CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 11 of 41 - CIA Live

May 8, 2020
gujrat-012.jpg
1min4750

ગુજરાતના જે લોકો અન્ય રાજ્યોમાં ફસાયા હતા તેમને પરત લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૨૯૫૪૦ લોકોને પરત લાવવામાં આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાંથી ૧૫૫૨૩, રાજસ્થાનમાંથી ૪૨૫૨, યુપીથી ૧૪૧૨, મધ્યપ્રદેશમાંથી ૧૫૯૦, કર્ણાટકમાંથી ૧૧૩૮, તમિલનાડુમાંથી ૬૦૪ સહિતના રાજ્યમાંથી લોકોને પરત લાવવામાં આવ્યા છે. જ્યારે ગુજરાતમાંથી પરપ્રાંતના ૮૦ હજારથી વધુ લોકોને પણ તેમના વતનમાં મોકવામાં આવ્યા છે, એવું મુખ્ય પ્રધાનના અગ્ર સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, પરપ્રાંતિયોને પોતાના વતન રાજ્ય પહોંચાડવા માટે રાજ્યમાંથી ગઇકાલ સુધીમાં ૬૭ ટ્રેનોના માધ્યમથી ૮૦૪૦૦ જેટલા શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. જેમા યુપી, બિહાર, ઝારખંડ અને ઓડિશાથી આવે છે તેમને મોકલવામાં આવ્યા છે. વધુ ૩૪ ટ્રેનોના માધ્યમથી યુપી, બિહાર, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ અને છત્તિસગઢના લોકોને મોકલવાની તૈયારી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. યુપીની ૨૦, ઓડિશાની ૫, બિહાર ૪, ઝારખંડ ૨, મધ્ય પ્રદેશ ૨ અને છત્તિસગઢ માટે ૧ ટ્રેન રાજ્યના અલગ અલગ શહેરોથી રવાના થશે. જે પૈકી સુરતમાંથી ૧૨, અમદાવાદ અને વિરમગામથી ૩-૩, રાજકોટથી ૨, મોરબીથી ૩, વડોદરાથી ૩, જામનગરથી ૨, નડિયાદ, જૂનાગઢ, મહેસાણા, પાલનપુર, ભરૂચ અને ગોધરાથી પણ ટ્રેનો રવાના થશે.

May 8, 2020
yogi.jpg
1min5950

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકડાઉનને કારણે અન્ય રાજ્યોમાં ફસાયેલા ઉત્તરપ્રદેશના મજૂરોની સૂચિ માંગી છે અને ખાતરી આપી છે કે તે બધાને ઘરે પાછા લાવવામાં આવશે.

આદિત્યનાથે કહ્યું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં ૩૭ ટ્રેનો આવી ચુકી છે, જેમાં ૩૦,૦૦૦ મજૂરો આવ્યા છે. ગયા અઠવાડિયે હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશના ૩૦,૦૦૦ થી વધુ મજૂરો બસોમાં પહોંચ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું. માર્ચના છેલ્લા અઠવાડિયામાં ૪.૫ લાખ પરપ્રાંતીય મજૂર ઉત્તર પ્રદેશ લાવવામાં આવ્યા હતા.

૧ માર્ચથી ૧૫ માર્ચની વચ્ચે રાજ્યમાં બે લાખ મજૂરો પહોંચ્યા છે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. આદિત્યનાથે જણાવ્યું હતું કે, “ઉત્તરપ્રદેશ સરકાર તેના તમામ પરપ્રાંતિય મજૂરોને અન્ય રાજ્યોથી પરત લાવવાનો ઇરાદો ધરાવે છે અને આ માટે તેઓની પાસે જિલ્લાવારની સૂચિ માંગવામાં આવી છે. તેમણે કહ્યું, “જે રાજ્યો સૂચિ આપી રહ્યા છે, અમે તરત જ તેમને (સ્થળાંતર કરનારા) પાછા લાવવા પગલાં લઈ રહ્યા છીએ. યોગીએ ગુરુવારે કહ્યું કે, ૨૦ ટ્રેનો ઉત્તરપ્રદેશમાં અન્ય રાજ્યોથી સ્થળાંતર કરનારા મજૂરો સાથે આવી રહી છે જ્યારે શુક્રવારે ૨૫ થી ૩૦ ટ્રેનો આવશે. તેમણે કહ્યું, ‘ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમની ૧૦,૦૦૦ થી વધુ બસોને તેમના ઘરે લઈ જવા માટે તહેનાત કરવામાં આવી છે.’ અન્ય રાજ્યોથી આવતા બધા માટે તબીબી તપાસ અને ક્વૉરન્ટાઈન કેન્દ્રો માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, અને તેમને ફૂડ પેકેટ અને રૂ ૧૦૦૦ આપવામાં આવશે.

આદિત્યનાથે જણાવ્યું હતું કે, રાજ્ય મજૂરોનો “સ્કીલિંગ ડેટા પણ તૈયાર કરી રહ્યું છે જેથી તેમને તે યોગ્યતા પ્રમાણે નોકરી આપી શકાય.

May 6, 2020
harshvardhan.jpg
1min6070

દેશના આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને દાવો કર્યો હતો કે દેશમાં હાલમાં કોવિડ-૧૯ (કોરોના વાઇરસ)ના રોગચાળાનું ‘કમ્યૂનિટી ટ્રાન્સમિશન’ નથી થતું અને કોરોનાના દરદીઓ વધવાનો દર ઓછો થઇ રહ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે રોગચાળાને લીધે લોકો આરોગ્ય પ્રત્યે વધુ સજાગ બન્યા છે અને હાથ સહિતના શરીરને વધુ ચોખ્ખું રાખી રહ્યા છે, શ્ર્વાસોચ્છ્વાસ પ્રત્યે સરખું ધ્યાન આપી રહ્યા છે અને વાતાવરણને સ્વચ્છ રાખવાની કોશિશ કરી રહ્યા છે. આ બાબત હવે તેઓ માટે રોજિંદા જીવનનો ભાગ બની જશે અને તેને લીધે ભવિષ્યમાં રોગચાળો નહિ ફેલાય. તેમણે જણાવ્યું હતું કે કોરોના વાઇરસના રોગચાળા દરમિયાન ‘મૅક ઇન ઇન્ડિયા’ને વેગ મળ્યો છે. દેશમાં પર્સનલ પ્રૉટેક્શન ઇક્વિપમેન્ટ, એન-૯૫ અને અનેક દવાનું હવે મોટા પાયે ઉત્પાદન કરાઇ રહ્યું છે. હૉસ્પિટલો અને અન્ય આરોગ્ય સેવા કેન્દ્રો ખાતે સુવિધા વધારાઇ છે.

હર્ષ વર્ધને કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા દેશમાં અનેક ઠેકાણે દારૂની દુકાનો ખોલવા અપાયેલી પરવાનગીને લીધે ઘણાં રાજ્યમાં ઊભી થયેલી અંધાધૂંધીનાં સંબંધમાં ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ પરિસ્થિતિ જલદી થાળે પડવાની આશા વ્યક્ત કરી હતી.

May 2, 2020
lockdown012.jpg
1min5340

કેન્દ્ર સરકારે ૪થી મે બાદ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનમાં વધુ બે સપ્તાહનો વધારો કરવાની શુક્રવારે સાંજે જાહેરાત કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જણાવ્યું હતું કે લૉકડાઉનની સ્થિતિની સઘન સમીક્ષા કરવામાં આવી હતી અને એના પરિણામો ઘણાં સકારાત્મક જણાયાં છે. વધુ બે સપ્તાહનું લૉકડાઉન ૪થી મેથી શરૂ થશે અને આ વખતે લૉકડાઉન દરમિયાન અનેક જિલ્લાઓમાં વધારાની છૂટ આપવામાં આવશે.

કોવિડ-૧૯ વિશેની નવી ગાઇડલાઇન્સ શુક્રવારે જાહેર કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધીના લૉકડાઉનનું પરિણામ ધોવાઇ ન જાય એ માટે ૩જી મે સુધી પ્રતિબંધોનું સખત રીતે પાલન કરવું જરૂરી છે. ૧૭ મે સુધી રેલવે, વિમાની અને મેટ્રો સેવા પણ બંધ રહેશે. શાળાઓ અને કોલેજો, કોચિંગ કલાસિસ, હોટલ અને રેસ્ટોરન્ટ સહિતની હોસ્પિટલિટી સર્વિસીસ, રાજકીય અને સાંસ્કૃતિક મેળાવડો, ધાર્મિક સ્થળો, શોપિંગ મોલ, જિમખાનાઓ અને સિનેમા હોલ વિગેરે બંધ રહેશે.વિશેષ હેતુ માટે અને ગૃહ મંત્રાલયે જે હેતુ માટે પરવાનગી આપી છે તે માટે લોકોની અવરજવર વિમાની, રેલવે અને રોડ દ્વારા થઈ શકશે.

April 29, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5070

કોરોના સુપર સ્પ્રેડરથી બચો, સુપર સ્પ્રેડરમાં દૂધ-શાક-કરીયાણા વિક્રેતાઓ

હાલ કોરોનાનો વ્યાપ વિસ્તાર ગુજરાતના ચાર મહાનગરોમાં કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. તેમાં કોરોનાના ફેલાવા માટે કેટલાક સુપર સ્પ્રેડર આઇડેન્ટીફાય કરવામાં આવ્યા છે. જોકે, સુપર સ્પ્રેડરની કોઇ નિર્ધારિત વ્યાખ્યા નથી પરંતુ, જે હાલ લૉકડાઉનના સમયમાં પણ સૌથી વધુ લોકોના સંપર્કમાં આવે છે અને તેઓ કોરોના પોઝીટીવ મળે તો તેમને સુપર સ્પ્રેડર ગણવામાં આવી રહ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અઠવાડિયામાં કોરોના સુપર સ્પ્રેડર્સનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 7 દિવસમાં 115 જેટલા સુપર સ્પ્રેડર્સને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ છેલ્લા અઠવાડીયા દરમિયાન અમદાવાદમાંથી જ 115 જેટલા સુપર સ્પ્રેડર એટલેકે દૂધ, શાકભાજી વેચતા ફેરીયાઓ તેમજ કરીયાણાની દુકાનોમાં કામ કરતા લોકો કોરોના પોઝીટીવ હોવાનું નિદાન થતાં તેમના સંપર્કમાં આવેલા હજારો લોકો ભયભીત બની ગયા છે.

શાકભાજી વિક્રેતા, દૂધ વિક્રેતા, કરિયાણા વિક્રેતા અને એવા લોકો જે વારંવાર અન્ય લોકોના સંપર્કમાં આવતા હોય તે તમામનો સુપર સ્પ્રેડર્સમાં સમાવેશ કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા 2000 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી 115 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ દર્દીઓમાંથી અન્ય લોકોમાં કોરોનાનું ટ્રાન્સમિશન વધી રહ્યું હોય તેવી પ્રબળ શક્યતા છે. અમુક વિસ્તારોમાં લોકો શાકભાજી ખરીદવાનું ટાળી રહ્યાં છે. આ ઉપરાંત ઘરે-ઘરે જઈને દૂધનુ વેચાણ કરતા વ્યક્તિને પણ સોસાયટી દ્વારા પ્રવેશ પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે.

સૂરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં લૉકડાઉન સમયે પણ છાશવારે નાની મોટી વસ્તુઓ લેવા કરીયાણાની દુકાનો, શાકભાજી વિક્રેતાઓ કે દૂધની ડેરીઓ પર ભીડ જમાવતા લોકો માટે આ બાબત સૌથી ખતરનાક બની શકે તેમ છે. લોકોને સુપર સ્પ્રેડરથી દૂર રહેવા તેમજ શક્ય એટલી ઓછી વખત ઘરની બહાર નીકળવા માટે ભારપૂર્વક જણાવવામાં આવી રહ્યું છે.

April 19, 2020
unlogo.jpg
1min6090

કોરોના મહામારી વિરુદ્ધ વિશ્વવ્યાપી જંગમાં અગ્રણી ભૂમિકા ભજવવા બદલ સંયુક્ત રાષ્ટ્રએ ભારતની પ્રશંસા કરી છે. યૂએન ચીફે જણાવ્યુ કે, વૈશ્વિક સંકટના સમયે સક્ષમ દેશોએ અન્ય દેશોની મદદ કરવી જોઇએ. 

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે કોરોના વિરુદ્ધ લડાઇમાં અસરકારક દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન(HCQ)ને ભારચ વિશ્વના 55 દેશોને આપવાની પ્રક્રિયા કરી રહ્યુ છે. HCQને અમેરિકાની એફડીએ, દવા નિયામક સંસ્થાએ કોવિડ-19ની સારવારમાં ઉપયોગી દવા તરીકે દર્શાવી છે. આ દવાનો ન્યૂયોર્કમાં 1500થી વધારે કોરોના દર્દીઓ પર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ભારતમાં આ દવાનો ઉપયોગ મલેરિયાની સારવારમાં કરવામાં આવે છે. 

આ સંકટની ઘડીમાં ભારત અમેરિકા સહિત અનેક દેશોને HCQ દવા પૂરી પાડી રહ્યો છે. વૈશ્વિક કોરોના મહામારીમાં ભારત દ્વારા અન્ય દેશોને મોકલવામાં આવી રહેલી દવાઓ અને અન્ય સામગ્રીઓ માટે પણ ગુટરેસે ભારતની પ્રશંસા કરી હતી.

દુનિયાભરમાં કોરોના વાયરસના ફેલાવા પછી આ દવાની માંગ વધી છે. આ પહેલા ભારત આ દવાની નિકાસ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય પર વિચાર કરી રહ્યુ હતું, પરંતુ વિશ્વસ્તરે કોરોના કેસો વધતા તેની વધતી જરુરિયાતને ધ્યાનમાં રાખી ભારતે પ્રતિબંધ હટાવી લીધો હતો.  

અમેરિકા, મોરેશીયસ, સેશેલ્સ જેવા દેશોને ભારત આ દવાનો પહેલો જથ્થો મોકલી ચૂક્યુ છે. જ્યારે અન્ય દેશો સુધી પણ આગામી દિવસોમાં દવા પહોંચી જશે. ભારત તેના પડોસી દેશો અફઘાન, ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, માલદીવ, શ્રીલંકા અને મ્યાનમાર જેવા દેશોને આ દવા મોકલવાની પ્રક્રિયા કરી રહ્યુ છે. 

April 19, 2020
whologo.jpg
2min4660

કોરોના મહામારીને લઇને પૂરી દુનિયામાં આતંક છવાયો છે. આવા સમયમાં ભય અને અફવાઓનું પ્રમાણ વધી જતું હોય છે. મને કોરોના હશે કે નહીં ત્યાંથી માંડીને જેમને કોરોના લાગુ પડ્યો છે તેમના નિકટના સ્વજનોને સતત એ વિચારો આવતા હોય છે કે અમારા સ્વજન સાજા થશે કે નહીં. જેની દવા હજું શોધાઇ નથી તે બીમારી ઘરના દ્વાર ખટખટાવી રહી હોય ત્યારે ભલભલા લોકો વહેમના વમળમાં ફસાઇ જતા હોય છે. આવા સમયમાં ભાતભાતના પ્રશ્ર્નો અને શંકા-કુશંકાઓ ઊઠે એ સ્વાભાવિક છે.

આવા સંજોગોમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ટ્વિટર મારફતે વિશ્ર્વના લાખો લોકોના પ્રશ્ર્નોનો અધિકૃત રીતે ઉત્તર આપે છે એ તમારે પણ જાણી લેવા જોઇએ. બની શકે કે નીચે આપેલ માહિતીમાં તમારા પણ કોઇ પ્રશ્ર્નનો ઉત્તર કે કોઇ શંકાનું સમાધાન મળી આવે.

  • તમારે અને તમારા કુટુંબે આ ચેપથી બચવું હોય તો સમાંતરે સાબુથી હાથ ધોતા રહેવું જોઇએ. બે વ્યક્તિ વચ્ચે કમસેકમ ૧ મીટર અર્થાત્ ૩ ફૂટનું અંતર હોવું જરૂરી છે. પણ અફસોસની વાત તો એ છે કે આજે પણ લોકો બેન્કમાં કે કરિયાણાની દુકાનમાં જાય છે ત્યારે આ નિયમોનો સરેઆમ ભંગ કરે છે.
  • ઘણા યુવાનોના મનમાં એવી વાત ઘૂસી ગઇ છે કે આ બીમારી તો ફક્ત વૃદ્ધોને જ લાગુ પડે છે, પણ એ સરાસર જૂઠ છે. કોરોના, વૃદ્ધો કે પછી જે લોકો હૃદયની બીમારી, ડાયાબિટીસ કે અસ્થમાના દર્દીઓ હોય તેમને લાગુ પડવાની શક્યતા વધુ છે, પણ એથી કંઇ યુવાનોને માથે આ બીમારીનું જોખમ જરાય ઓછું નથી થતું. ઘણા યુવાનો કંઇ અર્જન્ટ કામ ન હોય તો પણ સ્કૂટર લઇને રસ્તા પર નીકળી પડતા હોય છે તેમણે ચેતી જવાની જરૂર છે. આ રોગના ભરડામાં આબાલવૃદ્ધ સહુ કોઇ ફસાઇ ચૂક્યા છે.
  • ઘણા લોકોને ચેપ લાગુ પડે, પણ કોરોનાના કોઇ લક્ષણો જેમ કે સૂકી ઉધરસ, ગળામાં ખર્રાશ, તાવ કે પછી શ્ર્વાસ લેવામાં તકલીફ પડે- આમાનું કાંઇ થતું નથી. એક સારા સમાચાર એ છે કે મોટા ભાગના કેસમાં એટલે કે ૮૦ ટકા લોકોમાં ચેપ લાગવા છતાંય તેઓ સાજા નરવા રહે છે અથવા ઝડપથી સાજા થઇ જાય છે. બની શકે કે તેમના શરીરની પ્રતિકારશક્તિ આ કોવિડ-૧૯ નામના વિષાણુઓને મારી નાખતી હોય. એટલે મનમાં ભય લાવ્યા વિના શરીરની પ્રતિકારશક્તિ વધે એવા પ્રયત્નો કરવા જોઇએ.
  • અમારા દેશમાં બહોળી સંખ્યામાં ટેસ્ટિંગની કિટ નથી કે પૂરતી દવાઓ નથી એવો ભય ન રાખવો કે ખોટો ઊહાપોહ ન કરવો. આ ઓર્ગેનાઇઝેશન દરેક જોઇતી દવાઓ અને સાધનોનું ઉત્પાદન દુનિયાની વિવિધ કંપનીઓ પાસે કરાવે છે અને સઘળા દેશોમાં યોગ્ય વિતરણ થાય તેનું ધ્યાન રાખે છે.
  • ઘણા લોકો કસરત કરવા અંગે પ્રશ્ર્નો પૂછે છે. તેમને સંસ્થા કહે છે કે, અમે આવી પ્રવૃત્તિ માટે પુખ્ત વયના લોકોએ અડધો અને બાળકોએ એક કલાક ફાળવવો એવી ભલામણ કરીએ છીએ. જો બહાર નીકળવા મળતું હોય તો ચાલવા કે દોડવાની કસરત કરવી જોઇએ. અન્યથા ઘરની અંદર જ કસરત કે પછી નૃત્ય,યોગ કે પ્રાણાયામ જેવી પ્રવૃત્તિઓ કરી શકાય.
  • જીવનાવશ્યક ચીજોની કોઇ કમી નથી. એ મળતી જ રહેવાની છે એટલે ધીરજ રાખવી. ખોટી ઉતાવળ કરવી નહીં. ઘરમાં માલસામાનનો અતિ સંગ્રહ કરવો નહીં. અન્યની જરૂરતો પર પણ ધ્યાન આપવું.
  • ઘણા લોકો એમ વિચારે છે કે જેમ જેમ ગરમી વધતી જશે તેમ તેમ આ બીમારી ઘટતી જશે. જોકે, તેના કોઇ પુરાવા મળ્યા નથી. વધુ ગરમી હોય તેવા દેશોમાં પણ આ બીમારી ફેલાતી જાય છે.
  • આ વિષાણુઓથી મુક્તિ મેળવવા કપડાને કોઇ વિશેષ રીતે ધોવાની જરૂર છે કે સાધારણ ધોલાઇથી કામ ચાલી શકે એવા પ્રશ્ર્નો પણ ઘણા લોકોના મનમાં ઘૂંટાતો હોય છે. તેમને એટલું જ કહેવાનું કે ઘરના ડિટર્જન્ટ કે સાબુ કપડાંની ધુલાઇ માટે પૂરતા છે. હા પાણી ગરમ હોય તે લાભકારક છે.
  • ઘણા લોકોના મનમાં એવી માન્યતા હોય છે કે માસ્ક પહેરેલો હોય ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ કડકાઇથી ન પાળીએ તો ચાલે, પણ હૂ નામની સંસ્થા કહે છે કે માસ્ક પહેર્યો હોય છતાંય ઓછામાં ઓછું એક મીટરનું અંતર રાખવું ફરજિયાત છે. અને હા, વારંવાર સાબુથી હાથ ધોવાનું પણ ભૂલશો નહીં.
  • આ ચેપવિરોધી રસી ક્યારે પ્રાપ્ત થશે એવા પ્રશ્ર્નનો પણ ઉત્તર આપતા હૂ કહે છે કે કેટલાક વર્ષ લાગી શકે. હા, આ વાઇરસ દેખાયા તેના બે મહિનાની અંદર જ તેની રસી બનાવવાનું કામ શરૂ થઇ ગયું છે.
  • આવા સમયમાં માનસિક શાંતિ મળે તે માટે શું કરવું જોઇએ તે પ્રશ્ર્નનો ઉત્તર આપતા કહે છે કે સંગીત સાંભળવું કે પુસ્તકો વાંચવા જેવા રચનાત્મક કાર્યો કરવા. વારંવાર કોરોનો બીમારીને લગતા સમાચારો જોવા કે સાંભળવા નહીં.

આ મુદ્દો ખૂબ મહત્ત્વનો છે. નિરાશાજનક સમાચારો સાંભળીને આપણું મન ક્ષુબ્ધ બની જાય છે. ચિંતા કરવા માંડે છે. અંતરમાં ભય ઘૂસી જાય છે.

એક નિષ્ણાતે સાચું જ કહ્યું છે કે કોઇ બીમારી કરતાં એના ભયથી વધુ મોત થતાં હોય છે. માટે નિર્ભય બનો. સરકારી અને તબીબી માર્ગદર્શિકાનું પાલન કરો. સમયનો સદુપયોગ રચનાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં કરો.

April 18, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5690

167 વર્ષે પહેલી વાર બન્યું : સ્થાપના દિને એકેય ટ્રેન દોડાવી શક્યું નહીં રેલવે

ગઇ તા.16મી એપ્રિલ વિશ્વના સૌથી મોટા રેલવે તંત્ર ગણાતા ભારતીય રેલવેનો સ્થાપના દિન હતો. 167 વર્ષનો ઇતિહાસ ધરાવતા ભારતીય રેલવે તંત્રના સ્થાપના દિવસે કમનસીબે હાલ ચાલી રહેલા લૉકડાઉનને કારણે એક પણ ટ્રેન દોડાવી શક્યું નહીં કે પોતાનો સ્થાપના દિન ઉજવી શક્યું નહી. દૈનિક કરોડો લોકોને પોતાના મુકામ પર પહોંચાડતા ભારતીય રેલનું નેટવર્ક વિશ્વમાં સૌથી મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માનવામાં આવે છે.

કોરોના વાઈરસની મહામારીને કારણે રેલવેએ ૨૫ માર્ચથી ત્રીજી એપ્રિલ સુધી એક પણ ટ્રેન નહીં દોડાવવાનો નિર્ણય લીધો હતો. બાદમાં લૉકડાઉન 2.0 ને પગલે હવે તા.3જી મે સુધી તમામ ટ્રેન રદ કરી દેવામાં આવી છે. રેલવે દૈનિક ધોરણે ૧૫,૫૨૩ ટ્રેન દોડાવે છે, જેમાં ૩૦૦૦ મેલ-એક્સ્પ્રેસ તથા ૯૦૦૦ જેટલી પેસેન્જર ટ્રેન તથા અન્ય ટ્રેનોનો સમાવેશ થાય છે.

કોરોના વાઈરસના વધતા ચેપને કારણે કેન્દ્ર સરકારે લૉકડાઉન 2.0ની ઘોષણા કરતા વધુ ૨૧ દિવસ એટલે કે તા.3જી મે સુધી તમામ ટ્રેનો રેલવે દ્વારા રદ કરી દેવાની ઘોષણા કરવામાં આવી છે. લૉકડાઉન 2.0માં ગત ગુરુવારે (૧૬ એપ્રિલના) ભારતીય રેલવેનો જનમદિવસ હતો, પરંતુ ૧૬૭ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત એક પણ પેસેન્જર ટ્રેન દોડાવાઈ નહોતી. ૧૬ એપ્રિલ ૧૮૫૩ના રોજ મુંબઈ(એ જમાનામાં બોરીબંદરથી તાના વચ્ચે)થી થાણે વચ્ચે સૌથી પહેલી ટ્રેન દોડાવાઈ હતી, એવું અધિકારીએ જણાવ્યું હતું.

રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું. ગુરુવારે ભારતીય રેલવેમાં સૌથી પહેલી ટ્રેન દોડાવવામાં આવી એના જન્મદિવસ નિમિત્તે રેલવે શુભેચ્છા તો વ્યક્ત કરી હતી, પરંતુ અફસોસ વ્યક્ત કરતા પણ જણાવ્યું હતું કે ભારતીય રેલવેના ૧૬૭ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત એક પણ ટ્રેન દોડાવી શક્યા નથી. એ પણ લોકોના હિત અને રક્ષણ માટે, તેથી સૌને ઘરમાં સુરક્ષિત રહેવાની પણ અપીલ કરી હતી

April 17, 2020
gold2.jpg
1min5550

સોનાનો ભારત વિશ્વનો સૌથી મોટો બીજો આયાતકાર દેશ છે. હાલ પ્રવર્તમાન કોરોના વાયરસના કારણે જાહેર કરાયેલા લોકડાઉનના લીધે સોનાની માગમાં ઘટાડો થયો છે આમ છતાં ભારતમાં સોનાના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. ગુરુવાર તા.16મી એપ્રિલે 10 ગ્રામ સોનાનો ભાવ 47,250 રૂપિયાની ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો હતો. ભારતમાં સોનાનો આ ભાવ ઓલ ટાઈમ હાઈ બન્યો છે. આગામી દિવસોમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 50 હજારની સપાટીને પણ વળોટી જાય તેવી શક્યતાઓ જોવાય રહી છે.

ભારતમાં દેશવ્યાપી લોકડાઉનના કારણે ફિઝિકલ માર્કેટમાં સોનાનો વેપાર બંધ છે. પરંતુ કોમોડિટી ફ્યુચર્સ એક્સચેન્જ પર કામકાજ સોદાઓ થઇ રહ્યા છે.

જાણકારોનું કહેવું છે કે ગ્લોબલ લિક્વિડિટી, આર્થિક અનિશ્ચિતતા અને રૂપિયાના અવમૂલ્યન સહિતાના પરિબળોના કારણે ભાવમાં 30થી 35 ટકાનો વધારો થઈ શકે છે. 2019ના જુલાઈ મહિનાને સોનામાં હાલની તેજીની શરૂઆત તરીકે લઈ શકાય છે, જ્યારે કિંમત આશરે 32,200 રૂપિયા હતી. હવે, 10 મહિના કરતાં પણ ઓછા સમયમાં ભાવમાં 46 ટકાનો વધારો થયો છે. તેમાં હજુ 35 ટકાનો વધારો થતાં સોનાનો ભાવ 64 હજાર રૂપિયાના સ્તરે પહોંચી શકે છે.

April 17, 2020
coronaguj-1280x875.jpg
7min11350

1000 પ્લસ કેસો ધરાવતું ભારતનું છઠ્ઠુ રાજ્ય બન્યું ગુજરાત ગુજરાતમાં પહેલો કેસ 18 માર્ચે આવ્યો હતો એક મહિનામાં આંકડો 1127

કોરોના પોઝીટીવ કેસોની 1000 કરતા વધુ દર્દીઓ ધરાવતા ભારતના રાજ્યોમાં ગુજરાત 6ઠ્ઠુ રાજ્ય બન્યું છે. ભારતમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 1000 પ્લસ કેસો નોંધાઇ ચૂક્યા છે હવે ગુજરાત પણ 1000 પ્લસ કોરોના કેસો ધરાવતા ભારતના રાજ્યોમાં છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે.

ગુજરાતમાં ૧૮મી માર્ચથી એક કેસ સાથે શરૂ થયેલા કોરોના વાઈરસનું સંક્રમણ ૧૭મી એપ્રિલે ૧૦૦૦ કેસની ઉપર પહોંચી ગયું છે તેમ જ ૩૮ દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં શરૂઆતમાં રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગર જિલ્લાઓ પુરતો સીમિત રહેલો કોવિડ-૧૯ ૨૫ જિલ્લા સુધી પ્રસરી ગયો છે.

ગુજરાતમાં કોરોનાએ ધીમે ધીમે તેની પકડ વધારે મજબૂત કરી છે. એક અઠવાડિયા પહેલાની સ્થિતિને વર્તમાન સ્થિતિ સાથે સરખાવવામાં આવે તો કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા ત્રણ ગણી વધી છે. એટલું જ નહીં એક અઠવાડિયામાં મોતની સંખ્યા પણ બે ગણી થઈ છે.

તા.17મી એપ્રિલ 2020ના રોજ રાત્રે 8 કલાકની સ્થિતિએ રાજ્યના આઠ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ૭૪ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યના ૩૩માંથી કુલ ૨૫ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે.

૧૦મી એપ્રિલ બાદ ગુજરાતના વધુ છ જિલ્લામાં કોરોના વાઈરસ ફેલાયો છે. જ્યારે કુલ આઠ જિલ્લામાં કોરોના વાયરસનો કોઈ જ કેસ નોંધાયો નથી. આ જિલ્લામાં નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, જૂનાગઢ, તાપી, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.

કોરોનાથી થયેલા મોતના આંકડા પર નજર નાખીએ તો અમદાવાદ જિલ્લામાં કોરોનાને કારણે સૌથી ૧૮ મોત નોંધાયા છે. જ્યારે સુરતમાં પાંચ, વડોદરામાં છ, ગાંધીનગરમાં એક, ભાવનગરમાં ત્રણ, કચ્છમાં એક, પંચમહાલમાં એક, પાટણમાં એક, જામનગરમાં એક અને બોટાદમાં એકનું મોત થઇ ચૂક્યાં છે.

ગુજરાતમાં પણ કોરોનાનો પ્રકોપ વધતાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 1099એ પહોંચી છે. જ્યારે ગુજરાતમાં તા.17મી એપ્રિલે 3 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 41એ પહોંચ્યો છે.

તા.17મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે અમદાવાદમાં 32 અને સુરતમાં 38 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરાના નાગરવાડા જે હોટસ્પોટ તરીકે સામે આવ્યું છે. તેમાં પણ પાંચ કેસ તથા બનાસકાંઠામાં 3 નવા કેસ મળીને કુલ 78 કેસ નવા સામે આવ્યાં હતાં.

અત્યાર સુધીમાં કુલ 1099 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 963 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે 9 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાતના કુલ 33 જિલ્લામાંથી હવે 25 જિલ્લામાં કોરોનાએ પોતાનો પગપેસારો કર્યો છે.

ગુજરાતમાં રાજ્યમાં કુલ 13689 લોકો હોમ ક્વોરન્ટીનમાં છે. જ્યારે 2054 લોકો સરકારી ફેસિલીટીમાં ક્વોરન્ટીનમાં છે. આ ઉપરાંત 171 પ્રાઈવેટ ક્વોરન્ટીનમાં છે. જેથી કુલ 15914 લોકો ક્વોરન્ટીનમાં છે.

સુરતમાં એક દર્દીથી ૨૪ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો: માનદરવાજા હોટસ્પોટ બન્યું

કોરોનાના દર્દીનું હોટ સ્પોટ બની ગયેલા માન દરવાજા ટેનામેન્ટમાં એક પછી એક પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં માનદરવાજા ટેનામેન્ટમાં જ ૧૯ પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. જેમાં એક વ્યક્તિના સંપર્કમાં આવતા ૨૪ જેટલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે શહેરમાં શુક્રવારે તા.18મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે સુધીમાં નવાં 25 કેસ નોંધાતા હવે કોરોના પોઝિટિવ કેસનો આંકડો 125ને પર પહોંચ્યો હતો.

શહેરમાં કોરોના સંક્રમણની ભયાવહ તસ્વીર સામે આવી રહી છે. કોરોના પોઝિટિવ દર્દીના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી સેમ્પલ લેવામાં આવતા ૨૪ લોકોને કોરોના પોઝિટિવ નીકળ્યો હતો. માનદરવાજામાં રહેતા રમેશ રાણા (ઉં.વ.૫૪)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ એ જેટલા લોકોના સંપર્કમાં આવ્યા હતા એ બધા જ કોન્ટેક્ટ ટ્રેસ કરી સેમ્પલો લેવામાં આવતા ૨૪ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોરોના સંક્રમણની સુરતની અત્યાર સુધીની સહુથી લાંબી ચેઈન સામે આવી છે. રમેશચંદ્ર રાણા દ્વારા ટેનામેન્ટ ઉપરાંત બહારના મળી કુલ ૨૪ લોકોને સંક્રમણ થયું છે. આ ઉપરાંત પણ નિર્મલાબેન રાણા નામની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે માન દરવાજા ટેનામેન્ટમાં જ રહે છે અને સ્કૂલમાં બનાવાયેલા રાહત કેન્દ્રમાં રોજ ભોજન માટે જતી હતી. મહિલાના કોન્ટેક્ટ પણ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત રાંદેરના મૃતક પોઝિટિવ અહેસાન ખાનના સંપર્કમાં આવેલા છ જેટલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં હૉસ્પિટલના ચાર જેટલા કર્મીઓનો પણ સમાવેશ થાય છે. અહેસાન ખાનને એમ્બ્યુલન્સમાં લોખાત હોસ્પિટલ લઈ જનાર, અહેસાન ખાનની સોસાયટીના વોચમેનને ચેપ લાગ્યો હતો. ત્યારબાદ એમ્બ્યુલન્સના રૂમ પાર્ટનર અને હૉસ્પિટલના ત્રણ કર્મચારીને ચેપ લાગ્યો હતો.

ભારત સ્ટેટવાઇઝ 18 એપ્રિલ સવારે 10 વાગ્યે

  • Cases : 14,378
  • Deaths : 480
  • Recovered : 1,992
  • Active Cases : 11,906
STATECaseDeathRecover
MH3323201331
DL17074272
TN132315283
MP13106969
RJ122911183
GJ10994186
UP8491482
TG76618186
AP5721436
KL3963255
KA3591389
JK328542
WB2871055
HR225343
PB2021327
BR83237
OR60119
UK4009
CG36024
HP36116
AS3515
JH3320
CH2109
Leh18014
AN12011
ML910
PY701
GA706
MN201
TR201
MZ100
AR100
NL000

Reported on 17 April 2020

અમદાવાદમાં દર 24 મિનિટે એક કેસ : સૂરતમાં કેસોની સદી : સ્વયંશિસ્તનો અભાવ કરફ્યુ તરફ દોરી રહ્યો છે : શાકભાજી અને ફ્રૂટવાળા એટલા વધી ગયા છે કે લૉકડાઉન જેવું જણાતું નથી

તા.17મી એપ્રિલે સવારે ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 1000 ને પાર થઇને 1021 પર પહોંચી હતી. સૌથી વધુ કેસ અમદાવાદ ખાતે 590, બીજાક્રમે વડોદરા ખાતેથી 137 અને ત્રીજા ક્રમે સૂરતમાં 102 કેસો થયા છે.

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1,021 પર પહોંચી ગઈ છે. છેલ્લા 12 કલાકમાં સમગ્ર રાજ્યમાં 92 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદના 45, સુરતના 14, વડોદરાના 9, આણંદના 1, ભરુચના 8, બોટાદના 3, છોટા ઉદેપુરના 1, દાહોદના 1, ખેડા 1, મહિસાગર 1, નર્મદા 5, પંચમહાલ જિલ્લાના 2 અને પાટણ જિલ્લાના 1 કેસનો સમાવેશ થાય છે.

રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં બે દર્દીઓના મોત થયા છે, જેમાં એક વડોદરા અને બીજા અમદાવાદના રહેવાસી હતા. આ બંને દર્દ હાયપર ટેન્શનની બીમારી પણ ધરાવતા હતા. હાલ જુદી-જુદી હોસ્પિટલોમાં કુલ 901 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે વેન્ટીલેટર સપોર્ટ પર હોય તેવા દર્દીઓની સંખ્યા 8 છે. રાજ્યમાં અત્યારસુધી 74 દર્દીઓ સાજા થઈ ઘરે ગયા છે, જ્યારે 38ના મોત થયા છે.

સૂરત શહેરમાં 17મી એપ્રિલે સવારે સૂરત મ્યુનિ. કોર્પોરેશને આપેલી સત્તાવાર ડિટેઇલ

સૂરતમાં શાકભાજી ફ્રૂટવાળા એટલા વધી ગયા છે કે લૉકડાઉન જેવું જણાતું નથી

સૂરત શહેરની વાત કરીએ તો શાકભાજી અને ફ્રુટવાળા એટલા વધી ગયા છે કે લૉકડાઉન જેવું જણાતું નથી. લોકો ગમે ત્યારે શાકભાજી, ફ્રૂટ લેવા રસ્તા પર નીકળી પડતા જોવા મળે છે. જે લોકો ખાણીપીણીના ધંધામાં હતા, એ બંધ થતા હવે એવા તમામે, તેમજ બેરોજગાર થયેલા મજૂરો, લેબર તમામે મોટા ભાગે શાકભાજી અને ફ્રુટ્સના ધંધા શરૂ કરી દીધા છે. શહેરના મુખ્યમાર્ગોથી લઇને સોસાયટીઓ અને એપાર્ટમેન્ટોની બહાર, દરેક નાના મોટા ચાર રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં શાકભાજી, ફ્રુટવાળાઓની રેકડીઓ, લારીઓ, સાઇકલ લારીઓ, ફૂટપાથો પર ઢગલા જોવા મળે છે. આ લોકોને કારણે લોકો ગમે ત્યારે લૉકડાઉન છે એવી સ્વયંશિસ્ત જાળવ્યા વગર ખરીદી કરવા માટે નીકળી રહ્યા છે.

Gujart update on 17 April 11 am

અમદાવાદમાં છેલ્લા 5 દિવસમાં દર 24 મિનિટે એક કેસ મળ્યો

અમદાવાદની સ્થિતિ વિકટ હોવાનું જણાવતા મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ શ્રી વિજય નેહરાએ જમાવ્યું હતું કે અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસમાં 302 નવા કેસો નોંધાયા હતા. પાંચ દિવસ પૂર્વે અમદાવાદમાં 242 કેસો હતા. જેમાં 302 ઉમેરાયા. અમદાવાદમાં દરરોજ 60.4 કેસો મળ્યા છે. બીજી રીતે કહીએ તો અમદાવાદ ખાતે દર 24 મિનિટે કોરોનાનો એક પોઝીટીવ કેસ મળી રહ્યો છે જે ચિંતાજનક બાબત છે. અમદાવાદમાં આગામી દિવસોમાં દૈનિક 100 કેસો પણ મળવા સંભવ છે કેમકે અમદાવાદ ખાતે ટેસ્ટીંગ ઘનિષ્ઠ કરવામાં આવ્યું છે. કરફ્યુ મૂકાયો હોવા છતાં અમદાવાદના વિસ્તારોમાં લોકો બેરોકટોક બહાર નીકળી રહ્યા છે.

ગુરુવારે ગુજરાતમાં 163 કેસો મળી આવતા ચિંતાનું મોજું

ગુજરાત રાજ્યમાં સતત કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ગુરુવારે રાત્રે 8 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 163 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને તે સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 929એ પહોંચી ગયો છે. ગુરુવારે દિવસ દરમિયાન રાજ્યમાં નવા 58 કેસ નોંધાયા હતા, તેમાંથી 53 તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. અમદાવાદમાં થલતેજ, નવરંગપુરા, નરોડા, સારંગપુર, કાળુપુર, બહેરામપુરા, જમાલપુર, સરસપુર, ગોમતીપુર, દાણીલીમડા, નિકોલ અને વટવા વિસ્તારમાં આ કેસો નોંધાયા છે.

ગુરુવારે રાત્રે 8 વાગ્યે સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જે નવા 58 કેસ નોંધાયા છે, તેમાંથી એકલા અમદાવાદના જ 53 કેસ છે. આ ઉપરાંત સુરતમાં 2 જ્યારે વડોદરા, રાજકોટ અને અરવલ્લીમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં જે 58 નવા કેસો નોંધાયા છે, તેમાં 34 પુરુષો અને 24 મહિલાઓ છે. સાથે જ તેમણે જણાવ્યું કે, 9 લોકોને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. તે સાથે રાજ્યમાં ડિસ્ચાર્જ કરાયેલા લોકોની સંખ્યા 73એ પહોંચી ગઈ છે.

ગુજરાતમાં ધંધા-રોજગારોને 20મીથી છૂટછાટ

કોરોનાના સંદર્ભમાં ભારત સરકારે લોકડાઉનનો સમયગાળો ૩ મે સુધી લંબાવ્યો છે તેમજ ૨૦મી પછી હોટસ્પોટ અને કોરોના રેડ ઝોન સિવાયના જિલ્લાઓમાં છૂટછાટ આપવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં પણ કેન્દ્ર સરકારની આ જાહેરાત મુજબ ઉદ્યોગ અને વાણિજ્યીક સેક્ટરોને શરતી છૂટછાટ આપવાનું નકકી કર્યું છે.

ગુજરાતમાં પણ તા. ૩જી મે સુધી લોકડાઉન અમલમાં રહેવાનું છે ત્યારે આ છૂટછાટ ક્ધટેનમેન્ટ ઝોન સિવાય લાગુ કરવામાં આવશે. હોટસ્પોટ અને ક્ધટેનમેન્ટ ઝોન એ આરોગ્ય વિભાગ અને સ્થાનિક પ્રશાસન સાથે મળીને કરશે. વાણિજ્યીક અને ઉદ્યોગ સંબંધિત છૂટછાટોના અમલ માટે જિલ્લા કલેકટરોના અધ્યક્ષસ્થાને ૭ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે જેમાં જી.આઇ.ડી.સી.ના સ્થાનિક વડા, શ્રમ અને રોજગાર વિભાગના અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ફેકટરી ઇન્સ્પેકટર, મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારમાં નાયબ મ્યુનિ. કમિશનર તેમજ સભ્ય સચિવ તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વડોદરાના ડભોઈમાં પાન મસાલા ચોરનારને કોરોના પોઝિટિવ, ઝબ્બે કરનાર પોલીસ પણ સંક્રમણનો શિકાર

વડોદરાના ડભોઇ ખાતે તાજેતરમાં લૉકડાઉન દરમિયાન કરીયાણાની દુકાનમાં લૂંટ કરનાર બે લોકોને પોલીસ કોન્સ્ટેબલે ઝડપી પાડ્યા હતા આ લૂંટ કરનારા બે પૈકી એકનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો જેને પગલે તેને પકડનાર પોલીસનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પોલીસ જવાનનો પણ કેસ પોઝીટીવ આવતા પોલીસ બેડામાં નિરાશા ફરી વળી હતી.

હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિંહ ઝાલાએ કરિયાણાની દુકાનમાંથી 4,625 રૂપિયાની કિંમતના પાન-મસાલાની ચોરી કરનાર આયુબ તાઈ અને તેના સાથી કુલદીપ શર્માની ધરપકડ કર્યાના એક દિવસ બાદ એટલે ગુરુવારે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આયુબ તાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે શર્માનો રિપોર્ટ નેગેટિવ.

દેશમાં ૩૨૫ જિલ્લા કોરોના મુક્ત: સરકાર

ભારતના ૩૨૫ જિલ્લામાં કોવિડ-૧૯ના કોઈ કેસ નથી તેવું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું. ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૯૪૧ નવા કેસ અને ૩૭ દર્દીના મોત નોંધાયા હતા. ગુુરુવારની સાંજ સુધીમાં દેશમાં કુલ ૧૨૯૩૫ કેસ નોંધાયા હતા અને ૪૩૬ના મોત થયા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પોલિયો સર્વિલન્સ નેટવર્કની મદદથી સર્વિલન્સ પ્રોગ્રામને સુદૃઢ બનાવવા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ના ઓપડેમિલિોજિ અને કમ્યુનિકેબલ ડીઝીઝના વડા આર. ગંગાખેડેકરે કહ્યું હતું. દરમિયાન ગૃહ મંત્રાલયે ગુરુવારે ભારપૂર્વક કહ્યું હતું કે માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું અને પાંચથી વધુ લોકો ભેગા ન થવા જોઈએ તેવા નિયમોનું કડક પાલન થવું જોઈએ. લોકોએ જાહેર સ્થળો પર થુંકવું ન જોઈએ. ગૃહ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી પુન્યસલિલા શ્રીવાસ્તવે કહ્યું કે શરાબ, ગુટકા અને તંબાકુના વેચાણ પર પ્રતિબંધ હોવો જોઈએ.

16 April : દેશમાં કોરોનાના ૧૨૩૮૦ દર્દીઓ, છેલા ૨૪ કલાકમાં ૯૪૧ નવા કેસ 

દેશમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધીને ૧૨૩૮૦ થઇ ગઈ છે. આ મહામારીથી અત્યાર સુધી ૪૧૪ લોકોના મોત થઇ ચુક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૪૧ કેસ સામે આવ્યા છે અને ૩૭ લોકોના મોત નીપજ્ય છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવઅગ્રવાલે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.

અગ્રવાલે જણાવ્યું હતું કે, ૩૨૫ જીલ્લામાંથી એક પણ કોરોના પોઝીટીવ દર્દી સામે આવ્યો નથી. દેશમાં ૧૦,૪૭૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. ૧૪૮૯ લોકો અત્યાર સુધી રીકવર થયા છે. હેલ્થ કેરમાં ખાસ મેડ ઇન ઇન્ડિયા પર વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સ્વચ્છ પેયજળને લઈને પણ એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.

World update

દરમિયાન વિશ્ર્વમાં કોરોના વાઇરસને લીધે ગુરુવારે સવારે ૧૧ વાગ્યા સુધીમાં કુલ મૃત્યુઆંક વધીને ૧,૩૭,૫૦૦ થયો હોવાની માહિતી જાણવા મળી હતી. ચીનમાં ડિસેમ્બરમાં આ મહારોગ ફેલાવાની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં ૧૯૩ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને ૨,૦૮૩,૮૨૦ પર પહોંચી હતી. અમેરિકામાં કોરોનાગ્રસ્ત દર્દીની સંખ્યા વધીને ૬,૩૮,૬૬૪ અને મૃત્યુઆંક વધીને ૩૦,૯૮૫ થયો હતો.