6 ઓગસ્ટે શહીદ થયેલા મુંબઇના મેજર કૌસ્તુભના નામે ઉઘરાણા, પરિવારજનો વ્યથિત
મીરા રોડના શહીદ મેજર કૌસ્તુભ રાણેની પત્નીના નામે એક ઑડિયો-ક્લિપ વાઇરલ : શહીદના પરિવારને મદદ કરવાનું કહીને અમુક લોકો પૈસા જમા કરી રહ્યા હોવાથી પરિવાર દુખી

હજુ ગઇ તા.6 ઓગસ્ટ 2018ના રોજ શહીદ થયેલા મહારાષ્ટ્રના મેજર કૌસ્તુભ રાણેના નામે ઉઘરાણા શરૂ થઇ ગયા હતા. પ્રસ્તુત તસ્વીર તેમના પત્નીની છે, તેમનું કલ્પાંત હજુ શમ્યું નથી.

મેજર કૌસ્તુભના પરિવારજનો સ્મશાનભૂમિમાં અંતિમ વિદાય આપી રહ્યા છે, શહીદ મેજર કૌસ્તુભના નામે કેટલાક લોકોએ ઉઘરાણા શરૂ કરતા પરિવારજનો અત્યંત દુખી છે
ભારતમાં કોઇ કુદરતી આપત્તી આવે એટલે તરત જ તેની સહાયના નામે ફંડફાળાના ઉઘરાણા શરૂ કરી દેવાય છે પરંતુ, હવે તો ભારતમાતાની રક્ષા કાજે શહીદી વહોરી લેનાર શહીદોના નામે પણ ઉઘરાણા શરૂ થયા છે. એક ગંભીર કિસ્સો એ પણ પ્રકાશમાં આવ્યો છે કે હજુ અઠવાડીયા પહેલા જ તા. 6 ઓગસ્ટના રોજ ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ગુરેજ સેક્ટરમાં આતંકવાદીઓ સામેની કાર્યવાહી વખતે શહીદ થયેલા મૂળ મુંબઇના મીરા રોડના ૩૦ વર્ષીય મેજર કૌસ્તુભ પ્રકાશ રાણેના પત્નીના નામે ઓડીયો ક્લીપ વાઇરલ કરીને કેટલાક ઠગભગતોએ ઉઘરાણા શરૂ કરી દીધા છે.

શહીદ મેજર કૌસ્તુભ રાણેના પરિવારજનો માટે આ બાબત અત્યંત આઘાતજનક છે. શહીદ મેજરનાં પત્નીના નામે એક ઑડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ છે જેમાં તેઓ ભાવુક થઈને અનેક વાતો કરતાં હોવાનું સંભળાય છે, પરંતુ આ ઑડિયો મેજરનાં પત્નીનો ન હોવાનો તેમના પરિવારે સોશ્યલ મીડિયા પર સ્પષ્ટતા કરતો મેસેજ વાઇરલ કર્યો છે. શહીદ મેજરના પરિવારને મદદ કરવાના નામે પરિસ્થિતિનો ગેરફાયદો ઉઠાવીને અમુક લોકો પૈસા જમા કરતા હોવાની પણ વાત મેસેજમાં કરવામાં આવી છે. એથી પરિવારે લોકોને આહ્વાન પણ કર્યું છે કે આવું વર્તન કરીને પરિવારને દુખના સમયે ત્રાસ થાય એવું વર્તન ન કરો.
મેજરના સબંધીઓએ વાઇરલ થયેલા ઑડિયો વિશે મીરા રોડ પોલીસને પણ જાણ કરી છે. મીરા રોડ પોલીસે ગંભીરતાપૂર્વક તાત્કાલિક આ મેસેજ ફોરવર્ડ કરવો નહીં અને મેસેજ બનાવનાર સામે ઍક્શન લેવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી છે. ઉપરાંત મીરા રોડ પોલીસના સૂત્ર દ્વારા એવું પણ જાણવા મળ્યુ છે કે શહીદ મેજરના પરિવારના સંબંધી મિહિર હેદવકરે આ સંદર્ભે સમતાનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતો પત્ર પણ આપ્યો છે, જેની કૉપી મીરા રોડ પોલીસને પણ આપવામાં આવી છે.

મેજર કૌસ્તુભ ગઇ તા.૬ ઑગસ્ટે શહીદ થયા હતા. આઠ આતંકવાદીઓ સાથે થયેલી મૂઠભેડમાં 2 આતંકવાદીઓને ઠાર કરીને ભારતીય સેનાના ૪ જવાનો શહીદ થયા હતા. મીરા રોડના રહેવાસી શહીદ કૌસ્તુભ રાણેની અંતિમયાત્રામાં અસંખ્ય લોકો જોડાયા હતા અને હજારો ભારતીયોએ ભાવુક થઇને સોશ્યલ મીડિયા પર શહીદ કૌસ્તુભ રાણેની અંતિમયાત્રાના વિવિધ ફોટો શૅર કરીને તેમને અદ્વિતીય અંજલી આપી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


