CIA ALERT

Alert Archives - CIA Live

December 5, 2025
image-4.png
1min15

સતત ત્રીજા દિવસે ઈન્ડિગોની 550થી વધુ ફ્લાઈટ રદ,

Indigo Crisis News : ગુરુવારે સતત ત્રીજા દિવસે વિમાનના પ્રવાસીઓની મુશ્કેલીઓનો અંત આવ્યો ન હતો. દેશના ત્રણ મહત્વના એરપોર્ટ પરથી ઇન્ડિગોએ 550 થી વધુ ફ્લાઇટસ ગુરુવારે રદ કરી હતી. મુંબઇ, દિલ્હી, બેંગ્લુરુ, ચેન્નઇ, હૈદ્રાબાદ, અમદાવાદ, કોલકત્તા એમ તમામ એરપોર્ટસ પર પ્રવાસીઓ હેરાન થયા હતા. તેઓ ધારેલા આયોજનોમાં પહોંચી શક્યા ન હતા. જોકે આ તમામ ગરબડ માટે ઈન્ડિગોએ તમામ મુસાફરોની માફી માગી હતી.

સોશિયલ મીડિયા પર મોટાં એરપોર્ટના ટર્મિનલ પર પ્રવાસીઓનાં ટોળાં જામ્યા હોય અને ઈન્ડિગોના સ્ટાફ સાથે બોલાચાલી કરી રહ્યાં હોય તેવાં દ્રશ્યો વાયરલ થયાં હતાં. કેટલાય પ્રવાસીઓએને ફલાઈટ માટે છથી 12 કલાક સુધી રાહ જોવાનો વારો આવતાં તેમનાં બીપી વધી ગયાં હતાં તો કેટલાક પ્રવાસીઓ તેમના મહત્વના આયોજનો ખોરવાઈ જતાં રડી પડયાં હતાં. લોકોએ સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટસ તથા વીડિયો વાયરલ કરી સરકાર પાસે આ પરિસ્થિતિમાંથી ઉગરવા માટે મદદની પોકાર કરી હતી. જોકે, ઈન્ડિગો સત્તાવાળાઓએ હાથ ઊંચા કરી દીધા હતા.

સેંકડો પ્રવાસીઓ નિર્ધારિત ડોમેસ્ટિક એરપોર્ટ પર પહોંચી શક્યા ન હોવાથી કનેક્ટિંગ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટસ પણ ચૂકી ગયા હતા. એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએ ઇન્ડિગો એરલાઇન્સનો જવાબ માગ્યો હતો. ફ્લાઇટસ ખોરવાઇ રહી છે તે બાબતમાં પ્લાન લઇને આવવાનું ઇન્ડિગોને કહેવામાં આવ્યું હતું.

દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે 44 ઇનકમિંગ અને ડિપાર્ટિંગ ફ્લાઇટસ રદ કરાઇ હતી. એક પ્રવક્તાએ કહ્યું કે ગઇકાલના ચેકઇન સિસ્ટમ ખોરવાઇ હતી તે પછી એરલાઇને એરપોર્ટને અને ગ્રાહકોને જાણ કરી હતી. બેંગ્લુરુના કેમ્પેગોવડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કુલ 70 ફ્લાઇટસ રદ થઇ હતી જેમાં 40 ડિપાર્ટિંગ અને 30 ઇનકમિંગ ફ્લાઇઠસ રદ કરાઇ હતી.

મુંબઇ એરપોર્ટ પર 86 ફ્લાઇટસ રદ કરાઇ હતી જેમાં 45 ડિપાર્ટિંગ અને ૪૧ ઇનકમિંગ ફ્લાઇટસ હતી. ચેન્નઇ એરપોર્ટ પર 13 ડિપાર્ટિંગ અને 13 ઇનકમિંગ ફ્લાઇટસ રદ થઇ હતી.

ચેન્નઇમાં હવામાન પ્રતિકૂળ હતું તે પણ એક કારણ હતુ તેવું એક સ્ત્રોતે કહ્યું હતું. એક એરલાઇનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે બુધવારે એરલાઇનનું સર્વર ધીમુ પડી ગયું હતું. બોર્ડિંગ પાસ ઇસ્યુ કરવામાં ઘણો વિલંબ થયો હતો. અને ફ્લાઇટસ પણ મોડી પડી હતી. ઇન્ડિગોમાં કોકપીટ ક્રૂ અને કેબિન ક્રૂ બંનેની શોર્ટેજ ચાલે છે. તાજેતરમાં એક ઇન્ટરનેશનલ એરલાઇને દિલ્હી અને મુંબઇમાં ભરતી ઝુંબેશ હાથ ધરી હતી. તે પણ એક કારણ હોવાનું માનવામાં આવે છે.

ઇન્ડિગોએ એક નિવેદનમાં કહ્યું હતું કે કામકાજ રાબેતા મુજબ કરવા અને સમયસર ફ્લાઇટસ ઉડાડવાનો અમે નિર્ધાર કર્યો છે. અમારો તાત્કાલિક લક્ષ્ય છે. ગ્રાહકોને સારો અનુભવ આપવાનો વાયદો નિભાવવામાં કંપની નિષ્ફળ છે તેવું સીઇઓએ સ્ટાફને મોકલેલા સંદેશમાં કહ્યું હતું સામાન્ય સ્થિતિ બહાલ કરવી સહેલું નથી તેવું તેમણે સ્વીકાર્યું હતું.

ઈન્ડિગો દ્વારા ઓછી ભરતીના કારણે સંકટ: પાયલોટ સંગઠન

ઇન્ડિગો ઘણા સમયથી ક્રૂની ઓછી ભરતી કરવાનું વલણ અપનાવી રહ્યું છે અને પાયલોટસની ભરતી તો લગભગ બંધ કરી દીધુ તેવું ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટસ (એફઆઇપી)એ ગુરુવારે કહ્યું હતું.

એફઆઇપીએ એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએને પત્ર લખીને જણાવ્યું હતું કે ઇન્ડિગોએ ઇન્ડસ્ટ્રીના વલણથી વિપરીત ઓછા મેનપાવર વ્યૂહરચના અપનાવી છે, પાયલોટસના આરામના કલાકો અને ડયુટી- સમયમાં ફેરફારોના નિયમો અંગે કંપનીને જાણ હતી અને ભરતી કરવા બે વર્ષનો સમય મળ્યો હતો. પણ ખર્ચ ઘટાડવા પાયલોટસની નવી ભરતી બંધ કરી હતી. અન્ય એરલાઇન્સના પાયલોટસને નહીં લેવા અંગેના કરારો કર્યા હ તા પાયલોટસના પગાર વધારો અટકાવ્યો હતો.

નવા ક્રૂ- રોસ્ટિંગ ધારા ધોરણે અમલમાં આવ્યા અને શિયાળો, પ્રતિકૂળ હવામાન, એરપોર્ટસનું કન્જેશન વિગેરે પરિબળોના લીધે બફર કેપેસિટી (વધારાના કર્મચારીઓ)ની જરૂર પડી હતી ત્યારે તકલીફ પડી ગઇ છે. ટુંકા ગાળાના નિર્ણયો અને કાર્યક્ષમ ભરોસાપાત્ર નીવડવાને બદલે એરલાઇને ખર્ચ ઘટાડવા પર ધ્યાન આપ્યું હોવાથી આવી કટોકટીનું નિર્માણ થયું છે.

December 5, 2025
image-3.png
1min16

ભારતની મુલાકાતે આવેલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકાની નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જો રશિયન ઈંધણ અમેરિકા ખરીદી શકે, તો ભારત કેમ નહીં? તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકા ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ માટે સતત પ્રહાર કરી રહ્યું છે. જેના કારણે ભારત પર ભારે ટેરિફ પણ લગાવવામાં આવ્યો છે.

એક ભારતીય મીડિયા સાથેની વાતચીતમાં પુતિને કહ્યું કે, ‘અમેરિકા પોતાના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ માટે હંમેશાથી ન્યૂક્લિયર ફ્લૂલ ખરીદવાનું શરૂ રાખે છે. એ પણ તો ઇંધણ જ છે. એનર્જી છે. આ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ માટે યૂરેનિયમ છે, જે અમેરિકામાં કામ કરે છે. જો અમેરિકા પાસે ફ્યુલ ખરીદવાનો અધિકાર છે, તો ભારતને આ અધિકારથી વંચિત કેમ રાખવામાં આવે? આ ખૂબ જ ઝીણવટથી અધ્યયન કરવા જેવો મુદ્દો છે. અમે પ્રમુખ ટ્રમ્પ સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છીએ.’

રશિયાના પ્રમુખે રશિયા પર પશ્ચિમી પ્રતિબંધોને ધ્યાને રાખીને ભારત દ્વારા ક્રૂડ ઓઇલની ખરીદી ઓછી કરવા વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ‘આ વર્ષના પ્રથમ નવ મહિના દરમિયાન કુલ વેપાર ટર્નઓવરમાં થોડો ઘટાડો થયો છે. આ એક નાનો ફેરફાર છે. એકંદરે, અમારું વેપાર ટર્નઓવર લગભગ તેના પાછલા સ્તરે જ જળવાયેલું છે..

પુતિને આ વિશે વધુ વાત કરતા કહ્યું કે, કેટલીક વૈશ્વિક શક્તિઓ વૈશ્વિક બજારોમાં ભારતની વધતી શક્તિથી ચિંતિત છે. રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા અંગે પશ્ચિમની ચિંતાઓ અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ નિર્ણય ભારતના વધતા આર્થિક પ્રભાવ અંગેની ચિંતાઓને પ્રતિબિંબિત કરે છે. બંને દેશો વચ્ચેની ઊર્જા ભાગીદારીનો પાયો લાંબો છે. ભારત સાથેના અમારા ઊર્જા સહયોગ પર વર્તમાન પરિસ્થિતિ, રાજકારણ અથવા યુક્રેનની ઘટનાઓનો કોઈ પ્રભાવ પડ્યો નથી.

અમેરિકાના આક્રમક વલણ વિશેના પ્રશ્નના જવાબમાં, રશિયન પ્રમુખે કહ્યું કે, “કેટલાક બાહ્ય દબાણ છતાં, મેં કે વડાપ્રધાન મોદીએ ક્યારેય અમારી ભાગીદારીનો ઉપયોગ કોઈની વિરુદ્ધ કામ કરવા માટે કર્યો નથી.”

ડોનાલ્ડ ટ્રમ્પ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ‘અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પોતાનો એજન્ડા છે, પોતાના લક્ષ્ય છે. જોકે, અમારૂ ધ્યાન અમારા પર છે. કોઈની વિરૂદ્ધમાં નહીં. અમારૂ લક્ષ્ય પોતપોતાના હિત, ભારત રશિયાના હિતનું રક્ષણ કરવું છે.’

નોંધનીય છે કે, રશિયાના પ્રમુખ પુતિનની ભારત યાત્રા એવા સમયે થઈ રહી છે. જ્યારે ભારત-અમેરિકાના સંબંધ છેલ્લા બે દાયકામાં સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને અમેરિકાએ ભારતીય સામાન પર ભારે 50 ટકા ટેરિફ પણ લાદી દીધો છે. જેમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી પર 25 ટકા ટેરિફ પણ સામેલ છે.

December 1, 2025
sir-extended.png
1min19

  • ચૂંટણી પંચે ‘સર’ની સમય મર્યાદા લંબાવી, 11મી સુધી ફોર્મ ભરી શકાશે
  • 16 ડિસે.એ ડ્રાફ્ટ રોલ, 14 ફેબુ્ર.એ અંતિમ મતદાર યાદી જાહેર કરાશે

દેશના ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ‘સર’ની ‘ટૂંકી ટાઈમલાઈન’ના કારણે જનતા અને જમીન પરના ચૂંટણી કર્મચારીઓ માટે સમસ્યા ઊભી થઈ રહી હોવાના વિપક્ષના આક્ષેપોના પગલે ચૂંટણી પંચે ‘સર’ કાર્યક્રમની સમય મર્યાદા એક સપ્તાહ માટે લંબાવી છે. હવે મતદારો ૧૧મી ડિસેમ્બર સુધી તેમના ફોર્મ ભરી શકશે તથા અંતિમ મતદાર યાદી ૧૪ ફેબુ્રઆરીએ જાહેર કરાશે. દરમિયાન રવિવારે રાજસ્થાન-ઉત્તર પ્રદેશમાં ત્રણ બીએલઓનાં મોત થયા હતા.

ચૂંટણી પંચે બિહાર પછી હવે ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ‘સર’ શરૂ કર્યો છે, જેનો પહેલો તબક્કો ચાર ડિસેમ્બરે પૂરો થવાનો હતો. જોકે, સરની કામગીરીના બોજ અને અનેક પ્રકારની જટીલતાઓના કારણે વ્યાપક સમસ્યાઓ ઊભી થઈ રહી છે તથા કામના બોજથી બીએલઓનાં મોત થઈ રહ્યા છે અથવા તેઓ આત્મહત્યા કરી રહ્યા છે તેવા વિપક્ષના આક્ષેપોના કારણે ચૂંટણી પંચે રવિવારે ‘સર’ની ટાઈમલાઈન સાત દિવસ લંબાવી છે.

ચૂંટણી પંચે જણાવ્યું કે, હવે સરનો પહેલો તબક્કો જે ૪ ડિસેમ્બરે પૂરો થવાનો હતો તે ૧૧ ડિસેમ્બરે પૂરો થશે. એટલે કે મતદારો ૧૧ ડિસેમ્બર સુધી તેમના ફોર્મ ભરી શકશે. ચૂંટણી પંચે જાહેર કરેલી નોટિસ મુજબ પુનરીક્ષણ પછી મતદાર યાદીનો મુસદ્દો ૧૬ ડિસેમ્બરે પ્રકાશિત કરાશે અને અંતિમ મતદારા યાદી હવે ૧૪ ફેબુ્રઆરીએ પ્રકાશિત કરાશે. મતદારો ૧૧ ડિસેમ્બરે ફોર્મ ભરીને આપે પછી ૧૨થી ૧૫ ડિસેમ્બર વચ્ચે કંટ્રોલ ટેબલ તૈયાર કરાશે.

ચૂંટણી પંચે કહ્યું કે, આ સમયમાં બધા જ ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદારોની કાચી યાદી એટલે કે ડ્રાફ્ટ રોલ તૈયાર કરાશે. મતદારો તેમના વાંધા ૧૬ ડિસેમ્બરથી ૧૫ જાન્યુઆરી વચ્ચે નોંધાવી શકશે. આ સમયમાં મતદારોના જવાબ મેળવાશે. ૧૦ ફેબુ્રઆરીએ બધા જ માપદંડો પર મતદાર યાદીના ડ્રાફ્ટ રોલની ચકાસણી થશે. ત્યાર પછી ૧૪ ફેબુ્રઆરીએ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરાશે.

મતદાર યાદી સુધારણા માટે એસઆઈઆરનું કામ કરી રહેલા બીએલઓ પર કામનું વધુ દબાણ હોવાના અહેવાલો વચ્ચે ચૂંટણી પંચે બીએલઓનું માનદ વેતન રૂ. ૬,૦૦૦થી વધારીને રૂ. ૧૨,૦૦૦ તેમજ બીએલઓ સુપરવાઈઝરનું ભથ્થું રૂ. ૧૨,૦૦૦થી વધારીને રૂ. ૧૮,૦૦૦ કરવાની જાહેરાત કરી છે. આ સાથે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની મમતા સરકારને બીએલઓ અને સુપરવાઈઝરને સુધારેલા ભથ્થાંની ચૂકવણી તાત્કાલિક અસરથી કરવા નિર્દેશ આપ્યા છે.

દરમિયાન રાજસ્થાનના ધોલપુરમાં બીએલઓની કામગીરી કરતા ૪૨ વર્ષના અનુજ ગર્ગ શનિવારે મોડી રાતે મતદારોનો ડેટા અપલોડ કરતી વખતે તેમના જ ઘરમાં ફસડાઈ પડયા હતા અને તેમનું નિધન થયું હતું.

પરિવારનો દાવો છે કે એસઆઈઆરની કામગીરીના અત્યાધિક બોજના કારણે તેમનું મોત થયું છે. એજ રીતે ઉત્તર પ્રદેશના બિજનૌરમાં ધામપુર વિસ્તારમાં બીએલઓ ૫૬ વર્ષીય શોભારાનીનું કાર્ડિઆક અરેસ્ટના કારણે મોત થયું હતું. તેમના પરિવારે પણ બીએલઓની કામગીરીનો અત્યાધિક બોજ હોવાનો દાવો કર્યો હતો. ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાં ૪૬ વર્ષના બીએલઓ સર્વેશ સિંહે આત્મહત્યા કરી લીધી હતી. ચાર પુત્રીઓના પિતા સર્વેશ સિંહે સુસાઈડ નોટમાં દાવો કર્યો હતો કે તેમને એસઆઈઆરની કામગીરી માટે પર્યાપ્ત સમય આપવામાં આવ્યો નહોતો.

બીએલઓને ટાઈગર સફારી, હેલિકોપ્ટર જોય રાઈડનું ઈનામ!

ચૂંટણી પંચ દ્વારા ૧૨ રાજ્યોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ‘સર’ની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેની જવાબદારી બીએલઓને સોંપાઈ છે. બીએલઓ પર કામનું અત્યાધિક દબાણ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે મધ્ય પ્રદેશમાં નિશ્ચિત સમય મર્યાદા કરતાં વહેલા કામગીરી પૂરી કરનારા ‘સુપર બીએલઓ’ ટાઈગર સફારી, મુવી ટિકિટ અને હેલિકોપ્ટર રાઈડ જેવા શાનદાર ઈનામો મેળવી રહ્યા છે.

મધ્ય પ્રદેશના જબલપુરની સ્નેહલતા પટેલે તેમનાં કાર્યક્ષેત્રના તમામ બૂથોનું ૧૦૦ ટકા ડિજિટાઈઝેશન પૂરું કરતાં પહેલા બીએલઓ સુપરવાઈઝર બન્યા હતા. તેમણે પનાગર વિધાનસભા ક્ષેત્રના ૭,૭૦૬ મતદારોના ફોર્મ સમય પહેલાં અપલોડ કરી દેતા તેમને પીએમ શ્રી હેલી પ્રવાસન સેવાના માધ્યમથી પ્રખ્યાત પ્રવાસન સ્થળ કાન્હા અને બાંધવગઢનો હવાઈ પ્રવાસ કરાવાયો હતો. એ જ રીતે રીવા જિલ્લામાં ૧૨ બીએલઓએ સમય પહેલાં કામગીરી પૂરી કરતાં તેમને પરિવાર સાથે વ્હાઈટ ટાઈગર સફારી મુકુંદપુર અને ફિલ્મ ટિકિટના ઈનામ અપાયા હતા.

November 30, 2025
Cia_business_news-1280x936.jpg
1min37

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશન (એસ.જે.એમ.એ.) એ ગ્લોબલ કનેક્ટ 365 પ્રોગ્રામ આજે લોંચ કર્યો છે. આ પ્રોગ્રામમાં ઝવેરાતની ખરીદી કરવા માટે સુરત આવવા ઇચ્છતા ભારતના કે વિદેશના કોઇપણ જેન્યુઇન ખરીદારોને ફ્લાઇટ-ટ્રેનમાં આવવા જવાનું ભાડું, હોટલમાં સ્ટે, લોકલ ટ્રાન્સપોર્ટેશન, ફેક્ટરી વિઝિટ, ઓફિસ વિઝિટ વગેરે તમામ ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવશે. આ અંગે વધુ વિગતો આપતા સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના પ્રમુખ અમિત કોરાટ અને રૂટ્ઝના ચેરમેન જયંતિ સાવલિયાએ કહ્યું કે હવે તેઓ તબક્કાવાર રૂટ્ઝ એક્ષ્પો કાયમ માટે બંધ કરી રહ્યા છે. તેના બદલે હવે આખું વર્ષ 365 દિવસ ઝવેરાત ખરીદારો દેશ વિદેશથી ખરીદી કરવા માટે સુરતના ઝવેરાત ઉત્પાદકો પાસે આવે તે માટે તેમને તમામ ખર્ચો ઉઠાવવાની યોજના ઘડી કાઢવામાં આવી છે. ખરીદારોએ સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશની મોબાઇલ એપ્લિકેશનમાં સુરત આવવા અંગે એપ્લિકેશન કરવાની રહેશે. તેમણે એસોસીએશનના કુલ 500 મેમ્બર્સ પૈકી ઓછામાં ઓછા કોઇપણ 8 મેમ્બરની ફેક્ટરી, ઓફિસ, શોરૂમ વગેરેની વિઝિટ કરવાની રહેશે. ઓછામાં ઓછા આઠ જુદી જુદી પેઢીના ખરીદારો હશે તો તેમને સુરત આવવાનો તમામ ખર્ચ, સુરતમાં હોટેલ સ્ટે, સુરતમાં આંતરીક ટ્રાન્સપોર્ટેશન, ફેક્ટરી વિઝિટ વગેરે તમામનો ખર્ચ એસોસીએશનના મેનેજ કરશે. એસોસીએશનને મુલાકાતીઓને ખર્ચો એવી ફેક્ટરીના માલિકો ચૂકવશે જેની મુલાકાતે વિદેશી-દેશી ખરીદારો ગયા હોય. આમ આ રીતે માત્ર એક્ષ્પો પૂરતા નહીં પણ આખું વર્ષ દેશ વિદેશના ઝવેરાત ખરીદારો સુરત આવતા રહે તે પ્રમાણેની સ્કીમ એસ.જે.એમ.એ. ગ્લોબલ કનેક્ટ 365 લોંચ કરવામાં આવી છે.

IDI Certification

ઝવેરાત એક્ષ્પો રૂટ્ઝમાં સુમુલડેરી સ્થિત ઇન્ડીયન ડાયમંડ ઇન્સ્ટીટ્યુટ દ્વારા જ્વેલરી સર્ટિફિકેશન પ્રોજેક્ટ લોંચ કરવામાં આવ્યો છે. સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશન અને ઇન્ડીયન ડાયમંડ ઇન્સ્ટીટ્યુટ વચ્ચે તાજેતરમાં જ એમ.ઓ.યુ. સાઇન થયા છે.

રૂટ્ઝ 2025ના ઉદઘાટન સમારોહમાં મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યા

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના ઝવેરાત એક્સો રૂટ્ઝની 5મી એડિશનનો આજે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આરંભ કરવામાં આવ્યો હતો. આજે પહેલા જ દિવસે ભારતના જુદા જુદા શહેરો ઉપરાંત દુબઇ, અબુધાબી, શારજાહ, અમેરીકા જેવા દેશોમાંથી આવેલા ખરીદારો બોલી ઉઠ્યા હતા કે મુંબઇના ઝવેરાત ઉત્પાદકોને જોરદાર ટક્કર આપી રહ્યા છે સુરતના જ્વેલરી મેન્યુફેક્ચરર્સ. રૂટ્ઝ 2025 એક્ઝિબિશનની ખાસિયત એ છે કે ઝવેરાત ખરીદવા માટે આવી રહેલા દેશ વિદેશના ખરીદારોને જુદા જુદા દાગીનાની પસંદગી કરવા માટે 75 હજારથી વધુ ડિઝાઇનોની વિશાળ રેન્જ મળી રહી છે. 150 જેટલા સુરતના ઝવેરાત ઉત્પાદકો રૂટ્ઝ એક્ષ્પોમાં પોતાની જ્વેલરી ડિસ્પ્લે કરી રહ્યા છે પણ રેર કેસમાં તેમના આર્ટિકલ્સની ડિઝાઇન રિપીટ કે ડુપ્લિકેશનમાં જોવા મળી રહી છે.

દુબઇની એક જ્વેલરી બ્રાન્ડ માટે ખરીદા કરવા રૂટ્ઝમાં આવેલા વિલ્સને મિડીયા કર્મીઓને કહ્યું કે ત્રણેક વર્ષ અગાઉ સુધી તેઓ મુંબઇના જ્વેલરી મેન્યુફેક્ચરર્સ પાસેથી આર્ટિકલ્સ ખરીદતા આવ્યા હતા પરંતુ, જ્યારથી તેઓ રૂટ્સના સંપર્કમાં આવ્યા ત્યારથી સુરતમાં ક્લાયન્ટ બેઝ સ્થાપિત કર્યો છે અને તેઓ કમસેકમ 15થી 20 કિલો વજનના સોનાના દાગીનાની દર વર્ષે ખરીદી કરી રહ્યા છે. તેઓ જુદા જુદા આર્ટિકલ્સની 100થી 150 નંગ ખરીદી કરે છે. તેમણે જણાવ્યું કે સુરતના ઝવેરાત ઉત્પાદકો પાસે જે રેન્જ અને ઇનોવેશન છે એ વર્તમાન યંગ જનરેશનમાં આકર્ષણ ઉભું કરી શકવા સમર્થ છે. સુરતમાં તોલા કે ગ્રામમાં નહીં પણ વર્ષે 50થી 70 કિલો વજનના સોનાના દાગીના બનાવીને વેચનારાઓ પણ પડ્યા છે.

રૂટ્ઝ એક્ઝિબિશનના ચેરમેન જયંતિ સાવલિયાએ કહ્યું કે એકલા ભારતમાં નહીં હવે તો સુરતના ઝવેરાત ઉત્પાદકો દુનિયાભરમાં દાગીના સપ્લાય કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ઝવેરાત ઉત્પાદકોએ બનાવેલા આર્ટિકલ્સ સસ્તા પડે છે અને ડિઝાઇન અફલાતૂન હોય છે. સામાન્ય રીતે 1 ગ્રામની ઘડામણ રિટેલ માર્કેટમાં રૂ.3 હજારથી લઇને રૂ.3500 હોય છે, જ્યારે ઝવેરાત ઉત્પાદકો ઓર્ડરથી માલ બનાવે છે ત્યારે તે કલ્પના કરતા પણ ઓછી થઇ જાય છે. તેમણે કહ્યું કે સોનાના ભાવ ભલે રૂ.1.30 લાખની આસપાસ હોય પરંતુ, લોકો ક્યારેય દાગીના પહેરવાનું કે સોનું ખરીદવાનું બંધ કરતા નથી હોતા. હાલમાં 14 કેરેટની ગોલ્ડ ડાયમંડ સ્ટડેડ જ્વેલરીના સારા ઓર્ડરો મળી રહ્યા છે.

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના પ્રમુખ અમિત કોરાટ કહે છે કે તેમના એસોસીએશન સાથે સંકળાયેલા તમામ મેમ્બર્સને લાભ થાય એ માટે હવે એસ.જે.એમ.એ. 365 ગ્લોબલ કનેક્ટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં લોંચ કરી રહ્યા છે. જેનાથી દેશ વિદેશના ખરીદારો એકલા એક્ઝિબિશન પૂરતા નહીં પણ સમગ્ર વર્ષ દરમિયાન ઝવેરાત ઉત્પાદકોની ફેક્ટરીથી લઇને ઓફિસની મુલાકાતે આવતા જોવા મળશે.

November 29, 2025
image-27.png
1min24

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આગામી ૪થી અને ૫મી ડિસેમ્બરે બે દિવસ માટે ભારતના પ્રવાસે આવશે. રશિયા-ભારત વચ્ચે વાર્ષિક સમિટ યોજાવાની છે તેમાં પુતિન ભાગ લેશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર, ડિફેન્સ, ઉર્જા સહિતના ક્ષેત્રોના કરારો થાય તેવી શક્યતા છે. બંને દેશો વચ્ચે લોકલ કરન્સીમાં આદાન-પ્રદાન અંગે પણ ચર્ચા થશે. પુતિન સમક્ષ ભારત વધુ એક વખત યુક્રેન-રશિયા યુદ્ધમાં શાંતિ સ્થપાય તે માટે રજૂઆત કરશે.

ભારત રશિયા પાસેથી એસ-૩૦૦ રશિયન મિસાઈલ્સ ખરીદવાનું છે : તેમજ જૂની થઈ ગયેલી એસ-૪૦૦ એર ડીફેન્સ સિસ્ટમના સ્થાને નવી એસ-૪૦૦ ડીફેન્સ સિસ્ટમ ખરીદશે. તે ઉપરાંત બીજી પાંચ એસ-૪૦૦ સ્કવોડ્રન્સ પણ ખરીદવાનું છે. આ પ્રકારના કરારો થાય તેવી પ્રબળ શક્યતા છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારત રશિયાને રીકવેસ્ટ ફોર પ્રપોઝલ (આરએફપી) મોકલવાનું છે. આ એસ-૪૦૦ વિમાનોની ૩ સ્કવોડ્રન્સ તો ભારત પાસે છે જ, જે ઓપરેશન સિન્દૂર સમયે કાર્યરત હતી. તે ઉપરાંત બીજી પાંચ સ્કવોડ્રન્સ માટે રશિયાના પ્રમુખ પુતિનભારત આવે ત્યારે સોદો પાકો કરવામાં આવશે. આ ફીફથ જનરેશન ફાયટર્સ વાસ્તવમાં ભારત પોતાના જ એએમસીએ (એડવાન્સ્ડ મીડીયમ કોમ્બેટ એરક્રાફટસ ૨૦૩૫ માં કાર્યરત થાય તે પહેલાની વચગાળાની વ્યવસ્થા સમાન છે. બીજી તરફ સુખોઈ-૫૭, કે એફ-૩૫ બેમાંથી એક અંગે હજી કોઈ નિર્ણય લેવાયો નથી.રશિયન પાનસ્ટર મિસાઈલ્સ સશસ્ત્ર તેવા કામીકાઝે ડ્રોન્સનો સામનો કરવા માટે છે.એસ-૪૦૦ ને ભારતમાં સુદર્શન ચક્ર કહેવાય છે. કારણ કે રશિયન બનાવટના આ એસ-૪૦૦ ટ્રાયમ્ફ એર ડીફેન્સ મિસાઈલ, દુનિયાની કોઈપણ એર ડીફેન્સ સિસ્ટીમની બરાબર કરી શકે તેમ છે. તે નામ ભગવાન વિષ્ણુનાં સુદર્શન ચક્ર ઉપરથી અપાયું છે. રશિયાની અલ્માઝ- એન્તે (સરકારી) કંપની દ્વારા બનાવવામાં આવેલા એસ-૪૦૦ મિસાઈલ્સ વિમાનો ડ્રોન તેમજ મિસાઈલ્સને ૬૦૦ કિ.મી. દૂરથી પકડી પાડે છે અને ૪૦૦ કિલોમીટરે તેને તોડી પાડી શકે છે. ટૂંકમાં ભારત કોઈ મહાયુદ્ધ આવી પડેતો તે સામે સજ્જ બની રહ્યું છે.

November 29, 2025
image-26.png
1min28

વિશ્વના સૌથી વધુ વેચાતા વિમાન, એરબસ A320 ફેમિલીના હજારો વિમાનોને આ સપ્તાહના અંતે મોટા પાયે ગ્રાઉન્ડેડ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં હવાઈ મુસાફરી પર ગંભીર અસર પડવાની છે. તાજેતરમાં સામે આવેલા એક મોટા તકનીકી જોખમને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના નિવારણ માટે વ્યાપક સોફ્ટવેર અને કેટલાક જૂના વિમાનોમાં હાર્ડવેર અપગ્રેડ ફરજિયાત કરવામાં આવ્યું છે.

ભારતમાં ઈન્ડિગો અને એર ઈન્ડિયા ગ્રુપના 350થી વધુ A320 ફેમિલી વિમાનો આ પ્રક્રિયાનો ભાગ બનશે. ઈન્ડિગોના કાફલામાં 350થી વધુ A320 વિમાનો છે, જેમાંથી લગભગ 250ને અપગ્રેડની જરૂર છે. તેવી જ રીતે, એર ઈન્ડિયાના 120-125 A320 વિમાનોમાંથી 100થી વધુ વિમાનો પ્રભાવિત થશે. આ અપગ્રેડમાં 2-3 દિવસનો સમય લાગવાની ધારણા છે, અને વિમાનો સોમવાર કે મંગળવારથી ફરી ઉડાન ભરી શકે છે. આને કારણે સપ્તાહના અંતે અને સોમવાર સુધી ઘણી ફ્લાઇટ્સ મોડી પડવાની કે રદ થવાની પ્રબળ આશંકા છે.

એર ઈન્ડિયાએ ‘X’ પર જણાવ્યું, “અમે એરબસ દ્વારા જારી કરાયેલા નિર્દેશથી વાકેફ છીએ. આના કારણે અમારા કાફલાના એક ભાગમાં સોફ્ટવેર/હાર્ડવેર રિકેલિબ્રેશનની જરૂર પડશે, જેનાથી ફ્લાઇટ્સમાં વિલંબ થવાની સંભાવના છે. અસુવિધા માટે ખેદ છે.”

જેટબ્લુની ઘટના બની કારણ

આ મોટા નિર્ણય પાછળ 30 ઓક્ટોબર, 2025ના રોજ અમેરિકન એરલાઇન જેટબ્લુની A320 ફ્લાઇટમાં બનેલી ગંભીર ઘટના જવાબદાર છે. કેનકુનથી નેવાર્ક જતી ફ્લાઇટ દરમિયાન, પાઇલટના ઇનપુટ વિના જ વિમાન અચાનક નીચેની તરફ નમી ગયું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ ઘટના ELAC (એલિવેટર એલેરોન કમ્પ્યુટર)માં ખામીને કારણે બની હતી. વિમાનને તાત્કાલિક તાંપામાં ઉતારવામાં આવ્યું હતું, જ્યાં કેટલાક મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

આ ઘટના બાદ, યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી (EASA) એ ‘ઇમરજન્સી એરવર્ધીનેસ ડાયરેક્ટિવ’ જારી કર્યો. ત્યારબાદ એરબસે જણાવ્યું કે તકનીકી તપાસમાં જાણવા મળ્યું છે કે તીવ્ર સૌર વિકિરણ (Solar Radiation) ફ્લાઇટ કંટ્રોલ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ ડેટાને કરપ્ટ કરી શકે છે. આ જ કારણોસર, વિમાનોમાં સોફ્ટવેર અને હાર્ડવેર પ્રોટેક્શન ફરજિયાત કરવામાં આવ્યું છે. એરબસે આનાથી થનારી અસુવિધા બદલ મુસાફરો અને ગ્રાહકોની માફી માંગી છે અને કહ્યું છે કે “સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.”

November 27, 2025
image-25.png
1min27

ભારતીય શેરબજારે આજે 27/11/25 ગુરુવારે ઇતિહાસ રચી દીધો છે. લગભગ 14 મહિનાની લાંબી રાહ જોયા બાદ, નિફ્ટી 50 ઇન્ડેક્સ તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરને પાર કરી ગયો છે, જેના કારણે રોકાણકારોમાં ખુશીનો માહોલ છે. બજારમાં આવેલી આ તેજીને પગલે રોકાણકારોની સંપત્તિમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે.

27/11/2025 સવારના કારોબારમાં નિફ્ટી લગભગ 90 પોઈન્ટના ઉછાળા સાથે 26,295.55ની નવી ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો હતો. આ પહેલા, ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં નિફ્ટીએ 26,277.35નો ઓલ-ટાઇમ હાઈ બનાવ્યો હતો, જેની નીચે તે છેલ્લા 14 મહિનાથી ટ્રેડ કરી રહ્યો હતો. જોકે, સેન્સેક્સ હજુ તેના રેકોર્ડ હાઈથી થોડો દૂર છે. સેન્સેક્સ 300 પોઈન્ટના વધારા સાથે 85,912.94 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે તેનો ઓલ-ટાઇમ હાઈ 85,978.25 છે.

BSEના ટોપ 30 શેરોમાંથી 19 શેરોમાં તેજી જોવા મળી રહી છે, જ્યારે 11 શેરો ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વના શેર ટોપ પર્ફોર્મર રહ્યા છે, જ્યારે ઝોમેટો અને કોટક મહિન્દ્રા બેન્કના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. સેક્ટરની વાત કરીએ તો, પીએસયુ બેંક, કન્ઝ્યુમર્સ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરને બાદ કરતાં બાકીના તમામ સેક્ટરમાં સારી ખરીદી જોવા મળી રહી છે.

આ શેરોમાં જોવા મળી શાનદાર તેજી:

ગણેશ હાઉસિંગ અને પટેલ એન્જિનિયરિંગના શેરમાં 10%થી વધુનો ઉછાળો છે.

ટાટા ટેલિસર્વિસિસ (મહારાષ્ટ્ર) અને જિલેટ ઈન્ડિયાના શેરમાં 5%ની તેજી છે.

તેજસ નેટવર્ક્સ 4%થી વધુ, જ્યારે સ્વાન કોર્પોરેશન 2% વધ્યો છે.

આ સિવાય ટાટા પાવર, બજાજ ફાઇનાન્સ અને શ્રીરામ ફાઇનાન્સના શેરમાં 1.5%નો ઉછાળો જોવા મળી રહ્યો છે.

બજારની એકંદરે સ્થિતિ

બીએસઈ પર કુલ 3,321 શેરોમાંથી 1,853 શેરો તેજી સાથે અને 1,262 શેરો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. 85 શેરોમાં અપર સર્કિટ લાગી છે, જ્યારે 60 શેરોમાં લોઅર સર્કિટ લાગી છે. 60 શેરોએ તેમની 52-સપ્તાહની નવી ટોચ બનાવી છે.

November 27, 2025
image-23.png
1min27

હોંગકોંગના તાઈ પો (Tai Po) જિલ્લામાં આવેલા વાંગ ફૂક કોર્ટ’ (Wang Fuk Court) નામના વિશાળ રહેણાંક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 44 લોકોનાં મોત થયા છે, જ્યારે 279 લોકો હજુ પણ લાપતા છે. 

  • સ્થળ: હોંગકોંગના તાઈ પો જિલ્લામાં આવેલ વાંગ ફૂક કોર્ટ હાઉસિંગ કોમ્પ્લેક્સ.
  • સમય: આગ બુધવારે 28/11/25 બપોરે લાગી હતી.
  • અસર: આગ ઝડપથી 35 માળની 7 થી 8 ઇમારતોમાં ફેલાઈ ગઈ.
  • મૃત્યુઆંક: સત્તાવાર રીતે 44 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
  • લાપતા: લગભગ 279 લોકો હજુ પણ લાપતા હોવાનું જણાવાયું છે.
  • ઈજાગ્રસ્ત: આશરે 15 થી 45 લોકો ઘાયલ થયા છે અને હોસ્પિટલમાં દાખલ છે.
November 25, 2025
image-19.png
3min37

Ayodhya Ram Mandir: આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજા ચડાવવામાં આવશે. નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના જ ગયા વર્ષે મંદિરમાં દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. હવે શિખર સાથે આખું મંદિર બનીને તૈયાર થયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવશે. ખાસ વાત એ છે કે શિખર પર લગાવવામાં આવેલો ધ્વજ દંડ અને ધ્વજા બંને અમદાવાદમાં બનાવવામાં આવ્યા છે.

ધ્વજા ચડાવવાનો સંપૂર્ણ કાર્યક્રમ

આજે Date 25/11/2025 બપોરે 12 વાગ્યે વડાપ્રધાન મોદી શ્રી રામ મંદિરમાં ભગવા રંગની ધ્વજા ચડાવશે. સાથે સાથે મંદિરમાં ભગવાન શ્રી રામની પૂજા-અર્ચના પણ કરશે. કાર્યક્રમ સવારે 10 વાગ્યે શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા એરપોર્ટથી હેલિકોપ્ટરથી સાકેત વિશ્વવિદ્યાલય પહોંચશે. ત્યાં રોડ શો કરી મંદિર સુધી પહોંચશે. મંદિરમાં આજે સામાન્ય શ્રદ્ધાળુઓને એન્ટ્રી આપવામાં આવશે નહીં. જે તે મહેમાનને QR કોડની મદદથી જ એન્ટ્રી મળશે.

ધર્મ ધ્વજની ખાસિયતો

રામ મંદિરના શિખર પર શોભવા જઈ રહેલા ધ્વજનું નામ ‘ધર્મ ધ્વજ’ છે. તેના ઉપર સૂર્યની આકૃતિ હોવાથી તે ‘સૂર્ય ધ્વજ’ તરીકે પણ ઓળખાઈ રહ્યો છે. આ ધ્વજ હવામાનના પ્રતિકૂળ પરિબળો જેવા કે તીવ્ર તાપ, ભારે વરસાદ અને 60 કિ.મી. પ્રતિ કલાક જેટલી તીવ્ર ગતિના પવનો સામે ટકી રહે એટલો મજબૂત છે.

ધર્મ ધ્વજની લંબાઈ- 22 ફૂટ

પહોળાઈ- 11 ફૂટ

વજન- 2.5 કિલો

રંગ- કેસરી

ધ્વજ પર અંકિત પ્રતીકો- ચક્ર, સૂર્ય, ૐ, કોવિદાર વૃક્ષ

મટીરિયલ- નાયલોન અને રેશમના મિશ્રણથી બનેલું પોલિમર ફેબ્રિક

આયુષ્ય- ત્રણ વર્ષ (દર ત્રણ વર્ષે નવા ધ્વજનું આરોહણ કરાશે)

ધ્વજનો થાંભલો અમદાવાદમાં બનાવાયો છે

આ ધ્વજ જે થાંભલા પર લહેરાશે તે સ્ટીલનો બનેલો છે. તેનું વજન સાડા પાંચ ટન (5500 કિલોગ્રામ) જેટલું છે. 44 ફૂટ ઊંચો આ થાંભલો અમદાવાદના કારીગરોએ તૈયાર કર્યો છે. થાંભલાની ઊંચાઈને ધ્યાનમાં લેતા ધ્વજ જમીનથી લગભગ 205 ફૂટની ઊંચાઈએ ફરકશે.

ધ્વજની સ્થાપના માટે અનોખી યાંત્રિક વ્યવસ્થા

રામમંદિરના શિખર પર ધ્વજને ફરકાવવા માટે વપરાતું દોરડું અત્યંત મજબૂત અને ભારે છે, તેથી તેને માનવબળ વડે ખેંચવું કઠિન અને જોખમભર્યું છે. આ પડકારના નિરાકરણ માટે વિશેષ રીતે ડિઝાઇન કરાયેલી યાંત્રિક સિસ્ટમ ગોઠવાઈ છે. આ સિસ્ટમમાં દોરડાને બે બાજુ સંતુલિત રાખવા અને સરળતાથી ખેંચવા અને ઢીલ આપવા વિશિષ્ટ મશીનો લગાવાયા છે.

અમદાવાદમાં તૈયાર કરાયેલી ધ્વજાની ખાસિયત:

અયોધ્યા રામ મંદિર માટે અન્ય કઈ કઈ વસ્તુઓ અમદાવાદમાં તૈયાર કરાઈ?

મુખ્ય મંદિર તથા આસપાસના 6 મંદિરના ધ્વજ દંડ

મંદિર ઉપર લાગતાં કડા

મંદિરના દરવાજાના હાર્ડવેર

મંદિર માટેની દાનપેટી

ભગવાનના આભૂષણ મૂકવા માટે બ્રાસનું કબાટ

વૈદિક સાહિત્ય આધારિત પ્રતીકોનું આધ્યાત્મિક અર્થઘટન

આ ધ્વજ એક ગહન આધ્યાત્મિક સંદેશવાહક છે. તેના પર અંકિત દરેક પ્રતીકનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ છે. ધ્વજનો કેસરી રંગ ત્યાગ, પવિત્રતા અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક મનાય છે. ધ્વજના મધ્યભાગમાં અંકિત ચક્ર ધર્મ અને ન્યાયની ગતિશીલતાનું પ્રતિનિધિત્વ કરે છે. ચક્ર સાથે સૂર્યવંશનું પ્રતિનિધિત્વ કરતો સૂર્ય, સર્વવ્યાપી પરમાત્માનું ચિહ્ન ‘ૐ’ અને વાલ્મીકિ રામાયણમાં વર્ણવેલ પવિત્ર કોવિદાર (બકુલ) વૃક્ષનું પ્રતીક પણ શોભાયમાન છે. આ બધાં પ્રતીકો ભગવાન રામના જીવન, મૂલ્યો અને સિદ્ધાંતો સાથે ગહન રીતે જોડાયેલા છે. તેથી આ ધ્વજની સંપૂર્ણ ડિઝાઇન વેદિક સાહિત્ય પર આધારિત છે.

ભારતીય સેનાનો સહયોગ

આ ઐતિહાસિક ઘટનાની તૈયારી અત્યંત સચોટ અને વ્યવસ્થિત રીતે થઈ રહી છે. ધ્વજના વિશાળ આકાર, ઊંચાઈ અને સંવેદનશીલ પ્રકૃતિને લીધે તેને ખૂબ કાળજીપૂર્વક ફરકાવવું પડે એમ હોવાથી આ કામ ભારતીય સેનાને સોંપાયું છે. સેનાના જવાનો ધ્વજ ફરકાવવાની સમગ્ર પ્રક્રિયાના વ્યાપક રિહર્સલ પણ કર્યું હતું, જેથી સમારોહના દિવસે બધું નિર્વિઘ્ને પૂર્ણ થઈ શકે. સેનાના અધિકારીઓએ ધ્વજના વજન અને યાંત્રિક પદ્ધતિમાં સુધારા માટે પણ મહત્ત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. શરુઆતમાં ધ્વજનું વજન 11 કિલોગ્રામ રાખવાનો પ્રસ્તાવ હતો, પરંતુ સેનાના સૂચન પર તેને હળવો બનાવાયો હતો, જેથી દોરડા પરનું દબાણ ઘટે.

આ ઐતિહાસિક ક્ષણનો સમારોહ 25 નવેમ્બર, 2025ના રોજ આયોજિત છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને ધ્વજ સ્થાપનાનો શુભારંભ કરશે. રામ મંદિર ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રા અને તેમના પત્ની સમારોહના મુખ્ય યજમાન છે. ધ્વજ સ્થાપના અગાઉના દિવસોમાં વિસ્તૃત ધાર્મિક વિધિ કરાઈ રહી છે. અયોધ્યા અને કાશીના પ્રખ્યાત વિદ્વાનો દ્વારા નવગ્રહ પૂજા, યજ્ઞ, વેદોના શ્લોકો, રામ રક્ષા સ્તોત્ર, વાલ્મીકિ રામાયણ અને રામચરિત માનસના પાઠ કરીને પવિત્ર વાતાવરણ સર્જાઈ રહ્યું છે.

November 25, 2025
image-18.png
1min45

ઇથિયોપિયામાં જ્વાળામુખી ફાટવાની સીધી અસર ભારત પર પણ જોવા મળી રહી છે. તેની રાખ આકાશમાં ઊંચે સુધી ફેલાઇ ગઈ છે, જેના કારણે અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો રૂટ બદલવો પડ્યો હતો. અમુક ફ્લાઇટમાં મોડું થઈ રહ્યું છે અને અમુકને બીજા રસ્તેથી મોકલવામાં આવી રહી છે જેથી વિમાન રાખના વાદળોથી દૂર રહે.

ઇથિયોપિયાના જ્વાળામુખીની રાખના કારણે સોમવારે અનેક એરલાઇન્સે પોતાની ફ્લાઇટ રદ કરી દીધી હતી. જેમાં અકાસા એર, ઇન્ડિગો અને KLM જેવી કંપનીનો સમાવેશ થાય છે.

ઇથિયોપિયાના હાયલી દુબ્બી જ્વાળામુખી ફાટ્યા બાદ ઉત્પન્ન થયેલો વિશાળ રાખનો ગોટો તા.24મી નવેમ્બરને સોમવારે રાત્રે 11 વાગ્યા સુધીમાં દિલ્હી પહોંચી ગયો. હવામાનના જાણકારો છેલ્લાં એક દિવસથી આ રાખના વાદળને જોઈ રહ્યા હતા. આ રાખનું વાદળ લાલ સાગર પાર કરીને આશરે 130 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ભારત તરફ વધી રહ્યું હતું. સૌથી પહેલાં આ રાખનું વાદળ ભારતમાં પશ્ચિમી રાજસ્થાનના જોધપુર અને જેસલમેરની ઉપરથી આવ્યું. બાદમાં ધીમે-ધીમે આ રાખનું વાદળ દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનના મોટા ભાગોમાં ફેલાઇ ગયું.

નિષ્ણાતોએ જણાવ્યું કે, આ રાખનું વાદળ જમીનથી 25,000થી 45,000 ફૂટ ઊંચાઈ પર છે. તેથી, હાલ લોકોના સ્વાસ્થ્યને જોખમ નથી. પરંતુ, એવું બની શકે કે, અનેક જગ્યાએ થોડી-થોડી રાખની પરત નીચે પડે.

હવામાન વિભાગનું માનવું છે કે, મંગળવારે (25 નવેમ્બર) સવારનો સૂરજ અલગ અને ચમકીલા રંગમાં જોવા મળ્યો. રાખના કારણે પ્રકાશ પર આવી અસર પડી હતી.

CPCB (સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ના જણાવ્યા અનુસાર, અહીં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સિવિયર એટલે ગંભીર શ્રેણીમાં રેકોર્ડ થયો છે. આ સ્તરે હવા ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે અને શ્વાસ લેવામાં સ્વાસ્થ્ય પર તેની તુરંત અસર જોવા મળી શકે છે.

આ સિવાય દિલ્હીની એમ્સ અને સફદરજંગ હોસ્પિટલ પાસે પણ ઝેરી ધુમ્મસ જોવા મળી રહ્યું છે. આખા વિસ્તારમાં ઝેરી ધુમ્મસના કારણે હવામાં બળતરા અનુભવાઇ રહી છે. CPCB અનુસાર, અહીં AQI 323 નોંધાયો છે. જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. આવા સ્તરમાં હવા શ્વાસ લેવા લાક નથી હોતી અને ખાસ કરીને વડીલ, બાળકો તેમજ અસ્થમાના દર્દીને વધુ જોખમ હોય છે.

અમેરિકાની હવમાનાની આગાહી વિશે જાણકારી આપનારી વેબસાઇટ એક્યૂવેધર અનુસાર, દિલ્હી અને તેની આસપાસના મોટા ભાગના વિસ્તારોમાં સવારે 6 વાગ્યે AQI 300ની આસપાસ રહ્યો.

CPCB અનુસાર, રાત્રે બે વાગ્યે દિલ્હી-એનસીઆરના મોટાભાગના વિસ્તારમાં AQI 350 પાર રહ્યો છે.

મળતી માહિતી મુજબ. ઇથિયોપિયાના જ્વાળામુખીથી નીકળેલું રાખનું વાધળ મોટાભાગે સલ્ફર ડાયોક્સાઇડથી બનેલું છે. આ વાદળમાં જ્વાળામુખીની રાખની માત્રા ઓછાથી મધ્યમ છે. આ રાખનું વાદળ હવે ઓમાન-અરબ સસાગરના રસ્તેથી મધ્ય ગુજરાતના મેદાની વિસ્તારો સુધી ફેલાઇ ગયું છે.

નોંધનીય છે કે, આ વાદળની AQI પર કોઈ અસર થશે નહીં. જોકે, નેપાળ, હિમાલયના વિસ્તાર અને ઉત્તર પ્રદેશના તરાઈ પ્રદેશમાં સલ્ફર ડાયોક્સાઇડનું સ્તર થોડું વધી શકે છે, કારણ કે રાખના કેટલાક વાદળ પર્વતો સાથે અથડાઈને ચીન તરફ આગળ વધશે. મેદાનોમાં રાખ પડવાની શક્યતા ખૂબ ઓછી છે, જોકે કેટલાક વિસ્તારોમાં થોડી અસર થઈ શકે છે. આ આખું રાખનું વાદળ વાતાવરણના મધ્ય-સ્તરમાં છે, તેથી જમીન પર હવાની ગુણવત્તા પર કોઈ અસર થશે નહીં. રાખનું વાદળ ધીમે ધીમે દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન તરફ પણ જશે, પરંતુ સપાટી પર કોઈ પ્રતિકૂળ અસર નહીં થાય. ફક્ત ફ્લાઇટ રિરુટિંગ અથવા વિલંબ થવાની સંભાવના છે, કારણ કે આ વાદળ વિમાનની સલામતીને અસર કરી શકે છે. સપાટી પર કણો પડવાની શક્યતા ખૂબ ઓછી છે.

DGCAની એડવાઇઝરી

રવિવારે ઇથોપિયાના હેઇલ ગબ્બિન જ્વાળામુખીના વિસ્ફોટ બાદ, ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ બધી એરલાઇન્સને એક એડવાઇઝરી જાહેર કરી હતી, જેમાં તેમને ઊંચાઈ પર અને જ્વાળામુખીની રાખ ફેલાતી હોય તેવા વિસ્તારો પર ઉડાન ટાળવાની સલાહ આપવામાં આવી હતી. રાખના વાદળ વિમાનના એન્જિન અને ફ્લાઇટ સલામતી માટે જોખમ ઊભો કરી શકે છે, તેથી એરલાઇન્સને તેમના રૂટ અને ઊંચાઈ બદલવાની સલાહ આપવામાં આવી છે. આ પરિસ્થિતિ ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે, રાખના સૂક્ષ્મ કણો વિમાનના એન્જિનને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તેથી, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તમામ ભારતીય એરલાઇન્સને તાત્કાલિક ચેતવણી જારી કરી છે.