
તામિલનાડુમાં રથયાત્રા દરમિયાન હચમચાવી દેનારી હોનારત સર્જાઇ છે, રથયાત્રા પર લાઇવ હાઇવોલ્ટેજ ઇલેક્ટ્રીસિટી વાયર પડ્યો હતો જેમાં 11 લોકોને કરન્ટ લાગતા ગંભીર રીતે દાઝી ગયા અને ઘટના સ્થળે જ તેમના મોત થઈ ગયા હતા. તંજાવુરમાં વાર્ષિક રથયાત્રા દરમિયાન રથનું વાહન હાઈ વોલ્ટેજ તારના સંપર્કમાં આવતા મોટી દુર્ઘટના સર્જાઈ છે.
એક વાહનની આગળ હાઈ વોલ્ટેજ વાયર પડ્યા છે એટલે કે આ વાયર રથના સંપર્કમાં આવતા દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

રથયાત્રા મંદિર તરફ જઈ રહી હતી ત્યારે દુર્ઘટના બની હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. આ ઘટનામાં 15 જેટલા લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાવ બાદ લોકો એટલા ગભરાઈ ગયા હતા કે શું કરવું અને શું ના કરવું તે સમજી શક્યા નહોતા જેના લીધે મૃતકોની સંખ્યામાં વધારો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
તંજાવુરમાં વાર્ષિક રથ ઉત્સવ દરમિયાન રથને લઈને લોકો મોટી સંખ્યામાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક રથ એક જગ્યા પર વળાંક દરમિયાન ફસાઈ ગયો હતો. રથને આગળ લઈ જવા માટેના પ્રયાસ દરમિયાન તેને થોડો પાછળ ખસેડવાની જરુર પડી હતી. આ દરમિયાન ઓવર હેડ હાઈ વોલ્ટેજ વાયર રથના સંપર્કમાં આવતા રથની જોડે રહેલા લોકોને ભારે આંચકો લાગ્યો હતો અને ઘટના સ્થળ પર 11 લોકોના મોત થઈ ગયા હતા.