વેપાર-ધંધાને 4 કલાકની પરવાનગી મળે એ માટે ચેમ્બર ઓફ કોમર્સ SGCCIની રાજ્ય પોલીસવડા સાથે Web-Meet
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નેજા હેઠળ ગુજરાતની તમામ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોની આજરોજ તા.13મી મે 2021ના રોજ રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયા સાથે વર્ચ્યુઅલ મિટીંગ મળી હતી. જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડિયાએ નીચે મુજબના મહત્વના મુદ્દાઓ અંગે આશિષ ભાટીયાને વિસ્તૃતપણે રજૂઆત કરી હતી.

1. દક્ષિણ ગુજરાતમાં હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ સહિતના તમામ ઉદ્યોગની હોલસેલ દુકાનો દિવસ દરમ્યાન સવારે ૧૦:૦૦ થી બપોરે રઃ૦૦ કલાક સુધી ખોલવા માટે મંજૂરી આપવામાં આવે.
2. રાજ્યમાં તમામ પ્રકારની ઉત્પાદન પ્રવૃત્તિઓ ચાલુ છે, પરંતુ ટ્રેડીંગ એકટીવિટી બંધ હોવાથી ઉત્પાદન પ્રવૃત્તિઓ પણ બંધ થવાની કગાર પર છે. આથી ટ્રેડીંગ એકટીવિટીની પરવાનગી તા. ૧૮ મે, ર૦ર૧થી નવા જાહેર થનાર હુકમથી મળી રહે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
3. કારીગરો હાલમાં પોતાના વતન જઈ શકે તેવી સ્થિતિમાં નથી અને જો આ સંજોગોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓને કોઈપણ કારણસર બ્રેક લાગશે તો આ કારીગરો રસ્તા ઉપર આવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડી શકે તેવી ભીતિ છે. કારણ કે, કાપડ માર્કેટની દુકાનો બંધ હોવાથી વિવિંગ અને પ્રોસેસિંગ એકમો દ્વારા ઉત્પાદન ઘટાડી દેવામાં આવ્યું છે અને બે પાળીને બદલે એક પાળીમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલુ છે. જો કાપડની માર્કેટો બંધ જ રહેશે તો વિવિંગ અને પ્રોસેસિંગ એકમો પણ બંધ થવાની ભીતિ સેવાઇ રહી છે. આવા સંજોગોમાં કાપડ ઉદ્યોગની સમગ્ર સપ્લાય ચેઇન ચાલુ રહે તેવી સ્થિતિનું નિર્માણ થવું જોઈએ.
4. બાંધકામ ઉદ્યોગમાં કન્સ્ટ્રકશનનું કામ ચાલુ છે પણ તેને સંલગ્ન રેતી–કપચી, સિમેન્ટ અને સ્ટીલ જેવી એન્સીલરી સર્વિસની દુકાનો બંધ હોવાથી બાંધકામ પ્રવૃત્તિ ઉપર રોક લાગી ગઇ છે. આથી બાંધકામ ઉદ્યોગ ચાલુ રહે તેના માટે એન્સીલરી સર્વિસની દુકાનોને ખોલવા માટે મંજૂરી આપવામાં આવે.
5. એકસપોર્ટ – ઈમ્પોર્ટની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ એકમોને કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર પોતાનું કામ કરવા પરવાનગી આપવામાં આવે. કારણ કે, એકસપોર્ટના ઓર્ડર્સ જો સમયસર ડીલીવર ન થાય તો તેનો આર્થિક બોજો ઘણો મોટો હોઇ વૈશ્વિક બજારમાં ભારતની ઈમેજને પણ ખરાબ કરી શકે છે. આથી તાત્કાલિક ધોરણથી આ હુકમ અમલવાર થવો જોઇએ.
6. રાજ્યમાં તમામ પ્રકારની મેઈન્ટેનન્સ અને રીપેર સર્વિસીઝ ચાલુ રહે તેવો હુકમ તાત્કાલિક ધોરણથી કરવામાં આવે.
7. ફરસાણ, નમકીન અને મિઠાઇની દુકાનો ચાલુ રાખવાનો ગૃહ વિભાગનો હુકમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા ઘણી જગ્યાએ આ દુકાનોને બંધ રાખવામાં આવે છે. આથી સ્થાનિક તંત્રને આ હુકમ અંગે સૂચનો મળી રહે તે માટે ઘટતું કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયાએ રાજ્યની વિવિધ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો કરવામાં આવેલી રજૂઆતોને શાંતિપૂર્વક સાંભળી હતી અને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારા બનાવવામાં આવેલી કોર કમિટીમાં ઉદ્યોગ – ધંધાને સ્પર્શતા ઉપરોકત મુદ્દાઓ અંગે નિર્ણયો લેવામાં આવે છે. આથી ચેમ્બર ઓફ કોમર્સે તેમને કરેલી રજૂઆતોને તેઓ મુદ્દાસર મુખ્યમંત્રી દ્વારા બનાવાયેલી કોર કમિટી સમક્ષ રજૂ કરશે. તદુપરાંત આ અંગે જે કઇ નિર્ણય લેવામાં આવશે તેની જાહેરાત કરશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
