CIA ALERT

Navratri Bachat Utsav Archives - CIA Live

September 22, 2025
image-28-1280x853.png
2min41

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 21/9/25 વિ​ડિયો કૉન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. શક્તિની ઉપાસનાના તહેવાર નવરાત્રિની શરૂઆત પર તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવતાં તેમણે ટિપ્પણી કરી હતી કે નવરાત્રિના પહેલા દિવસથી જ દેશ આત્મનિર્ભર ભારત અભિયાનમાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરી રહ્યો છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘બાવીસમી સપ્ટેમ્બર 22/9/25ના સૂર્યોદયથી દેશ આગામી પેઢીના GST સુધારાઓ લાગુ કરશે. આ સમગ્ર ભારતમાં GST બચત ઉત્સવની શરૂઆત છે. આ તહેવાર બચતમાં વધારો કરશે અને લોકોને તેમની પસંદગીની વસ્તુઓ ખરીદવાનું સરળ બનાવશે.

આ બચત ઉત્સવના લાભ ગરીબ, મધ્યમ વર્ગ, નવમધ્યમ વર્ગ, યુવાનો, ખેડૂતો, મહિલાઓ, દુકાનદારો, વેપારીઓ અને ઉદ્યોગ-સાહસિકો સુધી પહોંચશે. આ સુધારાઓ ભારતની વિકાસગાથાને વેગ આપશે, વ્યાવસાયિક કામગીરીને સરળ બનાવશે, રોકાણોને વધુ આકર્ષક બનાવશે અને ખાતરી કરશે કે દરેક રાજ્ય વિકાસની દોડમાં સમાન ભાગીદાર બને.’

ભારતે ૨૦૧૭માં GST સુધારા તરફ પ્રથમ પગલાં લીધાં હતાં જે એક જૂના પ્રકરણનો અંત અને દેશના આર્થિક ઇતિહાસમાં એક નવા પ્રકરણની શરૂઆત હતી એ યાદ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘દાયકાઓથી નાગરિકો અને વેપારીઓ કરવેરા – ઑક્ટ્રૉય, એન્ટ્રી-ટૅક્સ, સેલ્સ-ટૅક્સ, એક્સાઇઝ, વૅટ (VAT-વૅલ્યુ ઍડેડ ટૅક્સ) અને સર્વિસ ટૅક્સની જટિલ જાળમાં ફસાયેલા હતા જે દેશભરમાં ડઝનબંધ જેટલી વસૂલાત હતી. એક શહેરથી બીજા શહેરમાં માલ પરિવહન કરવા માટે અનેક ચેકપૉઇન્ટ પાર કરવા, અસંખ્ય ફૉર્મ ભરવા અને દરેક સ્થાન પર અલગ-અલગ કર-નિયમોના ચક્રવ્યૂહમાં નેવિગેટ કરવાની જરૂર હતી.’

નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે વિદેશી અખબારમાં પ્રકાશિત એક ઉદાહરણનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘એ લેખમાં એક કંપની સામે કેટલા પડકારો હતા એનું વર્ણન કરવામાં આવેલું જેણે બૅન્ગલોરથી હૈદરાબાદ ફક્ત ૫૭૦ કિલોમીટરના અંતરે માલ મોકલવામાં એટલી મુશ્કેલી પડી કે એ બૅન્ગલોરથી યુરોપ અને પછી હૈદરાબાદ પાછો માલ મોકલવાનું પસંદ કરતી હતી.’

નવા GST દરો

નવા GST દરો લાગુ પડ્યા એ વિશે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘સુધારો એક સતત પ્રક્રિયા છે અને જેમ-જેમ સમય બદલાય છે અને રાષ્ટ્રીય જરૂરિયાતો બદલાય છે એમ-એમ આગામી પેઢીના સુધારા પણ એટલા જ આવશ્યક બની જાય છે. દેશની વર્તમાન જરૂરિયાતો અને ભવિષ્યની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને આ નવા GST સુધારાઓ લાગુ કરવામાં આવી રહ્યા છે. નવા માળખા હેઠળ ફક્ત પાંચ ટકા અને ૧૮ ટકાના ટૅક્સ સ્લૅબ મુખ્યત્વે રહેશે. આનો અર્થ એ છે કે મોટા ભાગની રોજિંદા ઉપયોગની વસ્તુઓ વધુ પોસાય એવી બનશે. ખાદ્ય પદાર્થો, દવાઓ, સાબુ, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, આરોગ્ય અને જીવન વીમો જેવી અનેક વસ્તુઓ કાં તો કરમુક્ત હશે અથવા ફક્ત પાંચ ટકા કર આકર્ષિત કરશે. અગાઉ ૧૨ ટકા કર લાગતી વસ્તુઓમાંથી ૯૯ ટકા – લગભગ બધી – હવે પાંચ ટકા કરના સ્લૅબ હેઠળ લાવવામાં આવી છે.

૨૫ કરોડ ભારતીયો

છેલ્લાં ૧૧ વર્ષમાં ૨૫ કરોડ ભારતીયો ગરીબીમાંથી બહાર આવ્યા છે અને દેશની પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા એક મહત્ત્વપૂર્ણ નવમધ્યમ વર્ગ તરીકે ઊભરી આવ્યા છે એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આ નવમધ્યમ વર્ગની પોતાની આકાંક્ષાઓ અને સપનાં છે. આ વર્ષે સરકારે ૧૨ લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરીને કરરાહત આપી છે જેનાથી મધ્યમ વર્ગના જીવનમાં નોંધપાત્ર સરળતા અને સુવિધા આવી છે. હવે ગરીબો અને નવમધ્યમ વર્ગને લાભ લેવાનો વારો છે. તેમને બેવડો લાભ મળી રહ્યો છે – પહેલાં આવકવેરામાં રાહત દ્વારા અને હવે ઘટાડેલા GST દ્વારા. GST દરમાં ઘટાડો થવાથી નાગરિકો માટે વ્યક્તિગત સપનાં પૂરાં કરવાં સરળ બનશે – પછી ભલે એ ઘર બનાવવાનું હોય, ટીવી કે ફ્રિજ ખરીદવાનું હોય કે પછી સ્કૂટર, બાઇક કે કાર ખરીદવાનું હોય – હવે બધું જ સસ્તું થશે. મુસાફરી પણ વધુ સસ્તી બનશે, કારણ કે મોટા ભાગની હોટેલ-રૂમો પર GST ઘટાડવામાં આવ્યો છે. વેપારીઓ અને દુકાનદારો GSTના ઘટાડાના લાભો ગ્રાહકો સુધી પહોંચાડવા માટે સક્રિયપણે કામ કરી રહ્યા છે.’

આત્મનિર્ભરતા તરફ નક્કર કદમ

વિકસિત ભારતના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે આત્મનિર્ભરતાના માર્ગ પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતાની જરૂર છે એના પર ભાર મૂકતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ભારતને આત્મનિર્ભર બનાવવાની મુખ્ય જવાબદારી MSMEs એટલે કે ભારતના સૂક્ષ્મ, નાના અને કુટિર ઉદ્યોગોની છે. લોકોની જે પણ જરૂરિયાત છે એ દેશમાં જ ઉત્પાદિત કરી શકાય છે અને એ સ્થાનિક સ્તરે જ ઉત્પન્ન થવું જોઈએ. ભારતનું ઉત્પાદન અને ઉત્પાદન ગુણવત્તા એક સમયે વૈશ્વિક સ્તરે માન્યતાપ્રાપ્ત અને શ્રેષ્ઠ હતી. એ ગૌરવ પાછું મેળવવાની જરૂર છે. હું આશા રાખું છું કે નાના ઉદ્યોગો દ્વારા બનાવેલાં ઉત્પાદનો ઉચ્ચતમ વૈશ્વિક ધોરણોને પૂરાં કરે. ભારતનું ઉત્પાદન ગૌરવ અને શ્રેષ્ઠતા સાથે તમામ માપદંડોને વટાવી જવું જોઈએ અને ભારતીય ઉત્પાદનોની ગુણવત્તા દેશની વૈશ્વિક ઓળખ અને પ્રતિષ્ઠામાં વધારો કરશે. આ ધ્યેયને નજરમાં રાખીને આપણે કામ કરીએ.’

સ્વદેશી

જેમ સ્વદેશીના મંત્રે ભારતના સ્વતંત્રતા-સંગ્રામને સશક્ત બનાવ્યો એવી જ રીતે એ રાષ્ટ્રની સમૃદ્ધિ તરફની યાત્રાને પણ ઊર્જા આપશે એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ઘણી વિદેશી વસ્તુઓ અજાણતાં આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે અને નાગરિકોને ઘણી વાર ખ્યાલ પણ નથી હોતો કે તેમના ખિસ્સામાં રહેલો કાંસકો વિદેશી છે કે સ્વદેશી? આવી નિર્ભરતામાંથી મુક્ત થવાની જરૂર છે. આપણે દેશના યુવાનોની મહેનત અને પરસેવાથી બનેલાં મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો ખરીદો. દરેક ઘરને સ્વદેશીનું પ્રતીક બનાવો અને દરેક દુકાનને સ્વદેશી વસ્તુઓથી સુસજ્જ કરો. ગર્વથી કહો કે હું સ્વદેશી ખરીદું છું, હું સ્વદેશી વેચું છું. આ માનસિકતા દરેક ભારતીયની બનવી જોઈએ. આવા પરિવર્તનથી ભારતના વિકાસને વેગ મળશે. હું રાજ્ય સરકારોને આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભિયાનોને સક્રિયપણે સમર્થન કરવાની અપીલ કરું છું જેથી તેમનાં રાજ્યોમાં સંપૂર્ણ ઊર્જા અને ઉત્સાહ સાથે ઉત્પાદનને વેગ આપી શકે અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવી શકાય. મને વિશ્વાસ છે કે જો કેન્દ્ર અને રાજ્યો સાથે મળીને આગળ વધશે તો આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર થશે, દરેક રાજ્યનો વિકાસ થશે અને ભારત એક વિકસિત રાષ્ટ્ર બનશે.’

નાગરિક દેવો ભવઃ

નેક્સ્ટ જનરેશન GST સુધારાઓમાં નાગરિક દેવો ભવઃનો મંત્ર પ્રતિબિંબિત થાય છે એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આવકવેરાની રાહત અને GSTના ઘટાડાને જોડવામાં આવે છે ત્યારે છેલ્લા એક વર્ષમાં લેવામાં આવેલા નિર્ણયો ભારતના લોકો માટે ૨.૫ લાખ કરોડ રૂપિયાથી વધુની બચત કરશે. આ જ કારણ છે કે આને હું ‘બચત ઉત્સવ’ કહું છું.’