CIA ALERT

Blog - Page 49 of 707 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
August 26, 2025
image-40.png
1min231

અમેરિકાએ ભારતથી આયાત થતી વસ્તુઓ પર વધારાના 25 ટકા એટલે કે કુલ 50 ટકા ટેરિફને લઈને સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. નવા ટેરિફ 27 ઓગસ્ટ, 2025ના રોજ 12.01 વાગ્યાથી લાગુ પડશે. 

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાટાઘાટો ચાલી રહી હતી જે નિષ્ફળ ગઈ. બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ભારત રશિયાથી ઓઈલ ખરીદે છે જેના કારણે યુક્રેન યુદ્ધ રોકાઈ રહ્યું નથી. જે બાદ અમેરિકાએ ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝીંકવાની જાહેરાત કરી હતી. ભારતથી અમેરિકા જતાં સામાન પર 50 ટકા ટેરિફ વસૂલવામાં આવશે. 

કઈ કઈ વસ્તુઓ પર નહીં લાગે ટેરિફ? 

ફાર્માસ્યુટિકલ્સ, સેમિકંડક્ટર્સ, ઉર્જા સંસાધન 

ભારત પર અમેરિકાના ટેરિફની શું અસર થશે? 

ભારત અમેરિકામાં કુલ 87 બિલિયન ડોલરની નિકાસ કરે છે જે દેશના GDPનો 2.5 ટકા હિસ્સો છે 

ટેરિફના કારણે કયા ક્ષેત્રો પર સૌથી વધુ અસર થશે?

ટેક્સટાઈલ (કપડાં), રત્ન-આભૂષણ, ચામડું, સમુદ્રી ઉત્પાદન, રસાયણ, ઓટો પાર્ટ્સ 

આજે PMOમાં યોજાઇ શકે છે બેઠક

બીજી તરફ અમેરિકાના ટેરિફની સમીક્ષા તથા જરૂરી પગલાંની ચર્ચા કરવા માટે આજે PMOમાં બેઠક યોજાય તેવી શક્યતા છે. 

August 24, 2025
image-39.png
1min178

શ્રાવણ મહિનાના અંતમાં ગુજરાતમાં ફરી મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા 4 દિવસથી ગુજરાતનાં અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. એવામાં આજે ગુજરાતનાં તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર – ગાંધીનગર મુજબ, રાજ્યમાં સિઝનનો સરેરાશ 79.06 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 82.91 ટકા, દક્ષિણ ગુજરાતમાં 81.68 ટકા, ઉત્તર ગુજરાતમાં 79.33 ટકા, સૌરાષ્ટ્રમાં 78.57 ટકા અને પૂર્વ મધ્યમાં 75.56 ટકા વરસાદ વરસ્યો છે.

આગામી દિવસોની આગાહી

24 ઓગસ્ટ

ઓરેન્જ ઍલર્ટ: જૂનાગઢ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી

25 ઓગસ્ટ

ઓરેન્જ ઍલર્ટ: મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી 

26 ઓગસ્ટ

ઓરેન્જ ઍલર્ટ: મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી 

27 ઓગસ્ટ

ઓરેન્જ ઍલર્ટ: કચ્છ, બનાસકાંઠા 

August 23, 2025
sumul-zimbabwe-1280x969.jpeg
1min174

આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ તેમજ સુમુલ ડેરીના 74માં સ્થાપના દિવસ અને “ચાલો ઝિમ્બાબ્વે” અંતર્ગત ઝિમ્બાબ્વેના વાઈસ પ્રેસિડન્ટ અને ઝિમ્બાબ્વેના સેક્રેટરીએટ્સની સુમુલ ડેરીની મુલાકાત અત્યંત ફળદાયી નિવડે તેવી શક્યતાઓ જોવાય રહી છે.

સુરત ચેમ્બર (SGCCI) ના આમંત્રણને પગલે ઝિમ્બાબ્વેના વાઈસ પ્રેસિડન્ટ અને ઝિમ્બાબ્વેના સેક્રેટરીએટ્સની બે દિવસની સુરત મુલાકાત અંતર્ગત તા.22.08.2025, શુક્રવારે સુમુલ ડેરી ખાતે ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. કોન્સ્ટેન્ટ ટીનો ચીવેન્ગા, મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સના ડેપ્યુટી મિનિસ્ટર શ્રી રાજ મોદી, મિનિસ્ટ્રી ઓફ ટુરીઝમ એન્ડ હોસ્પિટલિટીના ડેપ્યુટી મિનિસ્ટર શ્રી ટોંગાઈ મફિદી માવંગા, એમ્બેસેડર મિસીસ સ્ટેલા નકોમા તેમજ ઝિમ્બાબ્વેનું ડેલીગેશને સુમુલ ડેરીની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના ચેરમેન શ્રી મિનેશભાઈ શાહ, જી સી એમ એમ એફ (GCMMF) ના શ્રી મુકેશભાઈ દવે, સુમુલ ડેરીના કસટોડીયન શ્રી એચ. આર. પટેલ, સુમુલ ડેરીના મેનેજીંગ ડિરેક્ટર શ્રી અરુણ પુરોહિત તેમજ સુરત ચેમ્બર (SGCCI) ના પ્રેસિડેન્ટ શ્રી નિખિલ મદ્રાસી અને અન્ય ચેમ્બરના સભ્યો હાજર રહ્યા હતા.

મુલાકાત દરમિયાન માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના આહ્વાન દ્વારા શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ ની ચર્ચા થઈ હતી. ભારતમાં કો-ઓપરેટિવ મોડેલ, NDDB ની કામગીરી, અમૂલ પેટર્ન તેમજ ડેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વિસ્તૃત ચર્ચા થઈ હતી.

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે વેપાર,પશુપાલન, તેમજ ટેકનોલોજી ટ્રાન્સફર ક્ષેત્રે આદાન-પ્રદાન અર્થે મહત્વની ચર્ચાઓ થઈ હતી.

વધુમાં ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. કોન્સ્ટેન્ટ ટીનો ચીવેન્ગા એ જણાવ્યું હતું કે ઝિમ્બાબ્વેના દરવાજા સુમુલ-અમુલની બેકરી પ્રોડક્ટસ, સ્વીટ પ્રોડક્ટસ તેમજ અન્ય ડેરી તેમજ ફુડ પ્રોડક્ટસ માટે ખુલ્લા છે.

August 23, 2025
cheque-bounce.png
1min175

મોટા મોટા ટ્રાન્ઝેક્શન માટે આજે પણ લોકો ચેકથી જ લેવડ-દેવડ કરવાનું પસંદ કરે છે, કારણ કે તે એક વિશ્વસનીય માધ્યમ છે. ઘણી વખત આપણામાંથી અનેક લોકો સાથે એવું બન્યું હશે કે એકાઉન્ટમાં બેલેન્સ ના હોવાને કારણે ચેક બાઉન્સ થયો હોય. આવી સ્થિતિમાં થોડું આર્થિક નુકસાન થાય છે અને એની સાથે ચેક આપનારની શાખ પર પણ તેની અસર જોવા મળે છે. પરંતુ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા આને વધુ સુરક્ષિત બનાવવા માટે કેટલાક મહત્ત્વના નિયમ લાગુ કર્યા છે, જે જાણી લેવા તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે.

ચેક બાઉન્સિંગના પરિણામો

કોઈ પણ ઔપચારિક વ્યવહાર દરમિયાન ચેકનો ઉપયોગ આજે પણ મહત્ત્વનો માનવામાં આવે છે. જ્યારે ચેક પાસ નથી થતો ત્યારે આખી પ્રક્રિયા થંભી જાય છે અને માહોલ થોડો ગરમાઈ જાય છે. પહેલાંના સમયમાં તો બેંક દ્વારા તેની જાણ પણ મોડેથી થતી હતી, જેને કારણે મુશ્કેલીઓ વધી જતી હતી. પણ હવે એવું નથી.

24 કલાકની અંદર એલર્ટ આપવું જરૂરી

આરબીઆઈના નવા નિયમ અનુસાર જો હવે કોઈ ચેક બાઉન્સ થાય છે તો બેંકને 24 કલાકની અંદર જ એસએમએસ કે ઈમેલના માધ્યમથી ગ્રાહકને તેની જાણ કરવી ફરજિયાત છે. આને કારણે કસ્ટમર તરત જ ગ્રાહકની સ્થિતિને સમજીને યોગ્ય કાર્યવાહી કરી શકશે અને નુકસાન ખૂબ જ ઓછું થશે.

24 કલાકની અંદર કસ્ટમરને એલર્ટ આપવા સિવાય આરબીઆઈએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે જો કોઈ વ્યક્તિ જાણી જોઈને ખોટો ચેક આપે છે તો તેના પર પહેલાંથી વધારે સખત કાર્યવાહી કરવામાં આવશે. પહેલાં આ માટે વધુમાં વધુ એક વર્ષની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી હતી અને હવે તેને વધારીને 2 વર્ષ કરી દેવામાં આવી છે. આ સાથે સાથે ભારે દંડ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

જો કોઈ ખાતાધારક વારંવાર ચેક બાઉન્સ કરે છે તો બેંક તેની ચેકબુકની સુવિધા જ બંધ કરવામાં આવશે. આવા લોકો માત્ર ડિજિટલ કે ઓનલાઈન જ પેમેન્ટ કરી શકશે. આ નિયમ ઈમાનદાર ગ્રાહકોની સુરક્ષા અને લેવડ-દેવડને વધારવા માટે લાગુ કરવામાં આવ્યો છે.

August 23, 2025
image-38-1280x640.png
1min188

ભારત સરકારે ચાઈનીઝ શોર્ટ વીડિયો શેયરિંગ પ્લટેફોર્મ ટિકટોકને અનબ્લોક કર્યું હોવાના સમાચાર વહેતા થયાં હતાં. પરંતુ વાસ્તવમાં ભારત સરકારે આવો કોઈ નિર્ણય લીધો છે, આ માત્ર અફવાઓ છે. જેથી અફવાઓથી દૂર રહેવા માટે સલાહ આપવામાં આવી છે. દરેક ભારતીય નાગરિકોને કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા માટે ભારત સરકાર દ્વારા વિનંતી કરવામાં આવી છે. ગત રાત્રે જ આ સમાચાર વહેતા થયા હતા કે, હવે ભારતમાં ટિકટોક ફરી શરૂ થવાનું છે. જો કે, હવે તે અફવા હતી તેવું સરકારે સ્પષ્ટીકરણ કર્યું છે.

ભારતે ચીનની કઈ એપ્સ પર પ્રતિબંધ લાદ્યો હતો?

ભારત સરકારે 2020માં આ ટિકટોક પર પ્રતિબંધ લાદ્યો હતો. આ વખતે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન
ઘાટીમાં ઘર્ષણ થયું હતું. જેથી આ વખતે ભારત સરકારે દેશની સુરક્ષાને ધ્યાને રાખીને ચાઈનીઝ એપ જેવી કે ટિકટોક, Wechat અને Helo સહિત અનેક સોશિયલ એપ્સ ભારતમાં પ્રતિબંધિત કરી દીધી હતી. જો કે, અત્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સુધાર આવતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેથી આ અફવા શરૂ થઈ હતી કે, ભારતે તે એપ્સ પરથી પ્રતિબંધ હટાવી દીધો છે.

શું ભારત અને ચીનના સંબંધોમાં સુધાર આવ્યો છે?

સમાચાર એવા પણ મળી રહ્યાં છે કે, ભારત અને ચીન વચ્ચે અત્યારે વિઝા સેવાઓ પણ ફરૂ શરૂ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પ્રવાસીઓ, વ્યવસાયો, વેપારીઓ અને મીડિયા અને અન્ય લોકોની મુસાફરી પર જે પ્રતિબંધ હતો તેને હટાવી દેવામાં આવશે! હમણાં ચીનના વિદેશ પ્રધાન વાંગ યી 3 દિવસની ભારત મુલાકાતે આવ્યાં હતાં. જેમાં ભારતમાં સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ હતી. આ સાથે સાથે પીએમ મોદી પણ બે દિવસ માટે ચીનના પ્રવાસે જવાના છે. આ દરમિયાન નરેન્દ્ર મોદી તિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં ભાગ લેવા માટે જવાના છે. જેથી ભારત અને ચીનના સંબંધોમાં સુધાર આવી શકે છે.

August 23, 2025
image-37.png
2min181

શનિવારે (23 ઓગસ્ટ) શિવભક્તિના પવિત્ર માસ શ્રાવણની પૂર્ણાહુતિ થશે અને તે સાથે જ સૌરાષ્ટ્રમાં ભાદરવી મેળાઓનો પ્રારંભ થશે. આ મેળાઓ સાતમ-આઠમના લોકમેળાની જેમ મુખ્યત્વે મનોરંજન માટે નહીં પરંતુ, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતા મેળાઓ છે. જેમાં શ્રાવણી અમાસના દિવસે પાટણવાવ પાસે ઐતિહાસિક ઓસમ ડુંગર ખાતે માત્રી માતાજી તેમજ મોરબી પાસે રફાળેશ્વરના મેળાઓ અને દ્વારકાના પીંડારામાં પુરાતન મેળાનો આરંભ થયો છે. આ મેળો આગામી મંગળવાર ત્રીજથી ઋષિપાંચમ સુધી સૌરાષ્ટ્રની પાંચાળ ભૂમિની પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરતો વિશ્વવિખ્યાત તરણેતરના મેળાનો પ્રારંભ થશે.

શ્રાવણી અમાસનો મેળો

મોરબી પાસે ઈ.સ. 1946માં રાજવી લખધીર સિંહજીએ ભવ્ય રફાળેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અને આ સ્થળે તે પહેલાથી સ્વયંભુ શિવલિંગ અને સ્વયંભુ પ્રાચીન શિવમૂર્તિ સ્થાપિત છે. આ સ્થળે 60 વર્ષ કરતા વધુ સમયથી શ્રાવણી અમાસે મેળો યોજાય છે અને જૂનાગઢના દામોદર કુંડની જેમ આ સ્થળનું પણ પિતૃતર્પણ માટે સદીથી મહત્ત્વ રહ્યું છે.

આ પણ વાંચોઃ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે ન્યાયની માગ સાથે ધરણાં, વેપારીઓનું બંધનું એલાન

મનોરંજન નહીં પણ ભક્તિ ભાવના

આ ઉપરાંત ખંભાળિયાના શિરેશ્વર મહાદેવ, ભાવનગરના પ્રસિદ્ધ ગોપનાથ મહાદેવ, પાટણવાવ ખાતે ઓસમડુંગર પર માત્રી માતાજીના સાનિધ્યમાં, કાલાવડના રણુજા મંદિર સહિત સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં અનેક સ્થળે ભાદરવી અમાસ સુધી મેળાઓ યોજાશે જે મેળામાં મનોરંજન નહીં પણ ભક્તિની ભાવના સદીઓથી રહેલી છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ઋતુચક્ર મુજબ આજથી શરદઋતુનો પ્રારંભ થયો છે.

આ પણ વાંચોઃ અમૂલ ડેરીની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજની અવગણના, ભાજપ સામે પૂર્વ ધારાસભ્યના આક્ષેપ

સૌરાષ્ટ્રમાં ક્યા ક્યા સ્થળે ભાદરવામાં ધાર્મિક મેળા

ઐતહાસિક ધર્મસ્થાનસ્થળ
રફાળેશ્વર મહાદેવમોરબી
તરણેતર મહાદેવતરણેતર, થાનગઢ પાસે
નિષ્કલંક મહાદેવભાવનગર દરિયા પાસે
શિરેશ્વર મહાદેવખંભાળિયા
ગોપનાથ મહાદેવભાવનગર
મોમાઈ માતાજીભેડિયાડુંગર, ભૂજ પાસે
નકલંક રણુજા મંદિરકાલાવડ પાસે
ખોડિયાર માતાજીડાકણિયા ડુંગર, ભાયાવદર
પીંડતારક ક્ષેત્રપીંડારા, દ્વારકા
માત્રી માતાજીઓસમડુંગર, પાટણવાવ
August 21, 2025
cia_multi-1280x1045.jpg
1min536

ઉકાઇ થર્મલ પાવર પ્લાન્ટમાં ફરજ બજાવતા CISFના ડેપ્યુટી કમાન્ડન્ટ આદિત્ય કુમાર KBCમાં 1 કરોડ જીત્યા

સોની ટીવીના લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)ની 2025 સીઝન શરૂ થયાને હમણાં જ એક અઠવાડિયા થયો છે અને તેને તેનો પહેલો કરોડપતિ તા.20મી ઓગસ્ટે આદિત્યકુમારના સ્વરૂપમાં મળી ગયો છે. આ એ ક્ષણ છે જેની દરેક સ્પર્ધક અને દર્શક આતુરતાથી રાહ જુએ છે. આ વર્ષના પ્રથમ રૂ. 1 કરોડના વિજેતા ઉત્તરાખંડના આદિત્ય કુમાર છે. આદિત્યકુમાર હાલમાં સુરત નજીક તાપી જિલ્લામાં ઉકાઇ ખાતે આવેલા થર્મલ પાવર સ્ટેશનમાં સીઆઇએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેના કારણે હાલમાં ઉકાઇ ડેમનું નામ પાણી છોડવા માટે નહીં પણ કેબીસીમાં ચમકવા માટે વાઇરલ છે.

આદિત્ય કુમાર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) માં ડેપ્યુટી કમાન્ડન્ટ છે અને હાલમાં UTPS ઉકાઈ, ગુજરાત ખાતે સેવા આપી રહ્યા છે. આ સરકારી નોકરી મેળવવાનો તેમનો માર્ગ સ્પર્ધાત્મક હતો, અને તેમણે CISF માં સેવા આપવા માટે કઠિન પરીક્ષા પાસ કરી, જે તેમની ખંત અને શિસ્ત દર્શાવે છે.

આદિત્યએ પોતાની અત્યાર સુધીની જીવનયાત્રા શેર કરી. મૂળ ઉત્તરાખંડના વતની, આદિત્ય કુમાર હાલમાં ગુજરાતમાં એક થર્મલ પાવર પ્લાન્ટમાં પોસ્ટેડ છે. તે આર્મી કર્મચારી (CISF માં ડેપ્યુટી કમાન્ડન્ટ) છે. રાષ્ટ્રીય સુરક્ષા પરીક્ષાઓ દરમિયાન તેણે ભારતમાં એકંદરે છઠ્ઠો ક્રમ મેળવ્યો હતો.

એપિસોડમાં, આદિત્યએ કહ્યું, “શિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને તે જ કારણોસર, હું અત્યાર સુધી આ પદ સુધી પહોંચી શક્યો છું, અને આજે અહીં બેઠો છું. અત્યાર સુધીની મુસાફરી ખૂબ જ મુશ્કેલ રહી છે, અને મને યાદ છે કે હું કેવી રીતે એક નાના રૂમમાં રહ્યો, મારા મિત્રોને છોડી દીધા અને તૈયારી માટે સમર્પિત થવા માટે એક વર્ષ સુધી મારી જાતને બંધ કરી દીધી. તેના કારણે, હું અહીં સુધી પહોંચ્યો છું.” અમિતાભે ઉત્સાહ વ્યક્ત કર્યો અને તેની મહેનતની પ્રશંસા કરી.

પાછળથી, જ્યારે અમિતાભે પોતાની સિગ્નેચર સ્ટાઇલમાં ₹1 કરોડ જીત્યાની જાહેરાત કરી, ત્યારે આદિત્ય ખુશ અને આશ્ચર્યચકિત દેખાતો હતો. તેણે અમિતાભને ગળે લગાવ્યો અને કહ્યું કે તે હજુ પણ તેના માટે અવિશ્વસનીય છે. એપિસોડમાં તેના માતાપિતા પણ જોવા મળ્યા હતા, કારણ કે તેઓએ તેને ગળે લગાવ્યો અને આ સીમાચિહ્ન પ્રાપ્ત કરવા બદલ જોરથી ઉત્સાહ વ્યક્ત કર્યો.

August 21, 2025
image-34.png
1min147
  • અમેરિકામાં કંપનીઓની ચેપ્ટર-૧૧ ફાઈલિંગ ૨૦૨૦ના કોરોના મહામારી બાદની ટોચે
  • જુલાઈ મહિનામાં કુલ ૭૧ જાહેર અને ખાનગી કંપનીઓએ નાદારી માટે અરજી કરી હતી, જે જૂન કરતાં ૮ વધુ : ઓગસ્ટમાં સ્થિતિ વધુ વણસવાની વકી

તાજેતરના રિપોર્ટ અનુસાર અમેરિકન અર્થતંત્રને નાદારી ફાઇલિંગની નવી લહેરનો સામનો કરવો પડયો છે. યુએસમાં બેંકરપ્સી ફાઈલિંગ કોવિડ-૧૯ રોગચાળા બાદના ઉચ્ચતમ સ્તર એટલેકે ૨૦૨૦ પછીની ટોચે પહોંચી ગઈ છે.

ડોનાલ્ડ ટ્રમ્પ મેક અમેરિકા ગ્રેટ અગેઈનના નારા સાથે ફરી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ પદે બિરાજ્યા હતા. જોકે ટ્રમ્પની ટેરિફ ટેરીરીઝમ થકી આ મનોઈચ્છા હાંસલ કરવાની વૃતિ અમેરિકાને જ ભારે પડી રહી હતી. ટ્રમ્પના ટેરિફ એટેકેથી દેશમાં જ મોંઘવારી વધી રહી છે તો અર્થતંત્ર પણ મંદીમાં ધકેલાઈ હોવાના સંકેત મળી રહ્યાં છે.

બિઝનેસ ઇનસાઇડરના અહેવાલ અનુસાર ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકાની ઘણી લોકપ્રિય બ્રાન્ડો હવે નાદારી માટે અરજી કરી રહી છે. આ સ્થિતિ યુનાઇટેડ સ્ટેટ્સના અર્થતંત્રની કથળતી જતી પરિસ્થિતિને ઉજાગર કરે છે.

એસ એન્ડ ૫૦૦ ગ્લોબલના ડેટા દર્શાવે છે કે આ ઉનાળામાં યુએસ કોર્પોરેટ નાદારી માટે ફાઇલિંગની સંખ્યા ૨૦૨૦ના સ્તરને વટાવી ગઈ છે. બિઝનેસ ઇનસાઇડરના અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગત મહિને કુલ ૭૧ જાહેર અને ખાનગી કંપનીઓએ નાદારી માટે અરજી કરી હતી, જે જૂન કરતાં ૮ વધુ છે. જૂન મહિનામાં ૬૩ કંપનીઓએ નાદારી માટે અરજી કરી હતી.

રિપોર્ટ અનુસાર, કંપનીઓમાં ફોરેવર ૨૧ અને જોન જેવી કેટલીક પ્રિય બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. કારોબારી ખોટ વચ્ચે ભૌતિક હાજરી ઘટાડવા માટે ઘણા અન્ય પ્રખ્યાત રિટેલર્સને તેમના સ્ટોર્સ બંધ કરવાની ફરજ પડી છે. બીજા ક્વાર્ટરમાં ૩ ટકા આર્થિક વૃદ્ધિ સાથે યુએસ શેરબજાર આર્થિક ઉથલપાથલનો સામનો કરી રહ્યું છે.

કેન ગુડ્સ પ્રોડયુસર ડેલ મોન્ટે ફૂડ્સ જેવી કંપનીઓએ પણ ચેપ્ટર ૧૧ નાદારી માટે અરજી કરી હતી કારણકે તેઓએ માંગમાં ઘટાડો અને ઉચ્ચ ઇન્વેન્ટરી ખર્ચના દબાણ હેઠળ પીસાઈ રહ્યાં છે. અહેવાલ અનુસાર ડેલ મોન્ટે પર ૮થી ૧૦ અબજ ડોલરનું સંયુક્ત દેવું હતું.

જુલાઈના આંકડા રેકોર્ડ નેગેટીવ પોઈન્ટ પર રહ્યાં બાદ અને અત્યાર સુધી કોઈ સુધારો ન થતાં ઓગસ્ટમાં પણ અમેરિકન કોર્પોરેટ સેક્ટર સમાન ચિત્ર જ રજૂ કરશે તેવી આશંકા છે. ફેશન રિટેલર ક્લેર સહિત કેટલીક અગ્રણી કંપનીઓ ઓગસ્ટમાં નાદારી માટે અરજી કરી ચૂકી છે. ક્લેરે ૬ ઓગસ્ટના રોજ તેનું બીજું ચેપ્ટર ૧૧ ફાઇલિંગ સબમિટ કર્યું હતું.

મહત્વની વાત એ છે કે તાજેતરના મહિનાઓમાં એવી કંપનીઓએ નાદારી માટે અરજી કરી છે જેમણે એક સમયે અમેરિકાના માર્કેટ પર રાજ કર્યું હોય. અનેક બ્રાન્ડો ધંધો સંકેલી રહી છે, બંધ કરી રહી છે આ જોતા ઓગસ્ટમાં પણ સ્થિતિ વધુ ખરાબ થવાની આશંકા છે.

August 21, 2025
image-33.png
1min167


રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 21 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 78.99 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81 ટકા, સૌરાષ્ટ્રમાં 76.36 ટકા, ઉત્તર ગુજરાતમાં 74.67 ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં 71.97 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 79.37 ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 55 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 66 ડેમ 70 થી 100 ટકા, 36 ડેમ 50 થી 70 ટકા, 30 ડેમ 25 ટકા થી 50 ટકા વચ્ચે અને 19 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં 70 ડેમ હાઈ એલર્ટ, 35 ડેમ એલર્ટ તથા 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પાંચ તાલુકાઓમાં 13 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 13 ઇંચથી વધુ, કેશોદ તાલુકામાં 11 ઇંચથી વધુ, વંથલી તાલુકામાં 10 ઈંચથી વધુ તેમજ પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં 10 ઇંચ અને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

ચોમાસાની સ્થિતિમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી બસોના સફળ આયોજનના પરિણામે નહિવત ટ્રીપો રદ કરીને 14 હજાર થી વધુ રૂટ ઉપર 40 હજારથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને વાહન વ્યવહારની સુવિધા નાગરિકોને પહોચાડવામાં આવી છે.

August 21, 2025
image-32.png
2min158

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેને રજૂ કર્યો હતો અને વિપક્ષે તેના પર હોબાળો મચાવ્યો હતો. હોબાળા બાદ, આ બિલ સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું.

20 ઓગસ્ટ, બુધવારના રોજ લોકસભામાં બંધારણનો 130મો સુધારો બિલ રજૂ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેને રજૂ કર્યો હતો અને વિપક્ષે તેના પર હોબાળો મચાવ્યો હતો. હોબાળા બાદ, આ બિલ સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું. બંધારણ (130મો સુધારો) બિલ, 2025માં ગંભીર ગુનાના આરોપસર વડા પ્રધાન, મંત્રીઓ અને મુખ્યમંત્રીઓને પદ પરથી દૂર કરવાની જોગવાઈ છે.

બંધારણ (130મો સુધારો) બિલ, 2025 શું છે?

ખરેખર, આ બિલમાં જણાવાયું છે કે કોઈપણ મંત્રી જે કોઈપણ ગંભીર ગુના માટે 30 દિવસથી જેલમાં છે તેને પોતાનું પદ ગુમાવવું પડશે. બિલ મુજબ, “જે મંત્રી ત્રણ દિવસથી જેલમાં છે અને પાંચ વર્ષ કે તેથી વધુ કેદની સજાપાત્ર આરોપસર ધરપકડ કરવામાં આવી છે, તેણે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડશે.

મુખ્યમંત્રીની સલાહ પર રાષ્ટ્રપતિ દ્વારા સંબંધિત મંત્રીને 31મા દિવસ સુધીમાં પદ પરથી દૂર કરવામાં આવશે. જો આવા મંત્રીને દૂર કરવા માટે મુખ્યમંત્રીની સલાહ 31મા દિવસ સુધીમાં રાષ્ટ્રપતિને આપવામાં નહીં આવે, તો તે બીજા દિવસથી મંત્રી રહેશે નહીં.” આ બિલ બંધારણના અનુચ્છેદ 75 માં સુધારો કરશે, જે મુખ્યત્વે પ્રધાનમંત્રી સહિત મંત્રી પરિષદની નિમણૂક અને જવાબદારીઓ સાથે સંબંધિત છે.

ગૃહમંત્રી અમિત શાહે બિલ રજૂ કર્યું ત્યારે સંસદમાં શું થયું?

વિરોધ પક્ષ દ્વારા બિલનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે 2010 માં સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં ગૃહમંત્રીની ધરપકડનો મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે, અમિત શાહે જવાબ આપ્યો હતો કે તેમણે ધરપકડ પહેલાં ગુજરાતના ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

વિપક્ષ આ બિલનો વિરોધ કેમ કરી રહ્યું છે?

વિપક્ષનું કહેવું છે કે બિલના ઉદ્દેશ્યો અને કારણો અનુસાર, ગંભીર ગુનાહિત આરોપોનો સામનો કરી રહેલા મંત્રીની ધરપકડ અને અટકાયત કરવાથી બંધારણીય નૈતિકતાના સિદ્ધાંતો અને સુશાસનના સિદ્ધાંતોને નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં, લોકો દ્વારા તેમાં મૂકવામાં આવેલ બંધારણીય વિશ્વાસ ઓછો થઈ શકે છે.

જોકે, કેટલાક વિપક્ષી નેતાઓ માને છે કે બિલની જોગવાઈઓનો ઉપયોગ વિપક્ષી નેતાઓને પસંદગીયુક્ત રીતે નિશાન બનાવવા અને રાજ્યોમાં તેમની સરકારોને અસ્થિર કરવા માટે થઈ શકે છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષો લાંબા સમયથી દાવો કરી રહ્યા છે કે સીબીઆઈ અને ઇડી જેવી કેન્દ્રીય એજન્સીઓ (જે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર હેઠળ આવે છે) તેમના નેતાઓને અન્યાયી રીતે નિશાન બનાવે છે.

આ ઉપરાંત, બિલ હેઠળ, મંત્રીઓને ધરપકડના આધારે જ પદ પરથી દૂર કરીને સજા કરી શકાય છે, દોષિત ઠેરવ્યા પછી નહીં. વિવિધ ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવેલા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની જોગવાઈઓ પહેલાથી જ અસ્તિત્વમાં છે.

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે તેઓ આ બિલનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તે સત્તાના વિભાજનના સિદ્ધાંતની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે તે કાર્યકારી એજન્સીઓને ન્યાયાધીશ અને જલ્લાદ બનાવે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે આ બિલ ‘સુપર-ઇમરજન્સી’ લાવી શકે છે.

તેમણે કહ્યું, “હું ભારત સરકાર દ્વારા આજે રજૂ કરવામાં આવનાર 130મા બંધારણીય સુધારા બિલની નિંદા કરું છું. હું તેને એક સુપર ઇમરજન્સી કરતાં વધુ પગલા તરીકે નિંદા કરું છું. આ એક એવું પગલું છે જે ભારતના લોકશાહી યુગનો કાયમ માટે અંત લાવશે. આ કઠોર પગલું ભારતમાં લોકશાહી અને સંઘવાદ માટે મૃત્યુઘંટ છે.”

આ પણ વાંચોઃ- કોંગ્રેસ સાંસદે કર્યો અમિત શાહની ધરપકડનો ઉલ્લેખ તો ગૃહમંત્રીએ કહ્યું – નિર્દોષ સાબિત થવા સુધી કોઇ પદ લીધું ન હતું

સંયુક્ત સમિતિ શું છે?

સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ની રચના સંસદ દ્વારા કોઈ વિષય અથવા બિલની વિગતવાર તપાસ જેવા ચોક્કસ હેતુ માટે કરવામાં આવે છે. તેમાં બંને ગૃહોના સભ્યો હોય છે, અને તેનો કાર્યકાળ પૂરો થયા પછી અથવા તેનું કાર્ય પૂર્ણ થયા પછી તેને વિસર્જન કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે, બંધારણ (130મો સુધારો) બિલ, 2025, લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા પસંદ કરવા માટે 31 સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યો છે. અમિત શાહે વિનંતી કરી કે સમિતિ સંસદના આગામી સત્રના પહેલા દિવસ પહેલા તેનો અહેવાલ રજૂ કરે.