CIA ALERT

Sumul dairy Archives - CIA Live

July 14, 2026
image-13.png
1min224

7 બેઠકો ભાજપ સમર્થિત ઉમેદવારો બિનહરીફ જીતતાં બોર્ડ પર બહુમતી નિશ્ચિત, છતાં નિઝર, સોનગઢ, મહુવા, વ્યારા અને ઓલપાડમાં કાંટાની ટક્કર; 710 મતદારો નક્કી કરશે 6,600 કરોડના ટર્નઓવર ધરાવતી ડેરીનું ભાવિ

ધી સુરત અને તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી (સુમુલ ડેરી)ની 16 બેઠકોમાંથી 9 બેઠકો માટેનો ચૂંટણી જંગ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. 9 બેઠકો માટે કુલ 21 ઉમેદવારો મેદાનમાં હોવાથી અનેક બેઠકો પર સીધો અને ત્રિકોણીય મુકાબલો સર્જાયો છે. બુધવાર, તા.15 જુલાઈએ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે, જેમાં કુલ 710 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

વ્યારા અને મહુવા બેઠકો પર સૌથી વધુ ચાર-ચાર ઉમેદવારો મેદાનમાં હોવાથી અહીં સૌથી વધુ રસાકસી જોવા મળશે. જ્યારે કુકરમુંડા બેઠક પર ત્રિકોણીય મુકાબલો છે. અન્ય બેઠકો પર ભાજપ સમર્થિત અને કોંગ્રેસ સમર્થિત ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર રહેશે.

ચૂંટણી મતદાન પૂર્વેથી જ 16માંથી 7 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ઉપરાંત સરકાર દ્વારા નિયુક્ત થનારી ત્રણ બેઠકોને ધ્યાનમાં લેતાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં જ ભાજપે સુમુલ ડેરીના બોર્ડમાં બહુમતી સુનિશ્ચિત કરી લીધી છે. તેમ છતાં બાકીની 9 બેઠકોની ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે.

ખાસ કરીને નિઝર, સોનગઢ, મહુવા, વ્યારા અને ઓલપાડ બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો સામે કોંગ્રેસ તેમજ પશુપાલક હિતરક્ષક સમિતિના ઉમેદવારો ઉપરાંત ભાજપના બળવાખોર ઉમેદવારો પણ મેદાનમાં હોવાથી ચૂંટણી અત્યંત રસપ્રદ બની છે. કેટલીક બેઠકો પર ભાજપના આંતરિક અસંતોષે ચૂંટણીને વધુ કાંટાની બનાવી છે.

સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.50 લાખ પશુપાલકો સાથે સંકળાયેલી અને વાર્ષિક આશરે ₹6,600 કરોડનું ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીની આ ચૂંટણીને માત્ર સહકારી સંસ્થાની ચૂંટણી નહીં પરંતુ રાજકીય પ્રતિષ્ઠાની લડાઈ તરીકે પણ જોવામાં આવી રહી છે. કોંગ્રેસમુક્ત અથવા વિપક્ષમુક્ત સુમુલનું સ્વપ્ન સંપૂર્ણ રીતે સાકાર થશે કે વિરોધ પક્ષ પોતાની હાજરી નોંધાવશે, તેના પર સૌની નજર છે.

મતદાન પૂર્વે ઉમેદવારો દ્વારા નિયુક્ત મતદારોને પોતાના પક્ષે કરવા માટે ‘ડિનર ડિપ્લોમસી’ પણ પૂરજોશમાં ચાલી રહી છે. વિવિધ સ્થળોએ બપોર અને રાત્રિના ભોજનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જ્યાં મતદારોને મનાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ ચૂંટણીમાં કુલ 710 મતદારો મતદાન કરશે. તેમાં સોનગઢ બેઠકમાં સૌથી વધુ 176 મતદારો, ત્યારબાદ માંડવીમાં 129, વ્યારામાં 80, મહુવામાં 65, ઉમરપાડામાં 61, ડોલવણમાં 53, નિઝરમાં 51, કુકરમુંડામાં 43 અને ઓલપાડમાં 42 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

August 23, 2025
sumul-zimbabwe-1280x969.jpeg
1min156

આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ તેમજ સુમુલ ડેરીના 74માં સ્થાપના દિવસ અને “ચાલો ઝિમ્બાબ્વે” અંતર્ગત ઝિમ્બાબ્વેના વાઈસ પ્રેસિડન્ટ અને ઝિમ્બાબ્વેના સેક્રેટરીએટ્સની સુમુલ ડેરીની મુલાકાત અત્યંત ફળદાયી નિવડે તેવી શક્યતાઓ જોવાય રહી છે.

સુરત ચેમ્બર (SGCCI) ના આમંત્રણને પગલે ઝિમ્બાબ્વેના વાઈસ પ્રેસિડન્ટ અને ઝિમ્બાબ્વેના સેક્રેટરીએટ્સની બે દિવસની સુરત મુલાકાત અંતર્ગત તા.22.08.2025, શુક્રવારે સુમુલ ડેરી ખાતે ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. કોન્સ્ટેન્ટ ટીનો ચીવેન્ગા, મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સના ડેપ્યુટી મિનિસ્ટર શ્રી રાજ મોદી, મિનિસ્ટ્રી ઓફ ટુરીઝમ એન્ડ હોસ્પિટલિટીના ડેપ્યુટી મિનિસ્ટર શ્રી ટોંગાઈ મફિદી માવંગા, એમ્બેસેડર મિસીસ સ્ટેલા નકોમા તેમજ ઝિમ્બાબ્વેનું ડેલીગેશને સુમુલ ડેરીની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના ચેરમેન શ્રી મિનેશભાઈ શાહ, જી સી એમ એમ એફ (GCMMF) ના શ્રી મુકેશભાઈ દવે, સુમુલ ડેરીના કસટોડીયન શ્રી એચ. આર. પટેલ, સુમુલ ડેરીના મેનેજીંગ ડિરેક્ટર શ્રી અરુણ પુરોહિત તેમજ સુરત ચેમ્બર (SGCCI) ના પ્રેસિડેન્ટ શ્રી નિખિલ મદ્રાસી અને અન્ય ચેમ્બરના સભ્યો હાજર રહ્યા હતા.

મુલાકાત દરમિયાન માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના આહ્વાન દ્વારા શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ ની ચર્ચા થઈ હતી. ભારતમાં કો-ઓપરેટિવ મોડેલ, NDDB ની કામગીરી, અમૂલ પેટર્ન તેમજ ડેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વિસ્તૃત ચર્ચા થઈ હતી.

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે વેપાર,પશુપાલન, તેમજ ટેકનોલોજી ટ્રાન્સફર ક્ષેત્રે આદાન-પ્રદાન અર્થે મહત્વની ચર્ચાઓ થઈ હતી.

વધુમાં ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. કોન્સ્ટેન્ટ ટીનો ચીવેન્ગા એ જણાવ્યું હતું કે ઝિમ્બાબ્વેના દરવાજા સુમુલ-અમુલની બેકરી પ્રોડક્ટસ, સ્વીટ પ્રોડક્ટસ તેમજ અન્ય ડેરી તેમજ ફુડ પ્રોડક્ટસ માટે ખુલ્લા છે.

October 18, 2024
sumul-ghari-24.png
1min316

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ચંદી પડવાએ સુરતમાં ખવાતી ઘારી પૈકીની 70-75 ટકા ઘારી સુરતની સુમુલ ડેરી દ્વારા બનાવવામાં આવેલી હોય છે. ટૂંકમાં કહીએ તો સુમુલ ડેરીએ ઘારીનું 70-75 ટકા માર્કેટ સર કર્યું છે, જ્યારે બાકીની 25 ટકા ઘારીએ સ્થાનિક મીઠાઇની દુકાનવાળાઓ, જુદી જુદી મંડળીઓ વગેરે દ્વારા બનાવીને બજારમાં વેચવા મૂકાય છે.

આ વખતે 2024ના ચંદી પડવાએ સુમુલ ડેરી દ્વારા કમસેકમ 95 ટન જેટલી ઘારી એકલે હાથે બનાવીને બજારમાં મૂકી છે અને જે પણ કાઉન્ટર પર સુમુલ ડેરીની ઘારી વેચાવા મૂકી છે ત્યાંથી એ ચપોચપ ઉપડી ગઇ છે કેમકે ઘારીના એડવાન્સ ઓર્ડર જ એટલા હતા કે સ્ટોક મૂકાય એટલે વેચાઇ જાય છે.

સુરતીઓને સુમુલ ડેરીની ઘારી જ કેમ પસંદ એ અંગે જ્યારે સુમુલ ડેરીના રિટેલ કાઉન્ટર પરથી ઘારી ખરીદવા માટે આવેલા મહિલા નિકીતા શાહે જણાવ્યું કે સુમુલ ડેરીની ઘારી તેઓ છેલ્લા દસેક વર્ષથી આરોગી રહ્યા છે. તેઓ વિદેશમાં પણ પોતાના સગાસબંધીઓને સુમુલ ડેરીની જ ઘારી મોકલે છે. સુમુલની ઘારી એટલા માટે કે સુમુલ સહકારી ક્ષેત્રને અત્યંત વિશ્વસનીય સંસ્થા છે અને પોતાના જ દૂધ, શુધ્ધ ઘી તથા ઉચ્ચ ક્વોલિટીના ડ્રાયફ્રુટમાંથી સુમુલ ડેરી દ્વારા ફ્રેશ ઘારી તૈયાર કરીને બજારમાં મૂકવામાં આવે છે. ઘારીની બનાવટમાં જે પણ કોઇ મટીરીયલ વાપરવામાં આવે છે તેનું લેબોરેટરી પરીક્ષણ કરીને એ વાત નિશ્ચિત કરવામાં આવે છે કે જે તે મટિરિયલ હેલ્ધી છે કે નહીં. જો હેલ્ધી ન હોય તો જે તે ખરીદીનો સ્ટોક રિજેક્ટ કરી દેવામાં આવે છે. આ પ્રકાર ડિટેલ માહિતી કેવી રીતે જાણો છો તેવું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ શિક્ષક છે અને અગાઉ તેમની શાળાના બાળકો સાથે સુમુલ ડેરીની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે તેમને આ પ્રકારની માહિતી શેર કરવામાં આવી હતી.

આ પ્રકારનો રિવ્યુ સુમુલની ઘારી ખાનારા દરેક ગ્રાહકો પાસેથી મળી રહ્યો છે એટલે જ સુમુલ ડેરીએ ઘારીના માર્કેટમાં 75 ટકા જેટલો હિસ્સો સર કરી લીધો છે. અનેક લોકો સુમુલ ડેરીની ઘારી એટલા માટે પણ ખરીદી રહ્યા છે કેમકે સુમુલ ડેરીની ઘારીના ભાવ અને બજારમાં મળતી અન્ય ઘારીના ભાવમાં પણ ખાસ્સો ફરક છે. સુમુલ ડેરીની ઘારી સસ્તામાં સસ્તા દરે અને સારી ક્વોલિટીની હોવાથી સુરતીઓની મનપસંદ બની છે.

July 27, 2024
Cia_business_news-1280x936.jpg
1min327

અમુલ – સુમુલ મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ વેન્ડિંગ મશીન ઉદ્ઘાટન પ્રસંગ

આજરોજ તારીખ: 27 જુલાઈ, 2024 ના રોજ સુમુલ ડેરીના કેમ્પસમાં માસ્ટર શેફ પાસે આવેલ પાર્લર ખાતે અમુલ – સુમુલ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ વેન્ડીંગ મશીનું લોકાર્પણ સુમુલના ચેરમેન માનસિંહભાઇના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ પટેલ , વાઇસ ચેરમેન રાજુભાઈ પાઠક, સુમુલ ડેરી નિયામક મંડળના સભ્યો, સુમુલ ડેરીના એમડી અરુણ પુરોહિત તેમજ સુમુલ ડેરીના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સુરત શહેરના માનવંતા ગ્રાહકોને અમુલ – સુમુલ દૂધ અને દૂધની બનાવટો 24 કલાક (24×7) મળી રહે તે હેતુથી ઓટોમેટીક મિલ્ક વેન્ડિંગ મશીન અને મિલ્ક પ્રોડક્ટ વેન્ડિંગ મશીન એમ 2 વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યા છે. જેમાં અમુલ – સુમુલ બ્રાન્ડના દૂધ, છાસ, દહીં, લસ્સી, મીઠાઈ જેવી અમુલ અને સુમુલ પ્રોડક્ટ્સ મળી રહેશે.

અમુલ – સુમુલ મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ વેન્ડિંગ મશીન ફુલ્લિ ઓટોમેટીક છે, તેમજ જેમાં પેમેન્ટ પણ ડિજિટલ/ UPI થી થતું હોય, જે ગ્રાહકોને Any Time Milk ઉપલબ્ધ કરાવશે.

સ્થળ : સુમુલ ડેરી પાર્લર, માસ્ટર શેફ ની સામે

October 8, 2022
sumullogo.jpg
1min585

જયેશ બ્રહ્મભટ્ટ

સુરતીઓનો પોતિકો પર્વ એટલે ચાંદની પડવો. શરદપૂર્ણિમાના બીજા દિવસને ચાંદની પડવો કે ચંદની પડવો તરીકે ગુજરાતી કેલેન્ડરમાં નિર્દેશિત કરવામાં આવે છે. ચંદની પડવો એટલે સુરતીઓનો પોતિકો તહેવાર. ઘારી એટલે સુરતની પોતાની ઓળખ. વિશ્વ આખાને ઘારી બનાવતા સુરતે શીખવાડ્યું છે, અને હવે સુરતની પોતિકી સુમુલ ડેરીની ઘારી એટલે નંબર વન.

સુમુલ ડેરીના માર્કેટિંગ હેડ મનિષભાઇ ભટ્ટના જણાવ્યા પ્રમાણે સુમુલ ડેરી આ વખતે 100 ટન જેટલી ઘારીનું વેચાણ કરશે. તેમાંથી અત્યાર સુધીમાં 85 ટન જેટલી ઘારી તો વેચાઇ ચૂકી છે. આ પૈકી 12 ટન ઘારી સુગર ફ્રી (ખાસ કરીને ડાયાબિટીસથી પીડાતા લોકો માટે, હેલ્થ કોન્સીયસ લોકો માટે) બનાવવામાં આવી હતી, સુગર ફ્રી ઘારીનો જથ્થો ચપોચપ વેચાઇ ચૂક્યો હોવાનું મનિષભાઇએ જણાવ્યું હતું. હજુ બે દિવસમાં 15 ટન જેટલી ઘારી સુમુલની વેચાઇ જશે તેવો અંદાજ છે.

ચંદી પડવાને હજુ 24 કલાકનો સમય બાકી છે ત્યારે સુમુલ ડેરીની ઘારી એકલા સુરતમાં જ નહીં પણ મુંબઇ અને દિલ્હી સહિત દેશના ખૂણેખૂણે પહોંચી ગઇ છે. સુરતીઓ પોતાના વહેવારને સાચવવા માટે પણ અરસપરસ ઘારી આપી રહ્યા છે. આ વખતે મળી રહેલા અંદાજો અને એડવાન્સ્ડ ઓર્ડરને જોતા સુમુલ ડેરીની ઘારીનું વિક્રમી વેચાણ થશે તેમાં બેમત નથી.

સુમુલ ડેરીની ઘારી અંગે ડેરીના માર્કેટિંગ હેડ મનિષભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વખતે પણ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોને મન સુમુલ ડેરીની ઘારીની વિશ્વસનીયતા સૌથી વધુ છે અને એટલે જ લોકોએ આ વખતે ઘારીના એડવાન્સ્ડ ઓર્ડર આપ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી સુમુલ ડેરીના તંત્રએ ઘારી બનાવવા માટે જડબેસલાક વ્યવસ્થા તંત્ર ગોઠવ્યું છે અને જે ઓર્ડર મળ્યા છે તેને સમયસર ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.