electricity crisis Archives - CIA Live

May 13, 2022
electric.jpg
1min407

જર્કે FPPPAમાં વધુ ૨૦ પૈસાનો વધારો કરવાની છૂટ આપી

ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ યુનિટદીઠ રૂ. ૨.૩૦થી વધારીને રૂ. ૨.૫૦ કરી આપ્યા

ગુજરાત વીજ નિયમન પંચના નવા નિયુક્ત થયેલા ચેરમેને ગુજરાત ઉર્જા વિકાસ નિગમની ચાર વીજ વિતરણ કંપનીઓને વીજદરમાં ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ યુનિટદીઠ વધારે ૨૦ પૈસા લેવાની છૂટ આપી દીધી છે. પહેલી મે ૨૦૨૨થી વીસ પૈસાનો યુનિટદીઠ વધારો લેવાની છૂટ આપી દેવામાં આવી છે. પહેલા ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ યુનિટદીઠ રૂ. ૨.૩૦ લેવાતા હતા તે વધારીને રૂ. ૨.૫૦ લેવાની વ્યવસ્થા કરી આપી છે. એફપીપીપીએમાં યુનિટદીઠ ૨૦ પૈસાનો વધારો કરી આપવાને પરિણામે ગુજરાતના ૧.૩૦ કરોડ વીજ જોડાણધારકો પરના વીજબિલમાં વરસે રૂ. ૩૨૪૦ કરોડનો વધારાનો બોજ આવશે.

જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૨ના ત્રિમાસિક ગાળા માટે એફપીપીપીએમાં યુનિટદીઠ ૧૦ પૈસાનો વધારો કરી આપ્યા બાદ હવે બીજો ૨૦ પૈસાનો વધારો કરી આપવામાં આવ્યો છે. આમ છેલ્લા ચાર જ મહિનામાં એફપીપીપીએમાં યુનિટદીઠ વીજદરમાં ૫૦ પૈસાનો વધારો કરી આપવામાં આવ્યો છે. આમ તો ગુજરાત સરકારની વીજ વિતરણ કંપનીઓએ એફપીપીપીએની ફોર્મ્યુલા હેઠળ યુનિટદીઠ રૃ. ૨.૬૨ લેવાના થાય છે. તેમાંથી યુનિટદીઠ રૃ. ૨.૩૦ વસૂલવામાં આવતા હતા. મે ૨૦૨૨થી તેઓ હવે યુનિટદીઠ રૃ. ૨.૫૦ વસૂલી શકશે. તેથી મે અને જૂન મહિનાના વીજ બિલમાં યુનિટદીઠ ૨૦ પૈસાનો અને ૨૦૦ યુનિટના વીજ વપરાશકારોને માથે વીજ બિલમાં રૃ. ૪૦ અને ઇલેક્ટ્રિસિટી ડયૂટી સાથે રૃ. ૪૫થી ૪૮નો વધારો આવશે.

વીજદરના યુનિટદીઠ રૃ. ૩.૦૫ના સૌથી નીચા સ્લેબમાં એફપીપીપીએમાં ૪૪ ટકાનો વધારો આવ્યો છે. આ વધારો ૪૪ ટકાનો છે. વીજદર ન વધારવાનો દેખાવ કરીને લોકોને માથે ૪૪ ટકાના વધારાનો બોજ નાખી દેવા માટે માત્ર જર્ક જ જવાબદાર છે. ગુજરાતની મોંઘી વીજળી માટે જર્ક જ જવાબદાર છે.

જર્કે એવો દાવો કર્યો છે કે છેલ્લા છ વરસથી વીજદરમાં કોઈ જ વધારો આપવામાં આવ્યો નથી. પરંતુ બીજીતરફ તેણે એફપીપીપીએને નામે આડકતરી રીતે વીજદરમાં ૪૪ પૈસાનો વધારો આવી દીધો હોવાનું વીજ સેક્ટરના નિષ્ણાત કે.કે. બજાજનું કહેવું છે. છેલ્લા વીસ દિવસમાં યુનિટદીઠ ભાવમાં કરી આપવામાં આવેલા ૩૦ પૈસાના વધારાને કારણે વીજ ગ્રાહકોને માથે મહિને રૃ. ૨૭૦ કરોડનો વધારાનો બોજ આવશે. ગેસ અને કોલસાના ભાવ વધી ગયા છે. તેને કારણે પાવર પરચેજ કોસ્ટ ઊંચી જ જવાની છે. તેથી એફપીપીપીએ વધીને રૃ. ૨.૯૮ સુધી પહોંચી જશે.

ધોળા હાથીને બંધ કરીને ગ્રાહકોનો વીજદર વધારાનો બોજ હળવો કરો

ગુજરાતના ૧.૩૦ કરોડ વીજગ્રાહકોને માથેના અબજો રૃપિયાનો બોજ ઓછો કરવા માટે ગુજરાત સરકારની ધોળા હાથીઓ જેવી વીજ કંપનીઓ બંધ કરી દેવી જોઈએ. આ કંપનીઓ વીજળી પેદા ન કરતી હોવા છતાંય તેને માટે કરવામાં આવેલા મૂડીરોકાણના વ્યાજ, પ્લાન્ટની જાળવણી અને કર્મચારીઓના પગાર ખર્ચનો બોજ તેમને માથે આવે જ છે. તેથી તે બંધ કરી દેવામાં આવે તે વીજગ્રાહકોના હિતમાં છે.

ગુજરાતના પાવર સેક્ટરમાં કેએલટીપીએસના ૪ પાવર પ્લાન્ટ ધોળા હાથી જેવા છે. ૭૫ મેગાવોટના આ પ્લાન્ટમાં એક વરસમાં માત્ર ૪.૮૦ કરોડ વીજળી જ પેદા કરવામાં આવી છે. જે તેની કુલ વીજ ઉત્પાદન ક્ષમતાના માત્ર ૭.૨ ટકા જ છે. જૂન ૨૦૨૧થી ફેબ્રુઆરી ૨૦૨૨ના નવ મહિના સુધી આ પાવર પ્લાન્ટ સાવ જ બંધ રહ્યો હતો. તેને જંગી બોજો એફપીપીપીએના સ્વરૃપમાં ગુજરાતના ૧.૩૦ કરોડ વીજગ્રાહકોને માથે આવ્યો છે. પાનધ્રોના ૬૫૦ મેગાવોટના પાવર પ્લાન્ટના નબળા ઉત્પાદનને કારણએ જ ગુજરાતના વીજ વપરાશકારોને માથે ભાવ વધારાનો બોજ આવી રહ્યો છે. બીએલટીપીએસનો પ્લાન્ટ પણ તેની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા સામે માત્ર ૩૭.૮ ટકા વીજળી જ પેદા કરે છે. લિગ્નાઈટથી ચાલતા પાવર પ્લાન્ટમાં યુનિટદીઠ રૂ. ૩થી ઓછા ભાવે વીજળી પેદા થાય છે. પરંતુ આ વીજળી પેદા ન કરીને વીજગ્રાહકોને માથે ખર્ચબોજ વધારવામાં આવી રહ્યો છે.

April 30, 2022
trains.jpg
1min422

કોલસાની અછત સર્જાતા વીજળીની કટોકટી ઘેરી બની છે. કોલસો ભરીને દેશભરમાં દોડતી માલગાડીઓને પ્રાથમિકતા મળે તે માટે કેન્દ્ર સરકારે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો હતો અને ૬૫૭ પેસેન્જર ટ્રેનો રદ્ કરી હતી. ઈમરજન્સી રૃટ બનાવીને માલગાડીઓ મારફતે અછતગ્રસ્ત વિસ્તારોમાં કોલસો મોકલવામાં આવશે. કાળઝાળ ગરમી વચ્ચે ૧૦-૧૦ કલાકનો વીજકાપ મૂકાતા લોકો પરેશાન થઈ ગયા છે.

સમગ્ર દેશમાં ગરમીનો હાહાકાર મચ્યો છે. કાળઝાળ તાપના કારણે બહાર નીકળવાનું મુશ્કેલ બન્યું છે ત્યારે કોલસાની અછત સર્જાવાથી વીજળીની કટોકટી પણ ઘેરી બની છે. આ સ્થિતિ વચ્ચે લોકો પરેશાન થઈ ગયા છે. કોલસાની અછતનો સામનો કરતા રાજ્યોને તુરંત કોલસો મળે તે માટે સરકારે ૬૫૭ પેસેન્જર ટ્રેન રદ્ કરીને માલગાડીઓને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો છે. દેશના થર્મલ પાવર સ્ટેશનોમાં કોલસાની તંગી સર્જાઈ ગઈ છે. કેટલાય થર્મલ પાવર સ્ટેશનોમાં તો માત્ર ૫થી ૧૦ ટકા જ કોલસો બચ્યો છે. ગણતરીના દિવસોમાં એ કોલસો વપરાય જશે. આ થર્મલ સ્ટેશને કોલસાની સપ્લાય કરવા માટે માલગાડીઓને પ્રાથમિકતા અપાશે.

સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, બિહાર, ઝારખંડનો સમાવેશ થાય છે. તે સિવાય કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાતના થર્મલ સ્ટેશનોને પણ કોલસો પ્રાથમિકતાથી અપાશે. દેશના ૧૩ રાજ્યોમાં વીજળીની કટોકટી સર્જાઈ છે. આકરા તાપના કારણે વીજળીની ડિમાન્ડ વધી ગઈ છે. અચાનક વીજળીની ખપત વધી હોવાથી કોલસો પણ વધુ વપરાવા લાગ્યો છે. તેના કારણે ભરઉનાળામાં કોલસાની અછત સામે આવી છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, તમિલનાડુ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં તો ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦-૧૦ કલાકનો વીજકાપ ઝીંકાઈ રહ્યો છે. તેનાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

કેન્દ્ર સરકારે ૬૫૭ પેસેન્જર ટ્રેનો રદ્ કરી તે નિર્ણયનો ઘણાં લોકો વિરોધ કરી રહ્યા છે. રેલવે મંત્રાલયના અધિકારીએ કહ્યું હતું કે ઘણાં રાજ્યોમાં ટ્રેનો રદ્ થતાં વિરોધ થયો છે, પરંતુ અત્યારે સરકાર પાસે બીજો કોઈ વિકલ્પ નથી. સરકારની પ્રાથમિકતા થર્મલ પાવર સ્ટેશનોમાં કોલસાની અછત ન સર્જાય તે જોવાની છે. સ્થિતિ યથાવત થશે કે તરત પેસેન્જર ટ્રેનો નિયમિત થઈ જશે. અત્યારે દેશના અલગ અલગ રાજ્યોમાં મોકલેલી માલગાડીઓ રસ્તામાં છે અને તેને પ્રાથમિકતા મળે તે ખૂબ જ અગત્યનું છે એવું અધિકારીઓએ જણાવ્યું હતું.