CIA ALERT

ડેવલપમેન્ટ Archives - CIA Live

December 19, 2025
SIR.png
1min17

ગુજરાતમાં SIRની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી છે. ડ્રાફ્ટ યાદી પ્રમાણે ગુજરાતમાં અત્યારે કુલ 4 કરોડ 34 લાખ મતદારની નોંધણી થઈ છે. એસઆઈઆર પ્રક્રિયા બાદ 73 લાખ 73 હજાર 327 મતદારો કમી કરવામાં આવ્યાં છે. આ સાથે 9 લાખ 69 હજાર 661 મતદારો તેના સરનામે મળ્યાં જ નથી.

3,81,470+40 ડુપ્લીકેટ મતદારોના નામ દૂર કરાયા, 40, 25,553 મતદારોનું કાયમી સ્થળાંતર કર્યું હોવાનુ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 18,07,278 મૃતક મતદારોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે.

તમારું નામ ડ્રાફ્ટ મતદાર યાદી છે કે નહીં?

ડ્રાફ્ટ મતદાર યાદીમાં તમારૂ નામ જોવા માટે http://ceo.gujarat.gov.in,વોટર પોર્ટલ voters.eci.gov.in, ECINET App, BLO પાસેથી અને જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી જોઈ શકાશે.

અહીં તમામ ડ્રાફ્ટ મતદાર યાદી અપલોડ કરવામાં આવી છે. પરંતુ આમાં વિગતો બધી પીડીએફ દ્વારા અપલોડ કરવામાં આવ્યાં છે. જેથી તમારૂ નામ શોધવામાં સમલ લાગી શકે છે.

નામ દાખલ કરવા માટે ફોર્મ નં. 6 ભરવાનું રહેશે

જો ડ્રાફ્ટ મતદાર યાદી તમારૂ નામ ન હોય તો નામ દાખલ કરાવવા માટે ફોર્મ નંબર 6 ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાશે. આ સાથે જો કોઈ ભૂલ હોય તો ડિક્લેરેશન સાથે ફોર્મ નંબર 8 ભરીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાશે.

આ યાદીમાં કોઇ પણ પ્રકારનો વાંધો હોય તો તમે ફોર્મ નંબર 7 ભરીને અરજી કરી શકો છો. ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો 18મી જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ મતદાર યાદીમાં 5,08,43,219 મતદારો નોંધાયા હતા. જેમાં ગુજરાત રાજ્યમાંથી એક મેગા સિટી જેટલા એટલે 73,73,110 મતદારોને રદ્દ કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં નવેમ્બર મહિનાથી એસઆઈઆરની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.

આ દરમિયાન રાજ્યમાં ડુપ્લિકેટ, મૃત્યુ પામેલા લોકો અને કાયમી સ્થાળાંતર કરી ગયેલા લોકોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કાઢી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. નોટિસ બાદ સુનાવણી અને ચકાસણી પૂર્ણ થયા પછી તમામ લાયક મતદારોનો સમાવેશ તારીખ 17/02/2026ના રોજ પ્રસિદ્ધ થનાર આખરી મતદાર યાદીમાં જાહેર કરવામાં આવશે.

December 16, 2025
image-12.png
1min28

દેશના પાટનગર દિલ્હીમાં છેલ્લા બે મહિનાથી સતત વાયુ પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા આકરા પ્રતિબંધો છતાં AQIમાં કોઈ સુધાર આવી શક્યો નથી. દિવસેને દિવસે પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. AQI સતત 400થી 450ને પાર જઈ રહ્યો છે. આજે આનંદવિહારમાં 493 AQI નોંધાયો. જે બાદ હવે અન્ય દેશો દિલ્હી માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી રહ્યા છે.

વિવિધ દેશોએ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી

સિંગાપોર હાઈ કમિશને પોતાના નાગરિકો માટે એડવાઈઝરીમાં કહ્યું છે કે ખાસ કરીને દિલ્હી-NCRમાં રહેતા અથવા મુસાફરી કરતાં નાગરિકો સતર્ક રહે તથા AQI જોતાં રહે.

બ્રિટેનના FCDO વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉત્તર ભારતમાં ઓકટોબરથી ફેબ્રુઆરી દરમિયાન વાયુ પ્રદૂષણ આરોગ્ય માટે મોટો ખતરો છે. ગર્ભવતી મહિલાઓ, હૃદય અને શ્વાસ સંબંધી રોગથી પીડિત દર્દીઓ ભારતની યાત્રા કરતાં પહેલા ડૉક્ટરની સલાહ લે. બાળકો અને વૃદ્ધો પર પ્રદૂષણની ગંભીર અસર થઈ શકે છે.

કેનેડાએ પણ એડવાઈઝરી આપતા કહ્યું છે કે નિયમિત રૂપે AQI જોતાં રહો. દિલ્હી જેવા શહેરી વિસ્તારોમાં પ્રદૂષણ અને ધુમ્મસના કારણે શિયાળામાં પરિસ્થિતિ અત્યંત ગંભીર હોય છે.

નોંધનીય છે કે પ્રદૂષણ અને ધુમ્મસના કારણે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં AQI 500ની નજીક નોંધાયો છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે વિઝિબિલિટી ન હોવાના કારણે વિમાન સેવાઓ પ્રભાવિત થઈ છે. દિલ્હી એરપોર્ટ પર 228 ફ્લાઈટ્સ રદ કરવાની નોબત આવી છે.

ખરાબ હવાના કારણે દિલ્હીની સાથે સાથે નોઈડા અને ગાઝિયાબાદમાં પાંચમા ધોરણ સુધીની શાળાઓ ઓનલાઈન અથવા હાઈબ્રિડ મોડલ પર ચલાવવાના આદેશ અપાયા છે. મોટા ભાગના નિર્માણ કાર્યો પર રોક લગાવી દેવામાં આવી છે તથા ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે જ કામ કરવામાં આવી રહ્યું છે.

December 16, 2025
nirbhayasuprem.png
1min36

  • ભગવાનને પણ આરામનો સમય નથી આપતા, આ તો એમનું શોષણ કહેવાય
  • વૃંદાવનના બાંકે બિહારીજી મંદિરમાં દર્શન વ્યવસ્થામાં ફેરફાર મુદ્દે સુપ્રીમે કમિટી અને રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો

સુપ્રીમ કોર્ટે 15/12/2025 સોમવારે વૃંદાવન સ્થિત શ્રી બાંકે બિહારીજી મંદિરમાં દર્શન માટેની જે હાલની વ્યવસ્થા છે તેના પર સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમે કહ્યું હતું કે હાલ એવી વ્યવસ્થા છે કે જેમાં દેવતાને આરામ કરવાનો પણ સમય નથી અપાઇ રહ્યો. જે એક પ્રકારનું શોષણ છે. આ સાથે જ રૂપિયા લઇને અમીર લોકો માટે વિશેષ વ્યવસ્થા કે સુવિધા આપવામાં આવી રહી છે તેના પર પણ સુપ્રીમે સવાલો ઉઠાવ્યા હતા.

સુપ્રીમ કોર્ટમાં શ્રી બાંકે બિહારી મહારાજ મંદિરની મેનેજમેન્ટ કમિટીની અરજી પર સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમાલ્યા બાગ્ચી અને ન્યાયાધીશ વિપુલ એમ. પંચોલીની બેંચ સમક્ષ એવી દલીલ કરાઇ હતી કે મંદિરમાં દર્શનનો સમય બદલી નાખવામાં આવ્યો છે. જેના પર ટિપ્પણી કરતા સુપ્રીમની બેંચે કહ્યું હતું કે હાલની વ્યવસ્થા એવી છે કે જેમાં દેવતાને આરામ કરવાનો પણ સમય નથી અપાઇ રહ્યો, આ તો દેવતાઓનું જ શોષણ કહેવાય.

સુપ્રીમે નોંધ્યું હતું કે બપોરે ૧૨ વાગ્યે મંદિર બંધ થયા બાદ પણ દેવતાને એક મિનિટનો પણ સમય નથી અપાતો. આ જ સમયે સૌથી વધુ વિશેષ પૂજાપાઠ કરાવવામાં આવે છે. જે પૂજા માટે મોટી રકમ આપી શકે તેના માટે જ ખાસ પૂજાની છૂટ અપાય છે, આવું કેમ થઇ રહ્યું છે? મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે મોટી રકમ આપનારાઓ માટે પડદો લગાવીને વિશેષ પૂજા કરાવવામાં આવે છે જે યોગ્ય નથી.

સુપ્રીમ કોર્ટે આ મામલે ગઠીત હાઇ પાવરેડ કમિટી અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. મામલાની આગામી સુનાવણી જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવશે.

December 5, 2025
cia_multi-1280x1045.jpg
1min57

મહારાષ્ટ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણયઃ ડિજિટલ 7/12ને કાનૂની માન્યતા મળી, જમીન વ્યવહારોનો નિકાલ થશે ઝડપી

મહારાષ્ટ્ર સરકારના મહેસૂલ વિભાગે એક મોટું પગલું ભર્યું છે. સરકારે જમીનના 7/12 અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ડિજિટલ 7/12, 8-A અને ફેરફાર ઉતારાને કાયદેસર માન્યતા આપી છે. હવે લોકોને તલાટી ઓફિસ જવાની જરૂર નથી, ફક્ત ₹ 15માં અધિકૃત કોપી મળશે. સત્તાવાર 7/12 મેળવવા માટે લોકોને નાકે દમ આવે છે. ઘણી જગ્યાએ લાંચ આપ્યા વિના સત્તાવાર સાતબાર મળી શકતી નહતી. ક્યારેક, જો કોઈ વ્યક્તિ લાંચ આપવાનો ઇનકાર કરે છે તો તેને તલાટી ઓફિસનો ભ્રષ્ટ સ્ટાફ એવા ચકડોળે ચઢાવે કે જમીનના કામો ટલ્લે ચઢી જાય. જોકે, હવે સરકારના નવા નિર્ણયને કારણે લોકોને તલાટી કચેરીમાં જવાની જરૂર રહેશે નહીં.

આ નિર્ણયથી સેંકડો રખડી પડેલા જમીન સંબંધિત વ્યવહારોનો તાત્કાલિક ધોરણે નિકાલ આવશે અને કરોડો લોકોને મોટો ફાયદો થશે. ડિજિટલ 7/12ને હવે કાનૂની રક્ષણ આપવામાં આવ્યું છે. આ અંગે એક સરકારી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હોવાનું મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ માહિતી આપી હતી.

બાવનકુળેએ X પર એક પોસ્ટમાં કહ્યું છે કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના માર્ગદર્શન હેઠળ મહારાષ્ટ્ર સરકારે ડિજિટલ 7/12, 8-A અને ફેરફાર ઉતારાને કાયદેસર રીતે માન્ય કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.

આ નિર્ણયથી રાજ્યના લોકોને ઘણા ફાયદા થશે જેમ કે ડિજિટલ 7/12ને સત્તાવાર માન્યતા, સત્તાવાર કોપી ફક્ત 15 રૂપિયામાં ઉપલબ્ધ થશે, ઉપરાંત, તલાટીની સહી અને સ્ટેમ્પની જરૂર રહેશે નહીં અને ડિજિટલ સહી, QR કોડ અને 16-અંકના ચકાસણી નંબર સાથે 7/12, 8-A અને ફેરફાર ઉતારા સરળતાથી ઉપલબ્ધ થશે.

આ ડિજિટલ પ્રમાણપત્રો તમામ સરકારી, અર્ધ-સરકારી, બેંકિંગ અને ન્યાયિક કાર્યો માટે માન્ય રહેશે. આ નિર્ણય ખેડૂતો, જમીનમાલિકો અને સામાન્ય નાગરિકોને સુવિધા આપશે. અમારી સરકાર પારદર્શિતા અને ઝડપી સેવાનો એક નવો અધ્યાય લખી રહી છે. મને ખાતરી છે કે રાજ્યના લોકો આ નિર્ણયનું સ્વાગત કરશે.

December 5, 2025
image-4.png
1min55

સતત ત્રીજા દિવસે ઈન્ડિગોની 550થી વધુ ફ્લાઈટ રદ,

Indigo Crisis News : ગુરુવારે સતત ત્રીજા દિવસે વિમાનના પ્રવાસીઓની મુશ્કેલીઓનો અંત આવ્યો ન હતો. દેશના ત્રણ મહત્વના એરપોર્ટ પરથી ઇન્ડિગોએ 550 થી વધુ ફ્લાઇટસ ગુરુવારે રદ કરી હતી. મુંબઇ, દિલ્હી, બેંગ્લુરુ, ચેન્નઇ, હૈદ્રાબાદ, અમદાવાદ, કોલકત્તા એમ તમામ એરપોર્ટસ પર પ્રવાસીઓ હેરાન થયા હતા. તેઓ ધારેલા આયોજનોમાં પહોંચી શક્યા ન હતા. જોકે આ તમામ ગરબડ માટે ઈન્ડિગોએ તમામ મુસાફરોની માફી માગી હતી.

સોશિયલ મીડિયા પર મોટાં એરપોર્ટના ટર્મિનલ પર પ્રવાસીઓનાં ટોળાં જામ્યા હોય અને ઈન્ડિગોના સ્ટાફ સાથે બોલાચાલી કરી રહ્યાં હોય તેવાં દ્રશ્યો વાયરલ થયાં હતાં. કેટલાય પ્રવાસીઓએને ફલાઈટ માટે છથી 12 કલાક સુધી રાહ જોવાનો વારો આવતાં તેમનાં બીપી વધી ગયાં હતાં તો કેટલાક પ્રવાસીઓ તેમના મહત્વના આયોજનો ખોરવાઈ જતાં રડી પડયાં હતાં. લોકોએ સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટસ તથા વીડિયો વાયરલ કરી સરકાર પાસે આ પરિસ્થિતિમાંથી ઉગરવા માટે મદદની પોકાર કરી હતી. જોકે, ઈન્ડિગો સત્તાવાળાઓએ હાથ ઊંચા કરી દીધા હતા.

સેંકડો પ્રવાસીઓ નિર્ધારિત ડોમેસ્ટિક એરપોર્ટ પર પહોંચી શક્યા ન હોવાથી કનેક્ટિંગ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટસ પણ ચૂકી ગયા હતા. એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએ ઇન્ડિગો એરલાઇન્સનો જવાબ માગ્યો હતો. ફ્લાઇટસ ખોરવાઇ રહી છે તે બાબતમાં પ્લાન લઇને આવવાનું ઇન્ડિગોને કહેવામાં આવ્યું હતું.

દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે 44 ઇનકમિંગ અને ડિપાર્ટિંગ ફ્લાઇટસ રદ કરાઇ હતી. એક પ્રવક્તાએ કહ્યું કે ગઇકાલના ચેકઇન સિસ્ટમ ખોરવાઇ હતી તે પછી એરલાઇને એરપોર્ટને અને ગ્રાહકોને જાણ કરી હતી. બેંગ્લુરુના કેમ્પેગોવડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કુલ 70 ફ્લાઇટસ રદ થઇ હતી જેમાં 40 ડિપાર્ટિંગ અને 30 ઇનકમિંગ ફ્લાઇઠસ રદ કરાઇ હતી.

મુંબઇ એરપોર્ટ પર 86 ફ્લાઇટસ રદ કરાઇ હતી જેમાં 45 ડિપાર્ટિંગ અને ૪૧ ઇનકમિંગ ફ્લાઇટસ હતી. ચેન્નઇ એરપોર્ટ પર 13 ડિપાર્ટિંગ અને 13 ઇનકમિંગ ફ્લાઇટસ રદ થઇ હતી.

ચેન્નઇમાં હવામાન પ્રતિકૂળ હતું તે પણ એક કારણ હતુ તેવું એક સ્ત્રોતે કહ્યું હતું. એક એરલાઇનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે બુધવારે એરલાઇનનું સર્વર ધીમુ પડી ગયું હતું. બોર્ડિંગ પાસ ઇસ્યુ કરવામાં ઘણો વિલંબ થયો હતો. અને ફ્લાઇટસ પણ મોડી પડી હતી. ઇન્ડિગોમાં કોકપીટ ક્રૂ અને કેબિન ક્રૂ બંનેની શોર્ટેજ ચાલે છે. તાજેતરમાં એક ઇન્ટરનેશનલ એરલાઇને દિલ્હી અને મુંબઇમાં ભરતી ઝુંબેશ હાથ ધરી હતી. તે પણ એક કારણ હોવાનું માનવામાં આવે છે.

ઇન્ડિગોએ એક નિવેદનમાં કહ્યું હતું કે કામકાજ રાબેતા મુજબ કરવા અને સમયસર ફ્લાઇટસ ઉડાડવાનો અમે નિર્ધાર કર્યો છે. અમારો તાત્કાલિક લક્ષ્ય છે. ગ્રાહકોને સારો અનુભવ આપવાનો વાયદો નિભાવવામાં કંપની નિષ્ફળ છે તેવું સીઇઓએ સ્ટાફને મોકલેલા સંદેશમાં કહ્યું હતું સામાન્ય સ્થિતિ બહાલ કરવી સહેલું નથી તેવું તેમણે સ્વીકાર્યું હતું.

ઈન્ડિગો દ્વારા ઓછી ભરતીના કારણે સંકટ: પાયલોટ સંગઠન

ઇન્ડિગો ઘણા સમયથી ક્રૂની ઓછી ભરતી કરવાનું વલણ અપનાવી રહ્યું છે અને પાયલોટસની ભરતી તો લગભગ બંધ કરી દીધુ તેવું ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટસ (એફઆઇપી)એ ગુરુવારે કહ્યું હતું.

એફઆઇપીએ એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએને પત્ર લખીને જણાવ્યું હતું કે ઇન્ડિગોએ ઇન્ડસ્ટ્રીના વલણથી વિપરીત ઓછા મેનપાવર વ્યૂહરચના અપનાવી છે, પાયલોટસના આરામના કલાકો અને ડયુટી- સમયમાં ફેરફારોના નિયમો અંગે કંપનીને જાણ હતી અને ભરતી કરવા બે વર્ષનો સમય મળ્યો હતો. પણ ખર્ચ ઘટાડવા પાયલોટસની નવી ભરતી બંધ કરી હતી. અન્ય એરલાઇન્સના પાયલોટસને નહીં લેવા અંગેના કરારો કર્યા હ તા પાયલોટસના પગાર વધારો અટકાવ્યો હતો.

નવા ક્રૂ- રોસ્ટિંગ ધારા ધોરણે અમલમાં આવ્યા અને શિયાળો, પ્રતિકૂળ હવામાન, એરપોર્ટસનું કન્જેશન વિગેરે પરિબળોના લીધે બફર કેપેસિટી (વધારાના કર્મચારીઓ)ની જરૂર પડી હતી ત્યારે તકલીફ પડી ગઇ છે. ટુંકા ગાળાના નિર્ણયો અને કાર્યક્ષમ ભરોસાપાત્ર નીવડવાને બદલે એરલાઇને ખર્ચ ઘટાડવા પર ધ્યાન આપ્યું હોવાથી આવી કટોકટીનું નિર્માણ થયું છે.

December 2, 2025
image-1.png
1min31

સરકારનો મોટો આદેશઃ સ્માર્ટફોનમાં ઈન્સ્ટોલ થશે સરકારી એપ્લિકેશન, ડિલીટ નહીં

ભારત સરકારે દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડના જોખમો અને મોબાઇલ ચોરીને રોકવા માટે સૌથી મોટું પગલું ભર્યું છે. સરકારે તમામ મોબાઇલ કંપનીને આદેશ આપ્યો છે કે તેઓ ભારતમાં વેચતા પોતાના નવા ફોનમાં સરકારી સાયબર સુરક્ષા એપ ‘સંચાર સાથી’ને પ્રી-લોડ કરીને વેચે. આ એપ્લિકેશન ચોરાયેલા ફોન શોધવા, બનાવટી IMEI નંબર ઓળખવા અને છેતરપિંડીવાળા કોલ્સની માહિતી મેળવવામાં મદદરૂપ થાય છે. જોકે, આ આદેશથી એપલ જેવી કંપનીઓની ચિંતા વધી છે, જેઓ ફોનમાં પહેલાથી કોઈ એપ ઇન્સ્ટોલ કરીને વેચવાની પોલિસી ધરાવતી નથી.

સરકારે એક આદેશ જારી કર્યો છે કે ભારતમાં બનતા અને વેચાતા તમામ સ્માર્ટફોનમાં ‘સંચાર સાથી’ એપ પહેલેથી હાજર હોવી જોઈએ અને યુઝર તેને અનઇન્સ્ટોલ પણ નહીં કરી શકે. મીડિયાના અહેવાલ મુજબ આ ફેરફાર લાગુ કરવા માટે કંપનીને 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ આદેશથી સ્માર્ટફોન કંપનીઓની ચિંતા વધી ગઈ છે અને તેમણે દાવો કર્યો છે કે આ અંગે તેમની સાથે કોઈ સલાહ-મસલત કરવામાં આવી નથી. સરકારનો હેતુ સ્પષ્ટ છે કે મોબાઇલ ચોરી, નકલી IMEI નંબર, છેતરપિંડીવાળા કોલ અને સાયબર ફ્રોડ જેવી સમસ્યાઓ પર નિયંત્રણ મેળવે.

સરકારે દાવો કર્યો છે કે આ એપ રાષ્ટ્રીય સ્તરે મોબાઇલ સુરક્ષાને મજબૂત બનાવે છે અને ગુનેગારો માટે ચોરીના ફોન વેચવાનું મુશ્કેલ બનાવે છે. આ વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ થયેલી ‘સંચાર સાથી’ એપ અત્યાર સુધીમાં 50 લાખથી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે.

સરકારી આંકડા દર્શાવે છે કે આ એપની મદદથી 3.7 મિલિયનથી વધુ ચોરાયેલા અથવા ખોવાયેલા ફોન બ્લોક કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, ગયા ઓક્ટોબરમાં આ એપ દ્વારા 50 હજાર સ્માર્ટફોન શોધી કાઢવામાં આવ્યા હતા અને 30 મિલિયનથી વધુ નકલી મોબાઇલ કનેક્શન પણ બંધ કરવામાં આવ્યા છે.

ભલે આ આદેશથી સ્માર્ટફોન કંપનીઓની ચિંતા વધી હોય, પરંતુ યુઝરના દૃષ્ટિકોણથી આ નિર્ણય ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે. સ્માર્ટફોન કંપનીઓ પહેલેથી જ તેમના ફોનમાં અન્ય પ્રી-લોડેડ એપ્સ આપતી હોય છે, તેથી એક વધારાની સુરક્ષા એપ ઉમેરાવાથી યુઝરને ખાસ ફરક નહીં પડે.

ઉલટાનું, આ એપ દ્વારા યુઝર્સને સાયબર જોખમોથી સુરક્ષિત રહેવા, ચોરાયેલા ફોન પાછા મેળવવા અથવા બ્લોક કરાવવા, નકલી નંબર/IMEI નંબરની ફરિયાદ કરવા અને શંકાસ્પદ નંબરોને ચેક કરવા જેવી મહત્વની સુવિધાઓ સરળતાથી મળી રહેશે. તેથી, સરકારનો આ નિર્ણય યુઝર્સની સુરક્ષા માટે એક સકારાત્મક પગલું છે.

December 1, 2025
bankholiday.jpg
2min22

1/12//25 આજથી શરૂ થયેલો ડિસેમ્બર મહિનો 2025નો છેલ્લો મહિનો છે. ડિસેમ્બર વર્ષનો છેલ્લો મહિનો હોવાને કારણે આ મહિનામાં અલગ અલગ રજાઓ હોય છે અને જો તમે પણ આવતા મહિને બેંકિંગ રિલેટેડ કામ પતાવવાનું વિચારી રહ્યા છો તો પહેલાં આ સમાચાર વાંચી લો. મળતી માહિતી અનુસાર ડિસેમ્બર મહિનામાં બેંકો અડધા મહિના સુધી બંધ રહેશે, જેના વિશે તમારે જાણી લેવું જોઈએ.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દર મહિનાની રજાઓની યાદી બહાર પાડવામાં આવે છે અને આ વખતે આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર ડિસેમ્બર મહિનામાં દસ-બાર નહીં પૂરા 15 દિવસ સુધી બંધ રહેશે. જોકે, અલગ અલગ રાજ્યોમાં આ રજાઓ અલગ અલગ હોઈ શકે છે. ચાલો જોઈએ ડિસેમ્બર મહિનામાં ક્યારે ક્યારે બેંકો બંધ રહેશે.

ડિસેમ્બર મહિનામાં આ તારીખે હશે બેંકોમાં રજા

  • પહેલી ડિસેમ્બર, સોમવારે ઈન્ડિજિનસ ફેથ ડે નિમિત્તે અરુણાચલ પ્રદેશમાં રજા રહેશે
  • ત્રીજી ડિસેમ્બર, બુધવારે સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરની પુણ્યતિથિ નિમિત્તે ગોવામાં બેંક હોલીડે
  • સાતમી ડિસેમ્બરના રવિવારને કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે.
  • 12મી ડિસેમ્બર, શુક્રવારના પા તોગન નેંગમિંજા સંગમા દિવસને કારણે મેઘાલયમાં રજા રહેશે
  • 13મી ડિસેમ્બરના બીજો શનિવાર હોવાથી બેંકોમાં રજા રહેશે
  • 18મી ડિસેમ્બર, ગુરુવારે ગુરુ ઘાસીદાસ જયંતિ, યુ સોસો થમ પુણ્યતિથિને કારણે છત્તીસગઢ અને
    મેઘાલયમાં બેંકોમાં રજા રહેશે
  • 19મી ડિસેમ્બર, શુક્રવારે ગોવા મુક્તિ દિવસને કારણે ગોવામાં બેંક હોલીડે રહેશે
  • 21મી ડિસેમ્બરના રવિવાર હોવાથી દેશભરની બેંકોમાં રજા રહેશે
  • 24મી ડિસેમ્બર, બુધવારે ક્રિસમસ ઈવને કારણે મેઘાલય મિઝોરમમાં બેંકો બંધ રહેશે
  • 25મી ડિસેમ્બરના ગુરુવારે ક્રિસમસને કારણે બેંકોમાં રજા રહેશે
  • 26મી ડિસેમ્બર, શુક્રવારે ક્રિસમસ સેલિબ્રેશન, શહીદ ઉધમસિંહ જયંતિ નિમિત્તે મેઘાલય, મિઝોરમ, તેલંગણા, હરિયાણામાં બેંકોમાં રજા રહેશે
  • 27મી ડિસેમ્બરના ચોથો શનિવાર અને ગુરુ ગોવિંદસિંહ જયંતિ નિમિત્તે હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશમાં રજા રહેશે
  • 28મી ડિસેમ્બરના રોજ રવિવાર હોવાથી દેશભરની બેંકોમાં રજા રહેશે
  • 30મી ડિસેમ્બર, મંગળવારે યુ કિયાંગ નાંગબાહ દિવસ, તામુલોસરને કારણે મેઘાલય, સિક્કિમમાં બેંકો બંધ રહેશે.
  • 31મી ડિસેમ્બરના બુધવાર ન્યુ યર ઈવને કારણે પણ અનેક રાજ્યોમાં બેંક હોલિડે રહેશે

આ રજાઓની તમારા પર શું અસર થશે?

આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી આ રજાઓની તમારા પર શું અસર જોવા મળશે એની વાત કરીએ તો આ દિવસોમાં તમે ચેક ક્લિયરન્સ, પાસબુક અપડેટ, કેશ હેન્ડલિંગ જેવા કામ નહીં કરી શકશો. જ્યારે મોબાઈલ એપ, નેટ બેકિંગ કે એટીએમની મદદથી તમે તમારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન પૂરા કરી શકશો.

November 29, 2025
image-26.png
1min36

વિશ્વના સૌથી વધુ વેચાતા વિમાન, એરબસ A320 ફેમિલીના હજારો વિમાનોને આ સપ્તાહના અંતે મોટા પાયે ગ્રાઉન્ડેડ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં હવાઈ મુસાફરી પર ગંભીર અસર પડવાની છે. તાજેતરમાં સામે આવેલા એક મોટા તકનીકી જોખમને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના નિવારણ માટે વ્યાપક સોફ્ટવેર અને કેટલાક જૂના વિમાનોમાં હાર્ડવેર અપગ્રેડ ફરજિયાત કરવામાં આવ્યું છે.

ભારતમાં ઈન્ડિગો અને એર ઈન્ડિયા ગ્રુપના 350થી વધુ A320 ફેમિલી વિમાનો આ પ્રક્રિયાનો ભાગ બનશે. ઈન્ડિગોના કાફલામાં 350થી વધુ A320 વિમાનો છે, જેમાંથી લગભગ 250ને અપગ્રેડની જરૂર છે. તેવી જ રીતે, એર ઈન્ડિયાના 120-125 A320 વિમાનોમાંથી 100થી વધુ વિમાનો પ્રભાવિત થશે. આ અપગ્રેડમાં 2-3 દિવસનો સમય લાગવાની ધારણા છે, અને વિમાનો સોમવાર કે મંગળવારથી ફરી ઉડાન ભરી શકે છે. આને કારણે સપ્તાહના અંતે અને સોમવાર સુધી ઘણી ફ્લાઇટ્સ મોડી પડવાની કે રદ થવાની પ્રબળ આશંકા છે.

એર ઈન્ડિયાએ ‘X’ પર જણાવ્યું, “અમે એરબસ દ્વારા જારી કરાયેલા નિર્દેશથી વાકેફ છીએ. આના કારણે અમારા કાફલાના એક ભાગમાં સોફ્ટવેર/હાર્ડવેર રિકેલિબ્રેશનની જરૂર પડશે, જેનાથી ફ્લાઇટ્સમાં વિલંબ થવાની સંભાવના છે. અસુવિધા માટે ખેદ છે.”

જેટબ્લુની ઘટના બની કારણ

આ મોટા નિર્ણય પાછળ 30 ઓક્ટોબર, 2025ના રોજ અમેરિકન એરલાઇન જેટબ્લુની A320 ફ્લાઇટમાં બનેલી ગંભીર ઘટના જવાબદાર છે. કેનકુનથી નેવાર્ક જતી ફ્લાઇટ દરમિયાન, પાઇલટના ઇનપુટ વિના જ વિમાન અચાનક નીચેની તરફ નમી ગયું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ ઘટના ELAC (એલિવેટર એલેરોન કમ્પ્યુટર)માં ખામીને કારણે બની હતી. વિમાનને તાત્કાલિક તાંપામાં ઉતારવામાં આવ્યું હતું, જ્યાં કેટલાક મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

આ ઘટના બાદ, યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી (EASA) એ ‘ઇમરજન્સી એરવર્ધીનેસ ડાયરેક્ટિવ’ જારી કર્યો. ત્યારબાદ એરબસે જણાવ્યું કે તકનીકી તપાસમાં જાણવા મળ્યું છે કે તીવ્ર સૌર વિકિરણ (Solar Radiation) ફ્લાઇટ કંટ્રોલ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ ડેટાને કરપ્ટ કરી શકે છે. આ જ કારણોસર, વિમાનોમાં સોફ્ટવેર અને હાર્ડવેર પ્રોટેક્શન ફરજિયાત કરવામાં આવ્યું છે. એરબસે આનાથી થનારી અસુવિધા બદલ મુસાફરો અને ગ્રાહકોની માફી માંગી છે અને કહ્યું છે કે “સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.”

November 26, 2025
image-20.png
1min37

ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ માન્ધનાને ક્રિકેટની પિચ પર ફિલ્મી સ્ટાઇલમાં પ્રપોઝ કરીને તેનો મંગેતર પલાશ મુચ્છલ છવાઈ ગયો હતો. જોકે લગ્ન પોસ્ટપોન થવાની ઘટના બાદથી સોશ્યલ મીડિયા પર તેના કૅરૅક્ટર પર સવાલ ઊભા થાય એવા સ્ક્રીનશૉટ વાઇરલ થયા છે. મૅરી ડિકૉસ્ટા નામની મહિલાએ સોશ્યલ મીડિયા પર પલાશની ફ્લર્ટી-ચૅટના સ્ક્રીનશૉટ શૅર કર્યા છે. ચર્ચા છે કે આ પર્દાફાશને લીધે જ લગ્ન ટળી ગયાં છે.

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા આ સ્ક્રીનશૉટમાં આ વર્ષના મે મહિનાની વાતચીત જોવા મળી હતી. પલાશે આ કથિત ચૅટમાં આ યુવતીને પોતાની સાથે ફાઇવસ્ટાર હોટેલમાં સ્વિમિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. એ વખતે છોકરીએ તેને પૂછ્યું હતું કે તું તો કોઈને ડેટ કરી રહ્યો છેને? એના જવાબમાં પલાશે કહ્યું હતું કે એનો મતલબ એવો નથી કે આપણે સ્વિમિંગ માટે ન જઈ શકીએ. જવાબમાં છોકરીએ કહ્યું હતું કે લોકો તને ઓળખે છે, એટલે વિચિત્ર લાગશે. તો પલાશે સામે કહ્યું કે હું મારા મિત્રો સાથે મજા કરતો જ હોઉં છું, એમાં કંઈ વિચિત્ર નથી; હું મારા અસિસ્ટન્ટને પણ બોલાવી લઈશ જેથી આપણે ગ્રુપમાં મજા કરી રહ્યાં છીએ એવું લાગશે.

છોકરીએ જ્યારે પલાશને સ્મૃતિ વિશે પૂછ્યું કે તમે રોજ નથી મળતાં? ત્યારે પલાશે કહ્યું હતું કે પૂછ જ નહીં, અમારો સંબંધ લૉન્ગ-ડિસ્ટન્સનો છે; અમે ત્રણ-પાંચ મહિને મળીએ છીએ.

ત્યાર પછી છોકરીએ પલાશને પૂછ્યું હતું કે તું તેને પ્રેમ તો કરે છે, બરાબરને? ત્યારે પલાશે કહ્યું હતું કે એટલે જ તો મોટા ભાગે અમારી મુલાકાતો ‘ડેડ’ હોય છે.

ત્યાર પછી પલાશે છોકરીને કહ્યું હતું તું બધી જ વાત અહીં કરીશ કે શું, કાલે તું શું કરી રહી છે?

સ્મૃતિને દરેક મૅચમાં સપોર્ટ કરવા આવતો અને પોતાના હાથ પર સ્મૃતિ માટે SM18 નામનું ટૅટૂ કરાવનાર સંગીતકાર પલાશ મુચ્છલ એક રિલેશનશિપમાં હોવા છતાં આ પ્રકારની બેશરમ હરકત કેવી રીતે કરી શકે એ વિશે સોશ્યલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે.

November 25, 2025
image-18.png
1min59

ઇથિયોપિયામાં જ્વાળામુખી ફાટવાની સીધી અસર ભારત પર પણ જોવા મળી રહી છે. તેની રાખ આકાશમાં ઊંચે સુધી ફેલાઇ ગઈ છે, જેના કારણે અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો રૂટ બદલવો પડ્યો હતો. અમુક ફ્લાઇટમાં મોડું થઈ રહ્યું છે અને અમુકને બીજા રસ્તેથી મોકલવામાં આવી રહી છે જેથી વિમાન રાખના વાદળોથી દૂર રહે.

ઇથિયોપિયાના જ્વાળામુખીની રાખના કારણે સોમવારે અનેક એરલાઇન્સે પોતાની ફ્લાઇટ રદ કરી દીધી હતી. જેમાં અકાસા એર, ઇન્ડિગો અને KLM જેવી કંપનીનો સમાવેશ થાય છે.

ઇથિયોપિયાના હાયલી દુબ્બી જ્વાળામુખી ફાટ્યા બાદ ઉત્પન્ન થયેલો વિશાળ રાખનો ગોટો તા.24મી નવેમ્બરને સોમવારે રાત્રે 11 વાગ્યા સુધીમાં દિલ્હી પહોંચી ગયો. હવામાનના જાણકારો છેલ્લાં એક દિવસથી આ રાખના વાદળને જોઈ રહ્યા હતા. આ રાખનું વાદળ લાલ સાગર પાર કરીને આશરે 130 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ભારત તરફ વધી રહ્યું હતું. સૌથી પહેલાં આ રાખનું વાદળ ભારતમાં પશ્ચિમી રાજસ્થાનના જોધપુર અને જેસલમેરની ઉપરથી આવ્યું. બાદમાં ધીમે-ધીમે આ રાખનું વાદળ દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનના મોટા ભાગોમાં ફેલાઇ ગયું.

નિષ્ણાતોએ જણાવ્યું કે, આ રાખનું વાદળ જમીનથી 25,000થી 45,000 ફૂટ ઊંચાઈ પર છે. તેથી, હાલ લોકોના સ્વાસ્થ્યને જોખમ નથી. પરંતુ, એવું બની શકે કે, અનેક જગ્યાએ થોડી-થોડી રાખની પરત નીચે પડે.

હવામાન વિભાગનું માનવું છે કે, મંગળવારે (25 નવેમ્બર) સવારનો સૂરજ અલગ અને ચમકીલા રંગમાં જોવા મળ્યો. રાખના કારણે પ્રકાશ પર આવી અસર પડી હતી.

CPCB (સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ના જણાવ્યા અનુસાર, અહીં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સિવિયર એટલે ગંભીર શ્રેણીમાં રેકોર્ડ થયો છે. આ સ્તરે હવા ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે અને શ્વાસ લેવામાં સ્વાસ્થ્ય પર તેની તુરંત અસર જોવા મળી શકે છે.

આ સિવાય દિલ્હીની એમ્સ અને સફદરજંગ હોસ્પિટલ પાસે પણ ઝેરી ધુમ્મસ જોવા મળી રહ્યું છે. આખા વિસ્તારમાં ઝેરી ધુમ્મસના કારણે હવામાં બળતરા અનુભવાઇ રહી છે. CPCB અનુસાર, અહીં AQI 323 નોંધાયો છે. જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. આવા સ્તરમાં હવા શ્વાસ લેવા લાક નથી હોતી અને ખાસ કરીને વડીલ, બાળકો તેમજ અસ્થમાના દર્દીને વધુ જોખમ હોય છે.

અમેરિકાની હવમાનાની આગાહી વિશે જાણકારી આપનારી વેબસાઇટ એક્યૂવેધર અનુસાર, દિલ્હી અને તેની આસપાસના મોટા ભાગના વિસ્તારોમાં સવારે 6 વાગ્યે AQI 300ની આસપાસ રહ્યો.

CPCB અનુસાર, રાત્રે બે વાગ્યે દિલ્હી-એનસીઆરના મોટાભાગના વિસ્તારમાં AQI 350 પાર રહ્યો છે.

મળતી માહિતી મુજબ. ઇથિયોપિયાના જ્વાળામુખીથી નીકળેલું રાખનું વાધળ મોટાભાગે સલ્ફર ડાયોક્સાઇડથી બનેલું છે. આ વાદળમાં જ્વાળામુખીની રાખની માત્રા ઓછાથી મધ્યમ છે. આ રાખનું વાદળ હવે ઓમાન-અરબ સસાગરના રસ્તેથી મધ્ય ગુજરાતના મેદાની વિસ્તારો સુધી ફેલાઇ ગયું છે.

નોંધનીય છે કે, આ વાદળની AQI પર કોઈ અસર થશે નહીં. જોકે, નેપાળ, હિમાલયના વિસ્તાર અને ઉત્તર પ્રદેશના તરાઈ પ્રદેશમાં સલ્ફર ડાયોક્સાઇડનું સ્તર થોડું વધી શકે છે, કારણ કે રાખના કેટલાક વાદળ પર્વતો સાથે અથડાઈને ચીન તરફ આગળ વધશે. મેદાનોમાં રાખ પડવાની શક્યતા ખૂબ ઓછી છે, જોકે કેટલાક વિસ્તારોમાં થોડી અસર થઈ શકે છે. આ આખું રાખનું વાદળ વાતાવરણના મધ્ય-સ્તરમાં છે, તેથી જમીન પર હવાની ગુણવત્તા પર કોઈ અસર થશે નહીં. રાખનું વાદળ ધીમે ધીમે દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન તરફ પણ જશે, પરંતુ સપાટી પર કોઈ પ્રતિકૂળ અસર નહીં થાય. ફક્ત ફ્લાઇટ રિરુટિંગ અથવા વિલંબ થવાની સંભાવના છે, કારણ કે આ વાદળ વિમાનની સલામતીને અસર કરી શકે છે. સપાટી પર કણો પડવાની શક્યતા ખૂબ ઓછી છે.

DGCAની એડવાઇઝરી

રવિવારે ઇથોપિયાના હેઇલ ગબ્બિન જ્વાળામુખીના વિસ્ફોટ બાદ, ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ બધી એરલાઇન્સને એક એડવાઇઝરી જાહેર કરી હતી, જેમાં તેમને ઊંચાઈ પર અને જ્વાળામુખીની રાખ ફેલાતી હોય તેવા વિસ્તારો પર ઉડાન ટાળવાની સલાહ આપવામાં આવી હતી. રાખના વાદળ વિમાનના એન્જિન અને ફ્લાઇટ સલામતી માટે જોખમ ઊભો કરી શકે છે, તેથી એરલાઇન્સને તેમના રૂટ અને ઊંચાઈ બદલવાની સલાહ આપવામાં આવી છે. આ પરિસ્થિતિ ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે, રાખના સૂક્ષ્મ કણો વિમાનના એન્જિનને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તેથી, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તમામ ભારતીય એરલાઇન્સને તાત્કાલિક ચેતવણી જારી કરી છે.