વર્તમાન શ્રેણીમાં અજેય સરસાઈ મેળવવામાં અજમાયશ કરવાના મોકો ઊભા થયા છે, પણ ન્યૂ ઝીલેન્ડ સામે શુક્રવારે અહીં રમાનારી ચોથી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત તેની વિજયકૂચમાં કોઈ ઢીલ કરશે નહીં.
મોહમદ શમી અને રોહિત શર્માએ ભારતને બુધવારે સીડોન પાર્ક ખાતેની ત્રીજી ટી-૨૦ મેચમાં સુપર ઓવર મારફતે વિજય મેળવી આપી ૩-૦થી સરસાઈ અપાવવા સાથે ન્યૂ ઝીલેન્ડની ભૂમિ પર પ્રથમ વેળા ટી-૨૦ શ્રેણી જિતાડી હતી અને શ્રેણીની છેલ્લી બે મેચ હવે આગામી ત્રણ દિવસના સમયમાં શુક્રવારે વેલિંગ્ટન અને રવિવારે માઇન્ટ મોન્ગેન્યુ ખાતે રમાનાર છે.
બંને ટીમે હેમિલ્ટનથી વેલિંગ્ટન પહોંચવા ગુરુવારે મુસાફરી કરી હતી અને શ્રેણીની આખરી મેચ માટે પણ આવો જ શ્રમભર્યો કાર્યક્રમ હોવાથી ખેલાડીઓને નેટ-પ્રેક્ટિસ કરવાનો મોકો રહેતો નથી.
પાંચ મેચની ટી-૨૦ શ્રેણી ભાગ્યે જ રમાતી હોવાથી તેમાં ભારતની ટીમની વહેલી સફળતાના કારણે હવે બંને ટીમને આગામી ટી-૨૦ વર્લ્ડ કપ માટે કેટલીક અજમાયશ કરવાની પૂરતી તક મળી રહેશે.
આઈ. સી. સી. ટી-૨૦ વર્લ્ડ કપનું ઑસ્ટ્રેલિયામાં ઑક્ટોબર-નવેમ્બરમાં આયોજન થનાર છે.
કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી માટે આ ટી-૨૦ શ્રેણીમાં ન્યૂ ઝીલેન્ડની ટીમનો સંપૂર્ણપણે રકાસ કરવાનો અને નવો ઈતિહાસ સર્જવાનો મોકો રહેલો છે.
જોકે, ભારતને વિજયી ટીમના સંગઠનમાં ફેરફાર કરવાની બહુ જરૂર નથી અને બૅટિંગ તથા બૉલિંગ વિભાગમાં અમુક સ્થાન માટે થોડા ઉમેદવારના દાવા હોવા છતાં, બહુ અજમાયશ અસ્થાને હશે.
સંજુ સેમસન અને રિષભ પંત તકની રાહ જોઈ રહ્યા છે કે જેમાં સેમસનની રમવાની આશા કરાય છે, પણ પંતની પસંદગી કયા બેટ્સમેનને બાકાત રાખવામાં અને કે. એલ. રાહુલને વિકેટકીપર તરીકે ટીમમાં ચાલુ રાખવો કે નહીં તેના પર આધારિત છે.
ભારતના ટોચના ત્રણ બેટ્સમેનની પસંદગી આપોઆપ થઈ શકે છે તથા શ્રેયસ ઐયર હાલ તેના ઘણા સારા ફોર્મમાં રમી રહ્યો છે અને તે પોતાના માટે બૅટિંગમાં ચોથો ક્રમ નક્કી દઈ શકે છે. મનીષ પાંડે તથા શિવમ દુબેને પણ વધુ મેચના અનુભવની આવશ્યક્તા છે.
આગામી બે મેચમાં ભારતના ટોચના ચારમાંથી કોઈપણ બેટ્સમેનને આરામ આપી શકાય છે અને કોહલી તથા રોહિતને આરામ આપવા વેલિંગ્ટન અને મોનગેન્યુમાં વારાફરતી બાકાત રાખવાની કલ્પના કરવી પણ અસ્થાને નથી. આવી યોજનામાં યુવાન ખેલાડીઓને રમવાનો વધુ અનુભવ પ્રાપ્ત થવા ઉપરાંત, તેઓ ટીમમાં પોતાનું સ્થાન કાયમી કરવાનો પ્રયાસ કરી શકશે.
જોકે, બૉલિંગ વિભાગમાં ફેરફાર કરાવાની આશા કરી શકાય છે. વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને નવદીપ સૈની રમવાના મોકાની રાહ જોઈ રહ્યા છે, પણ ત્રણેને તુરતમાં રમવાની સંભાવના નથી. ભારતની ટીમના સત્તાવાળા સ્પિનર અને ફાસ્ટ બૉલરને વારાફરતી રમાડવાની યોજના ઘડી શકે છે.
ઑસ્ટ્રેલિયા મધ્યેના મોટા કદના મેદાનો પર સુંદર ભારતીય કેપ્ટન કોહલીની નવા બોલ માટેની યોજનાનો હિસ્સો છે જેથી તે આગામી બે મેચમાં રમવાનો મોકો મેળવી શકે છે. વધુમાં સુંદરની પસંદગી ટીમને બૅટિંગ વિભાગમાં પણ નીચલા ક્રમે કામ આવી શકતી હોવાથી સૈનીને શાર્દુલ ઠાકુરની બદલીમાં રમાડી શકાશે.
આખરી સવાલ જસપ્રીત બુમરાહના સમાવેશનો છે. હેમિલ્ટનમાં તેનો દેખાવ નિરાશાજનક રહ્યો હોવામાં તેની પર રહેતો ટીમની બૉલિંગના શ્રમનો વિચાર કરી શકાય છે. ભારતની ટેસ્ટ અને વન-ડે મેચોની ટીમોનો તે મુખ્ય હિસ્સો છે તથા આ વર્ષના ટી-૨૦ વર્લ્ડ કપ માટે પણ તેની ગણના કરાઈ રહી છે.
ભારતની ટીમમાં હાલ ઈજાની કોઈ સમસ્યા ન હોવા છતાં, સત્તાવાળાઓએ તેને બિનમહત્ત્વપૂર્ણ મેચોમાં રમાડવાનું વધુ પડતું જોખમ ન ખેડવું જોઈએ.
ન્યૂ ઝીલેન્ડની ટીમમાં કોલિન ડી ગ્રેન્ડહોમની બદલીમાં ટોમ બ્રુસને સ્થાન મળ્યું છે.
ટીમમાં એવો વિચાર પણ પ્રસરી રહ્યો છે કે કેપ્ટન કેન વિલિયમસને બૅટિંગ ક્રમમાં બઢતી મેળવી રમવા આવવું જોઈએ. હેમિલ્ટન ખાતેની ટી-૨૦ મેચમાં તેની બૅટિંગના આધારે તેની માર્ટિન ગપ્ટિલની જોડીમાં ઓપનિંગમાં રમવાની તેની ટીમની આવશ્યક્તા છે અને કોલિન મનરો નીચે સરકી શકે છે.
ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કે. એલ. રાહુલ (વિકેટકીપર), મનીષ પાંડે, રિષભ પંત, સંજુ સેમસન, શ્રેયસ ઐયર, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મોહંમદ શમી, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, વૉશિંગ્ટન સુંદર.
ન્યૂ ઝીલેન્ડ: કેન વિલિયમસન (કેપ્ટન), માર્ટિન ગપ્ટિલ, રોસ ટેલર, સ્કોટ કેજલેજિન, કોલિન મનરો, ટોમ બ્રુસ, ડેરિલ મિચેલ, મિચેલ સેન્ટનર, ટીમ સીફર્ટ (વિકેટકીપર), હેમીશ બેનેટ, ઈશ સોઢી, ટીમ સાઉધી, બ્લેર ટિકનેર.
મેચની શરૂઆત: ભારતીય સમય અનુસાર બપોરે ૧૨.૩૦ વાગ્યે.