Rajdhani Archives - CIA Live

August 1, 2024
Vande_Bharat_Express_around_Mumbai.jpg
1min165

ભારતીય રેલવે 15 ઓગસ્ટથી વંદે ભારત તેમજ રાજધાની, ઓગસ્ટ ક્રાંતિ રાજધાની, તેજસ અને શતાબ્દી એક્સપ્રેસ જેવી ટ્રેનોની સ્પીડ વધારવા જઈ રહી છે. 130 કિમી પ્રતિ કલાકના બદલે હવે આ ટ્રેનો 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી જોવા મળશે. એક અંદાજ મુજબ સ્પીડ વધતા મુસાફરોનો 45 મિનિટથી લઈને 4 કલાક સુધીનો સમય બચી શકે છે. આનો અર્થ એ થયો કે હવે દિલ્હીથી મુંબઈની મુસાફરી માત્ર સરળ જ નહીં રહે પરંતુ સમયની પણ બચત કરાવશે.

ભારતીય રેલવે મિશન રફ્તાર હેઠળ એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોની ઝડપ વધારવા માટે કામ કરી રહી છે. આ સાથે ગુડ્સ ટ્રેનોની સ્પીડ પણ વધારવામાં આવશે. મિશન રફ્તાર હેઠળ આ તમામ ટ્રેનોની સરેરાશ ઝડપને વધુ વધારવામાં આવશે. ટ્રેનોની સ્પીડ વધારવા માટે એક સંપૂર્ણ સૂચિત પ્રક્રિયાનું પાલન કરવું પડશે. આમાં ટ્રેક, સિગ્નલ સિસ્ટમ, ઓવરહેડ સાધનો, ટ્રેનના કોચ અને એન્જિનને અપગ્રેડેશનનો સમાવેશ થાય છે. આ અંતર્ગત બાયપાસ ફૂટઓવર બ્રિજ પણ બનાવાયા છે. આ મિશન હેઠળ રેલવેના તમામ ડીઝલ એન્જિનોને મેમૂ એટલે કે મેઈન લાઈન ઈલેક્ટ્રીક મલ્ટીપલ યુનિટમાં ટ્રાન્સફોર્મ કરવામાં આવશે.

દેશની ટોચની ટ્રેનોની સ્પીડ 130થી વધારીને હવે 160 કિમી પ્રતિ કલાક કરવામાં આવશે પરંતુ સૌથી મોટો સવાલ થાય કે શું સ્પીડ વધશે તો ટિકિટના ભાવ પણ વધશે કે શું? આ સવાલનો જવાબ છે , ના ટ્રેનના ભાડામાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.

હાલમાં 12953 નિઝામુદ્દીન-મુંબઈ સેન્ટ્રલ ઓગસ્ટ ક્રાંતિ રાજધાની અને 12951 મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી રાજધાની દિલ્હી અને મુંબઈ વચ્ચે લગભગ 16 કલાકનો સમય લે છે પરંતુ 15 ઓગસ્ટ પછી આ યાત્રા 12 કલાકમાં પૂર્ણ કરી શકાશે. આમ 4 કલાકનો સમય બચશે. મહત્વની વાત એ છે કે, સંભવિત છે કે રેલવે ટૂંક સમયમાં આ અંગે નવું ટાઈમ ટેબલ પણ જારી કરી શકે છે અને અમુક ટ્રેનોના રૂટ લાંબા અથવા ફ્રિકવન્સી વધી શકે છે.

મુસાફરીના નવા શેડ્યૂલમાં મુંબઈથી અમદાવાદ આવતી વંદે એક્સપ્રેસ ટ્રેન હવે મુંબઈ સેન્ટ્રલથી બપોરે 3:45 વાગ્યે ઉપડશે, જે અગાઉના 3:55 PMના શેડ્યૂલ કરતાં દસ મિનિટ વહેલી હશે. વડોદરા: 20:11 વાગ્યે આગમન થશે 20:14 વાગ્યે પ્રસ્થાન થશે જે અગાઉ 20:16 અને 20:19 હતા તથા અમદાવાદ અગાઉના 21:25ના આગમનને સ્થાને 21:15 વાગ્યે આગમન થશે.

રેલવે વિભાગે પશ્ચિમ ઝોન રેલવેને 15 ઓગસ્ટથી આ સ્પીડ લિમિટને લાગુ કરવા સૂચના આપી છે. રેલવે બોર્ડે પશ્ચિમ રેલવેના અધિકારક્ષેત્ર હેઠળના મુંબઈ-અમદાવાદ અને મુંબઈ-નાગદા રૂટ પર 15 ઓગસ્ટથી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડાવવાની યોજના તૈયાર કરી છે. આ માટે રેલવે બોર્ડે ઝોનલ રેલવે હેઠળના તમામ સંબંધિત વિભાગોના DRMને બ્લોક અને એસએન્ડટી/ટીઆરડી ટીમો પાસેથી જરૂરી કામ પૂર્ણ કરાવવા અને સુરક્ષા-સલામતી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતુ. આ પ્રક્રિયા પૂર્ણ થવા હવે લીલીઝંડી મળી.

પશ્ચિમ રેલવેના અધિકારીઓનું કહેવું છે કે ટ્રેનોને 160 કિમી સુધી ચલાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મુંબઈ-અમદાવાદ રૂટ, મુંબઈ-વડોદરા રૂટ, વડોદરાથી દાહોદ અને દાહોદથી નાગદા રૂટને 160 કિમી પ્રતિ કલાકની ઝડપે અપગ્રેડ કરવામાં આવ્યા છે. આ રૂટ પર નવી ટેકનોલોજીથી સજ્જ સિગ્નલિંગ અને ઓવરહેડ ઈક્વિપમેન્ટ લગાવવામાં આવ્યા છે. આ રૂટ પરથી અનેક રેલ અવરોધો પણ દૂર કરવામાં આવ્યા છે.

આ ટ્રેનોમાં સ્લીપર ડેન્સિટી વધારવામાં આવી છે. કવચ ટેક્નોલોજી પણ લગાવવામાં આવી છે. મિશન રફ્તાર હેઠળ ટ્રેક અપગ્રેડેશનને કારણે તમામ પ્રીમિયમ ટ્રેનો 160 કિમીની ઝડપે દોડશે પરંતુ આનાથી ભાડા પર કોઈ અસર નહીં થાય. ઝડપ વધવાથી દોડવાના સમયમાં પણ ફરક પડશે, જેના કારણે અનેક રૂટ પર નવી ટ્રેનો દોડાવી શકાશે.