
સોરઠની શાન કહેવાતા સાવજના મોતના આંકડા વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા હતા. ગૃહમાં રજૂ કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ સુધીમાં, રાજ્યમાં ૨૫૫ પુખ્ત નર સિંહ, ૪૦૫ સિંહણ અને ૨૩૧ બચ્ચા છે. એટલે કે અંદાજે 891 સિંહ છે. જોકે, વસ્તીની વિગતોની સાથે, મૃત્યુદરના આંકડાઓએ ચિંતા જગાવી છે. વર્ષ ૨૦૨૪ અને જાન્યુઆરી ૨૦૨૬ વચ્ચે, ગુજરાતમાં કુલ ૩૨૨ સિંહ, સિંહણ અને બચ્ચાના મૃત્યુ નોંધાયા હતા.
વર્ષ પ્રમાણે વિગતવાર આંકડા જોઈએ તો ૨૦૨૪માં કુલ ૧૬૫ સિંહના મૃત્યુ નોંધાયા હતા, આમાંથી ૩૯ મૃત્યુને અકુદરતી ગણવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૫માં રાજ્યમાં ૧૪૮ સિંહના મૃત્યુ નોંધાયા હતા, આમાંથી ૨૨ મૃત્યુ અકુદરતી તરીકે નોંધાયા હતા. જ્યારે જાન્યુઆરી ૨૦૨૬માં પહેલા મહિનામાં જ ૯ સિંહના મૃત્યુ નોંધાયા હતા, જેમાં ૩ મોત અકુદરતી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.
સત્તાવાર માહિતી અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં કુદરતી અને અકુદરતી બંને કારણોસર નોંધપાત્ર સંખ્યામાં સિંહોના મૃત્યુ થયા છે. 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર, 2024 દરમિયાન, કુલ 28 સિંહ, 28 સિંહણ અને 68 બચ્ચા કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હતા.
2025 માં, કુદરતી મૃત્યુમાં 28 સિંહ, 38 સિંહણ અને 55 બચ્ચાનો સમાવેશ થાય છે. જાન્યુઆરી 2026 માં (31 જાન્યુઆરી સુધી), બે સિંહ, એક સિંહણ અને ત્રણ બચ્ચા કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હતા.અકુદરતી મૃત્યુની વાત કરીએ તો, 2024માં 12 સિંહ, 19 સિંહણ અને 11 બચ્ચા નોંધાયા હતા, જ્યારે 2025 માં આ આંકડો ચાર સિંહ, પાંચ સિંહણ અને 11 બચ્ચા હતો. જાન્યુઆરી 2026 માં, એક સિંહ અને બે સિંહણ અકુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હતા, આ સમયગાળા દરમિયાન કોઈ બચ્ચાના મૃત્યુની જાણ થઈ નથી.
બીજી બાજુ સિંહોના અકુદરતી મૃત્યુને રોકવા માટે વન વિભાગ ઘણા અલગ અલગ પગલાં લે છે. અત્યાધુનિક મેડિકલ સારવાર, એમ્બ્યુલન્સ, વાઈલ્ડ લાઈફ ટ્રીટમેન્ટ સેન્ટર બનાવવામા આવ્યા છે.
આ સાથે રેડિયો કૉલર સહિતની ટેકનોલોજીની મદદ પણ લેવામાં આવી રહી છે. અકસ્માતો રોકવા માટે સ્પીડ બ્રેકર્સ, કૂવા આસપાસ સંરક્ષણ દિવાલો, રાજુલા-પીપાંવાવ રેલવે ટ્રેક પાસે ચેઈન લિંક ફેન્સિંગ જેવા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. સરકારે જણાવ્યું હતું કે તે ગુજરાતમાં સિંહના અકુદરતી મૃત્યુ ઘટાડવા અને તેમને સુરક્ષિત રાખવા માટે ટેકનોલોજી-આધારિત મોનિટરિંગ, તબીબી સેવાઓ અને જનજાગૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.



