CIA ALERT

રમત જગત Archives - Page 12 of 42 - CIA Live

November 16, 2021
indiavsnz.jpg
1min403

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જયપુરમાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ભારતનો પાંચ વિકેટે રોમાંચક વિજય થયો છે. રોહિત શર્માની કપ્તાની હેઠળની ભારતીય ટીમે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. રોહિત શર્માએ 48 રન તેમજ સૂર્યકુમાર યાદવે 62 રનની તાબડતોડ ઈનિંગ રમતા ભારતે બે બોલ બાકી હતા ત્યારે જ ન્યૂઝીલેન્ડનો 165 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ સાથે જ ક્રિકેટની તમામ ફોરમેટમાં ન્યૂઝીલેન્ડ સામે સતત સાત મેચ હારવાના સીલસીલા પર ભારતે બ્રેક મારી દીધી હતી. ત્રણ ટી20 મેચની સીરિઝમાં ભારત કિવિઝ સામે 1-0થી આગળ રહ્યું છે. 

ભારત માટે આ ટી20 અનેક રીતે મહત્વની હતી. સૌપ્રથમ વખત ટી20 ઈન્ટરનેશલ મેચમાં ભારતીય ટીમ તેના નવા કોચ રાહુલ દ્રવિડ અને નવા કાયમી કેપ્ટન રોહિત શર્મા સાથે ઉતરી હતી. આ મેચમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો અને વેંક્ટેશ ઐય્યરે ડેબ્યૂ કર્યું હતું. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો. ગ્રીન ટોપ પીચ પર ચેઝ કરવું સરળ રહેવાનો રોહિત શર્માનો દાવ કેટલાક અંશે સફળ રહ્યો હતો.

ન્યૂઝીલેન્ડને પ્રથમ ઓવરમાં જ ભૂવનેશ્વર કુમારે ઝાટકો આપ્યો હતો અને ત્રીજા બોલ પર ડેરિલ મીચેલ શૂન્ય રને પેવેલિયન પરત ફર્યો હતો. અન્ય ઓપનર માર્ટિન ગુપ્ટિલે 70 રન અને માર્ક ચેપમેને 63 રનની ઈનિંગ રમી હતી અને બન્ને વચ્ચે બીજી વિકેટની 110 રનની ભાગીદારી થઈ હતી. રવિચંદ્રન અશ્વિને મેચની 14મી ઓવરમાં ચેપમેનને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. ત્યારબાદ તે જ ઓવરના પાંચમા બોલ પર ગ્લેન ફિલિપ્સને શૂન્ય રને એલબીડબલ્યુ આઉટ કરી અશ્વિને કિવિઝને ત્રીજો આંચકો આપ્યો હતો. અશ્વિન ઉપરાંત ભૂવનેશ્વર કુમારે પણ બે વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સીરાજ અને રાહુલ ચહરે એક-એક વિકેટ લીધી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 164 રન કર્યા હતા. 

ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત મક્કમ રહી હતી. પ્રથમ વિકેટ માટે કે એલ રાહલુ (15) અને રોહિત શર્મા (48) વચ્ચે 50 રનની ભાગીદારી નોંધાઈ હતી. ત્યારબાદ કે એલ રાહુલ મીચેલ સેન્ટરના બોલ પર ચેપમેનના હાથે કેચ આઉટ થયો હતો. ત્રીજા ક્રમે બેટિંગમાં ઉતરેલા સૂર્યકુમાર યાદવે 40 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 62 રન ફટકાર્યા હતા અને ભારત માટે જીતનો પાયો નાંખ્યો હતો. રિષભ પંચ 17 રને અણનમ રહ્યો હતો. કિવિઝ તરફથી ટ્રેન્ટ બોલ્ટે બે વિકેટ ઝડપી હતી. કેપ્ટન ટીમ સાઉથી, મિચેલ સેન્ટનર અને ડેરિલ મિચેલે એક-એક વિકેટ લીધી હતી. ભારતે અંતિમ છ ઓવરમાં 51 રન કર્યા હતા અને ત્રણ વિકેટ ગુમાવી હતી જેમાં રોહિત શર્મા, શ્રેયસ ઐય્યર (5) અને વેંક્ટેશ ઐય્યર (4)નો સમાવેશ થયો હતો. કિવિ ટીમે 14 રન એક્સ્ટ્રા આપ્યા હતા જે તેમને ભારે પડ્યા હતા. ભારતીય ટીમે 19.4 ઓવરમાં 166 રન કરી મેચમાં વિજય મેળવ્યો હતો. હવે 19મી નવેમ્બરે બન્ને ટીમો વચ્ચે રાંચીમાં બીજી ટી20 મેચ રમાશે.     

17/11/21 બુધવારે : India Vs Newzealand પ્રથમ ટી-૨૦ મૅચ

ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે બુધવારે પ્રથમ ટી-૨૦ મૅચ રમાશે. જોકે, ભારે ઝાકળને કારણે ટૉસ જિતનાર ટીમને વધુ લાભ મળવાની શક્યતા નહિવત છે. 

આઠ વર્ષ બાદ જયપુર બુધવારે પ્રથમ આંતરરાષ્ટ્રીય મૅચનું યજમાનપદ સંભાળશે. 
‘પીન્ક સિટી’ તરીકે જયપુર આવનારાઓને ઠંડીના ચમકારાનો અનુભવ થશે. ટૉસ જિતનાર ટીમને પ્રથમ ઈનિંગમાં લાભ મળવાની શક્યતા ખૂબ જ ઓછી છે. ટી-૨૦ મૅચ હોવાને કારણે આ પીચ પર મોટો સ્કૉર નોંધાય તેવી શક્યતા છે. 

મૅચના દિવસે અમે ઝાકશવિરોધી સ્પ્રેનો ઉપયોગ કરીશું એમ અધિકારીઓએ કહ્યું હતું. જોકે, ઝાકળની અસર ખૂબ જ મર્યાદિત હશે, એમ તેમણે કહ્યું હતું. 

દેશમાં કોરોનાની બીજી લહેર ફરી વળતાં મે મહિનામાં આઈપીએલ રદ કરવામાં આવ્યા બાદ ભારતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું પુનરાગમન થશે. સ્ટેડિયમમાં પ્રવેશવા વ્યક્તિ ઓછામાં ઓછું આંશિક વૅક્સિનેશન કરાવેલું હોવું જોઈએ. વૅક્સિનેશન ન કરાવનાર વ્યક્તિ આરટી-પીસીઆરનો નૅગેટિવ રિપોર્ટ દેખાડી સ્ટેડિયમમાં પ્રવેશી શકશે.

November 15, 2021
t20_world.jpg
1min381

ન્યૂ ઝીલેન્ડે રવિવારે ફાઇનલમાં પ્રથમ બૅટિંગ કરતા ૨૦ ઑવરમાં ચાર વિકેટ ગુમાવીને ૧૭૨ રન કર્યા હતા અને તેના જવાબમાં ઑસ્ટ્રેલિયાએ ૧૮.૫ ઑવરમાં  બે વિકેટ ગુમાવીને ૧૭૩ રન કર્યા હતા. ઑસ્ટ્રેલિયાનો આઠ વિકેટે વિજય થયો હતો. ડેવિડ વોર્નરે ૫૩, મિશેલ માર્શે ૭૭ અને ગ્લેન મેક્સવેલે ૨૮ રન કર્યા હતા. ન્યૂ ઝીલેન્ડની બૅટિંગમાં કેન વિલિયમ્સને ૪૮ બૉલમાં ૮૫ રન કર્યા હતા. હેઝલવૂડ ઑસ્ટ્રેલિયાનો સૌથી વધુ સફળ બૉલર રહ્યો હતો. તેણે ચાર ઑવરમાં માત્ર ૧૬ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

એડમ ઝમ્પાએ ચાર ઑવરમાં ૨૬ રન આપીને એક વિકેટ લીધી હતી. માર્ટિન ગપ્ટિલે ૩૫ બૉલમાં ૨૮ રન કર્યા હતા. ઝમ્પાની બૉલિંગમાં સ્ટોઇન્સે તેનો કૅચ પકડ્યો હતો. ડેરીલ મિશેલ આઠ બૉલમાં ૧૧ રન કરીને આઉટ થયો હતો. હેઝલવૂડની બૉલિંગમાં વેડે તેનો કૅચ પકડ્યો હતો. કેન વિલિયમ્સનની વિકેટ પણ હેઝલવૂડે લીધી હતી. સ્મિથે તેનો કૅચ પકડ્યો હતો.

ગ્લેન ફિલિપ્સે ૧૭ બૉલમાં ૧૮ રન કર્યા હતા. હેઝલવૂડની બૉલિંગમાં મેક્સવેલે તેનો કૅચ પકડ્યો હતો. જેમ્સ નીશેમે સાત બૉલમાં ૧૩ રન અને ટિમ સેફર્ટે છ બૉલમાં આઠ રન કર્યા હતા. ન્યૂ ઝીલેન્ડની પહેલી વિકેટ ૨૮ રને, બીજી વિકેટ ૭૬ રને, ત્રીજી વિકેટ ૧૪૪ રને અને ચોથી વિકેટ ૧૪૮ રને પડી હતી. ઑસ્ટ્રેલિયાના બૉલર્સમાં સૌથી વધુ ખર્ચાળ મિશેલ સ્ટાર્ક રહ્યો હતો. તેણે ચાર ઑવરમાં ૬૦ રન આપ્યા હતા.   

November 14, 2021
t20_world.jpg
1min392

દુબઈ રમાઈ રહેલા ટી-૨૦ વર્લ્ડ કપની આજે 14/11/21 રમાનારી ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. 

ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલૅન્ડની ટીમે જે રીતે સેમિફાઈનલમાં તેમની પ્રતિસ્પર્ધી ટીમ સામે મૅચ જીતી હતી તે જોતા ફાઈનલમાં પણ નાટ્યાત્મક અંત જોવા મળે તેવી શક્યતા છે. વન ડેમાં પાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયન બનેલી ઑસ્ટ્રેલિયાની ટીમ આશ્ર્ચર્યજનક રીતે ટી-૨૦માં હજુ સુધી એક પણ વખત વર્લ્ડ ચૅમ્પિયન બની શક્યું નથી. 

બીજી તરફ વર્લ્ડકપમાં ન્યૂ ઝીલૅન્ડનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો છે અને કૅન વિલિયમ્સનના નેતૃત્વ હેઠળ ટીમ ખીલી ઊઠી છે. 

ન્યૂ ઝીલૅન્ડની ટીમ પહેલી જ વાર ટી-૨૦ વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચ્યું છે અને જો તે આ વર્લ્ડકપ જીતશે તો તેમના માટે આ અસાધારણ સિદ્ધિ હશે. જોકે, ફાઈનલમાં ઑસ્ટ્રેલિયાનો હાથ ઉપર રહેશે. સૌથી સારું બૉલિંગ આક્રમણ ધરાવતી ન્યૂ ઝીલૅન્ડની ટીમે સેમિફાઈનલમાં સુંદર બૅટિંગ પ્રદર્શન કર્યું હતું. 

ઑસ્ટ્રેલિયાની ટીમ: 
આરોન ફિન્ચ (કૅપ્ટન), ઍશ્ટોન અગર, પૅટ કમિન્સ, જૉશ હૅઝલવુડ, જૉશ ઈન્ગલીશ, મિશૅલ માર્શ, ગ્લૅન મૅક્સવેલ, કૅન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશૅલ સ્ટાર્ક, માર્કસ સ્ટૉઈનિસ, 
મિશૅલ સ્વેપસન, મૅથ્યુ વૅડ (વિ.કી.), ડૅવિડ વૉર્નર, આદમ ઝમ્પા. 

ન્યૂ ઝીલૅન્ડની ટીમ: 
કૅન વિલિયમ્સન (કૅપ્ટન), ટૉડ ઍસ્લે, ટ્રૅન્ટ બૉલ્ટ, માર્ક ચૅપમેન, આદમ મિલ્ને, માર્ટિન ગપ્તીલ, કાયલે જૅમિસન, ડૅરિલ મિશૅલ, જિમી નૅશામ, ગ્લૅન ફિલિપ્સ, મિશૅલ સાન્ટનર, ટીમ સૅફર્ટ (વિ,કી.), ઈશ સોઢી, ટીમ સાઉધી.

November 10, 2021
t20_world.jpg
1min457

ખિતાબની પ્રબળ દાવેદાર પણ ઇજાગ્રસ્ત ખેલાડીઓની સમસ્યામાંથી પસાર થઈ રહેલી ઇંગ્લેન્ડની ટીમ ટી-20 વિશ્વ કપના બુધવારે Dt.10/11/21 રમાનાર પહેલા સેમિ ફાઇનલમાં સતત અપેક્ષાકૃત દેખાવ કરનાર ન્યુઝિલેન્ડની ટીમ સામે ટકરાશે ત્યારે વન ડે વર્લ્ડ ચેમ્પિયન ઇયોન મોર્ગનની ટીમનો ઇરાદો કિવિઝ પર હાવી થવાનો રહેશે. વિશ્વ કપની શરૂઆતથી ઇંગ્લેન્ડની ટીમને હોટ ફેવરિટ ગણવામાં આવે છે પણ આખરી લીગ મેચમાં દ. આફ્રિકા સામેની હારથી તેની કેટલીક ખામીઓ સામે આવી ગઈ છે.

બીજી તરફ ન્યુઝિલેન્ડની ટીમે અપેક્ષા અનુસારનો દેખાવ કરીને સેમિ ફાઇનલની તેની રાહ ખુદ તૈયાર કરી છે. કિવિઝ ટીમ ઉલટફેરમાં માહિર છે. તેની નજર ઇંગ્લેન્ડ સામે વન ડે વર્લ્ડ કપના ફાઇનલની કમનસીબ હારનો હિસાબ ચૂકતે કરવા પર હશે. અબુધાબીની પીચ બેટિંગ માટે અનુકુળ છે. આથી મેચમાં મોટો સ્કોર બની શકે છે. ટોસ અને ઝાકળની ભૂમિકા નિર્ણાયક રહેશે.
ઇજાને લીધે જેસન રોય ટૂર્નામેન્ટની બહાર થઈ ગયો છે. આથી ઇંગ્લેન્ડના દાવનો પ્રારંભ જોસ બટલર સાથે જોની બેયરસ્ટો કરી શકે છે. ઇંગ્લેન્ડ માટે બટલર, બેયરસ્ટો, મોઇન અલી જેવા ખેલાડી વિશેષ રહેશે. જે મેચનો નક્શો બદલી શકે છે.

રોયના સ્થાને આખરી ઇલેવનમાં સેમ બિલિંગ્સને તકની સંભવાના છે. સ્પિનર મોઇન અલી અને આદિલ રશીદની ભૂમિકા ઇંગ્લેન્ડ માટે મહત્ત્વની બની રહેશે. ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલરો માર્ક વૂડ, ક્રિસ વોક્સ વગેરેની કિવિ બેટધરો સામે કસોટી થશે, કારણ કે કિવિ બેટધરો ફાસ્ટ બોલરો વિરુદ્ધ આક્રમક બેટિંગ માટે જાણીતા છે.

બીજી તરફ ન્યુઝિલેન્ડના મગજમાં 2019ના વન ડે વર્લ્ડ કપની ફાઇનલની હાર હશે. જેમાં તેને મેચ ટાઇ થયા બાદ ઓછી બાઉન્ડ્રીને લીધે હાર સહન કરવી પડી હતી. આ હાર કિવિઝ માટે દિલ તોડનારી હતી. આ પછી કેન વિલિયમ્સનની ટીમે આઇસીસીની સ્પર્ધામાં નિરંતર શાનદાર દેખાવ કર્યો છે. જેમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ છે. ન્યુઝિલેન્ડ પાસે નિશ્ચિત રીતે ટૂર્નામેન્ટની શ્રેષ્ઠ બોલિંગ લાઇન અપ અને ફિલ્ડિંગ યુનિટ છે. ટ્રેટ બોલ્ટ અને ટિમ સાઉધીની ખતરનાક જોડીનો સામનો કરવો ઇંગ્લેન્ડ માટે કઠિન બની રહેશે. લોકી ફરગ્યૂસનની ઉણપ એડન મિલ્નેએ પડવા દીધી નથી. બન્ને સ્પિનર ઇશ સોઢી અને મિચેલ સેન્ટરન પ્રભાવી પ્રદર્શન કરી રહ્યા છે. બન્ને ઓપનર અનુભવી માર્ટિન ગુપ્ટિલ અને યુવા ડેરિલ મિશેલ શાનદાર ફોર્મમાં છે. કપ્તાન કેન વિલિયમ્સન વિશ્વાસપાત્ર બેટ્સમેન છે. સેમિ ફાઇનલમાં તેનું યોગદાન મહત્ત્વપૂર્ણ બની રહેશે.

November 7, 2021
t20_world.jpg
1min366

ટી-૨૦ વર્લ્ડકપમાં રવિવારે બપોરે ૩-૩૦ વાગ્યે શરૂ થનારી ન્યૂ ઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મૅચ આ સ્પર્ધામાં ભારતની આગેકૂચનું ભાવિ નક્કી કરવાની છે. અફઘાનિસ્તાન જો ન્યૂ ઝીલેન્ડને હરાવે તો ભારત માટે સેમિ-ફાઇનલમાં પ્રવેશવાની શક્યતા ઘણી વધી જશે.

ન્યૂ ઝીલેન્ડનો વિજય થશે તો તેના આઠ પૉઇન્ટ થઇ જશે અને ભારત માટે સેમિ-ફાઇનલમાં પ્રવેશવાનું લગભગ અશક્ય બની જશે.

અફઘાનિસ્તાન જો આ મૅચ જીતે તો તેના માટે પણ આગેકૂચ કરવાની થોડી આશા જન્મશે.
ભારતે પોતાની નામિબિયા સામેની અંતિમ મૅચ મોટા તફાવતથી જીતવી પડશે.

ન્યૂ ઝીલેન્ડનો આ મૅચમાં વિજય થાય તો ભારતની સોમવારે રાતે ૭.૩૦ વાગ્યે નામિબિયા સામે રમાનારી મૅચનું ખાસ મહત્ત્વ નહિ રહે. અફઘાનિસ્તાને આ મૅચ જીતવા મોટો જુમલો કરવાની જરૂર છે. તેની બૉલિંગ અત્યાર સુધીની મૅચમાં સારી રહી હતી.        

November 4, 2021
rahul-dravid.jpg
1min417

પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બનાવવામાં આવ્યા છે. બીસીસીઆઈએ ટ્વિટર પર આ અંગે પુષ્ટિ કરી છે. સુલક્ષણા નાઈક અને આરપી સિંહની ક્રિકેટ સલાહકાર સમિતિએ બુધવારે સર્વાનુમતે રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. ભારતના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ ન્યૂઝીલેન્ડ સામે 17 નવેમ્બરથી શરૂ થઈ રહેલી સીરિઝથી પોતાનો કાર્યભાર સંભાળશે. ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન હેડ કોચ રવિ શાસ્ત્રી ટી20 વર્લ્ડ કપ પછી પોતાની જવાબદારીમાંથી મુક્ત થશે.

બોર્ડે રવિ શાસ્ત્રીના સ્થાને નવા હેડ કોચને શોધવા 26 ઓક્ટોબર સુધીમાં અરજીઓ મંગાવી હતી. બોર્ડે જણાવ્યું હતું કે હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરૂણ, ફિલ્ડિંગ કોચ આર શ્રીધર અને બેટિંગ કોચ રવિ શાસ્ત્રીને તેમના સફળ કાર્યકાળ બદલ આભિનંદન આપ્યા હતા. શાસ્ત્રીના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટમાં નંબર વન બની હતી અને ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ફાઈનલમાં પહોંચી હતી.

રાહુલ દ્રવિડ ભારતીય હેડ કોચ બનવાની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા હતા. અગાઉ આઈપીએલ ટૂર્નામેન્ટમાં બોર્ડના ટોચના હોદ્દેદારો સાથે પણ દ્રવિડે ચર્ચા કરી હતી અને ત્યારે જ તેને હેડ કોચ બનાવવા માટે મનાવી લેવાયા હતા.  

November 2, 2021
t20_world.jpg
1min809

ટી-૨૦ વર્લ્ડ કપની બુધવારે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી મૅચમાં ભારત કમબૅક કરીને આબરૂ બચાવશે? એવો પ્રશ્ર્ન ચાહકો અને પ્રશંસકોના મનમાં ઊઠી રહ્યો છે. પાકિસ્તાન અને ન્યૂ ઝીલૅન્ડ સામેના નાલેશીજનક પરાજયને કારણે ભારતીય ટીમની ગાડી પાટા પરથી ઊતરી ગઈ છે. 

ભારત માટે હજુ પણ સ્પર્ધામાં પાછા ફરવાની તક છે છતાં ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન  નિરાશાજનક જ રહ્યું છે. 

અફઘાનિસ્તાને આશ્ર્ચર્યજનક રીતે બે મૅચ જીતી છે ને તેમાં તેણે સ્કૉટલૅન્ડ અને નામિબિયાને પરાજય આપ્યો હતો. ટી-૨૦ના કૅપ્ટન તરીકે કોહલીની કદાચ આ છેલ્ લી ત્રણ મૅચ હશે. 
અશ્ર્વિન જેવા સક્ષમ બૉલરની સતત અવગણના કરી રહેલા કોહલી વિરુદ્ધ સવાલ ઊઠી રહ્યા છે. પ્રતિભા અને ક્ષમતાની દૃષ્ટિએ પણ જોવામાં આવે તો ભારતની વર્તમાન ટીમનો અન્ય કોઈ બૉલર અશ્ર્વિનની બરોબરી કરી શકે એમ નથી. 

આ બધું જાણવા છતાં અફઘાનિસ્તાન સામેની મૅચમાં પણ જો કોહલી અશ્ર્વિનની અવગણના કરશે તો અચૂક એમ માની લેવામાં આવશે કે આમાં ક્રિકેટ સિવાયનું કોઈ અન્ય કારણ છે. 

ભારતની ટીમ: 
વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા (વાઈસ કૅપ્ટન), કે. એલ. રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિસાન, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શામી, શાર્દૂલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્ર્વરકુમાર, રાહુલ ચહર, વરુણ ચક્રવર્તી, રવીચંદ્રન અશ્ર્વિન. 

અફઘાનિસ્તાનની ટીમ: 
મોહમ્મદ નબી (કૅપ્ટન), હઝરતુલ્લા ઝાઝઈ, અહમદ શાહઝાદ, ગુલબદીન નઈબ, નવીન ઉલ હક, રાશીદ ખામ, હમીદ હસન, રહેમાનુ લા ગુરબેઝ, નજીબુલ્લા ઝદરન, કરીમ જનત, મુજીબ ઉર રહેમાન, હસમતુલ્લા શાહીદી, ઉસ્માન ઘાની.

November 1, 2021
t20_world.jpg
1min492

પહેલા પાકિસ્તાન અને હવે ન્યૂઝીલેન્ડ સામે હારીને વિરાટ કોહલીની ટીમ ICC T20 વર્લ્ડ કપમાંથી બહાર થવાની સ્થિતિ પર પહોંચી ગઈ છે. પહેલી મેચમાં ભારતીય ટીમ 10 વિકેટથી હારી હતી, ન્યૂઝીલેન્ડ સામે જીતની આશા હતી પરંતુ તેમા પણ આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ટીમના કેપ્ટન કોહલીની કેપ્ટનશિપ પર સવાલ ઉઠ્યા છે.

બંને મેચમાં હારથી વિરાટ કોહલી દુઃખી છે. વિરાટ કોહલીએ કહ્યું હતું કે ‘આ અજીબ છે. મને નથી લાગતું કે અમે બેટિંગ અથવા બોલિંગથી અમારું સાહસ દેખાડી શક્યા. અમે વધારે રન નહોતા બનાવ્યા પરંતુ તેને બચાવવા માટે પણ સાહસની સાથે મેદાનમાં ઉતર્યા નહોતા’.

કોહલીએ આગળ કહ્યું હતું કે ‘જ્યારે તમે ભારતીય ક્રિકટ ટીમ સાથે રમો છો ત્યારે માત્ર ફેન્સ નહીં પરંતુ બાકીના પ્લેયર્સની પણ ઘણી અપેક્ષાઓ હોય છે. અપેક્ષા હંમેશા રહેશે અને આટલા વર્ષોથી અમે તેનો સામનો કરતા આવ્યા છીએ. ભારત માટે રમતા દરેક ખેલાડીને તેનો સામનો કરવો પડે છે’.

‘જ્યારે તમે એક ટીમ તરીકે રમો છો ત્યારે અપેક્ષાનું દબાણ નથી પડતું પરંતુ છેલ્લી બે મેચમાં અમે તેમ કરી શક્યા નહીં’, તેમ કોહલીએ ઉમેર્યું હતું. આ ટુર્નામેન્ટ બાદ ટી-20 ટીમની કેપ્ટનશિપ છોડી રહેલા કોહલીએ કહ્યું હતું કે ‘તમે ભારતીય ટીમ છો અને તમારા પાસેથી અપેક્ષા છે એટલે તમે એલગ રીતે ન રમી શકો. અમે ઠીક છીએ અને હજી આગળ ઘણી ક્રિકેટ મેચ રમવાની છે’.

October 31, 2021
t20_world.jpg
1min969

ક્રિકેટના ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતે સેમિ-ફાઈનલમાં પ્રવેશવું હોય તો ન્યૂ ઝીલેન્ડ સામે ૩૧ ઑક્ટોબર, રવિવારે રાતે ૭-૩૦ વાગ્યે રમાનારી મૅચમાં જીત મેળવવી જરૂરી છે. ન્યૂ ઝીલેન્ડ સામેની આ મૅચ મહત્ત્વની છે અને તે ભારત માટે ‘કરો યા મરો’નો જંગ કહી શકાય. હાલમાં સ્થિતિ એવી છે કે ભારત સેમિ-ફાઈનલમાં પહોંચશે કે કેમ એ અંગે પણ સવાલ થઇ રહ્યો છે. ભારતે ન્યૂ ઝીલેન્ડ સામેની મૅચ મોટા રન રૅટથી અને ભારે તફાવતથી જીતવી જરૂરી છે. સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) અને ઓમાનમાં રમાઈ રહેલા ટી-૨૦ વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે શરમજનક હાર પછી ટીમ ઈન્ડિયા હવે ન્યૂ ઝીલેન્ડ સામેની મૅચ જીતવા કમર-કસશે. રવિવારે આયોજિત આ મેચ વિરાટસેનાની વર્લ્ડકપમાંની આગળની સફર નક્કી કરશે. કોહલી ઍન્ડ કંપનીને સેમિ-ફાઇનલમાં પહોંચવા માટે હવે પછીની દરેક મેચ જીતવી જ પડશે અને જો તેમ નહિ થાય તો તેણે અન્ય અગ્રણી ટીમના સંભવિત પરાજયની રાહ જોવી પડશે.

ભારતની ત્રીજી નવેમ્બરે આબુધાબીમાં અફઘાનિસ્તાનની સામે મૅચ છે. તે પછી પાંચમી નવેમ્બરે દુબઇમાં ‘બી-૧’ ટીમ સામે અને આઠમી નવેમ્બરે દુબઇમાં ‘એ-ટૂ’ ટીમ સામે મૅચ છે. ભારતની બધી મૅચ રાતે ૭-૩૦ વાગ્યે રમાવાની છે.

ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડકપથી લઈને આ વર્ષે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ સુધીની ઈવેન્ટ્સની કુલ ૭ મૅચ રમાઈ હતી. જેમાંથી ન્યૂ ઝીલેન્ડની ટીમ ૬ મેચ જીતી હતી, જ્યારે એક મૅચમાં વરસાદના કારણે કોઈ પણ પ્રકારનો નિર્ણય નહોતો થયો.
ટી-૨૦ વર્લ્ડકપમાં ભારત બે વખત ન્યૂ ઝીલેન્ડ સામે ટકરાયું હતું અને આ બન્ને મેચમાં ન્યૂ ઝીલેન્ડની ટીમ જીતી હતી. ન્યૂ ઝીલેન્ડે ૨૦૦૭માં ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતને ૧૦ રન અને ૨૦૧૬ના ટી-૨૦ વર્લ્ડકપમાં ૪૭ રનથી હરાવ્યું હતું.

ભારતે ૨૦૦૩ વર્લ્ડકપમાં ન્યૂ ઝીલેન્ડને હરાવ્યું હતું. ભારતે આ મૅચ સાત વિકેટે જીતી લીધી હતી. ૨૦૧૯ વર્લ્ડકપની સેમિ-ફાઇનલમાં ન્યૂ ઝીલેન્ડની ટીમે ભારતને હરાવ્યું અને વિશ્ર્વકપ જીતવાનું દેશનું સ્વપ્ન તોડી નાખ્યું હતું. વરસાદને કારણે બે દિવસ સુધી રમાયેલી સેમિ-ફાઇનલ મૅચમાં ભારતને ૧૮ રને હરાવ્યું હતું. ન્યૂ ઝીલેન્ડની ટીમે આ વર્ષે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પણ ૮ વિકેટથી ભારતને હરાવ્યું હતું. 

ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે ટી-૨૦ ક્રિકેટમાં કુલ ૧૬ મેચ રમાઈ હતી અને તેમાં પણ કિવી ટીમ સૌથી વધુ ૮ મેચ જીતવામાં સફળ રહી હતી, જ્યારે ભારત માત્ર ૬ મેચ જીતી શક્યું હતું અને ૨ મૅચ ટાઈ રહી હતી.

વર્લ્ડકપની શરૂઆતમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ જીતવા માટે દાવેદાર ગણવામાં આવતી હતી. ક્રિકેટના ચાહકોને આશા હતી કે વિરાટસેના પાકિસ્તાન વિરુદ્ધની પહેલી મૅચમાં જીત મેળવીને વર્લ્ડ કપની શરૂઆત વિજય સાથે કરશે, પરંતુ કરોડો ક્રિકેટ-રસિયાઓની આશા પર ૨૪ ઑક્ટોબરે પાણી ફરી વળ્યું હતું. પાકિસ્તાન સામે ભારતનો કારમો પરાજય થયો હતો.
ભારતની ટીમ હાલમાં આકરી પ્રેક્ટિસ કરી રહી છે.

ન્યૂ ઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી મૅચ માટેની ભારતીય ટીમમાં વધુ અનુભવી બૉલરને સ્થાન મળવાની શક્યતા છે.

ભારતની ટીમ: 
વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા, કે. એલ. રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિ.કી.), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્ર્વરકુમાર, મોહમ્મદ શામી, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, શાર્દૂલ ઠાકુર, રવીચંદ્રન અશ્ર્વિન, ઈશાન કિસાન, રાહુલ ચહર. 

ન્યૂ ઝીલૅન્ડની ટીમ: 
કૅન વિલિયમ્સન (કૅપ્ટન), માર્ટિન ગપ્ટીલ, ડૅરીલ મિશૅલ, ડૅવોન કૉન્વે, ટીમ સૅફર્ટ (વિ.કી.), જૅમ્સ નૅશામ, ગ્લૅન ફિલિપ્સ, મિશૅલ સન્તનર, ઈશ સોઢી, ટ્રૅન્ટ બૉલ્ટ, ટીમ સઉધી, માર્ક ચૅપમૅન, આદમ મિલ્ને, કાયલે જૅમીસન, ટૉડ ઍસ્લે. 

October 30, 2021
t20_world.jpg
1min334

આઇસીસી ટી-20 વિશ્વ કપના ગ્રુપ વનના શનિવારના મેચમાં બે પરંપરાગત હરીફ ટીમ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે કાંટે કી ટક્કર થશે. બન્ને ટીમ વચ્ચેનો આ મુકાબલો રોચક અને રસાકસીભર્યોં બની રહેશે, કારણ આ બન્ને ટીમ તેમના પહેલા બે મેચ જીત ચૂકી છે.

ગ્રુપ-વન ગ્રુપ ઓફ ડેથ છે. આ મુશ્કેલ ગ્રુપમાં આ મેચની વિજેતા ટીમની સેમિ ફાઇનલની રાહ નક્કી થઇ જશે અને ગ્રુપ પર વર્ચસ્વ પણ મેળવી લેશે. ઓસ્ટ્રેલિયાએ તેના પહેલા મેચમાં સંઘર્ષ બાદ આફ્રિકા સામે જીત મેળવી હતી, બીજા મેચમાં શ્રીલંકા સામે પ્રભાવશાળી જીત નોંધાવી હતી.

શ્રીલંકા વિરૂધ્ધના આ મેચમાં કાંગારૂ ટીમ માટે સકારાત્મક વાત એ રહી હતી કે લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલા સ્ટાર ડેવિડ વોર્નર અને કેપ્ટન એરોન ફિંચે ફોર્મમાં વાપસી કરી હતી.

બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ વેસ્ટ ઇન્ડિઝ અને બાંગલાદેશ સામે મોટી જીત મેળવીને હવે મજબૂત હરીફનો સામનો કરવા તૈયાર છે. પહેલા બે મેચમાં તેમની જીત આસાન રહી હતી, પણ ઓસિ. વિરૂધ્ધ આકરો પડકાર નક્કી છે. ઇંગ્લેન્ડ માટે મોઇન અલી હુકમનો એક્કો બની રહ્યો છે. તેને બે મેચમાં 4 વિકેટ લીધી છે. ઝડપી બોલર ટાઇમન મિલ્સે પ્રભાવિત કર્યાં છે. આ ઉપરાંત શનિવારના મેચમાં આદિલ રશીદ કાંગારૂ બેટધરોને તેની સ્પિન જાળમાં ફસાવી શકે છે.

જો કે ઈંગ્લેન્ડના બેટસમેનોની પણ કાંગારૂ પેસ બેટરી મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવૂડ અને પેટ કમિન્સ સામે અગ્નિપરીક્ષા થશે. ઇંગ્લીશ કપ્તાન ઇયોન મોર્ગનના બેટિંગ પ્રદર્શન પર પણ આ મેચમાં સહુની નજર રહેશે. વિશ્વ કપના અગાઉના મેચોની જેમ આ મુકાબલામાં પણ ટોસની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. ટોસ જીતનાર ટીમ લક્ષ્યનો પીછો કરવાનું પસંદ કરશે.