15th august India Archives - CIA Live

August 14, 2024
lal-killa.jpeg
2min168
કાલે દેશભરમાં ઉજવાશે સ્વતંત્રતા દિવસ, વડાપ્રધાન લાલ કિલ્લા પર ફરકાવશે ધ્વજ, આ મહેમાનો રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ 1 - image

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઑગસ્ટ 2024ના રોજ 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે. આ વખતે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી માટે 6,000 મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. પીએમ મોદી સ્વતંત્રતા દિવસ સમારોહમાં રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને રાષ્ટ્રને સંબોધન પણ કરશે.

આ વર્ષે સ્વતંત્રતા દિવસની થીમ ‘વિકસિત ભારત @2047’ રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું છે. એટલે વર્ષ 2047માં ભારત તેની આઝાદીની 100મી વર્ષગાંઠ ઉજવશે. કેન્દ્ર સરકારે આ પહેલા કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે, બજેટનો ઉદ્દેશ્ય 2047 સુધીમાં વિકસિત ભારતનો પાયો નાખવાનો છે.

કેવો હશે આ સમારોહ ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર પહોંચશે ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય શેઠ અને સંરક્ષણ સચિવ ગિરધર અરમાને દ્વારા સ્વાગત કરવામાં આવશે. સંરક્ષણ સચિવ દિલ્હી વિસ્તારના જનરલ ઑફિસર કમાન્ડિંગ (GOC) લેફ્ટનન્ટ જનરલ ભાવનીશ કુમારનો વડાપ્રધાન સાથે પરિચય કરાવવામાં આવશે. 

પીએમને સલામી સ્થળ સુધી કોણ લઈ જશે?

દિલ્હી ક્ષેત્રના GOC વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલામી સ્થળ પર લઈ જશે, જ્યાં સંયુક્ત આંતર-સેવાઓ અને દિલ્હી પોલીસના ગાર્ડ તેમને સલામી આપશે. આ સાથે એવું કહેવામાં આવ્યું હતું કે, એ પછી પીએમ મોદી ગાર્ડ ઑફ ઓનરનું નિરીક્ષણ કરશે. પીએમ માટે ગાર્ડ ઑફ ઓનર ટુકડીમાં આર્મી, નેવી, ઍરફૉર્સ અને દિલ્હી પોલીસના એક-એક અધિકારી અને 24 જવાનો સામેલ હશે.

રાષ્ટ્રધ્વજ ફરકાવવા પ્રશાસન પર જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાર્ડ ઑફ ઓનરનું નિરીક્ષણ કર્યા પછી લાલ કિલ્લા તરફ આગળ વધશે. જ્યાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય પ્રધાન સંજય શેઠ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને ઍરફૉર્સ ચીફ એર ચીફ માર્શલ વી. આર. ચૌધરી કરશે અને દિલ્હી ક્ષેત્રના GOC રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પીએમ મોદીને મંચ પર લઈ જશે.

ધ્વજ ફરકાવવામાં કોણ મદદ કરશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં લેફ્ટનન્ટ સંજીત સૈની મદદ કરશે. ધ્વજ ફરકાવ્યા બાદ 1721 ફિલ્ડ બેટરી(સેરેમોનિયલ)ના બહાદુર ગનર્સ દ્વારા 21 તોપોની સલામી આપવામાં આવશે. રાષ્ટ્રિય ધ્વજ ગાર્ડમાં આર્મી, નેવી અને ઍરફૉર્સના એક-એક અધિકારી અને 32 અન્ય રેન્કના કર્મચારીઓ અને 128 દિલ્હી પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થયેલો છે.

હેલિકોપ્ટર દ્વારા ફૂલોની વર્ષા કરાશે

રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ તેને રાષ્ટ્રિય સલામી આપવામાં આવશે. સલામી દરમિયાન પંજાબ રેજિમેન્ટ મિલિટરી બેન્ડ, જેમાં JCO અને 25 અન્ય રેન્કનો સમાવેશ થાય છે તેમના દ્વારા રાષ્ટ્રગીત વગાડવામાં આવશે. આ બેન્ડનું નેતૃત્વ સુબેદાર મેજર રાજિન્દર સિંહ કરશે. ધ્વજ ફરકાવ્યા બાદ ભારતીય વાયુસેનાના બે અદ્યતન હેલિકોપ્ટર દ્વારા સ્થળ પર પુષ્પવર્ષા કરવામાં આવશે. 

ફૂલોની વર્ષા કર્યા બાદ પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે અને તેમનું ભાષણ પત્યા પછી નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) કેડેટ્સ રાષ્ટ્રગીત ગાશે. આ સાથે દેશભરની વિવિધ શાળાઓના કુલ 2,000 છોકરા અને છોકરીઓ કેડેટ્સ (આર્મી, નેવી અને ઍરફૉર્સ) સમારોહમાં ભાગ લઈ રહ્યા છે.

મહેમાનો કોણ છે?

વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા યુવાનો, આદિવાસી સમાજ, ખેડૂતો અને મહિલાઓને પણ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમજ અટલ ઇનોવેશન મિશન અને પીએમ (પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ ફોર ઇમર્જિંગ ઇન્ડિયા) યોજનાનો લાભ મેળવનાર વિદ્યાર્થીઓ અને ‘મેરી માટી મેરા દેશ’ હેઠળ માય યુથ ઇન્ડિયા (MY ભારત) અને રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો પણ કાર્યક્રમમાં ભાગ લેશે.

આ સમારોહમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના લાભાર્થીઓ અને ખેડૂત ઉત્પાદક સંગઠનોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તાઓ (ASHAs), સહાયક નર્સ મિડવાઇવ્સ (ANMs) અને આંગણવાડી કાર્યકરો, લખપતિ દીદી અને ડ્રોન દીદી પહેલ અને સખી કેન્દ્ર યોજનાના લાભાર્થીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

પેરિસ ઓલિમ્પિકના ભારતીય ખેલાડીઓ પણ સામેલ

મળતી માહિતી પ્રમાણે પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓને પણ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. MyGov અને ઓલ ઇન્ડિયા રેડિયોના સહયોગથી સંરક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત વિવિધ ઓનલાઇન સ્પર્ધાઓના ત્રણ હજાર (3,000) વિજેતાઓ પણ સમારોહમાં હાજરી આપશે.