ત્રણ જુલાઈ-2024થી પ્રીપેડ અને પોસ્ટપેડ મોબાઈલ ટેરિફની કિંમતો વધારવામાં આવી છે. દેશની ત્રણ મુખ્ય ટેલીકૉમ કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા (Reliance Jio, Bharti Airtel and Vodafone Idea)એ મોબાઈલ ટેરિફમાં 25 ટકા સુધીનો વધારો કર્યો છે. હવે આ મામલે કોંગ્રેસે મોદી સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા (Randeep Surjewala)એ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો છે કે, ‘મોદી સરકારે 109 કરોડ મોબાઈલ યુઝર્સ (Mobile Users) પર વાર્ષિક 34,824 કરોડ રૂપિયાનો બોજો નાખ્યો છે.’

સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું કે, ‘ત્રણ અને ચાર જુલાઈના રોજ દેશની ત્રણ ટેલીકૉમ કંપનીઓએ મોબાઈલ ટેરિફની કિંમતો વધારી છે. ત્રણેય સેલ ફોન કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોટાફોન આઈડિયાનો માર્કેટ શેર 91.6 ટકા છે અને તેમના 109 કરોડ સેલ ફોન યુઝર્સ છે. મોદી સરકારની મંજૂરી બાદ આ કંપનીઓએ ટેરિફમાં વાર્ષિક 34,824 કરોડ રૂપિયાનો બોજો ગ્રાહકો પર નાખી દીધો છે.’
રણદીપ સુરજેવાલાએ ટ્રાઈના રિપોર્ટને ટાંકીને કહ્યું કે, ‘ટેલીકૉમ કંપનીઓ પોતાના યુઝર્સો પાસેથી 31 ડિસેમ્બર-2023 સુધીમાં દર મહિને સરેરાશ 152.55 રૂપિયા કમાતી હતી. રિલાયન્સ જિયોએ ટેરિફ રેટમાં 12થી 27 ટકા, એરટેલે 11થી 21 ટકા અને વોડાફોન આઈડિયાએ 10-24 ટકાનો વધારો કર્યો છે.’
તેમણે આક્ષેપ કર્યો છે કે, ત્રણેય કંપનીઓએ પરામર્શ કરીને 72 કલાકની અંદર મોબાઈલ ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી. આ ટેરિફ વધારાથી રિલાયન્સ જિયોને 17,568 કરોડ રૂપિયા, એરટેલને 10,704 કરોડ રૂપિયા અને વોડાફોન આઈડિયાને વાર્ષિક 6552 કરોડ રૂપિયાની કમાણી થશે.
કોંગ્રેસે મોબાઈલ ટેરિફમાં વધારા મુદ્દે સરકારને ઘણા પ્રશ્નો કર્યા છે. પાર્ટીએ પૂછ્યું છે કે, ‘92 ટકા બજાર હિસ્સો ધરાવતી ટેલિકોમ કંપનીઓને એકતરફી રૂ.34,824 કરોડનો ટેરિફ વધારવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી? શું સરકાર અને TRAI 109 કરોડ યુઝર્સ પ્રત્યેની તેમની ફરજ અને જવાબદારીથી દૂર થઈ ગયા છે? શું મોબાઈલ ટેરિફમાં વધારો લોકસભા ચૂંટણીના અંત સુધી મોકૂફ રખાયો હતો? શું સરકાર કે ટ્રાઈએ કંપનીઓની કેપિટલ એક્સપેન્ડિચરની જરૂરિયાતો પર અભ્યાસ કર્યો છે કે નહીં?