CIA ALERT

ગુજરાત કોંગ્રેસ પ્રમુખપદે જગદીશ ઠાકોર : નેતા વિપક્ષ આદિવાસી MLA સુખરામ રાઠવા

Share On :

2016માં કોંગ્રેસના તમામ હોદ્દા છોડનારા જગદીશ ઠાકોરનું નામ પ્રદેશ પ્રમુખપદે સત્તાવાર રીતે જાહેર થયું. માધવસિંહ સોલંકીના નજીકના નેતા ગણાય છે જગદીશ ઠાકોર.

ગુજરાતમાં છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાએ રાજીનામાં આપ્યા બાદ નવી નિમણુંક અંગેના વિવાદનો અંત આવી રહ્યો છે. જેમા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના ખમતીધર નેતા જગદીશ ઠાકોરને સત્તાવાર પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. આજે સાંજે ગાંધીનગરમાં ધારાસભ્યો સાથેની બેઠકમાં વિરોધ પક્ષના નેતા પદે આદિવાસી નેતા સુખરામ રાઠવાનું નામ જાહેર કરવામાં આવશે.

ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે . દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007 થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યના પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાસંદ રહી ચૂક્યા છે.

ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની અત્યંત નજીક મનાતા જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં સારું વર્ચસ્વ ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે, જગદીશ ઠાકોરે 2016માં કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું. ઠાકોરે એ વખતે એલાન કરેલું કે, હવેથી પોતે માત્ર સામાન્ય કાર્યકર તરીકે જ કામ કરશે. ઠાકોરની આ જાહેરાતે ખળભળાટ મચાવ્યો હતો. આ જાહેરાતના કારણે જગદીશ ઠાકોરની રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હોવાનું મનાતું હતું પણ પાંચ વર્ષમાં જ ઠાકોરે ભવ્ય પુનરાગમન કર્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો સર્વોચ્ચ હોદ્દો મેળવીને જગદીશ ઠાકોરે હાઈકમાન્ડને પોતાની તાકાત અને મહત્વ સમજાવવામાં સફળતા મેળવી છે.

ગુજરાત નેતા વિપક્ષ તરીકે પાવીજેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવા પંસદગી કરાઇ છે અને તેમના નામની સત્તાવાર જાહેરાત આજે સાંજ સુધીમાં કરવામાં આવી શકે છે. અત્યાર સુધી કુલ 8 વખત તેઓ ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે. જેમાં 5 વખત વિજેતા બન્યા છે. 7 વખત છોટાઉદેપુર બેઠક ઉપર લડ્યા જયારે વર્ષ 2012 અને 2017માં પાવીજેતપુર બેઠક ઉપર થી ચૂંટણી લડ્યા હતા. પાવીજેતપુરમાં પ્રથમ ચૂંટણીમાં ભાજપના જેન્તી રાઠવા સામે 4273 મતોથી હાર્યા હતા. જ્યારે 2017માં 3052 મતોથી ભાજપના જેન્તી રાઠવા સામે જીત મેળવી હતી. વર્ષ 1985થી ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ કવાંટ તાલુકાના જામલી ગામના રહેવાસી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :