વર્લ્ડ કપમાં શકિબનો અદ્ભુત દેખાવ


પોતાના કેટલાક ખેલાડીની ઈજાની સમસ્યામાં રહેતું ઈંગ્લેન્ડ વર્લ્ડ કપમાં મંગળવારે અહીં નીચલા ક્રમના પણ જુસ્સાભર્યા અફઘાનિસ્તાન સામે રમાનારી મેચમાં પોતાના શ્રેષ્ઠ સંગઠનને રમવા મેદાનમાં ઉતારવાનો પ્રયત્ન કરશે. એક પણ મેચ ન જીતનાર અફઘાનિસ્તાનની છાપ ડાર્ક હૉર્સ (અણધારી રીતે જીતી શકે એવી ટીમ) તરીકેની છે. ઈંગ્લેન્ડની ટીમ તેના ખેલાડીઓની ફિટનેસ બાબતે ચિંતામાં છે અને તેમાં કેપ્ટન ઈયોન મોર્ગનનો ઉમેરો થયો છે. ઓપનિંગ બેટ્સમેન જેસન રોયે પણ પગના સ્નાયુની પીડાના કારણે તે મેચમાંથી ખસી જવું પડ્યું હતું અને તે મંગળવારે તથા શુક્રવારે શ્રીલંકા સામેની બે મેચમાં રમી શકનાર નથી. “ટીમના બે ખેલાડી ઈજાના કારણે બાકાત થઈ જવામાં ચિંતા ઉપજાવે છે, પણ ગભરાટ અમુભવવાનું જરૂરી નથી.
ભારતે ગઈ કાલે અહીં ૨૬,૦૦૦ પ્રેક્ષકોની હાજરીમાં મેઘરાજાને કારણે ખૂબ ખોરવાઈ ગયેલી હાઈ-વૉલ્ટેજ ડ્રામાવાળી વર્લ્ડ કપની મૅચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને ડકવર્થ/લુઇસ મેથડ મુજબ ૮૯ રનથી હરાવી દીધું હતું. ગઈ કાલે ફાધર્સ ડે હતો અને ક્રિકેટજગતમાં પાક સામે ‘બાપ’ ગણાતા ભારતે એ જ દિવસે એને કચડી નાખ્યું એ સાથે વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતના હાથે પાકનો સતત સાતમો પરાજય થયો હતો. ભારત સામે પાક ક્યારેય વિશ્ર્વ કપની મૅચ નથી

જીત્યું અને એ પરંપરા જળવાઈ છે. ભારતે આ શાનદાર વિજય સાથે ગયા વર્ષની ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલનો બદલો પણ લઈ લીધો હતો. રોહિત શર્મા (૧૪૦ રન) મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. અપરાજિત ભારત બે પૉઇન્ટ મેળવી કુલ ૭ પૉઇન્ટ સાથે ત્રીજા સ્થાને આવી ગયું છે.
વર્લ્ડ કપની ‘ફાઇનલ’ જેવી ગણાતી આ મૅચ જીતી લેતાં ભારત હવે આ ટુર્નામેન્ટ નહીં જીતે તો પણ ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓ પાક સામેના વિજયથી સંતોષ માની લેશે એમાં બેમત નથી. ગઈ કાલે પહેલાં ભારતીય બૅટ્સમેનોએ પાક બોલરોને હંફાવ્યા અને ફીલ્ડરોને દોડાવ્યા, પરંતુ ત્યાર બાદ મેઘરાજાએ બધાને પરેશાન કર્યા હતા અને કરોડો ક્રિકેટચાહકોને રાહ જોતા કરી દીધા હતા.
વરસાદને કારણે લગભગ એક કલાકની રમત બંધ રહેવાની શરૂઆત થઈ ત્યારે પાકનો સ્કોર ૩૫ ઓવરમાં ૬ વિકેટે ૧૬૬ રન હતો. રમત ફરી શરૂ થઈ ત્યારે પાકને જીતવા વધુ પાંચ ઓવરમાં બીજા ૧૩૬ રન બનાવવાનું કહેવાયું હતું. એ રીતે પાકને ડકવર્થ/લુઇસ મેથડ મુજબ ૪૦ એાવરમાં ૩૦૨ રનનો અસંભવ લક્ષ્યાંક અપાયો હતો. જોકે, પાકની ટીમ ૪૦ ઓવરમાં ૬ વિકેટે ૨૧૨ રન બનાવી શકી હતી. વિજય શંકર તેમ જ હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી.
ભુવનેશ્ર્વર કુમાર પોતાની ત્રીજી જ ઓવરમાં પગની ઈજાને કારણે પૅવિલિયનમાં પાછો જતો રહ્યો હતો તેની ઓવર પૂરી કરવા આવેલા પેસ બોલિંગ ઑલરાઉન્ડર વિજય શંકરે પોતાના પહેલા જ બૉલમાં ઇમામ ઉલ હકની વિકેટ લઈને તે વર્લ્ડ કપમાં પોતાના પ્રથમ બૉલમાં વિકેટ લેનારો વિશ્ર્વનો ત્રીજો બોલર બન્યો હતો.
એ પહેલાં, પહેલા બૅટિંગ કરવાનું કહેવામાં આવતાં ભારતે ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૩૬ રન બનાવ્યા હતા જેમાં રોહિત શર્માના ૧૪૦ રન ઉપરાંત વિરાટ કોહલીના ૭૭ રન અને ઓપનર કે. એલ. રાહુલના ૫૭ રન હતા. હાર્દિકે ૨૬, ધોનીએ ૧ અને વિજય શંકરે અણનમ ૧૫ તથા કેદાર જાધવે અણનમ ૯ રન બનાવ્યા હતા. પાક ટીમ વતી આમિરે ત્રણ તથા હસન અલી અને વહાબે એક-એક વિકેટ લીધી હતી. ચાર સ્પિનરોને એકેય વિકેટ નહોતી મળી શકી.
રોહિતે ૮૫ બૉલમાં ૨૪મી સદી પૂરી કરી હતી. તેની ૨૪ સેન્ચુરીઓમાં આ ત્રીજા નંબરની સૌથી ઝડપી સદી હતી. અગાઉ તેણે ૨૦૧૮ની સાલમાં ઇંગ્લૅન્ડ સામે ૮૨ બૉલમાં અને એ જ વર્ષમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ૮૪ બૉલમાં સદી પૂરી કરી હતી.
આજે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની રસપ્રદ અને રસાકસીભરી મૅચની પ્રેક્ષકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોવા વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે મૅચમાં ભારતની ટીમને વિજય મળે કે પરાજય આ મૅચ સાથે ટુર્નામેન્ટનો અંત આવી જવાનો નથી.

વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચની જ સૌથી વધુ આતુરતાપૂર્વક રાહ જોવાય છે અને આ મૅચમાં બંને ટીમના ખેલાડીઓ સૌથી વધુ દબાણ અને તણાવનો સામનો કરતા હોય છે ત્યારે કોહલીએ કહ્યું હતું કે આ એક જ મૅચના પરિણામની વર્લ્ડ કપના લક્ષ્યાંક પર અમે અસર નહીં પડવા દઈએ.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ અગાઉ તમે ક્યા પ્રકારના દબાણનો અનુભવ કરી રહ્યા છો એવો પ્રશ્ર્ન સાતથી આઠ વાર કોહલીને પૂછવામાં આવ્યો હતો જેના જવાબમાં તેણે કહ્યું હતું કે મૅચમાં ભારતની ટીમને વિજય મળે કે પરાજય આ મૅચ સાથે ટુર્નામેન્ટનો અંત નથી આવી જવાનો. ટીમના કૅપ્ટન તરીકે વર્લ્ડ કપ જિતવો એ જ અમારા માટે સૌથી મોટું લક્ષ્ય છે, એમ કોહલીએ કહ્યું હતું. આજની મૅચમાં અમે સારો દેખાવ કરીએ કે ન કરીએ એને કારણે ટુર્નામેન્ટનો અંત નહીં આવી જાય. ટુર્નામેન્ટ હજુ આગળ વધતી રહેશે અને અમારું ધ્યાન મોટા લક્ષ્ય પર છે એમ જણાવતાં કોહલીએ કહ્યું હતું કે કોઈપણ એક વ્યક્તિ અન્યો કરતા વધુ દબાણ ન લઈ શકે. ટીમના તમામ અગિયારે અગિયાર ખેલાડીની એ જવાબદારી છે. કોઈપણ એક જ ખેલાડીના હાથમાં બધુ નથી હોતું. સારામાં સારું પ્રદર્શન કરવા અમે માનસિક રીતે તૈયાર છીએ, એમ તેણે કહ્યું હતું. પાકિસ્તાન સામે કોહલીએ અનેકવાર યાદગાર દેખાવ કર્યો હોવા છતાં મીરપુર ખાતે પાકિસ્તાન સામે કરેલા 183 રનની ઈનિંગને તેણે યાદ કરી હતી.
‘ચૉકર્સ’ તરીકે ઓળખાતા સાઉથ આફ્રિકન ક્રિકેટરોની ટીમ આજે (ભારતીય સમય મુજબ સાંજે ૬.૦૦થી) અફઘાનિસ્તાન સામે વર્લ્ડ કપની મૅચ રમશે. તળિયાની આ બે ટીમમાંથી એક પણ ટીમ આ વખતે એક પણ મૅચ નથી જીતી અને આજે જીતીને વિજયીપથ પર આવવા મક્કમ હશે જ.

સાઉથ આફ્રિકાનો આ વખતના વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડ, બંગલાદેશ અને ભારત સામે પરાજય થયો ત્યાર બાદ વેસ્ટ ઇન્ડિઝ સામેની એની મૅચ વરસાદને કારણે અનિર્ણીત રહી હતી. અફઘાનિસ્તાન પણ ત્રણ મૅચ (ઑસ્ટ્રેલિયા, શ્રીલંકા, ન્યૂ ઝીલૅન્ડ) હાર્યું છે.
આજે સાઉથ આફ્રિકા જીતીને તાકાતનો મોડેથી પરચો કરાવવા માગતું હશે, જ્યારે અફઘાનિસ્તાન નબળી ટીમ તરીકેની પોતાની ઓળખ દૂર કરવા પ્રયત્નશીલ હશે.
બૅટ્સમૅનના સ્ટમ્પ્સને બૉલ વાગવા છતાં બેલ્સ ન પડી હોય એવો પાંચમો કિસ્સો ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સની શરૂઆતમાં ડેવિડ વૉર્નર સાથે બન્યો હતો. જસપ્રીત બુમરાહની પ્રથમ ઓવરના પહેલા જ બૉલમાં વૉર્નર શૉટ મારવાનું ચૂકી જતાં બૉલ સ્ટમ્પ્સને વાગ્યો હતો, પણ એક પણ બેલ નહોતી પડી.
અગાઉ ઇંગ્લૅન્ડના આદિલ રશીદના બૉલમાં સાઉથ આફ્રિકાનો ક્વિન્ટન ડી’કૉક, ન્યૂ ઝીલૅન્ડના ટ્રેન્ટ બૉલ્ટ સામે શ્રીલંકાનો કૅપ્ટન દિમુથ કરુણારત્ને, ઑસ્ટ્રેલિયાના મિચલ સ્ટાર્ક સામે વેસ્ટ ઇન્ડિઝનો ક્રિસ ગેઇલ અને ઇંગ્લૅન્ડના બેન સ્ટોક્સ સામે બંગલાદેશનો મોહંમદ સૈફુદ્દીન સાથે આવું બન્યું હતું.

ભારતે ગઈ કાલે ઑસ્ટ્રેલિયાને વર્લ્ડ કપની લીગ મૅચમાં ૩૬ રનથી હરાવીને આ સ્પર્ધામાં સતત બીજો વિજય નોંધાવ્યો હતો. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને હરાવ્યું એ ભારતની મોટી જીત કહેવાય. બીજું, વિરાટસેનાએ તાજેતરમાં જ ઘરઆંગણે કાંગારુંઓ સામેની વન-ડે શ્રેણીમાં હાર ખમી હતી એ જોતાં ગઈ કાલે ભારતે એ હારનો બદલો લઈ લીધો હતો. શિખર ધવન (૧૧૭ રન, ૧૦૯ બૉલ, સોળ ફોર) આ જીતનો સુપર-હીરો હતો. હવે ગુરુવારે ભારતનો મુકાબલો ન્યૂ ઝીલૅન્ડ સામે અને રવિવાર, ૧૬મી જૂને કટ્ટર હરીફ પાકિસ્તાન સામે છે. ગઈ કાલની જીત સાથે ભારતે પાકિસ્તાનને ચેતવી દીધું છે. વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતે દરેક વખતે પાકને માત આપી છે.
ગઈ કાલે ભારતે પાછા ફૉર્મમાં આવી ગયેલા ધવનની ૧૭મી સદીની મદદથી ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૫૨ રન બનાવ્યા બાદ ઑસ્ટ્રેલિયાએ ૫૦મી ઓવરના આખરી બૉલમાં ૩૧૬ રનના સ્કોર પર અંતિમ વિકેટ ગુમાવી હતી. ભુવનેશ્ર્વર કુમાર અને જસપ્રીત બુમરાહે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે બે વિકેટ લીધી હતી. ગઈ કાલે શરૂઆતની ઓવરોમાં બુમરાહ અને ભુવનેશ્ર્વરે કાંગારું બૅટ્સમેનોને બાંધીને રાખ્યા ત્યારે જ કાંગારુંઓની હાર નક્કી થઈ ગઈ હતી. ઍરોન ફિન્ચ અને ડેવિડ વૉર્નર રન બનાવવા માટે રીતસરના ઝઝૂમતા રહ્યા હતા. ૬૧મા રને કૅપ્ટન ફિન્ચની પ્રથમ વિકેટ પડ્યા બાદ સમયાંતરે કાંગારુંઓની વિકેટ પડતી રહી હતી.
એ પહેલાં, વિરાટ કોહલીએ ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. તેણે એ સાચો નિર્ણય લીધો હતો, કારણકે ભારતે પાંચ વિકેટે જે ૩૫૨ રનનો સ્કોર નોંધાવ્યો હતો એ તેના બૅટિંગ લેવાના નિર્ણયને યથાર્થ ઠરાવનારો હતો. ધવનને રોહિત શર્મા (૫૭ રન, ૭૦ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)નો બહુ સારો સાથ મળ્યો હતો અને તેમની વચ્ચે ૧૨૭ રનની ભાગીદારી થઈ હતી. જીતનો પાયો તેમણે જ નાખ્યો હતો અને ધવનને છેવટે મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
ટૂંકો સ્કોર
ભારત: ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૫૨ રન (ધવન ૧૧૭, કોહલી ૮૨, રોહિત ૫૭, હાર્દિક ૪૮, ધોની ૨૭, રાહુલ ૧૧ અણનમ, જાધવ ૦ અણનમ, સ્ટોઇનિસ ૬૨ રનમાં બે તેમ જ કમિન્સ પંચાવન રનમાં એક, સ્ટાર્ક ૭૪ રનમાં એક અને કૉલ્ટર-નાઇલ ૬૩ રનમાં એક વિકેટ, મૅક્સવેલ ૪૫ રનમાં અને ઝેમ્પા ૫૦ રનમાં એકેય વિકેટ નહીં)
ઑસ્ટ્રેલિયા: ૫૦ ઓવરમાં ૩૧૬ રને ઑલઆઉટ (સ્મિથ ૬૯, કૅરી પંચાવન, વૉર્નર ૫૬, ખ્વાજા ૪૨, ભુવી ૫૦ રનમાં ત્રણ, બુમરાહ ૬૧ રનમાં ત્રણ, ચહલ ૬૨ રનમાં બે વિકેટ, હાર્દિક ૬૮ રનમાં, કુલદીપ પંચાવન રનમાં અને કેદાર ૧૪ રનમાં વિકેટ નહીં.’
ઇંગ્લૅન્ડમાં ચાલી રહેલા વન-ડેના વર્લ્ડ કપમાં આજે વર્લ્ડ નંબર-ટૂ ભારતનો મુકાબલો ગયા વખતના વિશ્ર્વવિજેતા ઑસ્ટ્રેલિયા સાથે (ભારતીય સમય મુજબ બપોરે 3.00થી) થશે. બન્ને દેશો વચ્ચે વર્લ્ડ કપમાં કુલ 11 મૅચ રમાઈ છે જેમાં ઑસ્ટ્રેલિયા 8-3ના વિજયી માર્જિનથી આગળ છે એટલે આજે પણ જીતવા ફેવરિટ છે, પરંતુ સાઉથ આફ્રિકા સામેના જ્વલંત વિજયને પગલે વિરાટ કોહલી ઍન્ડ કંપનીનો જુસ્સો બુલંદ છે.
ભારતે પાંચમી જૂને સાઉથ આફ્રિકાને યુઝવેન્દ્ર ચહલની ચાર વિકેટના તરખાટ તથા રોહિત શર્માના 122 રનની મદદથી 6 વિકેટના માર્જિનથી હરાવ્યું હતું. બીજી તરફ, ઑસ્ટ્રેલિયાએ પહેલી જૂને અફઘાનિસ્તાનની લડત બાદ એને 7 વિકેટે હરાવ્યું હતું, જ્યારે છઠ્ઠી જૂને વેસ્ટ ઇન્ડિઝને નૅથન કૉલ્ટર-નાઇલના 92 રનની મદદથી 15 રનના માર્જિન સાથે પરાજિત કર્યું હતું.
કાંગારુંઓ બે મૅચ જીતીને આજે ભારત સામે રમવા આવી રહ્યા છે, પરંતુ ભારતીયો બૅટિંગ અને બોલિંગ, બન્ને રીતે ઑસ્ટ્રેલિયાથી થોડા ચડિયાતા હોવાથી આજે ભારત પણ સતત બીજો વિજય નોંધાવે તો નવાઈ નહીં.
મહેન્દ્રસિંહ ધોનીનો ‘બલિદાન બેજ’વાળા આર્મીના ગ્લવ્ઝવાળા લોગોનો વિવાદ શમી રહ્યો છે, પરંતુ ભારતીય ટીમ આ વિવાદને ભુલાવી દેવા આજે ઑસ્ટ્રેલિયનો પર તૂટી પડશે તો પણ કોઈ આશ્ર્ચર્ય નહીં થાય.
પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ગઈ કાલે અહીં વર્લ્ડ કપની મહત્ત્વની લીગ મૅચ રમાવાની હતી, પરંતુ વરસાદને કારણે મૅચ રમી જ નહોતી શકાઇ અને બન્ને ટીમને એક-એક પૉઇન્ટ મળ્યો છે. આ એક પૉઇન્ટ તેમને સ્પર્ધાના લીગ તબક્કાના છેવટના ભાગમાં ફાયદારૂપ બની શકે અથવા નુકસાનકારક પણ બની શકે.
વરસાદ અટકી ગયા બાદ વાદળિયા હવામાન વચ્ચે એવી સંભાવના જાગી હતી કે બન્ને ટીમ વચ્ચે કદાચ ૨૦-૨૦ એાવરની મૅચ રમાશે. જોકે, એ પણ નહોતી રમી શકાઈ. પાકિસ્તાને વેસ્ટ ઇન્ડિઝ સામેના પરાજય પછી ઇંગ્લૅન્ડને હરાવ્યું હતું, જ્યારે શ્રીલંકા ન્યૂ ઝીલૅન્ડ સામે હાર્યા બાદ અફઘાનિસ્તાન સામે જીત્યું હતું.

7 June 2019 ના રોજ ફ્રાન્સના પેરીસ ખાતે મહિલાઓનો ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપ શરૂ થયો હતો.
સમયપત્રક મુજબ પ્રથમ મૅચ યજમાન ફ્રાન્સ અને સાઉથ કોરિયા વચ્ચે રમાવાની હતી.
૨૪ દેશોની ટીમો આ સ્પર્ધામાં રમવા ઊતરી છે. ૯ સ્થળે મૅચો રમાશે અને ૭મી જુલાઈએ ફાઇનલ મુકાબલો યોજાશે.