જુનાગઢના મેંદરડામાં 4 કલાકમાં અનરાધાર 10 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, જુનાગઢના વંથલીમાં 5.31 ઇંચ, કેશોદમાં 4.8 ઇંચ, માંગરોળમાં 2.56 ઇંચ, માળિયા હાટીનામાં 2.56 ઇંચ, જુનાગઢમાં 1.97 ઇંચ, જુનાગઢ શહેરમાં 197 ઇંચ, માણાવદરમાં 1.02 ઇંચ અને માણાવદરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
ક્યાં કેટલો ખાબક્યો વરસાદ
આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં જુનાગઢ ઉપરાંત ભાવનગરના મહુવામાં 4.76 ઇંચ, ગીર સોમનાથમાં તલાલામાં 4.06 ઇંચ, અમરેલીના રાજુલામાં 3.35 ઇંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં 2.8 ઇંચ અને ગીર ગઢડામાં 2.64 ઇંચ અને પોરબંદરમાં 2.52 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે, 16 તાલુકામાં સરેરાશ 1 ઇંચથી 2 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો.
મધુવંતી નદી બની ગાંડીતૂર, રસ્તાઓ બંધ
મેંદરડામાં મુશળધાર વરસાદથી મધુવંતી નદી ગાંડીતૂર બની છે. નદીના 5 કોઝવે પર ઓવરટોપિંગ થતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. મીઠાપુર અને દાત્રાણા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.
જળાશયોમાં પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલાયા
વંથલી તાલુકાના ખોરાસા ગામ પાસે આવેલા સાબલી જળાશયમાં ઉપરવાસમાં પાણીની આવક વધતા હાલ ડેમના 11 દરવાજા 1.50 મીટર ખોલવામાં આવ્યા છે. વંથલી તાલુકાના ખોરાસા, સેંદરડા અને કેશોદ તાલુકાના મઘરવાડા, માણેકવાડા, ડેરવાણ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
વંથલી તાલુકાના શાપુર ગામ પાસે આવેલા ઓઝત વિયર શાપુર જળાશયમાં પાણીની આવક થતા ડેમમાં હાલ ઓવરફ્લો 1.70 મીટર છે. જૂનાગઢ તાલુકાના બાદલપુર ગામ પાસે આવેલા ઓઝત-2 જળાશયમાં પણ પાણીની આવક વધતા ડેમના 3 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા છે.
કંટ્રોલ રૂમ શરૂ
વહીવટીતંત્ર દ્વારા 35-40 લોકોને અગમચેતીના ભાગરૂપે સલામત જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જૂનાગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના હોવાથી જૂનાગઢના તમામ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા, કોઝવે/રસ્તા પરથી પાણી પસાર થતું હોય ત્યારે તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે.