
આરબીઆઈનો મોનિટરી પોલિસીની બેઠકના પરિણામ જાહેર કરતાં આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેર કર્યું હતું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી અને તેને 5.5% પર યથાવત્ રાખવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ફેસ્ટિવલ સિઝનને ધ્યાનમાં રાખીને ઘણા લોકો રેપો રેટમાં આરબીઆઈ દ્વારા ઘટાડાની આશા રાખી રહ્યા હતા. જ્યારે મોદી સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડા બાદ વધુ એક મોટી જાહેરાત થવાની વાતો પણ થઇ રહી હતી. જોકે હવે તેના પર પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે અને આરબીઆઈએ રેપો રેટ યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે જેનાથી હવે લોકોના ઈએમઆઈમાં પણ કોઈ ફેરફાર નહીં થાય.
ઉલ્લેખનીય છે કે અગાઉ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ઓગસ્ટમાં મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આરબીઆઈએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીને ધ્યાનમાં લેતાં ગત વખતે પણ રેપો રેટ 5.5 ટકાના દરે યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો.
આ સાથે આરબીઆઈએ ભારતીય અર્થતંત્રનું જીડીપી ગ્રોથ અનુમાન વધારીને 6.8% કરી દીધું છે. આ સાથે રેપો રેટ ઉપરાંત કેન્દ્રીય બેન્કે એસડીએફ રેટ 5.25% અને એમએસએફ રેટ 5.75% પર યથાવત્ રાખ્યા હતા. તેમણે કહ્યું કે બેઠકમાં એમપીસીના તમામ છ સભ્યોએ રેપો રેટ યથાવત્ રાખવા અંગે સહમતિ આપી હતી.