ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જયપુરમાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ભારતનો પાંચ વિકેટે રોમાંચક વિજય થયો છે. રોહિત શર્માની કપ્તાની હેઠળની ભારતીય ટીમે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. રોહિત શર્માએ 48 રન તેમજ સૂર્યકુમાર યાદવે 62 રનની તાબડતોડ ઈનિંગ રમતા ભારતે બે બોલ બાકી હતા ત્યારે જ ન્યૂઝીલેન્ડનો 165 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ સાથે જ ક્રિકેટની તમામ ફોરમેટમાં ન્યૂઝીલેન્ડ સામે સતત સાત મેચ હારવાના સીલસીલા પર ભારતે બ્રેક મારી દીધી હતી. ત્રણ ટી20 મેચની સીરિઝમાં ભારત કિવિઝ સામે 1-0થી આગળ રહ્યું છે.
ભારત માટે આ ટી20 અનેક રીતે મહત્વની હતી. સૌપ્રથમ વખત ટી20 ઈન્ટરનેશલ મેચમાં ભારતીય ટીમ તેના નવા કોચ રાહુલ દ્રવિડ અને નવા કાયમી કેપ્ટન રોહિત શર્મા સાથે ઉતરી હતી. આ મેચમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો અને વેંક્ટેશ ઐય્યરે ડેબ્યૂ કર્યું હતું. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો. ગ્રીન ટોપ પીચ પર ચેઝ કરવું સરળ રહેવાનો રોહિત શર્માનો દાવ કેટલાક અંશે સફળ રહ્યો હતો.
ન્યૂઝીલેન્ડને પ્રથમ ઓવરમાં જ ભૂવનેશ્વર કુમારે ઝાટકો આપ્યો હતો અને ત્રીજા બોલ પર ડેરિલ મીચેલ શૂન્ય રને પેવેલિયન પરત ફર્યો હતો. અન્ય ઓપનર માર્ટિન ગુપ્ટિલે 70 રન અને માર્ક ચેપમેને 63 રનની ઈનિંગ રમી હતી અને બન્ને વચ્ચે બીજી વિકેટની 110 રનની ભાગીદારી થઈ હતી. રવિચંદ્રન અશ્વિને મેચની 14મી ઓવરમાં ચેપમેનને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. ત્યારબાદ તે જ ઓવરના પાંચમા બોલ પર ગ્લેન ફિલિપ્સને શૂન્ય રને એલબીડબલ્યુ આઉટ કરી અશ્વિને કિવિઝને ત્રીજો આંચકો આપ્યો હતો. અશ્વિન ઉપરાંત ભૂવનેશ્વર કુમારે પણ બે વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સીરાજ અને રાહુલ ચહરે એક-એક વિકેટ લીધી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 164 રન કર્યા હતા.
ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત મક્કમ રહી હતી. પ્રથમ વિકેટ માટે કે એલ રાહલુ (15) અને રોહિત શર્મા (48) વચ્ચે 50 રનની ભાગીદારી નોંધાઈ હતી. ત્યારબાદ કે એલ રાહુલ મીચેલ સેન્ટરના બોલ પર ચેપમેનના હાથે કેચ આઉટ થયો હતો. ત્રીજા ક્રમે બેટિંગમાં ઉતરેલા સૂર્યકુમાર યાદવે 40 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 62 રન ફટકાર્યા હતા અને ભારત માટે જીતનો પાયો નાંખ્યો હતો. રિષભ પંચ 17 રને અણનમ રહ્યો હતો. કિવિઝ તરફથી ટ્રેન્ટ બોલ્ટે બે વિકેટ ઝડપી હતી. કેપ્ટન ટીમ સાઉથી, મિચેલ સેન્ટનર અને ડેરિલ મિચેલે એક-એક વિકેટ લીધી હતી. ભારતે અંતિમ છ ઓવરમાં 51 રન કર્યા હતા અને ત્રણ વિકેટ ગુમાવી હતી જેમાં રોહિત શર્મા, શ્રેયસ ઐય્યર (5) અને વેંક્ટેશ ઐય્યર (4)નો સમાવેશ થયો હતો. કિવિ ટીમે 14 રન એક્સ્ટ્રા આપ્યા હતા જે તેમને ભારે પડ્યા હતા. ભારતીય ટીમે 19.4 ઓવરમાં 166 રન કરી મેચમાં વિજય મેળવ્યો હતો. હવે 19મી નવેમ્બરે બન્ને ટીમો વચ્ચે રાંચીમાં બીજી ટી20 મેચ રમાશે.
17/11/21 બુધવારે : India Vs Newzealand પ્રથમ ટી-૨૦ મૅચ
ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે બુધવારે પ્રથમ ટી-૨૦ મૅચ રમાશે. જોકે, ભારે ઝાકળને કારણે ટૉસ જિતનાર ટીમને વધુ લાભ મળવાની શક્યતા નહિવત છે.

આઠ વર્ષ બાદ જયપુર બુધવારે પ્રથમ આંતરરાષ્ટ્રીય મૅચનું યજમાનપદ સંભાળશે.
‘પીન્ક સિટી’ તરીકે જયપુર આવનારાઓને ઠંડીના ચમકારાનો અનુભવ થશે. ટૉસ જિતનાર ટીમને પ્રથમ ઈનિંગમાં લાભ મળવાની શક્યતા ખૂબ જ ઓછી છે. ટી-૨૦ મૅચ હોવાને કારણે આ પીચ પર મોટો સ્કૉર નોંધાય તેવી શક્યતા છે.
મૅચના દિવસે અમે ઝાકશવિરોધી સ્પ્રેનો ઉપયોગ કરીશું એમ અધિકારીઓએ કહ્યું હતું. જોકે, ઝાકળની અસર ખૂબ જ મર્યાદિત હશે, એમ તેમણે કહ્યું હતું.
દેશમાં કોરોનાની બીજી લહેર ફરી વળતાં મે મહિનામાં આઈપીએલ રદ કરવામાં આવ્યા બાદ ભારતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું પુનરાગમન થશે. સ્ટેડિયમમાં પ્રવેશવા વ્યક્તિ ઓછામાં ઓછું આંશિક વૅક્સિનેશન કરાવેલું હોવું જોઈએ. વૅક્સિનેશન ન કરાવનાર વ્યક્તિ આરટી-પીસીઆરનો નૅગેટિવ રિપોર્ટ દેખાડી સ્ટેડિયમમાં પ્રવેશી શકશે.



