GSEB : ધો.9થી 12માં 30% કોર્સ ઘટાડાયો : બોર્ડની 2021ની પરીક્ષા મેમાં
કોરોના પેન્ડેમિકની પરિસ્થિતિમાં 2020-21ના શૈક્ષણિક વર્ષનું પહેલું સત્ર સાવ જ ધોવાય જતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9થી 12માં 30 ટકા જેટલો અભ્યાસક્રમ ચાલુ શૈક્ષણિક વર્ષમાંથી કાઢી નાંખવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે.
કોરોના પેન્ડેમિકને કારણે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બિલકુલ સંભવી ન શકવાની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે શાળાઓમાં શૈક્ષણિક કાર્યના દિવસો અને અભ્યાસક્રમમાં ઘટાડો કરવા માટે શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી. શિક્ષણમંત્રીના અધ્યક્ષ સ્થાને 27 જૂલાઈ, 20 ઓગસ્ટ અને 11 સપ્ટેમ્બરે બેઠક યોજાઈ હતી જેમાં ઉપસ્થિત રહેલા શિક્ષણ વિદો અને અધિકારીઓની ચર્ચાના નિષ્કર્ષ રૂપે કોર્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાંથી ઘટાડેલા મુદ્દાઓ પરીક્ષાના હેતુંથી ઘટાડવામાં આવ્યા છે અને તે પરીક્ષામાં પૂછાશે નહીં. જોકે, વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં શિક્ષકોએ તે મુદ્દાઓનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવાનું રહેશે. આ અંગે વિગતવાર પરિપત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. કયા મુદ્દાઓ અને પ્રકરણ અભ્યાસક્રમમાંથી રદ્દ કરવામાં આવશે તેની માહિત જિલ્લા શિક્ષણ અધિકારીઓના માધ્યમથી તમામ શાળાઓને મોકલી આપવામાં આવશે. આ ઉપરાંત બોર્ડની વેબસાઈટ પર પણ તેને મૂકવામાં આવશે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અભ્યાસક્રમમાં ઘટાડો કરવાના કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષા જે દર વર્ષે માર્ચ મહિનામાં લેવામાં આવે છે તે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આ વર્ષે મે મહિનામાં લેવાઈ શકે છે. આ ઉપરાંત ધોરણ 9 અને 11ની પરીક્ષા જૂનમાં યોજાઈ શકે છે જેથી કરીને સ્કૂલોમાં અભ્યાસક્રમ પૂરો થઈ શકે, તેમ શિક્ષણ મંત્રીએ કમલમ ભાજપની ઓફિસ ખાતે જણાવ્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


