CIA ALERT
17. May 2024

Vallabhbhai patel Archives - CIA Live

October 22, 2023
diamond1.jpg
1min365

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત ડાયમંડ બુર્સના સ્વરૂપમાં વિશ્વનું સૌથી મોટું હીરા બજાર આજ તા.22 ઓક્ટોબરથી બરાબર એક મહિના પછી તા.21મી નવેમ્બર 2023ના રોજ ધમધમતું થઇ જશે. વિશ્વમાં હીરા કટ એન્ડ પોલિશની સૌથી મોટી ફેક્ટરી ધરાવતા કિરણ જેમ્સના વલ્લભભાઇ પટેલ કે જેઓ અત્યાર પર્યત મહારાષ્ટ્ર, મુંબઇમાં કારોબાર ચલાવી રહ્યા હતા, તેઓ પોતે જ સુરત હીરા બુર્સના સ્થાપક ચેરમેન છે અને તેમણે જોયેલું સપનું સુરત ડાયમંડ બુર્સ પૂર્ણ થતાં સૌથી પહેલા તેઓ મુંબઇથી પોતાનો તમામ કારોબાર સ્વીચ ઓફ કરીને સુરત શીફ્ટ થઇ રહ્યા છે. કિરણ જેમ્સે પોતાના હીરા કારોબારનું હેડક્વાર્ટર સુરત બનાવતા તેમની પાછળ મુંબઇથી હજારો હીરા કારોબારીઓ સુરત ભણી રવાના થયા છે અને આ દિવાળી પર મુંબઇથી હજારો પરિવારો સુરત શીફટ્ થઇ જશે.

સુરત ડાયમંડ બુર્સ ખાતે આગામી મંગળવાર દશેરાના પર્વે 1 હજાર જેટલી ઓફિસોમાં કુંભ ઘડો મૂકાવાની સાથે જ તા.21મી નવેમ્બરથી હીરા બુર્સ ધમધમતું થઇ જાય તે માટેની તડામાર તૈયારીઓ શરૂ થઇ જશે. હીરા બુર્સ અંગેની માહિતી આપવા માટે આજે સુરત હીરા બુર્સ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ

સુરતના હીરા ઉદ્યોગના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સુરત ડાયમંડ બુર્સના શુભારંભનું રિવર્સ કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. મંગળવારે વિજયાદશમી પર્વે 1 હજારથી વધુ હીરાની ઓફિસોમાં કુમારીકાઓના હસ્તે કુંભ સ્થાપન કરવામાં આવશે અને એ સાથે જ હીરા ઉદ્યોગના ઉદઘાટન માટેની તડામાર તૈયારીઓ પણ શરૂ થઇ જશે.

કિરણ જેમ્સના વલ્લભભાઇની પડખે હજારો લોકો સુરત શીફ્ટ થઇ રહ્યા છે

સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઇ પટેલ એવું નામ છે કે જેની પાછળ બે પાંચ નહીં પણ હીરા ઝવેરાત ઉદ્યોગ પર નભતા હજારો પરિવારો મુંબઇથી સુરત શીફ્ટ થઇ રહ્યા છે. અત્યાર સુધી ઘણાં લોકો આ વાતને ગોબેલ્સ પ્રચાર ગણાવતા હતા પરંતુ, જ્યારથી સુરત હીરા બુર્સના ઉદઘાટનની તારીખ નક્કી થઇ ચૂકી છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ સુરત આવવાની સંમતિ આપી દીધા પછી અપપ્રચાર કરનારા લોકોના દાંત ખાટા થઇ ગયા છે. કિરણ જેમ્સના જ 1200થી વધુ કર્મચારીઓ કાયમ માટે સુરત શીફ્ટ થઇ રહ્યા છે અને તેમના માટે મગદલ્લા સચીન હાઇવે પર સોનારી ખાતે આખી ટાઉનશીપ બનીને તૈયાર થઇ ચૂકી છે, કર્મચારીઓ આ દિવાળીએ મુંબઇથી સુરત શીફ્ટ થઇ જશે. તેમની સાથે જ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક નાના મોટા વેપારીઓ, દલાલો, ઝવેરીઓ પણ સુરત શીફ્ટ થઇ રહ્યા છે અને તેઓ પણ હીરા બુર્સના ઉદઘાટન પહેલા પરિવાર સાથે સુરત આવી જશે.

મંગળવાર દશેરાએ સુરત હીરા બુર્સમાં 1000 ઓફિસોમાં કુંભ સ્થાપન સાથે ઉદઘાટનની તડામાર તૈયારીઓ શરૂ થઇ જશે

સહકારી ક્ષેત્રના વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટ અને વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ તરીકે વિશ્વ ખ્યાતિપ્રાપ્ત સુરતના ખજોદ ખાતે રૂ.3600 કરોડના જંગી ખર્ચે નિર્માણ કરાયેલા સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટનનું રિવર્સ કાઉન્ટડાઉન આગામી તા.24મી ઓક્ટોબર મંગળવારના દશેરાના પર્વથી શરૂ થઇ જશે.સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઇ એસ. પટેલ, એસડીબી કો.ઓ. સોસાયટીના પ્રમુખ નાગજીભાઇ સાકરીયા, એસડીબી મિડીયા કમિટીના દિનેશભાઇ નાવડીયા, નિલેશ બોડકી અને સી.ઇ.ઓ. મહેશ ગઢવીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે આગામી મંગળવારે વિજયા દશમી પર્વ સુરત ડાયમંડ બુર્સ માટે ઐતિહાસિક દિવસ બની રહેશે. સુરતના હીરા ઉદ્યોગકારોએ જે સપનું જોયું હતું તે આખરે સત પ્રતિશત સાકાર થવા જઈ રહ્યું છે. વિજયાદશમીના પર્વે સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતા કુલ 983 નાના મોટા ઉદ્યોગકારો તેમના પરિવાર સાથે પોતાની ઓફિસમાં શાસ્ત્રોક્ત વિધિવિધાનથી કુંભ ઘડાનું સ્થાપન કરશે. આ વિરલ ઘટનામાં સુરત ડાયમંડ બુર્સના તમામ કમિટી સભ્યો સમેત પાંચ હજારથી વધુ લોકો જોડાશે. એ પૂર્વે સંસ્થામાં નાનકડી કળશયાત્રા પણ કાઢવામાં આવશે.તદુપરાંત તા.21મી નવેમ્બરના રોજ સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઇ એસ. પટેલ પોતાની ઓસિનો શુભારંભ કરશે અને તેમની સાથે જ ડાયમંડ બુર્સના અન્ય ઓફિસ પાકો પણ પોતાની ઓફિસનું વ્યવસ્થાપન કરવા માંડશે.17મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વિધિવત રીતે સુરત ડાયમંડ બુસ ઉદધાટન કરાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા ભવ્યાતિભવ્ય ઉદઘાટન સમારોહની વિગતો હવે પછી  વિધિવત રીતે જણાવવામાં આવશે.