CIA ALERT

ગુજરાતના 51 તાલુકામાં દુકાળ

Share On :

ગુજરાતમાં આ વર્ષે મોટાભાગના તાલુકાઓમાં પૂરતો વરસાદ ન વરસતા તળાવ-નદી નાળા અને ડૅમો ખાલીખમ છે ત્યારે હવે પીવાનાં પાણી અને સિંચાઇ માટે એક માત્ર નર્મદા નીરનો જ મોટો વિકલ્પ બચ્યો છે. અગાઉ કચ્છના તમામ 10 તાલુુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા બાદ આજે વધુ 250 મિ.મી.થી ઓછો સરેરાશ વરસાદ વરસ્યો હોય તેવા તમામ 51 તાલુકાને પણ સરકારે અછતગ્રસ્ત જાહેર કરતા ઉનાળાના દિવસોમાં પરિસ્થિતિ ગંભીર બને તેવી સ્થિતિ સર્જાઇ છે. સરકારે અછતગ્રસ્ત 51 તાલુકાના ખેડૂતો અને પશુપાલકોને તત્કાળ નહીં પણ ડિસેમ્બર મહિનાથી સરકાર સહાય મળશે, કારણ કે સરકારે આગોતરી અછત જાહેર કરી છે. અછતગ્રસ્ત જાહેર કરાયેલા તાલુકાઓમાં કચ્છના તમામ 10, પાટણના આઠ, બનાસકાંઠાના 9, મહેસાણાના ચાર, સુરેન્દ્રનગરના સાત, રાજકોટના બે, મોરબીના ચાર, દેવભૂમિ દ્વારકાના બે, ભાવનગરના એક, અમદાવાદના ત્રણ, જામનગરના બે તાલુકાનો સમાવેશ થાય છે.

અછતગ્રસ્ત 51 તાલુકાના ખેડૂતો અને પશુપાલકોને તત્કાળ નહીં પણ ડિસેમ્બર મહિનાથી સરકાર સહાય મળશે

  • કચ્છના તમામ 10 તાલુુકાને અછતગ્રસ્ત
  • પાટણના 08
  • બનાસકાંઠાના 09
  • મહેસાણાના 04
  • સુરેન્દ્રનગરના 07
  • રાજકોટના 02
  • મોરબીના 04
  • દેવભૂમિ દ્વારકાના 02
  • ભાવનગરના 01
  • અમદાવાદના 03
  • જામનગરના 02

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સરકારના નિર્ણયની જાહેરાત કરતા કહ્યું હતું કે, રાજ્યમાં 250 મિ.મી. થી ઓછો વરસાદ થયો હોય તેવા તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરાયા છે. ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ.3000 કરોડ થી વધુ ચુકવણું થશે આનો અમલ પહેલી ડિસેમ્બર-2018 થી થશે. આ 51 અછતગ્રસ્ત તાલુકાઓમાં ખેડૂતોને હેક્ટરદીઠ 6800 રૂપિયા સહાય અપાશે તેમજ વધુમાં વધુ બે હેક્ટર સુધી સહાય ચુકવાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે 125 મિ.મી. થી ઓછો વરસાદ થયો હોય તેવા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવાની પદ્ધતિ હતી. કેન્દ્ર સરકારના ધોરણોને અનુસરીને ગુજરાત સરકારે પણ 125 મિ.મી. સુધીના વરસાદને બદલે 250 મિ.મી. થી ઓછો વરસાદ થયો હોય તેવા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. આ તાલુકાના ગામોમાં ખેડૂતોએ જે વાવેતર કર્યું હોય અને જે ખર્ચ થયું હોય તેમાં ભારત સરકારના ધારાધોરણ મુજબ હેક્ટરદીઠ રૂ.6800 સહાય આપવાનો નિર્ણય કર્યો છે અને વધુમાં વધુ આ સહાય 2 હેક્ટર સુધી ચુકવવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, આ અછતગ્રસ્ત તાલુકાઓમાં પશુપાલકોને પણ ઓછા વરસાદને કારણે ઘાસચારો મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે અને પશુ સાચવવાનું મોંઘું પડતું હોય છે તેથી આવા અબોલ પશુઓને સાચવવા અને પશુપાલકોને મદદરૂપ થવા જ્યાં જ્યાં ઢોરવાડા ઊભા કરવામાં આવશે તથા પાંજરાપોળ અને ગૌશાળામાં જે પશુઓ રાખવામાં આવે છે તેમને સાચવવામાં મદદરૂપ થવા માટે ગુજરાત સરકાર દ્વારા પશુદીઠ રૂ.25 ની મદદ કરવામાં આવે છે તેમાં વધારો કરીને મોટા પ્રમાણમાં પશુઓને ઢોરવાડામાં મૂકવામાં આવે ત્યારે તેના સંચાલકોની માંગ આવ્યેથી બે મહિના માટે મોટા પશુદીઠ રૂ.70 ની સહાય આપવામાં આવશે. જેના કારણે જે બે મહિના મોટા પ્રમાણમાં આ સંસ્થાઓ પશુઓને સાચવશે ત્યારે તેમને રૂ.70 ની સહાય મળવાના કારણે તેમનું ભારણ ઘટશે. આ બે મહિના સિવાયના બાકીના સમયમાં હાલ જે રીતે પશુદીઠ રૂ.25 ની સહાય આપવામાં આવે છે એ યથાવત ચાલુ રહેશે. અત્યારે જે પશુપાલકો પોતાના ઘરે ગાય-ભેંસ જેવા પશુઓ રાખે છે તેમને બે રૂપિયા કિલોના ભાવે જે ઘાસ આપવામાં આવે છે તે પ્રમાણે હવે આ અછતગ્રસ્ત જાહેર કરેલા 51 તાલુકાઓમાં પણ પશુદીઠ રૂ. બે કિલોના ભાવે ઘાસ અપાશે. આ અછત રાહતનો અમલ તા.01.12.2018 થી કરવામાં આવશે. આ માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો, પશુપાલકો માટે રૂ.3000 કરોડથી વધુ રકમનો ખર્ચ કરવામાં આવશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :