
સમગ્ર ભારતમાં સૌથી બિઝી હાઇવે ગણાતા અમદાવાદ મુંબઇ નેશનલ હાઇવે પર ચીખલીથી વલસાડ વચ્ચે અનેક ઠેકાણે પાણી ભરાઇ જવાને કારણે આજે તા.14મી જુલાઇએ સવારે નવસારીના કલેક્ટરે જાહેરાત કરવી પડી હતી કે ટ્રાફિકની અવરજવર જોખમી હોવાથી અમદાવાદ મુંબઇ વચ્ચેનો નેશનલ હાઇવે બંધ કરવો પડ્યો છે. નવસારી કલેક્ટરે લોકોને અપીલ કરી છે કે હાઇવે અચોક્કસ મુદત માટે બંધ છે, આથી લોકોએ આ માર્ગ પરનો પ્રવાસ ટાળવો જોઇએ.
દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ નૅશનલ હાઈ વે પર વરસાદી પાણી ભરાવાને કારણે નવસારી જિલ્લા કલેકટરે નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ચીખલી આલીપોરથી વલસાડ સુધીનો હાઈ વે અવરજવર માટે બંધ કર્યો છે. નવસારીમાં 12,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદે તારાજી સર્જી છે. 15 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વોલમાર્ક લો પ્રેશર હોવાથી રાજ્યમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે.