ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ત્રણ સગીર સગી બહેનોએ નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં આ ભયાનક પગલા પાછળ ઓનલાઇન કોરિયન લવ ગેમની લત હોવાનું બહાર આવ્યું છે.
ગાઝિયાબાદના ટીલા મોડ વિસ્તારની ભારત સિટી સોસાયટીમાં રહેતા ચેતન કુમારની ત્રણ દીકરીઓ – નિશિકા (16 વર્ષ), પ્રાચી (14 વર્ષ) અને પાખી (12 વર્ષ) એ એકસાથે આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. પોલીસના જણાવ્યા મુજબ, કોરોના કાળ દરમિયાન આ ત્રણેય બહેનોને મોબાઈલ ગેમની લત લાગી હતી. તેઓ નિયમિત સ્કૂલે પણ જતી નહોતી અને પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ સ્ક્રીન પાછળ વિતાવતી હતી.
પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, આ બહેનો ઓનલાઇન ટાસ્ક-બેઝ્ડ ગેમ્સ રમતી હતી. મંગળવારે મધરાત્રે આશરે 2 વાગ્યે જ્યારે આખું શહેર ઊંઘતું હતું, ત્યારે આ ત્રણેય બહેનોએ તેમના ફ્લેટની ગેલેરીમાંથી એકસાથે છલાંગ લગાવી દીધી હતી. તેમના પિતા ચેતન કુમાર હાલ આઘાતમાં છે અને કંઈ પણ બોલી શકવાની સ્થિતિમાં નથી.
પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ ગેમમાં તેમને આત્મહત્યા કરવા માટે કોઈ ચોક્કસ ‘ટાસ્ક’ આપવામાં આવ્યો હતો કે કેમ. આ ઘટના ફરી એકવાર વાલીઓ માટે લાલબત્તી સમાન છે કે તેઓ પોતાના બાળકોના મોબાઈલ વપરાશ અને ઓનલાઇન પ્રવૃત્તિઓ પર કડક નજર રાખે.
સુપ્રીમ કોર્ટે 30 જાન્યુઆરી શુક્રવારના રોજ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેમાં દેશના દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ કર્યો છે કે ખાનગી કે સરકારી શાળામાં ભણતી વિદ્યાર્થિનીઓ (ધોરણ 6-12)માટે મફતમાં સેનેટરી પેડની વ્યવસ્થામાં શાળામાં જ કરવામાં આવે, તે સાથે ઉચ્ચ કોર્ટે એ પણ કહ્યું છે કે માસિક ધર્મ સ્વાસ્થ્યના અધિકાર હેઠળ બંધારણના જીવનના મૂળભૂત અધિકારનો એક ભાગ છે.
આ સાથે જસ્ટિસ જે બી પારદીવાળા અને જસ્ટિસ આર મહાદેવનની પીઠે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની દરેક શાળામાં વિદ્યાર્થિની અને વિદ્યાર્થીઓ માટે અલગ અલગ શૌચાલય સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે એ પણ કહ્યું છે કે તમામ શાળાઓ તે સરકારી હોય, સરકાર દ્વારા સંચાલિત હોય તેમાં દિવ્યાંગજનો માટે અનુકૂળ શૌચાલય પણ ઉપલબ્ધ કરાવે.
સુપ્રીમ કોર્ટે એ પણ ટાંક્યું છે કે, માસિક ધર્મ સંબંધી સ્વાસ્થ્ય અધિકાર બંધારણના અનુચ્છેદ 21 મુજબ જીવન જીવવાના અધિકારનો એક હિસ્સો છે. જો કોઈ પ્રાઈવેટ શાળા આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહે તો તેની માન્યતા રદ કરી દેવામાં આવશે. જો સરકારો છોકરીઓ માટે શૌચાલય અને મફતમાં સેનેટરી પેટ ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહે તો તેમણે જવાબદાર ગણવામાં આવશે.
જસ્ટિસ જે બી પારદીવાળા અને જસ્ટિસ આર મહાદેવનની પીઠે કહ્યું કે, જીવનનો અધિકાર માત્ર જીવત રહેવા પૂરતો સીમિત નથી, પણ તેમાં ગરિમા, સ્વાસ્થ્ય, સમાનતા અને શિક્ષણનો અધિકાર પણ સામેલ છે. માસિક ધર્મ, સ્વાસ્થ્યના એ જ અધિકારનો ભાગ છે. કોર્ટે એ પણ માન્યું કે માસિક ધર્મ સાથે જોડાયેલી આરોગ્ય સુવિધાઓની ઉણપને કારણે બાળકીઓની ગરિમાનું ઉલ્લંધન થઈ રહ્યું છે. કારણ કે ગરિમાનો અર્થ અપમાન, ભેદભાવ અને બિનજરૂરી દુઃખ વિના જીવન જીવવું છે.
આ મામલો કેન્દ્ર સરકારની ‘શાળા જતી સગીર બાળકીઓના માસિક ધર્મ સ્વચ્છતા નીતિ’ સાથે જોડાયેલો છે. કોર્ટ સામે સવાલ હતો કે શાળામાં અલગ અલગ શૌચાલયની ઉણપ, સેનેટરી પેડ કે અન્ય સાધનોની ઉપલબ્ધતા ન હોવી એ શિક્ષણના અધિકાર અને સન્માનજનક જીવનનું ઉલ્લંઘન છે? આ મુદ્દા પર કોર્ટે સાફ કહ્યું કે, આ સુવિધાઓનો અભાવ બાળકીઓને શાળા છોડવી અથવા તે દિવસોમાં હાજરી ન ભરવી તેના માટે મજબૂર કરે છે. જે સીધો જ શિક્ષણના અધિકારનું હનન કરે છે.
આ નિર્દેશમાં સુપ્રીમ કોર્ટેએ પણ કહ્યું કે, ગોપનીયતા પણ ગરિમા સાથે જોડાયેલી છે. દરેક રાજ્યની જવાબદારી છે કે તે ફક્ત ગોપનીયતાનું ઉલ્લંઘન ન કરે પણ તેના રક્ષણ માટે નક્કર પગલાં પણ લે. બાર એન્ડ બેન્ચ મુજબ, કોર્ટે કહ્યું ‘સમાન અવસર ત્યારે જ સંભવ છે જ્યારે તમામને જરૂરી સંસાધન અને જાણકારી મળે’ આ ચુકાદામાં કોર્ટે સમાજને પણ ઉંડો સંદેશ આપતા કહ્યું કે, આ નિર્દેશ એ બાળકીઓ માટે છે જે ખચકાટને કારણે મદદ માંગી શકતી નથી, એ શિક્ષક માટે છે જે મદદ કરવા માંગે છે પણ પણ સુવિધાના અભાવે તેના હાથ બાંધી રાખ્યા છે, તે માતા પિતા માટે છે જે મૌનના અસરને નથી સમજી શકતા. માસિક ધર્મના કારણે કોઈ બાળકી શાળાએ ન જઈ શકતી હોય તો તે તેની ભૂલ નથી પણ વ્યવસ્થા અને વિચારની ભૂલ છે.
ભારતીય (India) મહિલા ટીમે Dated 30/1222 મંગળવારે અહીં અંતિમ ટી-20 15 રનથી જીતીને શ્રીલંકા (Sri Lanka)નો 5-0થી વાઇટવૉશ કર્યો હતો. ટી-20માં ભારતની 5-0ના વાઇટવૉશ સાથેની આ ત્રીજી જીત છે. શ્રીલંકાની બૅર્ટ્સને ભારતીય બોલર્સે સતતપણે અંકુશમાં રાખી હતી. શ્રીલંકા 176 રનના લક્ષ્યાંક સામે સાત વિકેટે 160 રન બનાવી શકી હતી. દીપ્તિ શર્મા ટી-20માં સૌથી વધુ (152) વિકેટ લેનાર બોલર બની છે.
પેસ બોલર અમનજોત કૌરે 12મી ઓવરમાં હૅસિની (65 રન) અને દુલાની વચ્ચેની 79 રનની ભાગીદારી તોડી હતી. કવર્સમાં શેફાલીએ દુલાની (50 રન)નો કૅચ ઝીલ્યો હતો. ભારતની તમામ છ બોલર (દીપ્તિ, અરુંધતી, સ્નેહ રાણા, વૈષ્ણવી, શ્રી ચરની, અમનજોત)ને એક-એક વિકેટ મળી હતી. એક બૅટર રનઆઉટ થઈ હતી.
એ પહેલાં,
ભારતે બૅટિંગ મળ્યા બાદ નબળી શરૂઆત કર્યા પછી ધમાકેદાર અંત જોયો હતો. 11મી ઓવરમાં ભારતનો સ્કોર પાંચ વિકેટે માત્ર 77 રન હતો, પરંતુ કૅપ્ટન હરમનપ્રીત કૌર (68 રન, 43 બૉલ, એક સિક્સર, નવ ફોર) તેમ જ અમનજોત કૌર (21 રન) અને અરુંધતી રેડ્ડી (27 અણનમ)એ ટીમના સ્કોરને પોણાબસો સુધી (7/175) પહોંચાડ્યો હતો.
હરમનપ્રીત (Harmanpreet) અને અમનજોત વચ્ચે 38 બૉલમાં 61 રનની ભાગીદારી થઈ હતી. ત્યાર પછી સ્નેહ રાણા (આઠ રન) અને રેડ્ડી વચ્ચે 14 બૉલમાં અણનમ 33 રનની પાર્ટનરશિપ થઈ હતી. આ બે ભાગીદારી શ્રીલંકાને સૌથી ભારે પડી હતી.
સ્મૃતિ મંધાના મંગળવારની મૅચમાં તો નહોતી, પણ તેણે સતત બીજું વર્ષ સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન સાથે પૂરું કર્યું. 2025માં તે 1,703 રન સાથે મોખરે હતી. 2024માં તેના 1,659 રન તમામ મહિલા બૅટર્સમાં હાઇએસ્ટ હતા.
કિંજલ દવે સામાજિક બહિષ્કાર મુદ્દે ; કહ્યું, ‘સાટા પ્રથાની હું પીડિત છું, હજી બાળ લગ્ન થાય છે, ’
Kinjal Dave Video On Social Boycott : કિંજલ દવે ધ્રુવિન શાહ સાથે સગાઇ કરતા તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાની અટકળો સામે આવી છે. આ મુદ્દે કિંજલ દવે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમા તેણે દિકરીના અધિકાર, સાટા પ્રથા, બાળ લગ્ન અને સામાજીક કુરિવાજો વિશે વાત કરી છે.
કિંજલ દવે સગાઇ બાદ હવે સામાજિક બહિષ્કાર મુદ્દે ચર્ચામાં છે. અન્ય જ્ઞાતિમાં સગાઇ કરવાના મામલે કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થવાના સમાચાર વહેતા થયા છે. આ દરમિયાન ગુજરાતી સિંગર કિંજલ દવે એ પહેલીવાર મૌન તોડ્યું છે. કિંજલ દવે એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયામાં કિંજલ દવે દીકરી માટે જીવનસાથી નક્કી કરવાના અધિકારી, બાળ લગ્ન વિશે વાત કરી છે. ઉપરાંત વીડિયોમાં સામાજીક બહિષ્કારનો મુદ્દો અને અસામાજીક તત્વોને દૂર કરવા બ્રહ્મસમાજને વિનંતી કરી છે.
કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર !
કિંજલ દવે એ એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઇ કર્યા બાદ તેના પરિવારના સામાજીક બહિષ્કાર કરવાનો મામલો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, તાજેતરમાં બ્રહ્મ સમાજ કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની બેઠક યોજાઇ હતી. જેમા કિંજલ દવેના પરિવારનો સામાજીક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત સામાજીક બહિષ્કૃત વ્યક્તિને પોતાને ત્યાં આવકારનાર લોકો સામે પણ કડક પગલાં લેવાશે.
સામાજીક બહિષ્કાર મુદ્દે કિંજલ દવે એ મૌન તોડ્યું
બ્રહ્મસમાજ દ્વારા પરિવારના સામાજીક બહિષ્કારા મુદ્દે કિંજલ દવે મૌન તોડતા પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં કિંજલ દવે કહે છે, મારા સગપણને લઈને અનેક ચર્ચાઓ અને તર્કવિતર્કો ચાલતા હતાં જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી. કારણ કે તે વાત મારા સુધી સીમિત હતી. હવે આ વાત મારા પરિવાર સુધી આવી ગઈ છે જેથી મારે બોલવું પડશે. બ્રહ્મ કન્યા હોવાનું મને ગૌરવ છે જેને હું શબ્દોમાં નહીં વર્ણવી શકું. મને અઢારેય વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે. સમાજમાં કહેવાતા કેટલાક અસામાજિક તત્વો છે કે જેઓ આજના આધુનિક યુગમાં દીકરીઓ માટેના નિયમો નક્કી કરશે.
મારા પરિવાર સામે કોમેન્ટ કરશો તો કાયદેસરના પગલાં લઈશ
વીડિયોમાં કિંજલ દવેએ કહ્યું છે કે, દીકરીઓને આજે આગળ વધવાની પાંખો મળી છે તેને કાપવાની વાતો છે. આજે દીકરીઓ રણમેદાનમાં છે. આર્મીમાં છે ત્યારે દીકરીઓને આજે તેનો લાઈફ પાર્ટનર નક્કી કરવાનો અધિકાર નથી? કહેવાતા મોડર્લ સમાજમાં અમુક લોકો દિકરીઓની મર્યાદા નક્કી કરશે. સમાજમાં બે ચાર અસામાજિક તત્વો છે જે દીકરીઓની પાંખો કાપવાનો પ્રયાસ કરે છે તેને દૂર કરો નહીં તો આપણો સમાજ ક્યાંયનો નહીં રહે. હવે જે પણ લોકો મારા પરિવાર સામે કોમેટ કરશે તેમની સામે હું કાયદેસરના પગલાં લઈશ. ઓપરેશન સિંદૂરમાં બે દિકરીઓએ દેશને ગૌરવ અપાવ્યું છે.
હું સાટા પ્રથાની પીડિત છું, હજી બાળ લગ્ન થાય છે : કિંજલ દવે હું એવા પરિવારમાં જઇ રહી છું, જે ભક્તિમય છે, તેના પરિવારના લોકો અને પાર્ટનરે હું જેવી છું તેવી જ મને આદર સત્કારથી સ્વીકારે છે. રાત દિવસ જ્યાં ગાયત્રી મંત્ર અને નવકાર મંત્રના જાપ થાય છે ત્યાં હું જઇ રહી છું. એટલે હું તમામ બ્રહ્મ શક્તિઓ જેઓ શિક્ષિત અને વિન્રમ છે તેમને વિનંતી કરું છે કે, કે આવા બે ચાર અસામાજીક તત્ત્વો છે જે દિકરીની પાંખો કાપવાની વાતો કરે છે, આપણો સમાજ ક્યાંયનો નહીં કરે. જો તમે દિકરાનું સારુ ઇચ્છતા હોવ તો તેમના શિક્ષણ વિશે વાત કરો, નાની દિકરીઓ પર બળાત્કાર થાય છે, તેમના વિશે વાત કરો, દિકરીની પ્રતિભાને આગળ લાવવાની વાત કરો, હજી જુના 18મી 17મી સદીના જુના રિવાજો આપણા સમાજમાં ચાલે છે, હજી કેટલા બાળ લગ્ન થાય છે, જેની આપણે બધાને ખબર છે. સાટા પ્રથા ચાલુ છે, જેની પીડિત હું પણ છું, જેની તમને બધાને ખબર છે. દિકરીના પૈસા લેવામાં આવે છે, દિકરીને ઘુંઘટામાં રાખો છો.
પરિવાર અને પિતા પર વાત આવશે ત્યારે ભગવાનને પણ છોડવાની તાકાત છે : કિંજલ દવે
કિંજલ દવે વીડિયોમાં કહે છે કે, જ્યારે મારા પરિવાર અને પિતા પર વાત આવશે ત્યારે ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું, એ દીકરી છું. બરાબર છે, આપ સૌને નમ્ર વિનંતી છે, જેવી રીતે દરેક દીકરી નવા જીવનની શરૂઆત કરે છે, તેમ મેં પણ શરૂઆત કરી છે, આને કોઇ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી. એવા અસામાજીક તત્વો જેઓ સમાજ માંથી નાતબહાર કરવાની વાત છે તેમને કોઇ 5000 ની નોકરીયે પણ રાખવા કોઇ તૈયાર નથી. તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલા. તમામ બ્રહ્મશક્તિઓ અને સમજણ વ્યક્તિઓ છે તેમને મારી નમ્ર વિનંતી છે કે, આવા અસામાજીક તત્વોને સમાજ માંથી દૂર કરો. જેથી દિકરીઓ ડરે નહીં, તેમની પ્રતિભા આગળ આવે અને સમાજનો વિકાસ થાય. જય માતાજી, જય મહાદેવે.
કિંજલ દેવનો મંગેતર ધ્રુવિન શાહ કોણ છે?
કિંજલ દવે એ 6 ડિસેમ્બરના રોજ ધ્રુવિન શાહ સાથે સગાઇ કરી છે. ગુજરાતી સિંગરે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરી સગાઇની જાણકારી આપી હતી. ધ્રુવિન શાહ બિઝનેસમેન અને એક્ટર છે. ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંને નજીકના પ્રિયજનોની હાજરીમાં સગાઇ કરી છે.
ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ માન્ધનાને ક્રિકેટની પિચ પર ફિલ્મી સ્ટાઇલમાં પ્રપોઝ કરીને તેનો મંગેતર પલાશ મુચ્છલ છવાઈ ગયો હતો. જોકે લગ્ન પોસ્ટપોન થવાની ઘટના બાદથી સોશ્યલ મીડિયા પર તેના કૅરૅક્ટર પર સવાલ ઊભા થાય એવા સ્ક્રીનશૉટ વાઇરલ થયા છે. મૅરી ડિકૉસ્ટા નામની મહિલાએ સોશ્યલ મીડિયા પર પલાશની ફ્લર્ટી-ચૅટના સ્ક્રીનશૉટ શૅર કર્યા છે. ચર્ચા છે કે આ પર્દાફાશને લીધે જ લગ્ન ટળી ગયાં છે.
સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા આ સ્ક્રીનશૉટમાં આ વર્ષના મે મહિનાની વાતચીત જોવા મળી હતી. પલાશે આ કથિત ચૅટમાં આ યુવતીને પોતાની સાથે ફાઇવસ્ટાર હોટેલમાં સ્વિમિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. એ વખતે છોકરીએ તેને પૂછ્યું હતું કે તું તો કોઈને ડેટ કરી રહ્યો છેને? એના જવાબમાં પલાશે કહ્યું હતું કે એનો મતલબ એવો નથી કે આપણે સ્વિમિંગ માટે ન જઈ શકીએ. જવાબમાં છોકરીએ કહ્યું હતું કે લોકો તને ઓળખે છે, એટલે વિચિત્ર લાગશે. તો પલાશે સામે કહ્યું કે હું મારા મિત્રો સાથે મજા કરતો જ હોઉં છું, એમાં કંઈ વિચિત્ર નથી; હું મારા અસિસ્ટન્ટને પણ બોલાવી લઈશ જેથી આપણે ગ્રુપમાં મજા કરી રહ્યાં છીએ એવું લાગશે.
છોકરીએ જ્યારે પલાશને સ્મૃતિ વિશે પૂછ્યું કે તમે રોજ નથી મળતાં? ત્યારે પલાશે કહ્યું હતું કે પૂછ જ નહીં, અમારો સંબંધ લૉન્ગ-ડિસ્ટન્સનો છે; અમે ત્રણ-પાંચ મહિને મળીએ છીએ.
ત્યાર પછી છોકરીએ પલાશને પૂછ્યું હતું કે તું તેને પ્રેમ તો કરે છે, બરાબરને? ત્યારે પલાશે કહ્યું હતું કે એટલે જ તો મોટા ભાગે અમારી મુલાકાતો ‘ડેડ’ હોય છે.
ત્યાર પછી પલાશે છોકરીને કહ્યું હતું તું બધી જ વાત અહીં કરીશ કે શું, કાલે તું શું કરી રહી છે?
સ્મૃતિને દરેક મૅચમાં સપોર્ટ કરવા આવતો અને પોતાના હાથ પર સ્મૃતિ માટે SM18 નામનું ટૅટૂ કરાવનાર સંગીતકાર પલાશ મુચ્છલ એક રિલેશનશિપમાં હોવા છતાં આ પ્રકારની બેશરમ હરકત કેવી રીતે કરી શકે એ વિશે સોશ્યલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે.
સિંગર પલક મુચ્છલે પોતાના ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ભારત અને તેની બહારના વંચિત ૩૮૦૦ બાળકોને હૃદયની શશ્ત્રક્રિયા માટે પૈસા ભેગા કરી આપવામાં સહાય કરી હતી. આ સદ્કાર્ય માટે તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સહિતની રેકોર્ડ બુક્સમાં સ્થાન મળ્યું છે. તે પોતાના દરેક સંગીત કાર્યક્રમની કમાણી અને પોતાની બચતને જીવન રક્ષક ચિકિત્સા કાર્યોમાં ઉપયોગમાં લે છે.
આ ઉપરાંત તે વરસોથી કારગિલ શહિદોના પરિવારોની મદદ કરી હતી અને ગુજરાત ભૂકંપ પીડિતોની રાહત માટે ૧૦ લાખ રૂપિયાનું યોગદાન પણ આપ્યું હતું.
પલકે મેરી આશિકી, કૌન તુઝે અને પ્રેમ રતન ધન પાયો જેવા ગીતો સાથે પોતાની સંગીતની કારકિર્દી શરૂ કરી હતી.
ભારતની મહિલા ક્રિકેટરોએ Date 02/11/2025, રવિવારે નવો ઇતિહાસ સર્જ્યો. તેમણે અહીં ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાને વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં બાવન રનથી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. ભારતીય મહિલા ક્રિકેટરો પહેલી જ વાર વર્લ્ડ કપ જીતી છે. અગાઉ બે વખત 2005માં અને 2017માં ફાઇનલમાં હારી ગયા બાદ ભારતે ત્રીજી વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો અને સર્વોચ્ચ ટ્રોફી જીતી લીધી.
ભારતના પુરુષોની વન-ડે ટીમે 1983માં કપિલ દેવના નેતૃત્વમાં પહેલી વર્લ્ડ કપ ટ્રોફી મેળવી હતી અને હવે હરમનપ્રીત કૌરે ભારતની મહિલા ક્રિકેટને આ અપ્રતિમ સિદ્ધિ અપાવી છે. ઘરઆંગણે આવેલી ટ્રોફીને ભારતીય ટીમે પોતાના કબજામાં કરી જ લીધી. હરમનપ્રીત, વાઇસ કૅપ્ટન સ્મૃતિ મંધાના સહિત તમામ ભારતીય ખેલાડીઓ ભાવુક થઈને રડી હતી, એકમેકને ભેટી હતી. બીજી તરફ, સાઉથ આફ્રિકાની પ્લેયર્સ પરાજયના આઘાતમાં હતાશ હતી.
વરસાદના વિઘ્નોને કારણે લગભગ બે કલાક મોડી શરૂ થયેલી ફાઇનલમાં સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. પ્રથમ બૅટિંગ મળ્યા બાદ ભારતે 50 ઓવરમાં સાત વિકેટે 298 રન કર્યા હતા જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 45.3 ઓવરમાં 246 રને ઑલઆઉટ થઈ હતી. સ્પિન-ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા (9.3-0-39-5) ફાઇનલની સુપરસ્ટાર બોલર હતી. બીજી બે સ્પિનર શેફાલી વર્માએ બે વિકેટ અને શ્રી ચરનીએ એક વિકેટ લીધી હતી.
ભારતે બૅટિંગ મળ્યા બાદ 50 ઓવરમાં સાત વિકેટે 298 રન કરીને સાઉથ આફ્રિકાને 299 રનનો તોતિંગ તથા મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો હતો. સાઉથ આફ્રિકાની કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટ સહિત કેટલીક ગણતરીની બૅટર્સને ભારતીય બોલર્સ કાબૂમાં રાખતાં ભારતીય મહિલાઓ માટે પહેલી વર્લ્ડ કપ ટ્રોફી જીતવી મુશ્કેલ કામ નહોતું એવું મનાતું હતું અને થયું પણ એવું જ. વિમેન ઇન બ્લૂ ટ્રોફી જીતીને રહી.
ભારતના 298 રનમાં ખાસ કરીને શેફાલી વર્મા (87 રન, 78 બૉલ, બે સિક્સર, સાત ફોર), દીપ્તિ શર્મા (58 રન, 58 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર), સ્મૃતિ મંધાના (45 રન, 58 બૉલ, આઠ ફોર) તેમ જ વિકેટકીપર રિચા ઘોષ (34 રન, 24 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ના યોગદાન હતા. જેમિમા રૉડ્રિગ્સે 24 રન અને કૅપ્ટન હરમનપ્રીતે 20 રન કર્યા હતા. પેસ બોલર આયાબૉન્ગા ખાકાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
ઇંગ્લૅન્ડ સામેની સેમિ ફાઇનલમાં સેન્ચુરી (169 રન) કરનાર કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટે રવિવારે લડાયક ઇનિંગ્સ (101 રન, 98 બૉલ, એક સિક્સર, અગિયાર ફોર)માં સદી ફટકારી ત્યારે સેલિબ્રેશન ટાળ્યું હતું, કારણકે તેની ટીમ હારી રહી હતી. છેવટે 42મી ઓવરમાં વૉલ્વાર્ટે દીપ્તિ શર્માના બૉલમાં બિગ શૉટ માર્યો અને મિડ વિકેટ પરથી દોડી આવેલી અમનજોત કૌરે જગલિંગ ઍક્ટમાં (ત્રીજા અટૅમ્પ્ટમાં) તેનો અફલાતૂન કૅચ ઝીલી લીધો હતો. એ સાથે ફાઇટિંગ સ્પિરિટ સાથે રમેલી ઓપનર વૉલ્વાર્ટની યાદગાર ઇનિંગ્સનો અંત આવ્યો હતો.
વૉલ્વાર્ટ ઓપનિંગમાં આવ્યા બાદ આઉટ જ નહોતી થતી એટલે ભારતીય બોલર્સે તેની સામા છેડા પરની બૅટરને લક્ષ્યાંક બનાવી હતી અને એક પછી એક બૅટરને આઉટ કરીને સાઉથ આફ્રિકાની ટીમને માનસિક દબાણમાં લાવી હતી. ભારતીય ફીલ્ડર્સની ફીલ્ડિંગ થોડી ખરાબ હતી. જોકે દીપ્તિએ 36મી ઓવરમાં ડર્કસેન (35 રન)નો કૅચ છોડ્યા બાદ તેને આઉટ કરી હતી.
ભારતની સાવચેતીભરી શરૂઆત
સાંજે ભારતે બૅટિંગ મળ્યા બાદ સાવચેતીભરી શરૂઆત કરી હતી અને પછીથી આક્રમક અભિગમ અપનાવ્યો હતો. ઓપનર્સ શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ ચોક્કા પર ચોક્કા ફટકારીને હજારો પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું અને જીત માટેનો પાયો નાખવાની શરૂઆત કરી હતી.
સ્મૃતિ આઉટ, જેમિમાની એન્ટ્રીથી પબ્લિક ખુશ
ભારતે 18મી ઓવરમાં 100 રન પૂરા કર્યા બાદ ઓપનર સ્મૃતિ મંધાનાએ વિકેટ ગુમાવી હતી. લેફ્ટ-આર્મ સ્પિનર ક્લૉ ટ્રાયૉનને આ મૅચમાં પહેલી જ વખત બોલિંગ મળી અને તેણે સ્મૃતિની વિકેટ અપાવી હતી. સ્મૃતિની વિકેટ પડ્યા બાદ જેમિમા રૉડ્રિગ્સ મેદાન પર ઊતરતાં જ હજારો પ્રેક્ષકોએ તેને તાળી પાડીને તેમ જ તેના નામનાં બૅનર સાથે આવકારી હતી. મેન્સ ક્રિકેટમાં દાયકાઓથી જેમ કોઈ લોકપ્રિય ખેલાડી મેદાન પર આવતાં પ્રેક્ષકો ખુશી વ્યક્ત કરતા હોય છે એવું હવે મહિલા ક્રિકેટમાં પણ જોવા મળ્યું છે.
શેફાલી પ્રથમ સેન્ચુરી ચૂકી
ભારતની યુવાન અને આક્રમક ઓપનર શેફાલી વર્મા (87 રન) ધમાકેદાર પર્ફોર્મ કરીને માત્ર 13 રન માટે વન-ડે કરીઅરની પહેલી સેન્ચુરી ચૂકી ગઈ હતી. તેણે સ્મૃતિ મંધાના (45 રન) સાથે 104 રનની અને જેમિમા રૉડ્રિગ્સ (24 રન, 37 બૉલ, એક ફોર) સાથે 62 રનની ભાગીદારી કરી હતી. ઑસ્ટ્રેલિયા સામેની સેમિ ફાઇનલમાં મૅચ-વિનિંગ અણનમ 127 રન કરનાર જેમિમા પેસ બોલર ખાકાના બૉલમાં કૅપ્ટન વૉલ્વાર્ટને કૅચ આપી બેઠી હતી. એ પહેલાં, ખાકાના જ બૉલમાં શેફાલી સુન લુસના હાથમાં કૅચઆઉટ થઈ હતી.
ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં ભારતે 35 ઓવરમાં 200 રન પૂરા કર્યા પછી રનમશીનને વેગ આપ્યો હતો, પરંતુ 223મા રને હરમનપ્રીત ક્રૉસ બૅટથી રમવા જતાં ક્લીન બોલ્ડ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકન ફીલ્ડર્સની ખરાબ ફીલ્ડિંગ વચ્ચે 40 ઓવરમાં ભારતનો સ્કોર 4/229 હતો. ત્યાર બાદ સ્કોર થોડો ધીમો પડી ગયો હતો અને 42મી ઓવરને અંતે સ્કોર 4/243 હતો. દીપ્તિ શર્મા (41 રન) સાથે અમનજોત કૌર (11 રન) રમી રહી હતી.
ICC મહિલા વર્લ્ડ કપ 2025ની બીજી સેમીફાઈનલમાં ગુરૂવારે (30 ઓક્ટોબર) ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ જીત સાથે જ ભારત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે 2 નવેમ્બરે ભારતીય ટીમ ફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે ટકરાશે.
ઓસ્ટ્રેલિયાએ ટીમ આ ટૂર્નામેન્ટમાં આ મેચ સિવાયની તમામ મેચ જીતી હતી, પરંતુ ભારતીય ટીમે એલીસ હીલીની ટીમનો વિજય રથ રોકી દીધો. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 49.5 ઓવર 338 રન બનાવ્યા હતા. ઓલઆઉટ થયેલા ઓસ્ટ્રેલિયાએ ભારત માટે 339 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ભારત માટે જેમિમાએ સદી ફટકારી અને કેપ્ટન હરમનપ્રીત સાથે ત્રીજી વિકેટ માટે 167 રનોની ભાગીદારી કરી જેનાથી ભારતે 48.3 ઓવરમાં પાંચ વિકેટ પર 341 રન બનાવીને મેચ પોતાના નામે કરી.
પુરુષ કે મહિલા ક્રિકેટ નોક આઉટમાં સૌથી મોટો ચેઝ
વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા આખી ટુર્નામેન્ટમાં હાર્યું ન્હોતું પરંતુ હવે તેને બહાર કરી દેવાયું છે. સતત 25 વનડે જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ ભારતીય ટીમ સામે હારી છે. આ વખતે નવો દેશ વર્લ્ડ ચેમ્પિયન બનશે. બીજી તરફ પુરુષ કે મહિલા ક્રિકેટ નોક આઉટમાં સૌથી મોટો ચેઝ કર્યો છે.
ઓસ્ટ્રેલિયાનો પ્રથમ ઇનિંગ્સનો સૌથી મોટો સ્કોર
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 49.5 ઓવરમાં 338 રનમાં થઈ ગયું. આ મહિલા વર્લ્ડ કપ સેમિફાઇનલમાં સૌથી વધુ સ્કોર છે. ઓસ્ટ્રેલિયાએ બુધવારે ગુવાહાટીમાં દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ સેમિફાઇનલમાં સ્થાપિત રેકોર્ડને તોડી નાખ્યો. મહિલા વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં આ બીજો સૌથી વધુ સ્કોર છે. મહિલા વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં સૌથી વધુ સ્કોર 2022માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ફાઇનલમાં બન્યો હતો. તે સમયે ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે 356 રન બનાવ્યા હતા. આ ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ કપમાં ભારત સામે પ્રથમ ઇનિંગ્સનો સૌથી મોટો સ્કોર છે. ત્યારે ભારતીય મહિલા ટીમે નોક આઉટમાં સૌથી મોટો ચેઝ કર્યો છે.
જેમિમાએ ગૌતમ ગંભીરનો રેકોર્ડ તોડ્યો
જેમિમાએ ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં અણનમ 127 રન ફટકાર્યા, જે વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની. ગંભીરે અગાઉ 2011ના વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં શ્રીલંકા સામે 97 રન બનાવીને વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં ભારત માટે સૌથી વધુ ઇનિંગ્સનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે, જેમિમાહએ ગંભીરને પાછળ છોડી દીધો છે.
વર્લ્ડ કપમાં નોકઆઉટમાં ભારતનો સૌથી વધુ ઇનિંગ્સ (પુરુષો અને મહિલા)
ઓસ્ટ્રેલિયા સામે મહિલા વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમીમા રોડ્રિગ્ઝે શાનદાર બેટિંગ કરી હતી. બંને બેટ્સમેનોએ ભારતની ઇનિંગ્સને સ્થિર રાખી હતી. હરમનપ્રીત અને જેમિમાએ સદીની ભાગીદારી કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો. હરમનપ્રીત અને જેમીમાની ભાગીદારી મહિલા વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં કોઈપણ વિકેટ માટે સૌથી વધુ હતી.
ભારતીય ટીમ ત્રીજી વખત વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. ટીમ આ પહેલા 2005 અને 2017માં પણ ફાઈનલમાં પહોંચી હતી. ભારતે અત્યાર સુધીમાં ક્યારેય વર્લ્ડ કપની ટ્રોફી જીતી નથી અને હવે તેની પાસે ચેમ્પિયન બનવાની શાનદાર તક છે. ભારત માટે જેમિમા 134 બોલ પર 127 રન બનાવીને અણનમ રહી, જ્યારે હરમનપ્રિતે 88 બોલ પર 89 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી કિમ ગાર્થ અને એનાબલ સદરલેન્ડને 2-2 વિકેટ મળી.
મારા પર વિશ્વાસ રાખનારા દરેકનો આભાર: જેમિમા
પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યા પછી જેમિમાએ કહ્યું, ‘સૌ પ્રથમ, હું ભગવાનનો આભાર માનું છું કારણ કે હું એકલી આ કરી શકી ન હોત. હું જાણું છું કે ભગવાન જ મને આ મુશ્કેલ સમયમાંથી પસાર કરાવ્યો. હું મારા માતા, પિતા, મારા કોચ અને આ સમયગાળા દરમિયાન (મારા ખરાબ ફોર્મ દરમિયાન) મારા પર વિશ્વાસ રાખનારા દરેકનો આભાર માનવા માગુ છું. છેલ્લા ચાર મહિના ખરેખર મુશ્કેલ રહ્યા છે, પરંતુ તે એક સ્વપ્ન જેવું લાગે છે અને હજુ સુધી સંપૂર્ણપણે સાકાર થયું નથી.’
નવી દિલ્હીઃ ભારત દરેક ક્ષેત્રમાં પોતાની આગવી છાપ છોડી રહ્યું છે. પુરૂષ હોય કે મહિલા દરેક ભારતની પ્રતિભા વધારવા માટે મહેનત કરી રહ્યું છે. તેમાં શેરી સિંહે બ્યૂટી પેજન્ટમાં પોતાની સુંદરતા અને બુદ્ધિમત્તાથી વૈશ્વિક સ્તરે ભારતનો ડંકો વગાડ્યો છે. શેરી સિંહ ‘મિસિસ યુનિવર્સ’નો ખિતાબ મેળવનારી પહેલી ભારતીય મહિલા બની છે. ફિલિપિઇન્સના ઓકાડા મનિલામાં ‘મિસિસ યુનિવર્સ’ની 48મી આવૃત્તિ યોજાઈ હતી. આમાં આખા વિશ્વમાંથી કુલ 120 જેટલા સ્પર્ધકો આવ્યાં હતાં, જે દરેકને પાછળ છોડીને શેરી સિંહે મોખરે રહીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.
‘મિસિસ યુનિવર્સ’ની 48મી આવૃત્તિમાં શેરી સિંહે વિજેતા બની
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ‘મિસિસ ઇન્ડિયા 2025’ જેનું યુએમબી Pageants દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જીત મેળવ્યાં બાદ શેરી સિંહે વિશ્વ કક્ષાએ ભારતનું નેતૃત્વ કર્યું હતું. આ દરમિયાન મહિલા સશક્તિકરણ અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ જેવા મુદ્દાઓ પર શેરી સિંહે ભાર મૂક્યો હતો. આ મુદ્દાઓના કારણે જજની પેનલ અને પ્રેક્ષકોને પ્રભાવિત થઈ ગયાં અને શેરી સિંહ ‘મિસિસ યુનિવર્સ’નો તાજ જીતનારી પહેલી ભારતીય મહિલા બની છે.
‘મિસિસ યુનિવર્સ’ શેરી સિંહે મહિલાઓ માટે શું કહ્યું?
‘મિસિસ યુનિવર્સ’નો તાજ જીત્યા બાદ શેરી સિંહે કહ્યું કે, ‘આ તાજ દરેક એવી મહિલાનો છે, જેણે ક્યારેય સીમાઓથી પરે જઈને સપનાં જોવાની હિંમત કરી છે. હું દુનિયાને જણાવવા માગતી હતી કે શક્તિ, દયા અને દૃઢતા જ સુંદરતાની સાચી વ્યાખ્યા છે’. ભારતીય મહિલાઓ દુનિયાના દરેક ખૂણામાં પોતાની પ્રતિભાના આધારે ભારતને ગૌરવ અપાવી શકે છે. આ વાતને ‘મિસિસ યુનિવર્સ’નો તાજ જીતીને શેરી સિંહે સાબિત કરી દીધી છે.
આ દેશના સ્પર્ધકોએ પણ ભાગ લીધો હતો
‘મિસિસ યુનિવર્સ’ પેજન્ટમાં ‘મિસિસ સેન્ટ પીટર્સબર્ગ’ ફર્સ્ટ રનર-અપ, ‘મિસિસ ફિલિપિઇન્સ’ સેકન્ડ રનર-અપ, ‘મિસિસ એશિયા’ થર્ડ રનર-અપ અને ‘મિસિસ રશિયા’ ફોર્થ રનર-અપ રહી હતી. આ સાથે માર્ગારીટા આઇલેન્ડ, યુએસએ, દક્ષિણ પશ્ચિમ એશિયા, બલ્ગેરિયા, મ્યાનમાર, પેસિફિક, આફ્રિકા, યુએઈ, જાપાન અને યુક્રેનના સ્પર્ધકોએ ફાઇનલમાં તેમના દેશ અને પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પરંતુ અંતે જીત ભારતની થઈ હતી.
કોણ છે મિસિસ યુનિવર્સ શેરી સિંહ?
‘મિસિસ યુનિવર્સ’નો તાજ જીતનારી શેરી સિંહની વાત કરવામાં આવે તો, તે ઉત્તર ભારતના એક સામાજિક કાર્યકર અને મોડેલ છે. લાંબા સમયથી મહિલા સશક્તિકરણ અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિના ક્ષેત્રમાં કામ પણ કર્યું છે. શેરી સિંહનો 24 મે, 1990 ના રોજ દિલ્હીના નોઈડાના એક નાના ગામ મકોડામાં ગુર્જર સમુદાયમાં જન્મ થયો હતો. મૂળ તે દિલ્હીની રહેવાસી છે અને ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોમાં ઊંડા મૂળ ધરાવે છે. શેરીએ નવ વર્ષ પહેલાં સિકંદર સિંહ સાથે લગ્ન કર્યા હતા અને એક 7 વર્ષનો દીકરો છે. શેરી સિંહે 2024માં ‘મિસિસ ભારત યુનિવર્સ’નું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમજ 2025માં તેણે ‘મિસિસ ઇન્ડિયા યુનિવર્સ’નો ખિતાબ જીત્યો હતો.
સુરત સમેત રાજ્યના મોટા શહેરોના શિક્ષણમાં જેનો ભારે ઉપદ્રવ વધી ગયો છે એવા ધંધાદારી ટ્યુશન, કોચિંગ ક્લાસીસો પર સકંજો કસતા ગુજરાત સરકારે એક્ટ બનાવવાનો ઇરાદો ઘોષિત કરી દીધો છે અને એક્ટ તેમજ નીતિ નિયમો નક્કી કરવા માટે ગુજરાત બોર્ડના અધ્યક્ષની રાહબરી હેઠળ 8 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી આગામી બે મહિનામાં એક્ટ તૈયાર કરીને સરકારને સોંપશે અને પછી તેને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવશે.
શિક્ષણ વિભાગના સચિવે બહાર પાડેલા નોટિફિકેશનમાં નિર્દેશ કર્યો છે કે સ્પુરીમ કોર્ટે તા.25મી જુલાઇના રોજ આપેલા એક ચુકાદામાં રાજ્યમાં પ્રાઇવેટ કોચિંગ સેન્ટર, ટ્યુશન ક્લાસ માટે નિયમો બનાવવા આદેશ કર્યો છે. આ નિયમો માટે સૌથી પહેલી જરૂરીયાત એક્ટ અને તે અન્વયે નિયમોનો મુસદ્દો ઘડવાની છે. આથી ગુજરાત સરકારે 8 સભ્યોની એક કમિટીની રચના કરી છે. આ કમિટીમાં કુલ 8 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિમાં શિક્ષણ વિભાગના નાયબ સચિવ, કમિશ્નર, શાળાઓના નિયામક અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિઓને સામેલ કરાશે. આ આઠ સભ્યોની સમિતિ ખાનગી ટ્યુશન વર્ગો માટે નિયમો અને ધારાધોરણોનો મુસદ્દો તૈયાર કરશે.
આ કાયદો ટ્યુશન ક્લાસની ફી, અભ્યાસક્રમ, સલામતીના ધોરણો અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવામાં મદદ કરશે. આ ડ્રાફ્ટ કાયદાનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શકતા અને જવાબદારી લાવવાનો છે, જે સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુરૂપ હશે. આ કાયદો લાગુ થયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે થતાં શોષણથી રક્ષણ મળશે તેવી આશા છે. આ કાયદો ખાનગી ટ્યુશન ક્લાસની મનમાની પર લગામ કસશે અને એક સુવ્યવસ્થિત શિક્ષણ પ્રણાલી સ્થાપિત કરવામાં મદદ કરશે.
આ કાયદાનો મુસદ્દો અંતિમ મંજૂરી અને અમલીકરણ માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને સુપરત કરવામાં આવશે. સરકારની મંજૂરી બાદ આ કાયદો લાગુ થશે, જે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં એક નવો અધ્યાય શરુ કરશે. સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર જેવા મહાનગરો તેમજ નાના ટાઉનોમાં ટ્યુશન ક્લાસીસોના સંચાલકોનો એટલો વ્યાપક ઉપદ્રવ છે કે તેઓ સ્કુલોના સંચાલકોને તેમનો સમય બદલવા માટે બાનમાં લઇ રહ્યા છે. એથી વિશેષ ઉચ્ચતર માધ્યમિકમાં ખાસ કરીને ધો.11-12 સાયન્સમાં કોચિંગ ક્લાસીસોના સંચાલકો એટલા ફાટીને ધુમાડે ગયા છે કે તેઓ રેગ્યુલર સ્કુલોમાં એડમિશન નહીં લઇને પોતાના કન્ટ્રોલમાં ચાલતી ડમી સ્કુલોમાં એડમિશન લેવડાવી રહ્યા છે. આ બધી બાબતો પર એક્ટને કારણે સકંજો કસી શકાશે એમ મનાય રહ્યું છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.