ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ત્રણ સગીર સગી બહેનોએ નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં આ ભયાનક પગલા પાછળ ઓનલાઇન કોરિયન લવ ગેમની લત હોવાનું બહાર આવ્યું છે.
ગાઝિયાબાદના ટીલા મોડ વિસ્તારની ભારત સિટી સોસાયટીમાં રહેતા ચેતન કુમારની ત્રણ દીકરીઓ – નિશિકા (16 વર્ષ), પ્રાચી (14 વર્ષ) અને પાખી (12 વર્ષ) એ એકસાથે આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. પોલીસના જણાવ્યા મુજબ, કોરોના કાળ દરમિયાન આ ત્રણેય બહેનોને મોબાઈલ ગેમની લત લાગી હતી. તેઓ નિયમિત સ્કૂલે પણ જતી નહોતી અને પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ સ્ક્રીન પાછળ વિતાવતી હતી.
પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, આ બહેનો ઓનલાઇન ટાસ્ક-બેઝ્ડ ગેમ્સ રમતી હતી. મંગળવારે મધરાત્રે આશરે 2 વાગ્યે જ્યારે આખું શહેર ઊંઘતું હતું, ત્યારે આ ત્રણેય બહેનોએ તેમના ફ્લેટની ગેલેરીમાંથી એકસાથે છલાંગ લગાવી દીધી હતી. તેમના પિતા ચેતન કુમાર હાલ આઘાતમાં છે અને કંઈ પણ બોલી શકવાની સ્થિતિમાં નથી.
પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ ગેમમાં તેમને આત્મહત્યા કરવા માટે કોઈ ચોક્કસ ‘ટાસ્ક’ આપવામાં આવ્યો હતો કે કેમ. આ ઘટના ફરી એકવાર વાલીઓ માટે લાલબત્તી સમાન છે કે તેઓ પોતાના બાળકોના મોબાઈલ વપરાશ અને ઓનલાઇન પ્રવૃત્તિઓ પર કડક નજર રાખે.
નવી દિલ્હી: લાંબી વાટાઘાટો બાદ ભારત અને યુએસ વચ્ચે વેપાર કરાર થયો છે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈ કાલે સોમવારે કરારની જાહેરાત કરી હતી. ભારતે પણ આ કરારની પુષ્ટિ કરી છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેર નિવેદનમાં આ પગલાનું સ્વાગત કર્યું છે.
કરાર મુજબ યુએસ ભારત લગાવેલો 25 ટકા રેસિપ્રોકલ ટેરીફ ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે, બદલમાં ભારતની બજારમાં યુએસની પહોંચને સરળ બનાવવામાં આવી છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ ભારત રશિયન પેટ્રોલીયમની ખરીદી બંધ કરવા તૈયાર થયું છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે ભારત યુએસના ઉત્પાદનોઓ પર ટેરિફ ઘટાડવા અને નોન-ટેરિફ અવરોધોને સપૂર્ણ પણે દુર કરવા તૈયાર છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં, વડા પ્રધાન મોદીએ કહ્યું કે ટ્રમ્પ સાથેની વાતચીત “અદ્ભુત” ગણાવી અને યુએસમાં આયાત થતા ભારતના ઉત્પાદનો રેસિપ્રોકલ ટેરિફ ઘટાડીને 18 ટકા કરવા બદલ તેમનો આભાર માન્યો. જોકે, ભારત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં રશિયન પેટ્રોલિયમની ખરીદી બંધ કરવા અંગે કોઈ ઉલ્લેખ નથી.
ભારત-અમેરિકા વેપાર કરારની સંપૂર્ણ માહિતીની રાહ જોવાઈ રહી છે, આ માહિતી મળ્યા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.
વેપાર કરાર અંગે અત્યાર સુધી મળેલી માહિતી:
યુએસમાં ભારતીય ઉત્પાદનો પર રેસિપ્રોકલ ટેરિફ 25% થી ઘટાડીને 18% થશે
યુએસ-ભારત વેપાર કરાર તાત્કાલિક અમલમાં આવશે
ભારત યુએસ $500 બિલિયનથી વધુનો માલ ખરીદશે
ટ્રમ્પનાં દાવા મુજબ ભારત યુએસના ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે અને નોન-ટેરિફ અવરોધોને સંપૂર્ણ દુર કરશે
ટ્રમ્પના દાવા મુજબ ભારત રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવાનું બંધ કરશે, ભારત યુએસ અને સંભવતઃ વેનેઝુએલા પાસેથી પેટ્રોલિયમ ખરીદશે.
બજેટના બીજા દિવસે પણ ભારતીય કોમોડિટી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારો દ્વારા કરવામાં આવેલી ભારે વેચવાલી અને આંતરરાષ્ટ્રીય બજારની અસરોને પગલે કિંમતી ધાતુઓના ભાવ આસમાનેથી નીચે પટકાયા છે.
સોનાના ભાવમાં આજે સવારથી જ નરમાઈ જોવા મળી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ:
જૂનો બંધ ભાવ (Prev. Close): સોનું અગાઉ ₹1,47,753.00 પર બંધ થયું હતું.
આજનો 02/02/2026 ઓપન ભાવ (Open): આજે બજાર ખુલતાની સાથે જ સોનું ₹1,46,000.00 પર ટ્રેડ થવા લાગ્યું હતું.
આજનો 02/02/2026 નીચો ભાવ (Low): દિવસ દરમિયાન સોનું ગગડીને ₹1,43,321.00 ના સ્તર સુધી પહોંચી ગયું હતું.
કુલ ઘટાડો: અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ₹4,432.00 (-3.00%) નો ઘટાડો નોંધાયો છે.
ચાંદીના ભાવમાં મોટું ધોવાણ
ચાંદીમાં સોના કરતા પણ વધુ આક્રમક ઘટાડો જોવા મળ્યો છે, જેનાથી નાના રોકાણકારોમાં ચિંતા વધી છે:
જૂનો બંધ ભાવ (Prev. Close): ચાંદી અગાઉ ₹2,65,652.00 પર બંધ થઈ હતી.
આજનો ઓપન ભાવ (Open): આજે ચાંદી ₹2,67,501.00 પર ખુલી હતી, પરંતુ તે ટકી શકી નહોતી.
આજનો નીચો ભાવ (Low): બજારમાં સતત વેચવાલીને કારણે ચાંદી ₹2,49,713.00 ના સ્તરે પહોંચી ગઈ છે.
બજારના જાણકારો માને છે કે બજેટ બાદ સોના અને ચાંદી પરની આયાત ડ્યુટીમાં ફેરફાર અથવા વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂતીને કારણે કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે. ખાસ કરીને ચાંદીમાં 6 ટકા જેટલો ઘટાડો એ સૂચવે છે કે બજારમાં અત્યારે પ્રોફિટ બુકિંગનો દોર ચાલી રહ્યો છે. જે રોકાણકારો ઊંચા ભાવે ખરીદી કરવાની રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે આ એક તક સમાન હોઈ શકે છે, પરંતુ બજારમાં હજુ પણ અસ્થિરતા રહેવાની શક્યતા છે.
વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓની માગમાં થયેલા પ્રચંડ વધારાને કારણે ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે 29/01/2026 ઐતિહાસિક રેકોર્ડ સર્જાયો છે. 29 જાન્યુઆરી 2026ના રોજ ચાંદીએ ઇતિહાસ રચતા પ્રથમવાર ₹4,00,000 ની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે. સવારે 9.40 કલાકે ચાંદી પ્રતિ કિલોએ રૂ.4.04 લાખ પર ટ્રેડ કરી રહી હતી. જ્યારે સોનાનો ભાવ પ્રતિ તોલાએ રૂ.1.78 લાખ પ્લસ બોલાય રહ્યો હતો.
મલ્ટી કોમોડીટી એક્ષચેન્જ MCX પર ચાંદીનો વાયદો ₹3,99,000 ના ભાવે ખૂલ્યો હતો અને જોતજોતામાં ₹4,07,456 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. અગાઉના ₹3,85,366 ના બંધ ભાવની સરખામણીએ ચાંદીમાં આજે કુલ ₹16634 (+4.32%) નો જંગી ઉછાળો નોંધાયો છે.
સોનાના ભાવમાં પણ રોકાણકારોને સ્તબ્ધ કરી દે તેવી તેજી જોવા મળી છે. MCX પર સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,82,467 ના ભાવે ખૂલ્યું હતું. કારોબાર દરમિયાન સોનું ₹1,88,045 ના ઓલ-ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યું હતું, જે અગાઉના ₹1,77,153 ના બંધ ભાવ સામે કુલ ₹10,847 (+6.12%) નો વધારો દર્શાવે છે. હાલમાં સોનું ₹1,88,000 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.
બજારના નિષ્ણાતોના મતે, આ તેજી પાછળ અનેક વૈશ્વિક અને સ્થાનિક પરિબળો જવાબદાર છે. વિશ્વમાં યુદ્ધના ભણકારા અને ડૉલરની વધતી જતી વેલ્યૂને કારણે પણ સોના ચાંદી તરફ લોકો આકર્ષાઈ રહ્યા છે. લોકો ખાસ કરીને સેફ એસેટ્સ તરીકે સોના-ચાંદીને જોઈ રહ્યા છે.
કોલંબિયામાં બુધવારે 28/01/2026 સર્જાયેલી એક ભયાનક વિમાન દુર્ઘટનામાં સાંસદ સહિત તમામ 15 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. કોલંબિયામાં કુકુટાથી ઓકાણા જઈ રહેલું ‘Beechcraft 1900’ નામનું કોમર્શિયલ વિમાન બુધવારે સવારે 11:42 વાગ્યે ઉડાન ભર્યા બાદ રહસ્યમય રીતે ગુમ થઈ ગયું હતું. ઉડાનના થોડા સમય બાદ, લેન્ડિંગની માત્ર 11 મિનિટ પહેલા જ રડાર સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો હતો. રાજ્ય એરલાઇન SATENA અનુસાર, વિમાનનો છેલ્લો સંપર્ક ‘કૅટટુમ્બો’ (Catatumbo) ક્ષેત્ર ઉપર નોંધાયો હતો, ત્યારબાદ વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
સઘન શોધખોળ બાદ બચાવ ટીમોને વિમાનનો કાટમાળ કૅટટુમ્બોના અત્યંત દુર્ગમ અને પહાડી વિસ્તારમાંથી મળી આવ્યો છે. સ્થાનિક મીડિયા અને એરલાઇન સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 13 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 15 લોકોના મોત થયા છે. આ વિસ્તાર ઊબડ-ખાબડ પહાડો અને ખરાબ હવામાન માટે જાણીતો હોવાથી બચાવ કામગીરીમાં ટીમોને ભારે પડકારોનો સામનો કરવો પડ્યો હતો.
આ દુર્ઘટનામાં કોલંબિયાની સંસદ (ચેમ્બર ઓફ ડેપ્યુટીઝ) ના સભ્ય ડિયોજેનેસ કિંતેરો અને આગામી ચૂંટણીના ઉમેદવાર કાર્લોસ સાલ્સેડોનું પણ નિધન થયું છે. સાંસદ વિલમર કેરિલોએ આ અંગે ઘેરો શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમના સાથી કિંતેરો અને તેમની ટીમ આ વિમાનમાં મુસાફરી કરી રહી હતી. તપાસકર્તાઓ હવે મલબાની તપાસ કરી રહ્યા છે જેથી અકસ્માત પાછળ ટેકનિકલ ખામી હતી કે ખરાબ હવામાન તે જાણી શકાય.
કોલંબિયાની સિવિલ એવિએશન એજન્સીએ અકસ્માતના કારણોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય ટીમની રચના કરી છે. સરકારે મૃતકોના પરિજનોની સહાયતા માટે વિશેષ હેલ્પલાઇન નંબર પણ જારી કર્યો છે. હાલમાં એરોસ્પેસ ફોર્સ અને નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓ ઘટનાસ્થળે પુરાવા એકત્રિત કરી રહ્યા છે.
28/01/2026મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાયાની માહિતી સામે આવી છે. અહીં બારામતીમાં ઉપમુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થઇ ગયું છે. આ દુર્ઘટના લેન્ડિંગ સમયે સર્જાઈ હોવાની જાણકારી છે. મળતી માહિતી અનુસાર આ વિમાનમાં અજિત પવાર હાજર પણ હાજર હતા. ડીજીસીએના અહેવાલો અનુસાર અજિત પવાર સહિત 5 લોકોનું નિધન થઈ ગયું છે. વિમાનમાં અજિત પવાર સહિત બે પાઇલટ, 1 ક્રૂ મેમ્બર અને 1 અન્ય વ્યક્તિનું મોત નીપજ્યું છે.
બારામતીમાં કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અજિત પવાર ત્યાં જઇ રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. જોકે હજુ સુધી વિમાન ક્રેશ થવાનું કોઈ કારણ સામે આવ્યું નથી. ઘટનાસ્થળેથી સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે વિમાન આગમાં લપેટાઈ ગયું છે. ધૂમાડાના ગોટેગોટા ઉડી રહ્યા છે. અહેવાલોમાં અનુસાર આ વિમાનમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને એનસીપીના લીડર અજિત પવાર હાજર હતા. વિમાન ક્રેશ થયા બાદ આખો કાટમાળમાં ફેરવાઈ ગયો હતો.
અજિત પવાર ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હોવાની ચર્ચા છે ત્યારે જ અધવચ્ચે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો. જોકે એનસીપી નેતા માજિદ મેમણે જણાવ્યું કે અજિત પવાર આજે બારામતી આવવાના હતા. વિમાનમાં કુલ 5 લોકો સવાર હતા. સવારે 8:45 વાગ્યાની આજુબાજુમાં જ આ વિમાન રન વે પર લેન્ડ થતી વખતે ક્રેશ થઇ ગયું હતું. ડીજીસીએ દ્વારા આ વિમાન દુર્ઘટનાની પુષ્ટી કરવામાં આવી છે.
અજિત પવારના નિધન પર રાજકારણમાં શોકની લહેર દોડી ગઈ છે. પીએમ મોદીએ મહારાષ્ટ્રના સીએમ ફડણવીસ સાથે આ મામલે ચર્ચા કરી ઘટનાની જાણકારી મેળવી હતી. આ સાથે સુપ્રિયા સુલે પણ બારામતી જવા રવાના થયા હતા. બીજી બાજુ વિપક્ષના નેતાઓ સંજય રાઉત, મહેબુબા મુફ્તી સહિત અનેક લોકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે, જે આગામી સમયમાં ભારતીય રાજનીતિ અને અર્થતંત્ર માટે અત્યંત મહત્વનું સાબિત થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંયુક્ત અભિભાષણ સાથે આ સત્રના પ્રથમ તબક્કાનો પ્રારંભ થશે.
સંસદનું બજેટ સત્ર બે તબક્કામાં ચાલશે. પ્રથમ તબક્કો આજથી શરૂ થઈને 13 ફેબ્રુઆરી સુધી ચાલશે, જ્યારે બીજો તબક્કો 9 માર્ચથી 2 એપ્રિલ સુધી ચાલશે. ઇતિહાસમાં પ્રથમવાર 1 ફેબ્રુઆરીએ રવિવાર હોવા છતાં નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે.
સત્રની શરૂઆત પહેલા થયેલી સર્વદળીય બેઠકમાં સરકારે વિપક્ષની મહત્વની માંગણીઓ ફગાવી દીધી છે. વિપક્ષ ‘વીબી-જીરામજી’ કાયદા પર ચર્ચા ઈચ્છતો હતો. આ કાયદો મનરેગા (MGNREGA) ની જગ્યા લઈ રહ્યો છે અને ગ્રામીણ પરિવારોને 100 ને બદલે 125 દિવસની રોજગારીની ગેરંટી આપે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ કાયદો શિયાળુ સત્રમાં પસાર થઈ ગયો છે અને હવે તે અમલી છે, તેથી તેના પર ફરી ચર્ચા થઈ શકે નહીં.
‘SIR’ એટલે કે ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (મતદારી યાદીના વિશેષ સુધારણા) ને લઈને છે. પશ્ચિમ બંગાળ અને આસામ જેવા રાજ્યોમાં મતદારોના નામ હટાવવા અંગે વિપક્ષે આશંકા વ્યક્ત કરી છે. જોકે, સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું કે આ અંગે અગાઉ ચર્ચા થઈ ચૂકી છે અને સત્રને સુચારૂ ચલાવવા માટે વિપક્ષ સહયોગ આપે.
આ સત્ર એવા સમયે યોજાઈ રહ્યું છે જ્યારે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ અને કેરળ જેવા પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આથી બજેટમાં કરવામાં આવતી જાહેરાતો અને વિપક્ષનો હંગામો બંને રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના રહેશે.
77મા ગણતંત્ર દિવસના અવસરે સુરત–તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (સુમુલ ડેરી)ને ભારત સરકારના નાણાં મંત્રાલયના આવક વિભાગ હેઠળના CGST અને સેન્ટ્રલ એક્સાઇઝ, સુરત કમિશનરેટ દ્વારા પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું. આ સન્માન આર્થિક વર્ષ 2024–25 દરમિયાન GST રિટર્ન સમયસર ફાઇલ કરવા તેમજ GST ની નિયમિત ચુકવણી બદલ આપવામાં આવ્યું છે.
સુમુલ ડેરી દ્વારા કરવામાં આવેલા આ નિયમિત અને જવાબદાર કર પાલનને રાષ્ટ્રના મજબૂત અને સ્થિર વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન તરીકે માન્યતા આપવામાં આવી છે. પ્રમાણપત્ર કમિશનર (IRS) ડૉ. મનપ્રીત અરોરા દ્વારા તા. 26 જાન્યુઆરી 2026ના રોજ એનાયત કરવામાં આવ્યું હતું, જે સુમુલ ડેરી તરફથી મેનેજિંગ ડિરેક્ટર શ્રી સી.એ. અરુણ પુરોહિત એ સ્વીકાર્યું હતું. આ સન્માન સુમુલ ડેરીની મજબૂત નાણાકીય શિસ્ત, પારદર્શક શાસન અને જવાબદાર સહકારી કાર્યશૈલીનું પ્રતિબિંબ છે. સુરત અને તાપી જિલ્લાના લાખો દૂધ ઉત્પાદકો તથા ગ્રાહકોને સેવા આપતી સુમુલ ડેરી સહકારી મૂલ્યો સાથે દેશની અર્થવ્યવસ્થામાં સતત યોગદાન આપી રહી છે.
સહકાર આધારિત કાર્યપદ્ધતિ અને ખેડૂતોની ભાગીદારીથી સંચાલિત સુમુલ ડેરી “સહકારથી સમૃદ્ધિ” ના મૂળમંત્રને સાર્થક કરતી આગવી સંસ્થા તરીકે કાર્ય કરી રહી છે.
વૈશ્વિક બજારમાં વધતી અસ્થિરતા અને સુરક્ષિત રોકાણની વધતી માંગને કારણે આજે ભારતીય બુલિયન માર્કેટમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. સોના અને ચાંદીના ભાવે આજે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે અને એક નવી ઐતિહાસિક સપાટીને સ્પર્શી ગયા છે. ગ્લોબલ ઇકોનોમીમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે રોકાણકારો સોના તરફ વળ્યા હોવાથી કિંમતોમાં આ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.
ચાંદીની કિંમતમાં 25 હજાર રૂપિયાનો વધારો!
Dated 27/01/26 સોમવારે ભારતીય કોમોડિટી માર્કેટ બંધ હતું. પરંતુ ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવમાં ભયંકર તેજી જોવા મળી અને પહેલીવાર સોનાનો ભાવ 5000 ડોલર પ્રતિ ઔંસ પહોંચી ગયો. જે બાદ આજે ભારતીય બજાર ખૂલતાંની સાથે જ સોનું અને ચાંદી બંનેમાં ભારે તેજી જોવા મળી. એક કિલો ચાંદીની કિંમતમાં 25000 રૂપિયાનો વધારો થયો છે. સોનું પણ 3700 રૂપિયા મોંઘું થયું છે.
સોનું-ચાંદી બંને ઑલ ટાઈમ હાઈ
ચાંદીની કિંમતો છેલ્લા 3 મહિનાથી બેકાબૂ થઈ ગઈ છે. આજે MCX પર બજાર ખૂલતાં જ ચાંદીનો ભાવ 3,59,800 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો. સોનાની વાત કરીએ તો 10 ગ્રામ સોનાનો ભાવ 1,59,820 રૂપિયા પહોંચી ગયો છે. આમ સોનું અને ચાંદી બંનેએ આજે ઈતિહાસના તમામ રેકોર્ડ તોડ્યા છે અને ઑલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યા છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાના વાયદા ભાવમાં 24 હજાર રૂપિયાનો વધારો થયો છે.
સોના-ચાંદીના ભાવમાં વધારાના કારણ
વૈશ્વિક અસ્થિરતા: અમેરિકા અને મિડલ ઈસ્ટ વચ્ચે યુદ્ધની પ્રબળ આશંકા
ઔદ્યોગિક માંગ: AI ડેટા સેન્ટર્સ અને સોલાર પેનલ્સમાં ચાંદીના વધી રહેલા વપરાશને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ
બેંક કર્મચારી યુનિયનોએ 5 વર્કિંગ ડેની માંગ કરી લાંબા સમયથી પડતર માંગણીનો નિવેડો આવે તે માટે 27 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. આ હડતાળનું આહ્વાન યુનાઇટેડ ફોરમ ઓફ બૅન્ક યુનિયન્સ (UFBU) દ્વારા કરવામાં આવ્યું છે. જેથી 27 જાન્યુઆરી 2026ને મંગળવારે દેશભરમાં બેંકિંગ સેવાઓ પ્રભાવિત થવાના સંકેત છે. છેલ્લા ત્રણ દિવસ 24,25,26 જાન્યુઆરી બેન્કમાં સત્તાવાર રજા હતી ત્યારે વધુ એક દિવસ 27 જાન્યુઆરીએ બેન્કનું કામકાજ ઠપ રહે તો ગ્રાહકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી શકે તેવી શક્યતાઓ છે.
કઈ કઈ બેન્કના કામકાજ પર પડશે અસર?
યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (UFBU)એ જાહેર કરેલી આ હડતાળમાં દેશભરની તમામ સરકારી બેન્કના કર્મચારીઓ જોડાઈ શકે છે. જેમાં ખાસ કરીને આમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, ઈન્ડિયન બેંક અને અન્ય જાહેર ક્ષેત્રની બેંકના કર્મચારીઓ જોડાઈ શકે છે. જેના ભાગરૂપે ઘણા બેંક કર્મચારીઓએ પહેલાથી જ ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે. અને ચેતવણી આપી છે જો માગ સ્વીકારવામાં નહીં આવે તો વધુ પ્રચંડ આંદોલન થશે.
અનેક કાર્યો પ્રભાવિત થશે
જેથી મંગળવારે 27 જાન્યુઆરી બેન્ક જતાં પહેલા ખરાઈ કરી લેજો કે બેન્કનું કામકાજ ચાલુ છે કે સંભવિત હડતાળના કારણે બંધ? ત્રણ દિવસથી સત્તાવાર રજાઓને કારણે બૅન્કનું કામ રોકાયેલું છે તેવામાં વધુ એક દિવસ વિરોધના ભાગરૂપે જો બેન્ક કર્મચારીઓ કામથી અળગા રહેશે તો કેશ, ચેક ક્લીયરન્સ, ડ્રાફ્ટ, પાસબુક, લોન સંબંધિત સહિત અનેક કાર્યો પ્રભાવિત થઈ શકે છે.
શું છે બૅન્ક કર્મચારી યુનિયનની માંગ?
યુનાઇટેડ ફોરમ ઑફ બૅંક યુનિયન્સ (UFBU) દ્વારા જાહેર 27 જાન્યુઆરી 2026એ સંભવિત બૅન્ક હડતાળના નિર્ણયનું મુખ્ય કારણ સપ્તાહમાં 5 દિવસ જ કામકાજ બે દિવસ રજા(ફાઇવ ડે વર્કિંગ)નો નિયમ લાગુ કરવાનું છે. UFBUએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાલ બૅન્ક કર્મચારીઓને દરેક મહિનામાં બીજા અને ચોથા શનિવારે રજા મળે છે, બાકીના બે શનિવારે રજા જાહેર કરવા માર્ચ 2024માં વેતન સંશોધન કરાર મુજબ ઇન્ડિયન બૅન્ક ઍસોસિએશન(IBA) અને યુનાઇટેડ ફોરમ ઑફ બૅંક યુનિયન્સ (UFBU) વચ્ચે સહમતિ સધાઈ હતી. જેમાં સોમવાર થી શુક્રવાર સુધી પ્રત્યેક દિવસ 40 મિનિટ વધારાના કામ કરવા પણ સહમતી બની હતી જેથી કામકાજના સમયમાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી, પણ દુભાગ્યપૂર્ણ છે કે સરકારે વાસ્તવિક માંગ પર હજુ સુધી કોઈ ધ્યાન આપ્યું નથી.
બૅન્ક યુનિયનોનું કહેવું છે કે, અઠવાડિયામાં પાંચ દિવસના કામકાજથી કર્મચારીઓ પરનું માનસિક દબાણ ઘટશે અને તેમની કાર્યક્ષમતામાં વધારો થશે. હાલમાં ભારત સરકારના મોટાભાગના વિભાગો, RBI, LIC, શેરબજાર અને ફોરેક્સ માર્કેટમાં પાંચ દિવસનું જ કામકાજ હોય છે. બૅન્ક કર્મચારીઓ પણ આ જ ધોરણે તમામ શનિવારની રજાની માંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે, આ હડતાળનું આહ્વાન ‘યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ’ (UFBU) દ્વારા કરાયું છે. જો કે, આ માંગણીને અમલમાં મૂકવા માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) અને સરકારની મંજૂરી મેળવવી અત્યંત જરૂરી છે.
બે રવિવાર અને બે શનિવારની રજા હવે કર્મચારીઓ માટે અપૂરતી
બેન્ક કર્મચારીઓને વર્ષ 2013થી દર મહિનાના ચાર રવિવાર ઉપરાંત બે શનિવારની રજા આપવામાં આવે છે. જોકે, હવે મહિનાના તમામ શનિવારોએ રજા જાહેર કરવાની લાંબા સમયની માંગણી પર કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. સરકારના આ ઉદાસીન વલણને કારણે બેન્ક કર્મચારીઓ અને તેમના વિવિધ એસોસિયેશનોમાં નારાજગી સતત વધી રહી છે.
9 બૅન્ક યુનિયનનું સામૂહિક સંગઠન છે UFBU
યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (UFBU)એ ભારતના 9 પ્રમુખ બૅન્ક યુનિયનનું સામૂહિક સંગઠન છે, જે સાર્વજનિક ક્ષેત્રે બૅન્ક અને તેના અધિકારીઓ અને કર્મચારીઓના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. યુએફબીયુના સભ્યોમાં ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC), નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઈઝ (NCBE), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) અને બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) નો સમાવેશ થાય છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.