CBSECTET Archives - CIA Live

December 11, 2021
ctet.jpg
1min915

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા લેવાનારી સેન્ટ્રલ ટીચર્સ એલિજિબિલીટી ટેસ્ટ (CTET) આ વખતે કમ્પ્યુટર બેઝ્ડ લેવાનો નિર્ણય કરાયો છે. અત્યાર સુધી આ પરીક્ષા ઓફલાઈન લેવાતી હતી. જોકે, પ્રથમ વખત કમ્પ્યૂટર બેઝ્ડ ટેસ્ટ લેવાનું નક્કી કરાયું છે. આ પરીક્ષા સમગ્ર દેશમાં 16 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી દરમિયાન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં 20 ભાષામાં આ પરીક્ષા લેવાશે.

CBSE સ્કૂલોમાં શિક્ષક બનવા માટે લેવાતી CTET પ્રથમ વખત ઓનલાઈન લેવાનો નિર્ણય કરાયો છે. 16 ડિસેમ્બરથી શરૂ થનારી ઓનલાઈન પરીક્ષા 13 જાન્યુઆરી સુધી ચાલશે. બોર્ડ દ્વારા પરીક્ષાનો મોડ બદલ્યા બાદ પણ ફીમાં કોઈ ફેરફાર કરાયો ન હોવાનું જાણવા મળે છે. પ્રથમ વખત ઓનલાઈન માધ્યમથી પરીક્ષા લેવામાં આવનાર હોઈ બોર્ડ દ્વારા પ્રેક્ટિસ સેન્ટર અને મોક ટેસ્ટ માટેની વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળે છે. બોર્ડ દ્વારા CTETની 15મી આવૃત્તિમાં ઓનલાઈન સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો છે.

16 ડિસેમ્બરથી શરૂ થનારી ઓનલાઈન પરીક્ષા 13 જાન્યુઆરી સુધી ચાલશે

CTET આપનારા ઉમેદવારો માટે બોર્ડ દ્વારા મહત્વની જાહેરાત પણ કરવામાં આવી છે. જેમાં બોર્ડ દ્વારા સમગ્ર દેશના લાખો ઉમેદવારો માટે પ્રેક્ટિસ સેન્ટરની યાદી પણ જાહેર કરી દીધી છે. સીબીએસઈ બોર્ડ દ્વારા સમગ્ર દેશમાં કુલ 356 પ્રેક્ટિસ સેન્ટર નક્કી કર્યા છે. આ સેન્ટર પર જઈને ઉમેદવાર ઓનલાઈન યોજાનારી પરીક્ષા માટે અભ્યાસ કરી શકે છે. ઉપરાંત વેબસાઈટ પર પણ મોક ટેસ્ટ માટેની લિંક મુકવામાં આવી છે. ત્યાં જઈને પણ ઉમેદવાર પરીક્ષાની તૈયારી કરી શકે છે.

CTET પ્રથમ વખત ઓનલાઈન યોજવામાં આવનાર છે, ત્યારે સીબીએસઈ બોર્ડ દ્વારા ઉમેદવારોને પરીક્ષાની નવી પેટર્નની સમજ મળી રહે તે માટે મોક ટેસ્ટ અને અભ્યાસ કેન્દ્રોની યાદી જાહેર કરી દીધી છે. CTETમાં બે પેપર રહેશે. જેમાં પેપર-1 ધોરણ-1થી 5ની શાળામાં શિક્ષક બનવા માટે લેવાશે. જ્યારે પેપર-2 ધોરણ-6થી 8ની સ્કૂલમાં શિક્ષક બનવા માટે લેવાશે.

પેપર-1માં પાંચ ભાગમાં પ્રશ્નો પૂછવામાં આવે છે. જેમાં ભાષા-1, ભાષા-2, બાળ વિકાસ અને શિક્ષાશાસ્ત્ર, પર્યાવરણ અધ્યયન અને ગણિતનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી હતી કે, CTETનો સ્કોર હવે જીવનભર માન્ય રહેશે. જેથી એકવાર પરીક્ષા પાસ કરનાર ઉમેદવાર માટે તે કાયમ માટે માન્ય ગણાશે. આ નિર્ણયથી પરીક્ષા પાસ કરનારા ઉમેદવારનો ખુબ જ મોટી રાહત મળશે.

પરીક્ષા માટે ગુજરાતમાં 13 સેન્ટરો નક્કી કરાયા છે. જેમાં અમદાવાદમાં પ્રકાશ સ્કૂલ નક્કી કરવામાં આવી છે. આ જ રીતે રાજ્યમાં આણંદ, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા, વલસાડ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. આમ, રાજ્યના મોટાભાગના શહેરોને પરીક્ષા સેન્ટર તરીકે આવરી લેવાયા હોવાનું જાણવા મળે છે.