લખીમપુર કાંડ : છેવટે મંત્રી પુત્ર આશિષની ધરપકડ
યુપી પોલીસે લખીમપુર કેસમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની મોડીરાત્રે ધરપકડ કરી હતી. આ કેસમાં તપાસ કરી રહેલી એસઆઇટી સમક્ષ સવારે ૧૦:૩૦ કલાકે હાજર થયો હતો. આશરે ૧૨ કલાકની પૂછપરછ બાદ પોલીસે તેની ધરપકડ કરી છે અને હવે તેને આવતીકાલે કોર્ટમાં હાજર કરાશે. તેનો મેડિકલ ચેકઅપ કરીને આગામી કાર્યવાહી હાથ ધરાશે. ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ઉપેન્દ્ર અગ્રવાલની આગેવાની હેઠળ એસઆઇટીની ટીમે પોલીસ લાઇન્સ ખાતે ક્રાઇમ બ્રાંચમાં મોડી સાંજ સુધી પૂછપરછ કરી હતી. જોકે આ કેસ હાઇપ્રોફાઇલ હોવાથી વધારાના સલામતી જવાનોને પૂછપરછના સ્થળે તૈનાત કરાયા હતા. સુપ્રીમ કોર્ટે આ ઘટના મામલે મંત્રી પુત્રને છાવરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપને ધ્યાનમાં લઇને યુપી સરકારની ઝાટકણી કાઢતાં પોલીસે કડક વલણ દર્શાવ્યું હતું.

યુપીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને ટક્કર મારનાર એક કારમાં આશિષ મિશ્રા પણ હતો તેવો એફઆઇઆરમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસ છેલ્લાં ચાર દિવસથી તેને શોધી રહી છે. જોકે આશિષ મિશ્રા અને તેમના પિતા આક્ષેપોને નકારી રહ્યા છે. તેમણે તો નિર્દોષ હોવાનો દાવો પણ કર્યો હતો.
આશિષ મિશ્રા પોલીસના બીજા સમન્સ બાદ હાજર થયો હતો. બીજી બાજુ વિરોધ પક્ષો અને ખેડૂત નેતાઓ સત્તારૂઢ ભાજપ પર દબાણ વધારી રહ્યા છે. તેમણે કેબિનેટમાંથી અજય મિશ્રાની હકાલપટ્ટી અને તેમની તેમજ તેમના પુત્રની ધરપકડની માગણી કરી હતી.
ખેડૂતોને જે કારોએ ઉડાડીને મોતને ઘાટ ઉતાર્યો હતો તેમાંથી એક કારમાં આશિષ મિશ્રા હતો તેવો ઉલ્લેખ એફઆઇઆરમાં કરાયો છે. બીજી બાજુ કેન્દ્રના ત્રણ ખેત કાયદાનો વિરોધમાં ચાલી રહેલા આંદોલનની આગેવાની કરી રહેલા સંયુક્ત કિસાન મોરચાએ આક્ષેપ કર્યો છે કે એક અગાઉથી સુયોજિત કાવતરા હેઠળ હિંસા કરાઇ હતી. ખેડૂત સંગઠનોએ કહ્યું હતું કે જો સરકાર તેમની માગણી ૧૧ ઓક્ટોબર સુધી નહિ સ્વીકારે તો તેઓ મૃત ખેડૂતોની અસ્થિઓ સાથે લખીમપુર ખીરીથી એક ‘શહીદ કિસાન યાત્રા’ કાઢશે. મોરચો આ હિંસાના વિરોધમાં દશેરાના દિવસે ૧૫ ઓક્ટોબરે વડાપ્રધાન અને ગૃહમંત્રીના પૂતળા બાળશે.
યુપી સરકાર જે રીતે આ કેસની તપાસ ચાલી રહી છે તે મામલે તેના પર પ્રહારો કરતાં પૂર્વ મંત્રી અખિલેશ યાદવે આક્ષેપ કર્યો હતો કે તેઓ આરોપીઓ સામે આરોપો મુકવા ઉપરાંત તેમને બુકે આપી રહ્યા છે. જે રીતે ખેડૂતોને કચડી દેવામાં આવ્યા છે તે જોતાં હવે એવું લાગે છે કે કાયદાને કચડી દેવા માટે તૈયારીઓ ચાલી રહી છે. તેમના પુત્રની પૂછપરછ કરાઇ રહી હતી ત્યારે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા તેમની લોકલ પાર્ટીની ઓફિસમાં વકીલોથી ઘેરાયેલા હતા. ત્યાં ભાજપના સૈંકડો કાર્યકરો પર પહોંચી ગયા હતા અને તેમના સમર્થનમાં સુત્રોચ્ચારો કર્યા હતા. એ પછી મંત્રી બહાર આવ્યા હતા અને પાર્ટીને કહ્યું હતું કે આશિષ નિર્દોષ છે અને ત્રીજી ઓક્ટોબરની ઘટનામાં તેની કોઇ ભૂમિકા નથી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
