CIA ALERT

પ્રેરણાદાયી વાત Archives - CIA Live

February 5, 2026
image-5.png
1min22

ભારતીય અન્ડર-19 ક્રિકેટ ટીમનો વિજય ઉત્સવ અને સેન્ચુરી ફટકારનાર બેટ્સમેન આરોન જ્યોર્જ.
સેમિ ફાઇનલમાં કેરળના આરૉનની વિનિંગ સેન્ચુરી અને અમદાવાદના વેદાંત ત્રિવેદીનો વિનિંગ શૉટઃ શુક્રવારે ઇંગ્લૅન્ડ સામે ફાઇનલ

મેન્સ અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ (U-19 WORLD CUP)માં ભારતે જબરદસ્ત પર્ફોર્મ કરીને 10મી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારત (INDIA) પાંચ વખત ટાઇટલ જીત્યું છે અને ચાર વાર રનર-અપ રહ્યું છે.

ઝિમ્બાબ્વેના હરારેમાં ભારતે અફઘાનિસ્તાન સામે 311 રનનો લક્ષ્યાંક માત્ર 41.1 ઓવરમાં ત્રણ જ વિકેટના ભોગે (53 બૉલ અને સાત વિકેટ બાકી રાખીને) મેળવી લીધો હતો. અન્ડર-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં 311 રનનો સૌથી મોટો ટાર્ગેટ સફળતાપૂર્વક મેળવીને ભારતે નવો ઇતિહાસ રચ્યો છે. અમદાવાદના વેદાંત ત્રિવેદી (પાંચ અણનમ)એ વિનિંગ રન બનાવ્યો હતો.

આપણ વાચો: અન્ડર-19 વર્લ્ડ કપમાં આજે ભારતની સેમિ ફાઈનલ, અફઘાનિસ્તાન સામે 10-2નો જીત-હારનો રેશિયો

ઓપનર આરોન જ્યોર્જ (115 રન, 104 બૉલ, બે સિક્સર, પંદર ફોર) આ જીતનો સુપરસ્ટાર હતો. તે 40મી ઓવરમાં ભારતને 300 રન સુધી પહોંચાડ્યા બાદ આઉટ થયો હતો. ભારતે આ સેમિ ફાઇનલ જીતી લીધી અને હવે શુક્રવારે, છઠ્ઠી ફેબ્રુઆરીએ (બપોરે 1.00 વાગ્યાથી) હરારેમાં જ ભારતનો ઇંગ્લૅન્ડ સામે ફાઇનલમાં મુકાબલો થશે.

વૈભવ સૂર્યવંશી (68 રન, 33 બૉલ, ચાર સિક્સર, નવ ફોર)ની વિકેટ ગુમાવ્યા પછી આરૉન જ્યોર્જ અને કૅપ્ટન આયુષ મ્હાત્રે (62 રન, 59 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 114 રનની મોટી ભાગીદારી થઈ હતી.

સૂર્યવંશીની જેમ મ્હાત્રેએ પણ વિકેટ ગુમાવતાં પહેલાં ભારતને વિજય માટે મજબૂત પાયો નાખી આપ્યો હતો. તેની વિકેટ બાદ ઓપનર જ્યોર્જ સાથે વિહાન મલ્હોત્રા (38 અણનમ, 47 બૉલ, ત્રણ ફોર) જોડાયો હતો અને છેલ્લે વિહાને વેદાંત સાથે મળીને 11 રનની મહત્ત્વપૂર્ણ અતૂટ ભાગીદારીથી ભારતની નૌકા પાર કરાવી હતી. અફઘાનિસ્તાનના નૂરીસ્તાની ઓમરઝાઇએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

એ પહેલાં, અફઘાનિસ્તાને બૅટિંગ લીધા બાદ 50 ઓવરમાં ચાર વિકેટે 310 રન કર્યા અને ભારતને 311 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો ત્યારે એવું લાગતું હતું કે ભારત માટે આ ટાર્ગેટ મુશ્કેલ બની શકે. જોકે હાર્ડ હિટર્સથી ભરેલી ભારતીય ટીમની બૅટિંગ લાઇન-અપ આ ટૂર્નામેન્ટમાં શરૂઆતથી જ ભરોસાપાત્ર રહી છે અને આ લાઇન-અપ છેક છઠ્ઠા-સાતમા નંબર સુધીની હોવાથી ભારતના વિજયની સંભાવના વધુ હતી અને ભારતે જીતીને બતાવ્યું.

અફઘાનિસ્તાન વતી ફૈસલ શિનોઝાદા (93 બૉલમાં 110 રન) અને ઉઝૈરુલ્લા નિયાઝાઇ (86 બૉલમાં અણનમ 101)ની સેન્ચુરીએ ભારત માટે જીતવું મુશ્કેલ કરી દીધું હતું, પરંતુ ભારતના ટૉપ-ઑર્ડરે અફઘાનિસ્તાનને પરાજય તરફ ધકેલી દીધું. ભારતના છ બોલર અફઘાની બૅટ્સમેનોને કાબૂમાં નહોતા રાખી શક્યા.

ફૈસલ-ઉઝૈરુલ્લા વચ્ચે ત્રીજી વિકેટ માટે 148 રનની ભાગીદારી થઈ હતી. દીપેશ દેવેન્દ્રન તથા કનિષ્ક ચૌહાણને બે-બે વિકેટ મળી હતી. હેનિલ પટેલ, ખિલન પટેલ, આર. એસ. અંબરિશ અને કૅપ્ટન આયુષ મ્હાત્રેને વિકેટ નહોતી મળી. ઉલ્લેખનીય છે કે ઇંગ્લૅન્ડની ટીમ મંગળવારની સેમિ ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું હતું.

December 31, 2025
image-28.png
1min42

ભારતીય (India) મહિલા ટીમે Dated 30/1222 મંગળવારે અહીં અંતિમ ટી-20 15 રનથી જીતીને શ્રીલંકા (Sri Lanka)નો 5-0થી વાઇટવૉશ કર્યો હતો. ટી-20માં ભારતની 5-0ના વાઇટવૉશ સાથેની આ ત્રીજી જીત છે. શ્રીલંકાની બૅર્ટ્સને ભારતીય બોલર્સે સતતપણે અંકુશમાં રાખી હતી. શ્રીલંકા 176 રનના લક્ષ્યાંક સામે સાત વિકેટે 160 રન બનાવી શકી હતી. દીપ્તિ શર્મા ટી-20માં સૌથી વધુ (152) વિકેટ લેનાર બોલર બની છે.

પેસ બોલર અમનજોત કૌરે 12મી ઓવરમાં હૅસિની (65 રન) અને દુલાની વચ્ચેની 79 રનની ભાગીદારી તોડી હતી. કવર્સમાં શેફાલીએ દુલાની (50 રન)નો કૅચ ઝીલ્યો હતો. ભારતની તમામ છ બોલર (દીપ્તિ, અરુંધતી, સ્નેહ રાણા, વૈષ્ણવી, શ્રી ચરની, અમનજોત)ને એક-એક વિકેટ મળી હતી. એક બૅટર રનઆઉટ થઈ હતી.

એ પહેલાં,

ભારતે બૅટિંગ મળ્યા બાદ નબળી શરૂઆત કર્યા પછી ધમાકેદાર અંત જોયો હતો. 11મી ઓવરમાં ભારતનો સ્કોર પાંચ વિકેટે માત્ર 77 રન હતો, પરંતુ કૅપ્ટન હરમનપ્રીત કૌર (68 રન, 43 બૉલ, એક સિક્સર, નવ ફોર) તેમ જ અમનજોત કૌર (21 રન) અને અરુંધતી રેડ્ડી (27 અણનમ)એ ટીમના સ્કોરને પોણાબસો સુધી (7/175) પહોંચાડ્યો હતો.

હરમનપ્રીત (Harmanpreet) અને અમનજોત વચ્ચે 38 બૉલમાં 61 રનની ભાગીદારી થઈ હતી. ત્યાર પછી સ્નેહ રાણા (આઠ રન) અને રેડ્ડી વચ્ચે 14 બૉલમાં અણનમ 33 રનની પાર્ટનરશિપ થઈ હતી. આ બે ભાગીદારી શ્રીલંકાને સૌથી ભારે પડી હતી.

સ્મૃતિ મંધાના મંગળવારની મૅચમાં તો નહોતી, પણ તેણે સતત બીજું વર્ષ સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન સાથે પૂરું કર્યું. 2025માં તે 1,703 રન સાથે મોખરે હતી. 2024માં તેના 1,659 રન તમામ મહિલા બૅટર્સમાં હાઇએસ્ટ હતા.

December 2, 2025
image-1.png
1min60

સરકારનો મોટો આદેશઃ સ્માર્ટફોનમાં ઈન્સ્ટોલ થશે સરકારી એપ્લિકેશન, ડિલીટ નહીં

ભારત સરકારે દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડના જોખમો અને મોબાઇલ ચોરીને રોકવા માટે સૌથી મોટું પગલું ભર્યું છે. સરકારે તમામ મોબાઇલ કંપનીને આદેશ આપ્યો છે કે તેઓ ભારતમાં વેચતા પોતાના નવા ફોનમાં સરકારી સાયબર સુરક્ષા એપ ‘સંચાર સાથી’ને પ્રી-લોડ કરીને વેચે. આ એપ્લિકેશન ચોરાયેલા ફોન શોધવા, બનાવટી IMEI નંબર ઓળખવા અને છેતરપિંડીવાળા કોલ્સની માહિતી મેળવવામાં મદદરૂપ થાય છે. જોકે, આ આદેશથી એપલ જેવી કંપનીઓની ચિંતા વધી છે, જેઓ ફોનમાં પહેલાથી કોઈ એપ ઇન્સ્ટોલ કરીને વેચવાની પોલિસી ધરાવતી નથી.

સરકારે એક આદેશ જારી કર્યો છે કે ભારતમાં બનતા અને વેચાતા તમામ સ્માર્ટફોનમાં ‘સંચાર સાથી’ એપ પહેલેથી હાજર હોવી જોઈએ અને યુઝર તેને અનઇન્સ્ટોલ પણ નહીં કરી શકે. મીડિયાના અહેવાલ મુજબ આ ફેરફાર લાગુ કરવા માટે કંપનીને 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ આદેશથી સ્માર્ટફોન કંપનીઓની ચિંતા વધી ગઈ છે અને તેમણે દાવો કર્યો છે કે આ અંગે તેમની સાથે કોઈ સલાહ-મસલત કરવામાં આવી નથી. સરકારનો હેતુ સ્પષ્ટ છે કે મોબાઇલ ચોરી, નકલી IMEI નંબર, છેતરપિંડીવાળા કોલ અને સાયબર ફ્રોડ જેવી સમસ્યાઓ પર નિયંત્રણ મેળવે.

સરકારે દાવો કર્યો છે કે આ એપ રાષ્ટ્રીય સ્તરે મોબાઇલ સુરક્ષાને મજબૂત બનાવે છે અને ગુનેગારો માટે ચોરીના ફોન વેચવાનું મુશ્કેલ બનાવે છે. આ વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ થયેલી ‘સંચાર સાથી’ એપ અત્યાર સુધીમાં 50 લાખથી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે.

સરકારી આંકડા દર્શાવે છે કે આ એપની મદદથી 3.7 મિલિયનથી વધુ ચોરાયેલા અથવા ખોવાયેલા ફોન બ્લોક કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, ગયા ઓક્ટોબરમાં આ એપ દ્વારા 50 હજાર સ્માર્ટફોન શોધી કાઢવામાં આવ્યા હતા અને 30 મિલિયનથી વધુ નકલી મોબાઇલ કનેક્શન પણ બંધ કરવામાં આવ્યા છે.

ભલે આ આદેશથી સ્માર્ટફોન કંપનીઓની ચિંતા વધી હોય, પરંતુ યુઝરના દૃષ્ટિકોણથી આ નિર્ણય ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે. સ્માર્ટફોન કંપનીઓ પહેલેથી જ તેમના ફોનમાં અન્ય પ્રી-લોડેડ એપ્સ આપતી હોય છે, તેથી એક વધારાની સુરક્ષા એપ ઉમેરાવાથી યુઝરને ખાસ ફરક નહીં પડે.

ઉલટાનું, આ એપ દ્વારા યુઝર્સને સાયબર જોખમોથી સુરક્ષિત રહેવા, ચોરાયેલા ફોન પાછા મેળવવા અથવા બ્લોક કરાવવા, નકલી નંબર/IMEI નંબરની ફરિયાદ કરવા અને શંકાસ્પદ નંબરોને ચેક કરવા જેવી મહત્વની સુવિધાઓ સરળતાથી મળી રહેશે. તેથી, સરકારનો આ નિર્ણય યુઝર્સની સુરક્ષા માટે એક સકારાત્મક પગલું છે.

November 25, 2025
image-19.png
3min89

Ayodhya Ram Mandir: આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજા ચડાવવામાં આવશે. નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના જ ગયા વર્ષે મંદિરમાં દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. હવે શિખર સાથે આખું મંદિર બનીને તૈયાર થયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવશે. ખાસ વાત એ છે કે શિખર પર લગાવવામાં આવેલો ધ્વજ દંડ અને ધ્વજા બંને અમદાવાદમાં બનાવવામાં આવ્યા છે.

ધ્વજા ચડાવવાનો સંપૂર્ણ કાર્યક્રમ

આજે Date 25/11/2025 બપોરે 12 વાગ્યે વડાપ્રધાન મોદી શ્રી રામ મંદિરમાં ભગવા રંગની ધ્વજા ચડાવશે. સાથે સાથે મંદિરમાં ભગવાન શ્રી રામની પૂજા-અર્ચના પણ કરશે. કાર્યક્રમ સવારે 10 વાગ્યે શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા એરપોર્ટથી હેલિકોપ્ટરથી સાકેત વિશ્વવિદ્યાલય પહોંચશે. ત્યાં રોડ શો કરી મંદિર સુધી પહોંચશે. મંદિરમાં આજે સામાન્ય શ્રદ્ધાળુઓને એન્ટ્રી આપવામાં આવશે નહીં. જે તે મહેમાનને QR કોડની મદદથી જ એન્ટ્રી મળશે.

ધર્મ ધ્વજની ખાસિયતો

રામ મંદિરના શિખર પર શોભવા જઈ રહેલા ધ્વજનું નામ ‘ધર્મ ધ્વજ’ છે. તેના ઉપર સૂર્યની આકૃતિ હોવાથી તે ‘સૂર્ય ધ્વજ’ તરીકે પણ ઓળખાઈ રહ્યો છે. આ ધ્વજ હવામાનના પ્રતિકૂળ પરિબળો જેવા કે તીવ્ર તાપ, ભારે વરસાદ અને 60 કિ.મી. પ્રતિ કલાક જેટલી તીવ્ર ગતિના પવનો સામે ટકી રહે એટલો મજબૂત છે.

ધર્મ ધ્વજની લંબાઈ- 22 ફૂટ

પહોળાઈ- 11 ફૂટ

વજન- 2.5 કિલો

રંગ- કેસરી

ધ્વજ પર અંકિત પ્રતીકો- ચક્ર, સૂર્ય, ૐ, કોવિદાર વૃક્ષ

મટીરિયલ- નાયલોન અને રેશમના મિશ્રણથી બનેલું પોલિમર ફેબ્રિક

આયુષ્ય- ત્રણ વર્ષ (દર ત્રણ વર્ષે નવા ધ્વજનું આરોહણ કરાશે)

ધ્વજનો થાંભલો અમદાવાદમાં બનાવાયો છે

આ ધ્વજ જે થાંભલા પર લહેરાશે તે સ્ટીલનો બનેલો છે. તેનું વજન સાડા પાંચ ટન (5500 કિલોગ્રામ) જેટલું છે. 44 ફૂટ ઊંચો આ થાંભલો અમદાવાદના કારીગરોએ તૈયાર કર્યો છે. થાંભલાની ઊંચાઈને ધ્યાનમાં લેતા ધ્વજ જમીનથી લગભગ 205 ફૂટની ઊંચાઈએ ફરકશે.

ધ્વજની સ્થાપના માટે અનોખી યાંત્રિક વ્યવસ્થા

રામમંદિરના શિખર પર ધ્વજને ફરકાવવા માટે વપરાતું દોરડું અત્યંત મજબૂત અને ભારે છે, તેથી તેને માનવબળ વડે ખેંચવું કઠિન અને જોખમભર્યું છે. આ પડકારના નિરાકરણ માટે વિશેષ રીતે ડિઝાઇન કરાયેલી યાંત્રિક સિસ્ટમ ગોઠવાઈ છે. આ સિસ્ટમમાં દોરડાને બે બાજુ સંતુલિત રાખવા અને સરળતાથી ખેંચવા અને ઢીલ આપવા વિશિષ્ટ મશીનો લગાવાયા છે.

અમદાવાદમાં તૈયાર કરાયેલી ધ્વજાની ખાસિયત:

અયોધ્યા રામ મંદિર માટે અન્ય કઈ કઈ વસ્તુઓ અમદાવાદમાં તૈયાર કરાઈ?

મુખ્ય મંદિર તથા આસપાસના 6 મંદિરના ધ્વજ દંડ

મંદિર ઉપર લાગતાં કડા

મંદિરના દરવાજાના હાર્ડવેર

મંદિર માટેની દાનપેટી

ભગવાનના આભૂષણ મૂકવા માટે બ્રાસનું કબાટ

વૈદિક સાહિત્ય આધારિત પ્રતીકોનું આધ્યાત્મિક અર્થઘટન

આ ધ્વજ એક ગહન આધ્યાત્મિક સંદેશવાહક છે. તેના પર અંકિત દરેક પ્રતીકનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ છે. ધ્વજનો કેસરી રંગ ત્યાગ, પવિત્રતા અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક મનાય છે. ધ્વજના મધ્યભાગમાં અંકિત ચક્ર ધર્મ અને ન્યાયની ગતિશીલતાનું પ્રતિનિધિત્વ કરે છે. ચક્ર સાથે સૂર્યવંશનું પ્રતિનિધિત્વ કરતો સૂર્ય, સર્વવ્યાપી પરમાત્માનું ચિહ્ન ‘ૐ’ અને વાલ્મીકિ રામાયણમાં વર્ણવેલ પવિત્ર કોવિદાર (બકુલ) વૃક્ષનું પ્રતીક પણ શોભાયમાન છે. આ બધાં પ્રતીકો ભગવાન રામના જીવન, મૂલ્યો અને સિદ્ધાંતો સાથે ગહન રીતે જોડાયેલા છે. તેથી આ ધ્વજની સંપૂર્ણ ડિઝાઇન વેદિક સાહિત્ય પર આધારિત છે.

ભારતીય સેનાનો સહયોગ

આ ઐતિહાસિક ઘટનાની તૈયારી અત્યંત સચોટ અને વ્યવસ્થિત રીતે થઈ રહી છે. ધ્વજના વિશાળ આકાર, ઊંચાઈ અને સંવેદનશીલ પ્રકૃતિને લીધે તેને ખૂબ કાળજીપૂર્વક ફરકાવવું પડે એમ હોવાથી આ કામ ભારતીય સેનાને સોંપાયું છે. સેનાના જવાનો ધ્વજ ફરકાવવાની સમગ્ર પ્રક્રિયાના વ્યાપક રિહર્સલ પણ કર્યું હતું, જેથી સમારોહના દિવસે બધું નિર્વિઘ્ને પૂર્ણ થઈ શકે. સેનાના અધિકારીઓએ ધ્વજના વજન અને યાંત્રિક પદ્ધતિમાં સુધારા માટે પણ મહત્ત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. શરુઆતમાં ધ્વજનું વજન 11 કિલોગ્રામ રાખવાનો પ્રસ્તાવ હતો, પરંતુ સેનાના સૂચન પર તેને હળવો બનાવાયો હતો, જેથી દોરડા પરનું દબાણ ઘટે.

આ ઐતિહાસિક ક્ષણનો સમારોહ 25 નવેમ્બર, 2025ના રોજ આયોજિત છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને ધ્વજ સ્થાપનાનો શુભારંભ કરશે. રામ મંદિર ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રા અને તેમના પત્ની સમારોહના મુખ્ય યજમાન છે. ધ્વજ સ્થાપના અગાઉના દિવસોમાં વિસ્તૃત ધાર્મિક વિધિ કરાઈ રહી છે. અયોધ્યા અને કાશીના પ્રખ્યાત વિદ્વાનો દ્વારા નવગ્રહ પૂજા, યજ્ઞ, વેદોના શ્લોકો, રામ રક્ષા સ્તોત્ર, વાલ્મીકિ રામાયણ અને રામચરિત માનસના પાઠ કરીને પવિત્ર વાતાવરણ સર્જાઈ રહ્યું છે.

November 22, 2025
image-15.png
2min168

દેશમાં આજથી ચાર નવા લેબર કોડ લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. નવા કાયદામાં શ્રમિકો અને નોકરીદાતાના હિતમાં અનેક બાબતો સામે કરાઈ છે. કાયદા મુજબ હવે નવા શ્રમિકોને ફરજિયાત નિમણૂક પત્ર આપવા પડશે. આ ઉપરાંત સમયસર પગાર અને લઘુતમ વેચન પણ આપવું પડશે. કેન્દ્ર સરકારે જૂના 29 શ્રમ કાયદાઓ ખતમ કરીને ચાર નવા કાયદા લાગુ કર્યા છે. સરકારે કહ્યું છે કે, નવા કાયદાના કારણે શ્રમિકોની સુરક્ષા વધશે, ઉદ્યોગો માટે પણ સ્પર્ધાત્મક વાતાવરણ બનશે. શ્રમ મંત્રાલયે જણાવ્યું છે કે, નવા કાયદા દ્વારા તમામ શ્રમિકોને, ખાસ કરીને અનૌપચારિક ક્ષેત્રના કામદારો, ગિગ વર્કર્સ, પ્રવાસી મજૂરો અને મહિલાઓ માટે શ્રેષ્ઠ વેતન, સામાજિક સુરક્ષા અને સ્વાસ્થ્ય-સુરક્ષાની ખાતરી આપવામાં આવશે.

ચાર નવા કાયદા

(1) Code on Wages (2019)

(2) Industrial Relations Code (2020)

(3) Code on Social Security (2020)

(4) Occupational Safety, Health & Working Conditions (OSHWC) Code (2020)

ચાર નવા કાયદાઓની મુખ્ય બાબતો…

1… નિમણૂંક પત્ર : હવે તમામ શ્રમિકોની નોકરી શરુ થાય તે સમયે નિમણૂક પત્ર આપવાનું ફરજિયાત કરાયું છે. આનાથી રોજગાર અને શરતોમાં પારદર્શિતા વધશે.

2… લઘુતમ વેતન : દેશભરમાં લઘુતમ વેતન લાગુ કરવામાં આવશે, જેથી કોઈ પણ પગાર એટલો ઓછો ન હોય કે જીવન નિર્વાહ મુશ્કેલ બની જાય.

3.. સમયસર પગાર ચૂકવણી : કાયદાકીય રીતે નોકરીદાતાઓએ કર્મચારીઓને સમયસર પગાર ફરજિયાત ચૂકવવાનો રહેશે.

4… સ્વાસ્થ્ય અને સુરક્ષા : 40 વર્ષથી વધુ ઉંમરના તમામ શ્રમિકો માટે વાર્ષિક મફત આરોગ્ય તપાસ (Health Checkup) ફરજિયાત કરવામાં આવશે. આ ઉપરાંત, એક રાષ્ટ્રીય OSH બોર્ડ દ્વારા ઉદ્યોગોમાં સુરક્ષા ધોરણોને એકસમાન (સમાનરૂપ) બનાવવામાં આવશે.

5… મહિલાઓ માટે સમાનતા : મહિલાઓ હવે રાતની શિફ્ટમાં કામ કરી શકશે, જેની અગાઉ ઘણા સેક્ટરોમાં મંજૂરી નહોતી. જોકે આ માટે નોકરી દાતાએ સુરક્ષાનાં પગલાં અને તેમની મંજૂરી સુનિશ્ચિત કરવી પડશે.

6… અનૌપચારિક શ્રમિકોને સુરક્ષા : ગિગ વર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સને પ્રથમ વખત કાનૂની ઓળખ મળશે. તેમને પીએફ, વીમો અને પેન્શન જેવા સામાજિક સુરક્ષા લાભો મળી શકશે અને પ્લેટફોર્મ કંપનીઓએ તેમના માટે યોગદાન આપવું પડશે.

7… કાનૂની અનુપાલન સરળ : હવે અનેક રજિસ્ટ્રેશન અને રિપોર્ટિંગ પ્રક્રિયાઓને બદલે સિંગલ લાઇસન્સ અને સિંગલ રિટર્ન મોડેલ આવશે, જેનાથી કંપનીઓ પરનો અનુપાલન બોજ ઘટશે.

વિવાદોનું સમાધાન કરવા માટે બે સભ્યનું ટ્રિબ્યુનલ

આ ઉપરાંત નવી વ્યવસ્થામાં ‘ઇન્સ્પેક્ટર-કમ-ફેસિલિટેટર’ હશે, જેઓ મોટાભાગે માર્ગદર્શન આપશે અને દંડાત્મક કાર્યવાહી નહીં કરે. ઔદ્યોગિક વિવાદોનું સમાધાન કરવા માટે બે સભ્યનું ટ્રિબ્યુનલ હશે, જ્યાં કર્મચારીઓ સીધી રીતે જઈ શકે છે. સરકારનો દાવો છે કે, આ સંહિતાઓના કારણે શ્રમિકોને વ્યાપક સામાજિક સુરક્ષા અને સન્માન મળશે, જ્યારે ઉદ્યોગોને ઓછી જટિલતા અને શ્રેષ્ઠ મૂડી રોકાણ માટેની તક મળશે.

November 12, 2025
image-11.png
1min129

સિંગર પલક મુચ્છલે પોતાના ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ભારત અને તેની બહારના વંચિત ૩૮૦૦ બાળકોને હૃદયની શશ્ત્રક્રિયા માટે પૈસા ભેગા કરી આપવામાં સહાય કરી હતી. આ સદ્કાર્ય માટે તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સહિતની રેકોર્ડ બુક્સમાં સ્થાન મળ્યું છે. તે પોતાના દરેક સંગીત કાર્યક્રમની કમાણી અને પોતાની બચતને જીવન રક્ષક ચિકિત્સા કાર્યોમાં ઉપયોગમાં લે છે.

આ ઉપરાંત તે વરસોથી કારગિલ શહિદોના પરિવારોની મદદ કરી હતી અને ગુજરાત ભૂકંપ પીડિતોની રાહત માટે ૧૦ લાખ રૂપિયાનું યોગદાન પણ આપ્યું હતું.

પલકે મેરી આશિકી, કૌન તુઝે અને પ્રેમ રતન ધન પાયો જેવા ગીતો સાથે પોતાની સંગીતની કારકિર્દી શરૂ કરી હતી.

November 8, 2025
image-2.png
1min85

કમોસમી વરસાદન માર સહન કરી રહેલા ખેડૂતો માટે ગુજરાત સરકારે રૂ. 10,000 કરોડનું જંગી પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતોના ઊભા પાકને થયેલા પારાવાર નુકસાનને ધ્યાનમાં રાખી મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારે શુક્રવારે સાંજે આ નિર્ણય સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર જાહેર કર્યો હતો.

અગાઉ મુખ્ય પ્રધાને કૃષિ, મહેસૂલ અને નાણા વિભાગના અધિકારીઓ સાથે એક બેઠક બોલાવી હતી. જોકે અગાઉ પણ તેમણે સતત બેઠકો કરી પરિસ્થિતિ સમીક્ષા કરી હતી. હવે સરકાર પેકેજના માપદંડો, જોગવાઈઓ વગેરેને અંતિમ રૂપ આપી દરેક પાત્ર ખેડૂતને સહાય મળી રહે તે પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરશે.

માવઠા બાદ સરકારે સર્વે કર્યો હતો અને મુખ્ય પ્રધાન સહિત કેબિનેટના પ્રધાનોએ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી. એક અહેવાલ પ્રમાણે લગભગ 42 લાખ હેક્ટરથી વધારે અને 16 હજાર ગામથી વધારે ગામોમાં નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે.

મુખ્ય પ્રધાને તેમના એક્સ હેન્ડલ પર લખ્યું હતું કે ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.

આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.

રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું.

આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.

અગાઉ રાજ્ય સરકારે મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી હતી.

November 3, 2025
image.png
1min133

ભારતની મહિલા ક્રિકેટરોએ Date 02/11/2025, રવિવારે નવો ઇતિહાસ સર્જ્યો. તેમણે અહીં ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાને વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં બાવન રનથી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. ભારતીય મહિલા ક્રિકેટરો પહેલી જ વાર વર્લ્ડ કપ જીતી છે. અગાઉ બે વખત 2005માં અને 2017માં ફાઇનલમાં હારી ગયા બાદ ભારતે ત્રીજી વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો અને સર્વોચ્ચ ટ્રોફી જીતી લીધી.

ભારતના પુરુષોની વન-ડે ટીમે 1983માં કપિલ દેવના નેતૃત્વમાં પહેલી વર્લ્ડ કપ ટ્રોફી મેળવી હતી અને હવે હરમનપ્રીત કૌરે ભારતની મહિલા ક્રિકેટને આ અપ્રતિમ સિદ્ધિ અપાવી છે. ઘરઆંગણે આવેલી ટ્રોફીને ભારતીય ટીમે પોતાના કબજામાં કરી જ લીધી. હરમનપ્રીત, વાઇસ કૅપ્ટન સ્મૃતિ મંધાના સહિત તમામ ભારતીય ખેલાડીઓ ભાવુક થઈને રડી હતી, એકમેકને ભેટી હતી. બીજી તરફ, સાઉથ આફ્રિકાની પ્લેયર્સ પરાજયના આઘાતમાં હતાશ હતી.

વરસાદના વિઘ્નોને કારણે લગભગ બે કલાક મોડી શરૂ થયેલી ફાઇનલમાં સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. પ્રથમ બૅટિંગ મળ્યા બાદ ભારતે 50 ઓવરમાં સાત વિકેટે 298 રન કર્યા હતા જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 45.3 ઓવરમાં 246 રને ઑલઆઉટ થઈ હતી. સ્પિન-ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા (9.3-0-39-5) ફાઇનલની સુપરસ્ટાર બોલર હતી. બીજી બે સ્પિનર શેફાલી વર્માએ બે વિકેટ અને શ્રી ચરનીએ એક વિકેટ લીધી હતી.

ભારતે બૅટિંગ મળ્યા બાદ 50 ઓવરમાં સાત વિકેટે 298 રન કરીને સાઉથ આફ્રિકાને 299 રનનો તોતિંગ તથા મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો હતો. સાઉથ આફ્રિકાની કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટ સહિત કેટલીક ગણતરીની બૅટર્સને ભારતીય બોલર્સ કાબૂમાં રાખતાં ભારતીય મહિલાઓ માટે પહેલી વર્લ્ડ કપ ટ્રોફી જીતવી મુશ્કેલ કામ નહોતું એવું મનાતું હતું અને થયું પણ એવું જ. વિમેન ઇન બ્લૂ ટ્રોફી જીતીને રહી.

ભારતના 298 રનમાં ખાસ કરીને શેફાલી વર્મા (87 રન, 78 બૉલ, બે સિક્સર, સાત ફોર), દીપ્તિ શર્મા (58 રન, 58 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર), સ્મૃતિ મંધાના (45 રન, 58 બૉલ, આઠ ફોર) તેમ જ વિકેટકીપર રિચા ઘોષ (34 રન, 24 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ના યોગદાન હતા. જેમિમા રૉડ્રિગ્સે 24 રન અને કૅપ્ટન હરમનપ્રીતે 20 રન કર્યા હતા. પેસ બોલર આયાબૉન્ગા ખાકાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

ઇંગ્લૅન્ડ સામેની સેમિ ફાઇનલમાં સેન્ચુરી (169 રન) કરનાર કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટે રવિવારે લડાયક ઇનિંગ્સ (101 રન, 98 બૉલ, એક સિક્સર, અગિયાર ફોર)માં સદી ફટકારી ત્યારે સેલિબ્રેશન ટાળ્યું હતું, કારણકે તેની ટીમ હારી રહી હતી. છેવટે 42મી ઓવરમાં વૉલ્વાર્ટે દીપ્તિ શર્માના બૉલમાં બિગ શૉટ માર્યો અને મિડ વિકેટ પરથી દોડી આવેલી અમનજોત કૌરે જગલિંગ ઍક્ટમાં (ત્રીજા અટૅમ્પ્ટમાં) તેનો અફલાતૂન કૅચ ઝીલી લીધો હતો. એ સાથે ફાઇટિંગ સ્પિરિટ સાથે રમેલી ઓપનર વૉલ્વાર્ટની યાદગાર ઇનિંગ્સનો અંત આવ્યો હતો.

વૉલ્વાર્ટ ઓપનિંગમાં આવ્યા બાદ આઉટ જ નહોતી થતી એટલે ભારતીય બોલર્સે તેની સામા છેડા પરની બૅટરને લક્ષ્યાંક બનાવી હતી અને એક પછી એક બૅટરને આઉટ કરીને સાઉથ આફ્રિકાની ટીમને માનસિક દબાણમાં લાવી હતી. ભારતીય ફીલ્ડર્સની ફીલ્ડિંગ થોડી ખરાબ હતી. જોકે દીપ્તિએ 36મી ઓવરમાં ડર્કસેન (35 રન)નો કૅચ છોડ્યા બાદ તેને આઉટ કરી હતી.

ભારતની સાવચેતીભરી શરૂઆત

સાંજે ભારતે બૅટિંગ મળ્યા બાદ સાવચેતીભરી શરૂઆત કરી હતી અને પછીથી આક્રમક અભિગમ અપનાવ્યો હતો. ઓપનર્સ શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ ચોક્કા પર ચોક્કા ફટકારીને હજારો પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું અને જીત માટેનો પાયો નાખવાની શરૂઆત કરી હતી.

સ્મૃતિ આઉટ, જેમિમાની એન્ટ્રીથી પબ્લિક ખુશ

ભારતે 18મી ઓવરમાં 100 રન પૂરા કર્યા બાદ ઓપનર સ્મૃતિ મંધાનાએ વિકેટ ગુમાવી હતી. લેફ્ટ-આર્મ સ્પિનર ક્લૉ ટ્રાયૉનને આ મૅચમાં પહેલી જ વખત બોલિંગ મળી અને તેણે સ્મૃતિની વિકેટ અપાવી હતી. સ્મૃતિની વિકેટ પડ્યા બાદ જેમિમા રૉડ્રિગ્સ મેદાન પર ઊતરતાં જ હજારો પ્રેક્ષકોએ તેને તાળી પાડીને તેમ જ તેના નામનાં બૅનર સાથે આવકારી હતી. મેન્સ ક્રિકેટમાં દાયકાઓથી જેમ કોઈ લોકપ્રિય ખેલાડી મેદાન પર આવતાં પ્રેક્ષકો ખુશી વ્યક્ત કરતા હોય છે એવું હવે મહિલા ક્રિકેટમાં પણ જોવા મળ્યું છે.

શેફાલી પ્રથમ સેન્ચુરી ચૂકી

ભારતની યુવાન અને આક્રમક ઓપનર શેફાલી વર્મા (87 રન) ધમાકેદાર પર્ફોર્મ કરીને માત્ર 13 રન માટે વન-ડે કરીઅરની પહેલી સેન્ચુરી ચૂકી ગઈ હતી. તેણે સ્મૃતિ મંધાના (45 રન) સાથે 104 રનની અને જેમિમા રૉડ્રિગ્સ (24 રન, 37 બૉલ, એક ફોર) સાથે 62 રનની ભાગીદારી કરી હતી. ઑસ્ટ્રેલિયા સામેની સેમિ ફાઇનલમાં મૅચ-વિનિંગ અણનમ 127 રન કરનાર જેમિમા પેસ બોલર ખાકાના બૉલમાં કૅપ્ટન વૉલ્વાર્ટને કૅચ આપી બેઠી હતી. એ પહેલાં, ખાકાના જ બૉલમાં શેફાલી સુન લુસના હાથમાં કૅચઆઉટ થઈ હતી.

ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં ભારતે 35 ઓવરમાં 200 રન પૂરા કર્યા પછી રનમશીનને વેગ આપ્યો હતો, પરંતુ 223મા રને હરમનપ્રીત ક્રૉસ બૅટથી રમવા જતાં ક્લીન બોલ્ડ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકન ફીલ્ડર્સની ખરાબ ફીલ્ડિંગ વચ્ચે 40 ઓવરમાં ભારતનો સ્કોર 4/229 હતો. ત્યાર બાદ સ્કોર થોડો ધીમો પડી ગયો હતો અને 42મી ઓવરને અંતે સ્કોર 4/243 હતો. દીપ્તિ શર્મા (41 રન) સાથે અમનજોત કૌર (11 રન) રમી રહી હતી.

October 31, 2025
image-19.png
1min165

ICC મહિલા વર્લ્ડ કપ 2025ની બીજી સેમીફાઈનલમાં ગુરૂવારે (30 ઓક્ટોબર) ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ જીત સાથે જ ભારત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે 2 નવેમ્બરે ભારતીય ટીમ ફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે ટકરાશે.

ઓસ્ટ્રેલિયાએ ટીમ આ ટૂર્નામેન્ટમાં આ મેચ સિવાયની તમામ મેચ જીતી હતી, પરંતુ ભારતીય ટીમે એલીસ હીલીની ટીમનો વિજય રથ રોકી દીધો. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 49.5 ઓવર 338 રન બનાવ્યા હતા. ઓલઆઉટ થયેલા ઓસ્ટ્રેલિયાએ ભારત માટે 339 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ભારત માટે જેમિમાએ સદી ફટકારી અને કેપ્ટન હરમનપ્રીત સાથે ત્રીજી વિકેટ માટે 167 રનોની ભાગીદારી કરી જેનાથી ભારતે 48.3 ઓવરમાં પાંચ વિકેટ પર 341 રન બનાવીને મેચ પોતાના નામે કરી.

પુરુષ કે મહિલા ક્રિકેટ નોક આઉટમાં સૌથી મોટો ચેઝ

વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા આખી ટુર્નામેન્ટમાં હાર્યું ન્હોતું પરંતુ હવે તેને બહાર કરી દેવાયું છે. સતત 25 વનડે જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ ભારતીય ટીમ સામે હારી છે. આ વખતે નવો દેશ વર્લ્ડ ચેમ્પિયન બનશે. બીજી તરફ પુરુષ કે મહિલા ક્રિકેટ નોક આઉટમાં સૌથી મોટો ચેઝ કર્યો છે.

ઓસ્ટ્રેલિયાનો પ્રથમ ઇનિંગ્સનો સૌથી મોટો સ્કોર

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 49.5 ઓવરમાં 338 રનમાં થઈ ગયું. આ મહિલા વર્લ્ડ કપ સેમિફાઇનલમાં સૌથી વધુ સ્કોર છે. ઓસ્ટ્રેલિયાએ બુધવારે ગુવાહાટીમાં દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ સેમિફાઇનલમાં સ્થાપિત રેકોર્ડને તોડી નાખ્યો. મહિલા વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં આ બીજો સૌથી વધુ સ્કોર છે. મહિલા વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં સૌથી વધુ સ્કોર 2022માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ફાઇનલમાં બન્યો હતો. તે સમયે ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે 356 રન બનાવ્યા હતા. આ ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ કપમાં ભારત સામે પ્રથમ ઇનિંગ્સનો સૌથી મોટો સ્કોર છે. ત્યારે ભારતીય મહિલા ટીમે નોક આઉટમાં સૌથી મોટો ચેઝ કર્યો છે.

જેમિમાએ ગૌતમ ગંભીરનો રેકોર્ડ તોડ્યો

જેમિમાએ ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં અણનમ 127 રન ફટકાર્યા, જે વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની. ગંભીરે અગાઉ 2011ના વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં શ્રીલંકા સામે 97 રન બનાવીને વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં ભારત માટે સૌથી વધુ ઇનિંગ્સનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે, જેમિમાહએ ગંભીરને પાછળ છોડી દીધો છે.

વર્લ્ડ કપમાં નોકઆઉટમાં ભારતનો સૌથી વધુ ઇનિંગ્સ (પુરુષો અને મહિલા)

127* રન – જેમિમા રોડ્રિગ્સ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, સેમિફાઇનલ, 2025
97 રન – ગૌતમ ગંભીર વિરુદ્ધ શ્રીલંકા, ફાઇનલ, 2011
91* રન – એમએસ ધોની વિરુદ્ધ શ્રીલંકા, ફાઇનલ, 2011
89 રન – હરમનપ્રીત કૌર વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, સેમિફાઇનલ, 2025
હરમનપ્રીત અને જેમીમાએ બનાવ્યો નવો રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા સામે મહિલા વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમીમા રોડ્રિગ્ઝે શાનદાર બેટિંગ કરી હતી. બંને બેટ્સમેનોએ ભારતની ઇનિંગ્સને સ્થિર રાખી હતી. હરમનપ્રીત અને જેમિમાએ સદીની ભાગીદારી કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો. હરમનપ્રીત અને જેમીમાની ભાગીદારી મહિલા વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં કોઈપણ વિકેટ માટે સૌથી વધુ હતી.

ભારતીય ટીમ ત્રીજી વખત વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. ટીમ આ પહેલા 2005 અને 2017માં પણ ફાઈનલમાં પહોંચી હતી. ભારતે અત્યાર સુધીમાં ક્યારેય વર્લ્ડ કપની ટ્રોફી જીતી નથી અને હવે તેની પાસે ચેમ્પિયન બનવાની શાનદાર તક છે. ભારત માટે જેમિમા 134 બોલ પર 127 રન બનાવીને અણનમ રહી, જ્યારે હરમનપ્રિતે 88 બોલ પર 89 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી કિમ ગાર્થ અને એનાબલ સદરલેન્ડને 2-2 વિકેટ મળી.

મારા પર વિશ્વાસ રાખનારા દરેકનો આભાર: જેમિમા

પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યા પછી જેમિમાએ કહ્યું, ‘સૌ પ્રથમ, હું ભગવાનનો આભાર માનું છું કારણ કે હું એકલી આ કરી શકી ન હોત. હું જાણું છું કે ભગવાન જ મને આ મુશ્કેલ સમયમાંથી પસાર કરાવ્યો. હું મારા માતા, પિતા, મારા કોચ અને આ સમયગાળા દરમિયાન (મારા ખરાબ ફોર્મ દરમિયાન) મારા પર વિશ્વાસ રાખનારા દરેકનો આભાર માનવા માગુ છું. છેલ્લા ચાર મહિના ખરેખર મુશ્કેલ રહ્યા છે, પરંતુ તે એક સ્વપ્ન જેવું લાગે છે અને હજુ સુધી સંપૂર્ણપણે સાકાર થયું નથી.’

October 16, 2025
image-14.png
1min134

અમદાવાદને વર્ષ ૨૦૩૦ના શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળશે તે લગભગ નક્કી થઈ ગયું છે. કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટીવ બોર્ડે  જ ગેમ્સની જનરલ એસેમ્બલીને ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સના યજમાન તરીકે અમદાવાદના નામની ભલામણ કરી છે. હાલના તબક્કે અમદાવાદ એકમાત્ર એવું શહેર છે કે, જેની ભલામણ કરવામાં આવી છે. હવે જનરલ એસેમ્બલીની મિટિંગમાં ૨૬મી નવેમ્બરે અમદાવાદના નામ પર મંજૂરની મહોર મારવાની ઔપચારિકતા જ બાકી રહી ગઈ છે. 

ભારતની સાથે ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મેળવવાની રેસમાં નાઈજીરિયાની રાજધાની અબુજા પણ હતુ. જોકે, કોમનવેલ્થ સ્પોર્ટ્સે  આફ્રિકન દેશને ૨૦૩૪ સહિતની ભાવિ ગેમ્સનું આયોજન સોંપવા માટેના દાવેદાર તરીકે સમર્થન અને વેગ આપવાની સાથે વિકસાવવાનો વ્યુહ અપનાવ્યો હતો. આ કારણે હાલની સ્થિતિમાં ગેમ્સના આયોજન માટેનું દાવેદાર એકમાત્ર અમદાવાદ જ છે. નોંધપાત્ર છે કે, કોમનવેલ્થ ગેમ્સ ૧૯૩૦માં શરુ થયો હતો અને તેની શતાબ્દી ૨૦૩૦માં પુરી થઈ રહી છે. 

કોમનવેલ્થ સ્પોર્ટ્સે એક યાદીમાં જણાવ્યું છે કે, ૨૦૩૦ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સના પ્રસ્તાવિત યજમાન શહેર તરીકે અમારું એક્ઝિક્યુટીવ બોર્ડ અમદાવાદના નામની ભલામણ કરવાનું નક્કી કર્યું છે. હવે અમદાવાદનું નામ હવે પૂર્ણ કોમનવેલ્થ સ્પોર્ટ્સ મેમ્બરશીપ માટે આગળ ધપાવવામાં આવશે. જ્યારે આ અંગેનો અંતિમ નિર્ણય તારીખ ૨૬મી નવેમ્બરે ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલીમાં લેવામાં આવશે. નોંધપાત્ર છે કે, ભારતમાં ૨૦૧૦માં પણ કોમનવેલ્થ ગેમ્સનુ આયોજન થઈ ચૂક્યું છે. ત્યારે આ ગેમ્સ નવી દિલ્હીમાં આયોજીત થઈ હતી.