મહારાષ્ટ્ર સરકારના મહેસૂલ વિભાગે એક મોટું પગલું ભર્યું છે. સરકારે જમીનના 7/12 અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ડિજિટલ 7/12, 8-A અને ફેરફાર ઉતારાને કાયદેસર માન્યતા આપી છે. હવે લોકોને તલાટી ઓફિસ જવાની જરૂર નથી, ફક્ત ₹ 15માં અધિકૃત કોપી મળશે. સત્તાવાર 7/12 મેળવવા માટે લોકોને નાકે દમ આવે છે. ઘણી જગ્યાએ લાંચ આપ્યા વિના સત્તાવાર સાતબાર મળી શકતી નહતી. ક્યારેક, જો કોઈ વ્યક્તિ લાંચ આપવાનો ઇનકાર કરે છે તો તેને તલાટી ઓફિસનો ભ્રષ્ટ સ્ટાફ એવા ચકડોળે ચઢાવે કે જમીનના કામો ટલ્લે ચઢી જાય. જોકે, હવે સરકારના નવા નિર્ણયને કારણે લોકોને તલાટી કચેરીમાં જવાની જરૂર રહેશે નહીં.
આ નિર્ણયથી સેંકડો રખડી પડેલા જમીન સંબંધિત વ્યવહારોનો તાત્કાલિક ધોરણે નિકાલ આવશે અને કરોડો લોકોને મોટો ફાયદો થશે. ડિજિટલ 7/12ને હવે કાનૂની રક્ષણ આપવામાં આવ્યું છે. આ અંગે એક સરકારી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હોવાનું મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ માહિતી આપી હતી.
બાવનકુળેએ X પર એક પોસ્ટમાં કહ્યું છે કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના માર્ગદર્શન હેઠળ મહારાષ્ટ્ર સરકારે ડિજિટલ 7/12, 8-A અને ફેરફાર ઉતારાને કાયદેસર રીતે માન્ય કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.
આ નિર્ણયથી રાજ્યના લોકોને ઘણા ફાયદા થશે જેમ કે ડિજિટલ 7/12ને સત્તાવાર માન્યતા, સત્તાવાર કોપી ફક્ત 15 રૂપિયામાં ઉપલબ્ધ થશે, ઉપરાંત, તલાટીની સહી અને સ્ટેમ્પની જરૂર રહેશે નહીં અને ડિજિટલ સહી, QR કોડ અને 16-અંકના ચકાસણી નંબર સાથે 7/12, 8-A અને ફેરફાર ઉતારા સરળતાથી ઉપલબ્ધ થશે.
આ ડિજિટલ પ્રમાણપત્રો તમામ સરકારી, અર્ધ-સરકારી, બેંકિંગ અને ન્યાયિક કાર્યો માટે માન્ય રહેશે. આ નિર્ણય ખેડૂતો, જમીનમાલિકો અને સામાન્ય નાગરિકોને સુવિધા આપશે. અમારી સરકાર પારદર્શિતા અને ઝડપી સેવાનો એક નવો અધ્યાય લખી રહી છે. મને ખાતરી છે કે રાજ્યના લોકો આ નિર્ણયનું સ્વાગત કરશે.
Indigo Crisis News : ગુરુવારે સતત ત્રીજા દિવસે વિમાનના પ્રવાસીઓની મુશ્કેલીઓનો અંત આવ્યો ન હતો. દેશના ત્રણ મહત્વના એરપોર્ટ પરથી ઇન્ડિગોએ 550 થી વધુ ફ્લાઇટસ ગુરુવારે રદ કરી હતી. મુંબઇ, દિલ્હી, બેંગ્લુરુ, ચેન્નઇ, હૈદ્રાબાદ, અમદાવાદ, કોલકત્તા એમ તમામ એરપોર્ટસ પર પ્રવાસીઓ હેરાન થયા હતા. તેઓ ધારેલા આયોજનોમાં પહોંચી શક્યા ન હતા. જોકે આ તમામ ગરબડ માટે ઈન્ડિગોએ તમામ મુસાફરોની માફી માગી હતી.
સોશિયલ મીડિયા પર મોટાં એરપોર્ટના ટર્મિનલ પર પ્રવાસીઓનાં ટોળાં જામ્યા હોય અને ઈન્ડિગોના સ્ટાફ સાથે બોલાચાલી કરી રહ્યાં હોય તેવાં દ્રશ્યો વાયરલ થયાં હતાં. કેટલાય પ્રવાસીઓએને ફલાઈટ માટે છથી 12 કલાક સુધી રાહ જોવાનો વારો આવતાં તેમનાં બીપી વધી ગયાં હતાં તો કેટલાક પ્રવાસીઓ તેમના મહત્વના આયોજનો ખોરવાઈ જતાં રડી પડયાં હતાં. લોકોએ સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટસ તથા વીડિયો વાયરલ કરી સરકાર પાસે આ પરિસ્થિતિમાંથી ઉગરવા માટે મદદની પોકાર કરી હતી. જોકે, ઈન્ડિગો સત્તાવાળાઓએ હાથ ઊંચા કરી દીધા હતા.
સેંકડો પ્રવાસીઓ નિર્ધારિત ડોમેસ્ટિક એરપોર્ટ પર પહોંચી શક્યા ન હોવાથી કનેક્ટિંગ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટસ પણ ચૂકી ગયા હતા. એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએ ઇન્ડિગો એરલાઇન્સનો જવાબ માગ્યો હતો. ફ્લાઇટસ ખોરવાઇ રહી છે તે બાબતમાં પ્લાન લઇને આવવાનું ઇન્ડિગોને કહેવામાં આવ્યું હતું.
દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે 44 ઇનકમિંગ અને ડિપાર્ટિંગ ફ્લાઇટસ રદ કરાઇ હતી. એક પ્રવક્તાએ કહ્યું કે ગઇકાલના ચેકઇન સિસ્ટમ ખોરવાઇ હતી તે પછી એરલાઇને એરપોર્ટને અને ગ્રાહકોને જાણ કરી હતી. બેંગ્લુરુના કેમ્પેગોવડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કુલ 70 ફ્લાઇટસ રદ થઇ હતી જેમાં 40 ડિપાર્ટિંગ અને 30 ઇનકમિંગ ફ્લાઇઠસ રદ કરાઇ હતી.
મુંબઇ એરપોર્ટ પર 86 ફ્લાઇટસ રદ કરાઇ હતી જેમાં 45 ડિપાર્ટિંગ અને ૪૧ ઇનકમિંગ ફ્લાઇટસ હતી. ચેન્નઇ એરપોર્ટ પર 13 ડિપાર્ટિંગ અને 13 ઇનકમિંગ ફ્લાઇટસ રદ થઇ હતી.
ચેન્નઇમાં હવામાન પ્રતિકૂળ હતું તે પણ એક કારણ હતુ તેવું એક સ્ત્રોતે કહ્યું હતું. એક એરલાઇનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે બુધવારે એરલાઇનનું સર્વર ધીમુ પડી ગયું હતું. બોર્ડિંગ પાસ ઇસ્યુ કરવામાં ઘણો વિલંબ થયો હતો. અને ફ્લાઇટસ પણ મોડી પડી હતી. ઇન્ડિગોમાં કોકપીટ ક્રૂ અને કેબિન ક્રૂ બંનેની શોર્ટેજ ચાલે છે. તાજેતરમાં એક ઇન્ટરનેશનલ એરલાઇને દિલ્હી અને મુંબઇમાં ભરતી ઝુંબેશ હાથ ધરી હતી. તે પણ એક કારણ હોવાનું માનવામાં આવે છે.
ઇન્ડિગોએ એક નિવેદનમાં કહ્યું હતું કે કામકાજ રાબેતા મુજબ કરવા અને સમયસર ફ્લાઇટસ ઉડાડવાનો અમે નિર્ધાર કર્યો છે. અમારો તાત્કાલિક લક્ષ્ય છે. ગ્રાહકોને સારો અનુભવ આપવાનો વાયદો નિભાવવામાં કંપની નિષ્ફળ છે તેવું સીઇઓએ સ્ટાફને મોકલેલા સંદેશમાં કહ્યું હતું સામાન્ય સ્થિતિ બહાલ કરવી સહેલું નથી તેવું તેમણે સ્વીકાર્યું હતું.
ઈન્ડિગો દ્વારા ઓછી ભરતીના કારણે સંકટ: પાયલોટ સંગઠન
ઇન્ડિગો ઘણા સમયથી ક્રૂની ઓછી ભરતી કરવાનું વલણ અપનાવી રહ્યું છે અને પાયલોટસની ભરતી તો લગભગ બંધ કરી દીધુ તેવું ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટસ (એફઆઇપી)એ ગુરુવારે કહ્યું હતું.
એફઆઇપીએ એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએને પત્ર લખીને જણાવ્યું હતું કે ઇન્ડિગોએ ઇન્ડસ્ટ્રીના વલણથી વિપરીત ઓછા મેનપાવર વ્યૂહરચના અપનાવી છે, પાયલોટસના આરામના કલાકો અને ડયુટી- સમયમાં ફેરફારોના નિયમો અંગે કંપનીને જાણ હતી અને ભરતી કરવા બે વર્ષનો સમય મળ્યો હતો. પણ ખર્ચ ઘટાડવા પાયલોટસની નવી ભરતી બંધ કરી હતી. અન્ય એરલાઇન્સના પાયલોટસને નહીં લેવા અંગેના કરારો કર્યા હ તા પાયલોટસના પગાર વધારો અટકાવ્યો હતો.
નવા ક્રૂ- રોસ્ટિંગ ધારા ધોરણે અમલમાં આવ્યા અને શિયાળો, પ્રતિકૂળ હવામાન, એરપોર્ટસનું કન્જેશન વિગેરે પરિબળોના લીધે બફર કેપેસિટી (વધારાના કર્મચારીઓ)ની જરૂર પડી હતી ત્યારે તકલીફ પડી ગઇ છે. ટુંકા ગાળાના નિર્ણયો અને કાર્યક્ષમ ભરોસાપાત્ર નીવડવાને બદલે એરલાઇને ખર્ચ ઘટાડવા પર ધ્યાન આપ્યું હોવાથી આવી કટોકટીનું નિર્માણ થયું છે.
સરકારનો મોટો આદેશઃ સ્માર્ટફોનમાં ઈન્સ્ટોલ થશે સરકારી એપ્લિકેશન, ડિલીટ નહીં
ભારત સરકારે દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડના જોખમો અને મોબાઇલ ચોરીને રોકવા માટે સૌથી મોટું પગલું ભર્યું છે. સરકારે તમામ મોબાઇલ કંપનીને આદેશ આપ્યો છે કે તેઓ ભારતમાં વેચતા પોતાના નવા ફોનમાં સરકારી સાયબર સુરક્ષા એપ ‘સંચાર સાથી’ને પ્રી-લોડ કરીને વેચે. આ એપ્લિકેશન ચોરાયેલા ફોન શોધવા, બનાવટી IMEI નંબર ઓળખવા અને છેતરપિંડીવાળા કોલ્સની માહિતી મેળવવામાં મદદરૂપ થાય છે. જોકે, આ આદેશથી એપલ જેવી કંપનીઓની ચિંતા વધી છે, જેઓ ફોનમાં પહેલાથી કોઈ એપ ઇન્સ્ટોલ કરીને વેચવાની પોલિસી ધરાવતી નથી.
સરકારે એક આદેશ જારી કર્યો છે કે ભારતમાં બનતા અને વેચાતા તમામ સ્માર્ટફોનમાં ‘સંચાર સાથી’ એપ પહેલેથી હાજર હોવી જોઈએ અને યુઝર તેને અનઇન્સ્ટોલ પણ નહીં કરી શકે. મીડિયાના અહેવાલ મુજબ આ ફેરફાર લાગુ કરવા માટે કંપનીને 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ આદેશથી સ્માર્ટફોન કંપનીઓની ચિંતા વધી ગઈ છે અને તેમણે દાવો કર્યો છે કે આ અંગે તેમની સાથે કોઈ સલાહ-મસલત કરવામાં આવી નથી. સરકારનો હેતુ સ્પષ્ટ છે કે મોબાઇલ ચોરી, નકલી IMEI નંબર, છેતરપિંડીવાળા કોલ અને સાયબર ફ્રોડ જેવી સમસ્યાઓ પર નિયંત્રણ મેળવે.
સરકારે દાવો કર્યો છે કે આ એપ રાષ્ટ્રીય સ્તરે મોબાઇલ સુરક્ષાને મજબૂત બનાવે છે અને ગુનેગારો માટે ચોરીના ફોન વેચવાનું મુશ્કેલ બનાવે છે. આ વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ થયેલી ‘સંચાર સાથી’ એપ અત્યાર સુધીમાં 50 લાખથી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે.
સરકારી આંકડા દર્શાવે છે કે આ એપની મદદથી 3.7 મિલિયનથી વધુ ચોરાયેલા અથવા ખોવાયેલા ફોન બ્લોક કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, ગયા ઓક્ટોબરમાં આ એપ દ્વારા 50 હજાર સ્માર્ટફોન શોધી કાઢવામાં આવ્યા હતા અને 30 મિલિયનથી વધુ નકલી મોબાઇલ કનેક્શન પણ બંધ કરવામાં આવ્યા છે.
ભલે આ આદેશથી સ્માર્ટફોન કંપનીઓની ચિંતા વધી હોય, પરંતુ યુઝરના દૃષ્ટિકોણથી આ નિર્ણય ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે. સ્માર્ટફોન કંપનીઓ પહેલેથી જ તેમના ફોનમાં અન્ય પ્રી-લોડેડ એપ્સ આપતી હોય છે, તેથી એક વધારાની સુરક્ષા એપ ઉમેરાવાથી યુઝરને ખાસ ફરક નહીં પડે.
ઉલટાનું, આ એપ દ્વારા યુઝર્સને સાયબર જોખમોથી સુરક્ષિત રહેવા, ચોરાયેલા ફોન પાછા મેળવવા અથવા બ્લોક કરાવવા, નકલી નંબર/IMEI નંબરની ફરિયાદ કરવા અને શંકાસ્પદ નંબરોને ચેક કરવા જેવી મહત્વની સુવિધાઓ સરળતાથી મળી રહેશે. તેથી, સરકારનો આ નિર્ણય યુઝર્સની સુરક્ષા માટે એક સકારાત્મક પગલું છે.
આપણામાંથી અનેક લોકો અજાણ્યા નંબર પરથી આવતા ફોન ઉપાડવાનું ટાળતા હોય છે અને આ નંબર કોનો છે એ જાણવા અનેક લોકો થર્ડ પાર્ટી એપનો સહારો પણ લેતા હોય છે. પરંતુ હવે ટેલિકોમ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા લેવામાં આવેલા એક મહત્ત્વના પગલાંને કારણે નંબર સેવ નહીં હોય તો પણ મોબાઈલ પર કોલ કરનારનું નામ જોવા મળશે. ચોંકી ઉઠ્યા ને? ચાલો તમને આ વિશે વિસ્તારથી જણાવીએ…
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) દ્વારા કોલ કરનારના નંબરની સાથે તેનું નામ પણ સ્ક્રીન પર દેખાવવું જોઈએ એવો પ્રસ્તાવ ટેલિકોમ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ ફીચરને કોલિંગ નેમ પ્રેઝેન્ટેશન (CNAP) તરીકે ઓળખવામાં આવે છે, જે કોલરની જાણકારી તેના રજિસ્ટ્રેશનના આધારે આપશે.
ટ્રાઈની વાત માનીએ તો સીએનએપી સર્વિસ તમામ ભારતીય ટેલિકોમ યુઝર્સ માટે બાય ડિફોલ્ટ ઓન રહેશે. જો કોઈ આ ફિચરનો ઉપયોગ નથી કરવા માંગતું તો તે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરને તેને બંધ કરવા માટે રિક્વેસ્ટ કરી શકે છે.
એક વખત આ ફીચર રોલઆઉટ થઈ જશે ત્યાર બાદ કોલ કરનારની જાણકારી રિસીવરના ફોન નંબર સાથે જોવા મળશે અને આ માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર નહીં રહે. વર્તમાન સમયમાં યુઝર્સ આ માટે ટ્રુકોલર જેવી એપની મદદ લઈ રહ્યા છે. એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છ કે આ પગલાંથી રિસીવરને કોલ કરનારની માહિતી મળશે. આ સિવાય સ્પેમ કોલ્સની સમસ્યાને ઘટાડવામાં પણ મદદ મળશે.
સીએનએપી વિના લેન્ડલાઈન કે મોબાઈલ નંબર માત્ર કોલિંગ લાઈન આઈડેન્ટિફિકેશન હેઠળ જોવા મળે છે. હાલમાં ઈન્ડિયન ટેલિકોમ નેટવર્ક્સ ને માત્ર કોલિંગ લાઈન આઈડેન્ટિફિકેશન ઈનકમિંગ કોલ દરમિયાન દેખાડવાનું હોય છે. સીએનએપીને લઈને કોઈ નિયમ જારી નથી કરવામાં આવ્યા. પરંતુ ટ્રાઈ દ્વારા ડોટના આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાં ડોટ દ્વારા એક ટ્રાયલ કરવામાં આવ્યું હતું કે જેમાં 4જી અને 5જી નેટવર્ક પર આ સર્વિસને સિલેક્ટેડ શહેરોમાં રજૂ કરવામાં આવી હતી. આ સર્વિસને સર્કિટ સ્વીચ અને પેકેટ સ્વીચ નેટવર્ક બંને પર ટેસ્ટ કરવાની કરવાની હતી. જોકે, એમાં અનેક સમસ્યાઓ બાદ માત્ર પેકેટ સ્વીચ નેટવર્ક પર ટેસ્ટ કરવામાં આવી હતી.
છે ને એકદમ કામની અને મહત્ત્વની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જ્ઞાનમાં પણ ચોક્કસ અભિવૃદ્ધિ કરજો હં ને? આવી જ બીજી કામની અને મહત્ત્વની જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ) યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) ટ્રાન્ઝેકશન્સ માટે બાયોમેટ્રિક ચકાસણીનું વધુ એક સિક્યોરિટી ફીચર લોન્ચ કર્યુ છે. ડિજિટલ પેમેન્ટ્સને વધુ સલામત અને સુરક્ષિત બનાવવાની દિશામાં અને ગ્રાહક સગવડ વધારવાની દિશામાં લેવામાં આવેલું આ મહત્ત્વનું પગલું છે. નવા ફીચરને મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ નવા ફીચરનું ઉદઘાટન કરતાં નાણાકીય સેવા વિભાગના સચિવ નાગરાજુએ જણાવ્યું હતું કે આ સિક્યોરિટી ફીચરની મદદથી યુઝર્સ ઓન ડિવાઇસ બાયોમેટ્રિક્સ જેવા કે ફિંગર પ્રિન્ટ્સ કે ફેસિયલ રેકગ્નિશનનો ઉપયોગ કરી શકશે, આમ બાયોમેટ્રિક્સ પરંપરાગત યુપીઆઈ પિનનું સ્થાન લેશે. તેનો અમલ બુધવારે આઠમી ઓક્ટોબરથી શરૂ થઈ જશે.
આ ઉપરાંત બાયોમેટ્રિક ચકાસણીનો ઉપયોગ યુપીઆઈ પિન રિસેટ કરવા અને એટીએમ પરથી રોકડ ઉપાડ માટે કરવા થઈ શકે છે. એનપીસીઆઈએ ભારપૂર્વક જણાવ્યું છે કે રજૂ કરવામાં આવેલું બાયોમેટ્રિક ફ્યુચર ઓપ્શનલ ટૂલ છે, યુઝર્સે તેની ઇચ્છા હોય તો જ તેને ઉપયોગમાં લેવાનું છે. તે ફરજિયાત ધોરણે અમલી નથી. યુઝર્સ ફોન અને ટ્રાન્ઝેકશનને સલામત રાખવા વધુ સિક્યોરિટી ઇચ્છતો હોય તો આ ફીચર્સનો ઉપયોગ કરી શકે.
તેમણે ઉમેર્યુ હતું કે એડવાન્સ ક્રિપ્ટો ગ્રાફિક ચકાસણી દ્વારા આ વ્યવહાર પૂરો કરનારી દરેક બેન્ક તેની સ્વતંત્ર રીતે ચકાસણી કરી શકશે. તેની સાથે મજબૂત ડેટા સંરક્ષણ અને આંખના પલકારામાં ચૂકવણી કરી શકશે.
આ બાયોમેટ્રિક્સને રજૂ કરવાનું કારણ ડિજિટલ વ્યવહારને વધુ સુલભ બનાવવાનો છે. ખાસ કરીને સીનિયર સિટિઝન્સ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે તે માટે આ ફેરફાર કરાયો છે. આ ઉપરાંત નવા યુપીઆઈ યુઝર્સ માટે પણ તે ઉપયોગી નીવડશે. અત્યાર સુધી યુપીઆઈ પિન બનાવવા ડેબિટ કાર્ડની વિગતો ભરવી પડતી હતી, આધાર આધારિત ફેસ રેકગ્નિશન કરવું પડતું હતું. હવે યુઝર્સ કોઈપણ કાર્ડની મદદ વગર કે જટિલ પગલાં અનુસર્યા વગર બાયોમેટ્રિક ચકાસણી કરી શકશે.
ભારતમાં હાલમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. એટલી વધી ગઈ છે કે એ હવે રૅકોર્ડ બની ગયો છે. ભારતમાં ઇન્ટરનેટ સબ્સ્ક્રાઇબર્સનો ઓફિશિયલ આંકડો 100 કરોડ છે. આ આંકડો ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI) દ્વારા આપવામાં આવ્યો છે. તેમણે એપ્રિલ-જૂન 2025ના ઇન્ડિયન ટેલિકોમ સર્વિસ પર્ફોર્મન્સ ઇન્ડિકેટર રિપોર્ટમાં આ વિશે જણાવ્યું છે.
ટોટલ ઇન્ટરનેટ સબ્સ્ક્રાઇબર્સ : 100.28 કરોડ યુઝર્સ છે. માર્ચમાં 96.91 કરોડ હતાં. જાન્યુઆરીથી-માર્ચની સરખામણીમાં 3.48 ટકાનો વધારો થયો છે.
મોટાભાગના બ્રોડબેન્ડ યુઝર્સ : 100.28 કરોડ યુઝર્સમાંથી 97.97 કરોડ સબ્સ્ક્રાઇબર્સ બ્રોડબેન્ડનો ઉપયોગ કરે છે. ફક્ત 2.31 કરોડ યુઝર્સ નેરોબેન્ડનો ઉપયોગ કરે છે.
વાયરલેસ વર્સસ વાયર ઇન્ટરનેટ : 95.81 કરોડ યુઝર્સ ઇન્ટરનેટ માટે વાયરલેસ નેટવર્કનો ઉપયોગ કરે છે. બીજી તરફ ફક્ત 4.47 કરોડ યુઝર્સ વાયર કનેક્શનનો ઉપયોગ કરે છે.
અર્બન અને રુરલ : અર્બન યુઝર્સની સંખ્યા 57.94 કરોડ છે અને રુરલ યુઝર્સની સંખ્યા 42.33 કરોડ છે.
મહિનાનો એવરેજ ઉપયોગ : એક યુઝર દ્વારા એક મહિનામાં અંદાજે 24.01 GB ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાયરલેસ યુઝર્સ છે.
રેવેન્યુ : એક GBના અંદાજે 8.51 રૂપિયા છે. આથી મહિનાનો અંદાજિત ખર્ચ 186.62 રૂપિયા છે. TRAIના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દરેક ટેલિકોમ કંપનીએ તેમના ટેરિફ પહેલાં કરતાં વધારી દીધા છે. હવે મહિનાના ઓછામાં ઓછા 190 રૂપિયાની આસપાસ અંદાજિત આંકડો છે.
મોબાઇલ યુઝર્સમાં વધારો : વાયરલેસ સબ્સ્ક્રાઇબર્સનો ખૂબ જ વધારો જોવા મળ્યો છે. એમાં 5G સર્વિસનો પણ સમાવેશ થાય છે. આ યુઝર્સમાં 71.2 લાખ નવા યુઝર્સનો સમાવેશ થયો છે અને એથી આ આંકડો 117 કરોડને પાર પહોંચ્યો છે.
વાઇ-ફાઇ હોટસ્પોટ : અત્યારે ભારતમાં અંદાજિત 55,000 પબ્લિક હોટસ્પોટ કાર્યરત છે જે 13281 TB ડેટાને ટ્રાન્સફર કરી રહ્યા છે. આ હોટસ્પોટની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે.
5G યુઝર્સમાં વધારો : 78.50 લાખ નવા કસ્ટમર્સનો સમાવેશ થયો છે જેઓ ફક્ત 5G સર્વિસનો ઉપયોગ કરે છે. તેઓ હવે નેક્સ્ટ-જનરેશન કનેક્ટિવિટીનો ઉપયોગ કરી રહ્યા છે.
ઇન્ટરનેટ અને મોબાઇલ સર્વિસના ઉપયોગ કરતાં વધી રહ્યા હોવાથી હવે ડાયરેક્ટ-ટુ-હોમ સર્વિસનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે. 5,69,20,000 એક્ટિવ યુઝર્સમાંથી હવે 5,60,70,000 એક્ટિવ યુઝર્સ રહી ગયા છે. આ આંકડો ધીમે-ધીમે ઓછો થઈ રહ્યો છે.
મોબાઇલ યુઝર્સનો આંકડો વધવાની સાથે હવે લેન્ડલાઇન યુઝર્સની સંખ્યા પણ વધી રહી છે. માર્ચ 2025ની સરખામણીએ જૂન 2025માં 28.20 ટકા નવા યુઝર્સનો વધારો થયો છે. આથી હવે યુઝર્સ ટ્રેડિશનલ લેન્ડલાઇન તરફ પણ વળી રહ્યા છે.
ભારત સરકારે ચાઈનીઝ શોર્ટ વીડિયો શેયરિંગ પ્લટેફોર્મ ટિકટોકને અનબ્લોક કર્યું હોવાના સમાચાર વહેતા થયાં હતાં. પરંતુ વાસ્તવમાં ભારત સરકારે આવો કોઈ નિર્ણય લીધો છે, આ માત્ર અફવાઓ છે. જેથી અફવાઓથી દૂર રહેવા માટે સલાહ આપવામાં આવી છે. દરેક ભારતીય નાગરિકોને કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા માટે ભારત સરકાર દ્વારા વિનંતી કરવામાં આવી છે. ગત રાત્રે જ આ સમાચાર વહેતા થયા હતા કે, હવે ભારતમાં ટિકટોક ફરી શરૂ થવાનું છે. જો કે, હવે તે અફવા હતી તેવું સરકારે સ્પષ્ટીકરણ કર્યું છે.
ભારતે ચીનની કઈ એપ્સ પર પ્રતિબંધ લાદ્યો હતો?
ભારત સરકારે 2020માં આ ટિકટોક પર પ્રતિબંધ લાદ્યો હતો. આ વખતે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીમાં ઘર્ષણ થયું હતું. જેથી આ વખતે ભારત સરકારે દેશની સુરક્ષાને ધ્યાને રાખીને ચાઈનીઝ એપ જેવી કે ટિકટોક, Wechat અને Helo સહિત અનેક સોશિયલ એપ્સ ભારતમાં પ્રતિબંધિત કરી દીધી હતી. જો કે, અત્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સુધાર આવતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેથી આ અફવા શરૂ થઈ હતી કે, ભારતે તે એપ્સ પરથી પ્રતિબંધ હટાવી દીધો છે.
શું ભારત અને ચીનના સંબંધોમાં સુધાર આવ્યો છે?
સમાચાર એવા પણ મળી રહ્યાં છે કે, ભારત અને ચીન વચ્ચે અત્યારે વિઝા સેવાઓ પણ ફરૂ શરૂ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પ્રવાસીઓ, વ્યવસાયો, વેપારીઓ અને મીડિયા અને અન્ય લોકોની મુસાફરી પર જે પ્રતિબંધ હતો તેને હટાવી દેવામાં આવશે! હમણાં ચીનના વિદેશ પ્રધાન વાંગ યી 3 દિવસની ભારત મુલાકાતે આવ્યાં હતાં. જેમાં ભારતમાં સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ હતી. આ સાથે સાથે પીએમ મોદી પણ બે દિવસ માટે ચીનના પ્રવાસે જવાના છે. આ દરમિયાન નરેન્દ્ર મોદી તિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં ભાગ લેવા માટે જવાના છે. જેથી ભારત અને ચીનના સંબંધોમાં સુધાર આવી શકે છે.
બિહારની ૧૪ વર્ષની આરાધ્યા સિંહ નામની ટીનેજરે સનાતન ધર્મની ભાવનાને સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશથી કુલ ૨૩૪ ભાષામાં હનુમાન ચાલીસાનો અનુવાદ કર્યો છે. આરાધ્યાએ મૈથિલી, ભોજપુરી, સંસ્કૃત, અંગ્રેજી, કોરિયન, જૅપનીઝ, લૅટિન સહિત અનેક વિદેશી ભાષાઓમાં હનુમાન ચાલીસાનું ટ્રાન્સલેશન કર્યું છે. તેને બધી જ ભાષા આવડે છે એવું નથી, પરંતુ તેણે ગૂગલ ટ્રાન્સલેટર અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આ કામ કર્યું છે. ગયા વર્ષે છઠપૂજા પર્વમાં તેણે હનુમાન ચાલીસાના અનુવાદનું કામ હાથ ધરેલું. દરેક ભાષા અને એના શબ્દોના ભાવાર્થને સમજીને સાવધાનીપૂર્વક આ કામ કરતાં તેને ૬ મહિનાનો સમય લાગ્યો હતો. આરાધ્યાનું કહેવું છે કે વિદેશોમાં રહેતા યુવાનો પણ સનાતન ધર્મ સાથે જોડાય અને ધર્મભાવના બીજી ભાષાના લોકો સુધી પહોંચાડવા માટે તેણે આ કામ કર્યું છે. આરાધ્યાની મા રાની દેવીનું કહેવું છે કે માત્ર અનુવાદ જ નહીં, હનુમાન ચાલીસાની લઢણમાં તે દરેક ભાષાની ચાલીસા ગાઈ પણ સંભળાવે છે. તેને નાનપણથી જ ધર્મ અને અધ્યાત્મમાં બહુ રુચિ છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-૨૦૨૫ (જીઈસીએમએસ-2025) જાહેર કરી હતી. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ બનાવવાનો છે. આ પોલિસીને પગલે ગુજરાતમાં રૂ.35 હજાર કરોડનું નવું જંગી મૂડીરોકાણ થાય તેવી શક્યતાઓ જોવાય રહી છે. આ નીતિની મુખ્ય વિશેષતા એ છે કે કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા મંજૂર અને સહાય પ્રાપ્ત એકમોને ગુજરાતમાં પણ કેન્દ્રીય ધોરણે ૧૦૦ ટકા સહાય પ્રોત્સાહન મળશે. આનો અર્થ એ થાય કે ગુજરાતમાં સ્થપાનારા મેઈટીની મંજૂરી પ્રાપ્ત પ્રોજેક્ટ્સને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમ બંને તરફથી બેવડા પ્રોત્સાહનનો લાભ મળી શકશે.
આ જીઈસીએમએસ-2025 પોલિસી કેન્દ્ર સરકારની ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ (ઈસીએમએસ) ને સંપૂર્ણપણે સુસંગત છે અને ૧૦૦ ટકા ટોપ-અપ અનુસરણ કરીને ઓછામાં ઓછા સમયમાં સહાય પ્રોત્સાહન ઉપલબ્ધ કરાવશે. એકવાર મેઈટી Ministry of Electronics and Information Technology (MeitY)જીઈસીએમએસ હેઠળ પ્રોજેક્ટ મંજૂર થયા પછી, રાજ્યમાં સ્થપાનારા પ્રોજેક્ટ્સ આપમેળે સમાન ગ્રાન્ટ-સહાયપાત્ર બનશે. કેન્દ્ર સરકાર દ્વારા સહાય ચૂકવાયાના ૩૦ દિવસની અંદર રાજ્ય સરકાર દ્વારા પણ પ્રોત્સાહન સહાય ચૂકવી દેવામાં આવશે.
ગુજરાત દેશના ઔદ્યોગિક વિકાસના લેન્ડસ્કેપમાં મેન્યુફેક્ચરિંગ હબ અને ઓટો હબ તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે. રાજ્યમાં ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ પણ કાર્યરત છે, ત્યારે આ નવી પોલિસી અપસ્ટ્રીમ ઉદ્યોગને પણ વેગ આપશે. આના પરિણામે આયાત પરની નિર્ભરતા ઘટશે અને ટેકનોલોજીકલ રેઝિલીયન્સમાં વધારો થશે. આ પોલિસી દ્વારા રાજ્યમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ₹૩૫,૦૦૦ કરોડથી વધુના નવા રોકાણો આકર્ષિત કરવાનું અને વધુને વધુ ઉચ્ચ-કુશળ રોજગારનું સર્જન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આ જીઈસીએમએસ પોલિસીના પરિણામે રાજ્યમાં મલ્ટી લેયર અને એચ.ડી.આઇ. પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, લિથિયમ આયન સેલ, એસ.એમ.ડી. પેસિવ કમ્પોનન્ટ્સ, ડિસ્પ્લે અને કેમેરા મોડ્યુલ્સ, ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ તેમજ તેના ઉત્પાદન માટે જરૂરી વિશેષ મશીનરી સહિતના આવશ્યક ઉદ્યોગો-એકમોને રાજ્યમાં રોકાણ માટે પ્રોત્સાહન મળશે.
આ પોલિસીમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપીને ટેલેન્ટ ગેપ દૂર કરવાના હેતુથી રાજ્યમાં રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ માટે પણ ઉદાર સહયોગ આપવાનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે. તદ્અનુસાર, ગુજરાતમાં સ્થિત અને માન્ય હોય તેવી સંસ્થાઓને સેન્ટર ઓફ એક્સલન્સ, ફિનિશિંગ સ્કુલ્સ કે એપ્લાઇડ રિસર્ચ લેબની સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા વધુમાં વધુ ₹૧૨.૫ કરોડ સુધીની મેચિંગ સહાય મળવાપાત્ર થશે. જીઈસીએમએસ અંતર્ગત ટર્નઓવર લિન્ક્ડ ઇન્સેન્ટિવ છ વર્ષના સમય સુધી પૂરું પાડવામાં આવશે. પોલિસીના હેતુઓઓ પર એક નજર કરીએ તો તેનો સૌથી પહેલો હેતું તો ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ ઉત્પાદનથી વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇન્સમાં ગુજરાતનું મજબૂત સ્થાન પ્રસ્થાપિત કરવું. સ્થાનિક કમ્પોનન્ટ અને સબ-એસેમ્બલી ઉત્પાદનને પ્રોત્સાહન આપી ઇલેક્ટ્રોનિક્સ ગ્લોબલ વેલ્યુ ચેઇન્સમાં ઉત્પાદન મૂલ્ય વૃદ્ધિથી અગ્રેસર રહીને આયાત પર નિર્ભરતા ઘટાડવી અને નિકાસમાં વધારો કરવાનો છે.
આ પોલીસીનો લાભ લેવા માટે સરકારે પાત્રતા નક્કી કરી છે. ભારત સરકારની ગાઇડલાઇન મુજબ આ પોલિસીનો લાભ લેવા માટેની અરજી તા. ૩૧ જુલાઈ ૨૦૨૫ સુધીમાં કરવાની રહેશે. કેન્દ્ર સરકારના મેઈટી દ્વારા સહાય મંજૂર થઈ હોય અને ગુજરાતમાં કાર્યરત હોય તેવા તમામ પ્રોજેક્ટ્સને આપોઆપ આ પોલિસીનો લાભ મળશે. ગુજરાતમાં ઉત્પાદન યુનિટ સ્થાપિત કરવા ઈચ્છતા હોય અથવા પ્રગતિમાં હોય તેવા પ્રોજેક્ટ્સને પણ આનો લાભ મળશે.
સરકારે આ માટે ખાસ પ્રોત્સાહનો (ઇન્સેન્ટિવ્સ) જાહેર કર્યા હતા. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ ૨૦૨૨-૨૮ હેઠળ સહાય મેળવતા હોય તે સિવાયના એકમો આ નીતિ હેઠળ મળતા લાભો મેળવવા માટે માન્ય રહેશે.આ નવી નીતિ હેઠળ લાભ મેળવતા એકમોને ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ ૨૦૨૨-૨૮નો લાભ મળશે નહીં. પ્રોત્સાહન ભારત સરકારની યોજનાની શરતો અને થ્રેશોલ્ડ મુજબ રહેશે. તે ઉપરાંત વધારાના પ્રોત્સાહનો (ઇન્સેન્ટિવ્સ) જેવા કે, કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ: ઇલેક્ટ્રોનિક્સ ક્લસ્ટરોમાં કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ અને વિકાસ માટે જરૂરિયાત આધારિત સહાય અપાશે.
ભારત સરકાર દ્વારા મંજૂર યોજનાઓ માટે સહાય ચૂકવાયા બાદ રાજ્ય સરકાર ૩૦ કાર્ય દિવસમાં સહાય ચૂકવશે. રાજ્યની આ નવી નીતિનો સમયગાળો ભારત સરકારની યોજના જેટલો જ રહેશે. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-૨૦૨૫નું અમલીકરણ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (જીએસઈએમ) દ્વારા કરવામાં આવશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.