીમને સારી શરૂઆત અપાવી હતી. પૃથ્વીએ 16 બોલમાં 24 રન કર્યા હતા. તો ધવને 47 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 51 રનની ઇનીંગ રમી હતી. જોકે પૃથ્વી શો મોટી ઇનીંગ રમવામાં સફળ રહ્યો ન હતો અને 24 રનના સ્કોર પર આઉટ થયો હતો. ધવન પણ 51 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થતાં દિલ્હી ટીમની સ્થિતી નબળી પડી હતી. ત્યાર બાદ કોઇ પણ બેટ્સમેન કોઇ ખાસ પ્રદર્શન કરી શક્યું ન હતું. આમ પુરી ટીમ 20 ઓવરમાં 6 વિકેટના ભોગે માત્ર 147 રન જ કરી શકી હતી. ચેન્નઇ તરફથી બ્રાવોએ 3 વિકેટ ઝડપી હતી. આ બંને ટીમો ટૂર્નામેન્ટમાં પોતાના પહેલી મેચમાં જીત મેળવી ચૂકી છે. દિલ્હીએ મુંબઇ અને ચેન્નઇએ બેંગ્લોરને હરાવીને 2-2 પોઇન્ટ્સ મેળવ્યા છે. જો કે નેટ રનરેટના આધાર પર દિલ્હી પોઇન્ટ ટેબલ પહેલા અને ચેન્નઇ બીજા નંબર પર છે. દિલ્હીનો નેટ રનરેટ +1.850 અને ચેન્નઇનો +0.519 છે.
T20 ક્રિકેટનો મહાકુંભ એટલે ઈન્ડિયન પ્રીમિયર લીગ તા.23મી માર્ચના રોજ શરૂ થશે. શનિવારે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઈ સુપરકિંગ્સ અને ટીમ ઈન્ડિયાના હાલના કેપ્ટન વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેના મુકાબલાથી IPL શરૂ થશે. ચેન્નાઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં પહેલી મેચ રમાશે. ચેન્નાઈ ગત સિઝનની સાથે ત્રણ આઈપીએલ ટાઈટલ જીતી ચુકી છે. બંને ટીમોની સરખામણી કરીએ તો ધોનીની ચેન્નાઈ સામે બેંગાલુરુની ટીમ યુવાન છે.

આવો છે રેકોર્ડ
બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 15 મેચ રમાઈ ચૂકી છે. બંને ટીમો 7-7 મેચ જીતી ચૂકી છે, તો એક મેચ રદ થઈ હતી. જો કે RCBએ 2014ની સિઝન બાદ ક્યારેય ચેન્નાઈની ટીમને હરાવી નથી.
અનુભવી વિ. યુવા ખેલાડીઓ
ચેન્નાઈની ટીમમાં ધોની અને વોટ્સન બંને 37 વર્,ના છે, તો બ્રાવો 35 અને ફાક ડુ પ્લેસિ 34 વર્ષના છે. રાયડુ અને કદાર જાધવ 33 વર્ષના છે. સામે વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં મોટા ભાગના ખેલાડીઓ યુવાન છે.
ચેન્નાઈના સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર એનગીડી ઈજાગ્રસ્ત છે. હવે ટીમ પાસે વિદેશી ફાસ્ટ બોલર માત્ર ડ્વેન બ્રાવો છે. ત્યારે બેંગ્લોર સામેની મેચ દરમિયાન ચેન્નાઈનો આધાર સ્પિનર્સ પર રહેશે.

આજને સમયમાં વિશ્વમાં મુકેશ અંબાણીનું નામ એટલે બિઝનસ બની ગયું છે. તે ત્યારે હવે ફોર્બ્સે હાલમાં જ એક યાદી જાહેર કરી હતી. આ યાદી વિશ્વમાં સ્પોર્ટ્સ ટીમના સૌથી અમીર માલિકોની હતી. જેમાં અન્ય કોઇ જ નહી પરંતુ ભારતના અને મુળ ગુજરાતી એવા રીલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણી છે. મુકેશ અંબાણી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં મુંબઇ ઇન્ડિયન્સ ટીમના માલિક છે. આમ મુકેશ અંબાણી વિશ્વની સ્પોર્ટ્સ ટીમના માલિકોમાં સૌથી વધુ ધનીક છે. ફોર્બ્સે કુલ 20 લોકોને આ યાદીમાં સામેલ કર્યા હતા.
13 ટીમના માલિકોની સંપતિમાં વધારો થયો
ફોર્બ્સે જાહેર કરેલી યાદી પ્રમાણે ગત વર્ષ કરતા કુલ 13 ટીમના માલિકોની સંપતીમાં વધારો થયો છે. તો બીજી તરફ 5 માલિકોની સંપતિમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. તો બે માલિકોની સંપતિમાં કોઈ ફેરફાર થયો નથી. મુકેશ અંબાણીએ વર્ષ 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ખરીદી હતી.
NBAની લોસ એન્જિલ્સ ટીમના માલિક સ્ટીવ બીજા ક્રમે
ફોર્બ્સની આ લિસ્ટમાં NBA ની ટીમ લોસ એન્જિલિસ ક્લિપર્સના માલિક સ્ટીવ બાલમર બીજા અને ઓટો રેસિંગ ટીમ રેડ બુલના માલિક ડિએટ્રિચ માટેશિટ્ઝ ત્રીજા નંબર પર છે. આ સિવાય આઈસ હોકી ટીમ સાન જોસ શાર્કના માલિક હાસો પ્લેટનર એન્ડ ફેમિલી, ચેલ્સી ફુટબોલ કલબના માલિક રોમન અબ્રામોવિચ અને કેરોલિના પૈંથર્સ ફૂટબોલ ટીમના માલિક ડેવિડ ટેપર પણ લિસ્ટમાં સામેલ છે.
ટોપ 5 સ્પોર્ટ્સ ટીમ માલિક
ટીમના માલિક ટીમ રમત નેટવર્થ
મુકેશ અંબાણી મુંબઇ ઇન્ડિયન્સ આઇપીએલ 50 બિલિયન ડોલર
સ્ટીવ બાલમર લોસ એન્જલિસ એમબીએ 41.2 બિલિયન ડોલર
ડિઅટ્રિચ માટેશિટઝ રેડ બુલ ઓટો રેસિંગ 18.9 બિલિયન ડોલર
હાસો પ્લેટનર & ફેમિલી સાન જોસ શાર્ક આઇસ હોકી 13.5 બિલિયન ડોલર
રોમન અભ્રામોવિચ ચેલ્સી ક્લબ ફુટબોલ 12.4 બિલિયન ડોલર
22 ચેનલો ઉપર પ્રસારણ કરાશે: ગત વર્ષ કરતા 20 ટકા વધારે આવક

સ્ટાર ઇન્ડિયાએ ઇન્ડિયન પ્રિમિયર લીગની 12મી આવૃત્તિમાં જાહેરાત મારફતે 21 અબજ રૂપિયાની જંગી આવક કરી લીધી છે. છેલ્લી આઈપીએલની સરખામણીમાં તેને 20 ટકા વધારે રકમ મળનાર છે.
બ્રોડકાસ્ટરને ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મથી કુલ મળીને 1750 કરોડ રૂપિયાની કમાણી 2018માં થઈ હતી. સ્ટારના વરિષ્ઠ કારોબારીએ માહિતી આપતા કહ્યું છે કે, આ કંપની માટે ખૂબ સારી બાબત છે. જાહેરાતોને લઇને જવાબ પણ શાનદાર મળી રહ્યો છે. છેલ્લી આઈપીએલને લઇને કરવામાં આવેલી અમારી મહેનત અને આ વર્ષની તૈયારીના આ પુરાવા છે. 80 ટકાથી વધારે ઇવેન્ટરીનું વેચાણ કરવામાં આવી ચુક્યું છે. આઈપીએલ-19ની શરૂઆત 23મી માર્ચના દિવસે થશે.
મોગે મીડિયાના ચેરમેન ડોક્ટર સંદીપ ગોયેલે કહ્યું છે કે, આ વર્ષે સ્ટાર દ્વારા જોરદાર દેખાવ રહેનાર છે. ગયા સપ્તાહ સુધી સ્ટારની પાસે 2100 કરોડ રૂપિયાની જાહેરાતો આવી ગઈ હતી. સ્ટારને અલગ અલગ ભાષાઓમાં આઈપીએલનું પ્રસારણ કરવાની રણનીતિથી પણ ફાયદો થયો છે.
આ સિઝનમાં ટીવી અને હોટસ્ટાર ઉપર આવનાર મોટી જાહેરાતોમાં કોકાકોલા, વિવો, ઓપો, સ્વિગી, મારૂતિ સુઝુકી, એમઆરએફ, વોલ્ટાજ, એશિનય પેઇન્ટ્સ, સેમસંગ એલઇડી, ફ્યુચર ગ્રુપ, વિમલ પાનમસાલા, મોબાઇલ પ્રિમિયર લીગ અને પોલીકેબનો સમાવેશ થાય છે. એમેઝોન પે, ફ્લિપકાર્ટ, મુદ્રા ગારમેન્ટ, નેસ્લેના મેગી જેવા પ્રોડક્ટે માત્ર હોટ સ્ટાર ઉપર ડિજિટલી સ્પોન્સરશીપ મેળવી છે. 12 ચેનલો ઉપર છ ભાષામાં પ્રસારણ કરવામાં આવનાર છે. આ વર્ષે બ્રોડકાસ્ટર 22 ચેનલો ઉપર આઈપીએલનું પ્રસારણ કરનાર છે.’

ટીમ ઈન્ડિયાના આક્રમક બેટ્સમેન યુવરાજસિંહ આઈપીએલ 2019માં માંડ માંડ કોઈ ટીમમાં જવામાં સફળ થયા છે. પહેલા રાઉન્ડમાં યુવરાજ સિંહને કોઈ ટીમે નહોતા ખરીદ્યા, પરંતુ આખરે મુંબઈ ઈન્ડિયન્સે યુવરાજ સિંહને બેઝ પ્રાઈઝ 1 કરોડ રૂપિયામાં ખરીદી લીધા. પરિણામે આ વખતે યુવરાજ સિંહ રોહિત શર્માની કેપ્ટનસીમાં રમતા દેખાશે. જો કે મુંબઈ ઈન્ડિયન્સે યુવરાજ સિંહને એક ખાસ યોજના અંતર્ગત ખરીદ્યા છે. આ વાતનો ખુલાસો ખુદ ઝહીર ખાને કર્યો છે.
ઝહીર ખાને કહ્યું કે યુવરાજસિંહ પાસે લાંબો અનુભવ છે, તે ટીમ માટે મિડલ ઓર્ડરમાં એક મહત્વના બેટ્સમેન સાબિત થઈ શકે છે. યુવરાજસિંહ મેચન વિનર ખેલાડી છે, અમને એક એવા બેટ્સમેનની જરૂર હતી જે મિડલ ઓર્ડરમાં અનુભવી હોય. મને લાગે છે કે યુવરાજસિંહ પાસે આ અનુભવ છે, એટલે જ અમે તેમને અમારી ટીમમાં ખરીદ્યા છે. ઝહીર ખાને કહ્યું કે યુવરાજ સિંહે વર્ષો સુધી પોતાની ટીમને મેચ જીતાડી છે અને તેઓ એક મેચ વિનર ખેલાડી છે, તેમાં કોઈ બેમત નથી. અમે પ્રેક્ટિસ દરમિયાન પણ જોયું છે કે તે સારી બેટિંગ કરી રહ્યા છે. આ સિઝનમાં તે સારું પ્રદર્શન જરૂર કરશે. યુવરાજ સિંહની હાજરીથી મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ લાઈનઅપ મજબૂત બની છે.
યુવરાજસિંહને બીજા રાઉન્ડમાં ખરીદવા અંગે ઝહીર ખાને કહ્યું કે એવા ઘણા ખેલાડીઓ હતા જે પહેલા રાઉન્ડમાં અનસોલ્ડ હતા, હું પણ તેમાંથી એક છું. ઓક્શન વખતે તમામ ફ્રેન્ચાઈઝી પોતાની રણનીતિ મુજબ ખેલાડીઓની પસંદગી કરે છે. તો રોહિત શર્માએ કહ્યું કે ખેલાડીઓએ નક્કી કરવાનું છે કે તેઓ પોતાની ક્ષમતા બરાબર ઓળખે છે. તેમને પોતાને જ્યારે જરૂર હશે ત્યારે તેઓ આરામ કરશે. રોહિત શર્માએ કહ્યું કે પાછલા ત્રણ-ચાર વર્ષમાં અમે ઘણું ક્રિકેટ રમ્યા છીએ. વર્કલોડ ખેલાડીઓનો અંગત મામલો છે. આ મામલે ખેલાડીઓએ જાતે જ નિર્ણય લેવો યોગ્ય રહેશે.