ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની ટૂંક જ સમયમા શરૂઆત થવાની છે. જેની શ્રદ્ધાળુઓ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. આ વર્ષે આ યાત્રા 19 એપ્રિલથી ગંગોત્રી અને યમુનોત્રી ધામથી શરૂ થશે. ત્યારબાદ કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલ બુધવારના રોજ અને બદ્રીનાથ ધામના કપાટ 23 એપ્રિલ, ગુરુવારના રોજ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. ચારધામ યાત્રા માટે યાત્રાળુઓની નોંધણી સંખ્યા 10 લાખને વટાવી ગઇ છે.
શ્રદ્ધાળુઓ સલાહ આપવામાં આવે છે કે તેઓ આ તારીખોને ધ્યાનમાં રાખીને તેમની યાત્રાનું અગાઉથી આયોજન કરે. જેમાં ખાસ કરીને કેદારનાથ ધામની યાત્રા તેના ટ્રેકિંગ રૂટને કારણે પડકારજનક છે. તેથી, સમયસર તૈયારી કરવી જરૂરી છે. ચાર ધામ યાત્રા માત્ર આધ્યાત્મિક અનુભવ જ નહીં પણ તેના મનમોહક દૃશ્યો બરફથી ઢંકાયેલા શિખરો અને વહેતા પ્રવાહો પણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે.
ચારધામ યાત્રામાં જનારા દરેક યાત્રાળુ માટે નોંધણી ફરજિયાત છે. ઓનલાઈન પોર્ટલ પર નોંધણી કરાવવાથી યાત્રાળુઓને હેલિકોપ્ટર સેવાઓ, રૂટની માહિતી અને ધાર્મિક સ્થળોએ પ્રાથમિકતા પ્રાપ્તિનો લાભ મળે છે. ઉત્તરાખંડ રાજ્ય સરકારે યાત્રા સુરક્ષિત અને વધુ વ્યવસ્થિત રહે તે સુનિશ્ચિત કરવા માટે આ સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ કરાવી છે.
આ ચારધામ યાત્રાનું બજેટ પ્રવાસીઓના પ્રવાસ કાર્યક્રમ અને તેમના દ્વારા પસંદ કરાયેલા પરિવહનના માધ્યમો પર આધાર રાખે છે. ચારધામ યાત્રા માટે નોંધણી કરાવનારા યાત્રાળુઓની સંખ્યા 10 લાખને વટાવી ગઈ છે. આમાં સૌથી વધુ 3,41,000 થી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામ માટે નોંધણી કરાવી છે. રાજ્ય સરકારે ચારધામ યાત્રા માટે નોંધણી ફરજિયાત બનાવી છે. પ્રવાસન વિભાગે 6 માર્ચે યાત્રા માટે ઓનલાઈન નોંધણી શરૂ કરી હતી. આજ સુધીમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ યાત્રા કરવા માટે નોંધણી કરાવી છે.
એપ્રિલની શરૂઆતથી જ સમગ્ર દેશમાં હવામાન પલટાયું છે. ગુજરાત, મહારાષ્ટ્ર યુપી, બિહાર, દિલ્હી, રાજસ્થાન, ઝારખંડ, પંજાબ સહિત અનેક રાજ્યોમાં આંધી-વરસાદે કહેર મચાવ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે નવું એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગ પ્રમાણે, આ સપ્તાહે ઉત્તર પશ્ચિમ ભારતમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેની અસર 7 અને 8 એપ્રિલે સૌથી વધારે જોવા મળશે. આ દરમિયાન 12 રાજ્યોમાં આંધી-વરસાદની સાથે કરાનું એલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગે રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં 7 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, દાહોદ, પંચમહાલ, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી છે. 8 એપ્રિલથી રાજ્યમાં ફરી તાપમાનનો પારો ઉંચકાશે.
ઉત્તર પ્રદેશમાં આગામી ત્રણ દિવસ સુધી આંધી-વરસાદની સાથે કરા પડી શકે છે. આઈએમડી અનુસાર 7 અને 8 એપ્રિલે પશ્ચિમ યુપીમાં આંધી-વરસાદ, 8-9 એપ્રિલે પૂર્વ યુપીમાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન આશરે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજ્યમાં બુધવાર સુધી ભારે વરસાદ અને કરા પડી શકે છે.
બિહારમાં પણ આંધી-વરસાદની સાથે કરા પડવાની શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે, આજથી ત્રણ દિવસ સુધી એટલે કે 8 એપ્રિલ સુધી કરા પડવાની સંભાવના છે. આ દરમિયાન 50 થી 70 કિમીને ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ઉત્તરાખંડમાં મોસમનો મિજાજ બદલાયો છે. હવામાન વિભાગે 72 કલાક સુધી ભારે પવન સાથે ગાજવીજની સંભાવના વ્યક્ત કરી છે. વીજળી પડવાની સાથે 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઊંચાણવાળા વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ શકે છે.
પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 8 એપ્રિલ સુધી કરા પડવાની સંભાવના છે. રાજસ્થાનના અનેક હિસ્સામાં છેલ્લા બે દિવસમાં થયેલા વરસાદ-કરાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. રાજ્યમાં હવામાન વિભાગે વરસાદ, વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે. 6-7 એપ્રિલે ભારે પવન ફૂંકાઈ શકે છે અને પશ્ચિમ તથા પૂર્વ રાજસ્થાનમાં ક્યાંક કરા પડ શકે છે.
હવામાન વિભાગ પ્રમાણે, ઝારખંડમાં કેટલીક જગ્યાએ 6 થી 8 એપ્રિલ દરમિયાન કરા, વરસાદની શક્યતા છે. આ દરમિયાન હવામાન વિભાગે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. ઓડિશાના કેટલાક જિલ્લામાં 70 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.
પ્રથમ ચરણ ૧ એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન પુરુ કરવામાં આવશે.
જૂન 2025માં વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ભારત દેશની વસ્તી ગણતરીનું કાર્ય ૧ એપ્રિલથી શરુ થશે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર જાતિગણના આ પ્રક્રિયાની બીજા તબક્કામાં શરુ થશે જેને જનસંખ્યા ગણના નામ આપવામાં આવ્યું છે. રજિસ્ટ્રાર જનરલ અને જનગણવા આયુકત મુત્યુજય કુમાર નારાયણે પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય જનગણનાની વ્યૂહરચનાનું વિસ્તારથી વર્ણન કર્યુ હતું. વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં આવાસ સૂચીકરણ અને જન ગણના, આવાસની સ્થિતિ, ઉપલબ્ધ સુવિધાઓ અને ઘરેલું સંપતિઓ પર કેન્દ્રીત છે જે બીજા ચરણ માટે એક મૂળભૂત આધાર આપશે.
વસ્તી ગણતરીના બીજા ચરણમાં જનસાંખ્યિકીય,સામાજિક- સાંસ્કૃતિક અને આર્થિક માપદંડો પરના ડેટા પ્રદાન કરે છે જેમાં પ્રવાસન અને પ્રજનનદરનો સમાવેશ થાય છે. વસ્તી ગણતરીનું પ્રથમ ચરણ ૧ એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન પુરુ કરવામાં આવશે. જનગણના ૨૦૨૭માં ૩૬ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો,૭૮૪ જિલ્લા,૫૧૨૭ શહેર અને ૬૩૯૯૦૨ ગામોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર)ના અપડેશન અંગે અત્યાર સુધી કોઇ નિર્ણય નહી લેવાયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. ગત જૂન મહિનામાં કેન્દ્ર દ્વારા એક અધિસૂચના બહાર પાડીને ૨૦૨૭ની વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધની આજે 30/03/2026 હુંડિયામણ અને શેર બજાર સહિતના બજારો પર અસર યથાવત્ રહી હતી. બીજીબાજુ આરબીઆઈએ રૂપિયાને તૂટતો બચાવવા માટે લીધેલા પગલાંના કારણે હુંડિયામણ બજારમાં આજે રૂપિયામાં બેતરફી રેકોર્ડ બ્રેક અફડાતફડીના અંતે ડોલર ઉછળી પ્રથમવાર રૂ.૯૫ની સપાટી કુદાવી રૂ.૯૫.૨૪ની નવી ટોચે પહોંચી જતાં રૂપિયો નવા નીચા તળિયે પટકાયો હતો.
આરબીઆઈએ રૂપિયામાં અસ્થિરતા રોકવા લીધેલા પગલાંના કારણે સોમવારે 30/03/2026 સવારે ડોલર સામે રૂપિયો ઝડપી વધ્યો હતો પરંતુ તેની અસર માંડ અડધો કલાક રહી હતી. વૈશ્વિક પરિબળો અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીના પગલે રૂપિયામાં ઉછાળો ઉભરા જેવો નિવડયો હતો અને બપોર પછી રૂપિયો ફરી ગબડયો હતો. ડોલરના ભાવ ઇન્ટ્રા-ડે સ્પ્રિંગની જેમ ઉછળી ૯૫.૨૪ પહોંચ્યા હતા. રૂપિયાને ઉગારવા રિઝર્વ બેન્કના વિવિધ પગલાઓ વચ્ચે રૂપિયા સામે ડોલરના ભાવ જે શનિવારે બંધ બજારે રૂ.૯૫ બોલાયા હતા તે સોમવારે સવારે રૂ.૯૩.૫૯ ખુલી નીચામાં ભાવ રૂ.૯૩.૫૭ સુધી બોલાઈ ગયા હતા. જો કે ત્યારબાદ ડોલરના ભાવ ફરી ઉછળી ઉંચામાં ભાવ રૂ.૯૫.૨૪ની ટોચે પહોંચી રૂ.૯૫.૧૧ રહ્યા હતા. શેરબજારમાં નવો કડાકો બોલાતાં તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી બેરલના ઉંચામાં ૧૧૭ ડોલર નજીક પહોંચી ગયાના નિર્દેશો વચ્ચે ં રૂપિયા પર દબાણ ચાલુ રહ્યું હતું
રિઝર્વ બેન્કના સૂત્રોના જણાવ્યા મુજબ ઓનશોર ડિલીવરેબલ માર્કેટમાં દરેક દિવસના અંતે ભારતીય રૂપિયાની નેટ ઓપન પોઝીશન ૧૦ કરોડ ડોલરની સપાટીની અંદર રાખવાનું ઓથોરાઈઝડ ડિલર્સને જણાવવામાં આવ્યું છે. ડોલરમાં તેજીનો સટ્ટો કાબુમાં રાખવા રિઝર્વ બેન્કે આવો આદેશ બહાર પાડતાં મુંબઈ કરન્સી બજારમાં સોમવારે 30/03/2026 સવારે ડોલર સામે રૂપિયો ઝડપી ઉંચકાયો હતો. જો કે ત્યાર બાદ ડોલર ફરી ઉછળતાં રૂપિયો ગબડી રૂ.૯૫ની અંદર જતો રહ્યો હતો.
દરમિયાન, વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ આજે ઉંચામાં ૧૦૦.૩૪ થઈ ૧૦૦.૨૫ રહ્યાના નિર્દેશો હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સમાં માર્ચમાં નોંધાયેલી વૃદ્ધિ છેલ્લા ૮ મહિનાની સૌથી મોટી મંથલી વૃદ્ધિ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વોર-ઈફેકટ વચ્ચે વિશ્વ બજારમાં ડોલરમાં સેફ-હેવન બાઈંગ જોવા મળ્યું હતું.
દરમિયાન, મુંબઈ બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૭૫ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૧૨૪.૧૭ થઈ રૂ.૧૨૫.૩૮ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૨૬ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૧૦૭.૮૨ થઈ રૂ.૧૦૮.૯૪ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે ૦.૦૩ ટકા વધી હતી જ્યારે ચીનની કરન્સી ૦.૧૧ ટકા માઈનસમાં રહી હતી.
ડોલર સામે આજે 30/03/2026 રૂપિયામાં બેતરફી ૧૬૭ પૈસાનો ઉછળકુદ નોંધાતા દૈનિક વધઘટનો પણ નવો રેકોર્ડ સર્જાયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. રૂપિયો ગબડતાં તથા ડોલર ઉછળતાં દેશમાં ફુગાવો તથા મોંઘવારી વધશે.
મુંબઈ કરન્સી બજારમાં 30/03/2026 સોમવારે મોડી સાંજે રૂપિયા સામે ડોલરના ભાવ ફરી ઘટી રૂ.૯૪.૭૭ રહ્યા હતા જે ઉંચામાં રૂ.૯૫.૨૪ સુધી ઉછળ્યા હતા. આમ સોમવારે આખા દિવસ દરમિયાન રૂપિયા તથા ડોલરના ભાવમાં બેતરફી મોટી ઉછળકૂદ દેખાઈ હતકી. દરમિયાન, મોડી સાંજે બ્રિટીશ પાઉન્ડના ભાવ રૂ.૧૨૫.૫૧ રહ્યા હતા જ્યારે યુરોના ભાવ મોડી સાંજે રૂ.૧૦૯ બોલાઈ રહ્યા હતા.
ભારતમાં સતત મેટ્રો સેવાનો વ્યાપ વધી રહ્યો છે, ગુજરાતમાં અમદાવાદ બાદ હવે ગાંધીનગર પણ મેટ્રો સેવાથી જોડાઈ ગયું છે. ત્યારે હવે મેટ્રો સેવા રાજ્યના ડાયમંડ સિટીમાં પણ મેટ્રો સેવાના પગરણ મંડાયા છે. સુરત શહેરના ડ્રીમ સિટી અને અલથાણ ટેનામેન્ટ સ્ટેશનો વચ્ચેના 8.5 કિમી લાંબા એલિવેટેડ વાયડક્ટનું કામ પૂર્ણ થતા આ રૂટ પર મેટ્રો ટ્રેનના ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવ્યા છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ડ્રીમ સિટી અને અલથાણ ટેનામેન્ટ સ્ટેશનો વચ્ચેના 8.5 કિમી લાંબા એલિવેટેડ વાયડક્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ રૂટ પર મેટ્રો ટ્રેનના ટ્રાયલ રન પણ સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવ્યા છે, જે શહેરના પરિવહન ક્ષેત્રે એક નવી ક્રાંતિની દિશામાં મોટું પગલું માનવામાં આવે છે.
મેટ્રો અધિકારીઓના જણાવ્યા મુજબ, સિસ્ટમ ટેસ્ટિંગના ભાગરૂપે આ રૂટ પર અંદાજે 500 કલાક સુધી ટ્રાયલ ઓપરેશન ચલાવવામાં આવશે. આ કોરિડોર પર ટ્રેક બિછાવવાનું કામ અને ટ્રેક્શન પાવર માટે જરૂરી ‘થર્ડ રેલ સિસ્ટમ’ ઇન્સ્ટોલ કરવાનું કામ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ રૂટ પર આવેલા તમામ સાત સ્ટેશનોનું માળખાકીય કામ પૂરું થઈ ગયું છે, જ્યારે હાલમાં એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ સહિતની અન્ય ફિનિશિંગ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
હવે પછીના તબક્કામાં રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO) અને કમિશનર ઓફ મેટ્રો રેલવે સેફ્ટી (CMRS) દ્વારા સુરક્ષા અને કામગીરીની સજ્જતાની કડક તપાસ કરવામાં આવશે. આ સંસ્થાઓ પાસેથી જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ, આ કોરિડોરને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.
ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાએ મળીને કરેલા હુમલાને ત્રણ સપ્તાહ થયા છે. જેની અસર હવે ગુજરાતના ઉદ્યોગો પર જોવા મળી રહી છે. યુદ્ધની આગાના કારણે ગુજરાતના ઉદ્યોગોને આશરે ₹10,000 કરોડના નુકસાનનું સંકટ છે. જેમાંથી કેટલોક હિસ્સો ક્યારેય ભરપાઈ ન થઈ શકે તેવો હોઈ શકે છે.
ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના આ સંઘર્ષને કારણે રાજ્યની નિકાસમાં લગભગ 30% જેટલો ઘટાડો થયો છે. આમાંથી આશરે ₹10,000 કરોડનો વ્યવસાય કાયમી ધોરણે ગુમાવ્યો હોવાનું માનવામાં આવે છે અને તેની વસૂલાત થવાની શક્યતા ઓછી છે. આ અસર સિરામિક, ફૂડ એન્ડ બેવરેજીસ, એન્જિનિયરિંગ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ તેમજ ટેક્સટાઈલ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં જોવા મળી રહી છે.
જો સ્થિતિ આવી જ રહેશે તો નુકસાન વધુ વકરી શકે છે. તેમણે કહ્યું, ₹10,000 કરોડનો આંકડો એ લઘુત્તમ અંદાજ છે. લગભગ 30% નિકાસને અસર થઈ હોવાથી, જો સંઘર્ષ ચાલુ રહેશે તો આગામી ક્વાર્ટરમાં નુકસાન નોંધપાત્ર રીતે વધારે હોઈ શકે છે. સૂત્રોએ યુદ્ધના કારણે વેપારમાં અવરોધ અને ઈંધણના ભાવમાં વધારાથી થતા વ્યાપક આર્થિક પરિણામો અંગે ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જો આ સંઘર્ષ વધુ ત્રણ મહિના લંબાશે તો વૈશ્વિક અર્થતંત્ર મંદી જેવી સ્થિતિ તરફ ધકેલાઈ શકે છે.
ક્રૂડના ભાવમાં પહેલેથી જ લગભગ 35% નો વધારો થયો છે, જેના કારણે ઉદ્યોગોને તેમની ઉત્પાદન ક્ષમતા 100% થી ઘટાડીને લગભગ 50% કરવાની ફરજ પડી છે. આ એવું નુકસાન છે જે સ્થિતિ સામાન્ય થાય તો પણ રિકવર કરી શકાતું નથી. તેમણે ઉમેર્યું હતું કે જો ઝડપી ઉકેલ આવે તો નુકસાન મર્યાદિત કરી શકાય છે. જો 30 થી 45 દિવસમાં સ્થિતિ સ્થિર થાય, તો ઉદ્યોગો અમુક નુકસાન રિકવર કરી શકે છે. જો કે, જો સંઘર્ષ લાંબો ખેંચાશે, તો નુકસાન બે થી ત્રણ ગણું વધી શકે છે.
વોર-રિસ્ક ઈન્સ્યોરન્સ, ઉંચા નૂર (ભાડું) ખર્ચ, લાંબા શિપિંગ રૂટ, ઈંધણના વધેલા ભાવ અને મોંઘા કાચા માલના કારણે ખર્ચમાં વધારો થયો છે, જે કાયમી નુકસાનમાં વધારો કરી રહ્યો છે. એકમાત્ર રાહતની વાત મજબૂત સ્થાનિક વપરાશ છે, જેણે તૈયાર અને અર્ધ-તૈયાર માલના મોટા હિસ્સાને સમાવવામાં મદદ કરી છે.
એરલાઇન્સે એક જ પીએનઆર ધરાવતાં પ્રવાસીઓને નજીક બેઠકો ફાળવવી પડશે
દેશમાં નાગરિક ઉડ્ડયન વિભાગમાં નિયામક ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન- ડીજીસીએ- દ્વારા એરલાઇન્સ માટે સૂચવવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર પ્રવાસીઓની સુવિધાઓને બહેતર બનાવવા માટે ફલાઇટમાં ઓછામાં ઓછી ૬૦ ટકા બેઠકો મુક્તપણે ફાળવવાની રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો વેબ ચેક ઇન યા બેઠકની પસંદગી કરતી વખતે પ્રવાસીઓ પાસેથી પડાવવામાં આવતાં વધારાના દરો પર નિયંત્રણ આવશે. પ્રવાસીઓના અધિકારોને વધારે અસરકારક બનાવવા માટે પણ ડીજીસીએ દ્વારા વિવિધ નિર્દેશો આપવામાં આવ્યા છેે. ભારતનું નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર દુનિયાનું ત્રીજા ક્રમનું સૌથી મોટું માર્કેટ બની ચૂક્યુ છે અને દેશમાં એરપોર્ટ્સ પર રોજ પાંચ લાખ પ્રવાસીઓ આવનજાવન કરે છે.
ડીજીસીએના માર્ગદર્શક આદેશ અનુસાર વિમાનપ્રવાસને વધારે સરળ અને પારદર્શક બનાવવા માટે વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યાં છે. ઘણી એરલાઇન્સ ટિકિટ બુક કરાવ્યા પછી અથવા વેબ ચેક ઇન દરમ્યાન પસંદગીની બેઠકો ફાળવવા માટે વધારે ચાર્જ વસૂલ કરતી હતી. નવા નિર્દેશોનો હેતુ આ પ્રકારની પ્રવૃત્તિ પર લગામ તાણવાનો છે.
એરલાઇન્સને જણાવવામાં આવ્યું છે કે એક જ પીએનઆર પર પ્રવાસ કરનારા યાત્રીઓને સાથે પ્રવાસ કરવા મળે તે માટે તેમને નજીક નજીક બેઠકો ફાળવવામાં આવે. હાલ એકબીજાની પાસે બેસી પ્રવાસ કરવા માટે સીટ પસંદ કરો તો તેનો અલગ ચાર્જ ચૂકવવો પડે છે. આ ઉપરાંત એરલાઇન્સને રમતગમતના કે સંગીતના સાધનો લઇ જવાની સુવિધા બાબતે પણ પારદર્શી અભિગમ દર્શાવવાનો રહેશે. આ જ રીતે પાળેલાં જનાવરોના પ્રવાસ બાબતે પણ સ્પષ્ટ નિયમો નક્કી કરવા જણાવાયું છે.
સરકારે ફલાઇટ મોડી પડે, કેન્સલ થાય કે બોર્ડિંગ અટકાવવામાં આવે ત્યારે પ્રવાસીઓના અધિકારો શું છે તેની જાણ એરલાઇન્સે તેની વેબસાઇટ, મોબાઇલ એપ, બુકિંગ પ્લેટફોર્મ અને એરપોર્ટ્સ પરના કાઉન્ટર્સ પર સ્પષ્ટ દર્શાવવાના રહેશે. પ્રવાસીઓના અધિકારોને વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રકાશિત કરવાની સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત પ્રવાસીઓને કિફાયતી દરે ભોજનની સુવિધા આપવા માટે ઉડાન યાત્રી કેફે અને મફત પુસ્તકો વાંચવા માટે ફ્લાયબ્રેરી અને મફત વાઇફાઇની સુવિધા ઉપલબ્ધ કરી આપવાની પણ એરલાઇન્સને સૂચના અપાઇ છે.
મિડલ ઈસ્ટમાં વધતા જતા સંઘર્ષ અને તેલના કુવાઓ પર મિસાઈલ હુમલાને કારણે વૈશ્વિક બજારોમાં હાહાકાર મચી ગયો છે. ભારતીય શેરબજારમાં પણ ગુરુવારે શરૂઆતી મિનિટોમાં જ મસમોટું ગાબડું જોવા મળ્યું છે. અખાતી દેશોમાં ચાલી રહેલા યુદ્ધે હવે ‘ઓઈલ વોર’નું સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઈરાન દ્વારા કતારના સૌથી મોટા એલએનજી પ્લાન્ટ પર થયેલા હુમલા અને તેના વળતા પ્રહારને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ઉછળીને 112 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. આ જબરદસ્ત ઉછાળાને કારણે આજે એશિયાઈ બજારો સહિત ભારતીય શેરબજારમાં પણ સુનામી જેવી સ્થિતિ સર્જાઈ છે.
Date 19/03/2026 ગુરુવારે ટ્રેડિંગની શરૂઆત થતાની સાથે જ મુંબઈ શેરબજારનો સેન્સેક્સ તેના અગાઉના બંધ 76,704 ની સરખામણીએ સીધો 74,750 પર ખુલ્યો હતો અને જોતજોતામાં તે 1900 પોઈન્ટ તૂટીને 74,685 સુધી નીચે ઉતરી ગયો હતો. તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 23,777 ના અગાઉના સ્તરથી 550 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 23,197 પર ખુલ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી બજારમાં જોવા મળી રહેલી તેજી પર આજે બ્રેક લાગી ગઈ છે.
વૈશ્વિક બજારોમાં પણ કોહરામ
ભારત જ નહીં, પણ સમગ્ર વિશ્વના બજારો આજે લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે:
જાપાન: નિક્કેઈ ઈન્ડેક્સમાં 1500 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો છે.
હોંગકોંગ: હેંગસેંગ ઈન્ડેક્સ 500 પોઈન્ટથી વધુ તૂટ્યો છે.
દક્ષિણ કોરિયા: કોસ્પી ઈન્ડેક્સમાં પણ 1.50% થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.
બજારમાં આવેલી આ સુનામીમાં બ્લુચિપ કંપનીઓના શેરોમાં પણ ભારે વેચવાલી જોવા મળી છે. સૌથી વધુ પ્રભાવિત થયેલા શેરોમાં HDFC Bank (4.50%), L&T (3.50%), Eternal (3%), અને Bajaj Finance (2.80%) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત Axis Bank, Asian Paints અને Kotak Bank જેવા મોટા શેરો પણ 2% થી વધુ તૂટ્યા છે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા યોજાતા ઔદ્યોગિક પ્રદર્શનોની શ્રેણીઓ વચ્ચે ચાર દિવસીય ‘સુરત ઈન્ટરનેશનલ ઓટો એક્ષ્પો ર૦ર૬’નું તા. ૧૩ માર્ચથી ૧૬ માર્ચ ર૦ર૬ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમિયાન સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે ઓટો એક્ષ્પોની સાતમી આવૃત્તિ રજૂ કરવામાં આવશે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ગુજરાત હવે ઓટોમોબાઈલ હબ બની રહ્યું છે ત્યારે આ મેગા શોમાં દેશની અગ્રણી કંપનીઓ દ્વારા કાર, ટુ–વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ અને લેટેસ્ટ વર્કશોપ ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે. કાર સેગમેન્ટ, ટુ વ્હીલર સેગમેન્ટ, કોમર્શિયલ સેગમેન્ટ અને એન્સીલરીઝની ૭૦થી વધુ બ્રાન્ડ્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. ઉદ્યોગ સાહસિકો, વ્યવસાયિકો અને પ્રોફેશનલ્સ માટે આ એક્ષ્પો નવી ટેકનોલોજી અને વૈશ્વિક વલણો સમજવાની ઉત્તમ તક પૂરી પાડશે.
ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્ષ્પોનો ઉદ્ઘાટન સમારોહ શુક્રવાર, તા. ૧૩ માર્ચ, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઉષાકાંત મારફતિયા હોલ, સરસાણા ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે, જેમાં વિન્ટેજ એન્ડ કલાસિકલ કાર કલબ ઓફ ઇન્ડિયા (VCCCI)ના ચેરમેન શ્રી નિતિનભાઇ ડોસા ઉદ્ઘાટક તરીકે પધારશે અને તેમના વરદ્ હસ્તે ઓટો એક્ષ્પોનું ઉદ્ઘાટન કરાશે.
ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ઓટો એક્ષ્પોના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્ય સભાના માનનીય સાંસદશ્રી અને એસઆરકે ગૃપના ફાઉન્ડર અને ચેરમેન શ્રી ગોવિંદભાઇ ધોળકિયા, હરી કૃષ્ણ એક્ષ્પોર્ટ્સ પ્રા.લિ.ના ચેરમેન પદ્મશ્રી સવજીભાઇ ડી. ધોળકિયા અને કેપી એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેકટર ડો. ફારૂકભાઇ પટેલ મુખ્ય મહેમાનો તરીકે સ્થાન શોભાવશે. ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એકસલન્સ (iACE)ના એકિઝકયુટિવ ડિરેકટર શ્રી ઇ. રાજીવ અતિથિ વિશેષ તરીકે શોભા વધારશે.
ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી બિજલ જરીવાલા અને માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, ઓટો એક્ષ્પોમાં એક જ છત નીચે સંપૂર્ણ ઓટો સોલ્યુશન મળી રહેશે. અહીં માત્ર વાહનો જ નહીં, પરંતુ ઓટો એસેસરીઝ, સ્પેરપાટ્ર્સ અને ખાસ કરીને ઇલેકિટ્રક વ્હીકલ્સ (EV) તથા હાઇબ્રીડ વ્હીકલ્સ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે, જેનું એકિઝબિટર્સ દ્વારા પ્રદર્શન કરવામાં આવશે.
ચેમ્બરના ઓલ એકિઝબિશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમરે જણાવ્યું હતું કે, આ વર્ષે મુલાકાતીઓ માટે સ્થળ પર જ ટેસ્ટ ડ્રાઈવની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી ગ્રાહકો પસંદગીના વાહનનો અનુભવ કરી ત્વરિત ખરીદી કરવાનો નિર્ણય લઈ શકશે.
એક્ષ્પોની મુખ્ય વિશેષતાઓ અને બ્રાન્ડ્સ
ઓટો એક્ષ્પોના ચેરમેન શ્રી મેહુલ દેસાઈએ જણાવ્યું હતું કે, દિલ્હી બાદ સુરતનો આ ઓટો એક્ષ્પો ભારતનો બીજા ક્રમનો સૌથી મોટો કમ્પોઝીટ એક્ષ્પો છે, જેમાં મીની કૂપર, ઓડી, મર્સિડીઝ, બીએમડબ્લ્યુ, જેગુઆર–લેન્ડ રોવર, ટાટા મોટર્સ, હયુન્ડાઇ, કિયા, જીપ, એમજી અને એમજી સિલેકટ, રિનોલ્ટ, નિસાન, સ્કોડા, ટોયોટા, વોલ્વો, સિટ્રોન અને મહિન્દ્રા જેવી ર૦થી વધુ નામાંકિત બ્રાન્ડ્સ ભાગ લઈ રહી છે.
ટુ–વ્હીલર અને કોમર્શિયલ સેગમેન્ટમાં રોયલ એન્ફિલ્ડ, સુઝુકી, કેટીએમ, એથર, રિવર, કાઇનેટિક ઇલેકિટ્રક, બજાજ ચેતક, કેટીએમ, ટ્રાયમ્ફ યામાહા, ટીવીએસ તેમજ કોમર્શિયલ સેગમેન્ટમાં ટાટા અને સ્વરાજ મઝદાના અને મહિન્દ્રાના વાહનો જોવા મળશે.
ખાસ આકર્ષણ
૧૦ જેટલી અતિ દુર્લભ વિન્ટેજ કાર્સ ઓટો એક્ષ્પોમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત ૧૦ નવા પેસેન્જર વ્હીકલ્સનું અને ૩ કોમર્શિયલ વ્હીકલ્સનું અનવેઈલિંગ આ એક્ષ્પોમાં કરવામાં આવશે. તદુપરાંત, સ્ટંટ બાઈક શો અને ઓફ–રોડ પ્રૂવિંગ ગ્રાઉન્ડ મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ રહેશે.
ઓટો એક્ષ્પોના કો–ચેરમેનો શ્રી કનુભાઇ મોદી અને શ્રી પ્રધુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સને ઓટો એક્ષ્પોના આયોજનમાં મોબિલ, ઓલ ઇન્ડિયા ઓટોમોબાઇલ વર્કશોપ્સ એસોસિએશન, સુરત કાર એકસેસરીઝ એસોસિએશન અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે.
ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે વધતા જતા તણાવ અને યુદ્ધની ભીતિએ આજે 09/03/2026 ભારતીય શેરબજારમાં ભૂકંપ લાવી દીધો છે. શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ફફડાટ જોવા મળ્યો હતો અને સેન્સેક્સ-નિફ્ટીમાં પ્રચંડ કડાકો બોલાયો છે.
મિડલ ઈસ્ટમાં વધતા જતા સૈન્ય સંઘર્ષની સીધી અસર આજે 09/03/2026 ભારતીય શેરબજાર પર જોવા મળી છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ગાબડાં પડ્યા હતા. BSE SENSEX આજે પ્રચંડ કડાકા સાથે 76,647.38 ના સ્તર પર પહોંચી ગયો હતો, જે તેના અગાઉના બંધ 78,918.90 ની સરખામણીએ 2,271.52 (2.88%) પોઈન્ટનો તોતિંગ ઘટાડો દર્શાવે છે. આજના ટ્રેડિંગ સત્ર દરમિયાન બજાર 77,056.75 પર ખુલ્યું હતું અને નીચામાં 76,641.26 સુધી ગગડ્યું હતું.
બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ NIFTY 50 પણ આ વેચવાલીના માહોલમાંથી બચી શક્યો નથી. નિફ્ટીમાં આજે 687.45 (2.81%) પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 23,763.00 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી આજે 23,868.05 પર ખુલ્યા બાદ નીચામાં 23,762.60 સુધી સરક્યો હતો. યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલો વધારો અને વૈશ્વિક અસ્થિરતાને પગલે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે, જેના કારણે બજારમાં આ પ્રચંડ કડાકો બોલાયો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.