CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 6 of 41 - CIA Live

September 20, 2020
cskmi.jpg
1min5440

IPL 2020 : ચેન્નઈએ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટે હરાવી કર્યો વિજયી પ્રારંભ

IPL2020ના પ્રારંભિક મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સે વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટે આસાનીથી હરાવીને લીગમાં વિજયી શરૂઆત કરી છે. મુંબઈ તરફથી મળેલા 163 રનના ટાર્ગેટને ચેન્નઈએ 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને પાર કરી લીધો હતો. CSK માટે અંબાતી રાયુડૂએ શાનદાર 71 રનની ઈનિંગ રમી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. તેના સિવાય ફાફ ડુ પ્લેસિસે પણ અણનમ 58 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી. આ રીતે ચેન્નઈએ 2019ની IPL ફાઈનલમાં મુંબઈ સામે મળેલી હારનો પણ બદલો લીધો.

163 રનનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈ સુપરકિંગ્સની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ચેન્નઈએ પ્રથમ બે ઓવરમાં જ બંને ઓપનર શેન વોટસન (4) અને મુરલી વિજય (1)ને ગુમાવી દીધા હતા. આ સમયે ટીમનો સ્કોર માત્ર છ રન હતો. બાદમાં ફાફ ડુ પ્લેસિસ અને અંબાતી રાયુડૂએ મળીને ટીમની ઈનિંગને સંભાળી લીધી હતી. બંનેએ ક્રિઝ પર ટકવાની સાથે-સાથે ઝડપથી રન પણ બનાવવ્યા હતા. અંબાતીએ 48 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 71 જ્યારે ડુ પ્લેસિસે 44 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 58 રન બનાવ્યા હતા. આ બંને વચ્ચે 14 ઓવરમાં 115 રનની ભાગીદારી નોંધાઈ હતી. રાયૂડૂના આઉટ થયા બાદ બે વિકેટો જલ્દી પડી જતા ટીમ થોડી મુશ્કેલીમાં દેખાઈ પણ ટાર્ગેટ એટલો મોટો ન હોવાથી તેને વધારે તકલીફ પડી નહોતી.

અગાઉ ટૉસ જીતીને CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટૉસ જીતીને મુંબઈને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. મુંબઈની શરૂઆત સારી રહી હતી પરંતુ સળંગ બે ઓવરમાં ટીમે રોહિત શર્મા અને ડી કોકની વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન રોહિત શર્માએ 12 રન નોંધાવ્યા હતા જ્યારે ક્વિન્ટન ડી કોકે 20 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 33 રન ફટકાર્યા હતા. જોકે, સૌરભ તિવારીએ આક્રમક બેટિંગની કરીને ટીમના સ્કોરને મજબૂત બનાવ્યો હતો. તિવારીએ 31 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર સાથે 42 રનની ઈનિંગ્સ રમી હતી.

જોકે, બાદમાં રવીન્દ્ર જાડેજા અને એનગિડીએ તરખાટ મચાવી દીધો હતો. જાડેજાએ સૌરભ તિવારીને આઉટ કર્યા બાદ હાર્દિક પંડ્યાને પણ સસ્તામાં આઉટ કરી દીધો હતો. હાર્દિકે 14 રન ફટકાર્યા હતા. જ્યારે એનગિડીએ કેઈરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા અને જેમ્સ પેટ્ટિનસનને પેલેલિયન ભેગા કરી દીધા હતા અને અંતિમ ઓવર્સમાં મુંબઈની રન ગતિ પર બ્રેક લગાવી હતી. ચેન્નઈ માટે એનગિડીએ ત્રણ તથા જાડેજા અને દીપક ચાહરે બે-બે વિકેટ ઝડપી હતી.

September 1, 2020
planes.jpg
1min5130

કોરોના વાયરસના વધતા જતા કેસોના ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ અને વીઝા માટે દિશા નિર્દેશ જાહેર કરી દીધા છે. નવા નિયમો અનુસાર 30 સપ્ટેમ્બર રાત્રે 11.59 વાગ્યા સુધી ઈન્ટરનેશનલ કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ્સની સેવા બંધ રહેશે. DGCAએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. કાર્ગો ફ્લાઈટ્સ તેમજ DGCA દ્વારા અપ્રૂવ્ડ સ્પેશિયલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધના આ નિયમો લાગુ રહેશે નહીં. 

નોંધનીય છે કે વંદે ભારત મિશન અંતર્ગત કેટલીક પસંદગીના રૂટો પર જ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર વિશ્વ અત્યારે કોરોના વાયરસની મહામારી સામેની જંગ લડી રહ્યો છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 25221935 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 846385 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 16618163 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 7757387 કેસ એક્ટિવ છે.

દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક પૂર ઝડપે વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારના રોજ દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 78512 કેસ નોંધાતા કુલ આંકડો 3621245 સુધી પહોંચી ગયો છે. દેશમાં સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા વધીને 2774801 સુધી પહોંચી ગયો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 64469 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 781975 એક્ટિવ કેસ છે.

August 30, 2020
Narmada_dam_cialive2-1280x960.jpg
1min5410

શનિવારના રોજ નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની ખાતેના સરદાર સરોવર ડેમની ઉપરવાસમાં આવેલા ઇન્દીરા સાગર ડેમ અને ઓમકારેશ્ર્વર ડેમમાંથી આશરે પાંચ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, જે પાણી સરદાર સરોવરમાં દાખલ થતાં આજે સવારે ૮-૦૦ કલાકે સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૧.૨૮ મીટર જેટલી નોંધાયેલ હતી. આ સમયે સરદાર સરોવર ડેમમાં ૧૫ ગેટ ૩.૧૩ મીટર જેટલા ખોલવામાં આવ્યા હતાં અને ભરૂચ તરફ ૨,૬૮,૮૦૮ ક્યુસેક જેટલું પાણી વહી રહ્યું હતું. આ સમયે ડેમમાં ૭,૨૧૬ મીલીયન ક્યુસેક મીટર પાણીનો ગ્રોસ સ્ટોરેજ થયેલો હતો, જેમાં લાઇવ સ્ટોરેજ ૩,૫૧૬ મિલીયન ક્યુબીક મીટર જેટલો નોંધાયેલ હતો. આજે સવારે ૧૧-૦૦ કલાકે ડેમના ૨૩ ગેટ ૨.૮૫ મીટર જેટલા ખૂલ્લા કરવામાં આવ્યા છે. આ સમયે ૪.૧૦ લાખ ક્યુસેક જેટલો પાણીનો ફ્લો ભરૂચ તરફ વહી રહ્યોં છે. આની સામે અત્યારે ઇનફ્લો ૩.૭૬ લાખ ક્યુસેક જેટલો નોંધાઇ છે, તેમ નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેર અશોક ગજ્જરે જણાવ્યું હતું. છેલ્લે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે સાંજે ૪-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૧.૧૫ મીટરે નોંધાઇ હતી.

હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી આશરે પાંચ લાખથી આઠ લાખ ક્યુસેક જેટલું પાણી સરદાર સરોવરમાં આવવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને ડેમના દરવાજા હજુ ૨.૮૫ મીટરથી વધારે ઊંચા ખોલવામાં આવશે. હાલમાં રીવરબેડ પાવર હાઉસના પાંચ યુનિટ ચાલુ હોવાથી ૧૦૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન થઇ રહી છે અને વિજળી ઉત્પન્ન કર્યા પછી ૩૫ હજાર ક્યુસેક જેટલું પાણી ભરૂચ તરફ વહી રહ્યું છે. તદ્ઉપરાંત કેનાલ હેડ પાવર હાઉસમાં ૩ યુનિટ કાર્યરત છે અને ૧૫૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન થઇ રહી છે, જેને કારણે ૧૦ હજાર ક્યુસેક જેટલો પાણીનો ફ્લો મુખ્ય કેનાલ તરફ વહી રહ્યોં હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે.

August 17, 2020
taxi-mask.jpg
1min5670

રાજ્યમાં લોકો કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરતા ન હોવાનું ધ્યાનમાં આવતા સરકારે હવે કડક પગલાં લેવાની જાહેરાત કરી છે. જેમાં જો કોઇ ખાનગી કે સરકારી વાહનચાલક તથા તેમાં મુસાફરી કરતા મુસાફરો માસ્ક વગર પકડાશે તો વાહન ચાલક અને મુસાફર બંને પાસેથી નક્કી કરવામાં આવેલો દંડ વસૂલ કરવામાં આવશે.

આ ઉપરાંત રાજ્યમાં આવેલા નાના શોપિંગ મોલ્ક કે દુકાનોમાં પણ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. જો સ્ટોર્સમાં કે મોલમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન નહીં કરવામાં આવે તો દુકાનદાર, સ્ટોરમાલિક, મોલ મેનેજર પાસેથી દંડ વસૂલવામાં આવશે.

મોલ, દુકાનોમાં એરકન્ડિશન હોય છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે. તેથી કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે હાઇકોર્ટના નિર્દેશ મુજબ શોપિંગ મોલ્સ કે દુકાનમાં આવતા તમામ મુસાફરો સહિત દુકાનદાર, સ્ટાફ અને ત્યાં હાજર તમામ લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે. જો કોઇ માસ્ક વગર પ્રવેશ કરશે અને ધ્યાનમાં આવશે તો હવેથી માલિક સહિત વ્યક્તિને દંડ ફટકારવામાં આવશે.

August 11, 2020
mukhyamantri-kisan-sahay-yojana.jpg
1min6340

ગુજરાતમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ખેડૂતો પાસેથી કરોડો રૂપિયાનું પાક વીમા પ્રીમિયમ ઉઘરાવ્યા બાદ નુકસાન થવા છતાં ખાનગી વીમા કંપનીઓ પૂરતું વળતર ચૂકવતી નહીં હોવાથી ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળતો હતો જેને પગલે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને ફરજિયાત ને બદલે મરજિયાત બનાવવી પડી હતી, પરંતુ હવે ખુદ ભાજપની ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની સમાંતરે મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના શરૂ કરી છે.

જોકે મુખ્ય પ્રધાન રૂપાણીએ આ યોજનામાં સરકાર પોતે જ કિસાને નુકસાન વળતરની સહાય ચૂકવશે. જોકે સરકાર કઇ ખાનગી વીમા કપની પાસેથી આ અંગે વીમો લેશે તેની કોઇ સચોટ ખુલાશો કરવામાં આવ્યો નથી. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સોમવારે વર્તમાન સીઝન માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને બંધ કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના અમલની ઘોષણા કરી છે. પોતાના જ પક્ષના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોએ પાક વીમા માટે પ્રીમિયમ ભરી પાક વીમો મળે એવી યોજના શરૂ કરી હતી. એને બદલે રૂપાણીએ સરકારી તિજોરીમાંથી જ તમામ પ્રીમિયમની રકમ ભરવાનું નક્કી કર્યું છે.

દરમિયાન રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાંદડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય લીધો છે. પાકવીમા પદ્ધતિમાં ઘણી મુશ્કેલીઓનો સામનો ખેડૂતોએ કરવો પડતો હતો. ૫૬ લાખથી વધુ ખેડૂત ખાતેદારોને આ યોજનાનો સીધો લાભ મળશે.

August 8, 2020
corona-gujarat.jpg
1min5200

ગુજરાતમાં શુક્રવારે પણ નવા 1074 કેસ નોંધાયા દર્દીઓની સંખ્યા વધીને 68,885 પર પહોંચી ગઈ છે. તો વધુ 22 મોત સાથે મરણાંક પણ વધીને 2606 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 1370 દર્દી વાયરસ મુક્ત થતાં સાજા થયેલા દર્દીઓનો આંક 51,692 થઈ ગયો છે. આમ, રિકવરી રેટ પણ વધીને 75.04 ટકા થઈ ગયો છે.’

સુરત શહેરમાં 183, ગ્રામ્યમાં 48 મળીને 231, અમદાવાદ શહેરમાં 142,’ ગ્રામ્ય 11 મળીને 153, વડોદરામાં 110, રાજકોટમાં 90, જામનગરમાં 53, ભાવનગરમાં 37, જૂનાગઢમાં 46, ગાંધીનગરમાં 27, મહેસાણામાં 43,’ કચ્છમાં 24,’ કેસ નોંધાયા છે.

સુરતમાં 10, અમદાવાદમાં 3 મોરબી અને વડોદરામાં 2-2 જ્યારે અમરેલી, આણંદ, જામનગર, રાજકોટ અને વલસાડમાં 1-1 મોત થયાં છે.” રાજ્યમાં કુલ 26591 સહિત કુલ્લ 9,30,373 લેબોરેટરી ટેસ્ટ થયા છે. રાજ્યમાં હાલ 14587 એકટિવ કેસ છે’ જેમાં 86 વેન્ટિલેટર પર છે.

ગુજરાતના તમામ જિલ્લાઓમાં થઇને કુલ 4,84,571 વ્યક્તિઓને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

July 23, 2020
real_cia-1280x1022.jpg
1min5290

ગુજરાતમાં ચોમાસાની મોસમનો કુલ સરેરાશ ૩૦૦.૭૮ મીમી વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જે છેલ્લાં ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૩૧ મિમીની સરખામણીએ ૩૬.૨% છે. જોકે વરસાદનું જોર નબળું પડ્યું હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે. બુધવારે સવારે પૂરા થતા છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં માત્ર ૩૩ તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના સરહદી તાલુકા વાવમાં નોંધાયો હતો. અહીં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે રાજ્યના અન્ય તાલુકામાં સુરત શહેરમાં ૧૮ મિમી, વડોદરાના પાદરામાં ૧૭ અને કચ્છના નખત્રાણામાં ૧૪ મિમી વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજીત ૬૪.૨૮ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે.

આઇએમડી દ્વારા પી.પી.ટી રજૂ કરી આગામી સમયમાં તા.૨૧ થી ૨૩ જુલાઈ દરમ્યાન ગુજરાતમાં વરસાદ થવાની શકયતા નહિવત છે તેમ જણાવ્યું છે. તા.૨૪મી જુલાઈ-૨૦૨૦ના દિવસે સામાન્ય વરસાદ થઇ શકે છે. કોઇ ભારે વરસાદ થવાની શકયતા જણાતી નથી. તા.૨૫મી જુલાઈ-૨૦૨૦ના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલી વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શકયતા છે. તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શકયતા છે.

કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાલુ વર્ષે તા. ૨૦મી જુલાઈ-૨૦૨૦ સુધીમાં અંદાજીત ૬૪.૨૮ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૫૩.૧૩ લાખ હેક્ટર વાવેતર થયું હતું.

આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૭૫.૭૨% વાવેતર થયું છે. જ્યારે રાજયનાં ૨૦૫ જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ ૨૭૦૬૨૮ એમ.સી.એફ.ટી છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૮.૬૦% છે. હાલમાં વરસાદ ન હોઇ જળાશયોમાં કોઇ નોંધનીય આવક નોંધાયેલ નથી અને હાલમાં કોઇ જળાશય એલર્ટ ૫ર નથી.

July 21, 2020
mask_valve.jpg
1min9220

કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે દેશભરના દરેક રાજ્યોના આરોગ્ય વિભાગોને પત્ર લખીને જણાવ્યું છે કે વાલ્વાવાળા માસ્કની જગ્યાએ નાગરીકો કપડાના બનેલા ત્રણ સ્તર (ત્રિપલ લેયર) માસ્કનો ઉપયોગ કરીને કોરોના સંક્રમણથી બચી શકે છે.

સિમ્બોલિક ફોટો. કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે માસ્ક પર ઉપરોક્ત દર્શાવેલા ફોટો જેવા કોઇપણ પ્રકારના વાલ્વ કે એર ફિલ્ટર લગાડેલા હોય તો એ સંક્રમણને રોકતા નથી પણ ફેલાવી જરૂર શકે છે. આવા માસ્ક નહીં પહેરવા માટે દેશભરમાં જનજાગૃતિ લાવવામાં આવી રહી છે.

હાલમાં વાલ્વવાળા માસ્ક અંગે નાગરીકોમાં ભારે ગેરસમજ પ્રવર્તી રહી છે. ઘણાં લોકો વાલ્વવાળા માસ્કને સુરક્ષિત ગણી રહ્યા છે. ઘણાં ફેશનમાં વાલ્વવાળા માસ્ક પહેરે છે. હકીકતમાં વાલ્વવાળા માસ્ક સંક્રમણને રોકી નહીં પણ ફેલાવી શકે તેટલા જોખમી છે.

વાલ્વવાળા માસ્કમાં જ્યારે એ પહેરનાર વ્યક્તિ શ્વાસ બહાર કાઢે છે ત્યારે વાલ્વ ખુલ્લા થઇ જાય છે અને જો એ પહેરનાર વ્યક્તિ એસિમ્ટમેટિક વાઇરસ કરીયર હોય તો અનેક લોકોને એ સંક્રમિત કરી શકે. આમ વાલ્વવાળા માસ્ક સંક્રમણને રોકતા નથી પણ ફેલાવી જરૂર શકે છે.

દેશના આરોગ્ય મંત્રી ડૉ.હર્ષ વર્ધને ટ્વીટ કરીને અનુરોધ કરવો પડ્યો

કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને વાલ્વવાળા એન-95 માસ્ક પહેરવાની વિરુદ્ધ ચેતવણી જાહેર કરીને જણાવ્યું છે કે, આનાથી વાયરસનો ફેલાવો અટકતો નથી. અને કોવિડ-19 મહામારીને રોકવા માટે લેવામાં આવેલા પગલાની વિરુદ્ધ છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયમાં સ્વાસ્થ્ય સેવા ડિરેક્ટર રાજીવ ગર્ગે રાજ્યોને સ્વાસ્થ્ય અને ચિકિત્સા શિક્ષણ બાબતના પ્રધાન સચિવોને પત્ર લખીને જણાવ્યું છે કે, સામે આવ્યું છે કે સ્વાસ્થ્યકર્મીઓને જગ્યાએ લોકો એન-95 માસ્કનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે, ખાસ કરીને જેમાં વાલ્વ હોય છે. 

તેમણે જણાવ્યું છે કે, તમારા ધ્યાનમાં લાવવામાં આવે છે કે વાલ્વવાળા એન-95 માસ્કો કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલાની વિરુદ્ધ છે કેમકે માસ્ક બહારથી આવતા વાયરસને રોકી શકતો નથી. આને ધ્યાનમાં રાખીને હું તમને અપીલ કરું છું કે તમામ સંબંધિત લોકોને આદેશ આપે કે તેઓ ફેસ/ માઉથ કવરના ઉપયોગનું પાલન કરે અને એન-95 માસ્કના ખોટા ઉપયોગને રોકે. 

Also Read

July 10, 2020
corona_india.jpg
1min5600

દેશમાં કોરોનાના ૯૦ ટકા સક્રિય દરદી મહારાષ્ટ્ર, તમિળનાડુ, દિલ્હી, કર્ણાટક, તેલંગણા, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગુજરાત મળીને ફક્ત ૮ રાજ્યના હોવાની અને ૮૦ ટકા કેસ ૪૯ જિલ્લાના હોવાની વાત કોવિડ-૧૯ માટેના પ્રધાનોના જૂથ (જીઓએમ)ને ગુરુવારે જણાવવામાં આવી હતી.

આ સિવાય, કોરોનાને લીધે મરણ પામનાર કુલ દરદીમાંથી ૮૬ ટકા દરદી છ રાજ્ય – મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, તમિળનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ર્ચિમ બંગાળના છે અને કુલ કેસના ૮૦ ટકા મૃતકો ૩૨ જિલ્લાના હતા.

કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધનની અધ્યક્ષતામાં કોવિડ-૧૯ માટેના જીઓએમએ આ ૧૮મી બેઠક યોજી હતી.

મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે વૈશ્ર્વિક સ્તરે સૌથી વધુ અસરગ્રસ્ત પાંચ દેશોની સરખામણીમાં ભારતમાં દર દસ લાખ વ્યક્તિએ સૌથી ઓછા કેસ (૫૩૮) અને દર દસ લાખ વ્યક્તિએ મરણાંક (૧૫) છે. આ સામે વૈશ્ર્વિક સરેરાશ અનુક્રમે ૧૪૫૩ અને ૬૯.૭નો છે.

કોવિડ-૧૯ માટેની સુવિધા વિશે જણાવાયું હતું કે ગુરુવાર સુધીમાં દેશમાં ૩,૭૭,૭૩૭ આઇસોલેશન બૅડ્સ (આઇસીયુ વગરના), ૩૯,૮૨૦ આઇસીયુ બૅડ્સ અને ૨૦,૦૪૭ વૅન્ટિલેટર્સ સાથે ૧,૪૨,૪૧૫ ઑક્સિજન સાથેના બૅડ્સ ૩૯૧૪ સ્થળે ઉપલબ્ધ છે.

અત્યાર સુધીમાં સરકારે ૨૧.૩ કરોડ એન૯૫ માસ્ક, ૧.૨ કરોડ પીપીઇ કિટ્સ અને ૬.૧૨ કરોડ હાઇડ્રોક્ષિક્લોરોક્વિનની ગોળીઓ લોકોને વહેંચવામાં આવી છે.

આ બેઠકમાં વિદેશ પ્રધાન એસ જયશંકર, સિવિલ ઍવિયેશન પ્રધાન હરદીપસિંહ પુરી, રાજ્ય કક્ષાના સ્વાસ્થ્ય પ્રધાન અશ્ર્વિનીકુમાર ચૌબે અને રાજ્ય કક્ષાના પ્રધાન મનસુખ માંડવીયાએ ભાગ લીધો હતો.

આ સિવાય, નીતિ આયોગના સભ્ય ડૉ. વિનોદ પોલે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં ભાગ લીધો હતો. દેશમાં કોરોના વાઈરસનો રોગચાળો ઝડપથી વધી રહ્યો છે. લોકડાઉન ધીરે ધીરે ખોલીને આર્થિક પ્રવૃત્તિ ફરી શરૂ કરવા સરકાર બનતા પ્રયાસ કરી રહી છે. આમ છતાં, દેશમાં મોટાભાગના વ્યાપાર ધંધા ઠપ થયેલા છે.

July 9, 2020
covid_cia.jpg
1min5200

ભારતમાં રોજેરોજ નવા વિક્રમો સર કરી રહ્યા છે. તા.8મી જુલાઇના એક જ દિવસના સમયમાં કોરોનાના નવા 25હજારથી વધુ કેસો ભારતમાં પહેલીવાર નોંધાયા છે. તા.8મી જુલાઇના 24 કલાક દરમિયાન ભારતના કુલ નવા કેસની સંખ્યા 25,230 નોંધાઇ છે. આ જ દિવસે વધુ 400 કોરોના દર્દીઓના મોત સાથે કોરોનાના કારણે મોતને ભેટેલા લોકોની સંખ્યા 21,000ને પાર થઈ હતી.

વિતેલા સપ્તાહમાં કોરોનાએ લગભગ દરરોજ નવા કેસનો રેકોર્ડ બનાવીને ભારતને પરેશાન કરી મૂક્યું છે. પાછલા કેટલાક દિવસથી દેશમાં કોરોના વાયરસના કેસની તપાસ માટે કરાતા ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કરાયો છે. રવિવારે 1.8 લાખના, સોમવારે 2.41 લાખના અને મંગળવારે 2.62 લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

પાછલા 24 કલાકની અંદર 493 લોકોના કોરોના વાયરસથી મોત નોંધાયા છે. 4 જુલાઈના દિવસે 608 લોકોના મોત નોંધાયા બાદ બીજા નંબરે સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. આ સાથે ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુ 21,122 થઈ ગયા છે.

ભારતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 7,68,322 પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે, 2 દિવસ અગાઉ જ આંકડો 7 લાખ પર પહોંચ્યો હતો. જ્યારે 4,75,849 લોકો સ્વસ્થ થઈ ગયા છે અને તેમની ટકાવારી 62% છે.

મંગળવારે 5,134 કેસ સાથે મહારાષ્ટ્રમાં થઈ રહેલા ઉછાળામાં ઘટાડો આવ્યા બાદ બુધવારે 6,603 કેસ પોઝિટિવ આવ્યા. આ સાથે કુલ કેસનો આંકડો 2,23,724 થયો છે, અને 198ના મોત નોંધાયા છે. કુલ મૃત્યુઆંક 9,448 પર પહોંચ્યો છે. જ્યારે મુંબઈમાં 12મી મેના રોજ મુંબઈમાં 785 કેસ નોંધાયા હતા તે પછી બીજા નંબરે સૌથી ઓછા કેસ બુધવારે 1,347 નોંધાયા છે.

તામિલનાડુમાં બીજા નંબરે સૌથી વધુ 3,756 કેસ નોંધાયા છે. જ્યારે 64ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,700 થયો છે. ચેન્નાઈમાં સતત 5માં દિવસે 2,000 કરતા ઓછા કેસ નોંધાયા છે, બુધવારે 1,261 લોકો પોઝિટિવ આવ્યા.